Tuesday, January 28, 2014

‘આપ’ની નહીં, આપણી વાત

ક્રિકેટના સ્ટેડિયમમાં કબડ્ડીની રમત માટે તખ્તો ગોઠવાયો હોય, કેમ કરીને ખરાબમાં ખરાબ રીતે એકબીજાની ટાંગખીંચાઇ કરવી, લોકોને મનોરંજન આપવું અને પોતે ટ્રોફી જીતી જવી તેની તૈયારીઓ ચાલતી હોય, ત્યાં અચાનક કોઇ માણસ પોતાની ટીમ સાથે સ્ટમ્પ-બેટ-બોલ લઇને આવી પહોંચે અને જાહેરાત કરી દે કે ‘સ્પર્ધા ચાલુ છે ને વિજેતાને ટ્રોફી મળશે, પણ હવે કબડ્ડીની નહીં, ક્રિકેટની મેચ રમવાની છે.’ તો કેવો ખળભળાટ મચે? કંઇક એવું જ વાતાવરણ દિલ્હીમાં આમઆદમી પક્ષના વિજય અને તેની સરકાર બન્યા પછી ઊભું  થયું.

દિલ્હીનાં પરિણામો પહેલાં લોકસભાનો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ગણાતો હતો. અંગ્રેજીમાં કહે છે તેમ, ડેવિલ એન્ડ ડીપ સી - દૈત્ય અને દરિયા- વચ્ચેની આ પસંદગીમાં નાગરિકો મુંઝાતા હતા. ગાંધી પરિવારના પ્રખર ભક્તો અને એવા જ કટ્ટર મોદીભક્તો સિવાયના સૌ કોઇને આખી સ્થિતિ નિરાશાજનક લાગતી હતી. ક્ષિતિજ પર કોઇ વિકલ્પ દેખાતો ન હતો. સઆમઆદમી પક્ષની જીતથી ઘોર અંધકારમાં પ્રકાશની ટશર ફૂટ્યાનો અહેસાસ થયો. ત્યારથી અત્યાર સુધી એક મહિનાથી પણ ઓછા સમયગાળામાં આશાકિરણો ફરતે વિવાદનાં વાદળ ઘેરાયાં છે. આરોપોનો વરસાદ વરસે છે. ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ના માપે, દરેક આરોપની તીવ્રતા અને ગંભીરતા એકસરખાં દર્શાવાય છે. ધ્રુવપંક્તિ એક જ છે : ‘આવા લોકો સરકારમાં ન ચાલે. આવા લોકો સરકારમાં ન જોઇએ.’

સતત સિદ્ધાંતચર્ચાઓ અને અવનવા આરોપોનો એક મુખ્ય આશય નાગરિકોને સતત ગુંચવવાનો અને તેમને ફરી પાછા ‘મુખ્ય ધારાના’ - એટલે કે કોંગ્રેસી-ભાજપી- રાજકારણ ભણી વાળવાનો હોય, એવી શંકા જાય છે. બસ, એક વાર આમઆદમી પક્ષ લોકોને કોંગ્રેસ-ભાજપ જેવો - બોલીને ફરી જનારો, સ્ટંટબાજ, જૂઠાડો અને સ્વાર્થી - લાગવો જોઇએ.

ગુંચવાડાના આ ઘુમ્મસમાં, એક નાગરિક તરીકે ‘આપ’ પરના આરોપ અને તેમાં રહેલી લોકલક્ષી રાજકારણની શક્યતાઓ વિશે શું સૂઝે છે? વાત આગળ વધારતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લઇએ કે કેજરીવાલ કે તેમનો પક્ષ ‘પવિત્ર ગાય’ નથી. તેમની સાથે અસંમત થઇ જ શકાય. તેમની નીતિની કડક ટીકા પણ થઇ શકે. કેજરીવાલ ઉદ્ધારક નથી. તેમણે ઉદ્ધારક હોવાની જરૂર નથી. સાથે એ પણ યાદ રાખીએ કે આપણે ઉદ્ધારકની નહીં, લોકોની સામેલગીરી ધરાવતી લોકશાહીનો માહોલ ઊભો કરે એવા નેતાની જરૂર છે.

ફૂટપટ્ટી : મારવાની અને માપવાની

કેજરીવાલ અને દિલ્હીની ‘આપ’ સરકારનું બે રીતે મૂલ્યાંકન થઇ શકે : ૧) સ્વતંત્ર રીતે ૨) બીજા હરીફો સાથે સરખામણી કરીને. પહેલાં સ્વતંત્ર મૂલ્યાંકનની વાત કરીએ. સઅરવિંદ કેજરીવાલે રાજદીપ સરદેસાઇ તથા બરખા દત્તને આપેલી (યુટ્યુબ પર ઉપલબ્ધ) મુલાકાતોમાં વીસ દિવસમાં ‘આપ’ સરકારે કરેલાં કામની યાદી આપી છે. તેમાં સ્કૂલોમાં લેવાતાં ડોનેશનની ફરિયાદો માટે સ્થાપેલી હેલ્પલાઇનથી માંડીને દિલ્હીની સ્કૂલોનું ‘મેપિંગ’ કરીને તેમાં લેડીઝ ટોઇલેટની અછત સહિતની કેટલી સમસ્યાઓ છે, તેની વિગતનો સમાવેશ થાય છે. કેજરીવાલનો દાવો છે કે ‘આઝાદી પછી કોઇ પણ ચૂંટાયેલી સરકારે વીસ દિવસમાં આટલું કામ કર્યું હોય તો બતાવો.’ બરખા-રાજદીપ તેનો જવાબ આપી શક્યાં નથી. છતાં, આ વિગતોને ‘કેજરીવાલનું સરકારી વર્ઝન’ માનીને હાલ બાજુ પર રાખીએ અને તેમની સરકાર પર થતા આરોપ વિશે વિચારીએ.

સૌથી મૂળભૂત આરોપ તો કોંગ્રેસનો ટેકો લેવાનો હતો. પરંતુ અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે કોંગ્રેસે પોતાની ગરજે ‘આપ’ સરકારને ટેકો આપ્યો છે. ‘આપ’ કોંગ્રેસની ‘બી ટીમ’ છે, એવો બીજો આરોપ છે. પરંતુ કોમનવેલ્થ કૌભાંડની ફાઇલોથી માંડીને કેન્દ્રિય ગૃહમંત્રી શિંદે વિશે કેજરીવાલની ટીપ્પણી જાણ્યા પછી અને ‘કોંગ્રેસ અમને ટેકો આપવા બદલ બહુ પસ્તાશે’ એવાં કેજરીવાલનાં વચન સાંભળ્યા પછી ‘બી ટીમ’વાળો આરોપ ગળે ઉતરે એવો લાગતો નથી.  સકેજરીવાલને ‘આપખુદ’ કહેનારા ‘બળવાખોર’ ધારાસભ્ય બિન્નીની નિવેદનબાજી પછી વઘુ એક વાર ‘આ સરકાર લાંબું નહીં ખેંચે’ એવો પ્રચાર શરૂ થયો હતો.પણ બિન્નીની બળતરામાં જાહેર હિતને બદલે રાજકારણની રમત હોય એવું વધારે લાગતું હતું. કેટલાક તેને દિલ્હીના ભાજપી નેતા હર્ષવર્ધનની ગાંધીનગરની મુલાકાત સાથે પણ સાંકળતા હતા. હવે એ પ્રકરણ ઠરી ગયું છે અને શક્ય છે કે બિન્ની અત્યારે નવો કયો ફટાકડો ફોડવો તેની બ્રીફ મેળવી રહ્યા હોય.

‘આપ’ના  મંત્રી સોમનાથ ભારતીની મધરાતની કાર્યવાહી અને કેજરીવાલે કરેલા તેમના બચાવ વિશે ઘણો વિવાદ થયો છે. આ બાબતમાં પક્ષાપક્ષીની ચશ્મા ન પહેરીએ તો એટલું સમજાય છે કે ‘રેસિઝમના અને ભારતના આંતરરાષ્ટ્રિય સંબંધો બગાડે એવા’ મુદ્દા તરીકે ચગાવાયેલી આ વાતમાં મસાલો ઘણો  વધારે પડી ગયો છે.  સ્થાનિક લોકોની લાંબા સમયની નિરાશા અને નિષ્ફળ પ્રયાસ પછી મંત્રીએ સ્થળ પર જવું પડ્યું અને તેમણે પોતે કાયદો હાથમાં લીધો નથી, એ બે બાબતો નાગરિક તરીકે યાદ રાખવા જેવી છે. ‘આપ’ના યોગેન્દ્ર યાદવે મંત્રીને બોલવામાં સંયમ રાખવા જણાવ્યું, પણ મતવિસ્તારના લોકોની ફરિયાદના આધારે રાત્રે ને રાત્રે પહોંચી જવાના તેમના પગલાને  પ્રશંસાયોગ્ય ગણાવ્યું. અલબત્ત, આ પ્રકારના કિસ્સામાં ભવિષ્યમાં સ્થાનિક સ્તરે જનસુનાવણી યોજાય અને બન્ને પક્ષોને પોતાની વાત રજૂ કરવાની તક મળે, એવું સૂચન પણ યાદવે કર્યું. તે ભૂલમાંથી શીખવાની દાનત દર્શાવે છે. આ કિસ્સો ટાંકીને ‘કેજરીવાલ પણ બીજા પક્ષોની જેમ પોતાના નેતાઓને છાવરે છે’ એવો આરોપ કરવામાં પ્રમાણભાન ચૂકાતું નથી?

ભારતીના મુદ્દે નિષ્ક્રિયતા દેખાડનારા કેટલાક પોલીસ કર્મચારીઓની બરતરફી અંગે કેજરીવાલની ધરણા-પ્રતિક્રિયા આત્યંતિક લાગી શકે છે. ‘મુખ્ય મંત્રીએ સમાધાનથી નીવેડો લાવવાના પ્રયાસ કરવા જોઇએ’ એવું શાણપણ બોલવામાં સારું લાગે છે, પરંતુ આ પ્રયાસ ક્યાં સુધી કરવા અને એ સફળ ન થાય ત્યાં સુધી થતા નિષ્ક્રિયતાના આરોપોનો શો જવાબ આપવો? એ વિચારવા જેવું છે. અત્યાર લગી એવું જોવામાં આવે છે કે કેજરીવાલ રાજકીય પક્ષો દ્વારા સ્થાપિત દંભી-દોગલી રીતરસમોનો વિરોધ કરે ત્યારે ‘તે બંધારણ અને કાયદાનો વિરોધ કરે છે’ એવી હવા ઊભી કરવામાં આવે છે.

શબ્દાર્થમાં સડક પર ઉતરી આવનાર મુખ્ય મંત્રી તરીકે તેમને  ‘અરાજકતાવાદી’(એનાર્કિસ્ટ) ગણાવાયા છે. પરંતુ પક્ષીય વફાદારીઓ ન હોય તો એટલું યાદ રાખવું પડે કે આ ‘અરાજકતાવાદી’એ આવતાં વેંત પાણી અને વીજળી સહિતના મુદ્દે પોતાની સરકારે આપેલાં વચન પાળી બતાવવા જેટલી ગંભીરતા દાખવી છે. એક મહિનો પણ પૂરો ન થયો હોય એવી ‘આપ’ સરકાર માટે ‘નાપાસ’નાં પ્રમાણપત્રો ફાડવાની આટલી બધી ઉતાવળ શા માટે હોવી જોઇએ? સ‘કેજરીવાલની સાથે નહીં તે એમની સામે છે’- એવી વાત નથી અને ન હોઇ શકે, પણ લોકલક્ષી રાજકારણની માંડ એક આછેરી તક ઊભી થઇ હોય ત્યારે, પ્રમાણભાન ભૂલીને દિવસરાત તેની ટીકામાં રાચવું કેટલું ઉપયોગી છે? અને તેનાથી કેજરીવાલ કે ‘આપ’ કરતાં પણ વધારે લોકતરફી રાજકારણની સંભાવનાઓને કેટલું નુકસાન થશે એ વિચારવા જેવું છે.

ત્રણ પોલીસને સસ્પેન્ડ કરાવવા માટે મુખ્ય મંત્રી ફૂટપાથ પર આવી જાય એ કેટલું યોગ્ય કહેવાય? અને મુખ્ય મંત્રી ક્યાં સુધી  એક્ટિવિસ્ટની ભૂમિકામાં રહી શકે? આ બન્ને સવાલ વાજબી અને શાંતિથી વિચારવા જેવા છે. સ્થળ-સંજોગો-ક્ષમતાની દૃષ્ટિએ કેજરીવાલની ગાંધીજી સાથે સરખામણી ન થઇ શકે. છતાં, લડતની વ્યૂહરચનાની દૃષ્ટિએ વાત કરીએ તો, ગાંધીજીએ મીઠાના વેરાનો મુદ્દો ઉપાડ્યો ત્યારે મીઠું તો નિમિત્ત હતું. કંઇક એવી જ રીતે, કેજરીવાલનો આશય દિલ્હી પોલીસની નિષ્ક્રિયતાના મુદ્દે  ‘બૉસ’ એવી ડાયનોસોર છાપ કેન્દ્ર સરકારને હચમચાવવાનો હોય એવું વધારે લાગતું હતું. તેમાં રાજકારણી કેજરીવાલની ચાણક્યબુદ્ધિ પણ ભળેલી હતી.

રહી વાત બીજા પક્ષો સાથે ‘આપ’ના તુલનાત્મક મૂલ્યાંકનની. ‘આપ’ સરકારે ચાર અઠવાડિયાંમાં જે લોકલક્ષી મિજાજનો પરિચય આપ્યો છે, એવું કોંગ્રેસ-ભાજપની એકેય સરકાર કરી શકી છે?  દલિતોની સમસ્યાથી માંડીને આર્થિક નીતિ અને વિદેશ નીતિ જેવી બાબતોમાં ‘આપ’ની નીતિ હજુ સ્પષ્ટ થઇ નથી. એટલે, ઘણાખરા વિષયોમાં ‘આપ’ કેવું સત્યાનાશ વાળી નાખશે, એવી કલ્પનાઓ કરવા માટે મોકળું મેદાન છે. બાકીના બન્ને પક્ષોની નીતિ પણ આ બાબતે બહુ સ્પષ્ટ નથી અને કેટલીક બાબતોમાં તે સ્પષ્ટ હોય તો તેનો કશો અર્થ નથી. કારણ કે તેમની દાનત સાફ નથી એ અત્યાર સુધીમાં સાબીત થઇ ચૂકેલી સચ્ચાઇ છે. કેજરીવાલ પર એવો આરોપ છે કે તેમને બંધારણીય સંસ્થાઓ પર અવિશ્વાસ છે. દલીલ ખાતર તેને સાચો માનીએ તો પણ, કોંગ્રેસ-ભાજપે બંધારણીય સંસ્થાઓના અવમૂલ્યનમાં કોઇ કસર છોડી નથી. કોંગ્રેસે અને ભાજપે તેમના સંકુચિત- લોકવિમુખ રાજકારણથી દેશને જેટલું નુકસાન કર્યું છે તેનાથી વધારે નુકસાન શક્ય છે ખરું?

વ્યક્તિવાદ કે પરિવારવાદનું રાજકારણ ખેલનારા પક્ષો સામે પહેલી વાર નાગરિકોની વાત કરનાર કોઇ વિકલ્પ ઊભો થતો હોય, ત્યારે તેને સાબીત થવા - કે ઉઘાડા પડવા માટે પણ - પૂરતો સમય ન મળવો જોઇએ? નવી આશા જગાડનારા પરિબળના દિશાસુધાર અંગે  ટીકા થાય તે એક વાત છે, પણ પહેલી તકે તેમનો એકડો સાવ કાઢી નાખવાની ઉતાવળ કોંગ્રેસ-ભાજપના લોકવિમુખ રાજકારણને સમર્થન આપવા જેવી લાગે છે. 

11 comments:

  1. Anonymous3:43:00 PM

    Excellent Analysis.
    --Aam Aadmi of Gujarat.

    ReplyDelete
  2. tatasth aartikal

    ReplyDelete
  3. બહુ લાંબા સમય પછી (કદાચ પહેલીવાર પણ હોઇ શકે), તમને કોઇ રાજકીય પક્ષના મોફાંટ વખાણ કરતાં જોયા. સારી વાત છે. પણ આ વિષય પર બીજા કેટલાક પ્રશ્નો છે, જે અનુત્તર રહ્યાં.

    ૧. કેજરીવાલ માટે 'અરાજકતાવાદી' આ શબ્દ કોઇ વિપક્ષોએ નથી વાપર્યો. કેજરીવાલે પોતાને જ અરાજકતાવાદી કહ્યાં છે. તેઓ પોતાને આમ આદમીના પ્રતિનિધિ તરીકે ગણાવે છે. આમ આદમીની સમજમાં અરાજકતા અને આંધાધૂંધી બન્ને સમાનાર્થી જ શબ્દ છે. આ સમયે જો જનપ્રતિનિધી પોતાને જ આંધાધૂંધી કે અરાજકતાવાદી કહેવડાવે, તે સામાન્ય મનુષ્યને ભય પ્રેરે જ છે.

    ૨. આપે આ આંદોલનને મીઠા સત્યાગ્રહ સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગાંધીજીનો સત્યાગ્રહ જડતા ન હતી. સરકારનું નાક દબાવવા કે અરાજકતા ફેલાવાનો ઉદ્દેશ નહતો. દાંડીકૂચ ચાલુ કરતા પહેલા ગાંધીજીએ પત્ર દ્વારા વાઇસરોયને જાણ કરી હતી. અને વાટાઘાટ દ્વારા આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. 'આપ' દ્વારા આ વિષય પર વાટાઘાટો આરંભ કરવાનો કોઇ પ્રયાસ કરવામાં આવ્યો હોય, તેની મને જાણ નથી. વાટાઘાટની પહેલ પણ જ્યારે આ ધરણાની ટીકા થઇ અને સામાન્ય વ્યક્તિને તકલીફ્ પડી ત્યારે ઉપરાજ્યપાલ દ્વારા કરવામાં આવી. આપનો તેમાં પોતાનું સમર્થન એનકેશ કરવાનો અને પબલીસીટી મેળવવવાનો ઉદ્દેશ નકારી શકાય તેમ નથી.

    ૨. ગાંધીજીના આંદોલનમાં સાધન અને સાધ્યની શુદ્ધી પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આથી જ તેમનું અસહકાર આંદોલન અરાજકતા તરફ વળિ રહ્યું ત્યારે ગાંધીજીએ તેને વાળી લેવામાં સહેજ પણ કચાશ ન રાખી. જ્યારે અહીં આંદોલનના સૂત્રધાર જ પોતાને અરાજક ગણાવતો હતો. કાર્યકર્તાઓમાં શિસ્તનું તત્ત્વ મોટેપાયે ગેરહાજર હતું. આ મુદ્દે તેમની ટીકા કરવામાં આવે તેમાં ખોટું શું છે?

    ૩. એક મહીનામાં પાસ/નપાસનું પ્રમાણપત્ર આપવું ઉતાવળ જ કહેવાય. પણ સામે 'આપે' પણ ચૂંટણીપ્રચાર દરમિયાન એક મહિનામાં પરિવર્તન કરવાના દાવા કર્યા હતાં. ૨૫ ડિસેમ્બરે જનલોકપાલ પાસ કરવાનું કે રાતો રાત સહુને વીજળી, પાણી, દવાખાનાની સેવા પૂરી પાડવાનો દાવો તેમનો હતો. તો પછી પ્રજા તેમની પાસે એનો હિસાબ કેમ ન માંગે? પ્રજાને લોભામણી વાતો કરી છેતરનારી કોંગ્રેસ, ભાજપની યાદીમાં આપને કેમ શામેલ ન કરવામાં આવે? જો આપ અત્યારે એમ કહેતું હોય કે, આ બધા કામ કરવા સમય જોઇએ, તો તેમને પ્રજાને ભ્રામક પ્રચાર કેમ કર્યો? આપે એ જવાબદારી સ્વીકારવા તૈયાર હોવું જોઇએ કે આ વચનો કરવામાં તેમનાથી ભૂલ થઇ ગઇ છે, કે વચન આપતી વખતે તેના પાલન કરવામાં પડનારી મુશકેલીનો તેમને અંદાજ નહતો. તમે આપની ભૂલમાંથી શીખવાની વૃત્તિની પ્રશંસા કરી, પણ હજી આપ આભૂલ માનવ તૈયાર નથી તેનું શું?

    ૪. કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિશે મોટા આક્ષેપ કરનાર કેજરીવાલે સતા મેળવ્યા પછી, 'કોંગ્રેસને છોડવામાં નહીં આવે' તેવા પોકળ દાવા કર્યા સિવાય કશું કર્યું જ નથી. આ ભ્રષ્ટાચારની તપાસ માટે જો સરકાર ગંભીર હોય તો એક મહિનામાં શું પગલાં લેવામાં આવ્યા તેની જાણ પ્રજાને કેમ નથી કરવામાં આવતી? કોઇ તપાસપંચની રચના કરવામાં આવી કે લોકાયુક્તને મામલો મોકલવામાં આવ્યો, પુરાવા એકઠા કરવામાં આવ્યા આવા કોઇ પગલા છેલ્લા એક માસમાં લેવાયા કે નહીં, તે જાણવામાં પ્રજાને રસ હોય તે ખોટું શું છે? અરવિંદ કેજરીવાલના વક્તવ્યને બ્રહ્મવાક્ય ગણી સ્વીકારવા અમે તૈયાર નથી.

    ૫.આપના નેતા દ્વારા મધરાત્રીએ પાડવામાં આવેલી રેડ લોકહીત માટે છે કે લોકરંજન માટે તે ચર્ચાનો વિષય છે. પ્રજા તમારા પગલાનું સમર્થન કરે એટલે તમારું પગલું યોગ્ય છે, આ દલીલ જેમ સરદારના પૂતળાને લાગું પડે છે, તેમ આ રેડને પણ લાગું પડે છે.શું ચૂંટેલા નેતાને કાયદો હાથમાં લેવાનો હક છે? શું પ્રજાના હીતમાં તેઓ કાયદો હાથમાં લઇ શકે? આ વિષયના અત્યંત દૂરોગામી પરિણામ આવી શકે છે. જ્યુડિશિયલ એક્ટિવિઝમની જેમ પોલીટીકલ એક્ટિવિઝમની અતિ પણ નુકસાનકારક છે. કાયદો હાથમાં લેવાને બદલે સરકારે તેનો અસરકારક અમલ થાય તે પર ભાર મૂકવાની જરૂર છે. પણ આપની નીતિ 'હલ્લાબોલ' જેવી વધારે દેખાય છે. વ્યુહરચના અને હલ્લાબોલ વચ્ચે અંતર છે.

    ૬. મહિલાપંચની નોટીસ સામે હાજર થવાને બદલે પતંગ ચગાવા બેસી જવાના કૃત્ય બદલ આપે શું પગલાં લીધાં? તમે નિર્દોષ હોઇ શકો છો, તેનો મતલબ એ નથી કે તમે સંવૈધાનિક સંસ્થાઓની અવગણના કરો. મને તો આ કૃત્ય 'કાયદો આપણા ખીસામાં છે' તેવી નેતાછાપ માનસિકતાનું જ પ્રતિક લાગે છે.

    ૭. અમારા પ્રતિસ્પર્ધીઓ અમારાથી વધારે ખરાબ છે, આ દલીલ કેટલા અંશે યોગ્ય છે? આપે અન્યથી અલગપ્રકારનું રાજકારણ કરવાની આશા આપી હતી. પણ Selection of Bad out of worstની રાજનીતિ ભારતમાં દાયકાઓથી ચાલે છે. આમા આપે 'અલગ' શું કર્યું કે 'પરિવર્તન' શું લાવ્યું?

    ૮. બે વર્ષ પહેલા અરવિંદ કેજરીવાલે ઘરણાને બિનઅસરકારક ગણાવી આપની સ્થાપના કરી હતી. તો અચાનક શું થઇ ગયું કે તેમને પોતાની વાત બદલવી પડી? તેના કારણો આપ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યાં. શું આમુદ્દે તેમની ટીકા ન કરવી જોઇએ?

    ReplyDelete
    Replies
    1. રાજકીય બાબતોમાં તમારો મત અત્યાર સુધીમાં બહુ સ્પષ્ટ થઇ ચૂક્યો છે. એટલે વધુ કશું કહેવાનું રહેતું નથી. બાકી, છેલ્લા ફકરામાં કહેવાનું બધું જ કહેવાઇ ગયું છે.

      Delete
    2. નાગરિકોની વાત કહેનાર આ કંઇ પ્રથમ વિકલ્પ નથી. અત્યારે આપે જનતામાં જે આશાઓ જગાડી છે, તેવી જ આશાઓ ૧૯૭૭માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં થયેલા જનતા આંદોલને જગાવી હતી. જનતાપક્ષના નેતાઓ પણ જેપી, મોરારજી દેસાઇ જેવા ચુસ્ત ગાંધીવાદી અને પ્રામાણિક હતા. પણ, એ આંદોલનની શી નીપજ આવી તે આપણી સામે છે.

      ભાજપ, કોંગ્રેસ બન્નેના મોવડીમંડળે આપનો પ્રભાવ સ્વીકાર્યો છે. તેમનો સાવ એકડો કાઢી નાખવાની વાત નથી. પણ તેઓ જ આપણા એકમાત્ર ઉદ્ધારક છે, અને આપ જે કહે તે સત્ય, તે જ અભ્રષ્ટ એવી અંધશ્રદ્ધાનું વાતાવરણ ઉભી કરવું પણ અયોગ્ય છે.

      Delete
    3. આ ભૂમિકાએથી બોલતાં પહેલાં પક્ષનો કે વ્યક્તિનો પ્રેમ છોડવો પડે. જેટલા તાટસ્થ્ય અને નીરક્ષીરવિવેકથી આપનું મૂલ્યાંકન કરો છો, એ કદી આપણા ગમતા પક્ષ વિશે વાપરવાનો વિચાર આવ્યો છે? ’અંધશ્રદ્ધા’નું વાતાવરણ કયું છે એ તો તમે વધારે સારી રીતે જાણો છો :-)

      Delete
  4. મારા ખ્યાલ પ્રમાણે, કોઇ વિપક્ષી આગેવાને કહ્યું કે 'કેજરીવાલ અરાજકતાવાદી છે' ત્યારે 'હા, હું અરાજકતાવાદી છું' એવો જવાબ એમણે આપેલો. આ વાક્ય સ્વતંત્ર રીતે હોય તો જે અર્થ નીકળે એવો ધ્વનિ પ્રતિભાવરૂપે આવેલા વિધાનમાં ન જોવો જોઇએ. આ વિધાનને સંદર્ભમાંથી ઉખેડીને પત્રકારોએ પેટ ભરીને ચગાવેલું ત્યારે ટીવી ચાલુ હોય ત્યારે ઊકળી ઊઠનારા મારા જેવા હશે જ. યાદ રહે, 'હી ઇઝ અ મૅન ઇન હરી' એમ કહેવાયું ત્યારે એમણે કહેલું કે 'યસ, આઇ એમ ઇન હરી'. કેમ નથી આપણે બધાં 'ઇન હરી?' શું કારણ છે કે 'વી આર નૉટ ઇન અ હરી'? જેને આટલી વ્યાકુળતા હોય એવો મોવડી મળ્યો આખરે તેનો સંતોષ ન પામીએ એવા સંવેદનહીન આપણને બનાવનાર આ પાંસઠ વરસના નીંભર રાજકારણને દોષ દઇએ. હજુ વાયદા પૂરા નથી કર્યા એવી કાગારોળ પણ વિરોધીઓએ મચાવી. એક નવો પ્રયોગ છે, તો થોડી વધુ મુદત આપીએ, ધીરજ રાખીએ. એમની દાનત અને આવડત અંગે નિરાશા વ્યાપવા ન દઇએ. કઠોર ચકાસણી ને કસોટી સાથે ઉદાર સમભાવની અધિકારી આ જમાત છે. બાકી, ભૂલો તો એમના પક્ષે થતી આવી છે, અવશ્ય થતી આવી છે, એમના જૂથમાં કેટલાક શાણાજન છે એમને અસરકારક બનવા દેવા જેટલો સમય અને અવકાશ અનામત રાખીએ. આટલાં વરસો દરમિયાન ઘર કરી ગયેલી આપણી સહનશક્તિને ઢંઢોળનાર આ પરિબળને ઉઝરવા દેવા જેવું છે એટલી સમતા ધરીએ, કદાચ સારાં વાનાં થશે એવી આશા રાખીએ. નઠારાઓને નિભાવી લીધા આટલાં વરસ, તો હવે આ લોકોને પણ થોડી તક આપીએ. એમનો કાન આપણે પકડી શકીએ છીએ. પ્રજા પરત્વે અદકેરી જવાબદારીની પ્રતીતિ કરાવનાર આ મંડળ બીજા રાજકીય પક્ષો કરતા આપણા વિશેષ સમભાવનું અધિકારી ખસૂસ છે.

    ReplyDelete
    Replies
    1. 1.મુખ્યમંત્રી જેવી જવાબદાર વ્યક્તિ ઉકળી ઉઠીને 'કંઇ' પણ બોલી શકે તે ન માની લેવાય. આથી કેજરીવાલે આ વાક્ય પોતાની છાલ છોડાવવા કે ક્ષણિક આવેશમાં બોલ્યા છે તેમ માનવાને કોઇ કારણ નથી. વળી, મહત્વની વાત એ છે કે, આ વિધાન બદલ ના આપે કે કેજરીવાલે કોઇ અફસોસ કે સ્પષ્ટીકરણ આપ્યું નથી. હજી સુધી આ વક્તવ્યને રદીઓ આપવામાં આવ્યો હોય, તેની મને જાણ નથી. એનો અર્થ એમ જ નીકળે કે તેઓ આજે પણ આ વક્તવ્ય સાથે સંમત છે.

      ૨. મુદત આપવા સામે કોને વાંધો છે? ૫ વર્ષ આપ્યા છે, સરકાર બનાવવા. પ્રજાને વાંધો એ છે કે કેજરીવાલે રેઇન્બોની જેમ રાતોરાત પરિવર્તન લાવાના સપના બતાવ્યા હતા. જો તે ભૂલ થઇ હોય, તો કેજરીવાલ તેને કેમ છાતી ઠોકીને કબૂલતા નથી?

      ૩. " એમના જૂથમાં 'કેટલાક' શાણાજન છે. આમાં કેટલાક શબ્દ પર હું ભાર મૂકીશ. આપ સાથે જોડાયેલા બધાને શાણા માની લેવાની જરૂર નથી. અને ફક્ત આપમાં જ શાણા માણસો છે, એ પણ માનવાની જરૂર નથી.

      Delete
  5. નીરવ10:53:00 AM

    કેજરીવાલને સરકાર ચલાવવા માટે પૂરતો સમય આપવો જોઇએ અને આપવો જ પડે.
    'આપ'ને મળેલા પ્રચંડ જુવાળથી ડરીને જ અ.મ્યુ.કો. એ હાલમાં જ પસાર કરેલા બજેટમાં પાણીના મીટર લગાવવાની વાત અભરાઇએ ચડાવી દીધી છે.
    ટોરેન્ટ પાવર પણ જે રીતે અમદાવાદ-સૂરતમાં લોકોને વીજળી બીલોમાં લૂંટી રહ્યું છે તેને ડરાવી-અટકાવી શકનાર માત્ર 'આપ' પાર્ટી જ છે એટલું નક્કી સમજવું.
    કહેવાતા વિકાસના ગાણાં ગાવા કરતાં આવી પાર્ટી લાખ દરજ્જે સારી છે.

    ReplyDelete
  6. ૧. બીજા પક્ષના સમર્થકો અમારાથી વધારે અંધશ્રદ્ધાળું છે, આથી અમારી અંધશ્રદ્ધા પર પ્રશ્ન ન ઉઠાવાય. આ દલીલ કેટલે અંશે યોગ્ય છે?

    ૨. જેમ તમે આપનું સમર્થન કરવા છતા નિષ્પક્ષ મૂલ્યાંકન કરવાનો દાવો કરો છો, તો આ જ દાવો હું કેમ ન કરી શકું?

    ReplyDelete
    Replies
    1. તમારી જોડે ચર્ચા કરવાની આ જ તકલીફ છેઃ તમે નહીં સમજવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છો.
      હું ’આપ’નો એવો સમર્થક નથી, જેવા તમે મોદીના છો. એ માટે તમે ’આપ’ વિશેના લેખો શાંતિથી વાંચતાં સમજાઇ જશે.
      એક સાવ નવા- ઉભરી રહેલા પક્ષ એવા ’આપ’ને પૂરતી સાવધાનીઓ સાથેના મારા સમર્થનમાં અને એક રીઢા, વાજબી કારણોસર વારંવાર વગોવાઇ ચૂકેલા પક્ષના એવા જ નેતાને તમારા ભાવભીના સમર્થન વચ્ચેનો ફરક તમને ન સમજાય તો આપણે બન્ને સમય બગાડીએ છીએ. હવે વધુ નથી બગાડવો.

      Delete