Wednesday, June 08, 2011

સમય (શેરડીના) રસભીનો વહી રહ્યો

સર્વ ૠતુઓમાં ‘ૠતુરાજ’ તરીકે વસંત જાણીતી છે, પરંતુ સાહિત્યકારો-કવિઓ થોડું ઘ્યાન ખાણાંપીણાં- ખાસ કરીને નશારહિત પીણાં- તરફ આપતા હોત, તો તેમણે ક્યારનું ઉનાળાને ‘રસરાજ’નું બિરૂદ આપી દીઘું હોત.
કેટકેટલી જાતના રસ ફક્ત ઉનાળામાં મળે છેઃ કેરીનો રસ, તરબૂચનો રસ, ફાલસાનો રસ, ટેટીનો રસ, શેરડીનો રસ...સાહિત્યના નવ રસની જેમ ઉનાળાના રસની મીમાંસા કરતો કોઇ ગ્રંથ રચાયો નથી, તેથી એ રસનું મહત્ત્વ જરાય ઘટતું નથી. બલ્કે, એવું અનુમાન કરી શકાય કે ઉનાળામાં મનુષ્યો એટલા રસતરબોળ રહે છે કે ગ્રંથ રચવા જેવાં નીરસ કામમાં તેમને રસ પડતો નથી.

ઉનાળામાં કેરીનો મહિમા એટલો પ્રચંડ છે કે ‘રસ એટલે કેરીનો રસ’ એવું જ માની લેવાય છે- ભલે કેરીનો રસ ઘણા બધાને પોસાતો ન હોય, ભલે બધાને પોસાતો હોય તે કેરીનો ન હોય, ભલે કેરીના રસમાં મોટા પાયે ભેળસેળ થતી હોય અને તેનાં કેનનાં કેન વહાવી દેવાને કારણે રાજ્યમાં રસની નદીઓ વહેવા લાગે, ભલે નકલી કેરીનો રસ કે કેરીનો નકલી રસ ખાવાથી લોકો બીમાર પડતા હોય- છતાં ‘કુછ બાત હૈ કે મિટતી હસ્તી નહીં હમારી’ની જેમ કે કૌભાંડી રાજકારણીના પ્રભાવની જેમ કેરીના રસનું મહત્ત્વ ઘટતું નથી.

કેરીના રસની સરખામણી શેરડીના રસ સાથે થઇ શકે? બન્ને રસના પ્રેમીસમુહો કહી શકે છેઃ ‘સવાલ જ નથી!’ પણ એ જવાબનો અર્થ ‘હા’ થાય કે ‘ના’- એ ચર્ચાનો અને ચર્ચાએ ચર્ચાએ બદલાતા અભિપ્રાયનો મુદ્દો છે. મતલબ, સરખામણી થાય પણ ખરી અને ન પણ થાય.

સામાન્ય રીતે કેરીનો રસ કોઇ ગટગટાવતું નથી ને શેરડીનો રસ કોઇ ખાતું નથી. શેરડીના રસમાંથી પાપડ કે બરફી બનતાં નથી અને કેરીના રસમાં ચટપટો મસાલો નાખી શકાતો નથી. કેરીનો રસ પ્યાલામાં ખવાતો નથી ને શેરડીનો રસ વાટકીમાં પીવાતો નથી. કેરીના રસમાં ફીણથી અડધી વાટકી ભરી શકાતી નથી અને શેરડીના રસમાં (બરફ સિવાય બીજા કશાની) ભેળસેળ થઇ શકતી નથી. કેરીનો રસ કાઢવો અને ખાવો એ મોટે ભાગે ‘ઇનડોર’ પ્રવૃત્તિ છે, જ્યારે શેરડીનો રસ પીવાની અસલી મઝા બહાર આવે છે.

કોથળીમાં પેક કરાવેલો શેરડીનો રસ આરોગ્યપ્રદ કહેવાય કે નહીં એ તો પછીની વાત છે, પણ તેની પોટલી ઘરે લાવીને છોડતાં અકારણ દારૂબંધીનો ભંગ કરતા હોઇએ એવું લાગે છે, જ્યારે કેરીનો રસ ઘરે લાવીને ખાવામાં ‘કાયદો છોડશે નહીં અને સમાજ સ્વીકારશે નહીં’ પ્રકારના વિચાર આવતા નથી.

શેરડીના રસ સાથે ‘કલાપી’ના કાવ્ય ‘ગ્રામ્યમાતા’ની યાદ સંકળાયેલી છે. (કેરીના રસ પર કોઇએ કવિતા લખી હોય એવું જાણમાં નથી. હા, ફેંકી દેવાયેલા ગોટલા પર લખાઇ છે.) વૃદ્ધાના ખેતરમાં લહેરાતો શેરડીનો પાક જોઇને તેનો મહેમાન બનેલો રાજા મનોમન વેરો વધારવાની ગણતરી માંડે છે, ત્યારે શેરડીમાંથી રસ સુકાઇ જાય છે અને વૃદ્ધા બોલી ઉઠે છે, ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ/ નહીં તો ના બને આવું...’

હવે લોકશાહી જમાનામાં રાજાઓ રહ્યા નથી, પણ ઘણા મંત્રીઓ રાજાને સારા કહેવડાવે એવા હોય છે. હજુ તે કાફલા લઇને નીકળે છે ખરા, પણ શેરડીનાં (કે બીજાં) ખેતરો જોઇને તેમને વેરા વધારવાના નહીં, ખેતરોની જમીનના બારોબાર સોદા પાડી દેવાના જ વિચારો આવે છે. વિકાસપ્રેમી ‘પ્રજાજનો’ આવા રાજાને દયાહીન ગણીને દુઃખી થવાને બદલે તેને પ્રગતિપ્રેમી ગણીને હરખાય છે- અને શેરડીના રસમાં મીઠાશનો અભાવ જણાય તો ધરા કે નૃપનો વાંક કાઢ્‌યા વિના, મસાલો નાખીને સ્વાદથી તે પી જાય છે.

શેરડીના રસની મઝા માણવાની સાચી પદ્ધતિ કઇ, એ વિશે હજુ સુધી એકમતિ સધાવી બાકી છે- અને કદી સધાય એમ લાગતું પણ નથી. એક વર્ગ માને છે કે કોઇ પણ રસ ઠંડો હોય તો જ પીવાની મઝા આવે. તેમના મનમાં ‘રસ મતલબ ઠંડા’ એવો ફંડા ધૂસેલો હોય છે. સામાન્ય તાપમાન ધરાવતા રસને તે ‘ગરમ’ તરીકે ઉતારી પાડે છે અને તેમાં ધરાર ઉપરથી બરફનાં ગચ્ચાં નખાવે છે. રસમાં બરફનું દર્શન થયા પછી સૌથી પહેલાં તેમના હૈયે અને બીજા નંબરે તેમના કોઠે એવી ટાઢક વળે છે કે વેચવા કઢાયેલા બંધ સરકારી એકમની જેમ અથવા બાથટબમાં પડેલા આર્કિમિડીઝની જેમ ‘છે તે જ અવસ્થામાં’ દોટ મૂકવાની ઇચ્છા તેમને થઇ આવે.

આર્કિમિડીઝનો રસ-શાસ્ત્ર સાથે ગાઢ સંબંધ છે. તેના સિદ્ધાંતની મહત્તા એ છે કે આર્કિમિડીઝનું નામ ન સાંભળ્યું હોય એવા રસવાળા પણ તેનો સિદ્ધાંત બરાબર સમજે છે અને તેને ખપમાં લઇ જાણે છેઃ આશાવાદીઓ અર્ધા ભરેલા પ્યાલાનો ભરેલો ભાગ જોઇને રાજી થાય છે, નિરાશાવાદીઓ તેનો ખાલી ભાગ જોઇને દુઃખી થાય છે, પણ આર્કિમિડીઝ-વાદીઓ અર્ધા ભરેલા પ્યાલામાં બરફના ટુકડા નાખીને ગ્લાસ ભરી દે છે. તેનાથી ગ્રાહક આશાવાદી-નિરાશાવાદી બનવાના વિકલ્પોમાંથી ઉગરી જાય છે અને રસવાળા બે પૈસા કમાય છે. આઇસક્રીમના નામે વેચાતું ફ્રોઝન ડેઝર્ટ, ‘યુવા પેઢીની પસંદ’ના નામે વેચાતાં ગુજલિશ ગલગલિયાં, ગુજરાતી થાળીના નામે મળતા રાજસ્થાની સ્વાદ અને લોકપ્રતિનિધિને બદલે મળતા ‘રાજાઓ’ની જેમ બરફના ગાંગડાથી છલકાતો શેરડીના રસનો પ્યાલો પણ ‘એ તો આમ જ હોય’ અથવા ‘હવે ક્યાં પહેલાં જેવું રહ્યું છે’ - તરીકે લોકસ્વીકૃતિ અને લોકપ્રિયતા પામે છે.

કેટલાક રસપ્રેમી અથવા જાગ્રત ગ્રાહકો બરફાચ્છાદિત રસ સાંખી શકતા નથી. જાગ્રત ગ્રાહકોનો વાંધો રસના સ્વાદ સાથે નહીં, પણ તેની ઘટેલી માત્રા સામે હોય છે. તેમનું ઘ્યેય મઘુર રસપાન કરવાનું નહીં, પણ ‘અમે તમે ધારો છો એવા ડફોળ નથી’ એ સિદ્ધ કરવાનું હોય છે. એવા ગ્રાહકસુરક્ષાવાદીઓને શેરડીના રસ કરતાં પણ વધારે રસ સંચાવાળા સાથેની દલીલબાજીમાં આવે છે. ‘રસ ગયો તેલ લેવા’ એવાં વચનો ઉચ્ચારીને તે વીરરસની જમાવટ કરે, ત્યારે બે ઘડી એવું લાગે કે એ સાંઠા લઇને સંચાવાળાને ફરી ન વળે અથવા સંચામાં એ શેરડીની જગ્યાએ ક્યાંક રસવાળાને પીલી ન નાખે! પણ સંચાવાળા મોટે ભાગે મનમોહનસંિઘ-મિજાજના હોય છે : શાંતિ જાળવીને બઘું સાંભળી લે. કોઇ વળી અધીરા બનીને કે ઘરાકી બગડવાની બીકે વચ્ચે પૂછી બેસે કે ‘સારું ભાઇ, તમે સાચા, બસ? બોલો, શું કરવું છે? ઉપરથી થોડો રસ ઉમેરી દઉં??’ તો શક્ય છે કે ગ્રાહકહિતશિરોમણિ ઘુંધવાઇને જવાબ આપે, ‘હું કંઇ તારા રસનો ભૂખ્યો નથી.’ (એટલે કે, ‘હું શેરડીના રસ માટે નહીં, અંતરના રસ માટે લડું છું.’)

કેવળ રસ પીવા માટે ગયેલા રસપ્રેમીઓ બખેડામાં પડવાને બદલે પહેલેથી જ સૂચના આપે છે,‘મારા રસમાં બરફ નાખવાનો નથી.’ કેટલાક છટાથી કહે છે,‘આપણો નીટ, હોં!’ આવો ‘નીટ’ રસ પીનારા બરફની ‘સ્વરૂપચર્ચા’માંથી (એ કેવા પાણીમાંથી બન્યો હશે તેની અટકળોમાંથી) બચી જાય છે. એકદમ કુદરતી સ્વાદના આગ્રહી તો મસાલો પણ નાખવાની ના પાડે છે. અસલી સ્વાદમાં મીઠાશ ઓછીવત્તી હોય એ તેમને મંજૂર છે, પણ મસાલો નાખીને શેરડીના સ્વાદનું ખૂન કરતાં તેમનો જીવ ચાલતો નથી.

ઘણા ગ્રાહકો વેપારીદૃષ્ટિ ધરાવતા અને એના માટે ભારે નાઝ રાખનારા હોય છે. શેરડીના સંચે રસ પીતી વખતે તેમના મનમાં રસના સ્વાદની અનુભૂતિ નહીં, પણ સંચા આગળ પડેલા કૂચા વિશે અનેક આશાસ્પદ સવાલો જાગે છેઃ કૂચાનું શું થતું હશે? એ ક્યાં કામ લાગતા હશે? આપણે જથ્થાબંધ ખરીદીએ તો કેટલામાં પડે? બજારમાં કેટલામાં વેચી શકીએ ? મુકેશ અંબાણીને રીફાઇનરીમાં કે સ્ટીવ જોબ્સને આઇ-પેડ બનાવવા માટે કૂચાની જરૂર પડતી હશે? પડતી હોય તો આપણી જોડેથી ખરીદે? કોઇ ‘જેક’ શોધી કાઢવો પડશે...આ વિચારોમાં રસ ક્યારે પૂરો થઇ જાય છે એનો ખ્યાલ રહેતો નથી. પરંતુ ઉદ્યોગસાહસિકોને તેનો અફસોસ પણ હોતો નથી.

7 comments:

  1. ras-prad blog hato. hehe!!

    ReplyDelete
  2. અથેતિ સ...રસ. રસ-તરબોળ કરી દીધા...

    ReplyDelete
  3. very nice..

    ReplyDelete
  4. Anonymous11:08:00 PM

    The bees which are cropping around juice machine, sugar-cane, remind a health-tip to survive in Ahmedabad to accustom our stomach. A Senior Doctor said, eat few pakodi once in month.

    A sugar-juice vendor in Dhalgerwad & Sarkhej sell a glass @ Rs.2, of course with ice, but without ice Rs.3, perhaps most economical in 2011 & Ahmedabad.

    Wastage of sugar-cane is called bagasse which is converted in furfural alcohol for manufacturing various chemicals in resins, adhesives, etc. Very flourishing industry.

    Urvishbhai, thanks for bringing every time new articles, mostly not influenced with obsession.

    ReplyDelete
  5. "પણ સંચાવાળા મોટે ભાગે મનમોહનસંિઘ-મિજાજના હોય છે : શાંતિ જાળવીને બઘું સાંભળી લે. કોઇ વળી અધીરા બનીને કે ઘરાકી બગડવાની બીકે વચ્ચે પૂછી બેસે કે ‘સારું ભાઇ, તમે સાચા, બસ? બોલો, શું કરવું છે? ઉપરથી થોડો રસ ઉમેરી દઉં??’ તો શક્ય છે કે ગ્રાહકહિતશિરોમણિ ઘુંધવાઇને જવાબ આપે, ‘હું કંઇ તારા રસનો ભૂખ્યો નથી.’ (એટલે કે, ‘હું શેરડીના રસ માટે નહીં, અંતરના રસ માટે લડું છું.’) " હહાહાહાહા

    ReplyDelete
  6. અને ઉર્વીશભાઈ તમારો હાસ્યરસ. અને શેરડી પીવામાં અને દલીલમાં કેટલીક "બારસ" પણ હોય છે

    ReplyDelete
  7. Medicaly approved that summeris best for various juice applied to patient for more experiment on him.

    ReplyDelete