Wednesday, September 18, 2013

ભાજપની બેઠકનો કાલ્પનિક અહેવાલ

મહિનાઓની ખેંચતાણ પછી ભાજપે આખરે વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ પાડ્યું. એ બેઠકમાં અડવાણી ‘દેખવું નહીં ને દાઝવું નહીં’ ન્યાયે ગેરહાજર રહ્યા. ૮૫ વર્ષે અડવાણીની તબિયત વડાપ્રધાન બનાય એટલી સારી છે કે નહીં એ તો ભાજપ જાણે, પણ આલ્બમ જોવાય એટલી સારી તો છે જ.  એટલે એ કદાચ ઘરે બેસીને જૂનાં આલ્બમ જોતા હશે, જેમાં તેમની રથયાત્રાના ‘સારથી’ મોદી હતા. હવે અડવાણી પાસે સમય જ સમય છે. આલ્બમ ખૂટી જશે, પણ સમય નહીં ખૂટે.

પરંતુ જે બેઠકમાં મોદીના નામ પર આખરી મહોર વાગી, તેમાં શું બન્યું હશે? અને તેમાં અડવાણી હાજર રહ્યા હોત તો કેવાં દૃશ્ય સર્જાયાં હોત?

***
રાજનાથસિંઘ : (મોદી સામે જોઇને) આપણે શા માટે ભેગા થયા છીએ  એ તો સૌ જાણો છો.

અડવાણી : બધાને ખબર છે...પણ અત્યારે તો અમારી સામે જોઇને વાત કરો..

રાજનાથસિંઘ :  (સહેજ ગળું ખોંખારીને, અરુણ જેટલી સામે જોઇને) તો હું એમ કહેતો હતો કે આપણે લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે એકઠા થયા છીએ.

(મોદી ખોંખારો ખાય છે)

રાજનાથસિંઘ :એટલે કે તેમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે કોને  રજૂ કરવા...

(મોદી મોટેથી ઉધરસ ખાય છે)

રાજનાથસિંઘ : એટલે કે વડાપ્રધાન તરીકે મોદીજીનું નામ નક્કી કરવા માટે...

અડવાણી : તમે પક્ષના પ્રમુખ છો કે મોદીજીના પ્રવક્તા?

રાજનાથસિંઘ : હું શું છું એ વાત જવા દઇએ, માનનીય અડવાણીજી. તમે અમારા સૌના વડીલ છો...

અડવાણી : હા, ઉમા ભારતીએ ભાજપ છોડતી વખતે કહેલું ને કે પક્ષના અમુક વડીલો ઘરની વિધવા ફોઇ જેવા હોય છે, જેમને પગે બધા લાગે, પણ એમની વાત કોઇ ન માને...તમારા બધાની જોડે રહીને ‘વડીલ’ હોવું એટલે શું, એ હું બરાબર સમજી ગયો છું.

અરુણ જેટલી : તમે નાહક નારાજ થઇ જાવ છો અડવાણીજી.

અડવાણી : ભાઇ અરુણ, તમારે તો ઠીક છે, ચૂંટણી લડ્યા વગર લાડવા મળી જાય છે. અમે અત્યાર સુધી ચૂંટણીમાં રગડમપટ્ટી કરાવી છે. લોકસભામાં બે બેઠક પરથી...

રાજનાથસિંઘ : હા, હા, બે બેઠકમાંથી દિલ્હીની ગાદી સુધી પહોંચવાની વાર્તા હવે જૂની થઇ. મા.મોદીજીના સમર્થકો તો કહે છે કે એ વખતે મોદીજી હોત તો બે બેઠકોનો પ્રશ્ન જ ન આવત. સીધી કેન્દ્રમાં સરકાર જ બની ગઇ હોત.

અડવાણી : મોદીજીના સમર્થકો તો એવું પણ કહેશે કે મોદીજી સો વર્ષ પહેલાં જન્મ્યા હોત તો ભારતને ૧૮૫૭માં આઝાદી મળી જાત અને દેશને ગાંધીજીની જરૂર જ પડી ન હોત.

સુષ્મા ::અડવાણીજીની વાત સાચી છે. આપણે કોઇ પણ વ્યક્તિનો મહિમા કરવામાં માપ રાખવું જોઇએ અને તેના આંજી દેનારા પ્રચારમાં ન આવી જવું જોઇએ. (મોદી તરફ જોઇને) એનો અર્થ એ નથી કે હું મોદીજીનો વિરોધ કરું છું...

અડવાણી : અમે પક્ષ માટે શું નથી કર્યું? રથયાત્રાઓ કાઢી, દેશભક્તિના નામે કોમવાદ ફેલાવ્યો, હિંદુત્વનું રાજકારણ ખેલ્યા...

રાજનાથસિંઘ : તમારા એ પ્રદાનને કારણે તો તમને હજુ મિટિંગમાં વડીલનું સ્થાન આપવામાં આવે છે, અડવાણીજી. બાકી, મોદીજીનું ચાલ્યું હોત તો તમને ક્યારના....

અડવાણી : (એકદમ ઉકળી ઉઠે છે) એટલે તમે અહીં બેસવા દઇને મારી પર દયા કરો છો? આ પાર્ટી કોઇના પિતાશ્રીની પેઢી નથી. અમે મહેનતથી ઊભી કરી છે. એની પર કોઇનો એકાધિકાર અમે ચાલવા નહીં દઇએ.

જેટલી : માફ કરજો, અડવાણીજી...પણ ‘અમે’ એટલે તમારા સિવાય બીજું કોણ?

(અડવાણી એક નજરે સામે બેઠેલા સૌ નેતાઓ સામે વારાફરતી જુએ છે અને દરેકનાં માથાં નીચાં નમી જાય છે.)

અડવાણી : ઓહો, આ ભાજપની બેઠક છે કે કૌરવસભા? અહીં કોઇ સાચું કહેવા તૈયાર જ નથી?

જેટલી : જે છે તે આ છે. કૌરવસભામાં ભીષ્મ થવું છે કે દ્રૌપદી, એ તમારે નક્કી કરવાનું છે.

અડવાણી : (એકદમ પોતાનાં કપડાં સંકોરતાં) હું માની શકતો નથી કે હું ભાજપની બેઠકમાં બેઠો છું. એવું લાગે છે, જાણે આપણી વચ્ચે પણ કોઇ  ‘સોનિયા ગાંધી’ બેઠાં છે, જેના અદૃશ્ય ઇશારે આખી બેઠકની કાર્યવાહી ચાલે છે અને તેની દિશા નક્કી થાય છે. તેમનો વિરોધ કરવાની કોઇની હિંમત ચાલતી નથી. બધા તેમની આગળ લાલચથી પૂંછડી પટપટાવે છે અથવા બીકથી સમર્પણભાવે પૂંછડી પગ વચ્ચે દબાવીને બેસી ગયા છે. પણ યાદ રાખજો, મારું નામ લાલકૃષ્ણ છે. હું એક વાર નિરાશ્રિત થઇ ચૂક્યો છું. બીજી વાર એ અનુભવ લેવા માગતો નથી.

યશવંત સિંહા : અડવાણીજીને આટલું બઘું દુઃખ પહોંચે એ બરાબર નથી. આ તો અકારણ યાદવાસ્થળી જેવી ‘ભાજપાસ્થળી’ લાગે છે. આપણે અડવાણીજીના આશીર્વાદથી જ વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કરવું જોઇએ.

રાજનાથસિંઘ : આપણને આશીર્વાદ લેવામાં ક્યાં વાંધો જ છે? પણ અડવાણીજી આપે તો ને?

અડવાણી : મારે આશીર્વાદ આપવા નથી, શુભેચ્છાઓ લેવી છે. મારી આખી જિંદગીની સાધનાનું ફળ હવે મળવા આવ્યું છે ત્યારે તમે બધા ભેગા થઇને એ આખેઆખું ઝાડ કોઇકને પધરાવી દો છો, એ હું કેમ સહન કરી લઉં?

સુષ્મા સ્વરાજ : ઝાડ અને ફળ પરથી એક વાત યાદ આવી, અડવાણીજી. ૨૦૦૨માં વાજપેયીજી મોદીજીનું રાજીનામું લઇ લેવાના હતા, ત્યારે તમે જ મોદીજીને બચાવ્યા હતા. એ યાદ કરીને ઘણા વખત પછી વાજપેયીજી એક પંક્તિ બોલ્યા હતા. એ વખતે મને સમજાઇ ન હતી,પણ હવે તમે ઝાડ અને ફળની વાત કરી, એટલે મને બરાબર સમજાઇ ગઇ.

જેટલી : એમ? શું બોલ્યા હતા વાજપેયીજી?

સુષ્મા : બોયા પેડ બબૂલકા, આમ કહાંસે હોય? ...બાવળિયા રોપો તો એની પર કેરીઓ ન ઉગે.

જેટલી : માનનીય અડવાણીજી, તમે અમારા માટે પિતૃપુરૂષ છો. પિતૃપુરૂષોને શ્રાદ્ધપક્ષમાં કાગવાસ નાખવાનો હોય, ફાઇવ સ્ટારમાં પાર્ટીઓ આપવાની ન હોય. ભારતીય સંસ્કૃતિની એ પરંપરા તમે કેમ ભૂલી ગયા?

રાજનાથસિંઘ : છતાં અમને તમારા માટે પૂરેપૂરો આદર છે. તમે કહો તો અમે તમને મોદીજીની જગ્યાએ...

(અડવાણીના મોં પર ખુશીની લહેર દોડી જાય છે. તે હમણાં ઊભા થઇને મેચ જીત્યા પછી રેકેટ ઉછાળતા ટેનિસના ખેલાડી જેવું કશુંક કરી બેસશે એવું લાગે છે.)

રાજનાથસિંઘ : તમે કહો તો અમે તમને મોદીજીની જગ્યાએ ગુજરાતના મુખ્ય મંત્રી બનાવી દઇએ.

(આ સૂચન પર થયેલા તાળીઓના ગડગડાટમાં અડવાણીનો પ્રતિભાવ ડૂબી જાય છે અને બેઠક પૂરી થાય છે.)

1 comment:

  1. Excellent Urvish bhai. I enjoyed every bit of it. I very rarely read anyone's blog. But this I really liked. Keep it up, please.

    ReplyDelete