Friday, February 24, 2012

ઇરાન વિરુદ્ધ ઇઝરાઇલ-અમેરિકાઃ તનાવ અને તંગદિલી

ગયા સપ્તાહે ભારત સહિત જુદા જુદા ત્રણ બનાવોમાં હુમલાખોરોએ ઇઝરાઇલના અફસરોની હત્યાના પ્રયાસ કર્યા. દિલ્હીમાં ચાલુ ટ્રાફિકે સિગ્નલ પાસે ઊભેલી ઇઝરાઇલી અફસરની કાર પાછળ એક બાઇકસવાર ધસી આવ્યો અને છડેચોક કારની પૂંઠે બોમ્બ લગાડીને જતો રહ્યો. લીલી બત્તી થતાં કાર આગળ વધી અને વિસ્ફોટ સાથે બોમ્બ ફાટ્યો. આ પદ્ધતિ ઇઝરાઇલની જ શોધ છે, જેનો ઉપયોગ તે ઇરાનના પરમાણુવિજ્ઞાનીઓ પર હુમલા માટે કરી ચૂક્યું છે અને હવે ઇરાન એ જ શૈલીમાં વળતા પ્રહાર કરી રહ્યું હોવાનો અંદાજ છે.

સાપ-નોળિયા જેવા કે વાયરસ-એન્ટીવાયરસ જેવા ઇરાન-ઇઝરાઇલના સંબંધ ઘ્યાનમાં રાખતાં નવાઇ હોય તો એટલી જ કે તેમની વચ્ચેની ગરમાગરમી ભારત જેવા ‘મિત્રરાષ્ટ્ર’ની ધરતી સુધી પહોંચી ગઇ. ત્રણ હુમલાની સાથોસાથ ઇરાન તેની પરમાણુ શસ્ત્રક્ષમતાના મુદ્દે પણ ગયા સપ્તાહે સમાચારોમાં રહ્યું, જે ઇઝરાઇલ-અમેરિકા અને ઇરાન વચ્ચેની દુશ્મનાવટનો - અને એ દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાનો-એક મુખ્ય મુદ્દો છે.

પોતપોતાની પીડા

પરમાણુ શસ્ત્રોની અનિચ્છનિયતા અને વિનાશકતાથી માંડીને દેશના ગરીબ નાગરિકોની સુવિધાના ભોગે પરમાણુ શસ્ત્રોની હોડમાં ઉતરવાની છીછરી વૃત્તિ વિશે ભાગ્યે જ બેમત હોય, પરંતુ પરમાણુ શસ્ત્રો બનાવતા દેશોને અમેરિકા ઉપદેશ કે દાટી આપે, એ બંધ આંખે પણ જોઇ શકાય એવો વિરોધાભાસ છે. આખી માનવજાતનો અસંખ્ય વખત નાશ કરી શકાય એટલાં પરમાણુશસ્ત્રોનો ખડકલો ધરાવતું અમેરિકા બીજા દેશોની શસ્ત્રદોડમાં રોડાં નાખે, ત્યારે તેનો મુખ્ય આશય વિશ્વશાંતિનો નહીં, પણ પોતાની અને પોતાના પરમાણુસત્તા તરીકેના દરજ્જાની ચિંતાનો હોય છે.

અમેરિકાની શાંતિની વ્યાખ્યા સગવડીયા અને આર્થિક હિતોના આધારે નક્કી થાય છે. નીદા ફાઝલીનો એક શેર ‘સાત સમંદર પારસે કોઇ કરે વ્યાપાર/ પહલે ભેજે સરહદેં, ફિર ભેજે હથિયાર’ અમેરિકાની વિદેશનીતિને બરાબર લાગુ પડે છે. ચોતરફ દુશ્મન રાષ્ટ્રોથી ઘેરાયેલા અને કાયમ પોતાના અસ્તિત્ત્વની કટોકટી અનુભવતા ઇઝરાઇલને અમેરિકાનો કાયમનો બિનશરતી ટેકો છે, તેનું મુખ્ય કારણ એ નથી કે તેને વિશ્વશાંતિની પરવા છે. પરંતુ ઘરઆંગણે વગદાર યહૂદી લોબીનું દબાણ અને ક્રુડ ઓઇલના ભંડાર જેવા અખાતી દેશોમાં પોતાના વર્ચસ્વની બાદબાકી ન થઇ જાય, એ કારણે તે ઇઝરાઇલને અઢળક આર્થિક મદદ અને શસ્ત્રસરંજામ પૂરાં પાડે છે. (વર્ષ ૨૦૧૧માં અમેરિકાએ ઇઝરાઇલને ૩ અબજ ડોલરની લશ્કરી સહાય પૂરી પાડી હતી.)

ઇઝરાઇલની વાત કરીએ તો, અસ્તિત્ત્વના છ દાયકા પછી પણ તેનો સંઘર્ષ ઓછો થયો નથી. મોસાદ જેવી પરાક્રમી જાસૂસ સંસ્થા અને મક્કમ મનોબળ ધરાવતા નેતાઓને કારણે ભારતમાં ઇઝરાઇલની આક્રમક નીતિનો એવો ચાહકવર્ગ ઊભો થયો છે, જે બન્ને દેશો વચ્ચેના આભજમીન જેવા તફાવતો ગણકાર્યા વિના માને છે કે ભારતે પણ પાકિસ્તાનની બાબતમાં ‘ઇઝરાઇલવાળી’ કરવી જોઇએ. કાલ્પનિક નવલકથાને ટક્કર મારે એવાં મોસાદનાં સનસનીખેજ કારનામાં અહોભાવ ઉપજાવે તેમાં નવાઇ નથી, પણ યાદ રાખવા જેવો બોધપાઠ એટલો છે કે તમામ કાબેલિયત અને હંિસક કાર્યવાહી પછી પણ ઇઝરાઇલને જંપીને બેસવા મળ્યું નથી. તેનું અસ્તિત્ત્વ ટકી રહ્યું છે એ સિદ્ધિ મોટી છે. છતાં છ દાયકા પછી હજુ ક્યાં સુધી એને સિદ્ધિ ગણ્યા કરવી એ સવાલ છે.

દુશ્મનને પાઠ શીખવવાના અને તેને એડી તળે કચડેલો રાખવાના તમામ પ્રયાસ ઇઝરાઇલ કરી છૂટે છે અને તેના પ્રતિભાવ તરીકે આવતાં હિંસક પરિણામો-સામાજિક અશાંતિ વેઠે છે. ઇઝરાઇલની સાદી સમજણ છે કે કોઇ પણ ભોગે દુશ્મન રાષ્ટ્રો પાસે પરમાણુ હથિયારો આવવાં ન જોઇએ. નહીંતર માંડ મેળવેલી યહૂદીઓની ભૂમિનું અસ્તિત્ત્વ મીટાવી નાખતાં દુશ્મન રાષ્ટ્રોને બિલકુલ ખચકાટ નહીં થાય. તેની આ બીક સાવ અસ્થાને પણ નથી. કારણ કે ઇરાનના વર્તમાન પ્રમુખ મહમૂદ અહમદીનેજદ ભૂતકાળમાં ઇઝરાઇલનું નામોનિશાન મીટાવવાની ધમકી ઉચ્ચારી ચૂક્યા છે. ઘરઆંગણે આર્થિક સમસ્યા, હરીફાઇ અને અસલામતીથી પીડાતા અહમદીનેજદ જેવા નેતાની દાટી ઘણી વાર બીજાને બીવડાવવાને કરતાં, ‘આપણે કોઇથી બીતા નથી’ એવું પોતાના લોકોને બતાવવા માટે વધારે હોય છે. છતાં ઇરાન કે ઇઝરાઇલ કોઇ એકબીજાને હળવાશથી લઇ શકે એમ નથી અને બીજા દેશો તેમને સાવ લડતા મૂકીને આંખ આડા કાન કરી શકે એમ પણ નથી.

ઇઝરાઇલઃ આક્રમકતા અને મર્યાદા
પોતાના પાડોશી ઇસ્લામી દેશોની કોઇ પણ લશ્કરી હિલચાલ બાબતે ઇઝરાઇલે બંદૂકનો જવાબ મશીનગનથી આપવાનું ધોરણ રાખ્યું છે. એમાં પણ મામલો પરમાણુહથિયાર બનાવવાની ક્ષમતાનો હોય, ત્યારે ઇઝરાઇલ જવાબી કાર્યવાહીમાં કોઇની પરવા કરતું નથી. (અમેરિકાના છૂપા કે પ્રગટ આશીર્વાદ તેની સાથે સદાય હોવાને કારણે તેને આ પરવડે છે.)

ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની દિશામાં આગળ વઘ્યું તેના દાયકાઓ પહેલાં સદ્દામ હુસૈન શાસિત ઇરાકે પરમાણુશસ્ત્રોનું સ્વપ્ન જોયું હતું. એ માટે અણુરીએક્ટર સ્થાપ્યું હતું, પરંતુ સદ્દામના આશ્ચર્ય અને આઘાત વચ્ચે ૧૯૮૧માં ઇઝરાઇલે એક દુઃસાહસી હવાઇ હુમલા દ્વારા ઇરાકનું અણુરીએક્ટર તોડી પાડ્યું અને ઇરાકના પરમાણુસ્વપ્નને રોળી નાખ્યું. ઇઝરાઇલનો સંદેશો સ્પષ્ટ હતોઃ ‘પરમાણુ હથિયાર સામે જોયું છે તો ખબરદાર! ઇરાકના રીએક્ટર જેવા હાલ થશે.’

લગભગ અઢી દાયકા પછી ૨૦૦૭માં સિરીયાએ ખાનગી રાહે ઉભા કરેલા રીએક્ટર પર મધરાતે ભેદી હુમલો થયો અને રીએક્ટરને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું. હજુ સુધી આ હુમલાનો સત્તાવાર જશ ઇઝરાઇલે લીધો નથી. છતાં, આ તેનું જ કામ હોઇ શકે એવું બધા માને છે.

આ જાતનો ઇતિહાસ ધરાવતું ઇઝરાઇલ એકાદ દાયકાથી જાહેર થયેલા ઇરાનના પરમાણુ સજ્જતા કાર્યક્રમ સામે પગ વાળીને બેસી રહે એ વાતમાં શું માલ છે? પરંતુ હકીકત એ છે કે ઇરાનને પરમાણુ રસ્તેથી પાછું વાળવા માટે ઇઝરાઇલે જે મનસૂબા ઘડ્યા હોય તે, પણ તેમાંથી એકેયનો અમલ થઇ શક્યો નથી. ઇરાનની પરમાણુ સજ્જતા પર થયેલો એક હુમલો યુદ્ધવિમાનો કે કમાન્ડો મિશન દ્વારા નહીં, પણ સ્ટક્સનેટ નામના રહસ્યમય કમ્પ્યુટર વાયરસ દ્વારા થયો હતો.

ચોક્કસ ઝડપે ફેરફુદરડી ફરીને યુરેનિયમનું શુદ્ધિકરણ કરતાં સેન્ટ્રીફ્‌યુજની ગતિ કમ્પ્યુટર નિયંત્રીત હોય છે અને એ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલાં હોતાં નથી. એટલે કે તેમાં ચેડાં કરવાં કે તેનું હેકંિગ કરવું અશક્ય છે. છતાં, ઇરાનના એક પ્લાન્ટમાં પેનડ્રાઇવની મદદથી ફેલાવેલા મનાતા સ્ટક્સનેટ વાયરસની અસરથી સેન્ટ્રીફ્‌યુજની ગતિમાં અનિયંત્રીત વધઘટ થવા લાગી. તેના કારણે (‘ઇન્સ્ટીટ્યુટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી’ના અહેવાલ પ્રમાણે) એકાદ હજાર સેન્ટ્રિફ્‌યુજનો ખુરદો બોલી ગયો છે અને બીજાં પાંચેક હજાર સેન્ટ્રિફ્‌યુજ ચાલુ કરવાનું ટાઇમટેબલ ખોરવાઇ ગયું. ખુદ અહમદીનેજદે પત્રકાર પરિષદમાં સ્વીકારવું પડ્યું કે ‘તેમણે ગોઠવેલા સોફ્‌ટવેર (વાયરસ)ની મદદથી મર્યાદિત સંખ્યામાં અમારાં સેન્ટ્રિફ્‌યુજમાં તકલીફો ઉભી કરવામાં તેમને સફળતા મળી હતી.’

સ્ટક્સનેટ જેવો મહાપેચીદો અને વિનાશક વાયરસ કોણે બનાવ્યો એ હજુ સુધી રહસ્ય રહ્યું છે, પણ સૌથી પ્રબળ શંકા ઇઝરાઇલ-અમેરિકા પર જાય તે સ્વાભાવિક છે. સ્ટક્સનેટની ધારી અસર છતાં વાસ્તવિકતા એ પણ છે કે તેનાથી ઇરાનના પરમાણુ કાર્યક્રમમાં ફક્ત થોડો ઝોલ પાડવાનું જ શક્ય બન્યું છે- તેને સદંતર ખોરવી શકાય એમ નથી.

ઇરાનઃ પહોળો પથારો

ઇરાકના અને સિરીયાના રીએક્ટર પર ઇઝરાઇલના ઘાતક હુમલામાંથી બોધપાઠ શીખીને ઇરાને પોતાની પરમાણુ સજ્જતાને એક જગ્યાએ કેન્દ્રિત રાખવાને બદલે, વિશાળ વિસ્તારમાં વહેંચી દીધી છે. ‘ટાઇમ’ સામયિકના અહેવાલ પ્રમાણે, ઇરાનની પરમાણુ સજ્જતામાં એક યા બીજી રીતે સક્રિય ભૂમિકા અદા કરતાં સ્થળો ૧૩ લાખ ચો. કિલોમીટરમાં પથરાયેલાં છે. એટલે એક જ હુમલામાં તેમનો ઘડોલાડવો કરવાનું અશક્ય છે. કેટલીક મહત્ત્વની સુવિધાઓ ઇરાને ભૂગર્ભમાં રાખી છે, જેમાં એક સેન્ટ્રીફ્‌યુજ યુનિટ એવી રીતે ઊભું કરાશે કે બંકર બસ્ટર બોમ્બ પણ તેને નુકસાન પહોંચાડી ન શકે.

વર્ષો પહેલાં આશરે ૧૫૦૦ કિલોમીટરની દૂરી પર આવેલા ઇરાન પર હવાઇ હુમલા કરવાનું ઇઝરાઇલ માટે શક્ય ન હતું. હવે તેની પાસે આટલું લાંબું અંતર એક ઉડાનમાં કાપી શકે આવાં યુદ્ધવિમાન છે. છતાં, અમેરિકા અને ઇઝરાઇલના સૈન્યવડાઓ એ બાબતે સ્પષ્ટ છે કે હવાઇ આક્રમણ દ્વારા ઇરાનની પરમાણુ સજ્જતા નષ્ટ કરવાનું કામ ઇઝરાઇલી હવાઇ દળ માટે શક્ય નથી. એક સંરક્ષણ નિષ્ણાતે તેના માટે ‘મિશન ઇમ્પ્રોબેબલ’- અસંભવ મિશન- જેવો શબ્દપ્રયોગ વાપર્યો છે. અશક્યને શક્ય કરી બતાવવા માટે જાણીતું ઇઝરાઇલ ઇરાન પર હુમલો તો કરી પાડે, પણ તેની પરમાણુશક્તિનો ખાતમો બોલાવવા માટે દિવસો સુધી વારંવાર હવાઇહુમલા કરવા પડે અને ઇઝરાઇલની એ ક્ષમતા નથી. અમેરિકા પાસે છે એવું અત્યાઘુનિક હવાઇ દળ આ પડકાર ઉપાડી શકે, પણ મંદીમાંથી માંડ પાછા વળી રહેલા અને અફઘાનિસ્તાન-ઇરાકનાં દુઃસાહસોમાં બેવડ વળી ગયેલા અમેરિકા માટે વઘુ એક લશ્કરી કાર્યવાહીનો મતલબ છેઃ આર્થિક પાયમાલીને નોતરુ. સામે પક્ષે, ઇરાનને વિશ્વમતની અવગણના કરીને પરમાણુ સજ્જતા કેળવવાનું મોંધું પડી રહ્યું છે. તેની પર ફટકારવામાં આવેલા આકરા આર્થિક અને બીજા પ્રતિબંધોની ભીંસ ફક્ત નેતાઓને જ નહીં, પ્રજાને પણ અનુભવાય એટલે આંતરિક દબાણ વધવાનું જ છે.

આમ, બળાબળનો મુકાબલો જોતાં અમેરિકા-ઇઝરાઇલ વિરુદ્ધ ઇરાનનું શીત યુદ્ધ બરાબરીનું છે. બન્ને પક્ષો પોતપોતાની બીક છુપાવીને, બહાદુરીનો દેખાવ કરીને એકબીજા સામે ધૂરકિયાં કરી રહ્યા છે. ઇરાન માટે પહેલો ઘા કરવાનો પ્રશ્ન નથી. કારણ કે તે પ્રતિબંધો ઠેકીને પોતાને ઠીક લાગે એ રસ્તે આગળ વધી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાઇલ પહેલો ઘા કરવા આતુર હોવા છતાં, તેનાં અઘૂરાં-અધકચરાં પરિણામો નજર સામે દેખાતાં હોવાથી, તે સમસમીને બેઠાં છે. બાકીનું જગત કંઇક અદ્ધરજીવે આ તાલ જોઇ રહ્યું છે.

7 comments:

  1. ઈરાનને પોતાની વીજળીની જરૂરિયાતને સંતોષવા માટે પરમાણુ ક્ષમતાનો વિકાસ કરવાનો અધિકાર છે. એણે એનપીટી પર પણ સહી કરી છે. હકીકતમાં એને દબડાવવાનાં બહાનાં અમેરિકા શોધે છે.

    પરંતુ ઈરાન એ ઇરાક નથી. ઇરાકમાં સદ્દામ હુસેન પ્રગતિશીલ હોવા છતા, ડિક્ટેટર હતો અને પ્રજા વિભાજિત હતી. બીજી બાજુ ઈરાનમાં દર ચાર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે અને તે પણ બે રાઉંડમાં. પહેલા રાઉંડમાં પચાસ ટકા મત ન મળે તો બે નજીકના હરીફો માટે ફરી મતદાન થાય છે. અહમદી નિજાદ (અથવા નિજાત =મુક્તિ?) આમ બે વાર બીજા રાઉંડમાં જીતીને આવ્યા છે. હું એમનો પ્રશંસક નથી કારણ કે એમને આયતુલાહ ખામેનીનો અને બીજા ધર્મગુરુઓનો ટેકો છે. આને કારણે ત્યાં બીજા અવાજને તક નથી મળતી, એ સાચું; તેમ છતાં ચૂંટણીની પ્રક્રિયાને કારણે લોકોને પોતાનો અવાજ રજુ કરવાની તક મળે છે આમ દેશ પર હુમલો થશે ત્યારે આખી ઈરાની જનતા એક થઈ જશે. અને અમેરિકા-ઇઝરાએલને એ વાતની ચિંતા છે. ત્યાં જો રાજકીય દમન થતું હોત તો એમને ફાવત.

    બાકી ઇઝરાએલની રચના જ પશ્ચિમ એશિયામાં અમેરિકાના પોલીસ આપ તરીકે થઈ છે અને શેઠને જરૂર હશે ત્યાં સુધી વાણોતર પણ સમૃદ્ધ થતો રહેશે.

    સારો લેખ આપવા બદલ આભાર. બાકી આપણે ત્યાં તો એક જ ગાણાં ગવાય છે.તેનાથી કઈંક જુદું વાંચવાનું મળ્યું.

    ReplyDelete
  2. The FoxNewsTV (USA) asked the Iranian President Ahmedinejad,

    'When you look into the mirror in the morning what do you say to yourself'?

    He answered: I see the person in the mirror and tell him 'Remember' you are no more than a small servant, ahead of you today is the heavy responsibility, and that is to serve the Iranian nation'.

    Ahmedinejad, the Iranian President who astonished many when he first reached to the office of the Presidency by donating all the high valued Iranian carpets to one of the mosques in Tehran by replacing them with the low cost ordinary carpets. He observed that there was a huge extravagant lounge for receiving and welcoming the VIPs and he ordered it to be closed and asked the protocol office to arrange for an ordinary room only with wooden chairs.

    On many instances he joins the cleaning staff of the municipality for cleaning the streets in the area where his home and the Presidency are located.

    Under his authority whenever he appoints any minister to his post he gets a signed document from him with many points particularly highlighting that he shall remain poor and that his personal and his relatives accounts will be watched and the day he leaves the ministry shall be with dignity, and therefore it is not lawful for him or his relatives to take any advantage of his office. First of all he declared himself for all the 'Big' wealth and the property he owned was a Peugeot 504 car, model 1977, an old small house inherited from his father 40-years ago in one of the poorest zones in Tehran. His accounts with a zero balance and the only money comes in to his a/c was from his salary from the university as a lecturer with an amount of US$ 250 only...

    For your information the President still lives in that same house.. This is all what he owns; the president of one of the world's important countries; strategically, economically, politically and with regard to its oil and defense. He even doesn't take his personal salary with the argument that all the wealth belongs to the nation and he is the safeguard over it..
    One of the things that impressed the staff at the presidency is the bag the President brings with him every day, which contains his breakfast; some sandwiches or bread with olive oil and cheese prepared by his wife and eats and enjoys it with all happiness.

    One of the other things he changed was his personal carrier 'the President's Aircraft' to a cargo aircraft in order to save the spending from the public treasury and he ordered that he will be flying with the ordinary airline in the economy class.. He organizes meetings every now and then with all the ministers to know their activities and efficiency and he closed down the office of the Manager of the president and any minister can enter to his office without any permission. He also stopped the welcome ceremonies like the red carpet, the photo session or any personal advertisement or respect of any kind while visiting any place in the country.

    Whenever he has to stay in any of the hotels he asks them to make sure not to give him a room with any big bed because he doesn't like to sleep on beds but rather likes to sleep on the floor on a simple mattress with a blanket.
    The Iranian president is sleeping in the guest room of his house after getting away from his special guards who follow him wherever he goes and photo is taken by his small brother according to the Wifaq Newspaper which published his photo and the next day the photo was published in most of the world's newspapers and magazines and particularly the Americans. During the prayer he is not sitting in the first row. his dining room where the president is eating his simple meal.

    Try comparing this with the emoluments and privileges our ministers get ..... plus the amount they loot

    How many of our Presidents, PMs, Ministers & politicians enjoy(?) such a life!!!

    ReplyDelete
    Replies
    1. અદ્ભુત વિવરણ ... શેર કરવા બદલ આભાર .

      Delete
  3. 'પડોશન'માં ગુરૂજી [મહેમુદ] ભોલા [સુનીલ દત્ત] સાથે આ જ રી તે બાથ ભીડાવે તો છે, અને કહે છેઃ 'આગે મત આના', ભોલો તો આગળ મકકમ કદમ ભરતો જ રહે છે. છેવટે, ગુરૂજી દમ ભરાવે છે કે, 'ઔર આગે બઢે ... તો ........ હમ પીછે હટ જાયેંગે'.
    અને તેમ છતાં સુંદરીને પાણીમાં પડીને બચાવવી પડે તો શાબાશીઓનો દૌર પૂરો થાય ત્યારે પૂછવું ય પડે કે,' અલ્યાઓ, એ તો કહો કે ધક્કો કોણે માર્યો હતો?'

    ReplyDelete
  4. જો ઈરાન તેના પરમાણું રીએક્ટર વીજળી અને બીજા કોઈ સારા હેતુ થી બાંધતું હોય તો કદાચ કોઈ દેશ ને વાંધો ન હોઈ શકે.કદાચ તેને અમેરિકા અને બીજા કોઈ દેશ થી ખુબ મોટો ખતરો હોય તો તેના બચાવ માટે તેને પરમાણું શસ્ત્રો વિકસાવવાનો અધિકાર પણ છે.પણ સાથે વિશ્વની બીજી પ્રજાનો પણ એ અધિકાર છે કે તે કોઈ આતંકવાદી નાં હાથમાં ન આવે.જો ઈરાક ભારતમાં આવી ઇઝરાયલના દુતાવાસ પર હુમલો કરે તેમાં કોઈ ભારતીયને નુકશાન નહિ થાય એવું નથી.ઇસ્લામિક રાષ્ટ્રોમાં કટ્ટરવાદ વધુ છે તેથી વિશ્વને ત્યાં પરમાણું તાકાત ઉભી થાય તેના થી ડર લાગે છે.

    ReplyDelete
  5. it's good, urvish, that you allowed space for thesisbinding's comment which is almost as big as your post. i liked both.

    ReplyDelete
  6. પરમાણુ ટેકનોલોજી એ કોઈ દેશનો ઈજારો ના હોઈ શકે. જે દેશ પોતે તે ટેકનોલોજી ધરાવે છે તે બીજાને કેમ કરી ને રોકી શકે (એ પણ ગેરકાયદેસર નિયંત્રણો લાદી ને ). ઇઝરાયેલ જેવો ટચુકડો દેશ અણુ શસ્ત્રો ધરાવી શકે તો ઈરાન કેમ નહિ. યાદ રહે કે અણુ શસ્ત્ર એ માત્ર સ્વ બચાવ માટે હોય છે જેથી કોઈ દેશ હુમલો ના કરી શકે અણુ શસ્ત્ર ના ડરથી.

    ReplyDelete