Monday, August 11, 2014

ધરમના નામે ઘ્વનિપ્રદૂષણ : શાંતિ ખતરેમેં

બોમ્બે હાઇકોર્ટે ગયા સપ્તાહે (૩૦ જુલાઇના રોજ) જાહેર હિતની અરજી પર એક ચુકાદો આપતાં કહ્યું કે આખા મુંબઇ અને નવી મુંબઇમાં પોલીસે ગેરકાયદે લાગેલાં લાઉડસ્પીકર દૂર કરવાં.

‘ગેરકાયદે’ લાઉડસ્પીકર મસ્જિદો પર હોઇ શકે, ગણેશોત્સવોમાં ગલીએ ગલીએ હોઇ શકે, નવરાત્રિમાં ઠેકઠેકાણે હોઇ શકે...લાઉડસ્પીકરનો કોઇ ધર્મ હોતો નથી- અથવા બીજી રીતે વિચારીએ તો તેનો એક જ ધર્મ હોય છે : ઘોંઘાટનું પ્રદૂષણ ફેલાવવાનો.

‘ઘોંઘાટનું પ્રદૂષણ’ એવા શબ્દપ્રયોગ સામે કોઇને - ખાસ કરીને ઘોંઘાટને ભક્તિ સાથે સાંકળતા ધાર્મિક લોકોને- વાંધો પડી શકે. ‘બહુ મોટા અંગ્રેજ ન જોયા હોય તો. તમને તો બધામાં પ્રદૂષણ જ દેખાય છે.’ એવો ઠપકો ખાવાની તૈયારી પણ રાખવી પડે. છતાં, લાઉડસ્પીકરથી પેદા થતું ઘ્વનિપ્રદૂષણ ભયંકર છતાં ટાળી શકાય એવું દૂષણ છે. બધા ઘોંઘાટ આ જાતના હોતા નથી.

જેમ કે, મુખ્ય રસ્તા પર રહેતા લોકોને ટ્રાફિકનો ઘોંઘાટ વેઠવો પડે છે. તેમાં (હોર્નના કર્કશ-ભડકામણા-અસભ્ય અવાજોને બાદ કરતાં) વાહનોનો અવાજ સહન કરવો પડે છે. તેનો કશો ઇલાજ નથી. રેલવેના પાટાની આસપાસ રહેતા લોકોએ એન્જિનનાં હોર્ન અને ગાડી-માલગાડીની ખટાખટથી ટેવાઇ જવું પડે છે. કારણ કે ઘ્વનિપ્રદૂષણ રોકવા ખાતર રેલવે કે વાહનો અટકાવી શકાતાં નથી.


ધર્મસ્થાનોના ઘોંઘાટની વાત જુદી છે. હમણાં જ રમજાન મહિનો પૂરો થયો. ખુદાની બંદગી અને તપશ્ચર્યાનો એ મહિનો ઘણી જગ્યાએ મસ્જિદની આસપાસ રહેનારાઓની આકરી કસોટી કરનારો બની રહે છે. રમઝાન વર્ષોથી આવે છે. મુસ્લિમો બંદગી અને તપ વર્ષોથી કરે છે. પણ સમયની સાથે તેમાં ઘોંઘાટનું તત્ત્વ વધતું જાય છે. એક સમય હતો, જ્યારે સામાન્ય સ્થિતિના લોકો પાસે ઘડિયાળ પણ ન હોય એવું બનતું. એ વખતે કદી પરોઢિયે રોજા શરૂ કરવા માટે ને સાંજે રોજા ખોલવા માટે મસ્જિદનાં લાઉડસ્પીકર પરથી બરાડા પાડવામાં આવતા ન હતા.

છેલ્લા થોડા સમયથી ઘણી જગ્યાએ એવો રિવાજ શરૂ થયો છે. સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ, જાણે માથે આભ તૂટી પડ્યું હોય એવી ચીસાચીસ સાથે કાઉન્ટડાઉન શરૂ થઇ જાય છે...પંદ્રહ મિનીટકી દેરી હૈ...દસ મિનીટકી દેરી હૈ...પાંચ મિનીટકી દેરી હૈ.. અને દરેક જાહેરાત પાછી ત્રણ-ત્રણ વાર થાય. એટલે સવારના પહોરમાં અચ્છીખાસી કાગારોળ મચી જાય. એ બિનમુસ્લિમોને તો શું, ધર્મઘેલા ન હોય એવા મુસ્લિમોને પણ ખટકતી હશે.

એવી જ રીતે, રમઝાન પૂરો થવાના થોડા દિવસ બાકી હોય એટલે પરોઢિયે જાતજાતનાં ભક્તિગીતોના રાગડા તાણવાનું શરૂ થઇ જાય. ઇસ્લામમાં ખુદાની બંદગી સિવાયનાં બીજાં ગીતો ગાવાનું લખ્યું હોય, એવું જાણમાં નથી. પણ અહીં તો મસ્જિદ પરથી તબિયતથી ઉત્સાહીઓ, માઇકમાં મોં ઘાલીને કે લગભગ માઇક ગળી ગયા હોય એવી રીતે ગાવા માંડે છે. સવારના પહોરમાં નીરવ શાંતિ હોય ત્યારે  આ ઘોંઘાટ મસ્જિદમાંથી થાય છે એટલે નહીં, પણ લાઉડસ્પીકર દ્વારા થાય છે એટલે, કાળો કેર વર્તાવનારો લાગે છે. આ ઉપરાંત શુક્રવારે દિવસે કે ગુરુવારે રાત્રે જાણે લડવા જવાનું હોય એવા જોસ્સાથી થતાં અને અકારણ ઉશ્કેરણીજનક લાગે એવા અંદાજમાં પ્રવચનો થતાં હોય. એનો ઘોંઘાટ સાંભળીને કોઇને પણ અસુખ થઇ શકે.

મસ્જિદ પર લાઉડસ્પીકર પણ એક નહીં, ચચ્ચાર હોય- જાણે ઘોંઘાટ મચાવીને જ ધર્મનો પેગામ પહોંચાડવાનો હોય. રમજાન સિવાયના દિવસોમાં પાંચ વાર અજાન પોકારાતી હોય. સામાન્ય સંજોગોમાં અને લાઉડસ્પીકરના ભૂંગળા વગર હોય તો બિનમુસ્લિમને પણ આકર્ષી શકે એવી અજાન લાઉડસ્પીકરને કારણે અકારી લાગવા માંડે છે. મસ્જિદ પરથી ઘોંઘાટ મચાવવાના મુદ્દાને પોતાનો ‘અધિકાર’ માનતા હોય, એવા લોકો એ ભૂલી જાય છે કે મુસ્લિમો પ્રત્યે કશો દુર્ભાવ ન હોય એવા લોકો, કેવળ લાઉડસ્પીકરની ઘાંટાઘાંટથી ત્રાસીને કે રોષે ભરાઇને પણ મુસ્લિમદ્વેષી બની શકે છે. સાંભળેલી એક વાત પ્રમાણે, મુંબઇના એક પ્રસિદ્ધ તંત્રી જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાં પાંચ-છ મસ્જિદો પાસેપાસે હતી. તેમનાં લાઉડસ્પીકરમાંથી મચતા ભયાનક ઘોંઘાટે પણ એ તંત્રીને મુસ્લિમવિરોધી બનાવવામાં થોડીઘણી ભૂમિકા ભજવી હતી.

મસ્જિદના લાઉડસ્પીકરની ‘ફાયરિંગ રેન્જ’માં રહેતા લોકોને રમજાન મહિનામાં જેટલો ત્રાસ ઉપજે છે, તેનાથી વધારે ત્રાસ નવરાત્રીના નવ દિવસમાં વેઠવાનો આવે છે. ઘોંઘાટના વિરોધને ઉત્સવનો કે ધર્મનો વિરોધ ગણી લઇને લડવા આવી પડનારા માઇકશૂરાઓ સમજતા નથી કે એ તેમના ધર્મની કેટલી મોટી કુસેવા અને બદનામી કરી રહ્યા છે. ગણેશઉત્સવ વખતે ઠેકઠેકાણે સ્થપાતી ગણેશની મૂર્તિઓ પાસે રોજ સાંજે લાઉડસ્પીકરો ગણેશના નામે ઘોંઘાટ ઓકે છે. ભગવાનમાં શ્રદ્ધા હોય ને લાઉડસ્પીકરમાં ‘શ્રદ્ધા’ ન હોય એવા લોકો માટે આ સ્થિતિ ‘ન કહેવાય, ન સહેવાય’ જેવી બને છે.

તહેવારો અને વરઘોડા નિમિત્તે છેલ્લાં થોડાં વર્ષથી ઉમેરાયેલું ખતરનાક તત્ત્વ એટલે ડીજે. ટેમ્પો કે ખટારામાં ખડકાયેલાં આદમકદનાં સ્પીકરો સાથેનું ડીજે એટલે હરતુંફરતું અને મહત્તમ ઘ્વનિપ્રદૂષણ કરતું એકમ. લગ્નથી માંડીને ગણેશવિસર્જનના વરઘોડામાં  હોંશેહોંશે બોલાવાતું ડીજેનું તંત્ર ઘોંઘાટનો અસહ્ય આતંકવાદ ફેલાવે છે. કોઇ પણ ડીજે સીસ્ટમ એવી નહીં હોય કે જે ઘ્વનિપ્રદૂષણની નક્કી થયેલી માત્રા પાળે. કારણ કે તેમનું વજૂદ અને તેમની સાર્થકતા જ હદ બહારનો ઘોંઘાટ મચાવવામાં છે.

ડીજે સામે જાહેર હિતની અરજી કરવામાં આવે તો, બધાં ડીજે સાગમટાં બંધ થઇ જાય, એટલું ખતરનાક ઘ્વનિપ્રદૂષણ તે ફેલાવે છે. ઘરની નજીકથી ડીજેનો ખટારો પસાર થતો હોય ત્યારે બારીઓ ધણધણી ઊઠે અને ઘરની અંદર રહેલી ચીજવસ્તુઓ ઘુ્રજવા માંડે એટલો પ્રચંડ અને રાક્ષસી તેનો અવાજ હોય છે. પરંતુ સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક ઉત્સવ, છાકટા થઇને નાચવા માટે તલપાપડ લોકોને બીજાને પડતી અગવડ ક્યાંથી દેખાય?

પોલીસ ચોક્કસપણે ઘ્વનિપ્રદૂષણ ફેલાવવા બદલ ડીજે સામે પગલાં લઇ શકે- કમ સે કમ, તેમને અવાજ ઓછો કરવાની ફરજ તો પાડી જ શકે- પણ ઘોંઘાટને ધાર્મિક લાગણી અને ઉમંગનો પર્યાય બનાવી દેવાયો હોય, ત્યારે એ જ સમાજમાંથી આવતા પોલીસકર્મીઓને ઘોંઘાટમાં કશું અજૂગતું લાગતું નથી. જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા નહીં, એવી સૂચના હોવા છતાં, રસ્તાની એક બાજુનો ટ્રાફિક રોકીને લોકો બિનધાસ્ત ફટાકડા ફોડતા હોય - અને પોલીસ કંઇ ન કરે- તો ઘોંઘાટ અટકાવવાનું પોલીસને ક્યાંથી સૂઝે?

શાંતિ માટે પણ જેમને ઘોંઘાટ જોઇતો હોય, એવા લોકોની શી વાત કરવી? મોર્નિંગ વૉક માટે બગીચામાં જતા કેટલાક ઉત્સાહીઓને ત્યાંની કુદરતી શાંતિને બદલે ‘કૃત્રિમ શાંતિ’ના ધખારા જાગે, એટલે તે લાઉડસ્પીકર પરથી ઘૂનો ને પ્રાર્થનાઓ વગાડાવે છે. તેમાં ખરેખરી પ્રાકૃતિક શાંતિના પ્રેમીઓની શાંતિ હરામ થઇ જાય છે- અને પાછી પ્રાર્થના વાગતી હોય એટલે બંધ કરવાનું કહેવા જતાં, ‘ધાર્મિક લાગણી’ દુભાવાની બીક રહે.

અદાલતો ધર્મસ્થાનો પરનાં ભૂંગળાં અને તેનાથી થતા ઘોંઘાટની વિરુદ્ધમાં ચુકાદા આપે છે, પણ તેના પાલનનું કામ સ્થાનિક વહીવટી તંત્રે કરવાનું હોય છે. મતના રાજકારણમાં લોકોની લાઉડસ્પીકર-લાગણી દુભાવવાનું જોખમ વહીવટી તંત્ર ભાગ્યે જ લે છે. મસ્જિદ હોય કે મંદિર કે પછી ધાર્મિક કે સામાજિક ઉત્સવ, બીજા લોકોને ત્રાસ પહોંચે એ રીતે થતો માઇકનો ઉપયોગ સદંતર ગેરકાયદે હોય છે. રાતથી પરોઢ સુધી તો ધીમા અવાજે પણ માઇકનો ઉપયોગ કરી શકાય નહીં કે ઢોલનગારાં વગાડી શકાય નહીં.

આ દૂષણનો ઉકેલ સરકારના હાથમાં સોંપવાથી ભ્રષ્ટાચારનું વઘુ એક ઠેકાણું ઊભી થાય એવી પૂરી સંભાવના છે. એના બદલે, સંબંધિત ધર્મના નાગરિકો પોતે નક્કી કરે કે તેમને પોતાનો ધર્મ વહાલો છે કે લાઉડસ્પીકર? અને લાઉડસ્પીકરના ઘોંઘાટને કારણે ધર્મની બદનામી થાય, બેદિલી ઊભી થાય એ તેમને મંજૂર છે?

જેમને એવી ખાતરી હોય કે અમારો ધર્મ લાઉડસ્પીકર વિના પણ ટકી શકે એટલો મજબૂત છે, એવા ધર્મગુરુઓ અને નાગરિકો ધર્મસ્થાનો પરથી માઇક દૂર કરવાનો જાહેર કાર્યક્રમ યોજી શકે. તેનાથી ફેલાતી સદ્‌ભાવના રાજકીય સદ્‌ભાવનાઓ જેવી પોલી કે મતલબી નહીં, એકદમ નક્કર હશે. 

10 comments:

  1. અઝાન એ ખરેખર નમાઝ અદા કરવા માટે બોલાવવાનું એક આહ્વાન છે અને અઝાન માટે લાઉડસ્પીકરનો થતો ઉપયોગ એ બદલાતા જમાના પ્રમાણેની ઇસ્લામમાં થતી આધુનિક ભેળસેળ છે. રોજિંદા નમાઝ અદા કરવા માટે જતા નમાઝીઓ અઝાનનું અવાજ સાંભળે કે ન સાંભળે એ નમાઝ અદા કરવા માટે જતા જ હોય છે અને ન જતા લોકોને લાઉડસ્પીકરથી પણ કઈ ફેર નથી પડતો.. ઇસ્લામમાં એક બાબત બહુ જ સ્પષ્ટ છે કે બીજાને કષ્ટ આપીને થાય એ ઈબાદત નથી. મસ્જિદોમાં થતો લાઉડસ્પીકરનો ઉપયોગ બાબતે જે તે વિસ્તારમાં રહેતા અન્ય ધર્મના લોકોની કાળજી લેવી જોઈએ. ખુદાને શાંત ચિત્ત યાદ કરીએ તો પણ એ સાંભળે જ છે પણ મુસ્લિમોમાં એક વર્ગ તો એવો છે જે માને છે કે ઊંચા અને મોટેથી બોલાયેલો અવાજ જ ખુદા સુધી પહોંચે છે !

    ReplyDelete
  2. મોટી ઉમ્મરે બહેરાશ લાવવી તે અમારો જન્મસિધ્ધ અધિકારછે તેવુ માનતા બબૂચકો ધ્વનિ પ્રદુશણમા સતત પોતાનો યથાયોગ્ય ફાળો આપતા રહેછે. મોબાઈલની કોલર ટ્યુન જેવા રીવર્સ હોર્ન વગાડતા બબુચકોનો પણ ક્યા તોટો છે? મોડીરાત્રે ગમેત્યારે અમારી સોસાઈટીમા રીવર્સ લેતી ગાડીઓના હોર્નની ચીચીયારીઓ ભલભલાની ઉંઘ હરામ કરી નાખેછે.
    ઘોંઘાટ ને રાશ્ટ્રિય સંગીત નો દરજ્જો આપીએ તો કેવુ? .

    ReplyDelete
  3. જો બધા મૌલવીઓએ મહંમદ પયગંબર (સ.અ.વ.)ની "સુન્નત"નું પાલન કરવું હોય તો તેઓએ લાઉડ સ્પીકર પર બૂમ-બરાડા પાડવાનું બંધ કરી દેવું જોઇએ. કારણ કે મહંમદ પયગંબર (સ.અ.વ.)ના સમયમાં લાઉડ સ્પીકર વગર જ બંદગી અને વાયેઝ (પ્રવચન) થતા હતા...! ("સુન્નત" એટલે મહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબની જીવનશૈલીનું અનુકરણ)

    ReplyDelete
  4. Anonymous10:39:00 PM

    Muslim should re-visit the definition to provide comfort to their neighbour, co-citizen and even co-religionist on the use of loud-speaker. On present state, mechanism and method of usage of loud-speaker, we, Muslim, need to re-think as a delivering of religion of peace. Minimizing and controlling, which suit to pluralism and pollution control would lead us to play our role as a catalyst.

    Islam demands Muslim to translate teaching of faith through practice, rather, than as a vocalist.

    Jabir



    ReplyDelete
  5. ઉર્વીશ તમે મારા મન ની વાત અહી લખી છે. હું પોતે હિંદુ હોવા છતાં છેલ્લા કેટલાક સમય થી હિંદુ ઉત્સવો અથવા અન્ય રીતે લાઉડ સ્પીકર ના ખોટા ઉપયોગ થી ખુબ પરેશાન છું. થોડા સમય પહેલા ની જ વાત કહું તો મારા ઘર ની નજીક જ સ્વામીનારાયણ નું ભજન કોઈએ ગોઠવ્યું હતું. એક તો રોંદ ઉપર ભજન ગોઠવ્યું અને લાઉડ સ્પીકર નો ઉપયોગ , ચાલો તો પણ ભજન ગાનારા એટલા બેસુરા અવાજે માઈક માં મો નાખી ગાઈ રહ્યા હતા કે મને એવું થયું ભગવાન આવે તો પણ આ સાંભળી પાછા જતા રહે. મોડી રાત સુધી ચાલેલા ભજન ને લીધે મને ૧૨ વાગ્યા સુધી ઊંઘા ન આવી. એવા બીજા ૨ કિસ્સા ફરી પણ બન્યા. હું એટલો કંટાળ્યો કે મને પોલીસ બોલવા ની ઈચ્છા થઇ ગઈ.

    ભારતીય કાયદા ની કલમો પ્રમાણે પણ આ રીત નું ધ્વની પ્રદુષણ એક ગુનો છે. પણ કાયદો તો માત્ર કાયદા ની ચોપડી ઓ માટે જ છે ને.

    ReplyDelete
  6. 'મસ્જિદ પર લાઉડસ્પીકર પણ એક નહીં, ચચ્ચાર હોય- જાણે ઘોંઘાટ મચાવીને જ ધર્મનો પેગામ પહોંચાડવાનો હોય.'
    'ભગવાનમાં શ્રદ્ધા હોય ને લાઉડસ્પીકરમાં ‘શ્રદ્ધા’ ન હોય એવા લોકો માટે આ સ્થિતિ ‘ન કહેવાય, ન સહેવાય’ જેવી બને છે.'
    'મોર્નિંગ વૉક માટે બગીચામાં જતા કેટલાક ઉત્સાહીઓને ત્યાંની કુદરતી શાંતિને બદલે ‘કૃત્રિમ શાંતિ’ના ધખારા જાગે, એટલે તે લાઉડસ્પીકર પરથી ઘૂનો ને પ્રાર્થનાઓ વગાડાવે છે.' So fabulously expressed Urvish.

    It has to be admitted that we are a society that makes a virtue out of religious sentiments but the gross insensitivity that we display in 'perfecting' those sentiments does not even occur to us, forget about bothering us. We have no concept of private space and no respect for law either. All that we care about is oneupmanship. Why will any God even remotely want to claim such a torrid lot as his or her own is a mystery to me.

    ReplyDelete
  7. સામે ચાલીને કોઈ પંગુતા ન ઇચ્છે, પણ અવાજથી બહુ ત્રાસ થાય ત્યારે મને એવો વિચાર આવે કે થોડી બહેરાશ આવે તો સારું પડે.

    ReplyDelete
  8. Anonymous4:56:00 PM

    દીપકભાઈ, રૂનાં પૂમડાં ગજવામાં રાખવાં. પંગુતાની અરજી શા માટે કરવી?

    ReplyDelete
  9. Anonymous5:44:00 PM

    Whatsapp par dwani pradusn na karvani vat kriye to samethi javab male " jo baka taklif to rhevani!"

    ReplyDelete