Thursday, January 09, 2014

(ચા-કોફીના) ‘ક્રીમી લેયર’ની સમસ્યા

સોફ્‌ટ ડ્રિન્ક અને ચા-કોફી-દૂધ વચ્ચે સૌથી મોટો તફાવત કયો? એવા સવાલના જવાબમાં આરોગ્યપ્રેમીઓ સોફ્‌ટ ડ્રિન્કના અવગુણ અને ચા-કોફીનું માહત્મ્ય વર્ણવવા બેસી જશે. ચા-કોફીને જંતુનાશક તરીકે વાપરી શકાતાં નથી, જ્યારે સોફ્‌ટ ડ્રિન્કનો આવો હાર્ડકોર ઉપયોગ થઇ શકે છે- એવું પણ તે કહેશે. પરંતુ કોઇ મલાઇત્રસ્તને પૂછતાં એ ઝળહળતા ચહેરે કહેશે, ‘સોફ્‌ટ ડ્રિન્કના સો અવગુણ માફ છે. કારણ કે તેમાં મલાઇ થતી નથી.’

વિજ્ઞાનની પરિભાષામાં મલાઇ ‘ફેટ’ હશે, પણ રાજકીય પરિભાષામાં તેને ‘પોલરાઇઝર’-  ધ્રુવીકરણ કરનારી ચીજ- ગણી શકાય. ચાહનારા તેને ખાવાથી માંડીને ચહેરા પર લગાડવાની હદે પ્રેમકરતા હોય અને  ધિક્કારનારા? મલાઇનાં દર્શન તો ઠીક, તેના ઉલ્લેખ માત્રથી તેમનો જીવ ચૂંથાય છે. ચાહનારા તેને ‘ક્રીમ’ કહીને સુંવાળપનું અને સૌંદર્યનું પ્રતીક ગણે છે, તો મલાઇદ્વેષીઓ તેને લગભગ કસ્તર સમકક્ષ, દૂધની આડપેદાશ નહીં, પણ આડઅસર તરીકે ગણાવે છે.

મલાઇનું અસ્તિત્ત્વ આમ નાજુક, પણ આમ એવું નક્કર હોય છે કે તેની ઉપેક્ષા કરી શકાય નહીં. ચા-કોફીના ઘણા પ્રેમીઓ માટે મલાઇ વિલન (કે વેમ્પ)ની ભૂમિકા અદા કરે છે. હોઠ અને પ્યાલા વચ્ચેનું અંતર સાવ ઓછું થઇ ચૂક્યું હોય, મનમાં ચા-કોફીની વરાળ થકી તેની ફ્‌લેવર પ્રવેશી ચૂકી હોય અને ત્યાં જ છલોછલ કપની ઉપરની સપાટી પર મલાઇનું આવરણ દેખાય એટલે મનમાં ધ્રાસ્કો પડે છે. રાણીવાસમાંથી રણમેદાનમાં ધકેલાતા પૃથ્વીરાજ ચૌહાણની જેમ, મનમાંથી ચા-કોફીની સોડમને ખંખેરી નાખીને મલાઇનો શી રીતે નિકાલ કરવો એ દિશામાં મનને પ્રવૃત્ત કરવું પડે છે.

એક તો ચા-કોફીની મઝા માણવામાં થતો વિલંબ અને તેમાં માથે આવી પડેલી મલાઇ દૂર કરવાની જવાબદારી- એવા બેવડા ત્રાસને કારણે જાતજાતના વિચાર આવે છે. સૌથી પહેલાં ખીજ ચડે કે આ મલાઇ થાય છે જ કેમ? બી વગરનાં ફળ હોઇ શકે, તો મલાઇ વગરનાં ચા-કોફી કેમ નહીં? ક્લોનિંગ કરીને ઘેટાંબકરાં ‘ઉગાડવાને’ બદલે, મલાઇ ન જામે એવું દૂધ આપતી ભેંસ બનાવવામાં સંશોધકો કેમ ઘ્યાન નહીં આપતા હોય? હેર રીમુવરથી માંડીને નેઇલ પોલિશ રીમુવર સુધીના મોજશોખ પાછળ અઢળક મહેનત અને નાણાં ખર્ચાય છે, પણ કોઇને ચા-કોફીના કપમાંથી મલાઇ દૂર કરી શકે એવું ‘મલાઇ રીમુવર’ બનાવવાનું કેમ સૂઝતું નથી?

આવી વિચારશૃંખલા દરમિયાન ચાના કપમાં મલાઇનું પડ વઘુ ઘટ્ટ બને છે.‘ઝડપથી કંઇક કરવામાં નહીં આવે, તો કપમાં રહેલી બધી ચાની મલાઇ થઇ જશે’ એવી આશંકા જાગે છે. એટલે ‘આપણા દેશમાં રીસર્ચનો માહોલ જ ક્યાં છે?’ એવો હળવો નિઃસાસો નાખીને, કપમાંથી મલાઇ દૂર કરવા માટે પ્રવૃત્ત થવું પડે છે. મલાઇપ્રેમીઓને સૌથી પહેલો અને તુચ્છકારમિશ્રિત સવાલ થાય છે ઃ ‘મલાઇ કાઢવાની જરૂર જ શી છે? માનવશરીરમાં જે સ્થાન આત્માનું છે, તે દૂધમાં મલાઇનું કહેવાય. કોઇને પણ- ભલે એ પીણું કેમ ન હોય- આત્માવિહીન કરવાનું પાપ શા માટે વહોરવું જોઇએ?’ પરંતુ મલાઇવિરોધીઓને આઘ્યાત્મિક ચર્ચામાં ખાસ રસ હોતો નથી. કોઇ અઘ્યાત્મરંગી વળી એવું પણ કહી શકે છે કે ‘શાસ્ત્રોમાં તોર(મલાઇ)ને ત્યાજ્ય ગણવામાં આવે છે. તોરવાળું પીણું પીને તોરીલા બની જવાય તો?’

અઘ્યાત્મને બદલે કાયદો-વ્યવસ્થાની રીતે જોતાં સવાલ એ ઊભો થાય છે કે ચા-કોફી ભરેલા પ્યાલામાં ગેરકાયદે દબાણ કરીને - અડિંગો જમાવીને બેસી ગયેલી મલાઇને કપમાંથી હટાવવી શી રીતે?
 કાગળ પર એ કહી દેવું બહુ સહેલું છે કે ‘મલાઇ કાઢવામાં શી ધાડ મારવાની? એક ચમચી મંગાવો અને તેને સીધી કે ઊંધી પકડીને સામેના છેડાથી મલાઇના પડને કપમાંથી એકઝાટકે બહાર ફગાવી દો.’ અથવા ‘એમાં શી મોટી વાત છે? મલાઇ જામી ગઇ હોય એવાં ચા-કોફીને ફરી ગાળી નાખો. વાત પૂરી.’

હા, આ બન્ને વિકલ્પો જરાય અઘરા નથી, પણ મુશ્કેલી એ છે કે મલાઇદ્વેષ કોમી દ્વેષ જેટલી સાહજિક સ્વીકૃતિ પામ્યો નથી. ઉઘાડેછોગ મલાઇ વિરુદ્ધ બોલી શકાતું નથી અને આ દેશમાંથી- એટલે કે આ કપમાંથી- મલાઇને તગેડી મૂકવી જોઇએ, એવી ભાવના સાથે સાંસ્કૃતિક કે રાજકીય સંગઠનો સ્થાપી શકાતાં નથી. એટલે મલાઇ કાઢવાનું કામ મોટે ભાગે છાનગપતિયાંની રાહે અથવા ‘અન્ડરગ્રાઉન્ડ’ ધોરણે, કોઇની નજર ન પડે એમ અથવા નજરો ચુકાવીને કરવાનું થાય છે.

કપમાં જામેલી મલાઇ જોઇને ત્રાસ અનુભવતો માણસ મનોમન વિચારે છે, ‘હું છડેચોક, સરેઆમ કપમાંથી મલાઇ કાઢવાની વાત કરીશ તો કેવું અસભ્ય લાગશે? કદાચ ઠપકો પણ મળે કે ભલા માણસ, શું નાનાં છોકરાં જેવું કરો છો?’ એટલે પહેલા પ્રયાસમાં તે આંખના ખૂણેથી આજુબાજુ જોયા પછી, કપમાં હળવી ફૂંક મારે છે. જોનારને એવું લાગે કે જાણે ગરમ ચા-કોફી ઠંડી કરવાની કોશિશ ચાલે છે, પણ હકીકતમાં મલાઇની ચાદરને એક ખૂણે હડસેલવાનું ઓપરેશન ચાલતું હોય.

મોટા ભાગનાં ઓપરેશનની જેમ આ ઓપરેશનનું પરિણામ પણ આવડત અને સંયોગોની જુગલબંદીને આધીન હોય છે. ફૂંક એટલી હળવી ન હોવી જોઇએ કે મલાઇની ચાદર સહેજ સળવળીને પાછી ગોઠવાઇ જાય. તે એટલી જોરદાર પણ ન હોવી જોઇએ કે મલાઇની ચાદરના તાણાવાણા છૂટા પડી જાય. ક્યારેક એક જ ફૂંકના ધક્કે આખી મલાઇની ચાદર એવી સરસ રીતે સંકેલાઇને, ડાહીડમરી થઇને કપની ગોળાઇના એક ખૂણે ચોંટી જાય છે કે પછી આરામથી ચા-કોફીનો આનંદ લઇ શકાય. પરંતુ આવું ભાગ્યે જ બને છે. મોટે ભાગે, એક-બે ફૂંકથી મલાઇ થોડી સળવળે છે અને પાછી યથાસ્થાને સ્થિર થઇ જાય છે. આ સ્થિતિમાં માણસ સહેજ ઉશ્કેરાય અને જોરથી ફૂંક મારી બેસે તો, મલાઇની આખી ચાદર કપ પર એવી વ્યૂહાત્મક જગ્યાએ આવીને ચોંટી જાય છે કે પછી તેને ટાળવા માટે કપની પકડ બદલીને ચા પીવી પડે. જોનારને તેમાં સ્ટાઇલ લાગે, પણ સમજદારો સમજી જાય છે કે નક્કી કપમાં મલાઇનું તોફાન (સ્ટોર્મ ઇન ટી કપ) જાગ્યું હોવું જોઇએ.

જોરથી ફૂંક મારવાની બીજી સંભવિત અસર તરીકે મલાઇની ચાદરનું અનેક નાના ઘટકોમાં વિભાજન થઇ જાય છે. ત્યાર પછી તેને એક લાકડીએ- કે ચમચીએ- હાંકી શકાતી નથી. કચવાતા મને, ધૂંટડાની વચ્ચે વચ્ચે આવતા મલાઇના નાના ઘટકો ગળતા રહેવું પડે છે અને એ વખતે ચહેરા પર સૌમ્ય ભાવ જાળવી રાખવાની કોશિશ કરવી પડે છે. કડવા ધૂંટડા કરતાં પણ મલાઇવાળા ધૂંટડા ગળવાનું વધારે અઘરું છે એ ત્યારે સમજાય છે. આ શક્યતાઓથી વાકેફ મલાઇદ્વેષીઓ ચા-કોફી ભરેલા કપમાં ફૂંક મારતી વખતે એટલી એકાગ્રતા ધારણ કરે છે કે તે યોગ કરતા હોય એવું લાગે. બન્ને હોઠ સંકોચીને, તેના ગોળ પોલાણમાંથી ચોક્કસ માપની, ચોક્કસ બળવાળી ફૂંક મારતા લોકોને જોઇને લાગે કે આટલી અને આવી ફૂંકો તેમણે કપને બદલે વાંસળીમાં મારી હોત તો એ ‘પંડિત’ બની ગયા હોત.

બધા પ્રયાસ પછી પણ કપમાંથી મલાઇ જતી નથી અને ચમચી મંગાવવા જેટલી નૈતિક હિંમત ચાલતી નથી ત્યારે ‘ઘટ સાથે રે ઘડિયાં’ એવું આશ્વાસન લઇને, મલાઇ આવે ત્યારે નાક બંધ કરીને, ઇષ્ટદેવનું સ્મરણ કરીને તેને ઉતારી જવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી. આવા દરેક પ્રસંગે માણસ ગાંઠ વાળે છે કે ‘આવતી વખતે તો હું શરમ છોડીને ચમચી મંગાવી લઇશ’ પરંતુ ‘આવતી વખત’ કદી આવે છે ખરી? 

1 comment:

  1. Just as there can be BJP and Congress supporters in the same family, you can also witness the spectacle of two brothers rooting for and against the 'cream'. Well, this is from personal experience! What a superb piece!

    ReplyDelete