Wednesday, October 19, 2011

હમ ભી ખડે હૈં રાહોંમેં

સૂતેલાનું નસીબ સૂતું રહે ને બેઠેલાંનું બેઠું, એવું વર્ષો પહેલાં સુભાષિતમાં આવતું હતું. પરંતુ તેમાં ઊભેલા લોકો વિશે ચોખવટ કરવામાં આવી ન હતી. ભારતવર્ષમાં સૂતેલા અને બેઠેલા લોકોની સરખામણીમાં ઊભેલા (મુસાફરી દરમિયાન ઊભા રહેનારા) લોકોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એટલે જ કદાચ તેમને લોકશાહીની ઉજ્જવળ પરંપરા પ્રમાણે નજરઅંદાજ કરાયા હશે.

ટ્રેનમાં કે બસમાં મુસાફરી દરમિયાન ઊભા રહેવું એ કેવી સ્થિતિ છે? આ સવાલના જવાબનો આધાર જવાબ આપનારામાં રહેલી આઘ્યાત્મિકતા, દાર્શનિકતા, ચિતનપ્રિયતા કે વિચારજડતા પર નિર્ભર છે. એક પ્રચલિત ખ્યાલ પ્રમાણે, ઊભા રહેવું એ મજબૂરી સૂચવે છે અને ઊભા રહેનારને દયાને પાત્ર ગણવામાં આવે છે. તેના માટે અપાતું કારણ એવું છે કે ‘માણસને બેસવાની જગ્યા ન મળી, ત્યારે એને ઊભા રહેવાનો વારો આવ્યો ને!’

પરંતુ રોજ અવરજવર કરનારા ઘણા લોકોને આ માન્યતા પાછળ રહેલી વૈચારિક ગરીબી પર, ઊભાં ઊભાં, દયા છૂટે છે. સમાજનો નોંધપાત્ર વર્ગ ઊભા રહેવાનું માહત્મ્ય સમજી શક્યો નથી, એ બદલ તેમને પારાવાર અફસોસ થાય છે અને ક્યારેક તો ‘આ સમાજ કેવી રીતે આગળ આવશે?’ એવાં વચનો પણ તપમગ્ન અવસ્થામાં- એટલે કે ઊભાં ઊભાં- તેમના મુખેથી નીકળી જાય છે.

કારણ? તેમના માટે ઊભા રહેવું એ તપ છે, સિદ્ધિ છે, હક છે. શોખ, શક્તિ અને શાન છે. ગૌરવ ને ગરીમા છે. ઓળખ ને અસ્મિતા છે. ઊભા રહેવું એ તેમના માટે અધિકાર છે ને કર્તવ્ય પણ. આવા લોકોને કોઇ માણસ બેસવાની જગ્યા આપવાની વાત કરે તો, લાંચની દરખાસ્તથી છેડાઇ જતા પ્રામાણિક અફસરની જેમ, તે ખળભળી ઊઠે છે. પોતાના ઊભા રહેવાના હક પર તરાપ વાગી હોય અથવા પોતાની ઊભા રહેવાની ક્ષમતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હોય, એવો અપમાનબોધ તેમને થાય છે.

પોતાના રોષ પર માંડ કાબૂ રાખતાં એ જગ્યા આપનારને કહે છે, ‘ના રે. આપણા ક્યાં ભાંગી પડ્યા છે? એવું તે કેવું પોપલાપણું કે અડધો કલાક-કલાક ઊભા ન રહેવાય? આમ ને આમ જ લોકોનાં હાડકાં હરામ થઇ જાય છે ને દેશ આગળ આવતો નથી.’ આમ કહીને પોતાના ગહન રાષ્ટ્રચિતનની યોગ્ય નોંધ લેવાઇ કે નહીં, એ જોવા માટે તે આજુબાજુ નજર ફેરવે છે. પરંતુ બેસવા જેવી હીન ક્રિયામાં રત લોકો આવાં સોનેરી વચન ઝીલવાની પાત્રતા ક્યાંથી લાવે? તેમનો સમય મુખ્યત્વે ઊંઘવામાં, પત્તાં રમવામાં, બારીની બહાર જોવામાં, અળાસાવામાં કે ડાફોળિયાં મારવા જેવી વ્યર્થ ક્રિયાઓમાં વેડફાતો હોય છે. આવી ક્ષુલ્લક ક્રિયાઓ કરવા માટે બેઠક હાંસલ કરવા તેમણે કેટલાં વાનાં કર્યાં હશે, એ વિચારે ઊભા રહેલા જ્ઞાનીજનોના અંતરમાં કરુણા ઉભરાય છે.

ઊભા રહેવાના આગ્રહી લોકોને મન બેસવું એ શબ્દાર્થમાં જ નહીં, ઘ્વન્યાર્થમાં પણ અધઃપતન છે. બીજા અનેક દેશબાંધવો-ભગિનીઓ ઊભાં હોય ત્યારે પોતે એકલા બેઠા રહેવું એ તેમને લગભગ દેશદ્રોહ સમકક્ષ અને લોકવિરોધી કૃત્ય લાગે છે. ‘જગ્યા મળી નથી કે ધબાક દઇને પોદળાની માફક પડ્યા નથી! એવી તે કેવી વૃત્તિ? આટલા બધા ઊભા છે, તો તમને પણ ઊભા રહેતાં શું થાય છે?’ એવો પુણ્યપ્રકોપ તેમના મનમાં ફુંફાડા મારે છે. પરંતુ તેની પાછળ લહેરાતાં, બેઠેલાઓ પ્રત્યેની અનુકંપાનાં મોજાં ઝટ કળી શકાતાં નથી.

‘ઊભા રહેવું એ મારો મુસાફરીસિદ્ધ અધિકાર છે’ એવું માનનારા કેટલાક લોકો ત્રણની બેઠક પર ચોથા કે પાંચમા જણ તરીકે બેસવા માટેની ઝુંબેશ આદરે, ત્યારે બેઠેલાને તેમાં દુરાગ્રહ કે દુષ્ટતા કે દાદાગીરીનાં દર્શન થાય છે. તેમની પાસેથી બીજી અપેક્ષા પણ શી રાખી શકાય? બાકી, અગવડપૂર્વક બેસવા માટે તકરાર કરતો માણસ હકીકતે આરામથી - ‘પહોળા થઇને’- બેઠેલા લોકોના પાપમાં ભાગીદાર થવા ઇચ્છે છે. કમનસીબે, બેઠેલા લોકોનાં અંતરદ્વાર બંધ હોવાથી, તેમને આવો વિચાર આવતો નથી અને આખી ઘટનાને તે ‘અપડાઉનિયાઓની લુખ્ખાગીરી’ જેવું દુન્યવી નામ આપે છે.

આનાથી ઊલટું પણ ક્યારેક બને છે. મહાભારતના ધર્મ-અધર્મવાળા પેલા વિખ્યાત શ્વ્લોકની જેમ, કેટલાક મુસાફરો બેઠેલા હોય છે, પણ આમ કરીને પોતે અધઃપતન વહોર્યું છે એ તે જાણે છે. પોતાનો અપરાધભાવ ઓછો કરવા અને બીજા થોડા લોકોને પોતાના પાપમાં ભાગીદાર બનાવવા માટે એ પોતાની જગ્યા પર થોડા સંકોચાય છે અને ઇઝરાઇલના નકશામાંથી ગાઝા પટ્ટી જેટલી જગ્યા કાઢીને ઊભેલા કોઇ જણને ઇશારાથી નિમંત્રે છે. ઊભો રહેલો માણસ પોતાના તપથી અજાણ હોય તો તે આ તક ઝડપી લે છે અને પાંચ-દસ મિનીટ પછી ‘આના કરતાં તો ઊભાં ઊભાં સારું હતું, પણ સામેથી બોલાવીને જગ્યા આપી, એટલે હવે ઊભા પણ શી રીતે થઇ જવાય? ખરાબ ન લાગે?’ એવું વિચારીને કોચવાયા કરે છે. તેમની સરખામણીમાં, ઊભા રહેવાના મામલે યોગી અવસ્થાએ પહોંચી ચૂકેલા લોકો આવાં પ્રલોભનોથી ચળતા નથી. આછું હસીને અને ગાઝાપટ્ટીના ભવિષ્યની આગોતરી કલ્પના કરીને તે સાંકડમાંકડ બેસવાનો પ્રસ્તાવ, એકાદ સારું બહાનું કાઢીને, ઠુકરાવે છે.

મુસાફરીમાં ઊભા રહેવાનો આટલો મહિમા જાણીને ઘણાને નવાઇ લાગી શકે છે. ઊચ્ચ ભૂમિકા ધરાવતી ઘણીખરી વાતો વ્યવહારુ દુનિયાનાં લોકોને પચાવવી અઘરી પડે છે. મોટા ભાગના લોકોએ જગ્યા માટે ઝઘડાઝઘડી થતી જોઇ હોય, એટલે ઊભા રહેવાના મહત્ત્વથી તે અજાણ રહી ગયાં હોય એવું પણ બને. ઊભા રહેવું અને ત્યાર પછી પણ આનંદમાં રહેવું તે એક કળા અને સિદ્ધિ છે. ગીતાની પરિભાષા જ માફક આવતી હોય એવા લોકો તેને ‘યોગ’ પણ ગણી શકે. એ દૃષ્ટિએ, બેસવાની જગ્યા મળવા છતાં, ‘આપણને ઊભા ઊભા વધારે ફાવશે’ અથવા ‘કલ્લાક માટે કોણ બેસે?’ એવાં વચનો ઉચ્ચારનારને ‘હઠયોગી’નો દરજ્જો આપી શકાય.

ઊભા રહેવાના સમર્થકો અઘ્યાત્મની રાહે વિવેકાનંદ-વચન ટાંકીને કહી શકે છે, ‘સ્વામીજીએ શું કહ્યું હતું? જરા યાદ કરો. તે ઊભા રહેવાને બદલે બેસવાની તરફેણમાં હોત તો એમણે કહ્યું હોત કે ‘જાગો, બેસો અને ઘ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મચી પડો. પણ એમણે તો ઊઠવાની એટલે કે ઊભા થવાની વાત કરી.’ નવા જમાનામાં ઘરે કે જિમમાં કસરત પાછળ હજારો રૂપિયા ખર્ચનારા લોકો પણ મુસાફરીમાં ઊભા રહેવા જેવી સીધીસાદી છતાં અસરકારક કસરતને બદલે ‘બેઠાડુ જીવનશૈલી’ પસંદ કરે છે. સરકાર લોકોની સુખાકારી અને તંદુરસ્તી ઇચ્છતી હોય તો તેણે, રેલવેની સાવ શરૂઆતના ગાળાની જેમ, બધા ડબ્બામાંથી બેઠકો કાઢી નાખવી જોઇએ અને કેવળ ઊભા રહેતી વખતે પકડવાના ટેકા જ રાખવા જોઇએ. ફક્ત ટ્રેનોમાં કે બસોમાં જ શા માટે, વિમાનોમાં પણ આ પ્રથાની શરૂઆત તરીકે ઊભ્ભડ મુસાફરોને જગ્યા પ્રમાણે લેવા જોઇએ. વિમાનમાં બેસનારા એ વાતે સંમત થશે કે એ મુસાફરીમાં અમુક સમય પછી, બેસી રહેવા કરતાં ઊભા રહેવાનું વધારે આરામદાયક લાગી શકે છે અને બીજું કંઇ ન થાય તો પણ, ઊભા રહેવાના ‘તપ’નું પુણ્ય તો ખાતામાં ટીપે ટીપે જમા થતું રહે છે.

કંઇ પણ કર્યા વિના કેવળ ઊભા રહેવાથી પુણ્ય મળતું હોય, છતાં લોકો મોહાંધ થઇને બેસવા માટે પડાપડી કરે એનું નામ તો હળાહળ કળિયુગ.

2 comments:

  1. હાહાહાહા....હોહોહોહોહો....ભાઈ આજનો ક્વોટા(હસવાનો જ વળી!!!) પુ...રો....

    ReplyDelete
  2. Bharat.zala6:47:00 PM

    ઉર્વીશભાઈ,મજા આવી.આપના લેખો હાસ્યની નવી તો નહિ (આ વિશ્વની અનુભૂતિ અગાઉ 'રંગતરંગ' માં અનુભવેલી.)પણ અલગ જ દુનિયામાં લઇ જાય છે.એટલું તો હું કહીશ જ.ઉભા રહેતા હોય એવા લોકો આ લેખ વાંચી જશે તો એ તમારા પર ઓવારી જશે,એ ચોક્કસ.બસ આમ જ લખતા રહો,ને હસાવતા રહો.

    ReplyDelete