Sunday, October 23, 2011

નાના ભાઇ (સરદાર પટેલ)ની સરખામણીમાં વિસરાઇ ગયેલા ભારતીય રાજકારણના ‘મોટા ભાઇ’ વિઠ્ઠલભાઇ પટેલ

Vitthalbhai Patel/ વિઠ્ઠલભાઇ પટેલઃ બેરિસ્ટરના અને બેરિસ્ટરી છોડ્યા પછીના લિબાસમાં

ખેડા-આણંદ જિલ્લાના કે તેના સંપર્કમાં ન હોય એવા ઘણા લોકોને વિઠ્ઠલભાઇ પટેલનું નામ અજાણ્યું લાગી શકે છે. એનો અર્થ એવો નથી કે ખેડા-આણંદના બધા લોકો તેમના વિશે જાણતા હોય. ત્યાંના ઘણાખરા લોકો માટે લાંબી દાઢીવાળા વિઠ્ઠલભાઇ પટેલનું બાવલું, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય કે વિઠ્ઠલ ઉદ્યોગનગર જાણીતાં હોવા છતાં, વિઠ્ઠલભાઇનો પરિચય કે પ્રતાપ અજાણ્યાં હોઇ શકે છે. ચરોતરમાં ‘પટેલ’ તરીકે વિઠ્ઠલભાઇ વિશે ગૌરવ લેવાનો ઉત્સાહ જોવા મળી જાય, તો પણ તેમના જીવનકાર્ય વિશેની યથાયોગ્ય માહિતીના અભાવને કારણે એવી શંકા જાય કે આ કોઇ સ્થાનિક મહત્ત્વ ધરાવતા ‘પટેલરત્ન’ હશે.

બે વર્ષ નાના ભાઇ વલ્લભભાઇના પાસપોર્ટ પર તે વિદેશ જઇને બેરિસ્ટર થઇ આવ્યા, એ વિઠ્ઠલભાઇ વિશેની સૌથી જાણીતી વાત છે. વઘુ જાણકારી-રસ ધરાવતા લોકો તેમને સરદારના મોટા ભાઇ ઉપરાંત આઝાદી પહેલાંની ઇમ્પીરિયલ લેજિસ્લેટીવ કાઉન્સિલ- કેન્દ્રિય ધારાસભા (આઝાદી પછીની સંસદ)ના પહેલા ભારતીય અઘ્યક્ષ તરીકે ઓળખે છે. ભગતસિંઘે અંગ્રેજ સરકારના ‘બહેરા કાન સુધી ઇન્કિલાબનો અવાજ પહોંચાડવા’ કેન્દ્રિય ધારાસભામાં બોમ્બ ફેંક્યો, ત્યારે એ ધારાસભાના અઘ્યક્ષની ખુરશી પર વિઠ્ઠલભાઇ પટેલ બિરાજમાન હતા. અંગ્રેજ શાસન સામેની તેમની લડતનો રસ્તો અને પદ્ધતિ ગાંધીજી કરતાં જુદાં હોવા છતાં, એકથી વઘુ વાર તે ગાંધીજી સાથે જોડાયા ને જેલમાં પણ ગયા હતા. પોતાની કાર્યપદ્ધતિ અંગે તેમણે કહ્યું હતું, ‘મને પ્રેમથી જીતતાં આવડતું નથી કે હું મહાત્મા પણ નથી. હું તો સામાને ગુંચવી, ઘેરી અને પછીથી હેરાન કરવાવાળો માણસ છું...સરકારને સુખેથી સુવા દેવી નહીં એ ધર્મમાં હું માનનારો છું.’

‘સરકારને સુખેથી સુવા નહીં દેવાના’ સંસદીય રાજકારણમાં તેમની સક્રિયતા અને તેમનું પ્રદાન તેમને મહાન સાંસદોની હરોળમાં મૂકે એવું છે. લાંબી બિમારી પછી ઓક્ટોબર ૨૨, ૧૯૩૩ના રોજ તેમનું જીનીવા નજીકની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું, ત્યારે સુભાષચંદ્ર બોઝ તેમની પડખે હતા. મૃત્યુ પહેલાંનાં થોડાં અંતિમ વાક્યો તેમણે ભારતને વહેલું સ્વરાજ મળે, એવી મનોકામના વ્યક્ત કરી હતી.

સામાન્ય રીતે એવું બને કે કોઇ વ્યક્તિના પ્રદાન વિશે યોગ્ય નોંધ ન થઇ હોય, બે પૂંઠાં વચ્ચે તે સચવાયું ન હોય, એટલે ભાવિ પેઢી માટે તેમને યાદ કરવાનો કોઇ આધાર ન રહે. વિઠ્ઠલભાઇના કિસ્સામાં એવું પણ નથી. સરદાર પટેલની હયાતીમાં નરહરિ પરીખે લખેલા તેમના ચરિત્ર (જેનો બીજો ભાગ સરદારના મૃત્યુ પછી પ્રકાશિત થયો) પછી સરદારનું પૂર્ણ કદનું ચરિત્ર દાયકાઓ પછી રાજમોહન ગાંધીએ લખ્યું. તેની સરખામણીમાં વિઠ્ઠલભાઇ પટેલના સ્નેહી-સ્વજન ગોરધનભાઇ (જી.આઇ.) પટેલે છેક ૧૯૫૦માં (અંગ્રેજીમાં) બે ભાગમાં વિઠ્ઠલભાઇનું દળદાર ચરિત્ર આપ્યું હતું. વિઠ્ઠલભાઇના લગભગ ભક્ત કહી શકાય એવા એ ચરિત્રકારનાં કેટલાંક નિરીક્ષણ કે અવલોકનની તટસ્થતા ચર્ચાસ્પદ હોવા છતાં, ભારતીય નેતાઓનાં સૌથી દળદાર (આશરે ૧૩૦૦ પાનાં) અને સૌથી વિગતે લખાયેલાં ચરિત્રોમાં વિઠ્ઠલના ચરિત્રનો સમાવેશ કરવો પડે. ત્યાર પછી એચ.એમ.પટેલ જેવા અભ્યાસી અમલદાર-જાહેર જીવનના અગ્રણીએ ભારત સરકારના પ્રકાશન વિભાગ માટે વિઠ્ઠલભાઇની કામગીરી-કારકિર્દી આવરી લેતું પુસ્તક લખ્યું હતું.

વિઠ્ઠલભાઇની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા, સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ અને પક્ષાપક્ષીથી પર રહીને અઘ્યક્ષપણું દીપાવનારા અઘ્યક્ષ તરીકેની રહી. પરંતુ રૂઢિચુસ્તતાના એ સમયમાં વિઠ્ઠલભાઇનું સામાજિક વલણ અને વિશાળ દૃષ્ટિ નોંધપાત્ર હતાં. ‘મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ની વાત તેમણે ૧૯૧૬માં કરી હતી. તેમના સતત પ્રયાસો પછી ૧૯૧૭માં મુંબઇ ધારાસભામાં એ ખરડો રજૂ થયો. (જોકે એ પસાર થઇ શક્યો નહીં.)

‘લીવ ઇન રિલેશનશીપ’ને માન્યતા આપીને, ‘પાર્ટનર’ને પત્ની તરીકેના હક આપતા અત્યારના સમયમાં નવાઇ લાગે, પણ એ વખતે એક કાયદાકીય જોગવાઇ એવી હતી કે હિંદુ લગ્નમાં પતિ-પત્ની બન્ને જુદી જુદી જ્ઞાતિનાં હોય તો (અમુક સામાજિક અપવાદને બાદ કરતાં) એ લગ્ન કાયદેસર ગણાય નહીં. તેને કારણે આંતરજ્ઞાતિય લગ્ન પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડતું. ખાધાખોરાકી કે બીજા કોઇ હક મળતા નહીં. સ્ત્રીઓને અન્યાય કરતા આ કાયદામાં સુધારો કરવા માટે વિઠ્ઠલભાઇએ તેમાં સુધારો કરવાની ઝુંબેશ ઉપાડી. એ માટેનો તેમણે કેન્દ્રિય ધારાસભામાં ખરડો રજૂ કર્યો. સરકારી પક્ષને આ સુધારા સામે વાંધો ન હતો, પણ વિઠ્ઠલભાઇના બીજા ઘણા દેશી સાથીદારોને આ ફેરફાર મંજૂર ન હતો. લોકોનો મત જાણવા માટે આ ખરડો જાહેર કરવામાં આવ્યો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર સહિત બીજા ઘણા અગ્રણીઓએ તેને વધાવ્યો અને ટેકો આપ્યો. પરંતુ થોડા સમય પછી કોંગ્રેસ સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઇએ તેના આદેશથી રાજીનામું આપતાં એ ખરડા પરની કાર્યવાહી અટકી પડી.

વિઠ્ઠલભાઇની લડતનો માર્ગ બંધારણીય હતો, તેનો અર્થ એ નહીં કે તેમને વાતોનાં વડાં કરવામાં કે ઠરાવો-અરજીઓમાં જ રસ પડતો હતો. મિજાજે તે લડવૈયા હતા. ગોધરામાં પહેલી રાજકીય પરિષદ ભરાઇ, ત્યારે છેલ્લા દિવસે ઠક્કરબાપા-મામાસાહેબ ફડકેના પ્રયાસોથી દલિત મહોલ્લામાં સભા યોજાઇ હતી. તેનું શરમજનક-કરુણ વર્ણન કરતાં ઇંદુલાલ યાજ્ઞિકે લખ્યું છે કે પોતાના મહોલ્લામાં આવનારા મોટા બિનદલિત નેતાઓ અભડાઇ ન જાય એટલા માટે દલિતો પત્ની બાળકો સાથે છાપરે ચડી ગયા હતા. ઠક્કરબાપાની સમજાવટ પછી એ માંડ નીચે ઉતરીને સભામાં આવ્યા. ત્યાર પછીની પરિષદ નડિયાદમાં (૧૯૧૮માં) ભરાઇ ત્યારે ગાંધીજી બિમાર હતા. તેના પ્રમુખપદેથી વિઠ્ઠલભાઇએ ધારાસભામાં દલિતો માટે અનામત બેઠકો રાખવાની સરકારને ભલામણ કરી હતી. ગોધરાની પરંપરા ચાલુ રાખીને નડિયાદમાં તેમણે દલિતોને સભામાં સામેલ કરવાનું નક્કી કર્યું. ગોધરામાં દલિત મહોલ્લામાં સભા ભરવામાં આવી હતી, પણ વિઠ્ઠલભાઇ એક ડગલું આગળ વઘ્યા. ઇન્દુલાલ યાજ્ઞિકની નોંધ પ્રમાણે, નડિયાદમાં વિઠ્ઠલભાઇએ સભાના મુખ્ય મંડપમાં જ દલિતોની સભા કરી. ‘આ લોકોને ક્યાં ઘાલ્યા? મંડપ અભડાવી માર્યો’ એવી ટીકાઓથી ડગ્યા વિના તેમણે સફળતાથી સભા પાર પાડી. એ પરિષદમાં ઉઘરાવેલા ફાળામાંથી નડિયાદમાં દલિતો માટેની પહેલી શાળા મરીડા ભાગોળે શરૂ થઇ.

પિતા ઝવેરભાઇ પટેલનું અવસાન થયું ત્યારે તેમની પાછળ શ્રાદ્ધ વગેરે વિધિ માટે બીજા ભાઇ નરસિંહભાઇએ વિઠ્ઠલભાઇને પત્ર લખ્યો. મરણોત્તર ક્રિયાઓ અને શ્રાદ્ધ વગેરે વિધિઓને નકામી અને ખર્ચાળ ગણતા વિઠ્ઠલભાઇએ નરસિંહભાઇને પત્રમાં લખ્યું, ‘મારા કહેવા પ્રમાણે કરવાના હો તો જ હું આવીશ. વલ્લભભાઇ કદાચ તમારી વાત માનશે. તો પછી તમે તેમના કહેવા મુજબ કરજો...મને બોલાવવાની તમારી મરજી હોય તો તમે મારું કહ્યું ઍમાનવાના છો કે નહીં તે લખજો.’

‘પટેલ’ તરીકે વિઠ્ઠલભાઇ વિશે ગૌરવ લેવા આતુર લોકો માટે એક યાદગાર પ્રસંગ એચ.એમ.પટેલે નોંઘ્યો છે. તે લંડનમાં આઇ.સી.એસ.નો અભ્યાસ કરતા હતા ત્યારે (૧૯૨૭માં) વિઠ્ઠલભાઇ લંડન ગયા. તેમના માનમાં લંડનના ‘પટેલ વિદ્યાર્થીમંડળ’ તરફથી હોટેલ સેસિલમાં રીસેપ્શન- સ્વાગત મેળાવડો રાખવામાં આવ્યો હતો. તેનાથી હરખાવાને બદલે વિઠ્ઠલભાઇએ પોતાના પ્રવચનમાં ‘પટેલ વિદ્યાર્થીમંડળ’ને કહ્યું, ‘માદરેવતનથી છ હજાર માઇલ દૂર લંડન શહેરમાં પણ તમે જ્ઞાતિની ગણતરી કે મર્યાદા છોડી શકતા નથી, એ મારે મન આશ્ચર્યનો વિષય છે. ભારતે એક રાષ્ટ્ર તરીકે માથું ઊંચું રાખીને જીવવું હશે તો જુવાન ભારતીયોએ (જ્ઞાતિની) મર્યાદાઓથી પર થવું પડશે.’

(આવતા સપ્તાહેઃ વિઠ્ઠલભાઇની રાજકીય નેતાગીરી-સાંસદ તરીકેની કારકિર્દી)

3 comments:

  1. Dwiref Vora12:57:00 PM

    kadach visrata-bhulata mahan lokoma emnu pan ek naam kahi shakay. Tamara aa article thi kharekhar ghanu janvanu malyu.

    ReplyDelete
  2. Bharat.zala10:34:00 AM

    વિઠ્ઠલભાઈ પટેલ વિષે ઘણી સરસ માહિતી જાણવા મળી.સૂર્યના અજવાળામાં આમ પણ ઘણું બધું ઝાંખું થઇ જતું હોય છે.સરદારના ભાઈ ના હોત તો ઇતિહાસમાં એક અલાયદું પાનું વિઠ્ઠલભાઈ ના નામે લખાયું હોત,એ નિ:શકપણે કહી શકાય.

    ReplyDelete
  3. વિઠ્ઠલ ભાઈ નુ જીવન ચરિત્ર લખનાર ગોરધન ભાઈ પટેલ અને એચ.એમ. પટેલ ગુજરાત ના ખ્યાત્નામ અધિકારીઓ ગણાય. ભારત પાકિસ્તાન ભાગલા વખતે એચ એમ પટેલ ની ભુમિકા વિશેશ હતી. તો પી.વી. નરસિમ્હા રાવ ની સરકાર વખતે જી.આઈ.પટેલ ને નાણામંત્રી ની ઓફર થઈ હતી જેનો તેમણે અસ્વિકાર કર્યો પાછળ થી મનમોહન સિંહ ને નાણામંત્રી બનાવવામાં આવ્યા. જેમણે આર્થિક સુધારા લાગુ પાડ્યા.

    ReplyDelete