Wednesday, February 08, 2012

ગાંધીયુગમાં મોબાઇલ ફોન હોત તો?

ગાંધીજી વિશે થતાં લખાણ-ચર્ચા-પુસ્તકો-સેમિનાર તેમના મૃત્યુના છ દાયકા પછી પણ ઘટ્યાં નથી. બીજું કંઇ ન સૂઝે તો ‘વર્તમાન સમયમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા’ કે ‘એકવીસમી સદીમાં ગાંધી’ જેવી, હાથવગી છતાં આયોજકોને કંઇક નક્કર કર્યાનો સંતોષ આપતી- અપરાધભાવમાંથી ઉગારી લેતી કલ્પનાઓ ક્યાં નથી? કલ્પનાઓના જોરે ગાંધીજી પર માર્કેટિંગ ગુરુથી માંડીને કમ્યુનિકેશન ગુરુ જેવી અનેક ભૂમિકાઓનું આરોપણ પર કરવામાં આવે છે. ગાંધીજીએ કમ્પ્યુટરનો વિરોધ કર્યો હોત કે તેને અપનાવ્યું હોત, તેની ચર્ચા પણ ક્યારેક થાય છે. પરંતુ ગાંધીજીના સમયકાળમાં મોબાઇલ ફોન હોત તો? એ વિશે ખાસ કામ થયું હોય એવું લાગતું નથી. અટકળના એ પ્રદેશમાં થોડાં ડગલાં.
***

એક વાત તો નક્કી છે કે ગાંધીજીએ કોઇ કંપની સાથે સોદો પાડીને તેમના તમામ અંતેવાસીઓ અને સાથીદારોને સીયુજી સ્કીમ પ્રમાણે મોબાઇલ અપાવી દીધા હોત. અલબત્ત, દરેકે હેન્ડસેટથી માંડીને માસિક બિલની રકમ જાતે ચૂકવવાની રહેત. સાબરમતી આશ્રમ કે કોંગ્રેસમાંથી તેનો ખર્ચો પડાયો ન હોત.

‘મારો એસ.એમ.એસ. એ જ મારો સંદેશ’ એવા વિધાન સાથે તેમણે પોતાના સાથીદારોને મોબાઇલનો મહત્તમ ઉપયોગ એસ. એમ. એસ. માટે કરવા જણાવ્યું હોત અને કહ્યું હોત કે ‘ફોન પર વાત કરીને આપણાં કાન અને ગળાં બગાડવાનો આપણને અધિકાર નથી. કારણ કે એ આપણી નહીં, પણ દેશની મિલકત છે.’ મોબાઇલ કંપનીઓ દ્વારા અપાતી જથ્થાબંધ એસ.એમ.એસ.ની સ્કીમની શરૂઆત જ કદાચ ત્યારથી થઇ હોત. ગાંધીજીએ કંપનીઓને સૂચવ્યું હોત કે બિલના બદલામાં એટલી રકમનું કાંતેલું સૂતર જમા કરાવવાની વ્યવસ્થા કંપનીઓએ માન્ય રાખવી જોઇએ.

સ્વાભાવિક છે કે વિદેશી કંપનીઓમાં દેશભાવના નહીં હોવાને કારણે તેમણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હોત. જમનાલાલ બજાજ કે ઘનશ્યામદાસ બિરલા જેવા કોઇ સ્વદેશી ઉદ્યોગપતિએ મોબાઇલના વ્યવસાયમાં ઝંપલાવવાનો ઇરાદો જાહેર કરીને, તેને ગાંધીચીંઘ્યા માર્ગે ચલાવવાની જાહેરાત કરી હોત. બજારમાં આવનારી સ્વદેશી કંપનીઓના સંચાલકોને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું હોત, ‘જાતે કાંતેલા સૂતરનું મૂલ્ય આંકવામાં તેમારો ગજ કદી ટૂંકો ન પડો.’

સત્યાગ્રહના ભાગરૂપે ઉત્સાહી યુવાનો જાનનું જોખમ વેઠીને મોબાઇલ કંપનીઓના ટાવર પર ત્રિરંગો ફરકાવવા જતા હોત અને બહેનો હેન્ડસેટનાં વિદેશી મોડેલ વેચતી દુકાનોની બહાર પિકેટિંગ કરતી હોત. કેટલાક ગાંધીવાદીઓએ સૂચવ્યું હોત કે દારૂબંધીની જેમ મોબાઇલબંધી પણ જાહેર કરવી જોઇએ. કારણ કે તેનાથી પ્રજાની નૈતિકતાનું અધઃપતન થાય છે. પરંતુ આ વાત સરદાર પટેલ જેવા કોઇકે ગાંધીજી સમક્ષ હસતાં હસતાં રજૂ કરી હોત અને ગાંધીજીએ તેને હસીને ઉડાડી દીધી હોત. એ અંગેનું પોતાનું એસ.એમ.એસ. દ્વારા જ અખબારોને મોકલવા તેમણે મહાદેવભાઇને કહ્યું હોત. સાથોસાથ, ‘ખાસ કામ વિના મોબાઇલ પર વાતચીત કરવી એ જંગલીપણાની નિશાની છે’ એવું કોઇ વાક્ય પણ તેમણે ઉમેરાવ્યું હોત.

મોબાઇલ ફોન પર રીંગટોન તરીકે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ રાખવાની સાત્ત્વિક ફેશન ચાલી હોત. તેને અવિચારી ગણાવીને ગાંધીજીએ કહ્યું હોત કે રીંગટોન તરીકે એવાં ગીત રાખવાં જોઇએ, જે વાગે એટલે તેમને પહેલામાં પહેલી તકે બંધ કરવાની ઇચ્છા થાય. સરદારે એ માન બ્રિટનના ‘ગોડ સેવ ધ કિંગ’ને આપવાનું સૂચવ્યું હોત.

મોબાઇલનો સૌથી વઘુ કસ એસ.એમ.એસ.થી કાઢવાના આશયથી ગાંધીજીએ તે સુવિધાને બને એટલી સરળ બનાવવા ઝુંબેશ ઉપાડી હોત. ‘કોશિયો પણ ગુજરાતીમાં એસ.એમ.એસ. કરી શકવો જોઇએ’ એવું તેમનું ધોરણ માન્ય રાખીને મોબાઇલ કંપનીઓએ કી-બોર્ડ પર ગુજરાતી અક્ષર ધરાવતાં અને વોઇસ એક્ટિવેશન - બોલીને પણ નંબર લગાડી શકાય-મેસેજ કરી શકાય એવી સુવિધાવાળાં- મોડેલ મૂકવાં પડ્યાં હોત. વોઇસ એક્ટિવેશન સુવિધાનો એક ફાયદો એ થાત કે ચરખો કાંતતી વખતે પણ એસ.એમ.એસ. કરી શકાત. ભીની માટી વડે મોબાઇલ ફોનનું ચાર્જિંગ કરી શકાય કે કેમ, એ વિશે ગાંધીજીની દેખરેખ તળે આશ્રમમાં પ્રયોગો થતા હોત. ગાંધીજીના પ્રિય ત્રણે વાંદરાના હાથમાં એક-એક મોબાઇલ હોત, જે ‘ખરાબ એમ.એમ.એસ. જોવા નહીં, ફોન પર ફાવે તેમ બોલવું નહીં અને ગમે તેવું સાંભળવું નહીં’ એવો સંદેશો આપતા હોત.

સોમવારે મૌનના દિવસે ગાંધીજી પરબિડીયાંના કોરા ભાગની ચબરખીઓ પર લખવાને બદલે, મોબાઇલના સ્ક્રીન પર લખીને પોતાની વાત રજૂ કરતા હોત, પણ સામેનો માણસ એ જ રીતે મોબાઇલ સ્ક્રીન પર પોતાનો જવાબ લખવા બેસત ત્યારે ગાંધીજી તેમને યાદ કરાવત કે ‘મૌન મારે છે, તમારે નહીં.’ સંદેશા વ્યવહારમાં મોબાઇલ ફોનથી ગાંધીજી એટલા ટેવાઇ ગયા હોત કે નક્કી થયેલા સમયે સાથીદાર કે તેમનો સંદેશો ન આવે તો એ કહેત,‘નક્કી તે ગંભીર બિમારીમાં પટકાયા હશે અથવા તે એવી કોઇ જગ્યાએ હશે કે જ્યાં ટાવર પકડાતો ન હોય અથવા તેમના ફોનની બેટરી ઉતરી ગઇ હશે. બાકી આવું બને નહીં.’

નાણાં અને સમય બચાવીને અસરકારક સંદેશાસુવિધા પૂરી પાડતા મોબાઇલ માટે તેમણે કહ્યું હોત, ‘મારા જેવા લાખોનો ભલે ક્ષય થાય, પણ મોબાઇલની બેટરીનો કદી ક્ષય ન થજો.’ મોબાઇલના નિયમિત ચાર્જિંગ માટેની તેમની સમયપાબંદી દંતકથાનો વિષય બની હોત અને જે રૂમના પ્લગમાં તેમનો મોબાઇલ નિયમિત રીતે ચાર્જ કરવા મૂકાતો હોત તે જગ્યા ‘ચાર્જિંગમંદિર’ તરીકે ઓળખાતી હોત.

બહાર જતી વખતે અથવા મહાદેવભાઇ સાથે ન હોય ત્યારે ગાંધીજી કેડે ઘડિયાળને બદલે મોબાઇલ ફોન લટકાવેલો રાખતા હોત. જવાહરલાલ તેના માટે રેશમી ખાદીનું ફેન્સી કવર લાવ્યા હોત તો ગાંધીજીએ ‘મારા ફોન કરતાં તમારું લાવેલું કવર વધારે મોંધું છે. એ તમે મારા તરફથી ઇન્દુને આપી દેજો’ એવું કહીને પાછું વાળ્યું હોત. ભવિષ્યમાં ઇન્દુને ઇંદિરા ગાંધી તરીકે દેશમાં કટોકટી જાહેર કરતો એસ.એમ.એસ. કરવાનો થાત ત્યારે મેસેજ મોકલી દીધા પછી એ મોબાઇલ ગાંધીજીએ આપેલા કવરમાં મૂકી દેવાથી તેમના (ગાંધીજીના નહીં, ઇંદિરા ગાંધીના) જીવને જરા સારું લાગ્યું હોત.

ગાંધીજીનો મોબાઇલ મોટે ભાગે મહાદેવભાઇ પાસે રહેતો હોત. ‘મહાદેવભાઇ પાસે તેમનો અલગ મોબાઇલ હોવો જોઇએ’ એવી રજૂઆત કોઇએ ગાંધીજી પાસે કરી હોત તો એ કહી દેત,‘એને વળી મોબાઇલની શી જરૂર? હું જ એનો મોબાઇલ છું.’ પણ એ જ ગાંધીજીએ બ્રિટનની મુલાકાત વખતે સારા મોડેલનો- ઝડપથી એસએમએસ ટાઇપ થઇ શકે એવું કી પેડ ધરાવતો- મોબાઇલ મેળવીને મહાદેવભાઇને આપ્યો હોત. ગાંધીજીના મોબાઇલ ફોનમાં મેસેજ મોકલવા માટેની તૈયાર ટેમ્પ્લેટમાં ‘બાપુના આશીર્વાદ’, ‘તબિયતનું ઘ્યાન રાખજો’, ‘ઇશ્વર સુઝાડે તેમ કરવું’ જેવા શબ્દગુચ્છ મહાદેવભાઇએ કરી રાખ્યા હોત.

ગાંધીજીની લોકપ્રિયતા જોઇને મોબાઇલ ફોન કંપનીઓએ એવી ખાસ વ્યવસ્થા ગોઠવી હોત કે કોઇ માણસ પાસે ગાંધીજીનો મોબાઇલ ફોન નંબર ન હોય અને એ સ્ક્રીન પર મેસેજની જગ્યાએ ગાંધીજીનું નામ ટાઇપ કરીને ‘કોલ’નું બટન દબાવે, એટલે ગાંધીજીને ફોન લાગી જાય. તેને કારણે ગાંધીજી એટલા વ્યસ્ત રહેતા હોત કે કસ્તુરબાને તેમની સાથે વાત કરવી હોય તો એ પણ કોઇ આશ્રમવાસીના ફોન પરથી બાપુને કોલ કરતાં હોત. અલગ મોબાઇલ મેળવવા માટેનો પોતાનો કજિયો પૂરો ન થવાને કારણે હરિલાલ બળવાખોર બની ગયા હોત અને ફક્ત ગાંધીજીને દુભવવાના આશયથી કોઇની મોબાઇલ શોપમાં તે ભાગીદાર બની ગયા હોત અથવા કોઇ મોબાઇલ ફોન કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનીને મોંઘાદાટ સ્માર્ટફોનની જાહેરખબરમાં દેખાતા હોત. એ જોઇને ગાંધીજીએ ‘મારી શરમે કે મારા નામે કોઇએ આ ફોન લેવા નહીં’ એવા મેસેજ બલ્કમાં કરાવ્યા હોત.

ગાંધીજીની હત્યા વખતે તેમની કમરે લટકતો મોબાઇલ ફોન ઐતિહાસિક બની ગયો હોત. તેને એકાદ મ્યુઝિયમમાં રખાયો હોત અને દરે થોડાં વર્ષે એવું કહેવાતું હોત કે ‘આ ફોન પાછળથી ખરીદેલો - બનાવટી- છે. અસલી ફોન તો ક્યારનો વેચાઇ ગયો.’

ગાંધીજી જે કંપનીનો ફોન વાપરતા હતા, એ કંપનીનો ફોન રાખીને - ફક્ત એટલા જ કારણથી- ઘણા લોકો પોતાની જાતને ગાંધીવાદી તરીકે ઓળખાવતા હોત અને ‘સામાન્ય લોકોએ બીજું કંઇ ન થાય તો છેવટે ‘વૈષ્ણવજન’નો રિંગટોન રાખીને ગાંધીના પગલે ચાલવું જોઇએ’, એવો ઉપદેશ ઠાવકા મોઢે આપતા હોત.

4 comments:

  1. ૧) હિંદુસ્તાનના ભાગલા વિષે તેમણે કહ્યું હોતઃ- આ ભાગલા પહેલા તમારે મારા મોબાઈલના કટકા કરવા પડશે...
    ૨) કદાચ ઉપવાસ/અનશનના બદલે જ્યાં સુધી સમસ્યાનું તેમનું ધાર્યું પરિણામ ન આવે ત્યાં સુધી તેમણે એસ.એમ.એસ. નો ત્યાગ કર્યો હોત...
    ૩) અધુરા/ખોટા સ્પેલિંગ કે ગુજરાતીની ખોટી જોડણીને તેમણે અધુરી કેળવણીની નિશાની કહી હોત; અને સાર્થ જોડણીકોશ પછી તેમણે મોબાઈલ કંપનીઓને કહ્યું હોત કે ખોટા શબ્દોવાળો સોફ્ટવૅર નાખવાનો હવે કોઈને અધિકાર નથી...

    ReplyDelete
  2. ઉત્કંઠા9:44:00 PM

    ખૂબ સરસ.. :) ગાંધીજીની દરેક બાબતને અને તેમણે કહેલાં દરેક વિધાનને મોબાઈલ સાથે સરસ રીતે સાંકળી લીધાં છે.. મહાભારત અને ફેસબુકની યાદ આવી..

    ReplyDelete
  3. Anonymous2:06:00 PM

    Gandhi-G na Hath Ma MoibleWala Putla Jova malat, Lakdiwala Nahi.
    - Kamlesh D. Dholakia

    ReplyDelete