Wednesday, June 29, 2011
(ચ્યુઇંગ) ‘ગમ’ કા ‘ફસાના’ કિસકો સુનાયેં
ઇંદિરા ગાંધીના કટોકટી કાળના સાથીદાર અને યુપીએ સરકારના કટોકટીભર્યા સમયગાળાના મંત્રી પ્રણવ મુખર્જીની કેબિનમાં ઠેકઠેકાણે ચ્યુઇંગ ગમ કે ટચૂકડાં રેકોર્ડર ચોંટાડાયેલાં હોવાનું બૂમરાણ ગયા અઠવાડિયે મચ્યું. દેશના નાણાં મંત્રી હોવાના નાતે ચ્યુઇંગ ગમ (પ્રચલિત બોલીમાં ‘ચિંગમ’) વહેંચવી એ પ્રણવ મુખર્જીની કામગીરીનો હિસ્સો છે. તેમના દ્વારા છૂટા હાથે વહેંચાતી જીડીપી, ગ્રોથ રેટ જેવી ચ્યુઇંગ ગમો ચાવવાથી દાંત અને દેશ મજબૂત થવાની ઉજળી આશા રહે છે. એકાદ સારી ચ્યુઇંગ ગમ કંપનીએ હજુ સુધી મુખર્જીમોશાયને કેમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા નથી એ નવાઇની વાત છે. અગાઉના અવતારમાં પ્રણવ મુખર્જી ચુંગી (પાઇપ)થી ઓળખાતા હતા, પરંતુ તેમની ઓફિસમાં ચોંટાડાયેલી ચ્યુઇંગ ગમોના વિવાદ પછી, નવી પેઢી તેમને ચુંગીથી નહીં, પણ ચ્યુઇંગ ગમથી યાદ રાખે એવી શક્યતા વધારે છે.
પ્રણવ મુખર્જીની કેબિનમાં જાસૂસી થતી હતી કે નહીં એની અનંત ચર્ચામાં પડવાને બદલે, ધારો કે ત્યાં ખરેખર ટચૂકડાં રેકોર્ડર મુકાયેલાં હોત તો? અને એ જ રૂમમાં થોડા દિવસો પહેલાં યુપીએ સરકારની અગત્યની ખાનગી બેઠકો પણ થઇ હોત તો? કેવા સંવાદ તેમાં ઝીલાયા હોત તેની કાલ્પનિક ઝલકઃ
સોનિયા ગાંધીઃ આજે બધાને મોડી રાત્રે અને આ જગ્યાએ બોલાવવા પડ્યા છે. પણ છૂટકો ન હતો. બાબાનું આપણે શું કરવાનું છે?
દિગ્વિજયસિંઘઃ વડાપ્રધાન બનાવી દો. આમ ને આમ તો એ જીવનમાં ને રાજકારણમાં- બેય રીતે કોડભર્યો કુંવારો રહી જશે ને એનું પાપ અમને લાગશે.
ચિદમ્બરમઃ પાપના હિસાબો ના કાઢશો. ગણવા બેસીશું તો રાત આખી પૂરી થઇ જશે ને હિસાબ અધુરો રહેશે.
મનમોહનસિંઘઃ (ગણગણાટ જેવા અવાજે) બરાબર છે.
સોનિયા ગાંધીઃ (ઉંચા અવાજે) વોટ? ડોક્ટર શું વાત કરો છો તમે?
મનમોહનસિંઘઃ મેડમ, મેં તો દિગ્વિજયસિંઘની વાતમાં ટાપસી પૂરી હતી. હું ક્યારનો તૈયાર છું. તમે ઇશારો કરો એટલે બાબા માટે જગ્યા ખાલી કરી આપું. એમાં આટલું વિચારવાનું કેવું? અને અરધી રાત્રે ગુપ્ત બેઠક બોલાવવાની શી જરૂર? મેં તો જાહેરમાં કહેલું છે.
સોનિયા ગાંધીઃ અરે, પણ હું તો રાહુલબાબાની નહીં, રામદેવબાબાની વાત કરું છું.
પ્રણવ મુખર્જીઃ કેમ? એમને પણ વડાપ્રધાન બનવું છે?
કપિલ સિબ્બલઃ આમ તો એ ના પાડે છે, પણ એમને શીર્ષાસન કરતાં કેટલી વાર? સવાલ વડાપ્રધાનપદનો નથી. એ રામલીલા મેદાનમાં ઉપવાસ ચાલુ કરવાના છે.
ચિદમ્બરમઃ તો એમની પાસેથી કાર્યક્રમ પેટે મનોરંજન વેરાની આગોતરી વસૂલાતની નોટિસ કાઢો. વગર આસને સીધાદોર થઇ જશે.
રાહુલ ગાંધીઃ પણ આમાં મનોરંજન વેરો ક્યાં આવ્યો?
ચિદમ્બરમઃ (મનમાં) બાબાઓની આ જ તકલીફ છે (જાહેરમાં) બાબા ઉપવાસ કરશે, એટલે ટીવીવાળા ઉમટી પડશે અને ચોવીસે કલાક ટીવી પર બાબાના ઉપવાસ ને એમનો ઉપદેશ ચાલ્યા કરશે. આ બન્નેમાંથી લોકોને ભરપૂર મનોરંજન મળશે અને બાબાની ચેનલ સહિત બીજી ચેનલોને તગડી કમાણી થશે.
મનમોહનસિંઘઃ (ઉંડો શ્વાસ લઇને) અત્યારે બાબા સામે કોઇ પણ પગલાં લઇશું તો આપણું ખરાબ દેખાશે.
દિગ્વિજયસિંઘઃ ડોક્ટર, તમે બાબાની યોગશિબિરમાં બેઠા હો તેમ ઉંડા શ્વાસ લેવાનું પ્લીઝ બંધ કરો. આપણું ખરાબ એટલે કેટલું ખરાબ દેખાશે? સ્પેક્ટ્રમ કૌભાંડ ને કોમનવેલ્થ કૌભાંડ કરતાં પણ વધારે ખરાબ?
મનમોહનસિંઘ પ્રાર્થનાભરી નજરે સોનિયા ગાંધી સામે જુએ છે. જાણે કહેતા હોય, ‘આ દિગ્વિજયસિંઘને કંઇક કહો.’ પણ સોનિયા ગાંધી કપિલ સિબ્બલ તરફ જોઇને સવાલ કરે છે.
સોનિયા ગાંધીઃ શું લાગે છે? શું કરવું જોઇએ? શું કરી શકાય? શું થઇ શકે?
દિગ્વિજયસિંઘઃ વાહ. શું તમારી ભાષા પરની પકડ છે. હવે તમને સરસ રીતે બોલતાં આવડી ગયું છે. ખરેખર તો તમારે જ વડાપ્રધાન બની જવું જોઇએ.
પ્રણવ મુખર્જીઃ આપણે વડાપ્રધાન કોને બનાવવા એની નહીં, પણ બાબા રામદેવના ઉપવાસની જાહેરાતનું શું કરવું એની ચર્ચા કરવા ભેગા મળ્યા છીએ. મહેરબાની કરીને વાત આડા પાટે ચડાવશો નહીં.
દિગ્વિજયસિંઘઃ આડા પાટે જનારાં રેલવે મંત્રી હવે બંગાળના મુખ્ય મંત્રી થઇ ગયાં. તમે થોડી વધારે મહેનત કરી હોત અને આપણી વધારે બેઠકો આવી હોત તો એમની જગ્યાએ તમે મુખ્ય મંત્રી થયા હોત.
આ વખતે મનમોહનસિંઘ- પ્રણવ મુખર્જીની સાથે બીજા થોડા નેતાઓ પણ સોનિયા ગાંધી સામ પ્રાર્થનાભરી નજરે જુએ છે. સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે અને રાહુલ દિગ્વિજયસિંઘ સામે જુએ છે. એટલે તે બોલતા બંધ થાય છે.
સિબ્બલઃ મારી પાસે એક બ્રિલિયન્ટ આઇડીયા છે. આઇ.આઇ.એમ. ને આઇ.આઇ.ટી.ના અધ્યાપકોને ન આવે એવો.
પ્રણવ મુખર્જીઃ એમ ના કહેતા કે બાબા રામદેવની ધરપકડ કરી લો.
સિબ્બલઃ ઓહ નો. તમને કેવી રીતે ખબર પડી ગઇ? તમે પરદેશમાં ભણેલા છો?
સોનિયા ગાંધીઃ એ ભણેલા ગમે ત્યાં હશે, પણ મારાં સાસુમા સાથે ‘ગણેલા’ છે... કોઇ નક્કર, અમલમાં મૂકી શકાય એવી યોજના વિચારો.
સિબ્બલઃ મારી જોડે બીજો આઇડીયા તૈયાર જ છે. બાબાને આવતી લોકસભામાં કોંગ્રેસની ટિકિટ આપી દો.
પ્રણવ મુખર્જીઃ આ કેસ ટિકિટથી પતે એવો લાગતો નથી અને આપણે સહેજ પણ ચૂક કરીશું તો આપણી સરકારની ટિકિટ ફાટી જશે.
સિબ્બલઃ તો ત્રીજો આઇડીયા...અન્ના હઝારેને જ બાબા રામદેવનું શું કરવું એ પૂછી જોઇએ તો?
સોનિયા ગાંધીઃ હવે ચોથો આઇડીયા ન આપતા. નહીંતર મને પાંચમો આઇડીયા તમારું શું કરવું એ વિશેનો આવશે... બાબા દિલ્હી કેવી રીતે આવવાના છે? યૌગિક શક્તિઓથી ઉડીને કે કમર્શિયલ ફ્લાઇટમાં?
દિગ્વિજયસિંઘઃ ચાર્ટર પ્લેનમાં.
સોનિયા ગાંધીઃ ફાઇન. તો ચાર મંત્રીઓ એમને એરપોર્ટ લેવા જાવ. સિબ્બલ, તમે ખાસ જજો. તમારી પાસે બહુ આઇડીયા છે અને પ્રણવદા, તમે સિબ્બલના આઇડીયા કાબૂમાં રાખવા માટે...
મનમોહનસિંઘઃ પણ ચચ્ચાર પ્રધાનો એરપોર્ટ જશે તો લોકો શું વિચારશે?
દિગ્વિજયસિંઘઃ એ જ કે ડોક્ટર બહુ નબળા વડાપ્રધાન છે... પણ મને નથી લાગતું કે એનાથી કંઇ ફરક પડે...
મનમોહનસિંઘઃ (સહેજ શરમાતાં) થેન્ક્સ.
દિગ્વિજયસિંઘઃ ...કારણ કે લોકો તો ક્યારના આવું માને છે. આપણને એનાથી કંઇ ફરક પડ્યો?
ફરી એક વાર મનમોહન સિંઘ સોનિયા ગાંધી સામે, સોનિયા રાહુલ સામે અને રાહુલ દિગ્વિજયસિંઘ સામે જુએ છે અને એ જ અવસ્થામાં મિટિંગ પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે.
Monday, June 27, 2011
ડિજિટલ મ્યુઝિકના યુગમાં ‘થાળી’ - રેકોર્ડનું પુનરાગમન


Sunday, June 26, 2011
ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનો અખંડ પુનરાવતારઃ ગુજરાતનું એક મહેણું ટળ્યું

‘વાંચે ગુજરાત’ ની સરકારી ઝુંબેશમાં થવા જેવું અને ન થયેલું કામ હતું- કેટલાંક ઉત્તમ છતાં કેવળ બેકાળજીથી અપ્રાપ્ય બનેલાં ગુજરાતી પુસ્તકોનું પુનઃપ્રકાશન. તેમાં સૌથી મોખરે આવતું પુસ્તક હતું ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાના છ ભાગ. આમ તો, એ કામ સરકારનું નથી, પણ સરકારે ‘વાંચે ગુજરાત’ અને ‘સ્વર્ણીમ ગુજરાત’ જેવી ઝુંબેશો અંતર્ગત ભરપૂર માઇલેજ લેવાની કોશિશ કરી એટલા પૂરતો એની સામે ધોખો કરવાનો થાય. બાકી, મૂળ જવાબદારી અને દોષ સાહિત્યિક સંસ્થાઓ અને સમાજનો, જ્યાં ગુજરાતની અસ્મિતાનાં આટલાં બણગાં ફૂંકનારા ચીઅરલીડરો અને ‘ગુજરાતનું અપમાન’ની રાડારાડી કરનારી ‘રુદાલી’ઓ સક્રિય હોવા છતાં ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા વર્ષોથી ‘અપ્રાપ્ય’ અને ‘આઉટ ઓફ પ્રિન્ટ’ બની હતી.
ગઇ કાલે આખરે ગુજરાતનું એ મહેણું અને એ શરમ ભાંગ્યાં. સનત મહેતાનાં પત્ની અરૂણાબહેન મહેતાના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના ભાઇકાકા હોલમાં ઇન્દુલાલની આત્મકથાનું પુનઃપ્રકાશન થયું. ઇન્દુલાલની આત્મકથાના છ ભાગ હવે ચાર વોલ્યુમમાં ઉપલબ્ધ બન્યા છે. કાર્યક્રમની શરૂઆત ‘વી શેલ ઓવરકમ- હમ હોંગે કામયાબ’ ગીતથી થઇ. ત્યાર પછી ઇતિહાસના અધ્યાપક-સંશોધક રિઝવાન કાદરીએ ઇન્દુલાલના પૂર્વાશ્રમ વિશે અને તેમની રાજકીય પ્રવૃત્તિઓ વિશે કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો પડદા પર બતાવીને પ્રવચન આપ્યું. દસ્તાવેજોમાં કશું જોઇ-વાંચી શકાતું ન હતું, પણ ડો.કાદરીના પ્રવચનમાં અનેક ઓછી જાણીતી વિગતોનો ખડકલો હતો. તેમણે એમ પણ કહ્યું કે અમદાવાદમાં સંસારસુધારા હોલમાં ઘણી સભા-મિટિંગો થતી હતી એવો ઉલ્લેખ મળે છે, પણ એ સંસારસુધારા હોલ ક્યાં આવ્યો એ જાણવા મળ્યું નથી. કોઇને ખ્યાલ હોય તો જણાવે.
‘નિરીક્ષક’ તંત્રી પ્રકાશ ન.શાહે તેમના પ્રવચનમાં, સનતભાઇના શબ્દોમાં કહું તો, ‘કેનવાસ ખોલી આપ્યો.’ તેમણે ઇન્દુલાલ-મુન્શી-ગાંધીની વાત કરી. ગાંધી સાથેની બન્નેની પહેલી મુલાકાતમાં બન્નેને કેવી નિરાશા થઇ હતી અને પછી બન્ને કેવા આકર્ષાયા. ઇન્દુલાલના ગાંધીજી સાથેના ઉચકનીચક સંબંધો દરમિયાન પણ બન્નેને સાંકળતી કડી ‘પ્રતિલોમ તાદાત્મ્ય’ (સમાજના સૌથી નીચલા સ્તરના-છેવાડાના માણસ સાથેનું સંધાન) હતી, એવું પ્રકાશભાઇએ કહ્યું. ઇન્દુલાલ અને ગાંધીજીના કેટલાક પ્રસંગો પણ પ્રકાશભાઇએ તેમના બહોળા સંદર્ભભંડારમાંથી યાદ કર્યા. ગુજરાતમાંથી છૂટા પડ્યાનાં વર્ષો પછી 1944ની આસપાસ ગાંધીજી જૂહુમાં હતા અને મૌનવાર હતો ત્યારે ઇન્દુલાલ તેમને મળવા ગયા. ગાંધીજી એક નજરે તેમને ઓળખી શક્યા નહીં. પછી ઓળખાણ પડી એટલે ગાંધીજીએ ચબરખીમાં અસલ ગાંધીશાઇ સવાલ પાડ્યો, ‘હજુ કેટલા વેશ કાઢશો? મારા જેટલા?’ ઇંદુલાલ તેમની જિંદગીનાં પાછલાં વર્ષોમાં ગાંધીજી પ્રત્યે વધારે ભાવ અને વધારે માનસિક નિકટતા અનુભવતા હતા એવું પણ પ્રકાશભાઇએ કહ્યું.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુરતથી ભગવતીકુમાર શર્મા આવ્યા હતા. સાહિત્ય પરિષદના પ્રમુખ ભગવતીભાઇએ સાહિત્યિક એસ્ટાબ્લીશમેન્ટના માણસને ન છાજે એવું- એટલે કે સરસ અને રસાળ- પ્રવચન કર્યું. તેમનું પ્રવચન સાંભળીને લાગ્યું કે બહુ વખતે શ-સ-ષના અલગ ઉચ્ચાર અને દીર્ઘ ઇ-ઊના ઉચ્ચાર સાંભળવા મળ્યા. ભગવતીભાઇ બોલે તેમ સાથે લખવાનું હોય તો જોડણીમાં બહુ ઓછી કે ભાગ્યે જ ભૂલ થાય એવું લાગ્યું. તેમણે અત્યંત સાહિત્યિક ભાષામાં – કેટલાક અઘરા શબ્દો અને કેટલીક વાર ગઝલકાર જેવા આરોહ-અવરોહ સાથે (કંઇક અંશે તરન્નુમમાં બોલતા હોય તેમ) વાત માંડી. ‘સિંગતેલના ડબ્બાના ભાવ વધે ત્યારે મનોમન અને તંત્રીલેખોમાં જેમને યાદ કરતો રહ્યો છું એવા માનનીય વડીલ સનતભાઇ, જેમને વાંચવા કરતાં સાંભળવા સરળ પડે છે, પણ સાચકલા લોકપ્રહરી મિત્ર પ્રકાશ ન. શાહ..’ એ રીતે તેમણે પ્રવચનની શરૂઆત કરી. માધવસિંહ સોલંકીનું કાર્ડમાં નામ હતું, પણ તે સમારંભમાં હાજર ન હતા. (સનતભાઇએ પોતાના પ્રવચનમાં તેમની તબિયતનું કારણ આપ્યું. જોકે, રાજકીય સક્રિયતાના દિવસોમાં સનતભાઇ અને માધવસિંહ વચ્ચેનાં સમીકરણો સારાં ન હતાં.)
ભગવતીભાઇએ ઇસુના રેસરેક્શન (પુનઃપ્રાગટ્ય)ને યાદ કરીને આત્મકથા દ્વારા ઇન્દુલાલનું પુનઃપ્રાગટ્ય થયું છે એમ કહ્યું. ‘ઇન્દુલાલને ઓળખવાનો શ્રેષ્ઠ માર્ગ તેમનો અક્ષરરદેહ છે. હવે ઇન્દુલાલ આપણી વચ્ચે નથી એવી ફરિયાદ કરવાનું કોઇ કારણ નહીં રહે.’
ઇન્દુલાલ સાથે પોતાનું સંધાન યાદ કરતાં ભગવતીભાઇએ કહ્યું, ’1954ના અંત ભાગે ગુજરાતમિત્રના તંત્રીવિભાગમાં પ્રૂફરીડર તરીકે જોડાયો. જાહેરજીવનનું અવલોકન નહીં. પછીના દોઢ વર્ષમાં મહાગુજરાત આંદોલન ભભૂક્યું. મારી ઉંમર એ વખતે 22 વર્ષ. અમદાવાદમાં શહીદ થયેલા જુવાનો સાથે માનસિક વેવલેન્થ-વયજૂથનું બહુ સામ્ય. મારું રોમેરોમ ઝંકૃત થઇ ઉઠ્યું. સકળ ઝમીર યુવાનોની સાથે દોડી ગયું. ત્યારે ઇન્દુલાલની જે એન્ટ્રી થઇ એ તરૂણ વયના હૃદયને સ્વર્ગમાંથી ફરિશ્તો ઉતરી આવ્યો હોય એવી લાગી હતી. ઇન્દુલાલનું ‘અવતરણ’- આ જ શબ્દ હું વાપરીશ. શહીદો સાથે3 આત્મૈક્ય અનુભવતો હતો. એના માટે ઇન્દુલાલનું આગમન ‘અવતરણ’થી લગીરેય ઓછું નહીં. એ ક્ષણથી હું એમનો ભક્ત બન્યો.’
સુરતમાં મહાગુજરાત આંદોલનની અસર સાવ ઓછી હોવાનું જણાવીને ભગવતીભાઇએ કહ્યું કે ગુ.મિત્રની ઓફિસ નજીકના મેદાનમાં ઇન્દુલાલની સભા હતી ત્યારે સાવ પાંખી હાજરી હતી. પ્રમુખપદે જનસંઘના ડો.મોહનનાથ કેદારનથા દીક્ષિત હતા. ‘હું ત્યાં રીપોર્ટિંગ કરવા ગયો હતો, પણ આટલી હાજરીમાં રીપોર્ટિંગ તો શું કરું? ઇન્દુલાલના વાગ્વૈભવ- વાગ્ધારામાં ભીંજાવાનું જ યોગ્ય લાગ્યું. એક વક્તવ્યમાં આટલા વિવર્ત, સ્થિત્યંતરો, આરોહ-અવરોહ...’ પછી ‘જરા સુરુચિનો ભંગ થાય તો પણ’ એવી સ્પોઇલર એલર્ટ સાથે તેમણે કહ્યું, ‘દ્વિભાષી મુંબઇના મુખ્ય મંત્રી યશવંતરાવ ચવ્હાણ માટે ઇન્દુલાલે કહ્યું હતું, ‘પેલો પીળા ઘૂ જેવો ચૌહાણ..’ અને આવું બોલ્યા પછી પોતાની કલ્પનાના ગુજરાતનું વર્ણન કરતાં તેમની વાણી કવિત્વની સીમાએ પહોંચતી હતી.
‘પછી ઇન્દુલાલની સભામાં રીપોર્ટિંગ કરવાનું હોય કે ન હોય, હું પહોંચી જતો હતો. ઇન્દુલાલ ખરેખરા ફકીર હતા. અમારી ઓફિસે ચડી આવે. ખુરશીને બદલે ટેબલ પર બેસે. સહાયક તંત્રી બટુક દીક્ષિત તેમના જ્ઞાતિબંધુ. એમને કહે, ‘બે કપ ચા મંગાવ.’ પછી એમની તાજ છાપ સીગરેટ પીએ. સુરતમાં ઘણી વાર હું એમને રસ્તા પર ચાલતા જતા જોઉં. ખિસ્સામાં હાથ નાખીને સિંગચણા ખાતા જાય. અરૂણ પ્રિન્ટિંગ પ્રેસ ડાબેરી વિચારવાળાનો અડ્ડો ગણાતો હતા. એના માલિક ડાહ્યાભાઇ. ઇન્દુલાલ ત્યાં આવે અને આજ્ઞા કરે, ‘ડાહ્યા, મારા માટે ઘારી મંગાવ.’
ઇન્દુલાલ નડિયાદની સાક્ષરી નાગર પરંપરાના. પણ તેમનું મનોવલણ સુરતના નર્મદ-દુર્ગારામ મહેતા જેવા સુધારાવાદીઓ તરફ વધારે ઢળેલું. ભગવતીભાઇ કહે, ‘સુધારાનું મોજું સુરતથી અમદાવાદ પહોંચ્યું, પણ વચ્ચે નડિયાદ ચૂકાઇ ગયું. એ ભીંજાયું જ નહીં.’
ઇન્દુલાલના ઘડતરમાં તેમના સુધારાવાદી પિતાનો ફાળો (આત્મકથાના જ હવાલાથી) આપીને તેમણે કહ્યું, ‘ઇન્દુલાલ કનૈયાલાલના પુત્ર ન હોત તો કદાચ એ ઇન્દુલાલ ન થઇ શક્યા હોત.’ એક વાર ઇન્દુલાલે સાહિત્ય પરિષદની કાર્યવાહીમાં હાજરી આપી હતી, પણ તેની કાર્યવાહીથી એ સાવ નિરાશ થયા હતા. એમ જણાવીને પરિષદના વર્તમાન પ્રમુખ ભગવતીભાઇએ કહ્યું, ‘અત્યારે પણ લગભગ આ જ સ્થિતિ છે.) સાહિત્યને જીવાતા જીવન સાથે કશી લેવાદેવા નથી એ જોઇને ઇન્દુલાલ નિરાશ થયા હતા અને યુવાનોને સહભાગી બનાવવાની ભલામણમાં તેમને આશાની રેખાઓ દેખાઇ હતી.
ભગવતીભાઇએ કાવ્યાત્મક રીતે કહ્યું કે ‘ઇન્દુલાલ દસે દિશાના માણસ હતા. સહસ્ત્રબાહુ વડે તે દુનિયાને બાથમાં લેવા માગતા હતા.’ ‘આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.’ એ શાહબાઝનો શેર ટાંકીને ભગવતીભાઇએ કહ્યું, ‘ઇન્દુલાલ બીજા ગગના શોધક હતા.’
‘ઇન્દુલાલના દિલનો રવરવતો અજંપો પ્રગટતો હતો. તેમને સાચી રીતે ઓળખવા હોય તો ઊર્જાપુરૂષ કહેવાય. તેમને રુંવે રુંવે ઊર્જાના જ્વાળામુખી હતા. એટલે કોઈની સાથે એમને ગોઠતું ન હતું. નોનકન્ફર્મીસ્ટ હતા.’ તેમનાં લઘરવઘર કપડાંની વાત કરતાં ભગવતીભાઇએ કહ્યું, ‘મુનશી અને ઇન્દુલાલ બન્ને ટોપી પહેરતા. ઇન્દુલાલની ટોપી મારા ખ્યાલ પ્રમાણે ગાંધી ટોપી ન હતી. તેનો રંગ સફેદ અને ક્રીમની વચ્ચેનો કોઇ રંગ. મુનશીની ટોપીની આગળની ચાંચ એવી અણીદાર કે આંખમાં વાગે તો આંખ ફૂટી જાય, જ્યારે ઇન્દુલાલની ટોપીની આગળના ભાગમાં ગડીઓ પડેલી હોય.’ આયર્લેન્ડની મુક્તિચળવળમાં ઇન્દુલાલની સહભાગીતા યાદ કરતાં ભગવતીભાઇએ કહ્યું, ‘તેમનું વૈશ્વિકીકરણ સંવેદનાથી ધગધગતું હતું. તેમાં વૈશ્વિકતાનો વિલાસ ન હતો.’
ઇન્દુલાલ સાથેના અંગત પરિચય અંગે તેમણે કહ્યું કે ‘મેં કદી ઇન્દુલાલની સામે આંખમાં આંખ મેળવીને જોયું નથી. પણ મારા માટે એ ગુરૂ દ્રોણ જેવા હતા. એકલવ્ય બનીને હું એમની વાક્ સિદ્ધિ પામ્યો. પૈસા કમાવાની એમની પ્રકૃતિ ન હતી. મારું પણ એવું જ હતું. એ બધું હું પરોક્ષ રીતે પામ્યો. એટલે ઇન્દુલાલની આત્મકથાનું પુનઃપ્રકાશન મારા જેવાના હાથે થાય એ અદભૂત લહાવો છે. ઇન્દુલાલના વિરાટ વ્યક્તિત્વ આગળ આપણે સૌ ચરણરજ જેવા છીએ. મને આ જવાબદારી સોંપી એટલે ‘જર્રે કો આફ્તાબ બના દીયા’ એવું લાગે છે. આ જવાબદારી મને સોંપીને સનતભાઇ અને આયોજકોએ સાત જનમમાં પણ ન પૂરું થાય એવું ઋણ ચડાવ્યું છે. તેનો હું નતમસ્તકે સ્વીકાર કરું છું.’
અંતે ‘ઇન્દુલાલના સમયમાં હતા એના કરતાં પણ અત્યારે દેશ-કાળ વધારે વિષમ છે. એટલે ઇન્દુલાલના પુનઃપ્રાગટ્ય દ્વારા તેમની સાથે મનોમય અનુસંધાન કેળવી શકીએ તો બહુ મોટી ઉપલબ્ધિ ગણાય.’ એમ કહીને ભગવતીભાઇએ પ્રવચન સમાપ્ત કર્યું.
‘વિચારવલોણું’ના સંપાદકમંડળના સભ્ય નિરંજન શાહે માધવસિંહ સોલંકીનું લખેલું પ્રવચન વાંચ્યું. ‘દાદાનું ઋણ’ એવું શીર્ષક ધરાવતા એ લખાણમાં ઇન્દુલાલની આર્થિક મદદથી પોતે ભણ્યા અને તેમની સાથે કામ કરીને તેમની જ ભલામણથી ઇન્દ્રવદન ઠાકોરના ‘ગુજરાત સમાચાર’માં જોડાઇને પત્રકાર બન્યા, તે ભારે કૃતજ્ઞતાપૂર્વક માધવસિંહે યાદ કર્યું છે. એ લખાણનો કેટલોક અંશ માધવસિંહના જ હસ્તાક્ષરમાં અહીં મૂક્યો છે.
first & last page of Madhavsinh Solanki's written tribute to Indulal Yagnik

છેલ્લે 87 વર્ષના સનતભાઇએ પણ સરસ પ્રવચન કર્યું. આરંભે તેમણે કહ્યું કે ગુજરાતની સુવર્ણજયંતિ પ્રસંગે તેમની બે ઇચ્છાઓ હતીઃ ઇન્દુલાલની આત્મકથા ફરી પ્રગટ થાય અને અમદાવાદમાં ઇન્દુલાલની 9 ફૂટની કાંસ્યપ્રતિમા મુકાય. ‘કાંતિભાઇ પટેલે બનાવેલી (લાલ દરવાજાવાળી) ઇન્દુલાલની પ્રતિમા સારી છે, પણ ઇન્દુલાલનું વિરલ વ્યક્તિત્વ તેમાંથી બહાર નથી આવતું’ એમ કહીને સનતભાઇએ કહ્યું કે પ્રતિમા માટે અમદાવાદ કોર્પોરેશન પાસે મેં જગ્યાની માગણી કરી ત્યારે સાહેબના સાહેબ (મુખ્ય મંત્રી) તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ‘લાલ દરવાજા એક તો મૂક્યું છે. પછી કેટલાં પૂતળાં હોય?’

સનતભાઇએ ઇન્દુલાલ સાથે વડોદરાનાં ઠકરાતી ગામોમાં ખેડૂતો વચ્ચે ઘણું કામ કર્યું હતું, તેના અનુભવ યાદ કર્યા. ‘પ્રતાપનગરથી સવારની ગાડી પકડીને અમે નસવાડી જઇએ. નસવાડી સ્ટેશન વેરાન. સ્ટોલ કે કંઇ જ ન મળે. ક્યારેક સામે ગાડું લેવા આવ્યું હોય. અને એ ન હોય તો અમે ચાલી નાખીએ. ઠાકોરોનાં ગામ અને ઇન્દુલાલ ત્યાં જઇને ખેડૂતોને કહે કે ‘આ જમીન કંઇ ઠાકોરોના બાપની નથી.’ એટલે એ લોકો અમારી સભા થવા ન દે. મિટિંગ તોડી નાખે. એટલે નદીકાંઠે કે એવી કોઇ જગ્યાએ 500-600 ખેડૂતો ભેગા થાય. સભા પૂરી થયા પછી પાછા નસવાડી આવીએ. અમારી સાથે વિષ્ણુભાઇ નામના એક કાર્યકર હોય. એ અડધી ચડ્ડી પહેરે. ઇન્દુચાચા એમને કહે, ‘અલ્યા બામણ, કંઇ ભજયાંબજીયાં મળતાં હોય તો જો.’ વિષ્ણુભાઇ તપાસ કરે અને ન મળે તો ‘ચાલ ત્યારે’ એમ કહીને પાછા નસવાડી અને રાત્રે વડોદરા.’
સનતભાઇ કહે, ‘લડાઇમાં જીતવાની કોઇ આશા નહીં, પણ ખેડૂતો જુએ એટલે ઇન્દુચાચા ગાંડા થઇ જાય. કહે, આ જ મારા માણસો છે. મહાગુજરાતની ચળવળમાં એમને નજીકથી જોયા. એમણે અમદાવાદમાં નેહરુની સભાની સમાંતર સભા બોલાવવાની વાત કરી ત્યારે કોઇ સંમત ન હતું. પણ સભા થઇ અને બીજા દિવસે છાપાંએ લખ્યું કે ઇન્દુલાલની સભા નેહરુની સભા કરતાં મોટી હતી. એ દિવસથી જ મહાગુજરાત નક્કી થઇ ગયું હતું. (એક સ્પષ્ટતાઃ ઘણા લોકો ઉત્સાહમાં આવીને એવું કહી બેસે છે કે નેહરુની સભામાં કાગડા ઉડતા હતા. પણ એ સાચું નથી. નેહરુની સભામાં મોટી સંખ્યામાં હાજરી હતી, પણ ઇન્દુલાલની સભા કરતાં ઓછી.)
મહાગુજરાત જાહેર થયા પછી વિજયસભા થઇ ત્યારે અમારા પર ચિઠ્ઠીઓ આવતી હતી કે કોણ કયા ખાતાનો મંત્રી બનશે. ઇન્દુચાચાએ એવી ચિઠ્ઠીઓ જોઇ એટલે કહ્યું, ‘જુઓ ભાઇ, અહીં બેઠા છે એમાંથી કોઇ મંત્રી બનવાના નથી. આપણું કામ પૂરું થયું.’ કેટલાક નેતાઓએ મહારાષ્ટ્રની સામે નવા રાજ્યનું નામ ‘મહાગુજરાત’ હોવું જોઇએ એવો આગ્રહ રાખ્યો ત્યારે ઇન્દુચાચાએ જ તેમને સમજાવ્યા હતા કે ‘ગુજરાત એ જ મહાગુજરાત.’
સનતભાઇએ નિખાલસતાથી કહ્યું, ‘ઇન્દુલાલ ન હોત તો મહાગુજરાત આવત જ નહીં. મહાગુજરાત આવ્યા પછી અમે બધા બદલાયા, પણ એ ન બદલાયા.’ ‘એક વાર ઇન્દુચાચાને અમે (રૂપાલી સિનેમા પાસે આવેલી) બાંકુરા રેસ્ટોરાંમાં જમવા લઇ ગયા. (દૂરદર્શનનાં મિત્ર રૂપાબહેન મહેતાના પપ્પા- અને ‘નવનિર્માણ’ ફેઇમ મનિષી જાનીના સસરા-ની એ રેસ્ટોરાં સનતભાઇની પ્રિય બેઠક હતી.) વિદ્યુત સ્કૂટર ચલાવે. ચાચા પાછળ બેઠેલા. એ રસ્તામાં બૂમો પાડ્યા કરે, ‘એ જો પેલો આવે છે.’ ચાચાને જંપ ન વળે. પછી ‘બાંકુરા’માં બેઠા. એ વેસ્ટર્ન સ્ટાઇલની રેસ્ટોરાં. ડીશો મુકાઇ. પછી થોડું થોડું જમવાનું આવે. એટલે ચાચા બગડ્યા. કહે, ‘આ તો આટલું આટલું જ મૂકે છે. વધારે આપતો જ નથી. મારે તો થાળી જોઇએ.’ પછી અમે એમને થાળીવાળા રેસ્ટોરાંમાં જમવા લઇ ગયા.’
ઇન્દુલાલાના ભાષાવૈભવ વિશે સનતભાઇ કહે, ‘આવી પ્રાણવાન રીતે કોઇ બોલી શકતો હોય એ મેં જોયું નથી.’ (ગાંધીયુગમાં આ અંજલિ સરદાર પટેલને અપાતી હતી) તેમણે પણ ભગવતીભાઇની જેમ યશવંતરાવ ચવ્હાણને યાદ કર્યા અને કહ્યું, ‘ઇન્દુલાલ એક જ વાક્યમાં સામેવાળાને ખલાસ કરી નાખે. યશવંતરાવ વિશે તેમણે કહ્યું, ‘યશવંતરાવ ચવ્હાણ...આ મોટો ભેંશના પોદળા જેવો...’ અને પછી લોકોને યશવંતરાવની વાત આવે ત્યારે ભેંશનો પોદળો જ દેખાય.
ઇન્દુલાલની આત્મકથાને ગાંધીજીની આત્મકથા કરતાં પણ વધારે પારદર્શક ગણાવતાં સનતભાઇએ કહ્યું, ‘આ આત્મકથા વાંચ્યા પછી કોઇ માણસની આત્મકથા લખવાની હિંમત ન થાય...ગાંધીજીએ બધી વાત કહી નથી, જ્યારે ઇન્દુલાલે એમની પત્નીને કરેલો અન્યાય અને પત્નીનો પત્ર સુદ્ધાં છાપવાની હિંમત બતાવી છે...આ આત્મકથા નહીં, પણ આર્કાઇવ્ઝ છે. આજથી પચીસ વર્ષ પછી કોઇને જાણવું હશે કે સો વર્ષ પહેલાં નડિયાદની ગલી કેવી હતી તો એ આ પુસ્તકમાંથી વાંચવા મળશે. ’
વર્તમાન રાજકારણના સંદર્ભમાં સનતભાઇએ કહ્યું, ‘ઇન્દુલાલ ફૂટપાથના માણસ હતા. આજે આપણે કહીએ તોય કોઇ માનતું નથી...આજના રાજકારણમાં એક દીવો લઇને જીવવું હોય તો એ દીવો છે ઇન્દુલાલ...ઘણા લોકો ઘણા દાવા કરે છે- સરદારના ને બીજા. પણ કોઇ ઇન્દુલાલ થવાનો દાવો કરતું નથી. ઇન્દુલાલા નીકળે તો રીક્ષાવાળા એમને પોતાની રીક્ષામાં બેસાડવા ખેંચાખેંચ કરે અને અમને જોઇને રીક્ષાવાળો નાસી જાય છે. કહે છે, ‘કોઇ નેતા લાગે છે. જવા દો.’
‘આ પુસ્તક ગાયબ થઇ જાય તેમાં સાહિત્યની, યુનિવર્સિટીની, કોલેજોની, રાજ્યની શોભા નથી’ એમ કહીને સનતભાઇએ કહ્યું હતું કે આ આવૃત્તિ પૂરી થઇ જાય તો અમે બીજી આવૃત્તિ કરીશું અને આ પુસ્તકનો સંક્ષેપ એક ભાગમાં પ્રગટ કરવાની પણ યોજના છે.’
કાર્યક્રમનું સંચાલન ડંકેશ ઓઝાએ કોઇ પણ જાતની વધારાની ખટપટ વિના કર્યું. (માધવસિંહ સોલંકીનું અહીં મુકાયેલું હસ્તલિખિત પ્રવચન પણ તેમની પાસેથી જ મળ્યું છે.)
‘ઇન્દુચાચાના દસ-બાર નજીકના માણસોમાંથી હું એકલો જ રહ્યો છું અને આ પુસ્તક પ્રગટ કરવાની મારી જવાબદારી હતી’ એવું કહેનાર સનતભાઇએ ભલે કહ્યું કે ‘હજુ અડધું જ કામ પૂરું થયું છે અને પ્રતિમાનું કામ બાકી છે.’ ઇન્દુચાચાનું બાવલું બને તો ઠીક, ન બને તો પણ ઠીક, તેમના જેવા લોકનેતાનું અસલી સ્મારક તેમની આત્મકથા છે- અને તે ઉપલબ્ધ બનતાં સનતભાઇ અને તેમના સાથીદારોએ અડધું નહીં, આખેઆખું કામ કર્યું છે. એ બદલ આ કામ સાથે સંકળાયેલા સૌને અભિનંદન.
આત્મકથા ગુજરાતના બધા પ્રકાશકો પાસેથી મળી શકશે. તેની આરંભિક કિંમત રૂ.600 છે. ગઇ કાલ સુધી એ આ કિંમતે આપવામાં આવી હતી. ક્યાં સુધી એ કિંમત રહેશે તેનો ખ્યાલ નથી. પણ તેની મૂળ કિંમત રૂ.1,300 છે. પહેલી નજરે એ કદાચ વધારે લાગે, પણ આ પુસ્તક માટે તે બિલકુલ વધારે નથી.
('ફૂટપાથના માણસ' ઇન્દુલાલની આત્મકથાના સમારંભ પછી હોલની સામેની ફૂટપાથ પર પ્રકાશ ન. શાહ અને અમારી મિત્ર-મઝામંડળી અને બીજા કેટલાક મિત્રો, કેવળ એક-એક ચાનું સેવન કર્યા પછી)
Thursday, June 23, 2011
ગાધીહત્યાની અંતિમ (ફિલ્મી) ક્ષણ

અહીં મુકેલો ફોટો છેલ્લા ઘણા વખતથી ઇન્ટરનેટ પર ફરી રહ્યો છે. 'રાષ્ટ્રપિતાની અંતિમ ક્ષણ' જેવું ભ્રામક મથાળું ધરાવતો આ ફોટો કોઇ મરાઠી અખબારમાં અચ્છીખાસી નાટકીય ફોટોલાઇન સાથે, 'ગાંધીહત્યાની દુર્લભ તસવીર' તરીકે પ્રગટ થયો હશે, એવું આ કટિંગ પરથી જણાય છે. ફોટોલાઇનમાં આપેલી સ્ટોરી પ્રમાણે, મુંબઇની ગિરગામ ચોપાટી પર કોઇ જબ્બાર ખાન ટેલરની દુકાને આ તસવીર ફ્રેમમાં સચવાયેલી હતી, જે છાપાના પ્રતિનિધીએ મહાપ્રયાસે હાંસલ કરી છે. આ તસવીર 1948ના કોઇ અંગ્રેજી છાપામાં છપાઇ હોવાનો દાવો પણ ફોટોલાઇનમાં કરવામાં આવ્યો છે. જબ્બારખાન ટેલરની -અને સરવાળે તસવીરની-વિશ્વસનીયતા ઉભી કરવા માટે જબ્બાર ખાનને કેટલાક જાણીતા નેતાઓ તરફથી મળેલાં પ્રશસ્તિપત્રો મળ્યાં હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
તો પછી ફોટોમાં વાંધો શું છે?
બે વાંધા મુખ્ય અને તરત ધ્યાન ખેંચે એવા છે. 1) નથુરામ ગોડસેનો દેખાવ આવો ન હતો 2) પાછળ ઉભેલા લોકો ગાંધીહત્યા જેવો પ્રસંગ આમ ખેલતમાશો જોતા હોય તેમ ન જોઇ રહે.
ખાતરીનાં બે કારણઃ 1) નથુરામની લટ 2) ફોટામાં અને ફિલ્મના સ્ટીલમાં નથુરામના ખભા પાછળ દેખાતી બે સ્ત્રીઓના ચહેરા વચ્ચેનું સામ્ય.
- Nine Hours to Rama પુસ્તક અને ફિલ્મ ભારતમાં પ્રતિબંધિત હતાં. (કદાચ હજુ હોય તો કહેવાય નહીં.)
- ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર, 'અછૂત કન્યા' જેવી ફિલ્મોનાં ગીત લખનાર ત્રીસીના દાયકાના મશહૂર ગીતકાર જે.એસ. (જમુનાસ્વરૂપ) કશ્યપ 'નાતવાં'એ ભજવ્યું હતું. ફિલ્મમાં જયરાજ, ડેવિડ, અચલા સચદેવ જેવા હિંદી કલાકારો પણ હતા.




ટચાકાઃ ફૂટે તેથી શું? ન ફૂટે તેથી શું?
Tuesday, June 21, 2011
પ્રેરણાનાં આંબાઆંબલી, ગુનાઇત વૃત્તિનાં ઝરણાં
Monday, June 20, 2011
સેલફોનથી કેન્સરઃ ‘વાઘ આવ્યો રે વાઘ’નું વઘુ એક પુનરાવર્તન

Friday, June 17, 2011
જે.ડે.ને અલવિદા અને છેલ્લી સલામ: '. તો ક્યા? ખાના ખાતે હૈ, વેસે ગોલી ખા લેને કા'

1990ના દાયકાના છેલ્લા વર્ષોમાં મુંબઇ અન્ડરવર્લ્ડમાં મોટાપાયે શૂટ આઉટ થતાં હતાં. મુંબઇ પોલીસ અને ક્રાઇમ રીપોર્ટરોમાં શૂટ આઉટ વિશે જ ચર્ચાઓ થતી હતી. આવી જ એક ચર્ચા વખતે એક ક્રાઇમ રીપોર્ટરે બીજા ક્રાઇમ રીપોર્ટરને મજાકમાં કહ્યું કે, ‘સાલા યે શૂટ આઉટ મેં ધ્યાન રખના પડેગા, કભી ભી કહીં ભી હો જાતા હૈ, હમ કહીં ખડે હો તો એક ગોલી હમેં ભી લગ સકતી હૈ’.
ક્રાઇમ રીપોર્ટરની મજાકના જવાબમાં અન્ય ક્રાઇમ રીપોર્ટરે પણ મજાક કરતાં કહ્યું કે, ‘ઉસ મેં ક્યા, ખાના ખાતે હૈ, વેસે ગોલી ખા લેને કા...’ . આ જવાબ આપનારા રીપોર્ટર બીજા કોઇ નહીં પરંતુ મિડ-ડે ના જાંબાઝ રીપોર્ટર જ્યોતિર્મય ડે. જે. ડે તરીકે ઓળખાતાં જ્યોતિર્મયની હાલમાં જ મુંબઇના પવઇ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
જે. ડેના ગયા પછી ઉપરછલ્લી અને ઓછી માહિ તી ધરાવતા લોકો તેમના વિશે ગમેતેવી આક્ષેપાત્મક વાતો કરી રહ્યા છે, પણ ક્રાઇમ રીપોર્ટર સિવાયના જે. ડેને બહુ ઓછા લોકો ઓળખે છે. કલમથી જ પોતાના મિજાજનો પરચો આપનારા જે. ડેની કેટલીક ઓછી જાણીતી અને અજાણી વાતો દ્વારા તેમને યાદ કરવાનો આ પ્રયાસ છે.
1995ની વાત છે. હિંદુસ્તાન લીવર કંપનીમાં સારા પગારની નોકરી છોડીને પત્રકારત્વમાં પ્રવેશ કર્યા બાદ જે. ડેએ પહેલા એન્વાયર્મેન્ટ અને રીયલ એસ્ટેટ વિષય પર કેટલીય સ્ટોરી કરી. બાદમાં તેમણે ક્રાઇમ રીપોર્ટિંગ શરૂ કર્યું. જોકે ક્રાઇમ રીપોર્ટિંગની સાથે જે. ડેએ શિપિંગ જેવી મહત્વની બીટ પર કામ કર્યું. શિપિંગ બીટમાં જે. ડે જેવું નેટવર્ક કોઇનું ન હતું. મુંબઇની ગુનાખોરીની દુનિયા દરિયા સાથે જોડાયેલી હોઇ કોઇ પણ અખબાર કે પત્રકાર માટે બીટ તરીકે દરિયો બહુ મહત્વનો હતો. મુંબઇમાં સ્મગલિંગ કેવી રીતે થાય છે તેની ઘણી વિગતો દરેકે જૂની-નવી ફિલ્મોમાં જોઇ જ હશે.
જે. ડેએ મુંબઇના ગુનાખોરીના આ દરિયાને ખરા અર્થમાં ખેડ્યો હતો. દરિયાછોરુની જેમ મધદરિયે જઇને તેઓ વિવિધ સ્ટોરીઓ લઇ આવતાં હતાં. નેવી, કસ્ટમ્સ, ઇન્ટેલીજન્સ, રો, સીબીઆઇ, ડીઆરઆઇ, એર ઇન્ટેલીજન્સ, નાર્કોટિક્સ, પોર્ટ, ડોક વગેરે કેટલીય મહત્વની એજન્સીઓ-ખાતાનાં નાના-મોટા અધિકારીઓ સાથે જે. ડેનાં સારા સંપર્કો હતાં. દમણ અને કચ્છના દરિયાઓની ગતિવિધિઓથી પણ તેઓ વાકેફ રહેતા હતાં. જે. ડેની ક્રાઇમ રીપોર્ટર તરીકેની સફળતામાં શિપિંગ બીટ પર તેમણે કરેલું કામ ખૂબ જ મહત્વનું ગણી શકાય. દરિયાની ગતિવિધિઓની જાણને કારણે જ કદાચ તેઓ 10,000 કરોડનાં ઓઇલ કૌભાંડને બહાર પાડી શક્યા હતાં. શિપિંગ બીટનો એક અનુભવ યાદ કરતાં જે. ડેના એક મિત્ર કહે છે, એક વખત કોઇ જહાજમાં આગ લાગી હતી. જહાજમાં આગ લાગતાં અંદર અમુક પક્ષી ફસાઇ ગયા હતાં. નેવીના કેટલાક કમાન્ડોએ આ અબોલ જીવોને બચાવવા ભારે જહેમત ઉઠાવી અને તેમને બચાવી પણ લીધા. જોકે બચાવમાં નેવીને સારો એવો ખર્ચો થતાં, તેના ઉચ્ચ અધિકારીએ નીચેના કર્મચારીઓને ઠપકો આપ્યો.. જે. ડેને આ વાતની ખબર પડતાં તેમણે આર્ટિકલ કર્યો. બાદમાં પેલા ઉચ્ચ અધિકારીને ભારે તકલીફ પડી ગઇ હતી.
જે. ડેને કુદરત પ્રત્યે અપાર લગાવ હતો. જે. ડે વિશે એવું કહેવાતું કે જો તે ક્યાંય ન મળે તો જંગલમાં ફરતા હશે. મોબાઇલ જ્યારે બહુ પ્રચલિત ન હતાં ત્યારે જે. ડેના મિત્રોને તેમને શોધવા માટે નેશનલ પાર્ક કે પછી થાણેના વાડાના જંગલમાં જવું પડતું હતું. નેશનલ પાર્કમાં જંગલનાં સ્થાનિકો સાથે બેસે, એટલું જ નહીં તેમના માટે નાસ્તો પણ લઇ જાય. જંગલોમાં ચાલતા ગોરખધંધા વિશે કેટલીય સ્ટોરી કરનારા જે. ડેને જંગલના સ્થાનિક લોકો પોતાના માનતા. તેમને એવી તો માહિતી મળતી હતી કે જંગલના ઉચ્ચ અધિકારીઓ પણ તે જાણીને ગોથા ખાઇ જતા હતા.
કસાયેલું શરીર ધરાવતાં જ્યોતિર્મય ક્યારેક માથેરાન પણ ઉપડી જતાં હતાં. રસ્તો હોવા છતાં તેઓ ટ્રેનમાં નેરલ સ્ટેશને ઉતરીને તે ડુંગરા ખુંદીને જ માથેરાન પહોંચતા હતા. મિત્રો મજાકમાં એવું કહે છે કે કેમેરો આપીને તેમને જંગલમાં છોડી દો તો તેમને કંઇ ન જોઇએ. સવારે ઉઠીને ગાર્ડનિંગ અને વોક પર પણ તેઓ જતા. તે સારા બોક્સર અને વેઇટલિફ્ટર હતા. મુંબઇ પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે તે આ સ્પોર્ટસ અજમાવતાં પણ હતા.
પોલીસ તંત્રમાં ઉચ્ચ અધિકારીથી લઇને કોન્સ્ટેબલ સુધીના કર્મચારી સાથે તે ખૂબ જ સૌમ્યતાથી વર્તતા હતાં. 6 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતા જ્યોતિર્મયને કેટલાક પોલીસવાળા પોલીસ ઓફિસર જ માની લેતા હતા. એક વખત થાણે જેલમાંથી એક ગુનેગારને જે. જે. હોસ્પિટલ લવાયો હતો. પોલીસ પર હુમલો કરીને ગુનેગાર ભાગી જતાં સમગ્ર હોસ્પિટલને કોર્ડન કરી લેવાઇ. કોઇને અંદર પ્રવેશ ન હતો. જે. ડે ત્યાં પહોંચ્યા તો કોન્સ્ટેબલને એમ કે કોઇ મોટો સાહેબ આવ્યો છે. તેણે સેલ્યુટ મારીને જે.ડેને અંદર જવા દીધા હતા. પોલીસ કમિશનરની એક પ્રેસ કોન્ફરન્સમાં જેસીપી કક્ષાના એક પોલીસ અધિકારીએ જે. ડેને પોલીસ સમજીને `ગુડ જોબ’ કહીને પીઠ થાબડી હતી.
જોકે જે. ડે પ્રેસ કોન્ફરન્સોથી દૂર જ રહેતા હતા. પોલીસવાળા જેવા દેખાતા જે. ડેનું પોલીસ કર્મચારીઓ સાથેનું વર્તન હંમેશા માનવતાભર્યું રહેતું હતું. કેટલાય ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓને સમજાવીને તેમના પરિવારો બરબાદ થતાં તેમણે બચાવ્યા છે. સંજોગોવશાત્ નાનીમોટી ચોરી કે ગેરરીતિ કરનાર પોલીસ હોય કે બીજું કોઇ, ડે તેમને સમજાવતા, બચાવતા અને સુધરવાની તક આપતા હતા. કોઇ નાની લૂંટનો આરોપી જે. ડેની પ્રેરણાથી બાદમાં બટાટાવડા વેચીને ઇમાનદારીની જિંદગી જીવતો થઇ ગયો હોવાનું પણ એક મિત્ર નોંધે છે. મોટે ભાગે ડિસિપ્લીનમાં રહેતા આ ક્રાઇમ રીપોર્ટરથી ક્યારેક ભૂલથી ટ્રાફિક રૂલ તોડાઇ જાય તો તે 50 કે 100નાં દંડની પાવતી પણ ફડાવી લેવામાં અચકાતા ન હતા. તેમના માથા પર ક્યારેય તેમનું નામ સવાર થયું ન હતું.
ઓફિસમાં ક્રાઇમ રીપોર્ટરોના હેડ હોવા છતાં ક્યારેય તે સાહેબગીરી કરતાં નહીં. હંમેશા મિડ-ડેની કેન્ટિનમાં રીપોર્ટરો સાથે ચર્ચા કરતાં જોવા મળતા હતા. ઓફિસમાં કોઇ પણ નાનો રીપોર્ટર કંઇ પણ માહિતી લેવા જાય તો, હા બતાઇંયે, ક્યા ચાહિએ, અચ્છા એસા હૈ, યે નંબર પર બાત કર લીજીએ.... વગેરે નમ્ર જવાબ આપીને રીપોર્ટરનો જુસ્સો તે વધારતા જોવા મળતાં હતાં. પોતાની પાસે જે-તે સ્ટોરીની માહિતી હોય તે પણ લખાવી દેતાં ખચકાતા નહીં. કેટલાક સિનિયર, નબળા કે અદેખા પત્રકારો ક્યારેક જે-તે પોલીસ અધિકારી કે વ્યક્તિનો ફોન નંબર આપતાં કતરાતા હોય છે, જ્યોતિર્મય, પોતાની પાસે ફોન નંબર હોય તો તરત લખાવી દેતા. નંબર બાબતે તેમની દલીલ રહેતી ‘મેં નહીં દેગા, તો દો દિન કે બાદ કહીં સે મિલ હી જાયેગા’.
જે. ડે ક્યારેય ઊંચા અવાજમાં બોલતાં નહીં. મિત્રો કહે છે કે, ખુશ હોય કે ટેન્શનમાં હોય તેમનો મૂડ અને મુદ્રા સરખી જ દેખાય. ગુસ્સો કે મિજાજ પણ ક્યારેય બતાવે નહીં. હા, તેમનો મિજાજ માત્ર તે પોતાની સ્ટોરી દ્વારા જ વ્યક્ત કરતાં હતાં. તેમના `ઝીરો ડાયલ’ પુસ્તકનાં બે ચેપ્ટર વિશે એક રીપોર્ટરે તેમણે પૂછ્યું કે આ બંને ચેપ્ટરો વિશે તમે વધુ લખી શક્યા હોત. જેના જવાબમાં જે. ડેએ કહ્યું હતું કે, આ બંને ચેપ્ટર વિશે મારી પાસે એટલી માહિતી છે કે બંને પર અલગ પુસ્તક થઇ શકે. પાછળથી વિગતે લખવાનું હોવાથી જ મેં અમુક માહિતી લખીને તે ચેપ્ટર છોડી દીધા હતાં. જ્યોતિર્મયની સ્ટોરીઓ કે પુસ્તકમાં હંમેશા નોવેલની છાંટ જોવા મળતી હતી. લેખન વિશેના તેમના વિશેષ પ્રેમનો ખ્યાલ એ પરથી આવે છે કે, થોડા સમય પહેલા તેઓ 2 દિવસની સ્ક્રીનપ્લે રાઇટિંગની વર્કશોપમાં ભાગ પણ લઇ આવ્યા હતાં. બીજું કે મિડ-ડે, ઇન્ડિયન એક્સપ્રેસ અને હિંદુસ્તાન ટાઇમ્સની 16 વર્ષની કારકિર્દી દરમિયાન વચ્ચે તેઓ અમુક દિવસ એક ચેનલ (લગભગ ચેનલ 7) માં પણ જઇ આવ્યા હતાં, જ્યાં ફાવ્યું ન હતું..
રીપોર્ટર તરીકે હંમેશા તે એલર્ટ રહેતા હતા. કોઇ પીછો કરે છે તેવું લાગે તો રસ્તામાં સાઇડમાં ઊભા રહી જતા હતા. હંમેશા બાઇક પર જ જતા હતા. મુંબઇની લાઇફલાઇન તેની લોકલ ટ્રેન કહેવાય છે, પરંતુ જે. ડે માટે તો તેમનું બાઇક જ લાઇફ લાઇન હતી. મુંબઇના એક છેડેથી બીજે છેડે જવું હોય તો પણ તેઓ બાઇક પર જ જતા હતા. ઘરની આસપાસ પણ દુકાનવાળાને ત્યાં કે ક્યાંય પણ તેઓ 'જે. ડે' નો રોફ મારતાં નહીં.. કારણ કે, તેમને ખબર હતી કે તેઓ કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે.
ખરેખર, જે. ડે જમીનનાં માણસ હતાં. પાર્ટી, ક્લબ, હોટેલ, ઢાબા કે ગમે ત્યાં, વેઇટર જેવા નાનામાં નાના માણસને ભેટવું, તેની સાથે વાત કરવી, તેમની માંદગી કે અન્ય સમસ્યા ઉકેલવી, તેની સાથે વડાપાઉં ખાઇ લેવા, ચા પીવી તે તેમની ફિતરત હતી. માહિમમાં એક જગ્યાના ઢોંસા તેમને પ્રિય હતાં. એક વખત, ઓફિસમાં એક પત્રકાર રોજ કરતાં અલગ કપડાંમાં આવ્યો તો જે. ડેએ તેને હેપ્પી બર્થડે વિશ કરી. તે પત્રકાર ચોંકી ઉઠ્યો કે અને કહ્યું કે, આજે તો મારો જન્મદિન નથી. જે. ડેએ જવાબમાં કહ્યું કે, તમે અલગ કપડાં પહેર્યા તો મને લાગ્યું બર્થડે હશે. કેમ કે બર્થ ડેના દિવસે જ લોકો કંઇક અલગ પહેરે છે ને. કંઇ નહીં, તમારી વર્ષગાંઠ જ્યારે પણ હોય, આ મારી એડવાન્સમાં વિશ સમજી લેજો...
ખાસ મિત્રોને મળતા તો બે ઉચ્ચ પોલીસ અધિકારી કમર પાસે મુઠ્ઠીવાળીને સાવધાનની મુદ્રામાં એકબીજાને સેલ્યુટ કરે તે રીતે, સેલ્યુટ કરતાં હતા. મિત્રો અને પત્રકારોમાં તેઓ ‘કમાન્ડર’ તરીકે જાણીતાં હતાં. સામેવાળાને જે. ડે સરજી, સરજી કહીને બોલાવતાં. તો કેટલાક તેમને જે. ડે દાદા (વડિલ તરીકે) સંબોધતાં. ગુજરાતમાં પણ તેઓ ઘણી વાર ઇન્વેસ્ટીગેશન અને તેમજ સામાજિક કામો માટે આવેલા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે અહીંની પગી (ગામનું રક્ષણ કરતા પગી) પરંપરા વિશે જાણ્યું હતું અને તેના વિશે આર્ટિકલ પણ કર્યો હતો. 12 વર્ષ પહેલા તેમના મિત્રના લગ્નમાં બે દિવસ અમદાવાદના મહેમાન બન્યા હતા અને જાનમાં કલોલ ગયા હતા. એ લગ્નની જ્યોતિર્મય ડેએ ભરપૂર ફોટોગ્રાફી કરી હતી. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. જોકે તેમના પોતાના બહુ જૂજ ફોટા (ઇન્ટરનેટ પર) જોવા મળે છે..
ક્રાઇમ રીપોર્ટર ઉપરાંત અને સંવેદનશીલ-મદદગાર માણસ તરીકે મિસાલ કાયમ કરનાર જે.ડે.ને અલવિદા અને છેલ્લી સલામ.