Sunday, May 19, 2013

૧૯૮૪થી ૨૦૧૪ : ન્યાય, નૈતિકતા અને નકટાપણું

(16-4-2013 ના રોજ પ્રગટ થયેલો લેખ)

લોકસભાની ચૂંટણીની હવા બંધાઇ રહી છે. રાજ્યકક્ષાના પક્ષો ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવવા માટે આઘાપાછા થઇ રહ્યા છે. ભારતના મુખ્ય બે રાષ્ટ્રિય પક્ષો પોતપોતાનાં કેટલાંક પત્તાં ઉતરી રહ્યાં છે અને કેટલાંક હજુ તેમણે પાકા ખેલીની જેમ છાતીસરસાં ચાંપીને રાખ્યાં છે. એટલે, દેખીતી રીતે લોકસભા ૨૦૧૪નો મુકાબલો રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો હોવાનાં ઢોલનગારાં અત્યારે વાગતાં હોય તો પણ, ચૂંટણી સુધીમાં યમુના નદીમાંથી ઘણું (પ્રદૂષિત) પાણી વહેવાનું બાકી છે.

ભારતીય લોકશાહીનો સામાન્ય ખ્યાલ ધરાવતા- એટલે કે લગભગ બધા- મતદારો જાણે છે કે ભારતમાં કોઇ વ્યક્તિની વડાપ્રધાન તરીકે ચૂંટણી થતી નથી. પક્ષને બહુમતી મળે છે અને એ પક્ષ નક્કી કરે તે નેતા વડાપ્રધાન થાય છે. એટલે અત્યારે આખો જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો લાગતો હોય તો એટલા માટે કે આવું ચિત્ર લોકોના મનમાં ઠસાવવા માટે લખલૂટ ખર્ચે મસમોટાં પ્રચારતંત્રો કામે લાગ્યાં છે. આમ પણ ભારત વ્યક્તિપૂજાનો દેશ છે. એટલે પ્રચારતંત્રોનું કામ બહુ અઘરૂં નથી અને રહી વાત એમની અસરકારકતાની. તો, ગુજરાતના મુખ્ય મંત્રી છીંક ખાય તેને પણ સમાચાર તરીકે ચમકાવવાની પ્રસાર માઘ્યમોની આતુરતા સ્વયંભૂ હશે એમ માની લેવું અઘરું છે.

આ તબક્કે બિનકેફી અવસ્થામાં રહેલા નાગરિક તરીકે આપણી પાસે કયા વિકલ્પ છે, એ વિચારવા જેવું છે. કોઇ પણ દેશના રાજદૂતની બીજા દેશમાં નિમણૂંક થાય ત્યારે એ દેશના વડા પાસે તેમણે સત્તાવાર રીતે પોતાના ‘ક્રેડેન્શિયલ્સ’- લાયકાત  અને અધિકારને લગતાં પ્રમાણ- રજૂ કરવા પડે છે. ધારો કે કોંગ્રેસ અને ભાજપ, એ બન્ને આપણા નાગરિકો સમક્ષ પોતપોતાની લાયકાતનાં પ્રમાણ રજૂ કરે તો કેવાં લાગે? અને નાગરિક તરીકે આપણી પાસે કયા વિકલ્પ છે?

આવો વિચાર ગયા સપ્તાહે (એપ્રિલ, ૨૦૧૩ના બીજા અઠવાડિયામાં) કોંગ્રેસી નેતા જગદીશ ટાઇટલર/ Jagdish Tytler સામેના અદાલતી આદેશથી આવ્યો. ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના એક આરોપી તરીકે ટાઇટલર સામેની તપાસનો સીબીઆઇએ વીંટો વાળીને ક્લોઝર રીપોર્ટ ફાઇલ કરી દીધો હતો. પરંતુ  એક અરજીના જવાબમાં અદાલતે સીબીઆઇને ફરી ટાઇટલર સામેનો કેસ ખોલવાનો આદેશ આપ્યો. આવું બીજી વાર બન્યું. અગાઉ પણ એક વાર સીબીઆઇએ (કહેવાની જરૂર છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારમાં?) ટાઇટલર કેસમાં ક્લોઝર રીપોર્ટ સુપ્રત કરી દીધો હતો- મતલબ કે શીખ હત્યાકાંડમાં ટાઇટલર સામે કોઇ કેસ બનતો નથી અને તે નિર્દોષ છે.

અદાલતે કહ્યું કે એક તપાસસંસ્થા તરીકે સીબીઆઇ સાક્ષીઓની વિશ્વસનીયતા સામે આંગળી ચીંધી શકે છે અને યોગ્ય લાગે તો તપાસ બંધ પણ કરી શકે છે. પરંતુ કોઇ સાક્ષીનું નિવેદન નહીં લેવાનો- અને એ રીતે અદાલતનો પોતાના સ્વતંત્ર નિર્ણય પર પહોંચતી અટકાવવાનો- સીબીઆઇને અધિકાર નથી. આનું ‘ગુજરાતી’ એટલું જ કે સીબીઆઇએ પોતાનાથી સરખી તપાસ ન થાય તો કરવી, પણ બીજાના (અદાલતના) રસ્તામાં રોડાં નાખવાં નહીં.

બેશરમ પ્રતિભાવ

૨૯ વર્ષ પહેલાંના ઘાતકી હત્યાકાંડના આરોપી ટાઇટલર અત્યારે ૬૯ વર્ષના છે. ભારતના રાજકારણમાં આ ઉંમર બહુ મોટી ન કહેવાય. છતાં, શીખવિરોધી હત્યાકાંડના દાગ સાથે ટાઇટલર કોંગ્રેસ જેવા પક્ષમાં ૨૯ વર્ષ હેમખેમ જ નહીં, રંગેચંગે કાઢી શક્યા - અને હજુ પણ તેમને વાંધો આવે એમ નથી, એ હકીકત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના મતદાર તરીકે આપણને ડરાવે એવી છે.

 હત્યાકાંડના આરોપોમાં ફરી તપાસ કરવાના અદાલતી નિર્ણય પછી ટાઇટલર કહે છે કે ‘મારી સામે અદાલતમાં આરોપો ઘડાશે એ જ ઘડીએ હું કોઇ પણ હોદ્દે નહીં રહું. કારણ કે તેનાથી પક્ષને નીચાજોણું થાય અને મારે મન પક્ષ કરતાં વધીને કશું જ નથી.’ તો ટાઇટલરનો મહાન પક્ષ શું કહે છે? પક્ષનાં પ્રવક્તા રેણુકા ચૌધરીએ છાપેલો જવાબ આપતાં કહ્યું છે કે ‘અત્યારથી ટાઇટલર સામે પગલાં લેવાનું બહુ ઉતાવળીયું ગણાશે. પહેલાં તેમની વિરુદ્ધ કંઇક નક્કર પુરવાર તો થાય. હજુ મામલો અદાલતમાં છે અને અમે અદાલતના અધિકારક્ષેત્રનું કોઇ રીતે ઉલ્લંઘન કરવા માગતાં નથી. એટલે અત્યારે એ વિશે વાત કરવાનો કશો અર્થ નથી.’

જગદીશ ટાઇટલર એમના પક્ષને નીચાજોણું થવાની વાત કરે છે, કેમ જાણે એમને ખબર ન હોય કે એ મુદ્દે તેમના પક્ષની આબરૂ તળિયાના પણ તળિયે બેઠેલી છે. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા થયેલી હત્યા પછી ફાટી નીકળેલાં શીખવિરોધી રમખાણોને રાજીવ ગાંધીએ સ્વાભાવિક પ્રતિક્રિયા જેવાં ઠરાવ્યાં એ તો ભયંકર હતું, પરંતુ એ દિવસોનો ઓતાર અને ઓથાર ઉતરી ગયા પછી પણ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી કે હવે વડાપ્રધાનપદના યુવા તાલીમાર્થી - એપ્રેન્ટીસ- રાહુલ ગાંધી, કોઇને શીખ હત્યાકાંડ વિશે હૃદયપૂર્વક વસવસો કરવા જેવું અને નાકલીટી તાણવા જેવું લાગતું નથી. કહેવા ખાતર કોંગ્રેસી સરકારે શીખ હત્યાકાંડની માફી માગી છે, પણ એ શીખ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ પાસે મંગાવીને કોંગ્રેસે પોતાની ખોરી દાનતનો જ પરિચય આપ્યો છે. એ માફી સોનિયા ગાંધીના મોઢે વધારે શોભી હોત- કોંગ્રેસનાં કર્તાહર્તા તરીકે તેમ જ ઇન્દિરા ગાંધીનાં પરિવારજન તરીકે.

માફી ન માગવાથી પણ વધારે ગંભીર અને અક્ષમ્ય ગુનો એ છે કે કોંગ્રેસે શીખ હત્યાકાંડના આરોપી સજ્જનકુમાર અને જગદીશ ટાઇટલરને છાવર્યા છે, તેમને હોદ્દા આપ્યા છે અને તેમની સામેની તપાસ ઢીલી થાય એવા બધા પ્રયાસ કર્યા છે. આ તબક્કે શીખ હત્યાકાંડમાં કોંગ્રેસની દુષ્ટતાનો રાજકીય લાભ ખાટવા તલપાપડ ભાજપના પાયદળને  કે કલમદળને એટલું યાદ કરાવી દેવાનું કે ૧૯૮૪ પછી કેન્દ્રમાં પાંચ વર્ષ સુધી ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પણ હતી જ. કોંગ્રેસની ગુનાઇત ઉદાસીનતાની આકરી ટીકા કરવાનો અધિકાર ફક્ત નાગરિકોને છે. ભાજપપ્રેમીઓ કે ભાજપીઓએ તો એ વાતનો હિસાબ આપવાનો છે કે તેમની સરકારે શીખવિરોધી હત્યાકાંડના કોંગ્રેસી આરોપીઓ સામે શું કર્યું? અને પોતાની સરકાર ન હતી ત્યારે, નજીવી વાતોમાં સંસદ ખોરવી નાખવા ઉત્સાહી ભાજપે ફરિયાદી શીખોને ન્યાય અપાવવા કશું કર્યું? કે પછી પોતાનું ગુજરાત, ૨૦૦૨નું પાપ સંતાડવા માટે દિલ્હીના શીખોના ઘાનો રાજકીય ઉપયોગ કર્યો રાખ્યો?

બીજા શબ્દોમાં, કોંગ્રેસની સરકારે શીખોને ઘા આપ્યા અને સજ્જનકુમાર-ટાઇટલરોને છાવરીને તેની પર મીઠું ભભરાવ્યું, તો ભાજપે એ ઘામાંથી પોતાના ૨૦૦૨ના ગંભીર દરદની રસી બનાવી લીધી. પરંતુ શીખોના ઘા પર મલમ લગાડવાનું કે તેને રૂઝવવાનું કામ બન્નેમાંથી કોઇ પક્ષે કર્યું નથી.

ટાઇટલર - કે પછી નરેન્દ્ર મોદી- જેવા લોકો જ્યારે કહે કે ‘અમારી સામેના આરોપ પુરવાર થશે તો અમે જાહેર જીવન છોડી દઇશું અથવા અમને ફાંસી આપી દેજો’ ત્યારે હસવું કે રડવું એની ખબર પડતી. કારણ કે આરોપો સાબીત થશે તો પછી તેમને તેમની ન્યાયપ્રિયતાને કારણે નહીં, પણ જખ મારીને આરોપી તરીકે સજા ભોગવવી પડશે. એમાં તેમણે શી ધાડ મારી? આ તો કોઇ ખિસ્સાકાતરુ એમ કહે કે ‘હું પકડાઇ જઉં તો મને બે ધોલ મારજો’ એવી વાત થઇ. પરંતુ નૈતિકતા કે ન્યાયપ્રિયતાનું ખરું ધોરણ એ હોય કે ટાઇટલર પહેલાં હોદ્દો છોડી દે અને પછી પોતાની સામેની તપાસ થવા દે. કોંગ્રેસના પક્ષેથી નીતિમત્તાનું ધોરણ એ હોવું જોઇએ કે પોતાના નેતાઓ સામે ગંભીર આરોપ થાય અને એ ચકાસવા પડે એટલા દમદાર લાગે, ત્યારે એ સૌથી પહેલાં એ નેતાની પડખે ઊભવાને બદલે, તેમને પક્ષના બધા હોદ્દેથી છૂટા કરે. પક્ષમાં એમનું સભ્યપદું ભલે ચાલુ રહેતું. એ સૌથી છેલ્લે - એટલે કે આરોપ પુરવાર થયા પછી- રદ થાય.

એને બદલે કોંગ્રેસ ૨૯ વર્ષ પછી અને એ પણ બીજી વાર ટાઇટલર સામેની તપાસ અદાલતના આદેશથી ફરી ખુલે ત્યારે પણ કહે છે કે ટાઇટલર સામે પગલાં લેવાનું અત્યારે બહુ ઉતાવળીયું કે વહેલું ગણાશે. આ એ પક્ષ છે જેના ટોચના નેતાએ હત્યાકાંડને શરૂઆતના દિવસોમાં વાજબી ઠરાવ્યો હતો અને તેના કેટલાક નેતાઓ હિંસામાં સંડોવણી ધરાવતા હોવા છતાં, તેમને કદી મામુલી સજા પણ કરવામાં આવી નથી. અદાલતમાં ગુનો પુરવાર કરવા માટે કાનૂની આંટીધૂંટીઓના રસ્તેથી નીકળવું પડે છે અને તેમાં અટવાઇ જવાનો ડર રહે છે, પણ આ લોકોને પક્ષમાંથી હાંકી કાઢવા કે કમ સે કમ તેમની પાસેથી હોદ્દા લઇ લેવા માટે આવા કોઇ પુરાવાની જરૂર નથી. એ સત્તા પક્ષને હસ્તક હોય છે. પરંતુ આવા નેતાઓને ચૂંટણીની ટિકિટો ને હોદ્દા આપવામાં પક્ષનું રુંવાડું પણ ફરકતું નથી. એ તો કોઇ તેમની પર જાહેરમાં જૂતું ફેંકે કે પછી અદાલત તેમની સામેની તપાસ ફરી ખોલાવે ત્યારે પક્ષની જાડી ચામડી માંડ સળવળે છે.

આ કોંગ્રેસનો વિકલ્પ એટલે ભાજપ, જેના વડાપ્રધાનપદના એક ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. ‘ઓપન’ સામયિકના પત્રકાર મનુ જોસેફે લખ્યું હતું તેમ, કોલેજ કક્ષાની ડીબેટ સ્પર્ધાઓ જેવી (છીછરી) કક્ષાની છતાં (કે એટલે જ) અત્યંત લોકપ્રિય બનેલી વક્તૃત્વશક્તિ ધરાવતા નરેન્દ્ર મોદી સામે ૨૦૦૨ની હિંસાની જવાબદારીની વાત આવે એટલે તેમની વાચા હણાઇ જાય છે. રાજનેતાને વડાપ્રધાનપદની વાસના હોય એમાં કશું ખોટું નથી, પણ પોતાની વાસનાને માતૃભૂમિ પ્રત્યેની ૠણચૂકવણીનું લેબલ મારવામાં મનુ જોસેફે કહી છે એ પ્રકારની વક્તૃત્વશક્તિ જોઇએ. ગુજરાતના મુખ્ય મંત્રીને હજુ ૨૦૦૨માં તેમના ‘સુશાસન’માં થયેલી કોમી હિંસાના જવાબો આપવાના બાકી છે. ગુજરાતના તેમની વ્યાખ્યામાં ન આવતા ઘણા ગુજરાતીઓનું ૠણ ચૂકવ્યાં પહેલાં તેમને કેન્દ્રમાં ૠણ ચૂકવવા પહોંચી જવું છે. તેમના પક્ષે કોમી હિંસાનો વસવસો,એ વખતે સરકારી તંત્રની નિષ્ફળતાનો એકરાર અને પછીનાં વર્ષોમાં તેમના બેફામ વાણીવિલાસ અંગેની દિલગીરી સાંભળવાનાં બાકી છે. રહી વાત એમના પક્ષની. તો ગુજરાતના મુખ્ય મંત્રીનું સ્વકેન્દ્રી સ્ટીમરોલર ફરી ગયા પછી ‘કયો પક્ષ?’ એવું પૂછવાની સ્થિતિ આવવાની છે.

 -અને આ બન્ને પક્ષો આપણી પાસે ૨૦૧૪ની ચૂંટણીમાં મત માગવાના છે. લાગે છે કે મન કઠણ કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવી પડશે.

1 comment:

  1. કોંગ્રેસ અને ભાજપે ભારતના નાગરીકોને મન કઠણ કરવાની ઘ્ણી તકો ઉભી કરી છે.

    કોંગ્રેસ અને ભાજપની સાથે ફીલ્મના કલાકારો અને ક્રીકેટના ખેલાડીઓને હરીફાઈમાં ઉતારવા આંતકવાદીઓ, ડી ગેન્ગો પણ આવી તકો પુરી પાડે છે.

    ReplyDelete