Friday, May 01, 2009

ગુજરાત દિન નિમિત્તે ખાસ

સાંજે તો સાંજે, પણ આટલું મુક્યા વગર ચાલે એમ ન હતું.

ગુજરાતની સ્થાપનાને પચાસમું વર્ષ બેઠું. એ વિશેના બે વિગતવાર લેખ લખી રહ્યો છું. તે અલગથી મુકીશ. પણ ગુજરાતની પચાસીને ‘સ્વર્ણિમ’ કહેનારા ટોળામાં હું નથી. એ સરકારી પ્રયોગ છે. એની ચર્ચા જવા દઇએ. સરકારી શબ્દાવલિઓની શીશી સૂંધ્યા કે સૂંઘાડ્યા વિના મુદ્દા પર આવીએ.

અનોખી ભેટ
ભગવદ્ગોમંડળની સીડી, વિના મૂલ્યે મારા તરફથી નથી, પણ છે બધાના માટે! જેમાં ભગવદ્ગોમંડળ જેવી એન્સાયક્લોપીડિક ડિક્શનેરીના તમામ ભાગ - ચિત્રો સહિત હોય અને એ સીડી, કોઇ પણ જાતની કુપનો ચોંટાડ્યા વિના, સાવ વિના મૂલ્યે મળે એવું સ્વપ્નમાં પણ કલ્પી શકાય?

છતાં સ્વપ્નમાં પણ જે ન કલ્પી શકાય, તેને વાસ્તવમાં સાકાર કરનારા લોકો છેઃ ભાષાપ્રેમી ઉદ્યોગપતિ રતિલાલ ચંદરિયા, તેમના ‘ગુજરાતી લેક્સિકન’ અને ચંદરિયા ફાઉન્ડેશનના સદા-સહયોગી, સ્નેહી અને હવે હું પણ જેમની સાથે દોસ્તીનો દાવો કરી શકું એવા ‘મેગ્નેટ ટેકનોલોજી’ના અશોક કરણીયા. આ કાર્ય અને સીડી વહેંચવાના વિચાર સાથે સંકળાયેલા સૌનો ગુજરાતી ભાષાના પ્રેમીઓ વતી આભાર માનવો જોઇએ. માનું છું.

ભગવદ્ગોમંડળની આખેઆખી સીડી, તદ્દન વિનામૂલ્યે નીચેના સરનામે સવારે ૯ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી રૂબરૂ મળી શકશે.
Magnet Technologies
404-405, Soham-II, Near Navrang School Six Roads,
Navrangpura
Ahmedabad - 380 009
Tel: 079 6513 5400 / 01

મફત ડાઉનલોડ કરવા ઇચ્છતા મિત્રો માટે લિન્ક
http://www.gujaratilexicon.com/index.php?action=downloadshttp://www.bhagwadgomandal.com/index.php?action=download
રૂબરૂ ન આવી શકતા લોકો કુરિયરનો ચાર્જ મોકલીને ઘેરબેઠાં સીડી મેળવી શકે છે.
શું કહ્યું? કુરિયરનો ચાર્જ કેટલો થશે?
કમ ઓન, યાર! થોડી તસ્દી તો લો:-)

(આવા ઉમદા કામમાં આર્થિક સહયોગ કરવા ઇચ્છતા સજ્જનો પણ ગુજરાતી લેક્સિકન કે ભગવદ્ગોમંડળની સાઇટ પરથી અશોક કરણીયાનો સંપર્ક કરી શકે છે.)

દુર્લભ જાહેરખબરો
આજે વર્ષમાં એક દિવસ યાદ કરાતું નામ છેઃ ઇન્દુલાલ યાજ્ઞિક. વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા ઇન્દુચાચા રાજકારણમાં આવતા પહેલાં ફિલ્મલાઇનમાં હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મિત્ર આશિષ વશીએ આજે એ સ્ટોરી પણ કરી છે. વઘુ રસ ધરાવતી ‘પાર્ટીઓ’ને ઇન્દુલાલની આત્મકથા વાંચી લેવા- કે પછી એ ન જ મળે તો આ બ્લોગ પર કહી જોવા- ભલામણ છે. પણ અહીં આજે જે બે ચીજો મૂકી છે, તે દુર્લભ કહેવાય એવી છે. એ ઇન્દુલાલ યાજ્ઞિકની બે ફિલ્મોની જાહેરખબરો છે. માણો!


- અને ફીફાં
શહીદોં કી ચિતા પર લગેંગે હર બરસ મેલે/ વતન પે મરનેવાલોં કા યહી બાકી નિશાં હોગા.
ખરેખર? ઘૂળ ને ઢેફાં.
આજે ગુજરાત દિન. મહાગુજરાતની ચળવળ પોલીસ ગોળીબારમાં વિદ્યાર્થીઓનાં મૃત્યુથી ઊભી થઇ હતી. વિદ્યાર્થીઓની ‘શહીદી’ મહાગુજરાત ચળવળનું સૌથી મોટું ઈંધણ બની. ગુજરાત સ્થપાયા પછી શહીદ સ્મારક કરવું એ ઇન્દુલાલ યાજ્ઞિકનો એક મુખ્ય એજેન્ડા હતો. પણ સ્મારક બની ગયા પછી શું?
સરદાર સ્મારક (ભદ્ર) પાસે આવેલા મહાગુજરાતના શહીદોના આ સ્મારકની આજે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ લીધેલી તસવીર છે. દેખાય છે સમ ખાવા પૂરતું એકેય ફૂલ? ભાજપ-કોંગ્રેસની ઓફિસ આ સ્મારકથી એકાદ કિલોમીટર કરતાં વધારે દૂર નહીં હોય. પણ આવે છે કોઇને યાદ? પચાસ વર્ષ પહેલાં મૃત્યુ પામેલાને યાદ ન કરી શકનારા ગૌરવની કથાવાર્તાઓ કયા મોઢે કરતા હશે? ને આપણે કયા કાને સાંભળતા હોઇશું?

4 comments:

  1. રમેશ અમીન10:20:00 PM

    ખૂબ જ સરસ માહિતી. આભાર.

    ReplyDelete
  2. Urvish,
    We as Indian and particularly Gujaratis, have trend called habit of forgetting things easily and get us entangled in money earnings! So, these politicians take advantage of this and make their life spoiling life of people around. Result? what you have mentioned here.

    ReplyDelete
  3. શહિદ સ્મારકની પાસે દિવા કરી રોજના ચાર પાંચ નરિયેલ ફોડવાનું ચાલુ કરો-બે પાંચ સ્ત્રીઓને ધૂણાવો- ગામમાં અફવા ચાલુ કરી દો શહિદોની બાધા રાખો.મનોકામના પૂર્ણ થશે. સાહેબ, પાંચ વરસમાં તો રસ્તો બંધ કરી મંદીર બાંધવું પડ્શે. લોકો તો લોકો પ્રધાનો પણ લાઇનમાં ઊભા રહેશે.હા.પૈસાની પેટી અચૂક રાખવી.

    ReplyDelete
  4. Salil Dalal8:50:00 AM

    ઇન્દુચાચા ને યાદ કર્યા તે ખૂબ ગમ્યુ.
    તેમનું ફિલ્મોનું કનેક્શન તો પછી ખબર પડેલું.
    મહાગુજરાત જનતા પરિષદે કોગ્રેસનો સમ્પૂર્ણ સફાયો કરી અમદાવાદ કોર્પોરેશન કબજે કરી અને ડૉ.સોમભાઈ પટેલ મેયર થયા ત્યારનાં પેપર હજી સ્મૃતિમાં અકબંધ છેં. જ્યારે લોકસભામાં ચૂંટાયા પછી વડોદરાના જ્યુબીલી બાગમાં ભરાયેલી તેમની સન્માન સભામાં પહેલીવાર સાંભળ્યા ત્યારે બે બાબતો જાણવા મળેલી.
    ઍક તો 'ચાચા'ની સભામાં જાવ તો સિંગ ચણા ખાતાં શરમાવું નહીં, કારણ કે નેતા પોતે જ તે ખાતા હોય!
    અને બીજું કે સભામાં શક્ય હોય તો ભાગી શકાય ઍવી જગ્યા શોધીને બેસવું... કારણ કે ગમે ત્યારે પોલીસ ઉપર પથ્થર મારો થઈ શકે!
    ઍક્વાર જવાહર લાલ નહેરુની સભાને દિવસે ઇન્દુચાચાની સમાંતર સભાહતી
    અને બીજે દિવસનાં પેપરમાં વડાપ્રધાનની સભામાં રીતસરના કાગડા ઉડતા ફોટા હોય અને ઇન્દુચાચાની સભામાં ચિક્કાર મેદનીના ફોટા !
    Socho Thakur!!

    ReplyDelete