Monday, August 04, 2014

મૂંઝવતો ન્યાય

(ગુજરાત સમાચાર, તંત્રીલેખ-સોમવાર-૪-૮-૧૪)

ગયા સપ્તાહે આવેલા બે ચુકાદા સામાન્ય નાગરિકને ન્યાયપ્રક્રિયા વિશે વિચારતા કરી દે એવા હતા. સર્વોચ્ચ અદાલતે ૧૯૯૩ના સુરત બોમ્બવિસ્ફોટ કેસના તમામ ૧૧ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા. આ તમામને રાજ્યની ‘ટાડા’ અદાલતે વર્ષ ૨૦૦૮માં દોષી ઠેરવીને દસ વર્ષથી માંડીને વીસ વર્ષ સુધીના જેલની સજા ફટકારી હતી. બાબરી મસ્જિદને તોડી પડાયા પછીના અરસામાં થયેલા સુરત વિસ્ફોટમાં એક છોકરીનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એ વખતે ‘ટાડા’ -ટેરરિસ્ટ એન્ડ ડિઝરપ્ટિવ એક્ટિવિટિઝ એક્ટ- અમલમાં હતો અને આ કેસ ‘ટાડા’ અદાલતમાં ચાલ્યો હતો.

સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી અક્ષરધામ પર હુમલાનો કેસ તાજો થાય એ સ્વાભાવિક છે. એ કેસમાં પણ ‘ટાડા’ના મસિયાઇ ભાઇ જેવા ‘પોટા’ - પ્રીવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ- અંતર્ગત છ આરોપીઓને દોષી જાહેર કરાયા હતા. સર્વોચ્ચ અદાલતે આ વર્ષે એ તમામને નિર્દોષ છોડ્યા, ત્યાં સુધીમાં છમાંથી ચાર આરોપી ૧૧ વર્ષની જેલની સજા કાપી ચૂક્યા હતા.

સુરત બોમ્બ વિસ્ફોટ કેસમાં સર્વોચ્ચ અદાલતે બીજી બાબતો ઉપરાંત એવી ટીપ્પણી કરી છે કે ‘ટાડા’ના કાયદા હેઠળ આવતા ગુનાને લગતી માહિતી અને એકરારનામાં નોંધવા માટે ડીએસપીની મંજૂરી જરૂરી છે, જ્યારે આ કેસમાં રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીએ જ એ મંજૂરી લાવી દીધી હતી. અદાલતે કહ્યું છે કે કાયદામાં જે કામ જે હોદ્દેદારને સોંપાયું હોય તેનાથી જ એ થઇ શકે. તેનાથી નીચલો તો ઠીક, ઉપરનો હોદ્દો ધરાવનાર પણ એ કામ કરવા જાય એ ગેરકાયદે ગણાય. પહેલી નજરે આ ‘બાલકી ખાલ’ જેવો મામલો લાગે, પણ ઉતાવળે અને મનગમતી દિશામાં કાર્યવાહી કરવા ઉત્સુક સરકારી તંત્રને કાયદાની પ્રાથમિક જોગવાઇની પણ પરવા રહેતી નથી, તે ઘ્યાનમાં રાખતાં અદાલતની કડકાઇનું મહત્ત્વ સમજી શકાય એવું છે.

સુરત બોમ્બવિસ્ફોટ અને અક્ષરધામ હુમલો- આ બન્ને કેસમાં તમામ આરોપીઓ વર્ષો સુધી જેલની સજા ભોગવ્યા પછી નિર્દોષ છૂટી જાય, ત્યારે ન્યાયપ્રક્રિયાની વિડંબના બરાબર ઉજાગર થાય છે. સર્વોચ્ચ અદાલતે જેમને નિર્દોષ ઠેરવ્યા છે એવા આરોપીઓનાં પરિવારજનોએ વેઠવી પડેલી અનેકવિધ મુશ્કેલીઓની તો શી વાત કરવી? પણ ‘સો ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષ ન દંડાવો જોઇએ’ - એવા ઘુ્રવવાક્યનું હાર્દ પણ જળવાતું નથી.

આ બન્ને ચુકાદાથી સાવ વિપરીત કેસ નરોડા પાટિયા હત્યાકાંડનાં ગુનેગાર માયા કોડનાનીનો છે. હા, માયા કોડનાની ‘આરોપી’ નથી. કેમ કે, નેવુથી વઘુ લોકોની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી એ નરોડા પાટિયા હત્યાકાંડમાં ખાસ અદાલતે માયા કોડનાનીને ગુનેગાર ઠેરવ્યાં હતાં અને તેમને ૨૮ વર્ષની જેલની સજા ફટકારી હતી.  એ સજા સામે માયા કોડનાનીએ હાઇકોર્ટમાં કરેલી અપીલનો નીવેડો આવ્યો નથી. દરમિયાન, જેલવાસનાં માંડ બે વર્ષ પણ પૂરાં થાય તે પહેલાં હાઇકોર્ટમાંથી કાયમી જામીન મેળવીને તે બહાર આવી ગયાં છે.

સામાન્ય રીતે ગુનેગારને આરોગ્યની તકલીફ હોય તો તેને કેદી તરીકે જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે. પરંતુ ગુજરાત હાઇકોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચે અસાધારણ પગલું ભરીને, માયા કોડનાનીને આરોગ્યના કારણસર કાયમી જામીન આપ્યા છે. તેના આધારે નરોડા પાટિયા હત્યાકાંડનાં ગુનેગાર માયા કોડનાનીને જેલમાં રહેવાની તો ઠીક, પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની જરૂર પણ રહેતી નથી.  માયા કોડનાની એક્યુટ ડીપ્રેશન, આત્મઘાતી વૃત્તિ અને ટી.બી. જેવી બિમારીઓથી પીડાતાં હોવાની રજૂઆત અદાલત સમક્ષ થઇ હતી.

અદાલતે જામીન અંગે ચૂકાદો આપ્યો ત્યારે ખાસ તપાસ ટુકડી (સિટ)ના પ્રતિનિધિની ગેરહાજરી શંકા ઉપજાવનારી હતી. ચુકાદા ટાણે ગેરહાજર રહેવાને લીધે, કાયમી જામીનના નિર્ણય પર મનાઇહુકમ માગવાની તક ‘સિટ’ ચૂકી ગઇ. બીજા દિવસે ‘સિટ’ તરફથી મનાઇહુકમ માટે રજૂઆત થઇ, ત્યારે મોડું થઇ ચૂક્યું હતું. અદાલતે કહ્યું કે અગાઉના (કાયમી જામીનના) હુકમનો અમલ થઇ ચૂક્યો હોવાથી અને ગુનેગાર જેલમાંથી છૂટી ચૂક્યા હોવાથી હવે તે મનાઇહુકમ આપી શકે નહીં.

બિમાર ગુનેગારને સારવાર માટે જરૂરી હોય એટલા સમય માટે જામીન અપાય એ માનવતાપૂર્ણ અને સમજાય એવું છે, પણ ૨૮ વર્ષના જેલવાસની સજા પામનાર ગુનેગાર ટી.બી. અને એક્યુટ ડીપ્રેશન જેવી બિમારીને લીધે, બે જ વર્ષમાં કાયમી જામીન મેળવીને બહાર આવી જાય, એ સમજવું અને પચાવવું સામાન્ય નાગરિક માટે અઘરું નીવડી શકે છે. ગુજરાત સરકારની દાનત આ મામલે સાફ હોય અને તે અદાલતી કાર્યવાહીના રસ્તે આગળ વધવા ઇચ્છતી હોય તો, તેણે નિશ્ચિત સમયમર્યાદામાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવી પડે. એમ કરવામાં તે ઠાગાઠૈયા, ટાળમટોળ કે દિલચોરી કરતી જણાશે, તો પીડિતોને ન્યાય અપાવવાની લડાઇમાં તે ક્યાં ઊભી છે તે સ્પષ્ટ થઇ જશે. 

No comments:

Post a Comment