Monday, June 29, 2009

‘ગુજ્જુ’ સિરીયલોઃ લાગણી, બુદ્ધિ અને ‘અસ્મિતા’

ઘણા વખતથી મનના ખૂણે ફાંસની જેમ પેઠેલા મુદ્દા વિશે ગયા અઠવાડિયે બે કટારલેખક મિત્રો જયેશ અધ્યારુ અને જય વસાવડાએ અનુક્રમે બુધવારની ભાસ્કરની પૂર્તિમાં અને રવિવારની ગુજરાત સમાચાર પૂર્તિમાં લખ્યું છે. ચર્ચાનો મુદ્દો એ કે કેટલીક સિરીયલ (‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’- ‘મણિબેન ડોટકોમ’ અને ત્યાર પહેલાંની ઘણી) ગુજરાતીઓને બહુ ડફોળ બતાવે છે, સ્ત્રીને ‘બબૂચક’ ગણવાથી માંડીને અનેક પ્રકારના ભયંકર બીબાં/સ્ટીરીયોટાઇપિંગ મગજ ત્રાસી ઉઠે એ હદે ઘૂંટવામાં આવે છે. અને આ કરનારા ઘણાખરા ગુજરાતીઓ હોય છે. તો ગુજરાતી તરીકે આપણું વલણ શું હોવું જોઇએ?

જયેશ અધ્યારુએ આરોપનામું રજૂ કર્યું હતું, જય વસાવડાએ લાગણી દુભાવાની બૂમો પાડનારાને ઝાટકીને તેમની પર આરોપનામું મૂક્યું છે. તેની વિગતમાં ઉતરવાને બદલે, મને જે લાગે છે તે-
  • લાગણી દુભાવાની બૂમો પાડીને પૂતળાં-નનામી બાળવાં કે કોર્ટમાં કેસ માંડવા એ આત્યંતિકતા છે. પ્રસિદ્ધિ કમાઇ લેવાનો ધંધો પણ ખરો. લાગણીદુભાવ કંપનીઓ જેટલી ઝડપથી પ્રકાશમાં આવે છે, એના કરતાં વધુ ઝડપથી અદૃશ્ય થઇ જાય છે. એટલે, કોઇ બાબતથી ‘મારી લાગણી દુભાઇ છે’ એમ કહી દેવું અને તેના ટેકામાં અષ્ટમપષ્ટમ અસ્મિતાનાં કારણો રજૂ કરવાં એ ઠીક લાગતું નથી.
  • ચચરાટ પહોંચાડે અને ખીજ ચડાવે એવી બાબતમાં લાગણી ન દુભાવા દેવી, એનો અર્થ એવો નથી કે બુદ્ધિ પણ ન દુભાવા દેવી. સિરીયલોમાં ગુજરાતી સહીત તમામ પ્રાંતના લોકોનું જે હદે સ્ટીરીયોટાઇપિંગ થાય છે, તેનાથી લાગણી ન દુભાવા દેવી તે એક વાત છે, પણ તેને ‘સેન્સ ઓફ હ્યુમર’ના નામે વધાવી લેવું એ બીજો અંતિમ છે.
  • મહેમૂદની ‘મદ્રાસી’ કોમેડીથી દુભાઇને કોઇ દક્ષિણ ભારતીય કેસ ભલે ન કરે, પણ જો તેની સૌંદર્યબુદ્ધિ અને સાદી બુદ્ધિ ઠેકાણે હોય તો તેને સખત ખીજ તો ચડવી જ જોઇએ. એવું પણ થવું જોઇએ કે મહેમૂદ એક વાર સામે મળી જાય ને તો ફેંટ પકડીને પૂછવું છે... એવું જ ગુજરાતી અને બીજાં સ્ટીરીયોટાઇપિંગનું.
  • ગુજરાતીઓના ભદ્દા ચીતરામણને હળવાશથી લેવું એક વાત છે, તેની ઉપેક્ષા કરવી બીજી વાત છે અને હરખાઇને વધાવવું એ ત્રીજી વાત છે. લાગણીદુભાવ અથવા હરખઘેલાં વધામણાં એ બે જ વિકલ્પો નથી.
  • જે ફુવડ/ક્રુડ છે તે ફુવડ જ રહે છે- ગમે તેટલું સફળ થાય તો પણ. ‘લોકોને ફુવડ જ ગમે છે’ એવી સાધારણ દલીલ સાંભળવા મળશે, પણ શિષ્ટ કોમેડી કેમ નથી ભજવાતી તેનો અફસોસ સાંભળવા મળે છે? એ દિશામાં તત્પરતા કે પ્રયાસ જોવા મળે છે?
  • છેલ્લો મુદ્દો ગુજરાતીને ‘ગુજ્જુ’ કહેવા અંગેનો. મને કોઇ ‘ગુજ્જુ’ કહે તો દુભાઇ ન જવાની સહિષ્ણુતા મારામાં છે. પણ બીજા લોકો આપણને જે ઉપહાસાત્મક ઉપનામથી બોલાવતા હોય, તે આપણે પોતે જ પોતાના માટે વાપરીએ એ સહિષ્ણુતા કે ઉદારતા નથી. એ ફેશનેબલ દેખાવાની- અથવા સીધીસાદી- ઘેલાઇ છે એવું મને વર્ષોથી લાગ્યું છે. કેટલાંક ગુજરાતી સામયિકોમાં તો એ પરંપરા વર્ષોજૂની છે. તેમને એવું પણ લાગતું હોય તો નવાઇ નહીં કે તેમની સફળતા અથવા શૈલીનું અથવા ‘આધુનિકતા’નું રહસ્ય ‘ગુજ્જુ’ જેવા શબ્દોનો વપરાશ છે

12 comments:

  1. ફિલ્મ-ટીવીમાં આજકાલ ગુજરાતી ફલેવરની કોમેડીની પિપૂડી વાગે છે - જય વસાવડા, 28-06-09 રવિવારની ગુજરાત સમાચાર પૂર્તિ
    http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20090628/guj/supplement/spectro.html

    ગુજરાતી માત્ર ઢોકળાંને પાત્ર? - જયેશ અધ્યારુ, 25-06-09 બુધવારની ભાસ્કરની પૂર્તિ
    http://www.divyabhaskar.co.in/2009/06/25/0906252020_guajrati_serial_on_televison.html

    ReplyDelete
  2. Anonymous4:55:00 PM

    મહેમૂદ તમને ન મળી શકે, પણ ક્યારેક તો મળશે :P

    http://en.wikipedia.org/wiki/Mehmood

    ReplyDelete
  3. સરસ.મારા મનની વાત.

    જયારે આ બંન્ને સિરિયલ આવતી ન હતી ત્યારે પણ મેં આ અંગે ઓરકુટ પર ચર્ચા કરી હતી ત્યારે અમુક મિત્રો ને એમ લાગતું હતું કે સરદારજીની જોક સરદારજી ચલાવી લે છે તો આપણે કેમ ખેલદિલી ન રાખવી? !

    ReplyDelete
  4. Urvish,
    Stereotyping of image-this is not good when it is done by some Gujarati themselves. If the question is of joke then we should be tollerant like Sardarji.

    ReplyDelete
  5. stereotyping of any community - be it religious, linguistic, regional, ethnic, racial , castebased - is bad and goes against the ethos of modern democratic polity that aims to achieve the ideal of universal human brotherhood through social justice and equality.

    but to take pride as 'gujarati' or get offended when addressed 'gujju' is also a subtle kind of communal arrogance or chauvinism, in the same perverse way of thakre's 'me marathi manoos' and in the same vein i do not appreciate urvish's verbal fanaticism of catching hold of mehmood and ...

    neerav patel
    june 30, 2009

    ReplyDelete
  6. મણિબેન પ્રકારની સીરીઅલ્સ જેવી કાચીપાકી ગુણવત્તાને બદલે જો મારો લેખ ધ્યાનથી 'ચાવી ચાવી' ને વાંચવા માં આવે તો એનો મુદ્દો stereotype સારા કે ખરાબ કે પછી હોવા જોઈએ કે નહિ એવો છે જ નહિ, એટલી જ સીધીસરળ વાત છે કે જ્યારે બીજા બધાના આવા stereotype વર્ષો થી ગુજરાતીઓ સ્વીકારતા/હસતા હોય, ત્યારે આ મુદ્દે વિરોધ હાસ્યાસ્પદ અને અતાર્કિક લાગે એટલો જ છે. માનવસ્વભાવ stereotype માં બાંધી ને જ જોતા બહુધા ટેવાયેલો છે. વિશ્વભરના હ્સ્યા સાહિત્ય કે સીરીઅલો તેની સાખ પૂરે જ છે. સતત તટસ્થતાના નામે કોઈને આધુનિક, શહેરી, જાણી જોઈ ને યુવાનો ને પસંદ પડે એવું જ વર્તનારા , લોકપ્રિયતાકેન્દ્રી તરીકે જોવો એ પણ stereotype જ છે ને ;)

    ReplyDelete
  7. નીરવભાઇ, ફેંટ પકડીને પૂછવાની વાત અંગે તમારી ટીકા ખરી છે. કબૂલ. આ સંસદ હોય તો મારે એ શબ્દો પાછા ખેંચવા જોઇએ. એટલું કહેવાનું રહે છે કે મેં મહેમૂદનો ઇન્ટરવ્યુ કર્યો હોત તો તેમને પહોંચે એવી તીખાશથી મેં તેમને અવશ્ય પૂછ્યું હોત.
    ‘ગુજ્જુ’ વાળા મુદ્દે જરા વિચારી જોજો. મેં લખ્યું છે કે કોઇ કહે તો હું ન દુભાઊં, પણ મારી જાતે હું મારા માટે કે ગુજરાતીઓ માટે ‘ગુજ્જુ’ શબ્દ ન વાપરૂં. એમાં તમને બાળ ઠાકરેપણું ક્યાં દેખાયું?સમજાવશો.

    ભાઇ જય, તમારા લેખનો મુદ્દો તમે કહ્યો. બરાબર છે. પણ આ પોસ્ટ ફક્ત તમારા અને જયેશના લેખનું વિવેચન નથી. એ મુદ્દે મારે જે કંઇ કહેવાનું હતું એ છે. વાહિયાત ગુજરાતી સિરીયલોની ટીકા હાસ્યાસ્પદ અને અતાર્કિક કેવી રીતે કહેવાય, એ ગળે ઉતરે એવું નથી.
    સિરીયલોનો વિરોધ કરવાનો સવાલ નથી, પણ વિરોધ નહીં એટલે ટીકા પણ નહીં- એવું હોય?

    અને ગુજરાતીઓએ અત્યાર સુધી બીજાના સ્ટીરીયોટાઇપ માણ્યા હોય એટલે હવે તેમનાથી પોતાના સ્ટીરીયોટાઇપની ટીકા ન થાય એવો હિસાબ ઠીક લાગતો નથી. આપણી કોલમમાં આપણે ‘ગુજરાતીઓ’નું નહીં, આપણું દૃષ્ટિબિંદુ મૂકીએ છીએ. એ રીતે, મારી પોસ્ટમાં જણાવેલા ‘ગુજ્જુ’ સહિતના એક-બે-ત્રણ-ચાર મુદ્દા વિશે, એવી જ એક-બે-ત્રણ-ચારની રીતે તમે કહી શકો તો વધારે સારૂં.
    ‘શહેરી-યુવાનો-લોકપ્રિયતા’વાળો મુદ્દો આની સાથે ભેળવવા જેવો નથી. એનાથી મૂળ વાત આડા પાટે ચડશે. એ વિશે કદીક અલગથી. ઇચ્છા થાય તો બ્લોગ પર અથવા રૂબરૂ.

    ReplyDelete
  8. dear urvish,

    let me try google transliteration, as i don't know gujarati keyboard :

    ગુજ્જુ મને તો અપમાન સૂચક ને બદલે લાડકુ અને માન વાચક લાગે છે. તમે શા માટ 'તમારો ' આગવો અર્થ કરીને ગુસ્સે અથવા દુખી થાઓ છો.

    enough waste of time, now let me switch over to english.

    i can vouch from my personal experience that 'gujju' is no match for 'paki' in negative connotation in foreign land of london. but given our gujju desi's racial and colour contempt for 'kaliyas' and 'dholiyas', the 'gujju' would soon invest the otherwise pet name with scorn and contempt.

    i don't understand why a journalist of urvish's stature and awareness should meddle in such parochial 'identity' indulgence. leave it for thakres and modis to proclaim their regional pride and superiority to the rest of indians and world.

    neerav patel
    july 2, 2009

    ReplyDelete
  9. "લાગણી ન દુભાવા દેવી એનો અર્થ એ નથી કે બુદ્ધિ પણ ન દુભાવા દેવી '- Very true! I agree with this.

    ReplyDelete
  10. Binit Modi6:09:00 PM

    આપણું નામ કોઈ આડી અવળી રીતે બોલે તો આપણે વિરોધ દર્શાવતો ગુસ્સો કરીએ છીએ એજ રીતે આપણને ગુજ્જુ શબ્દ સામે વાંધો હોવો જોઈએ.
    બિનીત મોદી

    ReplyDelete
  11. rajshripandya5:43:00 PM

    લાગણી ન દુભાવા દેવી એનો અર્થ એ નથી કે બુદ્ધિ પણ ન દુભાવા દેવી 'ેલ્લો મુદ્દો ગુજરાતીને ‘ગુજ્જુ’ કહેવા અંગેનો. મને કોઇ ‘ગુજ્જુ’ કહે તો દુભાઇ ન જવાની સહિષ્ણુતા મારામાં છે. પણ બીજા લોકો આપણને જે ઉપહાસાત્મક ઉપનામથી બોલાવતા હોય, તે આપણે પોતે જ પોતાના માટે વાપરીએ એ સહિષ્ણુતા કે ઉદારતા નથી. એ ફેશનેબલ દેખાવાની- અથવા સીધીસાદી- ઘેલાઇ છે એવું મને વર્ષોથી લાગ્યું છે
    tamaree vaat saathe 100% samant.

    ReplyDelete
  12. Rajesh Purohit2:12:00 PM

    ખરી વાત છે. હું પણ તમારી વાત સથે સહમત છું.

    ReplyDelete