Friday, August 08, 2014

ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનું ‘પરાક્રમ’

‘વિદ્યાર્થી જો સારાં પુસ્તકો વાંચે, સત્સંગ કરે અને સાથે જ પ્રિય દેવી-દેવતાનાં સ્વરૂપને મનમાં બેસાડીને તેના દર્શનનો અભ્યાસ કરે, હનુમાનચાલીસા કરે અને દુર્ગાસ્ત્રોતોનું વાંચન કરે, તો ચોક્કસ તે ખરાબ વિચારોના સ્થાને શક્તિશાળી વિચારોનો સ્વામી બની જશે અને પછી તે ઇચ્છે તે મેળવી શકે છે.’

ઉપરની સોનેરી સલાહ કોણે આપી હશે? અગડમ્‌બગડમ્‌ કરીને અઘ્યાત્મનો ધંધો ચલાવતા કોઇ બાવાએ? ‘આપણને અઘ્યાત્મનો બહુ શોખ’ - એવો વહેમ ધરાવતા કોઇ કહેવાતા શિક્ષક-શિક્ષિકાએ? કે સામેવાળાની અસલામત મનોદશાને કારણે, પોતાનું ગપ્પાંષ્ટક ચાલી જશે, એવી ખાતરી ધરાવતા કોઇ ચલતા પુર્જાએ?

આ ત્રણે વર્ગની ક્ષમા સાથે કહેવું પડે કે આ વિધાન દીનાનાથ બત્રાનું છે.

‘પણ એ કોણ છે? અને એમની સાથે આપણે શી લેવાદેવા?’ એ સવાલનો ટૂંકો અને આપણને લાગુ પડતો જવાબ છે : ગુજરાતના શાળા પાઠ્યપુસ્તકમંડળે નવા શૈક્ષણિક વર્ષમાં બત્રાનાં સાત પુસ્તકો સહિત કુલ નવ પુસ્તકો ગુજરાતની હજારો સરકારી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને માથે માર્યાં છે.

આ પુસ્તકોને ‘પૂરક વાચન’ તરીકે મૂકવામાં આવ્યાં છે- એટલે કે તેની પરીક્ષા નહીં લેવાય- પરંતુ મંડળના બે હોદ્દેદારોની સહી ધરાવતા એક પત્રમાં જણાવાયું છે તેમ, ‘આ પુસ્તકો આગામી સત્ર જૂન-૨૦૧૪થી રાજ્યની તમામ પ્રાથમિક સરકારી શાળાઓ, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક સરકારી શાળાઓમાં તથા જિલ્લાના જાહેર વાચનાલયોમાં (લાઇબ્રેરી વાંચન) માટે મંડળના સ્વ-ભંડોળમાંથી વિના મૂલ્યે વિતરણ કરાશે...મંડળનાં આ નવાં પ્રકાશનો રાજ્યના શિક્ષણ સાથે સંકળાયેલા સૌના હાથમાં પહોંચે અને વઘુ ને વઘુ વંચાય તે માટે શાળા પાઠ્યપુસ્તક મંડળે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે.’ (તા.૩૦ જૂન, ૨૦૧૪)

બત્રાનાં પુસ્તકોનો હિંદીમાંથી ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. તેની સામગ્રીની વાત પછી. પહેલાં તો અનુવાદ અત્યંત રેઢિયાળ, વાંચી ન શકાય એવો અને ક્લિષ્ટ છે. તેના અડસટ્ટે મળી આવેલા કેટલાક નમૂના. (નોંધ : ભૂલો એમની એમ જ રાખી છે)

- માથા પર ચંદ્રમાની શીતળતા અને એમાં પ્રવાહિત દેવ નહિ, ગંગાનો કલોલ, ગળામાં સાપની માળા પહેરી અભયસ્વરૂપ, ત્રિશૂળધારી, ચામડાના આસાન પર બિરાજમાન શિવ હંમેશાં બધાની ચિંતા કરી, તેનાં કષ્ટોનું નિવારણ કરી સુખ વહેંચે છે. (‘શિક્ષણમાં ત્રિવેણી’, પૃ.૧૧)

- સામાજિક ચેતના માટે ભાવ પરિષ્કારમાં વૃદ્ધિનો પ્રયત્ન વર્ગ-રૂમ તથા બહાર, દ્રશ્ય-શ્રાવ્ય સાધનોથી અને સહપાઠ ક્રિયાકલાપોથી કરવો જોઇએ. (‘શિક્ષણમાં ત્રિવેણી’, પૃ.૧૯)

- તણાવ વગરના વિશ્રામ માટે કામોત્સર્ગ કરીને યોગનિદ્રામાં જવું એ જ તેની એકમાત્ર રીત છે. કામોત્સર્ગમાં પોતાના સુઝાવથી શરીરને શિથિલ કરીને જે સુઝાવ ચેતનાની ગહેરાઇમાં પહોંચાડી જાય છે, તેનાથી તણાવ દૂર અને ઊર્જાની ક્ષતિપૂર્તિ થઇ જાય છે. (‘શિક્ષણમાં ત્રિવેણી’, પૃ.૨૩)

- મૂલ્યસર્જન જીવવાના સંપૂર્ણ વ્યક્તિત્વમાં વ્યાપ્ત કરવાથી સંભવે છે. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ, આત્માના પોષણથી સર્વાંગી વિકાસ થઇ શકે છે. એટલે મૂલ્ય સૃષ્ટિમાં સૌને લક્ષિત કરવા આવશ્યક છે. (‘શિક્ષણનું ભારતીયકરણ’, પૃ.૧૬)

- આચાર્યનો દૃષ્ટિકોણ- સતત કાર્ય, દીર્ધ દૃષ્ટિ, સાધનામય ભાવ તથા સ્નેહભરેલા હાથોથી બાળકની એવી મૂર્તિ નિર્મિત કરે છે જેને દેવપત્ર તરીકે ઓળખાવી શકાય. (‘શિક્ષણનું ભારતીયકરણ’, પૃ.૩૯)

‘શિક્ષણમાં ત્રિવેણી’ પુસ્તકના પાછલા પૂંઠા પર મોટા અક્ષરમાં અવતરણ છે : ‘સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ની ત્રિવેણીમાં સ્થાન કરાવવું જ શિક્ષણનું પરમ લક્ષ્ય છે.’ દેખીતું છે કે ત્રિવેણીમાં ‘સ્થાન’ નહીં, ‘સ્નાન’  જ કરવાનું હશે. પુસ્તકોની અંદરની સામગ્રીમાં પ્રૂફની ભૂલોનો ભંડાર છે. કદાચ તેનું પ્રતિનિધિત્વ કરવા માટે જ પાછલા પૂંઠા જેવી મહત્ત્વની જગ્યા પર આવું ગાબડું રહ્યું હશે.

એવું જણાય છે કે પાઠ્યપુસ્તક મંડળે બત્રાનાં સાત અને બીજાં બે પુસ્તકો શિક્ષણક્ષેત્રે સંકળાયેલા લોકોને પ્રતિભાવ માટે મોકલ્યાં હતાં. એ લોકોમાંથી કોઇએ પુસ્તકોમાં રહેલાં અનેક ગાબડાં વિશે ઘ્યાન દોર્યું હશે કે નહીં, એ જાણવા મળતું નથી.

બત્રાનાં ત્રણ પુસ્તકોમાં વિદ્યાર્થીઓ માટેની સામગ્રી સાવ થોડી છે. મોટે ભાગે શિક્ષકોએ અને શાળાઓએ કેવી રીતે કામ કરવું જોઇએ, તેની શિખામણોનો ભંડાર છે. આ હકીકત પુસ્તકોની પ્રસ્તાવનામાં પાઠ્યપુસ્તક મંડળના હોદ્દેદારોએ પણ લખી છે. જેમ કે,

‘શિક્ષણમાં ત્રિવેણી’...પ્રાથમિક શાળાથી ઉચ્ચતર માઘ્યમિક વિદ્યાલયોમાં કાર્ય કરનારા બધા ભાઇઓ માટે ઉપયોગી સિદ્ધ થઇ શકે.’ (મુખ્ય મંત્રી ભલે મહિલા સશક્તિકરણની વાત કરે, પાઠ્યપુસ્તક મંડળના હોદ્દેદારોને ફક્ત ભાઇઓ જ દેખાય છે)

‘શિક્ષણનું ભારતીયકરણમાં ભારતીય શિક્ષણની, શિક્ષક તથા શિક્ષણસંસ્થાઓ તરફથી જે અપેક્ષા છે, તેને આ પુસ્તકમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’સઆવાં પુસ્તકો વિદ્યાર્થીઓના ‘પૂરક વાચન’ના સેટમાં મૂકવાથી વિદ્યાર્થીઓનું શું કલ્યાણ થવાનું? અને બીજા કોનું કોનું ‘કલ્યાણ’ થયું હશે?

બત્રાનું સ્વપ્ન

બત્રા કઇ મૂર્તિ છે તેનો ખ્યાલ લેખના આરંભે ટાંકેલા અવતરણથી આવી શકે છે. એ બત્રાના પુસ્તક ‘શિક્ષણમાં ત્રિવેણી’માંથી (પ્રકરણ ૧૨, પૃષ્ઠ ૨૩) લેવામાં આવ્યું છે. આ પુસ્તકની આગળ છપાયેલા ‘સંદેશ’માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ બત્રાને ‘શિક્ષણજગત ક્ષેત્રે આઘુનિક મનીષિઓમાં અગ્રણી’ તરીકે ઓળખાવ્યા છે.

શું છે આ ‘આઘુનિક મનીષિ’નું સ્વપ્ન?

તેમનાં બે પુસ્તકોમાં ‘મિશન સ્ટેટમેન્ટ’ તરીકે મુકાયેલી ત્રણમાંની એક ‘કવિતા’ની પહેલી બે પંક્તિ છે : ‘મૈંને સ્વપ્ન લિયા હૈ, વિદ્યાલય કે નિર્માણ કા / હિન્દુત્વકી નીંવ પર, દેશભક્તિ કે આધાર પર.’  બત્રા લખે છે, ‘મૂલ્યોની ભવ્ય ત્રિગુણાત્મક મૂર્તિ- એક શબ્દમાં જે હિંદુ રાષ્ટ્રપિતા છે, તે રાષ્ટ્રમંદિરના નિર્માણ માટે આધાર બને છે.’ (શિક્ષણમાં ત્રિવેણી, પૃ.૮)

તત્કાલીન મુખ્ય મંત્રી મોદીનો સંદેશ ધરાવતા બત્રાના અન્ય પુસ્તક ‘વિદ્યાલય : પ્રવૃત્તિઓનું ઘર’માં બત્રા લખે છે,‘મેકોલે, માર્ક્‌સ તથા મદરસા પુત્રોએ રાષ્ટ્રની હદને મર્યાદિત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. નિશ્ચિત આ અપરાધ ક્ષમા કરવા યોગ્ય નથી.’ (પૃ.૧૭) એ જ પુસ્તકના ૧૮મા પ્રકરણના અંતે સુવાક્યની જેમ મુકાયેલું એક વિધાન છે : ‘ભય વિના વિદ્યા વિષ સમાન છે- અજ્ઞાત’

દેખીતું છે કે બત્રાના શિક્ષણવિચારમાં હિંદુ સિવાયના બીજા ધર્મના લોકો માટે કોઇ સ્થાન નથી - અને હોય તો એ આ પુસ્તકોમાં દેખાતું નથી. દુર્ગાદાસ રાઠોડે પોતાની પાસે રહેલી ઔરંગઝેબની પુત્રીને કુરાન શીખવવાની વ્યવસ્થા ગોઠવી હતી, એ બદલ દુર્ગાદાસની- અને ભારતીય સંસ્કૃતિની- પ્રશંસા બત્રા કરે છે, પરંતુ આઘુનિક યુગમાં અને અનેક ધર્મીઓની વસ્તી ધરાવતા ભારતમાં હિંદુ સિવાયના લોકોને તેમના ધર્મનું શિક્ષણ આપવાનું બત્રાને સૂઝતું નથી. કારણ કે તેમને તો વિદ્યાલયનું નિર્માણ ‘હિન્દુત્વકી નીંવ પર’ કરવું છે.

વક્રતા એ છે કે સ્વદેશીની માળા જપતા બત્રાને પોતાની સગવડે અંગ્રેજી અવતરણો ટાંકવાનો છોછ નથી, બલ્કે શોખ હોય એવું લાગે છે. તેમાંથી ક્યારેક એવી હાસ્યાસ્પદ સ્થિતિ પેદા થાય છે કે ઉપર ‘દેશકી સબલતા’ નામનું કવિતાભાસી ગદ્ય હોય અને એની નીચે અવતરણ હર્બટ સ્પેન્સરનું આવી પડે. (‘વિદ્યાલય : પ્રવૃત્તિઓનું ઘર)

બત્રાને જે લખવું હોય તે લખે, પણ તેને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના માથે મારવાનો નિર્ણય ગુજરાત રાજ્યના શાળા પાઠ્યપુસ્તકમંડળનો છે. માટે, તેની સાથે સંકળાયેલા ગોટાળા અને અધકચરી સામગ્રીની જવાબદારી પણ મંડળે સ્વીકારવી રહી અને તેનો ઇલાજ પણ કરવો રહ્યો.

ગૌરવગ્રસ્ત જ્ઞાન

‘પૂરક વાચન’ માટે પસંદ કરાયેલું ‘તેજોમય ભારત’ બત્રાનું નથી. તે પ્રાચીન સંસ્કૃતિના કાલાંઘેલાં અને અધકચરી માહિતીના ગૌરવથી દૂષિત દિમાગોની પેદાશ જેવું છે. પહેલી વાર તે વર્ષ ૨૦૦૮માં પાઠ્યપુસ્તક મંડળના ઉપક્રમે પ્રકાશિત થયું હતું. આ તેની સંવર્ધિત આવૃત્તિ છે. તેમાં સત્ય, અર્ધસત્ય અને જૂઠાણાંનું ખતરનાક મિશ્રણ છે, જે કુમળા માનસને પહેલેથી જ પ્રદૂષિત કરીને ચોક્કસ દિશામાં વાળવા માટે તૈયાર કરાયું છે.

જેમ કે, આ પુસ્તકના સંપાદકો આપણાં બાળકોને એવું શીખવવા માગે છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, તિબેટ, બ્રહ્મદેશ અને શ્રીલંકા પણ અખંડ ભારતના જ ભાગ છે  અને ‘રાષ્ટ્રના પ્રત્યેક પુત્રમાં અખંડ ભારતના સ્વપ્નનું બીજારોપણ કરવું જોઇએ...’

જ્યાં નારીની પૂજા થાય, ત્યાં દેવતાઓનો વાસ હોય છે, એવી કવિતાઓ કરનારા લોકોને આવી વખતે ફક્ત પુત્રો જ યાદ આવે છે, એ નોંધવા જેવું છે.

1 comment:

  1. vajesinh pargi6:44:00 PM

    नमूनाओ वांचीने तम्मर आवी गया.

    ReplyDelete