Wednesday, July 31, 2013

‘ટીકાથી ફાયદો’ : દાગ અચ્છે હૈં ?

અર્થશાસ્ત્રમાં પ્રદાન બદલ નોબેલ સન્માન મેળવી ચૂકેલા પ્રો.અમર્ત્ય સેને એક મુલાકાતમાં સાફ શબ્દોમાં કહ્યું કે એ ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતા નથી. પ્રો.સેનની ટીકાનો મુખ્ય મુદ્દો એ હતો કે લધુમતીના સંરક્ષણ-સલામતીના મામલે મોદી જેવો ભૂતકાળ ધરાવનાર જણ વડાપ્રધાન બને એ તેમને પસંદ નથી. બહુ વખણાતા ‘ગુજરાત મોડેલ’માં શિક્ષણ- આરોગ્ય ક્ષેત્રે ખરાબ સ્થિતિનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.

એ સાથે જ એક જૂની અને જાણીતી દલીલ ફરી થઇ રહી છે ઃ ‘નરેન્દ્ર મોદીની જેટલી વઘુ ટીકા થશે, એટલો એમને વઘુ ફાયદો થશે...વિરોધીઓની કડવી ટીકાથી જ મોદી આટલા મજબૂત બન્યા છે...ટીકાકારો મોદીના સૌથી મોટા તરફદારો છે. કારણ કે તેમના વાંકદેખાપણાએ મોદીને આટલા શક્તિશાળી બનાવ્યા છે.’

વર્ષોથી થતી આ દલીલો એટલી લોકપ્રિય છે કે ભલભલા તેને સાચી માની લેવા પ્રેરાય. પહેલાં રાજ્યસ્તરે અને પછી તેમના પક્ષમાં રાષ્ટ્રિય સ્તરે મોદીનો સિતારો જે રીતે પ્રકાશ્યો છે, એ જોતાં વાતમાં તથ્ય લાગે. પરંતુ શાંતિથી વિચારતાં જણાશે કે આ દલીલ જન્માક્ષરમાં લખાતા જાતકના ભવિષ્ય જેવી સગવડિયા અને ગોળગોળ છે. તેમાંથી ફક્ત મનગમતો ભાગ ગ્રહણ કરવાની માનસિકતા હોય, તો જ એ સચોટ લાગે. બાકી, સાદી સમજણ વાપરતાં તેની સામે અનેક મુદ્દા ઊભા થાય.

ધોરણસરના લોકોની ચિંતા

‘ટીકાથી ફાયદો’ની દલીલ મુખ્યત્વે મોદીતરફીઓ દ્વારા, તો ક્યારેક સ્વસ્થ મઘ્યમમાર્ગીઓ દ્વારા પણ થાય છે. અલબત્ત, એ કરવા પાછળ બન્નેના આશય જુદા હોય છે.

પહેલી વાત ધોરણસરના-સ્વસ્થ લોકોની, એટલે કે એવા લોકોની જે કાયદાના શાસનમાં માને છે, કોમી હિંસાના કોઇ પણ સ્વરૂપના છૂપા કે પ્રગટ સમર્થક નથી, જેમનો દેખીતો કે અણદેખીતો કોઇ સ્વાર્થ નથી, ‘મુખ્ય મંત્રીને મારવા આવ્યા હતા’ એવું બહાનું આગળ ધરીને કરાતાં ખોટાં એન્કાઉન્ટરના જે સમર્થક નથી, જે એટલું પ્રાથમિક જ્ઞાન ધરાવે છે કે ૨૦૦૧ પહેલાં પણ ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસીત રાજ્ય હતું... ટૂંકમાં, આ લોકો એવા છે, જે મુખ્ય મંત્રીના કે તેમનાં નાનીમોટી સાઇઝનાં વાજાંના પ્રચારથી અંજાયા નથી.

આવા ધોરણસરના લોકોને લાગે છે કે ગુજરાતના મુખ્ય મંત્રીની સતત ટીકા કરવાથી તેમને શત્રુભાવે ભજવા જેવું થાય છે. ટીકા હોય કે પ્રશંસા, સરવાળે તે ચર્ચામાં અને સમાચારમાં રહે છે. ઉલટું, વારંવાર તેમની પર માછલાં ધોવાવાને કારણે અમુક વર્ગમાં મુખ્ય મંત્રી માટે સહાનુભૂતિ અથવા કંઇ નહીં તો તેમની ટીકા વિશેની ઉદાસીનતા પેદા થઇ શકે છે. આ લાગણીને પ્રચારબાજ મુખ્ય મંત્રી પોતાની તરફેણમાં પલોટી શકે - સામે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ અને એ પણ ગુજરાત કોંગ્રેસ હોય ત્યારે તો ખાસ.

સ્વસ્થતા જાળવી શકેલા લોકો માને છે કે વારંવાર ટીકાઓ કરીને મુખ્ય મંત્રીને ખોટા ફૂટેજ શા માટે આપવા? તેમને ફાયદો થાય એવી સ્થિતિ પેદા કરવામાં, ટેકેદાર તરીકે નહીં તો ટીકાકાર તરીકે પણ શા માટે નિમિત્ત બનવું? એટલે કે, આવા લોકો મુખ્ય મંત્રીની ટીકાના મુદ્દા  સાથે ઘણુંખરું સંમત હોય છે, પરંતુ તેમને ચિંતા એ હોય છે કે ટીકાનું વાવાઝોડું મુખ્ય મંત્રીને ઊંચે ન ચડાવી દે.

આ વિચારમાં તથ્યનો અંશ હોઇ શકે છે. કોંગ્રેસ કે સમાજવાદી પક્ષ કે બીજા પક્ષો દ્વારા થતી નરેન્દ્ર મોદીની ટીકા મુખ્યત્વે રાજકીય સ્વાર્થપ્રેરિત હોય છે. ગલુડિયા-વિવાદમાં મૂળ મુદ્દો ચૂકી જઇને બીજા જ મુદ્દે કરાયેલી મોદીની ટીકા આ હકીકતનો તાજો નમૂનો છે. દિગ્વિજયસિંઘ પ્રકારની સદા ફૂટ્યા કરતી બંદૂકો હવામાં ગોળીબાર કરીને ઘોંઘાટ પેદા કરે છે, પણ કશું નક્કર નુકસાન કરી શકતી નથી. એવી ટીકાઓથી કદાચ ટીકાપાત્ર વ્યક્તિને થોડોઘણો ફાયદો થાય તો થાય. કારણ કે તેમની દસ ખોટી ટીકા સાથે બે સાચી ટીકાઓને પણ લોકો ગંભીરતાથી ન લે.  

પરંતુ ટીકાથી ફૂટેજ મળી જવાની દલીલ હવેના ઇલેક્ટ્રોનિક મીડિયા-સોશ્યલ નેટવર્કિંગના જમાનામાં બહુ ટકે એવી લાગતી નથી. પ્રસાર માઘ્યમ મર્યાદિત હતાં ત્યારે પ્રશંસા નહીં તો ટીકા માટે, પણ છાપામાં નામ આવે ને પોતાના અસ્તિત્ત્વ વિશે લોકોને જાણ થતી રહે, તો રીઢા નેતાઓ રાજી થતા હતા. આમ, ટીકાથી (અમુક સંજોગોમાં) તેમને ફાયદો થતો હતો. પરંતુ ઇન્ટરનેશનલ પીઆર એજન્સીઓ અને સમાચારોના ખરીદવેચાણના આ યુગમાં કોઇ સ્વાર્થસાઘુ રાજકારણી દેખાતા રહેવા માટે પોતાના ટીકાકારો પર આધાર રાખીને બેસી રહેતો નથી. નેતાશ્રીની કોઇ કશી જ ટીકા ન કરે તો પણ, તે પ્રગટ-અપ્રગટ પીઆર-વ્યવસ્થાઓથી સમાચારોમાં છવાયેલા રહી શકે. વાજબી ટીકા પણ ‘તેમને ક્યાંક ફાયદો થઇ જશે તો?’ એ બીકે ટાળવામાં આવે, તેનાથી તેમની તરફેણનાં પ્રચારયંત્રો અટકવાનાં નથી.

ગુજરાતના મુખ્ય મંત્રી પર ટીકાના મારાથી તેમને ‘ગુજરાતનું અપમાન’ કે ‘ગુજરાતને અન્યાય’નું રાજકારણ ખેલવાની તક મળી એ ખરું. પરંતુ એમાં ટીકાકારોનો વાંક કેટલો? અને પોતાની ટીકાને ગુજરાતની ટીકા ગણાવતા મુખ્ય મંત્રીની ગોળી હોંશેહોંશે ગળી જનારા લોકોની જવાબદારી કેટલી? એ વિચારવા જેવું છે.

કેવળ દલીલ ખાતર ધારી લઇએ કે કોઇ નેતાનાં જૂઠાણાં ચાલવા દેવાથી તેમને ફાયદો થવાનો હોય અને જૂઠાણાંની ટીકાને પણ તે પોતાના લાભમાં વાળી શકવાના હોય, તો નાગરિક તરીકે શું કરવું? સીધી વાત છે : જૂઠાણું ચલાવી લેવાને બદલે, જૂઠાણાંની ટીકાનો વિકલ્પ વધારે ઇચ્છનીય ગણાય. તેનાથી કમ સે કમ, સચ્ચાઇ તો બહાર આવે છે. ભવિષ્યમાં પણ કોઇને જાણવું હોય કે ૨૦૧૩ની કેદારનાથ દુર્ઘટનામાં ગુજરાતના મુખ્ય મંત્રીએ કેટલા ગુજરાતીઓને ઉગાર્યા, તો પંદર હજાર ગુજરાતીઓનો મુખ્ય મંત્રીએ આપેલો આંકડો ચાલવા દેવો? કે ટીકાથી તેમને ફાયદો થવાનું ‘જોખમ વહોરીને’ તેમના નામે ચાલતી પોલ ખોલવી? સ્વાભાવિક છે કે પોલખોલનો વિકલ્પ વધારે સારો અથવા ઓછો ખરાબ ગણાય.

નાગરિકોની જવાબદારી

ટીકાથી મુખ્ય મંત્રીને ફાયદો જ થાય છે, એવું મુખ્ય મંત્રીના પ્રેમીઓ પણ ગાઇવગાડીને કહે છે. આવું કહેનારા પ્રેમીઓનો  પહેલો આશય મુખ્ય મંત્રીની વાજબી-ગેરવાજબી, આત્યંતિક-મુદ્દાસર, રાજકીય-બિનરાજકીય એમ તમામ પ્રકારની ટીકા વચ્ચેના ભેદ ભૂંસીને, ગુંચવાડો સર્જવાનો હોય છે. એમ કરવાથી પોલી ટીકાઓની સાથે નક્કર ટીકાઓને પણ કચરાટોપલી ભેગી કરી શકાય છે.

 ‘ટીકાથી ફાયદો’નો પ્રચાર ટીકાકારોનાં મોં આડકતરી રીતે બંધ કરવાની તરકીબ પણ હોઇ શકે છે. સીધી રીતે ન ગાંઠતા ટીકાકારો આવું કહેવાથી ચૂપ રહેતા હોય તો શો વાંધો? હકીકત એ છે કે મુદ્દાસરની- તથ્ય આધારિત ટીકાથી નુકસાન તો થાય છે. એ નુકસાન બહુમતીકેન્દ્રી લોકશાહીનાં ચૂંટણીપરિણામ બદલી શકે એટલું મોટું હોય કે નહીં, એ જુદી વાત છે. પરંતુ આવી ટીકા નેતાઓને જૂઠાણું ચલાવ્યા પછી જંપીને બેસવા દેતી નથી. એ વિશે પ્રેમીઓ તેમના પ્રિય નેતાના ‘અંતેવાસીઓ’ પાસેથી ખાનગી રાહે વઘુ માહિતી મેળવી શકે છે.

ટીકાથી થનારા ફાયદા-નુકસાનનો સઘળો આધાર કેવળ મુખ્ય મંત્રી પર કે તેમની નીતિના ટીકાકારો પર જ છે, એવું માનવું પણ ખોટું છે. કોમી હિંસા, ન્યાયપ્રક્રિયામાં રોડાં, ‘મુખ્ય મંત્રીની હત્યાના પ્રયાસ’ના નામે થતાં ખોટાં એન્કાઉન્ટર, મહુવા આંદોલન જેવી લોકચળવળ- આ પ્રકારના મુદ્દા અંગે રાજ્યના નાગરિકો કેટલા જાગ્રત અને ખુલ્લા મનના છે, એ પણ મહત્ત્વનું બને છે. પ્રાંતવાદ, અસ્મિતા, હિંદુત્વ, મુસ્લિમવિરોધ, આંતકવાદના મુકાબલાના દાવા, આભાસી બહાદુરી, વિકાસનો ખ્યાલ- આ બાબતો અંગે મુખ્ય મંત્રીની ટીકાથી તેમને ફાયદો થશે કે નુકસાન, એનો આધાર સરેરાશ નાગરિકોની પોતાની માનસિકતા ઉપર પણ રહે છે.

જાગ્રત નાગરિકો ભાજપ-કોંગ્રેસની (ઘણી વાર ફિક્સ્ડ લાગતી) બોક્સિંગ મેચમાં પક્ષકાર બન્યા વિના કે પ્રચારમોહિનીથી અંજાયા વિના સામે આવતાં તથ્યો સાદી ન્યાયબુદ્ધિ કે માણસાઇથી ઘ્યાનમાં લેતા થાય, તો નક્કર ટીકાથી પાકું નુકસાન થાય. પરંતુ જો નાગરિકો ઓછેવત્તે અંશે કોમવાદી માનસિકતા ધરાવતા હોય કે પ્રાંતવાદમાં રાચતા હોય, તો મુખ્ય મંત્રી સહેલાઇથી પોતાની ટીકાને રાજ્યની કે રાજ્યના નાગરિકોની ટીકા તરીકે ખપાવી શકે. કારણ કે, ટીકાને પાત્ર બનેલા મુદ્દે મુખ્ય મંત્રીની અને ઘણા નાગરિકોની માનસિકતા વચ્ચે ખાસ ફરક ન હોય. એવા નાગરિકો મુખ્ય મંત્રીની શૈલીમાં કામગીરીમાં પોતાનાં વિચારસરણી, પૂર્વગ્રહો, કુંઠાઓનું પ્રતિબિંબ જુએ અને એ મુદ્દે તેમની સાથે એકરૂપતા અનુભવે. તેમને મુખ્ય મંત્રીનાં પ્રચારયંત્રો સહેલાઇથી એવું ઠસાવી શકે કે ટીકા ખરેખર મુખ્ય મંત્રીની નહીં, પણ ગુજરાતની કે ગુજરાતના છ કરોડ લોકોની થઇ.

પ્રેમીઓનો વિરોધાભાસ

સર્વોચ્ચ અદાલતનાં નિરીક્ષણથી માંડીને માનવ અધિકાર પંચના અહેવાલ, વડી અદાલતની ટીકાટીપ્પણીઓ, કોમી હિંસા તથા એ સિવાયની બાબતમાં તેમના પર થયેલા આરોપ- ટીકા, નૈતિક જવાબદારીનો મુદ્દો...આ બધાની ઉપરવટ જઇને ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી તરીકે ચૂંટાતા રહે છે. તેનું મનગમતું અર્થઘટન કરીને, ‘દાગ અચ્છે હૈ’ની ભૂમિકા લેતાં મોદીપ્રેમીઓ કહે છે,‘તમે તમારે કરો ટીકા. ગમે તેટલી ટીકા છતાં આજ સુધી તમે એમનો વાળ પણ વાંકો કરી શક્યા છો? તેમને જીતતાં અટકાવી શક્યા છો? દરેક ચૂંટણીમાં તે આરામથી જીત્યા છે. એટલે સાબીત થાય છે કે ટીકાથી એમની લોકપ્રિયતા વધી છે. ક્યૂઇડી.’

આ તર્ક પ્રમાણે, નરેન્દ્ર મોદીની જેટલી ટીકા થાય એટલો તેમના પ્રશંસકોને ચચરાટ નહીં, આનંદ થવો જોઇએ. કારણ કે, એ તો માને છે કે ટીકાથી મોદીને ફાયદો થાય છે. મોદીપ્રેમીઓ ખરેખર તો વઘુ ને વઘુ લોકોને મોદીની ટીકા કરવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઇએ? પરંતુ એવું બનતું નથી. ઉલટું, મોદીની નીતિરીતિની ટીકા કરનારા લોકો માટે તે ‘ગુજરાતવિરોધી ટોળકી’, ‘હિંદુવિરોધી’, ‘સ્યુડોસેક્યુલર’, ‘બૌદ્ધિક બદમાશ’ જેવાં ચુનંદાં વિશેષણ વાપરે છે

- અને આવા દેખીતા વિરોધાભાસ છતાં અપેક્ષા એવી રાખે છે કે ‘ટીકાથી મુખ્ય મંત્રીને ફાયદો જ થાય છે’ એવી તેમની થિયરી સૌ સ્વીકારી લે. 

11 comments:

  1. Anonymous2:34:00 PM

    સોશિયલ મીડિયાના રવાડે ચઢેલી નવયુવાન(ર) સેના, મંદબૌદ્ધિકો, પક્ષનાં ભાડુતી અસામાજિક તત્વો (ગુંડાઓ) વગેરેને માટે ઠીક લખ્યું છે કે, પોતાના સાહેબની ટીકાથી ચચરાટ કેમ થાય છે? ખરેખર જો ફાયદો જ ફાયદો હોય તો ટીકાકારોની આવકારવાની થિયરી સ્વીકારવી જોઈએ.

    ReplyDelete
  2. Anonymous2:38:00 PM

    વધુ એક મુદ્દાની વાત. સાહેબના ભક્તો એન્કાઉન્ટર મુદ્દે બીજાં રાજ્યોમાં તો કોઈ તપાસ થતી જ નથી તેવી દલીલ આગળ ધરે છે. આવા મંદબૌદ્ધિકોએ સમજી લેવું જોઈએ કે, બીજાં રાજ્યોમાં જે કંઈ થયું છે તેના પુરાવા લઈને તમે પણ વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં ધા નાખો. તમને ના કોણ પાડે છે?

    ReplyDelete
  3. સરસ લેખ ..

    ReplyDelete
  4. Anonymous10:53:00 PM

    Height of a novel conscience in the heart of Chief Minister, taking proud of innocence awarded (fixed) by SIT.

    ReplyDelete
  5. Anonymous12:42:00 AM

    Please accept my salute to all "Vidhvaans"

    My First Question is where you(Author) have learned that CM him self or CMO them selft have claimed they rescued 15000 people?

    ReplyDelete
  6. basi answer to the 'first question' :
    you forgot the third 'source' : PR machinery. CM or his office don't have to declare it all the time. it's job of PR people with the approval of their "saheb".
    Btw, Before the claim was falsified, did you hear Mr.Modi denying that calim?

    ReplyDelete
  7. ...અને ટીકાથી સભ્ય, શાલીન અને સ્વચ્છ છબીવાળી વ્યક્તિને નુકસાન જ થાય. તો આમને કેમ ફાયદો થાય છે? આ વાત પેલી થીયરી તરફ લઇ જાય છે. "દુશ્મનનો દુશ્મન દોસ્ત" ભલેને પછી તે ગમે તેટલો હલકટ હોય...!!!

    ReplyDelete
  8. Thums-Up! Undisputed and Fantastic - Bisection and Disection on CRITICISM, even as element for Literature, i think this blog piece of yours should be taken as a CASE STUDY, not only for the students of Political Science, but even Literature for that matter! No Words, beyond this - Urvishbhai, you are simply a maverick, as i read your this blog! Keep it Up, Bro!

    ReplyDelete
  9. Anonymous8:42:00 AM

    100 % agree Urvish bhai.He was Arvind Kejriwal of Aam Aadmi Party who exposed Modi telling that "Modi's Government is Adani's dukan !" ...just before Gujarat Election in December 2012 !

    -Aam Aadmi,Gujarat.

    ReplyDelete
    Replies
    1. ..and He was the Arvind kejriwal who started his AAP for fight against Corruption but later to grab votes of specific community wirtes letter to Muslims of India and calls Batla House encounter FAKE!

      Delete
  10. Urvishbhai,since you indirectly mentioned about Ishrat encounter I wanted to point out one thing.Lets believe that Ishrat & Company didn't come to kill Gujarat CM.But looking at the reality of Ishrat & Company,still they were LeT terrorists.Have you ever mentioned (may be I missed) that Ishrat & Company were Let terrorists and their relations with Let???

    ReplyDelete