Tuesday, June 07, 2011

બાબાના ઉપવાસ, સત્યાગ્રહનો ઉપહાસ

(લખ્યા તા.4-6-11, શનિવાર)

પ્રચારયંત્રો દ્વારા, રિલીઝ થયા પહેલાં સુપરહિટ જાહેર કરી દેવાતી ફિલ્મની જેમ, બાબા રામદેવના ઉપવાસ (તેમના શબ્દોમાં ‘સત્યાગ્રહ’) શરૂ થતાં પહેલાં જ, તેની પ્રચંડ સફળતાની વાતો વહેતી થઇ હતી. અન્નાના ઉપવાસના પગલે સર્જાયેલા કામચલાઉ વાવાઝોડામાંથી કરોડરજ્જુ વગરની કેન્દ્ર સરકારે સાવ અવળો બોધપાઠ લીધો : બાબાના ઉપવાસ શરૂ થવાની રાહ જોયા વિના, આગોતરી જ સરકાર તેમના ચરણોમાં લેટી પડી.

ભ્રષ્ટાચાર જેવા મહાવ્યાપક અને વ્યક્તિથી વ્યવસ્થા સુધીનું વિશાળ ફલક ધરાવતા મુદ્દે આમરણ ઉપવાસ જેવું આત્યંતિક શસ્ત્ર ઉગામાય કે કેમ? એ સવાલ અન્ના સામે પણ હતો ને બાબા સામે પણ છે. ઉપવાસ-સત્યાગ્રહના પ્રણેતા ગાંધીજી મુખ્યત્વે અંગ્રેજ સરકાર પાસે એક ને એક બે જેવી ચોક્કસ માગણીઓ સાથે અથવા જનસમુદાય વતી પ્રાયશ્ચિત કરીને તેમને પશ્ચાતાપનો અહેસાસ કરાવવા માટે આમરણ ઉપવાસ કરતા હતા. અત્યારે ગાંધીજીનો દાખલો ટાંકીએ તો ‘વ્યવહારુ’ લોકો હસે ને ઠપકો પણ આપે. એટલે એમનું ઉદાહરણ આગળ ખેંચવાનું માંડી વાળીએ, પણ વાત આમરણ ઉપવાસના આશય અને તેની સ્પષ્ટતાની છે.

આમરણ ઉપવાસની સામે મુકાયેલી અન્નાની માગણીઓ અસ્પષ્ટ અને ઘણા સવાલ પેદા કરનારી હતી, પરંતુ જનમનરંજનના અઠંગ ખેલાડી બાબા રામદેવના ઉપવાસ શરૂ થયા પછી અને તેમના હેતુઓ વિશે જાણ્યા પછી, અન્ના હજારે પોતાની કોઇ કમાલ વિના, કેવળ બાબાની સરખામણીમાં બે આંગળ ઊંચા લાગે એવી સ્થિતિ સર્જાઇ. લોકપ્રિયતાને જ સર્વસ્વ માનતાં તમામ ઉંમરનાં ભોળાં-મુગ્ધ બાળકો અન્નાની સરખામણીમાં રામદેવ પર ઓવારી જતી વખતે એ ભૂલી જાય છે કે અન્નાએ તમામ વ્યક્તિગત મર્યાદાઓ સહિત, નાના પાયે અને ચોક્કસ વિસ્તારમાં ભ્રષ્ટાચાર સામે અસરકારક લડત આપી છે. બોલવામાં બેફામ અન્નાની વ્યક્તિગત નિષ્ઠા સામે તેમના ટીકાકારો પણ સવાલ ઉભા કરતા નથી. તેમનું અંગત જીવન ભ્રષ્ટાચારના આરોપ તો ઠીક, વૈભવ અને ધનના ઢગલાથી પણ મુક્ત છે.

જંતરમંતર પર ઉપવાસ શરૂ કરતી વખતે અન્નાનો જે કંઇ પ્રભાવ હતો તે એમની બીજા વ્યવસાયની લોકપ્રિયતાને કારણે નહીં, પણ નાના પાયે તેમણે કરેલી ભ્રષ્ટાચારવિરોધી લડતના પ્રતાપે હતો. તેમ છતાં, રાષ્ટ્રિય સ્તરની લડતમાં અને તેમાં પણ કાયદો ઘડવા જેવી બાબતમાં અન્નાનો અનુભવ- કે જરા કડક શબ્દોમાં કહીએ તો, પાત્રતા- પૂરેપૂરી ન જ ગણાય. અને એ અભાવનાં પરિણામ ઝડપથી દેખાઇ ગયાં.

જંતરમંતર પછીના અન્ના પાસે સિલકમાં ભ્રષ્ટાચારવિરોધી લડતનો નાનો છતાં નક્કર આધાર નહીં, પણ તેમને મળેલી પ્રચંડ છતાં હવાઇ લોકપ્રિયતા છે. એ કેટલી, ક્યાં સુધી અને કયા કયા મુદ્દે કામ લાગશે? અને ‘ઉપવાસ વધારે ચાલ્યા હોત તો સરકાર ઉથલી પડી હોત’ એવા ભવ્ય ભ્રમમાં રાચતા અન્ના ફરી ક્યારે વાસ્તવની નક્કર ધરતી પર આવીને પોતાનું પૂર્વસ્વરૂપ પ્રાપ્ત કરશે? એ સવાલોના જવાબ માટે ભવિષ્યની રાહ જોવાની રહે છે.

ભાગ નહીં, પોતાની ‘દુકાન’
બાબા રામદેવ ભ્રષ્ટાચારના વિરોધની વાતો કરનારા જૂના ખેલાડી છે. ભ્રષ્ટાચાર એક એવો મુદ્દો છે કે જેનો વિરોધ કરીને પોતાની મહત્તા સિદ્ધ કરતા રહેવામાં સુખેથી આખી જિંદગી નીકળી જાય- ભારતમાં તો ખાસ! કારણ કે ગમે તે પક્ષની સરકાર આવે, આ મુદ્દે નક્કર પગલાં લેવાની અનિચ્છાની કે ઔપચારિકતાની બાબતમાં બધાં ‘ભાઇ-ભાઇ’ કે ‘ભાઇ-બહેન’ છે.

બાબા અત્યાર સુધી તેમના યોગ-સામ્રાજ્યના મુખિયા તરીકેના અવતારમાં અને વચ્ચે વચ્ચે ભ્રષ્ટાચારવિરોધી વાતો કરી લેવામાં રાજી હતા. પરંતુ તેમના કરતાં અનેક ગણી ઓછી લોકપ્રિયતા ધરાવતા અન્ના હજારે ભ્રષ્ટાચાર સામેના ઉપવાસથી જે રીતે રાતોરાત રાષ્ટ્રિય હીરો બની ગયા, એ જોયા પછી બાબા આ તક ન ઝડપે તો જ નવાઇ! અન્નાની ઝુંબેશનો આત્યંતિક વિરોધ કરનાર અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અન્નાના આંદોલન વખતે પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, બાબા રામદેવ અગાઉ જંતરમંતર પર આવું આંદોલન કરી ચૂક્યા હતા, પણ એ વખતે કોઇએ તેમને ભાવ આપ્યો ન હતો. એટલું જ નહીં, અન્નાના આંદોલનની સફળતા વખતે બાબાના એક ચેલાએ એ મતલબનું કહ્યું હતું કે ‘અન્ના તો ફક્ત ચહેરો છે. અસલી સંચાલન બાબા રામદેવનું છે.’ આ વાતમાં અતિશયોક્તિ હોય તો પણ તેમાંથી એક સૂર સ્પષ્ટ રીતે પ્રગટતો હતોઃ અન્નાને મળેલો લોકટોળાંનો મહદ્‌ અંશે અવિચારી ટેકો જોઇને બાબા ‘પ્રેરાઇ’ ઉઠ્યા હતા અને એ નહીં તો એમના ચેલાઓ, અન્નાની સફળતામાં પોતાનો હિસ્સો સુનિશ્ચિત કરી રહ્યા હતા.

પરંતુ ગ્રાહકો છેતરાવા તૈયાર હોય, કાચા માલની અછત ન હોય અને પોતાનું નામ અનેક ગણું વધારે જાણીતું હોય, તો પછી ભાગ શા માટે માગવો? અલગ દુકાન જ ન કાઢીએ! એ પ્રકારની વૃત્તિ-માનસિકતા બાબા રામદેવના હેતુશુદ્ધિ-સાધનશુદ્ધિ સાથે બાર ગાઉનું છેટું ધરાવતા ઉપવાસમાં દેખાઇ આવી.

કાળાં નાણાંનો કાળો જાદુ
બાબા રામદેવના ઉપવાસની અસંદિગ્ધ અને સાફ-સ્પષ્ટ ટીકા બે મુખ્ય પરિબળો પર આધારિત છે ૧) બાબાની માગણીઓમાં રહેલાં અવાસ્તિવકતા, અજ્ઞાન, લોકોને ચગડોળે ચડાવનાર તત્ત્વો ૨) બાબાના આર્થિક સામ્રાજ્ય અને તેમના વિવાદાસ્પદ વિચારોને કારણે ઉભા થતા તેમની પાત્રતાના પ્રશ્નો.

સૌથી પહેલાં તેમની માગણીઓની વાત : ઉપવાસના પહેલા દિવસે અમદાવાદમાં ટાઉનહોલ પાસે ‘ભારત સ્વાભિમાન (ન્યાસ)- પતંજલિ યોગ સમિતિ‘નાં બેનર હેઠળ કેટલાક લોકોએ શરૂ કરેલા ઉપવાસમાં અને અન્યત્ર પોસ્ટરો દ્વારા ત્રણ માગણીઓ જાહેર કરવામાં આવી હતીઃ ૧) વિદેશમાં રહેલા રૂ.૪૦૦ લાખ કરોડના કાળા નાણાંને ભારતીય સંપત્તિ તરીકે જાહેર કરીને તેને ભારત લાવવું. ૨) ભ્રષ્ટાચાર પર અંકુશ માટે સક્ષમ લોકપાલ કાયદો લાવવો. ૩) સ્વતંત્ર ભારતમાંથી વિદેશી શાસન (બ્રિટિશ રૂલ) સમાપ્ત કરવું, જેથી આર્થિક અને સામાજિક ન્યાય મળી શકે.

‘વિદેશોમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં આવી જાય તો દેશની બધી સમસ્યાઓ ઉકલી જાય’ - આ સરેરાશ ભારતીયોને પકડાવી દેવામાં આવેલો એવો લોલીપોપ છે, જેના થકી નેતાઓ નાગરિકોને શેખચલ્લી બનાવીને મૂળ-મહત્ત્વના મુદ્દા પરથી તેમનું ઘ્યાન દૂર કરી દે છે. (કાળાં નાણાં ભારત લાવવાના હાકોટા કેવા વ્યર્થ અને પોકળ છે એની વિગતવાર માહિતી-દલીલો માટે જુઓઃ ‘કાળાં નાણાંની સ્વીસ ચોકલેટ’. ‘દૃષ્ટિકોણ’, ૮ ફેબ્રુઆરી, ૨૦૧૧)

બાબા રામદેવ કહે છે કે વિદેશોમાં રૂ.૪૦૦ લાખ કરોડનું કાળું નાણું પડ્યું છે. આ આંકડો કેવી રીતે આવ્યો એ તો બાબા જ જાણે, પણ આ આંકડો કેટલો આસમાની અને અતિશયોક્તિભર્યો છે, એ જણાવતાં શેખર ગુપ્તાએ ભારતના વર્તમાન જીડીપીનો આંકડો આપ્યો છેઃ રૂ.૫૯ લાખ કરોડ. એટલે કે બાબાના મતે વર્તમાન જીડીપી કરતાં લગભગ છથી સાત ગણી રકમ વિદેશોમાં છે.

ઘડીભર, કેવળ કલ્પના ખાતર માની લઇએ કે આ આંકડો સાચો છે, તો પણ વિદેશી બેન્કમાં જમા થયેલાં નાણાં પાછાં મેળવવા માટેની અડચણો-આંટીધૂંટીઓ અને આંતરરાષ્ટ્રિય તકાદા વિશે બાબા જાણતા નથી અથવા લોકોને જણાવીને તેમનો મીઠો ભ્રમ તોડવા ઇચ્છતા નથી. અમેરિકા જેવા સુપરપાવરને પણ સ્વિડનની અનેક બેન્કોમાં જમા થયેલાં બે નંબરી નાણાંની વિગતો મેળવતાં નવ નેજાં આવ્યાં છે અને અનેક શરતોને આધીન રહીને એ નાણાં નહીં, પણ એવાં નાણાં ધરાવતા ૪,૪૫૦ ખાતેદારોની ફક્ત વિગતો મળી છે.

ભારતના કિસ્સામાં કલ્પનાની બધી હદો વટાવીને એમ પણ માની લઇએ કે વિદેશી બેન્કોમાં ખડકાયેલાં તમામ કાળાં નાણાંનો કબજો ભારતને મળી ગયો. પછી શું? એ નાણાંનો વહીવટ કેવી રીતે થશે? અને તે લોકકલ્યાણ કે ‘દેશના વિકાસ’માં વપરાય તે શી રીતે શક્ય બનશે?

બાબા રામદેવ આગળ જણાવેલા સવાલો વિશે વિચારતા નથી, પણ નાણાં મળી ગયા પછી ‘તેના અસરકારક વહીવટની થોડી મુશ્કેલી ખરી’ એવું સ્વીકારે છે- અને બીજી જ ક્ષણે તેનો ઉપાય ચીંધતાં કહે છે, ‘એટલે જ તો હું સીસ્ટમ બદલવાની વાત કરું છું.’ અને સીસ્ટમ કેવી રીતે બદલાશે? જવાબ છેઃ ‘યોગ. પ્રાણાયામ. લોકો યોગ કરશે એટલે તેમનાં મન શુદ્ધ અને નિર્મળ બનશે. એટલે સીસ્ટમ સુધરી જશે અને ભ્રષ્ટાચાર આપોઆપ દૂર થશે.’
આવી બાળવાર્તા પુખ્ત વયના લોકો સાંભળે, સ્વીકારે અને માની પણ લે, ત્યારે બીજું શું કહેવું? સિવાય કે આપણે બાબા રામદેવોની નેતાગીરીને જ લાયક છીએ!

લાખ દુઃખોંકી એક દવા?
ભાષણોમાં બાબા ભ્રષ્ટાચારીઓ માટે ફાંસીની સજાની જોગવાઇની વાત કરે છે. સરકાર ઢાલગરવાડમાં ડ્રેસની કિંમતના ભાવતાલ કરતી હોય એમ, સંસદ-બંધારણ-કાનૂની પ્રક્રિયા નેવે મૂકીને, આજીવન કેદ માટે સંમતિ દર્શાવે, ત્યારે બાબા રામદેવ કહે છે, ‘ભલે ! ફાંસી નહીં તો આજીવન કેદ. છો ને સડતા જેલમાં!’ તેમના ઉદ્‌ગારો સાંભળીને મુગ્ધો આંખ સામેની વાસ્તવિકતા ભૂલીને જેલમાં સબડતા ભ્રષ્ટાચારીઓના દૃશ્યની કલ્પનાથી તાળીઓ પાડે છે.

લોકપાલ ખરડામાં વડાપ્રધાન-ન્યાયતંત્રના સમાવેશ અંગે નિવેદનો ફેરવનારા બાબા ‘સક્ષમ લોકપાલ’ની વાત કરે ત્યારે ચૂપચાપ, તેમના વલણપલટાનાં કારણો પૂછ્‌યા વિના, તેને પી જવાની! ભારતમાં આર્થિક-સામાજિક ન્યાય સ્થાપવા માટે ‘બ્રિટિશ રૂલ’ સમાપ્ત કરવાની તેમની માગણી આર્થિક-સામાજિક ન્યાયના ખ્યાલ વિશેની તેમની સમજણ(નો અભાવ) સૂચવે છે. આર્થિક-સામાજિક ન્યાય માટે વર્તમાન બંધારણ અને કાયદો પૂરેપૂરાં સક્ષમ છે. સવાલ તેના અમલનો છે. પણ બાબાને આવું ન પૂછાય. નહીંતર ‘લાખ દુઃખોંકી એક દવા’ જેવો જવાબ તૈયાર છે : ‘યોગ કરો. પ્રાણાયામ કરો.’

બીજું પાસું બાબાના પોતાના આર્થિક સામ્રાજ્યને લગતું છે. એકાદ દાયકામાં કરોડો રૂપિયાના માલિક (કે ‘ટ્રસ્ટી’) બનેલા બાબા યોગનો પ્રચારપ્રસાર કરે છે, પણ ધંધાદારી રાહે. એ સિવાય કરોડો રૂપિયાની સંપત્તિ કેવી રીતે પેદા થાય? યોગનો ધંધો કરવામાં પણ કશું ખોટું નથી. સવાલ એ છે કે અઢળક સંપત્તિ ધરાવતા અને ભક્તજનો તરફથી એકાદ ટાપુ જેવી મોંઘી ભેટ મેળવનારા, ઉપવાસ-આંદોલનની તૈયારીઓ પાછળ (પોતાના કે ભક્તોના) કરોડો રૂપિયા ખર્ચી કાઢનારા, ઉપવાસ માટે મઘ્ય પ્રદેશથી ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી આવનારા બાબા રામદેવ ‘યોગી’ કે ‘સન્યાસી’ શી રીતે ગણાય? અને તેમના ઉપવાસને સાત્ત્વિકતા કે પવિત્રતાની આભા શી રીતે એનાયત કરી શકાય? બાબાએ આંદોલનની શરૂઆત કરતાં પહેલાં પોતાના ટ્રસ્ટના છેલ્લા પાંચ વર્ષના હિસાબો રજૂ કર્યા હોત અને તેમની સંસ્થાને મળતી અઢળક સંપત્તિનું શું થાય છે, તે જાહેર કર્યું હોત, તો તેમના ઉપવાસમાં અંગત પારદર્શકતાનું થોડું વજન ઉમેરાયું હોત.

હવે? બાબાના ઉપવાસ આ લેખ પ્રગટ થતાં સુધી ચાલુ હોય તો એ પૂરા થવાની - તેમના વિજયોત્સવની, દેશની ‘બીજી આઝાદી’ની- રાહ જુઓ.

- અને ઉપવાસ પૂરા થઇ ગયા હોય તો? ઉચ્ચક જીવે વઘુ એક સ્યુડો-આઘ્યાત્મિક, સ્યુડો-ગાંધીવાદી, સ્યુડો-ભગતસિંઘ/વિવેકાનંદપ્રેમીના ભ્રષ્ટાચારવિરોધી કે કાળાં નાણાંવિરોધીના ઉપવાસ માટે માનસિક રીતે તૈયાર રહો.

5 comments:

  1. સરસ લેખ.
    ખેર, ઉપવાસ નુ નાટક તો પુરુ થયુ. 4થી જુને અડધી રાત્રે સરકારે ઉપવાસીઓને લાઠી અને ટીઅરગેસ વડે પારણા કરાવ્યા. બાબા ‘બીબી’ બનીને ઘર પહોંચી ગયા.
    પુરા અધ્યાયમા સરકાર અને બાબા બન્ને પક્ષે પરિપક્વતાનો સંપુર્ણ અભાવ જોવા મળ્યો. બાબાને તો આમા કશુજ ગુમાવવાનુ નથી. ભ્રષ્ટાચારની તો એક, બે ને .... પ્રસિદ્ધી તો મળી જ ગઇ. પરંતુ સરકારને તેની મુર્ખાઇઓ માટે લાંબા સમય સુધી અલગ અલગ પ્લેટ્ફોર્મ પર સફાઇઓ આપવી પડશે. બાબાની માફક જ કેટલાક કોંગ્રેસી/સહયોગી નેતાઓના વાણીવિલાસે સરકાર વિરુદ્ધ ઉભા થયેલા વાતાવરણને હવા આપી.
    ગુજરાતીમા એક કહેવત છે ... “ચોરને ઘેર ચોર પરોણૉ”. આ સરકાર માટે આવા બાબાઓ જ ઠીક છે એમ નથી લાગતુ?
    જય હો!

    ReplyDelete
  2. એક સ્યુડો-આઘ્યાત્મિક, સ્યુડો-ગાંધીવાદી, સ્યુડો-ભગતસિંઘ/વિવેકાનંદપ્રેમીના ભ્રષ્ટાચારવિરોધી કે કાળાં નાણાંવિરોધીના ઉપવાસ માટે માનસિક રીતે તૈયાર રહો.

    સ્યુડો-નાગરિક

    ReplyDelete
  3. Damn good analysis, Urvish!

    ReplyDelete
  4. Anonymous1:13:00 PM

    tame badha congressiya o aej vat lagavi che des ni..

    ReplyDelete
  5. I've been hearing from people that Swiss banks are ready to give the details about who has accounts and such but government is not ready to receive it or doesn't want to act over it.
    i would like to know how much of that is true. I've read the previous article but couldn't square these things.

    ReplyDelete