Friday, January 29, 2010

બીટી રીંગણ વિશે માહિતીપ્રદ ‘દષ્ટિકોણ’

જીનેટીકલી મોડીફાઇડ ( કે મોલેસ્ટેડ?) બીટી રીંગણને કેન્દ્ર સરકારની ‘જીનેટીક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી’ તરફથી ગયા વર્ષે મંજૂરી મળી ગઇ છે. પણ હજી એની સામે ગંભીર વાંધા ઊભા છે. પર્યાવરણ મંત્રી જયરામ રમેશ બીટી રીંગણના વિરોધમાં છે ને કૃષિ મંત્રાલય તેની તરફેણ કરી રહ્યું છે. દેખીતી રીતે મામલો મોન્સાન્ટો પ્રકારની કંપનીઓને મોકળું મેદાન આપી દેવાનો છે.

આ મુદ્દે વિગતવાર ચર્ચા આવતી કાલના ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં, સાંજે ૭:૩૦ વાગ્યે, દૂરદર્શન (ગિરનાર)

ચર્ચામાં ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જેનેટીક્સના માનદ્ ડાયરેક્ટર ડો.જયેશ શેઠ, મોટા પાયે ઓર્ગેનિક ખેતી કરનાર (વિદ્યાનગરના સ્થાપક ભાઇકાકાના પૌત્ર) સર્વદમન પટેલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી.
સંચાલનઃ ઉર્વીશ કોઠારી. નિર્માત્રીઃ ડો.રૂપા મહેતા.

Thursday, January 28, 2010

સલીલ દલાલની ‘કુમાર’ કથાઓ

વરિષ્ઠ કટારલેખક અને વડીલ મિત્ર સલીલ દલાલ છેલ્લા થોડા વખતથી હિંદી ફિલ્મોના ‘કુમારો’ વિશે એક લેખમાળા લખી રહ્યા છે. અમેરિકાના ‘ગુજરાત એબ્રોડ’ અને મુંબઇના ગુજરાતી ‘મિડ ડે’માં અત્યાર સુધીમાં અશોકકુમાર, સંજીવકુમાર, રાજેન્દ્રકુમાર જેવા કુમારો વિશે છ-સાત હપ્તાના લેખ પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે.

સલીલભાઇની કલમની રસાળતા વિશે શું કહેવાપણું હોય? મારી પેઢીના ઘણા વાચકો અને લેખકો સલીલભાઇની કોલમ વાંચીને મોટા થયા છે. માહિતીની ગૂંથણી સલીલભાઇનો ગઢ છે. ભારે મહેનત સાથે મૂકાયેલી વિગતોથી તેમના દરેક લેખ સમૃદ્ધ હોય છે.

અત્યારે કેનેડા રહેતા સલીલભાઇની આ લેખમાળા ગુજરાતના કોઇ અખબારમાં કેમ નથી આવતી, એ આશ્ચર્યનો વિષય છે. (એટેન્શનઃ પ્રિય ધૈવત) આ અંગે સલીલભાઇ સાથે વાતચીત કરવી હોય તો તેમનો ઇ-મેઇલઃ salil_hb@yahoo.co.in

છાપાના સંપાદકો ન હોય એવા વાચકો-ચાહકોએ પણ નિરાશ થવાની જરૂર નથી. એ લોકો સલીલભાઇને ઇ-મેઇલ કરે તો કુમારસિરીઝની પીડીએફ ફાઇલ મોકલી આપવાની સલીલભાઇની ઉષ્માપૂર્ણ ઓફર છે. સૌ સમરસિયા મિત્રો - અને સંપાદકમિત્રો પણ- આ ઓફરનો શક્ય એટલો લાભ લે.
ઓવર ટુ સલીલભાઇ અને વાચકમિત્રો.

Wednesday, January 27, 2010

ઝારખંડનું ગાંધીસદન, સરકારી ત્રાસવાદ અને હિમાંશુકુમાર

(ઝારખંડ જેવા નક્સલવાદગ્રસ્ત વિસ્તારોમાં, રાજ્ય સરકાર એમ ઠસાવે છે કે ફક્ત બે જ પક્ષ છેઃ એક તરફ સરકાર અને બીજી તરફ નક્સલવાદીઓ તથા તેમને ટેકો કરનારી સ્થાનિક પ્રજા. હકીકતે, પક્ષો ત્રણ છેઃ નક્સલવાદીઓ, સરકાર અને સ્થાનિક પ્રજા. તેમાં પ્રજાનો બન્ને બાજુથી- વધારે પડતો સરકારની બાજુથી- મરો થાય છે. ઝારખંડની સ્થિતિનો વાસ્તવિક ખ્યાલ આપતા હિમાંશુકુમારના પ્રવચનનો અહેવાલ. તેમનું પ્રવચન ૨૫ જાન્યુઆરી,૨૦૧૦ની ઢળતી બપોરે અમદાવાદના મહેંદીનવાઝ જંગમાં યોજાયું હતું.)
‘ધારો કે અમદાવાદમાં ખિસ્સાકાતરૂઓનો ત્રાસ બહુ વધી જાય અને તમને સરકાર એમ કહે કે સૌ પોતપોતાનાં ઘરબાર છોડીને, અમદાવાદથી દૂર અમારી રાહતછાવણીઓમાં રહેવા આવી જાવ. તો કેવું લાગે? કંઇક એવું જ ઝારખંડના આદિવાસીઓ સાથે બની રહ્યું છે.’ આ સરખામણી ઝારખંડના ગાંધીવાદી કાર્યકર્તા હિમાંશુકુમારે અમદાવાદમાં પોતાના પ્રવચન દરમિયાન આપી, ત્યારે રડવાના વિકલ્પે લોકો હસ્યા. બંધારણની ષષ્ઠિપૂર્તિની પૂર્વસંઘ્યાએ, તા.૨૫ જાન્યુઆરીના રોજ અમદાવાદ આવેલા હિમાંશુકુમારે નક્સલપ્રભાવિત વિસ્તારોમાં પોતાના અનુભવની વાત કરી. નક્સલવાદી હિંસા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવ્યા વિના કે તેને વાજબી ઠરાવ્યા વિના, તેમણે સ્થાનિક લોકોની સમસ્યા અને સરકારી ત્રાસવાદનો ચિતાર આપ્યો. ખનીજસમૃદ્ધ ઝારખંડ બિહારમાંથી અલગ પડ્યું ત્યાર પહેલાંથી, ૧૭ વર્ષથી હિમાંશુકુમાર ઝારખંડના બસ્તર વિસ્તારમાં આદિવાસીઓ વચ્ચે કામ કરે છે. તેમના મતે, આદિવાસીઓ સરકાર પાસેથી એટલું જ ઇચ્છે છે કે ‘સરકાર અમને મારી ન નાખે.’ સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશના નાગરિકની આટલી અપેક્ષા વધારે પડતી કહેવાય? છતાં, સરકાર એ અપેક્ષા પણ પૂરી કરી શકતી નથી તે હકીકત છે. નક્સલવાદી હિંસાનો મુકાબલો કરવા માટે ઝારખંડ સરકારે વિચિત્ર નીતિ અપનાવી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે નક્સલવાદનો ફેંસલો ન આવે, ત્યાં સુધી આદિવાસીઓએ પોતાનાં ગામનાં ઘર ખાલી કરીને, પોલીસચોકીઓ અથવા સરકારી ઇમારતોની આસપાસ ઉભી કરાયેલી ટીનની રાહતછાવણીઓમાં રહેવા આવી જવું. નક્સલવાદ દૂર થઇ ગયા પછી તેમને પાછા પોતપોતાના ગામમાં વસાવવામાં આવશે. ત્યાં સુધી જે લોકો સરકારી રાહતછાવણીમાં રહેવા નહીં આવે, તેમને નક્સલવાદી ગણી લેવામાં આવશે. આદિવાસીઓને રેશનથી માંડીને આરોગ્ય સુધીની તમામ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલી ઝારખંડની રાજ્ય સરકાર એક કામ અસરકારક રીતે કરે છેઃ આદિવાસીઓને તેમનાં ઘર-ગામમાંથી હાંકી કાઢવાનું કામ. હિમાંશુકુમારના આંકડા પ્રમાણે, અત્યારે સુધી ઝારખંડ સરકારે આશરે ૩.૫ લાખ આદિવાસીઓની વસ્તી ધરાવતાં ૬૪૪ ગામ ખાલી કરાવ્યાં છે. ટાટા કંપની સાથે ઝારખંડ સરકારના એમઓયુ થયા તેના બીજા જ દિવસે, ૫ જૂન, ૨૦૦૫ના રોજ સાલ્વા જૂડુમ (શાંતિ સેના) તરીકે ઓળખાતું દળ અસ્તિત્ત્વમાં આવ્યું. પોલીસ, અર્ધસરકારી દળો અને સ્થાનિક ગુંડાઓ ધરાવતા આ દળને સરકાર તરફથી સત્તાવાર ગુંડાગીરીનું જાણે લાયસન્સ મળેલું છે. સાલ્વા જુડુમના લોકો આદિવાસીઓને રાહતછાવણીમાં પકડી જવા માટે ગામ પર ત્રાટકે છે. ખુલ્લામાં પ્રકૃતિના ખોળે રહેવાયેલા આદિવાસીઓને પતરાંની રાહતછાવણીમાં રહેવું ફાવતું નથી. એટલે સાલ્વા જુડુમના હલ્લા વખતે કેટલાક આદિવાસીઓ જંગલમાં નાસી જાય છે, કેટલાક માર્યા જાય છે અને થોડાને પરાણે છાવણીમાં લઇ જવામાં આવે છે. જેમ્સ કેમેરૂનની ફિલ્મ ‘અવતાર’માં આવાં કાલ્પનિક દૃશ્યો જોઇને પ્રેક્ષકોને અરેરાટી છૂટી જાય છે, પણ વાસ્તવિક જીવનમાં ભજવાતાં દૃશ્યો તરફ લોકોનું ઘ્યાન જતું નથી. ગામ ખાલી કરાવવાની (સરકારી ભાષામાં ‘સેનીટાઇઝ’ કરાવવાની) ધમાચકડીમાં સાલ્વા જુડુમના માણસો ભાગતા આદિવાસીઓ પર આડેધડ ગોળીબારો કરે છે, સ્ત્રીઓ-છોકરીઓ પર બળાત્કાર કરે છે, જંગલમાં ભાગી છૂટેલા આદિવાસીઓનાં ઘર અને તેમની ફસલ સળગાવી દે છે, જેથી તે પાછા રહેવા ન આવે. તેમ છતાં, આદિવાસીઓ થોડા વખત પછી ફરી ગામમાં રહેવા આવે, ત્યારે ફરી આ જ સિલસિલો ચાલે છે. હિમાંશુકુમારના જણાવ્યા પ્રમાણે, ૧૫ થી ૨૦ વાર સળગાવી દેવાયાં હોય એવાં પણ ગામ ઝારખંડમાં છે. સાલ્વા જુડમ તરીકે ઓળખાતા સરકારી ત્રાસવાદી દળથી લપાતાછૂપાતા જે આદિવાસીઓ ગામમાં પાછા રહેવા આવે, તે નજીકના બજારમાં ધાન લેવા પણ જઇ શકતા નથી. તેમને બીક લાગે છે કે સાલ્વા જુડુમના કોઇ ગુંડાની નજરે ચડી જઇશું, તો મારી નાખશે, આબરૂ લેશે કે પકડીને રાહતછાવણીમાં લઇ જશે. તેને કારણે આદિવાસી સ્ત્રીઓ મહુડાં વેચીને ચોખા ખરીદવા માટે, એંસી-એંસી કિલોમીટર દૂરનાં બજારમાં જાય છે, જ્યાં બે દિવસ જવાના અને બે દિવસ આવવાના થાય છે. ખરેખર થવું એવું જોઇએ કે આદિવાસીઓને સરકાર-પોલીસ રક્ષક લાગે અને નક્સલવાદીઓ ભક્ષક. એને બદલે અત્યારે સરકારી ત્રાસવાદથી એવું વાતાવરણ સર્જાયું છે કે આદિવાસીઓને નક્સલવાદીઓ રક્ષક અને પોલીસ તથા સરકાર ભક્ષક લાગે છે. બસ્તરની કલેક્ટર કચેરીને ‘ગાંધીસદન’ નામ અપાયું છે. ત્યાં ગાંધીજીની મોટી તસવીરો લટકે છે અને ‘વૈષ્ણવજન’ની ધૂન થાય છે. આદિવાસીઓ પર હુમલાની યોજનાઓ પણ તેની સાથે જ ઘડાય છે. નક્સલવાદ સામેની લડાઇમાં પ્રજાનો સાથ લેવાને બદલે, પ્રજાને જ નક્સલવાદી ગણીને તેમનો ખાતમો થતો હોય, ત્યાં સુધી ઝારખંડના આદિવાસીઓ માટે ૨૬ જાન્યુઆરી હોય કે ૧૫ ઓગસ્ટ, બધા દિવસો સરખા રહેવાના છે
હિમાંશુકુમારના પ્રવચનમાંથી
  • આપણે શહેરી લોકો સુખસુવિધા, જીવનશૈલી માટે ગ્રામીણ જનતાનાં સંસાધનો છીનવતા રહીશું, સરકાર પણ એવું કરશે, પોલીસ તેમાં સાથ આપવા અપરાધી બની જશે. તો દેશમાં શાંતિ, પ્રેમ, સદભાવ વધશે? અદાલત, પોલીસ, સરકાર, વહીવટી તંત્ર- આ બધા જ રસ્તા આદિવાસીઓ માટે બંધ થઇ જશે, તો આદિવાસીઓ ક્યાં જશે? આ સ્થિતિમાં નક્સલીઓ આદિવાસીઓને કહે કે અમે તમારી તરફથી લડીએ છીએ, ત્યારે કયા મોઢે નક્સલીઓને કહીએ કે તમે ખોટા છો?- માઓવાદીઓ જ્યારે એમ કહેતા હતા કે ‘આ સીસ્ટમ ચાલે એવી નથી. એને ફગાવી દો.’ ત્યારે અમે શાંતિપૂર્ણ માર્ગે સીસ્ટમ સામે લડીને, આદિવાસીઓને નાની નાની જીત અપાવતા હતા, જેથી લોકશાહીમાં તેમનો વિશ્વાસ ટકી રહે.
  • એંસીના દાયકામાં એક ભારો લાકડાં માટે આદિવાસી મહિલાઓની આબરૂ લેવાતી હતી. જંગલમાંથી ખપજોગું લાકડું કાપનાર પુરૂષોને કડકડતી ઠંડીમાં આખો દિવસ નદીમાં ઉભા રાખવામાં આવતા હતા. પટવારી રૂ.૩ લગાન માટે રૂ.૩૦૦ વસૂલ કરતો હતો. પોલીસ આવે તો આખા ગામમાં ઉઘરાણી કરે. ફોરેસ્ટ ગાર્ડ આવે તો લોકોને ઝાડ સાથે બાંધીને મારે. આ સ્થિતિમાં માઓવાદીઓ આવ્યા અને તેમણે હિંસા દ્વારા પહેલી વાર લોકોને તાકાતનો અહેસાસ કરાવ્યો. ‘આ ફોરેસ્ટ ગાર્ડ તમને મારે છે? લો, તમે એમને મારો.’ લોકોને તાકાતનો અહેસાસ કરાવવાનું કામ ભારત સરકારનું હતું, પણ એ કામ માઓવાદીઓ હાથમાં લીઘું અને એમની રીતે કરવા લાગ્યા.
  • માનવ અધિકાર પંચના લોકો એક કેસના સિલસિલામાં દાંતેવાડા આવ્યા, ત્યારે અમે ગામલોકોને તેમની સમક્ષ રજૂઆત માટે તૈયાર કર્યા. પણ રજૂઆત થઇ ગયા પછી, પોલીસે ગામલોકોને અંદર કરી દીધા અને સાંજ સુધીમાં એમની પાસેથી ‘અમે જબરદસ્તીથી નિવેદનો આપવા આવ્યા હતા’ એવાં નિવેદન પર અંગુઠા મરાવી લીધા. ગામલોકોને પોલીસે ગોંધી રાખ્યા, ત્યારે હિમાંશુકુમારના સાથીદારોએ માનવ અધિકાર પંચના સાહેબોને ફોન કર્યો. એ લોકો હજુ ઝારખંડમાં જ હતા, પણ એમણે કહ્યું,‘અમારૂં કામ તપાસ કરવાનું છે. વચ્ચે પડવાનું નહીં.’
  • ગાંધીની વાત કરવી બહુ સહેલી છે. પણ ત્યાં અમારી લાચારી ઉપર અમને ગુસ્સો અને શરમ બન્ને આવે છે. નેન્ડ્રા ગામે અમે માનવઢાલ (હ્યુમનશીલ્ડ)નો પ્રયોગ કર્યો. અમે ઉજડેલા ગામને નવેસરથી વસાવીને લોકો સાથે રહ્યા. પણ અમારી સાથે શાંતિથી કામ કરનાર, વિનોબા ભાવેનાં પુસ્તક વાંચનાર યુવાનને પોલીસે જેલમાં ખોસી દીધો છે.
  • નક્સલવાદીઓનો યુનિફોર્મ લીલા રંગનો હોવાથી, લીલા રંગનું શર્ટ પહેરનાર કોઇ પણ વ્યક્તિ પર પોલીસ બેરોકટોક ગોળીબાર કરી શકે છે અને કરે છે.
  • સર્વોચ્ચ અદાલતે અત્યાર સુધી ખાલી કરાવાયેલાં બધાં ગામડાં ફરી વસાવીને વળતર આપવાનો આદેશ કર્યો છે. પણ હજુ સુધી એક પણ ગામમાં સર્વોચ્ચ અદાલતના આદેશનો અમલ થયો નથી.

Friday, January 22, 2010

ઉત્તરાયણ ૨૦૧૦: એક નવો નિબંધ

પરીક્ષામાં નિબંધ લખવાના થાય ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગાઇડમાંથી ગોખેલા નિબંધો ઠપકારે છે. ગાઇડના રચયિતાઓ જાણે છે કે ગાઇડગામી વિદ્યાર્થીઓનું સઘળું લક્ષ્ય વઘુ માર્ક પર હશે અને તે નિબંધ જેવા સ્કોરિંગ વગરના સવાલમાં બહુ ટાઇમ બગાડશે નહીં. એટલે રચયિતાઓ પણ નિબંધ પાછળ બહુ ટાઇમ બગાડતા નથી અને દાયકાઓ જૂના નિબંધો ફેરફાર વિના છાપ્યે રાખે છે. પરિણામ એ આવે છે કે નિબંધ લખતી વખતે વિદ્યાર્થી ગગનગોખથી- ગગનના ગોખલેથી- નહીં, પણ ગાઇડગોખથી- ગાઇડના ગોખેલા નિબંધોથી- ઉડ્ડયન કરે છે.

વિદ્યાર્થી અવસ્થામાં મૌલિક નિબંધ લખવાથી ભવિષ્યમાં જે થવાય તે, પણ વર્તમાનકાળમાં શિક્ષકની આંખે ચડી જવાય છે. કેમ કે, મૌલિક નિબંધ લખવાનો સીધો અર્થ છે ઃ શિક્ષકની અણઆવડતને પડકાર. કમ સે કમ, અણઆવડતવાળા શિક્ષકો તો આવું જ માને છે. નિબંધો વિશેના આવા વાતાવરણમાં કોઇ પુખ્ત અને સમજુ વિદ્યાર્થી અમદાવાદની ૨૦૧૦ની ઉત્તરાયણ વિશે વાસ્તવિક નિબંધ લખે તો એ કેવો હોય?

***

નદી આપણી માતા છે અને રિવરફ્રન્ટ માતાનો (આર.સી.સી.નો) ખોળો છે. નદીમાતાના ખોળામાં રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો પતંગ ચગાવવાનો તહેવાર એટલે ઉત્તરાયણ. પહેલાં મનાતું હતું કે આકાશમાં ફરતો સૂર્ય ઉત્તર તરફ અયન કરે ત્યારે ઉત્તરાયણ ઉજવાય છે. પણ આપણો સૌનો અનુભવ છે કે ઉત્તરાયણના દિવસે મુખ્ય મંત્રી અને મંત્રીઓ ગાંધીનગરથી અમદાવાદ તરફ અયન કરે છે. એટલે આ તહેવારનું નવું નામ ‘મંત્ર્યાયન’ જેવું કંઇક વિચારી શકાય.

ડિસેમ્બર, ૨૫-૩૧નો કાંકરિયા કાર્નિવલ પૂરો થાય, ત્યારથી જ ઉત્તરાયણની તડામાર તૈયારીઓ શરૂ થઇ જાય છે. ગુજરાતે ખરેખર બહુ પ્રગતિ કરી છે. એ આખા દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે કે નહીં તે કોમર્સવાળા જાણે, પણ આખા દેશના ઉત્સવોનું તે સેલિબ્રેશન એન્જિન છે. પહેલાંના વખતમાં તહેવારો લોકો ઉજવતા હતા અને સરકાર ફક્ત રજા જાહેર કરીને બેસી રહેતી હતી. દુનિયાને આપણા તહેવારો વિશે જાણ સરખી થતી ન હતી. હવે સ્વર્ણિમ ગુજરાતની સરકાર એવી નિષ્ક્રિય નથી. તે રજાઓ જાહેર કરીને બેસી રહેવાને બદલે, આખી દુનિયાની આંખો ચાર થઇ જાય એવી રીતે તહેવારો ઉજવે છે.

તહેવારો ઉજવવામાં નાગરિકોને આર્થિક તંગી, મંદી કે બેકારી નડે. પણ સરકાર પાસે તો પ્રજાની આખી તિજોરી પડી છે. એમાંથી સરકાર છૂટા હાથે રૂપિયા વાપરે છે. અગાઉ ફક્ત રજા જાહેર કરીને બેસી રહેતી સરકાર હવે આખા શહેરમાં રોશની કરે છે, દિવસે પતંગો ચગાવે છે ને રાત્રે ફટાકડા ફોડાવે છે. પહેલાં તહેવારોમાં કર્તા તરીકે સક્રિય રહેતા લોકો હવે સાક્ષી અને દર્શક બનીને પ્રજાના પૈસે, પ્રજા માટે સરકાર દ્વારા થતા જલસામાં ઉમટી પડે છે. તેનાથી દુનિયા અંજાય કે ન અંજાય, પણ આપણા લોકોની આંખો ચાર થઇ જાય છે. સરકાર સંતોષી છે. દુનિયા ન અંજાય એનો તેને વસવસો નથી. ઘરઆંગણે પ્રજા અંજાઇ જાય એટલાથી તે રાજી રહે છે.

ઉત્તરાયણ વિશેના જૂના નિબંધોમાં આવતું હતું કે એ દિવસોમાં લોકો ધાબાં-અગાશીઓ-છાપરાં પર એકઠા થાય છે, પતંગો ચડાવે છે, લૂંટે છે અને આનંદ કરે છે. પરંતુ હવે તહેવારની તાસીર બદલાઇ ગઇ છે. પતંગો ચડાવવા જેવી સ્વાર્થી, વ્યક્તિગત ઉજવણીને બદલે લોકોને સામુહિક ઉજવણીમાં વઘુ રસ પડે છે. આઘ્યાત્મિક દૃષ્ટિકોણથી જોતાં પણ આ બદલાવ ઇષ્ટ છેઃ ‘હું ચગાવું, હું ચગાવું’- એવી અજ્ઞાનતાને બદલે, ‘ચગાવનારો હું કોણ? પતંગ તો સરકાર ચગાવે છે. હું તો ફક્ત જોઊં છું.’ એવો ભાવ નાગરિકોના સ્વાસ્થ્ય માટે અને સરકારના જયજયકાર માટે આવશ્યક છે.

અનેક ઉપદેશકોને કારણે પ્રજા એટલું તો સમજી છે કે દેવું કરીને ઘી ન પીવાય તો કંઇ નહીં, સરકાર દેવું કરીને ઘી ઢોળતી હોય તો એ તમાશાનો આનંદ લેવો અને કકળાટ કરવો નહીં. કકળાટ કરનાર પર ‘નેગેટિવ થિંકિંગ’નું લેબલ લાગશે અને ‘ઢોળોત્સવ’માં ગુલતાન થઇ જનાર આદર્શ નાગરિક ગણાશે. આ વ્યાખ્યા પ્રમાણેના ‘આદર્શ નાગરિકો’નું પ્રમાણ ગુજરાતમાં ભયજનક સપાટી વટાવી ગયું છે. એટલે જ, આ વર્ષે અમદાવાદમાં ઉત્તરાયણના આગલા શનિ-રવિ લોકો ધાબાં-અગાસી કે પતરાં પર નહીં, પણ રિવરફ્રન્ટ પર ઉમટ્યા હતા. રસ્તા પર અને પૂલ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આશ્રમરોડ પર પાર્કંિગની લાંબી લાઇન લાગી હતી. એ વખતે જેટલી પોલીસ અમદાવાદના નદીપારના વિસ્તારોમાં જોવા મળતી હતી, એટલી ૨૦૦૨માં હોત તો અમદાવાદના પોશ વિસ્તારોમાં કાપડની દુકાનો ન લૂંટાઇ હોત.

નદીની પેલી પારના, પોળના લોકો હજુ જૂનવાણી માનસિકતા છોડી શકતા નથી. એ જાતે જ પતંગ ચગાવવાનો આગ્રહ રાખે છે. એટલે જ તેમનો વિકાસ થતો નથી અને તે પોળમાં રહી ગયા છે. હમણાં એ લોકો નદીની આ બાજુ રહેવા આવી જાય તો આપોઆપ પતંગ ચગાવવાનું બંધ થાય. પોળ જેવાં પતરાં અને પોળ જેટલી ગીરદી ક્યાંથી લાવવી? પછી મઝા લેવી હોય તો રિવરફ્રન્ટમાં ગયા વિના અને વિકાસ પામ્યા વિના તેને છૂટકો છે?

રિવરફ્રન્ટમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે ઉત્તરાયણને કારણે પતંગ મહોત્સવ નહીં, પણ પતંગ મહોત્સવને કારણે ઉત્તરાયણ ઉજવાતી હોય એવો માહોલ હતો. પતંગ મહોત્સવ બહુ અહિંસક છે. તેમાં પતંગોના પેચ લડતા નથી, ખેંચ-ઢીલના દાવ થતા નથી, તાર લૂંટાતા નથી, દાંતી પડતી નથી. બસ, કેવળ ચડવા ખાતર અથવા વિક્રમો સ્થાપવા ખાતર અથવા લોકોને બતાવવા ખાતર પતંગો ચડે છે.

ચડેલો પતંગ રણે ચડેલા રજપૂત જેવો હોય. પાછા ફરવામાં તેને નાલેશી લાગે. બને એટલા વઘુને કાપવા એ જ તેના જીવનનું લક્ષ્ય હોય. પણ સરકારપ્રેરિત પતંગ મહોત્સવ અહિંસક હોય છે. પતંગ જેવી આંતરરાષ્ટ્રિય બાબતોમાં ગુજરાત સરકાર અહિંસાની નીતિને વરેલી છે. આવતી સાલથી આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ ગાંધી આશ્રમ પાછળના રિવરફ્રન્ટમાં યોજાય તો કહેવાય નહીં. ગાંધીમૂલ્યોને અંજલિ તરીકે આખા મહોત્સવમાં ખાદીના પતંગ અને સૂતરની દોરી વાપરી શકાય. તકલીફ ફક્ત એક જ થાયઃ પતંગ પર ગાંધીજીનો ફોટો ક્યાં મૂકવો? મુખ્ય મંત્રીનો ફોટો ક્યાં મૂકવો એનાં ધારાધોરણ તો નક્કી છે- ચાહે તે પતંગનો મહોત્સવ હોય, એલ્યુમિનિયમ-સ્ટીલનું પ્રદર્શન કે ધર્મનું અધિવેશન. અને ગાંધીજીનો ફોટો જ્યાં આવે ત્યાં, પણ એ માત્ર તસવીરમાં જ રહેવાના છે, એ પણ નક્કી જ છે.

Wednesday, January 20, 2010

શતં જીવેત શરદઃ

આ મહિનાની પહેલી તારીખે એટલે કે ૧-૧-૧૦ના રોજ અમદાવાદના તસવીરકાર પ્રાણલાલ પટેલે સત્તાવાર રીતે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં. સત્તાવાર એટલા માટે કે તેમની મૂળ જન્મતારીખ એકાદ વર્ષ પહેલાંની છે. એ પ્રમાણે તેમની ઊંમર ૧૦૧ વર્ષ થાય! ૧ જાન્યુઆરીએ સવારે સપરિવાર દાદાને મળવા ગયો, ત્યારે ઘરે સત્યનારાયણની કથા ચાલતી હતી. ૧૦૦ વર્ષના દાદા જમીન પર પલાંઠી મારીને બેઠા હતા અને યંત્રવત્ નાટ્યાત્મક ઢબે વંચાતી કથામાં વચ્ચે વચ્ચે પ્રસારિત થતી સૂચનાઓનું પાલન કરતા હતા.
વચ્ચે એક ફોન આવ્યો, એટલે એમણે નિરાંતે ફોન પર વાત કરી. ફોન કરનારના પરિવારના અને એમના સસરાના પણ ખબરઅંતર પૂછ્યા. ફોન કરનારે પૂછ્યું,‘રાજકોટ ક્યારે આવવાના છો?’ એટલે બીજાં સો વર્ષ જીવવાના હોય એટલા રણકાથી દાદાએ જવાબ આપ્યો. ક્યાંય ઊંમરનો કોઇ ભાર નહીં-વજન નહીં. કથા પૂરી થયા પછી આરતી કરવાની આવી, એટલે ગોર કહે,‘દાદા તમે બેસી રહો. ઉભા ન થશો.’ અને બધાની સામે જોઇને કહે,‘આટલું બેસી રહ્યા પછી પગ જકડાઇ જાય ને નકામી ક્યાં તકલીફ કરવી.’ પણ એ વાક્ય પૂરૂં થાય એ પહેલાં દાદા બે હાથની હથેળીઓ જમીન પર ટેકવીને સ્ફુર્તિથી ઉભા થઇ ચૂક્યા હતા. તેમણે કમરેથી વળીને તેમના પૌત્ર અને પૌત્રવઘુ સાથે આરતીમાં પણ હાથ આપ્યો.
આખા અમદાવાદના અસંખ્ય ચહેરાની તસવીરો લેનાર દાદાની સત્યનારાયણની પૂજા વખતે ફોટો લેનાર કોઇ ન હતું. સાંજે પાર્ટી હતી. એમાં બધી ઉજવણી હશે. એટલે પૂજાના ફોટાનો લાભ મને મળ્યો.
કથા-આરતી-થાળ પૂરા થયા પછી ગોરે તેમના નિત્ય ક્રમ પ્રમાણે ‘જજમાન’ને આશીર્વાદ આપતાં, રીધમબદ્ધ અવાજમાં કહ્યું,‘શતમ્ જીવમ્ શરદઃ’. એટલે મહારાજને મેં કહ્યું,‘હવે તમારે દ્વિશતમ્ કે એવું કંઇ કહેવું પડશે. સો શરદ તો દાદાએ આજે પૂરી કરી નાખી!’ અને બકોર પટેલની ભાષામાં કહું તો, ગોર ‘ચાટ પાડી ગયા’.
સંસ્કૃતના અઘ્યાપકને પૂછતાં જાણવા મળ્યું કે ‘સો શરદ જીવો’ માટેનો સાચો પ્રયોગ છેઃ ‘શતં જીવેમ શરદઃ’ અને ‘સો શરદ જીવી ગયા’ (સો શરદ તો પૂરી!) એમ કહેવું હોય તો ‘શતં જીવેત શરદઃ’ કહેવું પડે. તો આ કહ્યું.

Monday, January 18, 2010

કાઇટ કલેક્શન, ૨૦૧૦

અત્યાર સુધી પતંગપ્રેમની અનેક અભિવ્યક્તિઓ અથવા પતંગના એલીમેન્ટના અનેક ઉપયોગો જોયા છે. પણ આ ઉત્તરાયણ પછીના દિવસોમાં રસ્તા પર આ દૃશ્ય જોઇને નવાઇ લાગી. આશ્રમ રોડ પર એમ.જે.લાયબ્રેરી પાસેથી પસાર થઇ રહેલા આ વાહનચાલકે શર્ટ પર બાકાયદા કાગળના ટચૂકડા રંગીન પતંગ લગાડ્યા હતા. આખા શર્ટ પર દસેક જુદા જુદા કદના પતંગ હતા.
થોડા વખતમાં આ સ્ટાઇલનાં વધારે કપડાં-ડ્રેસ, ટી-શર્ટ, ચણિયાચોળી- મળતાં થઇ જાય તો નવાઇ નહીં.

Saturday, January 16, 2010

સરકારી કર્મચારીઓ અને કર્મબંધન

૨૦૧૦ના વર્ષમાં સાત-આઠ જાહેર રજાઓ રવિવારે આવે છે, એવા જાહેર-ખાનગી સમાચાર એસ.એમ.એસ. ચેનલ પર ફરી રહ્યા છે. આ સમાચારના મૂળ લેખકે આખી વાતને કર્મબંધન સાથે જોડીને ‘બધાં પાપની સજા અહીં જ ભોગવવાની છે’ એવું જાહેર કર્યું છે.

મોટા ભાગના સરકારી કર્મચારીઓને બિચારાને કર્મબંધન સાથે કશી લેવાદેવા હોતી નથી. ઓફિસ સાથેનો તેમનો સંબંધ વેતનબંધન પૂરતો સીમિત હોય છે. તેની પાછળનો આશય એટલો જ કે માયાનો ઝાઝો વિસ્તાર કરવો નહીં. માયા દુઃખનું કારણ છે ને કામ એ માયાનું કારક છે. આવી ઉચ્ચ આઘ્યાત્મિક મનોદશા ઓફિસમાં તો સરકારી કર્મચારીઓ જાળવી રાખે છે, પણ ઘરે એ હંમેશાં શક્ય બનતું નથી. એટલે જ તેમની સાત-આઠ જાહેર રજાઓ રવિવારના કારણે કપાઇ જવાના સમાચાર અરેરાટી ઉપજાવનારા છે.

એસ.એમ.એસ. લખનાર વ્યક્તિ થોડી વઘુ સંવેદનશીલ હોત તો તેણે ‘લુગડાં ઉતારીને વાંચવું’ એવી અશુભ શૈલીમાં જ શરૂઆત કરી હોત. જરા વિચારો. જાહેર રજાના દિવસે રવિવાર હોવાને કારણે સરકારી કર્મચારીઓ ઘરે હશે ને ઘરે હોવાને કારણે તેમને ફરજિયાતપણે કેટલાંક કામ કરવાં પડશે. ચાલુ દિવસે જે લોકો કામ ન કરતા હોય તેમને રજાના દિવસે પણ કામ કરવું પડે એ સ્થિતિ શરમજનક નથી? ખરેખર તો ગુજરાત સરકારે ખાસ વટહુકમ બહાર પાડીને પ્રજાસત્તાક દિનને ૨૬મીને બદલે ૨૫ કે ૨૭ જાન્યુઆરી ખસેડવો જોઇએ, સ્વાતંત્ર્ય દિવસને ૧૫ની ને બદલે ૧૪ કે ૧૬મી ઓગસ્ટે ઉજવવાની જાહેરાત કરવી જોઇએ, જેથી કર્મચારીઓને થતો અન્યાય નિવારી શકાય.

સરકારી કર્મચારીઓની સ્થિતિને ચર્ચિલની (કે બર્નાડ શોની) શૈલીમાં વર્ણવવી હોય તો કહી શકાય કે ‘કેટલાક કર્મચારીઓ પાસેથી બાકીના બધા કર્મચારીઓનું કામ કરાવી શકાય છે, બાકીના બધા કર્મચારીઓ પાસેથી કેટલાક કર્મચારીઓ જેટલું (ઓછું) કામ કરાવી શકાય છે, પણ બધા સરકારી કર્મચારીઓ પાસેથી કદી તેમના પોતપોતાના ભાગનું કામ કરાવી શકાતું નથી.’

નાના બાળક સમક્ષ મીણબત્તી સળગતી હોય, તો પણ તેને તેને ભય એટલે શું એ ખબર હોતી નથી. એ મીણબત્તીની જ્યોતને પકડવા પ્રયાસ કરે છે. એવી જ રીતે, મોટા ભાગના સરકારી કર્મચારીઓને કામના ઢગલા સામે ટેબલ પર પડ્યા હોય તો પણ, કામ એટલે શું એની ખબર પડતી નથી. એ હંમેશાં જમ્યા પહેલાંની કે જમ્યા પછીની, ચા પહેલાંની કે ચા પછીની, પહેલી કે છેલ્લી કે વચલી ચાની વેતરણમાં હોય છે. તેમની પાસેથી કામ કરાવવું એ એક સ્વતંત્ર કામ છે.

બધી બાબતોમાં સહાયક નીમતી ગુજરાત સરકારે હજુ સુધી સચિવાલય સહાયક જેવા હોદ્દા કેમ ઉભા કર્યા નહીં હોય? આવા સહાયકોનું કામ સચિવાલયના માણસોને તેમનું કામ યાદ કરાવતા રહેવાનું હોઇ શકે. એ લોકોને ટેબલની સામેની ખુરશી પર બેસવાની જગ્યા ફાળવી શકાય, જેથી ટેબલ સામે સતત કોઇ બેઠું હોય એવું લાગે. સામે બેઠેલા માણસને જોઇને સરકારી કર્મચારીઓને કામ કરવાની તો નહીં, પણ વિવિધ રીતે કામ ન કરવાની પ્રેરણા જાગે છે. તત્ત્વાર્થમાં જોઇએ તો, કેવી કેવી રીતે કામ થઇ શકે તેમ નથી તે શોધવું એ પણ એક કામ છે. બલ્કે, વધારે અઘરૂં, કઠણ અને સર્જકતાપૂર્ણ કામ છે. કવિતાની જેમ કે નવલકથાની જેમ કામ નહીં કરવાની બાબતમાં પણ દરેક કર્મચારીની પોતાની આગવી મુદ્રા હોય છે, જે સરકારી કચેરીઓમાં ઉઠકબેઠક ધરાવતા લોકો સજ્જ વિવેચકોની જેમ પારખી લે છે. જેમ કે, સરકારી કચેરીમાં કોઇ કામ ન થયું અને લીલા તોરણે ઘરે જતી વખતે જાણકાર માણસ ભેટી જાય તો?
જાણકાર માણસઃ શું થયું? તમારી તબિયત ઠીક નથી? ચહેરો કેમ ઉતરેલો લાગે છે?
અરજદારઃ આજે ફરી એક વાર ધક્કો થયો. કહે છે કે ફોર્મમાં હજુ વિગત ખૂટે છે.
જા.મ.: તો તો ખત્રીભાઇ બેઠા હશે. એમને આવા બધા બહુ વાંધા પડે છે. એક ફોર્મમાં એમણે મારી પાસે સાડા ચૌદ વખત વિગત સુધરાવી હતી. ચૌદ વાર વિગત સુધાર્યા પછી પંદરમી વાર હું લઇને ગયો, ત્યારે તેમણે વઘુ એક વાર મોં બગાડ્યું, પણ ફોર્મ મને પાછું આપવાને બદલે ત્યાંને ત્યાં જ મને સુધારો કરવા કહ્યું. એટલે એને હું સાડા ચૌદમો સુધારો કહું છું.
અરજદારઃ મરી ગયા! મારે તો હજુ સાત જ ધક્કા થયા છે.
જા.મ.: ચિંતા ન કરશો. હવે તો ઇ-ગવર્નન્સની સુવિધા થઇ ગઇ છે.
અરજદારઃ એટલે? કોમ્પ્યુટર પર બઘું ફટાફટ મળી જાય એવું?
જા.મ.: ના, ઇ-ગવર્નન્સ એટલે ફોર્મની વિગતના નહીં, પણ કમ્પ્યુટરની મશીનરીને લગતા વાંધા પાડવાની સુવિધા. એક કેસમાં મારે દસેક ધક્કા થયા હતા. કારણ કે ઓફિસમાં ઇ-ગવર્નન્સ હતું. તમે જ વિચાર કરો. ક્યાં ચૌદ ધક્કા અને ક્યાં દસ ધક્કા. ચાર ધક્કાનો ફરક! આ જ વાતને હું એ રીતે કહું કે ‘ઇ-ગવર્નન્સ થયા પછી કામગીરીની ઝડપમાં ૩૦ ટકાનો વધારો થયો છે’ તો તમે ખુશ થાવ કે નહીં?
અરજદારઃ (મૂંઝાઇને ડોકું ઘુણાવે છે, જેનો અર્થ સામેવાળો પોતાની ઇચ્છા પ્રમાણે કાઢી શકે.)
જા.મ.: પહેલી વાર હું ગયો ત્યારે કમ્પ્યુટર નવું હતું ને ક્લાર્કને કોર્સ કરવાનો બાકી હતો. બીજી વાર ગયો ત્યારે ક્લાર્ક કમ્પ્યુટર શીખી ગયા હતા, પણ હજુ તેમને પાકો વિશ્વાસ બેઠો ન હતો. ત્રીજી વાર તેમને કમ્પ્યુટર વાપરતાં આવડી ગયું, પણ તેમની આંગળી પાકી હતી અને તે એક જ આંગળીથી ટાઇપ કરતા હતા. એટલે ધક્કો પડ્યો. ચોથી વાર હું ગયો ત્યારે કમ્પ્યુટરના મોનિટર અને સીપીયુને જોડતા વાયરનું કનેક્શન લૂઝ હતું. એટલે મોનિટર વારે ઘડીએ ચાલુ થઇને બંધ પડી જતું હતું. પાંચમી વખત બઘું બરાબર હતું, ત્યારે ઓફિસની લેન સીસ્ટમમાં પ્રોબ્લેમ થવાને લીધે ડેટા ઉપલબ્ધ ન હતો. સાતમી વાર ઘરેથી કમ્પ્યુટરના ઇ-શ્વરને પ્રાર્થના કરીને નીકળ્યો હતો, પણ મને ખબર નહીં કે દેવો વચ્ચેનું કો-ઓર્ડિનેશન પણ સચિવાલય જેવું જ હોય છે. મેં કમ્પ્યુટરના દેવને પ્રાર્થના કરી, એટલે લાઇટવાળા દેવ નારાજ થઇ ગયા. હું ઓફિસે પહોંચ્યો ત્યારે ક્લાર્કનો ખુશખુશાલ ચહેરો જોઇને મને થયું કે આજે તો મારૂં કામ પૂરૂં થઇ જ જશે. પણ નજીક પહોંચ્યો ત્યારે ક્લાર્કના ચહેરા પર દેખાતી ખુશાલીનું રહસ્ય જાણવા મળ્યું. પોતાના ઘરે સંતાનજન્મ થયો હોય એટલા હરખથી તેમણે કહ્યું,‘આજે મેં નક્કી કર્યું હતું કે તમારૂ પતાવી આપવું. પણ કુદરતનું કરવું ને આજે લાઇટ જ નથી. બોલો, શું કરીએ? તમારૂં નસીબ જ...’
***
નવા વર્ષમાં કપાઇ ગયેલી સાત-આઠ જાહેર રજાઓની કદી ન પુરાય એવી ખોટ સહન કરવાની સરકારી કર્મચારીઓને તાકાત મળે એવી જ પરમકૃપાળુને પ્રાર્થના.

Tuesday, January 12, 2010

સફળતા અને ગુણવત્તા, ફિલ્મ અને વાસ્તવિકતા

શ્યામ બેનેગલે ફિલ્મનિર્માણના કોઇ પણ ક્ષેત્રમાં વિક્રમ સ્થાપ્યો હોય એવું યાદ આવે છે? અને સત્યજીત રે? બેનેગલ-રેની વાત ન કરવી હોય, તો જરા વઘુ લોકપ્રિય નામોની વાત કરીએઃ ગુલઝારના નામે, રાજ કપુરના નામે, ગુરૂ દત્તના નામે- હજુ આગળ આવીએ તો, વિદ્યા બાલનના નામે, રાજુ શ્રીવાસ્તવના નામે, વિશાલ ભારદ્વાજના નામે કોઇ વિક્રમ છે? ‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મે કોઇ વિક્રમ સ્થાપેલો? ‘મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’? ના.

તો પછી ‘થ્રી ઇડિયટ્સ’ બોક્સ ઓફિસ પર વિક્રમો સ્થાપે તેમાં નિર્માતાઓ સિવાય બીજા લોકોને- ખાસ કરીને પ્રેક્ષકોને શી લેવાદેવા? વિક્રમો સ્થાપવાથી ‘થ્રી ઇડિયટ્સ’ મહાન ફિલ્મ થઇ જવાની છે? પ્રચારના ચગડોળ પ્રમાણે એ ફિલ્મ ઇતિહાસની સૌથી વઘુ વકરો કરનારી બની રહેવાની હોય તો ભલે. નોંધો ઇતિહાસના ચોપડામાં. ઇતિહાસ વાંચવામાં કોને રસ છે? અને તે પણ આવો રૂપિયા-પૈસાની કમાણીનો ઇતિહાસ! આપણને જેની સાથે કશી લેવાદેવા ન હોય એવો ઇતિહાસ!

આપણી ફિલ્મોનું કેટલું જોર?
જેને ‘થ્રી ઇડિયટ્સ’ ગમે તે વખાણ કરે. ન ગમે તે ગાળાટે. અહીં ફિલ્મ સારી છે કે ખરાબ, એની ચર્ચા કરવાનો ઇરાદો નથી. ખરેખર તો આવી ચર્ચાઓ કે અભિપ્રાયબાજી વિશે પણ નવેસરથી વિચારવા જેવું છે. ઘણી વાર એવું લાગે છે, જાણે ભારતવર્ષમાં સૌથી મહત્ત્વનો મુદ્દો જો કોઇ હોય તો એ છેઃ નવી રિલીઝ થતી ફિલ્મો. મહદ્ અંશે અંગત પસંદગીનો મામલો કહેવાય એવી ફિલ્મોને, બીજા અનેક મહત્ત્વના મુદ્દા બાજુ પર હડસેલીને, વચ્ચોવચ લઇ આવવાનો પ્રવાહ ચિંતાજનક છે. ફિલ્મની ચર્ચાઓ અને અભિપ્રાયભેદો પણ જુદા સ્વરૂપે અફીણનું કામ કરે છેઃ પોતપોતાની સમજણની પટાબાજીના જોશમાં, વાસ્તવિક જીવનને સ્પર્શતા કે જ્ઞાનવિજ્ઞાનલક્ષી મહત્ત્વ ધરાવતા વિષયો ગૌણ બની જાય છે.

ફિલ્મપ્રેમી તરીકે એવી દલીલ કરવાનું મન થાય કે ફિલ્મોના વિષય આખરે જીવન સાથે, તેની સમસ્યાઓ સાથે સંકળાયેલા હોય છે. માટે, તેમની પિંજણ કરવામાં કશું ખોટું નથી. પરંતુ સ્વીકારવી પડે એવી વાસ્તવિકતા એ છે કે ફિલ્મોના મુદ્દે ચૂંથણાં ચૂંથનાર સિવાય બહુ થોડા લોકો ફિલ્મોને એટલી ગંભીરતાથી લેતા છે. ‘લગે રહો મુન્નાભાઇ’ જોઇને ગાંધી વિચારધારા ફરીથી નવી પેઢી સુધી પહોંચે કે ‘તારે ઝમીં પર’ જોઇને શિક્ષણપદ્ધતિ વિશેના લોકોના ખ્યાલમાં પરિવર્તન આવે, એવી અપેક્ષા રાખવી એ ભોળપણ છે- અને એવો પ્રચાર આંખ મીંચીને માની લેવો એ મૂર્ખામી છે. ફિલ્મોની જે થોડીઘણી અસર દેખાય તેમાં આછીપાતળી (સ્મશાનવૈરાગ્ય જેવી) ‘થિયેટરજાગૃતિ’ અને બાકીનું મોટા ભાગનું માર્કેટિંગ હોય છે. ફિલ્મની અસરો વિશે વહેતી થયેલી કથાઓ અથવા ફિલ્મને લગતા વિવાદો પણ મોટે ભાગે માર્કેટિંગના ભાગરૂપે ઉપજાવી કાઢવામાં આવે છે.

રહી વાત પ્રજાની ગ્રહણશીલતાની, તો ઉપદેશના આશયથી કહેવાતી કથામાંથી લોકો (ઉપદેશ બાજુએ રાખીને) મનોરંજન માણતા હોય, તો મનોરંજન માટેની ફિલ્મોમાંથી પ્રજા ઉપદેશ ગ્રહણ કરે એવી અપેક્ષા શી રીતે રાખી શકાય?

અનુભવે જણાયું છે કે ફિલ્મોનું રસદર્શન અથવા રસચર્ચા બહુ ઓછા કિસ્સામાં સાર્થક સંવાદ બને છે. મોટે ભાગે તેની કક્ષા પાનના ગલ્લે, રેસ્ટોરાંમાં કે ઇન્ટરનેટના જમાનામાં બ્લોગ પર ચાલતી અંગત અભિપ્રાયોની ફેંકાફેંક અથવા ‘તમારા જેવા અબુધોને ફિલ્મનો સાર ખબર નહીં પડે. એટલે હું તમને ફિલ્મ વિશે જ્ઞાન આપું છું. સાંભળો, હે અબુધો, સાંભળો!’ - એ પ્રકારની હોય છે. બહુ ઓછી ફિલ્મો સાર્થક ચર્ચાનો ભાર ઝીલી શકે, એટલી ઉમદા ગુણવત્તા ધરાવતી હોય છે. તેમના વિશે મુગ્ધ કે અઘ્યાપકીય નહીં, પણ ઉંડાણપૂર્વકની, સમાજશાસ્ત્રીય પ્રવાહોને સાંકળતી ચર્ચા ભાગ્યે જ થાય છે.

ફિલ્મ વિશેનાં ઉત્તમ લખાણોની વિદેશોમાં માતબર પરંપરા છે. એક ઉદાહરણ લેખે ‘ધ ફિલ્મ્સ ધેટ ચેન્જ્ડ અસ (યુ.એસ.)’ જેવું પુસ્તક યાદ આવે છે. નીક ક્લુનીએ લખેલા આ પુસ્તકમાં મૂંગી ફિલ્મોથી લઇને છેક એંસી-નેવુના દાયકાની કેટલીક મહત્ત્વની ફિલ્મો તથા સમાજ પર તેમના અને તેમની પર સમાજના પ્રભાવ વિશેની વાતો, તેના કલાકારોના અંગત જીવનની આંટીધૂંટીઓ, ફિલ્મઉદ્યોગના ચડાવઉતાર અને એ સમયના સામાજિક-રાજકીય પ્રવાહોની વાત અત્યંત સુરેખ અને રસાળ ઢબે ગૂંથવામાં આવી છે. તેમાં અભિપ્રાયોની ફેંકાફેંક કે વિદ્વત્તાનો છાકો પાડવાની નહીં, પણ પોતાને સારી એવી મહેનત, અભ્યાસ અને કેટલીક મુલાકાતો પછી પ્રાપ્ત થયેલી સમજણ સામાન્ય વાચકો સાથે વહેંચવાનો આશય છે. ભારતમાં-ગુજરાતમાં ફિલ્મ વિશેનાં કેટલાં લખાણો આ જાતનો દાવો કરી શકે? અને દાવો કરે તો એ દાવો ટકી શકે?

માટે જ, ‘થ્રી ઇડિયટ્સ’ સારી ફિલ્મ છે કે બોગસ? એવી ચર્ચા મિત્રો વચ્ચે, ચાની કીટલી પર થાય ત્યાં સુધી ઠીક છે, પણ એનાથી આગળના સ્તરે એ ચર્ચાનો કશો મતલબ નથી. ચર્ચાસ્પદ મુદ્દો એ ફિલ્મની વિક્રમસર્જક સફળતા નિમિત્તે વઘુ એક વાર થયેલી સફળતા અને ગુણવત્તાની ભેળસેળનો છે.

વિરોધાભાસી સંદેશા
સફળતાનું કામકાજ જબરૂં છે. તેની રોશની હજારો વોટના હેલોજન લેમ્પના પ્રકાશ જેવી હોય છે. એક વાર એ પ્રકાશ પડે એટલે બઘું સોનેરી દેખાવા લાગે. સોનું પણ સોનેરી ને એલ્યુમિનિયમ પણ સોનેરી. એ પ્રકાશના ધોધમાં મહત્તમ લોકોને આંજી શકાય એ માટે તમામ પ્રયાસ થતા રહે છે. પ્રસાર માઘ્યમો પોતપોતાના મતલબથી તેમાં સહભાગી બને છે. કોઇ પણ ફિલ્મ સફળ થાય, એટલે આઇ.આઇ.એમ. જેવી મેનેજમેન્ટ સંસ્થા તેને પોતાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની જાહેરાત કરી પાડે છે. સફળતાની ચાલતી ગાડીમાં ચડી બેસવામાં મેનેજમેન્ટ સંસ્થાઓ બહુ પાવરધી હોય છે. ફિલ્મની લોકપ્રિયતાને વટાવી ખાવાની તક સ્થાપિત હિતો જવા દે? એ મેનેજમેન્ટની સંસ્થાઓ હોય, મિડીયા હોય કે પછી વિવાદ ચગાવનારાં પાત્રો. તેમના ચાળે ચડીને ફિલ્મ વિશે ચર્ચાઓ માંડનારા આડકતરી રીતે એ જ પ્રચારયંત્રના પૂરજા બની રહે છે.

‘થ્રી ઇડિયટ્સ’ વિશે ચર્ચા હોય તો એટલી જ કે તેના વકરાથી તેની મહાનતા શા માટે નક્કી કરવી જોઇએ? આઇ.આઇ.એમ. આ ફિલ્મમાંથી જે બોધપાઠ શીખવવા ધારે છે અને આ ફિલ્મ જે બોધપાઠ આપવાનો દાવો કરે છે, તે એ છે કે જગતમાં સફળતા નહીં, ગુણવત્તા અગત્યની છે. ગુણવત્તા હોય તો સફળતા આપોઆપ તેની પાછળ આવી પહોંચે છે. આ સંદેશ સાચો છે? ‘થ્રી ઇડિયટ્સ’ના પોતાના અને બીજા અનેક દાખલા ફિલ્મના પ્રચારિત સંદેશ સાથે વિરોધાભાસ ઉભો કરે છે. ફિલ્મમાં એવું કોઇ તત્ત્વ નથી, જેનાથી તે ફિલ્મ ઉદ્યોગની અત્યાર સુધીની સૌથી વધારે વકરો કરનારી ફિલ્મ બને.

ફિલ્મ સારી છે કે ખરાબ, એ અંગત અભિપ્રાયનો મુદ્દો છે, પણ તે કોઇ હિસાબે વિક્રમસર્જક નથી એ નિર્વિવાદ છે. છતાં, તેનો વકરો વિક્રમસર્જક કેમ? કારણ કે તેના માટે ગુણવત્તા સિવાયનાં બીજાં અનેક પરિબળો જવાબદાર છે. આ પ્રકારનું નજીકના ભૂતકાળનું એક ઉદાહરણ ‘તારે ઝમીં પર’નું હતું. એ ફિલ્મને માત્ર મનોરંજન તરીકે જોવામાં-બતાવવામાં આવે ત્યાં સુધી બરાબર, પણ તેમાં આમીરખાને બહુ મહાન સંદેશ આપી દીધો છે, એવો દાવો કરવામાં આવે ત્યારે થાય કે ‘જરા વાજબી કરો.’ કારણ કે શિક્ષણપદ્ધતિમાં નંબરનું કશું મહત્ત્વ નથી, એવું ગાઇ-વગાડીને (સાચી રીતે) કહેતી એ ફિલ્મના અંતે ચિત્રસ્પર્ધામાં હીરોનો પહેલો નંબર આવે છે! પહેલો નંબર એ જ હીરોની સફળતાની સાબિતી બની રહેવાનો હોય, તો પછી ખોટા-મોટા દાવા શા માટે?

સફળતા એટલે ગુણવત્તા, એ ખોટા સમીકરણથી દાઝેલા કેટલાક લોકો સાવ સામા છેડે બેસીને તમામ સફળતાને ગુણવત્તા વગરની અને ‘લોકપ્રિય’ કહીને ઉતારી પાડે છે, એ વળી બીજો મુદ્દો છે. (એની વઘુ ચર્ચા માટે ગુજરાતી સાહિત્ય તરફ વળવું પડે.) સત્યની જેમ ગુણવત્તાનો હંમેશાં વિજય થાય છે, એ માનવું બહુ સુવિધાભર્યું અને આશ્વાસનકારક છે, પણ મોટે ભાગે સાચું સાબીત થતું નથી. તેનું લોકપ્રિય ઉદાહરણ રાજુ શ્રીવાસ્તવ છે. થોડાં વર્ષ પહેલાં યોજાયેલી લાફ્ટર ચેલેન્જમાં રાજુ સૌથી મૌલિક અને શિષ્ટતાનાં ધોરણો જાળવનારા કલાકાર જણાતા હતા, પરંતુ એ સ્પર્ધામાં તેમનો એકથી ત્રણમાં પણ નંબર ન આવ્યો. ત્યાર પછી એવી સ્થિતિ થઇ કે ખુલ્લા અને સામાન્ય રીતે મિડીયોક્રિટીની બોલબાલા ધરાવતા બજારમાં ગુણવત્તા ધરાવતા રાજુ છવાઇ ગયા અને સ્પર્ધામાં પહેલા-બીજા નંબરે આવેલા લોકોને તેમણે ક્યાંય પાછળ રાખી દીધા.

આવું હંમેશાં બનતું નથી. એટલું ખરૂં કે ગુણવત્તા ધરાવનાર સાવ ફેંકાઇ જતા કે ખતમ થઇ જતા નથી. તે મિડીયોકર લોકોની વ્યવસાયિક સફળતાથી વિચલીત થઇને, તેમના રસ્તે અનુસરવાને બદલે, પોતે પસંદ કરેલો માર્ગ પકડી રાખે તો તે પણ સારી રીતે ટકી શકે છે. હા, તેમના નામે કોઇ વિક્રમો બનતા નથી. રેકોર્ડબુકમાં તેમનાં નામ નોંધાતાં નથી. મેનેજમેન્ટની સંસ્થાઓ તેમની સફળતાને અભ્યાસક્રમમાં દાખલ કરતી નથી. એનાથી થોડો, ચચરાટીના સ્તરનો ફરક પડે છે, પણ બઘું વ્યર્થ લાગે એ હદનો તફાવત પડતો નથી

‘થ્રી ઇડિયટ્સ’માંથી બોધપાઠ તો શું લેવો? સડી ગયેલી શિક્ષણપદ્ધતિ વિશે જેમની આંખો આવી ફિલ્મથી ખુલવાની હોય, તેમને ઉઘડેલી આંખો મુબારક. પણ બાકીના સામાન્ય દૃષ્ટિ ધરાવતા અને મુન્નાભાઇ સિરીઝ જોઇ ચૂકેલા લોકો માટે તેમાં કશું નવું નથી. તેનાથી જૂનું સત્ય ફરી એક વાર તાજું થયું છે કે ઉત્તમ હંમેશાં વ્યવસાયિક સફળતાની ટોચે પહોંચે અને ટોચે પહોંચે તે હંમેશાં સર્વોત્તમ હોય એ જરૂરી નથી.

Monday, January 11, 2010

ઝવેરચંદ મેઘાણીનાં ‘પરિભ્રમણ’ : બે અદભૂત પુસ્તકો

થોડાં વર્ષ પહેલાં મિત્ર-ડિઝાઇનર અપૂર્વ આશર સાથે વાત થઇ હતીઃ ઝવેરચંદ મેઘાણીએ અખબારોમાં લખેલાં લખાણોનું જયંતભાઇ મેઘાણી સંપાદન કરી રહ્યા છે. તેનું ડિઝાઇનિંગ અપૂર્વ જ કરવાના હતા. આખરે એ મેરેથોન પ્રોજેક્ટ પૂરો થયો અને તેનું સુખદ પરિણામ થોડાં અઠવાડિયાં પહેલાં આવી ગયું. ‘પરિભ્રમણ’નું નવસંસ્કરણ. ભાગ-૧ (પૃષ્ઠસંખ્યાઃ ૬૮૩) અને ભાગ-૨ (પૃષ્ઠસંખ્યાઃ ૫૬૦). સંપાદનઃ જયંત મેઘાણી-અશોક મેઘાણી.

કુલ ૧,૨૦૦થી પણ વઘુ પાનાંમાં આટલી બધી અર્થઘનતા ધરાવતી છતાં વિદ્વત્તાના બોજ વગરની અને રસાળ, સાહિત્યને લગતા આટઆટલા વિષયો અને પ્રવાહોને સ્પર્શતી સામગ્રી ગુજરાતીમાં મળવી દુર્લભ છે.

પુસ્તકના બન્ને ભાગમાં મળીને આઠ વિભાગ છે.
ભાગ-૧
૧) સાહિત્યની વિચારભૂમિમાં - સાહિત્યિક પ્રશ્નો
૨) ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં- સાહિત્યકૃતિઓ, સાહિત્યકારોની સાહિત્યસેવા
૩) સાહિત્યના સીમાડાઓમાં- સાહિત્યનું વાચન, પુસ્તક-વ્યવસાય, સાહિત્યકાર પાસેની અપેક્ષાઓ, સાહિત્યના વહેવારો, પ્રેરણા-ઘટનાઓ
ભાગ-૨
૧) પરભાષાના પ્રદેશમાં- દેશ-વિદેશની સાહિત્યસૃષ્ટિ
૨) પત્રકારની દુનિયામાં- દેશવિદેશનું પત્રકારત્વ
૩) કલાજગત- વિવિધ કળાઓ અને કલા-પ્રવૃત્તિઓ
૪) ઘરદીવડા- ગુજરાતના અને ભારતના સાહિત્યિકોનાં જીવન
૫) વેરાનમાં - દેશવિદેશના સાહિત્યનાં આસ્વાદલક્ષી લખાણો અને અનુવાદો

જીવનરસ અને જોસ્સો, ખુલ્લાશ અને વિચાર, સ્પષ્ટતવક્તવ્ય અને વિવેકયુક્ત ધારથી શોભતાં આ પુસ્તકનાં લખાણો અને ચર્ચાઓમાંની ઘણી હજી પણ એટલી જ આબાદ લાગુ પડે છે. એક નમૂનોઃ

‘બે શબ્દોએ જાહેરજીવનમાં ભ્રમણા ઊભી કરી છેઃ સેવાર્થી અને ધંધાર્થી. એવો જ ગોટાળો કલાસાહિત્યના પ્રદેશોમાં બે શબ્દોએ જન્માવેલ છેઃ પ્રફેશનલ અને એમેચ્યોર. સેવાર્થી પોતાને ધંધાર્થી કરતાં ચડિયાતો લેખાવે છે. એમેચ્યોર હંમેશાં પ્રફેશનલથી સુગાય છે. ધંધા લેખે કલમ ચલાવનારો સાહિત્યને કેમ જાણે કંઇકઅંશે કલંકરૂપ, સાહિત્યની ઉચ્ચ અટારીઓને નીચે પટકનારો હોય, સ્વાર્થી અને પેટભરો હોય અને તેવો હોવાથી સરસ્વતીની સાચી ઉપાસનાનો અનધિકારી હોય, એ વહેમો પ્રવર્તે છે. વહેમોનાં એ જાળાં ઝાડવાની જરૂર હજુ ઊભી છે.'
***
પુસ્તક જેમ વાંચું છું, તેમ મેઘાણીએ પ્રયોજેલા નવા નવા શબ્દો નજરે ચડે છે અને તેની મૌલિકતા તથા અર્થઘનતા પર ઓવારી જવાય છે. મેઘાણીના એવા શબ્દોની અલાયદી યાદી પણ બનાવી શકાય, એવો વિચાર બહુ વખતથી મનમાં ચાલતો હતો, તે આ પુસ્તક વાંચતી વખતે ફરી એક વાર હેરાન કરવા લાગ્યો છે.

આવું પુસ્તક પ્રકાશિત કરવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમી અને તેના (તત્કાલીન) મહામાત્ર, પ્રસિદ્ધ વાર્તાકાર કિરીટ દૂધાતને પણ અભિનંદન.

રૂ.૪૫૦ (બન્ને ભાગ)ની છાપેલી કિંમત ધરાવતું આ પુસ્તક મેઘાણી પરિવારના ગ્રંથભંડારોમાંથી, તેમણે પોતાનું કમિશન જતું કર્યું હોવાને કારણે, માત્ર રૂ. ૩૦૦ની કિંમતે મળશે. અમદાવાદમાં ગ્રંથાગાર (સાહિત્ય પરિષદ) અને તાન્યાઝ, ભાવનગરમાં પ્રસાર અને લોકમિલાપ તથા ભૂજમાં અક્ષરભારતી.
સાહિત્યપ્રેમી કે વાચનપ્રેમી હોવાનો ખ્યાલ ધરાવતા દરેક મિત્રોએ અચૂક ખરીદવા જેવું પુસ્તક.
એ વિશેની કોઇ પણ વઘુ જાણકારી માટે બન્ને સંપાદકોનો સંપર્ક
જયંતભાઇ મેઘાણીઃ jayantmeghani@gmail.com
અશોકભાઇ મેઘાણીઃ ashok@meghani.com

Saturday, January 09, 2010

આજે પુસ્તકો વિશેના ‘દૃષ્ટિકોણ’માં મહેન્દ્રભાઇ મેઘાણી

દર શનિવારે સાંજે સાડા સાત વાગ્યે દૂરદર્શનની ગિરનાર ચેનલ પર આવતા ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં આજે સાંજે મહેન્દ્રભાઇ મેઘાણી, ભાવનગરની શિશુવિહાર સંસ્થાના નાનકભાઇ ભટ્ટ અને ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના અઘ્યાપક-મિત્ર અશ્વિન ચૌહાણ પુસ્તકો વિશે ચર્ચા કરશે. નિર્માત્રીઃ ડો.રૂપા મહેતા. સંચાલનઃ ઉર્વીશ કોઠારી. (આ મારી જ પ્રેસનોટ છે, એવું ગણજોઃ-)

પુસ્તકપ્રેમીઓ-વાચનપ્રેમીઓ કાર્યક્રમ જુએ, પ્રતિભાવ જણાવે.

Friday, January 08, 2010

બ્રાન્ડનેમના દાવ અને પેચ

આ ગુજરાતની પ્રજાની ખાસિયત છે કે નહીં, ખબર નથી. પણ પતંગના દોરાની બ્રાન્ડનું નામ ‘એકે-૫૬’ હોય તો કેવું કહેવાય? ગયા વર્ષે ઉત્તરાયણ પહેલાં એ મતલબની પોસ્ટ ‘એકે-૫૬’ની જાહેરખબર સાથે મૂકી હતી.
આ વર્ષે, ખાસ કરીને ૨૬/૧૧ પછી તેમાં એક માળ ચણાયો છે. બે દિવસ પહેલાંના સંદેશમાં પહેલાં પાનાની આગળના સ્પેશ્યલ અડધા પાનામાં પાછળની બાજુએ ‘એકે-૫૬’ની જાહેરાત હતી અને આગળના ભાગે જે બ્રાન્ડની જાહેરાત હતી તેનું નામ શું હશે? કલ્પી શકો છો?
એનએસજી!
આખું નામઃ નેશનલ સિક્યોરિટી ગાર્ડ નહીં, પણ નેશનલ સ્કાય ગાર્ડ!

Tuesday, January 05, 2010

કોંગ્રેસઃ ઇતિહાસ સવા સો વર્ષનો, વારસો ચાર દાયકાનો

કોંગ્રેસ વિશે એકવીસમી સદીના વિદ્યાર્થીઓ માટે નિબંધ લખવાનો હોય તો શરૂઆત કંઇક આ રીતે કરવી પડેઃ ‘કોંગ્રેસ કૌટુંબિક પેઢી નહીં, પણ ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ છે. તેની સ્થાપના મોતીલાલ નેહરૂએ કરી ન હતી. જવાહરલાલ નેહરૂ તેના પહેલા પ્રમુખ ન હતા. જવાહરલાલનાં પુત્રી ઇન્દિરા ગાંધીને મહાત્મા ગાંધી સાથે કોઇ સંબંધ ન હતો.’
૨૮ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ કોંગ્રેસની સ્થાપનાને ૧૨૫મું વર્ષ બેઠું. આ વિધાન ઉપર ‘શરતો લાગુ’ પ્રકારની ફુદડી મૂકવી પડે. કારણ કે ૧૨૪ વર્ષ પહેલાં સ્થપાયેલી કોંગ્રેસને અત્યારની કોંગ્રેસ સાથે નામનો જ સંબંધ છે. કેવળ ગણિતથી કે ‘ટેકનિકલી’ નહીં, પણ ભાવાર્થમાં અને વાસ્તવમાં વર્તમાન કોંગ્રેસની ઊંમર ગણવી હોય તો ગણતરી ૧૯૬૯થી શરૂ કરવી પડે. એ વર્ષે કોંગ્રેસના બે ભાગ પડ્યા. આઝાદીના આંદોલન વખતે સક્રિય એવા જૂના જોગીઓ સંસ્થા કોંગ્રેસ (કોંગ્રેસ-ઓર્ગેનાઇઝેશન) તરીકે રહ્યા અને ‘અસંતુષ્ટ’ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સંસ્થાથી છેડો ફાડીને શાસક કોંગ્રેસ (કોંગ્રેસ-રૂલિંગ) નામે પોતાનો અલગ ચોકો રચ્યો. કોંગ્રેસ (ઓ) અને કોંગ્રેસ (આર) અનુક્રમે ‘સિન્ડિકેટ’ અને ‘ઇન્ડિકેટ’ તરીકે જાણીતાં બન્યાં.

લાલબહાદુર શાસ્ત્રીના અકાળે અવસાન પછી, મોરારજી દેસાઇ સામે વાંધા ધરાવતા જૂના નેતાઓના ટેકાથી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં, પણ વૃદ્ધ નેતાઓને ભૂલ સમજાઇ ત્યારે મોડું થઇ ચૂક્યું હતું. વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ વડીલમંડળને અવગણીને પોતાની અલગ મંડળી (‘કિચન કેબિનેટ’) ઉભી કરી લીધી હતી. ૧૯૭૦માં મઘ્ય સત્ર ચૂંટણી યોજતાં પહેલાં બેન્કોનું રાષ્ટ્રિયકરણ અને સાલિયાણાંનાબૂદી જેવાં ‘સમાજવાદી’ અને ‘ગરીબતરફી’ પગલાં લઇને ઇન્દિરાએ પાડી દીધો. ૧૯૭૦ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રતીક માટે વિવાદ ઉભો થયો, ત્યારે સરકારી લાઇન પ્રમાણે ચાલનારા ચૂંટણીપંચે સંસ્થાને બદલે સંસ્થા છોડી જનાર ઇન્દિરા ગાંધીની શાસક કોંગ્રેસની તરફેણમાં ચૂકાદો આપ્યો. પરિણામે ઇન્દિરા ગાંધીનું જૂથ કોંગ્રેસના ચૂંટણીચિહ્ન પર ચૂંટણી લડ્યું અને બે તૃતિયાંશ બહુમતિથી જીત્યું.
આ વાત કેટલી વિચિત્ર કહેવાય, તેનો અંદાજ મેળવવા એક સિચ્યુએશન કલ્પી જુઓઃ ધારો કે સોનિયા ગાંધી અને મનમોહન સિંઘ વચ્ચે તકરાર થાય છે. મનમોહન સોનિયાના ટેકે વડાપ્રધાન બન્યા છે, પણ હવે તે પોતાની રીતે સ્વતંત્રપણે કામ કરવા માગે છે. (કેવી સુખદ ધારણા!) એટલે તે પોતાનો અલગ પક્ષ ‘શાસક કોંગ્રેસ’ રચે છે. સોનિયા ગાંધી પાસે સંસ્થા કોંગ્રેસ રહી જાય છે. પોતાની લોકપ્રિયતા પર મુસ્તાક વડાપ્રધાન સિંઘની ઇચ્છાથી મઘ્યસત્ર ચૂંટણી જાહેર થતાં, કરોડો રૂપિયાનો સવાલ આવે છેઃ પંજાના કોંગ્રેસી પ્રતીક પર અધિકાર કોનો? સાસબહુની સિરીયલના પ્લોટ જેવી આ સિચ્યુએશનમાં, પંજો ડો. સિંઘને ફાળવવામાં આવે, એવું ચાળીસ વર્ષ પહેલાં ચૂંટણી પંચે કર્યું હતું. એ રીતે, આજે જેને કોંગ્રેસ તરીકે ગણવામાં આવે છે તે અસ્તિત્ત્વમાં આવી.

ઉજવણાં કરતી વેળાએ જોકે વાસ્તવિક ઘટનાક્રમને ભાગ્યે જ ઘ્યાનમાં લેવામાં આવે છે. રાજકારણનો નિયમ છેઃ ‘પોતે કરેલાં કામોનું ગૌરવ તો સૌ કોઇ લે, પણ જેમાં આપણી કોઇ કમાલ નથી એવી ચીજોનું ગૌરવ આપણા નામે સ્થાપિત કરી બતાવીએ તો ખરા.’
રાષ્ટ્રિયતા અને પરિવારભક્તિ
સ્થાપના વખતે વકીલ-બેરિસ્ટરોના બૌદ્ધિક ટાઇમપાસનું સાધન ગણાતી અને ‘પ્રે એન્ડ પીટીશન’ (વિનવણી ને અરજી)ની રાજનીતિમાં માનતી કોંગ્રેસના દરવાજા ગાંધીજીના આગમન પછી આમજનતા માટે ખુલ્યા. ત્યારથી તેના ચરિત્રની એક ખાસિયત રહી છેઃ તેના પાયામાં બાકી બધા અવગુણ છે, પણ સંકુચિતતા નથી. બાકી બધા સિદ્ધાંત નેવે મૂકાયા પછી પણ સર્વના સમાવેશની તેની લાક્ષણિકતા જળવાઇ રહી છે. તેના માટે કોઇ વ્યક્તિ નહીં, પણ સંસ્થાનું ડી.એન.એ. જવાબદાર છે. એ રીતે કોંગ્રેસ ખરા અર્થમાં ‘રાષ્ટ્રિય’ છે.

કહેવા ખાતર ભાજપ કે ડાબેરીઓ જેવા બીજા રાષ્ટ્રિય પક્ષો સર્વસમાવેશકતાનો દાવો કરી શકે, પણ તેમનો દાવો સાચો નથી તે સૌ જાણે છે. ભાજપ ગમે તેટલી વાતો કરે ને તેના નેતાઓ નાતાલ દરમિયાન કાર્નિવલો ઉજવે કે મુસ્લિમોને રીઝવવા લીલી ટોપીઓ પહેરે, પણ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જેવા ‘વિધર્મી’ માટેનો તેમનો અભાવ વિકૃતી તરીકે વખતોવખત પ્રગટ થઇને તેમનું હાડ છતું કરતો રહે છે. સર્વસમાવેશકતાને બાદ કરવામાં આવે તો બાકીનાં લક્ષણોમાં વર્તમાન કોંગ્રેસે ઇન્દિરા ગાંધીનો વારસો જાળવ્યો છે. ઇન્દિરા ગાંધીએ સગવડ મુજબ નેહરૂનો વારસો જાળવવાની વાતો કરી હતી, પણ ભ્રષ્ટ અને સિદ્ધાંતહીન શાસનની પરંપરા તેમણે સ્વબળે ઉભી કરી. સાથોસાથ, કોંગ્રેસમાં પહેલેથી નાજુક તબિયત ધરાવતી આંતરિક લોકશાહીને સાવ ખતમ કરી નાખી.

આઝાદી પછી તરતના અરસામાં, લોકસભાની પહેલી ચૂંટણી યોજાય તે પહેલાં સરદાર પટેલનું અવસાન થતાં, નેહરૂ કોંગ્રેસના એકમેવ સ્તંભ બની ગયા. ત્યારથી આંતરિક લોકશાહી કોંગ્રેસને ફાવી નથી. ઇન્દિરા ગાંધીની અસાધારણ ક્ષમતા, સફળતા અને મહત્ત્વાકાંક્ષાના પ્રતાપે તેમના જીહજૂરિયાઓની ફોજ ઉભી થઇ. વિખ્યાત તસવીરકાર રધુ રાયની એક જાણીતી તસવીરમાં ખુરશી પર બેઠેલાં ઇન્દિરા ગાંધીની પીઠ દેખાય છે અને સામે સફેદ કુર્તા-પાયજામા-ધોતીયાંધારીઓની આખી ફોજ રાંકડી બનીને ઉભી છે.
(photo : Raghu Rai/ India Today)
કોંગ્રેસની એ સંસ્કૃતિ ૨૦૦૯માં બદલાઇ નથી. રાજીવ ગાંધીના આકસ્મિક મૃત્યુ પછી અને સોનિયા ગાંધીના પુનઃપ્રવેશ પહેલાંના ગાળામાં એકનિષ્ઠ ભક્તિનું સ્થાનક લુપ્ત થતાં કોંગ્રેસીઓ મૂંઝાયા હતા. પણ તેમની અરજથી પીગળીને હાજરાહજૂર થયેલાં સોનિયા ગાંધીની ભક્તિ એ મોટા ભાગના કોંગ્રેસી નેતાઓનું ચીતરી ચડે એટલી હદનું વળગણ (અથવા મજબૂરી) છે.

સોનિયા ગાંધી સારાં છે કે ખરાબ એ પ્રશ્ન નથી. લોકશાહીમાં દેશનો સૌથી મોટો અને જૂનો રાજકીય પક્ષ આટલી હદે એક વ્યક્તિ પર નિર્ભર હોય એ ચિંતાજનક છે. આઝાદીના આંદોલન વખતે મહાત્મા ગાંધી થોડાં વર્ષ આવી એકચક્રી ભૂમિકામાં રહ્યા હતા, પણ તેમને એ વિશેષાધિકાર કૌટુંબિક વારસાની રૂએ મળ્યો ન હતો. પોતાની શક્તિઓથી તેમણે એ હાંસલ કર્યો હતો. સોનિયા ગાંધી પહેલાં વિશેષાધિકાર મેળવીને પછી પોતાની શક્તિઓ તેને અનુરૂપ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે - અને હવે બેશરમીપૂર્વક રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની વાત ચાલી રહી છે.
(Indira Gandhi- Rahul- Priyanka- Soniya Gandhi/ photo : Raghu Rai/ India Today)
ફરી એક વાર, સવાલ રાહુલ ગાંધીની લાયકાતનો નથી, પણ દેશના સૌથી જૂના રાજકીય પક્ષને કૌટુંબિક પેઢીની જેમ ચલાવવાનો અને ચલાવવા દેવાનો છે. સોનિયા ગાંધીના વિદેશી કુળ જેવા લાંબા ગાળે અપ્રસ્તુત બની ગયેલા મુદ્દા વિશે ગરમાગરમ ચર્ચાઓ થાય છે, પણ પક્ષીય લોકશાહીના અભાવ વિશે અને રાજકીય વારસાઇના મુદ્દે કોણ કોને અરીસો બતાવે?

પ્રાયશ્ચિતલાયક મુદ્દાની યાદીઃ જ્યાં જ્યાં નજર ઠરે...
સવાસો વર્ષની ઉજવણી દરમિયાન સાચા અને કાલ્પનિક ભવ્ય ભૂતકાળની ઘણી વાતો કરવામાં આવશે, પણ સવા સો વર્ષની ખરી ઉજવણી ત્યારે જ સંપૂર્ણ થાય જ્યારે ગૌરવગાથાની સાથોસાથ જૂનાં પાપનાં પ્રાયશ્ચિત કરવામાં આવે. કોંગ્રેસનાં નામે બોલતી પાપની યાદી લાંબી છે. હકીકતમાં ભાજપે એવું કોઇ મૌલિક પાપ કર્યું નથી, જે પહેલાં કોંગ્રેસે ન કર્યું હોય.

બન્ને વચ્ચે ફરક એટલો જ કે કોમી કે અન્ય પ્રકારનાં વિભાજનની રાજનીતિ એ કોંગ્રેસની પાયાગત વિચારધારાનો હિસ્સો નથી, જ્યારે ભાજપની બાબતમાં નિખાલસતાથી વિચારતાં એવું કહી શકાય એમ નથી. ભાજપના પાયામાં રહેલી હિંદુત્વની રાજનીતિ, ગમે તેટલી ઉદાર અને ગળચટ્ટી વ્યાખ્યાઓ પછી પણ, કોમી વિભાજનને પાયાના સિદ્ધાંત તરીકે ગણે છે. કોંગ્રેસે પ્રાયશ્ચિત કરવા લાયક અને ખરેખર તો આકરી સજાને પાત્ર એવાં પાપની લાંબી યાદીમાંના કેટલાક મુદ્દાઃ
  • ૧૯૮૪ની શીખવિરોધી હિંસા અને તેના આરોપીઓનાં હજુ સુધી બેશરમીપૂર્વક થઇ રહેલાં થાબડભાણાં. કોઇ જરનૈલસિંઘ ગૃહ મંત્રી પર જૂતું ફેંકે ત્યારે ડાયનોસોર જેવી સંવેદનશીલતા ધરાવતી કોંગ્રેસને બત્તી થાય છે કે સજ્જનકુમારની ઉમેદવારી કામચલાઉ રદ કરવી પડશે. સોનિયા ગાંધીએ આ મુદ્દે શીખોની માફી માગી છે, પણ ૧૯૮૪ના આરોપીઓને જ્યાં લગી રાજકીય અરણ્યવાસની સજા ન મળે ત્યાં લગી માફીનો કશો અર્થ સરતો નથી. દિલ્હીમાં શીખ મતદારોની સંખ્યા પરિણામ પર અસર પાડી શકે એટલી મોટી ભલે ન હોય, પણ કોંગ્રેસની ઘાતકી બેશરમીની અસરો દેશના રાજકારણ પર પડે છે, એટલી સાદી વાત સોનિયા ગાંધીને કોઇ કહેતું નહીં હોય?

  • મુસ્લિમો અને દલિતોના ઉદ્ધારના બહાને એ સમુદાયોમાં રહેલાં પ્રગતિશીલ બળોને પાછાં પાડીને, પરિસ્થિતિ બદલાવા (સુધરવા) ન દેવી, એ પણ કોંગ્રેસનું બહુ મોટું પાપ છે. મુસ્લિમો અને દલિતોને વર્ષો સુધી કોંગ્રેસે ફક્ત વોટબેન્ક તરીકે ગણીને, તેમની હાલત દયનીય બનાવી દીધી છે. દલિતોને રાજકીય હક આપવાને બદલે હિંદુઓનાં હૃદય બદલાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવા બદલ ગાંધીજી પણ દલિતોની નજરે અપરાધી ઠરે છે. છતાં, ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિને રાષ્ટ્રિય સ્તરે વ્યાપક બનાવી અને પોતે સનાતની હિંદુઓની નારાજગી વેઠીને પણ એ કલંક દૂર કરવા મથતા રહ્યા. તેમના ગયા પછી કોંગ્રેસ માટે અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ દલિત વોટબેન્કને જાળવી રાખવા પૂરતો સીમિત બની રહ્યો.

  • પરિવારભક્તિ કોંગ્રેસની મોટી મર્યાદા છે. રાષ્ટ્રવ્યાપી પક્ષમાં સેંકડો નેતાઓ અને યુવાનો હોય, તો પણ ભાવિ નેતા તરીકે માત્ર ને માત્ર રાહુલ ગાંધીનું જ નામ લેવાય, એ લોકશાહી માટે શરમજનક ગણાય. પરિવારવાદની પરંપરાનાં મૂળીયાં ભારતના રાજકારણમાં ઊંડાં ઉતારવામાં કોંગ્રેસનો મોટો ફાળો છે. બે મુદતથી વડાપ્રધાન એવા મનમોહન સિંઘનું ઉદાહરણ આપીને કોઇ આ આરોપનો વિરોધ કરી શકે, પણ મનમોહન સિંઘ પર અને સરકાર પર સોનિયા ગાંધીનો કેટલો પ્રભાવ છે, એ છાનું નથી.

  • ભાજપના કોમવાદી એજેન્ડાનો અસરકારક વિરોધ પ્રજાકીય કે નેતાકીય, કોઇ પણ સ્તરે કરવામાં કોંગ્રેસ સાવ પાંગળી અને નમાલી પુરવાર થઇ છે. ભાજપને અત્યાર સુધી મળેલી પ્રચંડ સફળતામાં તેની આવડત કરતાં કોંગ્રેસની અણઆવડતનો હિસ્સો બહુ મોટો છે. આટલા ફટકા ખાધા પછી પણ રાજ ઠાકરે જેવા નેતાઓ પ્રત્યે સુંવાળપ રાખતાં કોંગ્રેસને ખચકાટ થતો નથી. સવા સો વર્ષની ઉજવણી ‘હોતી હૈ, ચલતી હૈ’ની લાગણી ફગાવીને, નવી શરૂઆતનું નિમિત્ત પણ બની શકે છે. સવાલ પરિવારભક્તિના ડાબલા ઉતારીને રાષ્ટ્રહિતમાં પોતીકી દૃષ્ટિથી વિચાર કરવાનો છે.

Monday, January 04, 2010

‘વાહ ભાઇ વાહ’નું સ્વાગત

ઉત્સાહી કાર્ટૂનિસ્ટ મિત્ર અશોક અદેપાલે ‘ગુજરાતનું પ્રથમ હાસ્ય, વ્યંગ્ય અને કાર્ટૂન આધારિત મેગેઝીન’ પ્રસિદ્ધ કરવાનું સાહસ કર્યું છે. ભુજથી પ્રગટ થયેલું આ માસિક લગભગ ‘આહા!જિંદગી’ના કદનાં (મોટી સાઇઝનાં) ૫૨ પાનાંનું છે. કિંમત રૂ.૨૦. તેમાં આઠ પાનાં રંગીન - મોટે ભાગે જાહેરખબરનાં છે અને જાહેરખબરો પણ છે એ આનંદની વાત છે. ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત બીજા પ્રધાનોનાં કેરિકેચર સામયિકનાં જુદાં જુદાં પાનાં પર જોવા મળે છે. (અશોકનાં કેરિકેચર મને ગમે છે.)

મેગેઝીનમાં દેવ ગઢવી, જામી, નારદ, વિજય શાસ્ત્રી અને ખુદ અશોકનાં કાર્ટૂન તથા વિનોદ ભટ્ટ, ઉર્વીશ કોઠારી, હરેશ ધોળકિયા, યોગેશ પંડ્યા, વિરલ વસાવડા, પરાગ દવે, વિષ્ણુદાન ગઢવી, વી.ડી., ધીરૂભાઇ સરવૈયા, જયેન્દ્ર સચદે, યશપાલ બક્ષી અને મદનકુમાર અંજારિયાના હળવા લેખ છે.

ગુજરાતમાં હાસ્યનાં સામયિકો ૧૯૩૦ની આસપાસ નીકળતાં હતાં, પણ આઘુનિક જમાનામાં એવાં સામયિકો જોવા મળ્યાં નથી. એવા વખતે ભાઇ અશોકના પ્રયાસને આવકાર અને હજુ વઘુ સજ્જતા-સફાઇની અપેક્ષા. સામયિક વિશે વઘુ જાણકારી મેળવવા ઇચ્છતા રસિકો સંપર્ક કરી શકે છે :
vah.bhai.vah@gmail.com or ashokadepal@gmail.com
(m) 97241 60609