Tuesday, August 19, 2014

ઇઝરાઇલ અને હમાસ : એકબીજાને આધાર આપતી દુશ્મની

પહેલાં પ્રાથમિક માહિતી. ઇઝરાઇલના નકશામાં ગાઝા અને વેસ્ટ બેન્ક- એ બન્ને અલાયદા વિસ્તાર પેલેસ્ટાઇનની માગણી કરતા આરબોને ફાળવાયેલા છે. ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વચ્ચેની તકરારનું બીજ જમીનની માલિકી અને તેના ટેકામાં રજૂ કરાતા ધાર્મિક આધારમાં છે. યહુદીઓનો દાવો છે કે આખો પ્રદેશ બે-અઢી હજાર વર્ષ પહેલાં તેમની મૂળ ભૂમિ હતો. એટલે એ તેમનો કહેવાય. આરબોનો દાવો છે કે આ પ્રદેશ પર તે છસો-સાતસો વર્ષથી વસે છે. એટલે તે એમનો કહેવાય. આ બીજ પર છેલ્લા થોડા દાયકાથી દ્વિપક્ષી હિંસાનું વિશાળ વટવૃક્ષ  રચાઇ ગયું છે. માટે, વાતની શરૂઆત કે વિવાદના મૂળ સુધી પહોંચવા માટે આ પ્રાથમિક જાણકારી જરૂરી, પણ સમસ્યાના ઉકેલ માટે તે નડતરરૂપ છે.

૧૯૪૮માં હિંસાનો આશરો લઇને ઇઝરાઇલનું રાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યું. અમેરિકા-બ્રિટન જેવા બળિયાઓએ ન્યાયબુદ્ધિથી નહીં, પણ પોતપોતાનાં કારણ અને સ્વાર્થથી તેને માન્યતા આપી. પાડોશી આરબ દેશોએ એકથી વઘુ વાર હિંસાથી ઇઝરાઇલને નકશા પરથી ભૂંસી નાખવા પ્રયાસ કરી જોયો, પણ બળમાં અને વ્યૂહમાં ઇઝરાઇલ ચડિયાતું નીવડ્યું.

છેલ્લા ચારેક દાયકાથી ગાઝામાં પેલેસ્ટાઇનીઓ ખીચોખીચ અને ગીચોગીચ વસે છે. તેમને જંપ નથી. કારણ કે પોતાની ભૂમિમાં તેમને આ રીતે વસવું પડે છે અને ઘણી બાબતોમાં તેમને ઇઝરાઇલની મુન્સફી પર આધારિત રહેવું પડે છે. ઇઝરાઇલને જંપ નથી. કારણ કે અસ્તિત્ત્વ પરનો ખતરો મહદ્‌ અંશે ટળી ગયો હોવા છતાં, અસલામતીની લાગણી બરકરાર છે. તેમાંથી હિંસક માનસિકતા પેદા થાય છે. એવી માનસિક સ્થિતિમાં આત્મરક્ષા અને આક્રમણ વચ્ચેની ભેદરેખા બહુ ઘૂંધળી અને સાપેક્ષ બની જાય છે.

બેવડો સંઘર્ષ, બેવડાં કાટલાં

વર્ષો સુધી ‘ફતહ’ પક્ષ અને તેના નેતા યાસર અરાફાત ઇઝરાઇલને નકશા પરથી મિટાવી દેવાનું ઘ્યેય સેવતા હતા. તેમનો વાંધો ગમે તેટલો વાજબી હોય તો પણ, ઇઝરાઇલનું અસ્તિત્ત્વ ભૂંસી નાખવાની તેમની મહેચ્છા અવ્યવહારુ-અવાસ્તવિક હતી. (અમેરિકા જેવી મહાસત્તા ધન-મનથી ઇઝરાઇલની પડખે હોય ત્યારે તો ખાસ.) ‘ફતહ’ની અગાઉની હિંસક કાર્યવાહીઓ જોતાં, ઇઝરાઇલને મિટાવી દેવાની વાત કેવળ સોદાબાજીમાં મહત્તમ ફાયદો મેળવવા પૂરતી હોય, એવું પણ લાગતું ન હતું.

સીધા યુદ્ધમાં પહોંચી નહીં વળાય એવું સમજાયા પછી, પોતાને થયેલા લાગતા અન્યાયનો વિરોધ ચાલુ રાખવા માટે પેલેસ્ટાઇનની નેતાગીરીએ યુદ્ધ કરતાં નાના પાયાની હિંસાનો આશરો લીધો. ‘ફતહ’ને હિંસાની નિરર્થકતા સમજાય ત્યાં સુધીમાં ‘હમાસ’ની બોલબાલા થઇ ચૂકી હતી. એંસીના દાયકામાં અસ્તિત્ત્વમાં આવેલું આ સંગઠન એકદમ અંતિમવાદી તેવર ધરાવતું હતું. એટલે પેલેસ્ટાઇનના નામે અને પોતાના અધિકાર મેળવવાના નામે ‘હમાસ’ તરફથી હિંસક હુમલા ચાલુ રહ્યા.

‘હમાસ’નો સંઘર્ષ ફક્ત ઇઝરાઇલ સામે જ નહીં, ‘ફતહ’ સામે પણ હતો. એટલે કે, લડાઇ ફક્ત પેલેસ્ટાઇનના હિતની નહીં, એ હિત સાધવાની સત્તા કોની પાસે રહે, એની પણ હતી. તેમાં ‘હમાસે’ જીત મેળવી. વર્ષ ૨૦૦૬માં લોકશાહી ઢબે થયેલી ચૂંટણીમાં ‘હમાસ’નો વિજય થયો. ત્યાર પછી ‘હમાસ’-‘ફતહ’ વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં ગાઝા પર ‘હમાસ’નો કબજો રહ્યો, જ્યારે વેસ્ટ બેન્કના ઇઝરાઇલી કબજા સિવાયના વિસ્તારમાં ‘ફતહ’નું રાજ થયું. છેક આ વર્ષના જૂન મહિનામાં ‘હમાસ’ અને ‘ફતહ’ વચ્ચે સુલેહ થઇ અને ‘ફતહ’ નેતા મહમૂદ અબ્બાસ પેલેસ્ટાઇનના પ્રમુખ બન્યા.

જોકે, ગાઝામાં હજુ ‘હમાસ’ની બોલબાલા છે. ઇઝરાઇલ પર રોકેટહુમલા ‘હમાસ’ દ્વારા થાય છે. બળુકા અને શસ્ત્રસજ્જ ઇઝરાઇલને રોકેટમારાથી અડપલાં કરવામાં ‘હમાસ’ને ભારે ખુવારી વેઠવી પડે છે - અને એ ફક્ત ‘હમાસ’ના અંતિમવાદીઓ પૂરતી મર્યાદિત નથી. ઇઝરાઇલના હુમલામાં ગાઝામાં રહેલા નિર્દોષ પેલેસ્ટાઇનીઓને- સ્ત્રીઓ, બાળકોનો પણ મોટી સંખ્યામાં ભોગ લેવાય છે. પરંતુ ‘હમાસ’ની વ્યૂહરચના મુજબ, આ ખુવારીનું જમા પાસું એ છે કે પેલેસ્ટાઇનના અધિકારોનો- તેની સ્વતંત્રતાનો મુદ્દો વિશ્વ સમક્ષ પ્રદર્શીત થતો રહે છે. સાથોસાથ, ઇઝરાઇલનું જાલીમ અને નિષ્ઠુર સ્વરૂપ વિશ્વ સમક્ષ રજૂ કરીને સહાનુભૂતિ મેળવી શકાય છે. પોતાની લડતના જે કંઇ સાચા મુદ્દા હોય તેના જોરે નહીં, પણ ઇઝરાઇલની નિષ્ઠુરતા અને તેનું ઘાતકીપણું ઉભારીને-ઉપસાવીને વિશ્વમતને પોતાની તરફેણમાં આણવાની ‘હમાસ’ની નેમ લાગી છે અને તેમાં એને ઠીક ઠીક સફળતા પણ મળી છે.

મહાસત્તા અમેરિકાનું પક્ષપાતી વલણ જાણે ઇઝરાઇલી દુષ્ટતાનો પુરાવો બની રહ્યું છે. ઘરઆંગણે યહુદી લોબીના ભારે વર્ચસ્વને કારણે, દુનિયાભરમાં માનવ અધિકારની કવિતાઓ કરતું અમેરિકા ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં સંપૂર્ણપણે ઇઝરાઇલની પડખે રહ્યું છે- ફક્ત નૈતિક રીતે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જ નહીં, શસ્ત્રોની અને આર્થિક મદદની બાબતમાં પણ. ‘જવાબી કાર્યવાહીના અધિકાર’ના રૂપાળા ઓઠા હેઠળ તે ઇઝરાઇલની સઘળી હિંસા સામે આંખ આડા કાન કરે છે. બલ્કે, તેને ઇઝરાઇલનો હક ગણે છે. એટલે ‘હમાસ’ની ‘હિંસાખોરીની સજા’ તરીકે ઇઝરાઇલ ગાઝા પર જાતજાતના પ્રતિબંધ મૂકી શકે, તેનો વિદેશ સાથેનો વ્યાપાર અટકાવી શકે, ગાઝાનું એરપોર્ટ નષ્ટ કરી શકે અને ગાઝામાં બંદરનું બાંધકામ થવા ન દે, ગાઝાના લોકોની વિદેશમાં તો ઠીક, વેસ્ટ બેન્કમાં થતી અવરજવર સુદ્ધાં એ રોકી શકે, પેલેસ્ટાઇનના વિસ્તારોમાં પોતાની વસાહતો બનાવી શકે. ટૂંકમાં, પેલેસ્ટાઇનના લોકો માટે તે ગાઝાને લગભગ ખુલ્લા કેદખાનામાં ફેરવી નાખે. આ બધો ઇઝરાઇલનો અધિકાર, પરંતુ અમેરિકાના ખભે બેઠેલા ઇઝરાઇલની હિંસાખોરી સામે આંતરરાષ્ટ્રિય સ્તરે કશું જ ન થઇ શકે.

વેરભાવે મદદ

આટલી વાત કર્યા પછી સવાલ આવે પક્ષ લેવાનો. ઇઝરાઇલ અને ‘હમાસ’ - બન્નેમાંથી આપણે ભારતના નાગરિકો તરીકે કોનો પક્ષ લેવો? અહીં બેઠાં બેઠાં આ કે પેલો પક્ષ લેવાથી કશો ફરક પડવાનો નથી. છતાં, આ પ્રકારના સંઘર્ષમાં કોઇ એક પક્ષે ઢળવાની વૃત્તિ માનવસહજ હોય છે.

ઇઝરાઇલ-‘હમાસ’ના મામલે સૌથી મોટો વાંધો એ છે કે બન્નેમાંથી કોઇનો પક્ષ લઇ શકાય એમ નથી. કારણ કે તે બન્ને હિંસાને વરેલાં છે. હકીકત તો એ છે કે પોતપોતાની હિંસાને વાજબી ઠરાવવામાં બન્ને વિરોધીઓ એકબીજાનાં સૌથી મોટાં મદદગાર છે. એ દૃષ્ટિએ અને એટલા પૂરતાં એ બન્નેને સાથીપક્ષો ગણી લેવામાં આવે તો પણ ખોટું નથી. ‘હમાસ’ની આખી અપીલ અને તેની લોકપ્રિયતાનો આધાર ઇઝરાઇલનો હિંસક મુકાબલો કરવાની તેની ચેષ્ટાઓમાં છે. ઇઝરાઇલના અત્યાચારોનાં બયાન કરીને ‘હમાસ’ પોતાની અંતિમવાદી, આક્રમક નીતિને, કમ સે કમ ગાઝામાં રહેતા લોકો સમક્ષ, વાજબી ઠરાવી શકે છે અને તેમનો ટેકો મેળવી શકે છે. આમ, ભલે વેરભાવે તો એ રીતે, પણ ઇઝરાઇલના લીધે ‘ફતહ’ સામેની આંતરિક લડાઇમાં ‘હમાસ’નું પલ્લું ભારે રહે છે. ‘હમાસ’ની લોકપ્રિયતાનું રહસ્ય જેટલું તેની હિંસામાં છે, એટલું જ ઇઝરાઇલની હિંસામાં પણ છુપાયેલું છે. ‘હમાસ’ની હિંસાને વાજબી ઠરાવવા ઇચ્છતા લોકો માટે ઇઝરાઇલની હિંસા હાથવગું કારણ બની રહે છે.

એવી જ રીતે, ‘હમાસ’ના રોકેટમારાને કારણે ઇઝરાઇલની સરકારમાં અને દેશમાં ઉગ્રમિજાજી લોકોની જ બોલબાલા રહે છે. ‘માથા સાટે માથાં’ની સત્તાવાર ઇઝરાઇલી નીતિ સામે સ્થાનિક શાંતિપ્રેમી અને સુલેહપ્રેમી લોકોને ગમે તેટલો વાંધો હોય તો પણ, ‘હમાસ’નો રોકેટમારો ઇઝરાઇલી અંતિમવાદીઓનાં કરતૂતોને વાજબી ઠરાવવામાં ભારે ઉપયોગી નીવડે છે. ગાઝામાં ઇઝરાઇલી ડીફેન્સ ફોર્સ (આઇડીએફ)ની હિંસક લશ્કરી કાર્યવાહી ચાલતી હોય ત્યારે પાડોશી ઇઝરાઇલમાંથી ઉત્સાહી ‘રાષ્ટ્રવાદીઓ’ નિર્દોષોનાં મોતનો એ નજારો, પિકનિક કાર્યક્રમની માફક જોવા જાય છે. (આ મતલબના આધારભૂત સમાચાર પ્રસાર માઘ્યમોમાં આવ્યા હતા.) આવા સંવેદનહીન લોકો ‘હમાસ’ના રોકેટહુમલા ટાંકીને પોતાની ડઠ્ઠરતાને ‘રાષ્ટ્રવાદ’ કે ‘દેશભક્તિ’ તરીકે ખપાવી શકે છે. એ રીતેે તેમનું સૌથી મોટું મદદગાર જો કોઇ હોય તો એ  હિંસક ‘હમાસ’ છે. ‘હમાસ’ હિંસા તજીને શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ માટે તૈયારી બતાવે અને ઇઝરાઇલ ગાઝાને ખુલ્લા કેદખાનામાંથી મોકળાશ આપે, એ આ સમસ્યાનો અઘરો છતાં એકમાત્ર ઉપાય છે.

‘પેલેસ્ટાઇનમાં ઇઝરાઇલના અમાનવીય હુમલામાં મુસ્લિમો મરી રહ્યા છે’ એવી બળતરા ભારતના ઘણા મુસ્લિમો વ્યક્ત કરે છે. ઇન્ટરનેટથી માંડીને સડક સુધી ઇઝરાઇલના વિરોધમાં દેખાવો થાય છે અને ઇઝરાઇલી ચીજવસ્તુઓના બહિષ્કારની અપીલ પણ થાય છે. આ જાતનો વાંધો જેમને પડતો હોય એવા સૌ મુસ્લિમોએ પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) તેમનો વિરોધ નિર્દોષ મુસ્લિમો મરે છે તેની સામે છે? ૨) તેમનો વિરોધ યહુદીઓના હાથે નિર્દોષ મુસ્લિમો મરે છે એ બાબતે છે? ૩) કે પછી તેમનો વિરોધ બળુકા સૈન્યની કાર્યવાહીમાં નિર્દોષ માણસો મરે છે તેની સામે છે?

જેમનો વાંધો પહેલાં બે કારણસર હોય તેમણે સમજવું જોઇએ કે પાકિસ્તાન અને ઇરાક સહિતના બીજા ઘણા દેશોમાં  મુસ્લિમો વચ્ચે આંતરિક હિંસા થાય છે અને સેંકડો મુસ્લિમો મૃત્યુ પામે છે. ત્યારે તેમની લાગણી ક્યાં ખોવાઇ જાય છે? તે પાયાનો મુદ્દો ચૂકી જાય છે કે પેલેસ્ટાઇનના લોકોને મુસ્લિમ તરીકે નહીં, માણસ તરીકે-નાગરિક તરીકે સહાનુભૂતિ અને ટેકાની જરૂર છે. 

4 comments:

  1. Anonymous10:10:00 PM

    Thanks for your opinion on Palestanian-Jewis issue.

    A recent book, I shall not hate by Dr. Izzeldin Abuelaish,

    A Palestinian doctor who was born and raised in the Jabalia refugee camp in the Gaza Strip, Izzeldin Abuelaish is an infertility specialist who lives in Gaza but works in Israel. The Gaza doctor has been crossing the lines in the sand that
    divide Israelis and Palestinians for most of his life--as a physician who treats patients on both sides of the line, as a humanitarian who sees the need for improved health and education for women as the way forward in the Middle East. And, most recently, as the father whose daughters were killed by Israeli soldiers on January 16, 2009, during Israel's incursion into the Gaza Strip.

    It was Izzeldin's response to this tragedy that made news and won him humanitarian awards around the world. Instead of seeking revenge or sinking into hatred, he called for the people in the region to start talking to each other. His deepest hope is that his daughters will be "the last sacrifice on the road to peace between Palestinians and Israelis."

    ReplyDelete
  2. બર્મા, આસામ, પેલેસ્ટાઈન અથવા વિશ્વના કોઈ પણ ખૂણે જયારે અન્ય ધર્મના લોકો વડે મુસ્લિમો પર અત્યાચાર થાય એટલે ભારતીય મુસ્લિમોને દુખ થાય છે જ અને એને જુદી જુદી રીતે વ્યક્ત કરતા હોય છે પણ સાથે એ ચુકી જાય છે કે એમના આ પ્રદર્શનથી પોતે અલગતાવાદી વિચારસરણી ધરાવે છે અને જાણે, ફક્ત મુસ્લિમો જ મુસ્લીમોના ભાઈઓ છે બીજા પારકા છે એવું અદ્દ્રશ્ય પડઘો બીજા સમાજ પર પડે છે.. બીજું, કોઈ ઇસ્લામિક દેશમાં જયારે કોઈ હિંદુને તકલીફ થાય તો એની પણ પ્રતિક્રિયા અહીંયા એવી જ જોવા મળે છે.. કોઈ પણ ધર્મને સમર્થન આપ્યા વગર ફક્ત નિર્દોષ લોકો માટે સહાનુભુતિ વ્યક્ત થવી જોઈએ.

    ReplyDelete
  3. Anonymous5:22:00 PM

    It seems that u don't like israel .

    have u ever read articles about the missions of Mossad?

    The purpose and formation of that sercet wing of israel.?
    The attack on only israel olympic team in germany? Just to free a terrorist?
    Before posting such "One Way" attitude ,
    Do some reading on fact.
    I recommend that u read Safari magazine of Harshal Pushkarna.
    Before u say anything
    In your style
    :don't tell me that I posted this(or took israel side) because I read safari .
    I have read muh more than safari ,I even have a book about Operations Of Mossad, a must read book.

    ReplyDelete
  4. ભાઇશ્રી, તમારું ’અગાધ’ વાચન તમને મુબારક, પણ કેવળ વાંચવાથી કશું થતું નથી. પોતાની મેળે, વિગતોના પ્રકાશમાં વિચારવું પણ પડે છે.

    મને ’સફારી’ કે ’મોસાદનાં પરાક્રમો’ વાંચવાની સલાહ આપવાની જરૂર નથી. ઉપર લખેલી બાબતો સાથે તેનો કશો સંબંધ નથી. એ બધા પછી પણ ઉપર લખેલી બાબતો ઊભી રહે છે.

    તમારી સ્ટાઇલમાં તમને એક સલાહ આપું? ’સાર્થક જલસો’માં પ્રગટ થયેલો નગેન્દ્ર વિજયનો ઇન્ટરવ્યુ ન વાંચ્યો હોય તો વાંચી લેજો. કદાચ કંઇક સમજાય.

    ReplyDelete