Wednesday, August 11, 2010

શરમ કેવી? આબરૂનો સવાલ છે

એક મહિના પછી યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનાં કૌભાંડોનો કરંડિયો ખુલી ગયો છે. તેમાં થયેલા મનાતા ભ્રષ્ટાચારનું પ્રમાણ જોતાં, ‘કરંડિયો’ કરતાં ‘કન્ટેઇનર’ શબ્દ વધારે યોગ્ય ગણાશે. ટેક્સીઓ ભાડે રાખવાથી માંડીને અનેક બાબતોમાં અઢળક ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે. આમ તો એ ફરિયાદ નવી નથી. સુરેશ કલમાડી સામે અગાઉ પણ આ મુદ્દે આંગળી ચીંધાઇ ચૂકી હતી. પણ રમતોની તારીખ નજીક આવે તેમ ગોટાળાની વઘુ ને વઘુ વિગતો પ્રકાશમાં આવી રહી છે.

ગમે તે થાય, કોમનવેલ્થ ગેમ્સના મુખ્ય વહીવટકર્તા સુરેશ કલમાડીની દાઢીનો વાળ પણ ફરકતો નથી. કમ સે કમ, એમનો પ્રયાસ તો એવું દેખાડવાનો જ છે. ‘હું બધી તપાસ કરાવવા તૈયાર છું.’ કે ‘હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું’ એવું કલમાડી જાણે ભારતવર્ષ પર મોટો ઉપકાર કરતા હોય એમ કહી રહ્યા છે. કોઇ પણ આરોપી ‘તપાસમાં સહકાર આપવા તૈયાર છું’ એવી ફિશીયારી મારે ત્યારે નાગરિક તરીકે તેમનો કાંઠલો પકડીને કહેવાનું મન થાય કે ‘સહકાર શાનો? સીધી રીતે કહી દો કે બધી બાજુ ફાંફાં મારી જોયાં, પણ એકેય બાજુથી છટકવાનો રસ્તો બચ્યો નથી. એટલે હવે, બીજી છટકબારી ન મળે ત્યાં સુધી, તમારી સામે ડાહ્યોડમરો થઇને ઉભો છું.’

ચોરની આબરૂ અંગે કોટવાળને ઠપકો?
પ્રસાર માઘ્યમોમાં બરાબર (કેટલાકના મતે વઘુ પડતા) ચગેલા આ પ્રકરણ વિશે સરકાર પક્ષે ઢાંકપિછોડો થઇ રહ્યો હોય, એવી સ્પષ્ટ છાપ ઉભી થાય છે. છતાં, કલમાડી એન્ડ કંપનીની નિગેહબાની તળે થયેલા બેફામ ભ્રષ્ટાચારને ગાલીચા તળે સંતાડવાનું સરકારી કારણ બહુ વિશિષ્ટ છે. એવું કહેવાય છે કે કોમનવેલ્થ ગેમ્સ નજીક આવી રહી છે ત્યારે આ બધી (કૌભાંડોની) ચર્ચા કરવાથી ‘ભારતની આબરૂ જશે’ અથવા ‘ભારતની પ્રતિષ્ઠાને બટ્ટો લાગશે’.

આ કારણ બેશરમીભર્યું ન હોત તો તેને હાસ્યાસ્પદ ગણવું પડત. કારણ કે ચોર કોટવાળને પ્રતિષ્ઠા અને આબરૂના મુદ્દે ઠપકો આપે એવી આ વાત થઇ. એ ખરૂં કે ‘કોમનવેલ્થ ગેમ્સ નિષ્ફળ જાય’ એવી મણિશંકર ઐયરની હાર્દિક ઇચ્છા નીચે આપણે સહી ન કરીએ. એ પણ ખરૂં કે રમતોત્સવની સફળતા ભગવાનભરોસે હોવાના ખેલ મંત્રી ગીલના નિવેદન સાથે સંમત થઇને એ વિના વિઘ્ને પાર પડી જાય એવો આશાવાદ સેવીએ. પરંતુ કોમનવેલ્થ ગેમ્સનાં કૌભાંડો ચર્ચતી વખતે દેશની આબરૂની આણ આપવામાં આવે ત્યારે રડવું કે હસવું એ સમજાતું નથી.

દેશની આબરૂ ઘૂળધાણી ક્યારે થાય? તેને બટ્ટો ક્યારે લાગે? દેશની પ્રતિષ્ઠાના સવાલ જેવી કોમનવેલ્થ ગેમ્સની તૈયારી નિમિત્તે વ્યાપક પ્રમાણમાં અને શરમજનક રીતે ભ્રષ્ટાચાર થાય તેનાથી? કે એ ભ્રષ્ટાચાર બહાર આવે, તેની ન્યાયી તપાસ થાય અને ગુનેગારોને સજા થાય તેનાથી?

ટીકામાં પ્રમાણભાન જળવાવું જોઇએ એ ખરૂં, પણ ભ્રષ્ટાચારીઓને ઠપકાર્યા વિના, ફક્ત ટીકા કરનારાને પ્રમાણભાનનો ઉપદેશ આપવો એ લુચ્ચાઇ છે. આવા મામલામાં ‘એક વાર પ્રસંગ રંગેચંગે પતી જવા દો. પછી આપણે ભ્રષ્ટાચારવાળા મામલાની તપાસ કરી લઇશું.’ એવું વલણ ‘વ્યવહારૂ’ હોઇ શકે, પણ નૈતિક કે ન્યાયી હરગીઝ નથી. તકલાદી યાદદાસ્ત ધરાવનાર લોકોના દેશમાં તો નહીં જ. આખા કૌભાંડના કેન્દ્રમાં રહેલા કલમાડી આ લખાય છે ત્યાં લગી મુછે લીંબુ લટકાવીને ફર્યા કરે અને ભ્રષ્ટાચારની ટીકા કરનારને ‘રાષ્ટ્રહિત’ના બોધપાઠ આપવામાં આવે, એટલી દેખીતી વક્રતા કેમ ચૂકાઇ જતી હશે?

ફરિયાદ કરતાં શરમ નથી આવતી?
ગુજરાતના એક ગામની વાત છે, પણ હકીકતે એ ગુજરાતના, બલ્કે ભારતના કોઇ પણ ગામની હોઇ શકે એવી છે. એટલે નામોલ્લેખ ઉપલબ્ધ હોવા છતાં એની જરૂર નથી.

એક દલિત મા-દીકરીની કેટલાક બિનદલિતોએ કોઇ નજીવા કારણસર મારઝૂડ કરી. મા-દીકરી જે ગામમાં રહેતાં હતાં, ત્યાં દલિતોનાં વીસ-પચીસ ઘર હતાં. પણ ભેદભાવ-અત્યાચાર સામે લડવાનો તો ઠીક, અવાજ ઉઠાવવાનો પણ ત્યાં રિવાજ નહીં. દલિત બહેનથી અન્યાય સહન ન થયો. એમણે ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી, પણ ઘણા બધાને થાય છે એવો અનુભવ એમને થયોઃ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ નહીં. તેમણે સંસ્થાના કાર્યકરોની મદદ લીધી. કાનૂની પ્રક્રિયા જાણતા કાર્યકરોએ સ્થાનિક પોલીસ સ્ટેશનને બદલે ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલમાં ફરિયાદ નોંધાવી.

પરંતુ ખરી કથા ત્યાર પછી શરૂ થઇ. ફરિયાદ નોંધાવનાર બહેન પર દબાણ આવ્યું કે ‘તમે ફરિયાદ નોંધાવી તેના કારણે ગામની પ્રતિષ્ઠા જોખમાઇ છે. ગામમાં રહેવું ને ગામની આબરૂ પર કીચડ ઉછાળતાં તમને શરમ ન આવી? તમારે બીજા કોઇ કારણસર નહીં તો ગામની આબરૂ બચાવવા માટે પણ ફરિયાદ પાછી ખેંચી લેવી જોઇએ અને માફી માગવી જોઇએ.’

આવું કહેવામાં ફક્ત બિનદલિતો જ નહીં, ‘વ્યવહારૂ’ દલિતો પણ સામેલ હતા. લડવાની હિંમત બતાવનાર બહેનના પડખે ઉભા રહેવાને બદલે, આત્મસન્માન વગરનું અને આભાસી સલામતી ધરાવતું જીવન જીવવાનું તેમને વધારે અનુકૂળ લાગતું હતું. અત્યાચાર કરનારા લોકોના શરણે થઇ જવામાં, વખત આવ્યે ‘તમારે કારણે અમે સલામત છીએ’ એવું કહેવામાં પણ તેમને ખચકાટ ન હતો.

દલિતોને કદી ‘ગામ’નો હિસ્સો ન ગણતા લોકોને ‘ગામ’ની આબરૂનો ખ્યાલ ત્યારે જ આવ્યો, જ્યારે બહેને તેમની જ્ઞાતિવાદી જોહુકમી પડકારી. ત્યાર પછી પણ આ શરમજનક ઘટનાના આરોપીઓને ઠપકો આપવાનું કે તેમને ગામની આબરૂની દુહાઇ આપવાનું કોઇને ન સૂઝ્યું. ગામની પ્રતિષ્ઠા જાળવવાની સઘળી જવાબદારી આવી પડી ફરિયાદી બહેનના માથે.

અગાઉ કહ્યું તેમ, આ વલણ કોઇ એકલદોકલ ગામ પૂરતું નથી. જ્ઞાતિ આધારિત ભેદભાવના મુદ્દે આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતની તમામ પક્ષોની સરકારનું વલણ આ જાતનું જ રહ્યું છે. ભારતમાં જ્ઞાતિપ્રથાની બોલબાલા કે ભેદભાવોની વિગત રજૂ કરવામાં આવે અને તેની સામે લડત માટે આંતરરાષ્ટ્રિય સહયોગની માગણી કરવામાં આવે, એટલે તરત ભારત સરકારના પ્રતિનિધિઓ કાગારોળ કરવા માંડે છે. તેમના કકળાટનો સૂર એક જ હોય છેઃ ‘તમે લોકો આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતની જ્ઞાતિપ્રથાની વાતો કરીને ભારતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડો છો.’ કેમ જાણે, જ્ઞાતિઆધારિત અત્યાચારો અને ભેદભાવોના અવિરત બનાવોથી ભારતની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય અને તેની સામે ફરિયાદ કરવાથી ભારતની આબરૂ ઘટી જવાની હોય.

હા, ભારતથી ઓસ્ટ્રેલિયામાં થતા રંગભેદી હુમલા વિશે બોલાય, દક્ષિણ આફ્રિકામાં કાળા-ગોરાના ભેદભાવ વિશે ગાંધીજીને યાદ કરીને સમાનતાના ઉપદેશ અપાય, પણ પોતાના દલિતોથી બહાર જઇને તેમની સાથે રખાતા ભેદભાવની વાત ન થાય. કારણ કે આપણા દેશની આબરૂનો સવાલ છે.

સડો કે સર્જરી?
ગયા અઠવાડિયે એક રાષ્ટ્રિય અખબારમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ભૂતપૂર્વ ડાયરેક્ટરે ગુજરાતના વર્તમાન પ્રવાહો વિશે લખ્યું હતું. તેમનો દેખાવ તટસ્થતાપૂર્વક વિગતો રજૂ કરવાનો હોય એવું લાગ્યું. ે લેખની શરૂઆતમાં પાંચ-છ ફકરા ભરીને તેમણે સોહરાબુદ્દીન કેટલો ખતરનાક ગુંડો અને ત્રાસવાદી હતો એ સાબીત કર્યું. આઇ.બી.ના ભૂતપૂર્વ વડા પુરતા આધાર-પુરાવા સાથે વિગતો આપતા હોય, ત્યારે તેમની વિગતો માનવી જોઇએ. માની પણ લીધી.

પરંતુ પછી લેખકે પાટો બદલ્યો અને વિગતો પરથી વિચારધારા પર આવી ગયા હોય એવું લાગ્યું. કારણ? તેમણે લખ્યું કે ‘અત્યારે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે તે ખતરનાક છે. તેનાથી લાંબા ગાળે એવી છાપ ઉભી થશે કે બધાં એન્કાઉન્ટર ફેક હોય છે. એવું થાય તો સરકારની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા થશે.’ સોરાબુદ્દીન સાથે સરકારી તંત્રની સાંઠગાંઠ અને સરકારી તંત્ર દ્વારા થયેલા મનાતા સોરાબુદ્દીનના ઉપયોગના આરોપ વિશે તેમને કંઇ જ કહેવાનું ન હતું.

જોવા જેવી વાત એ છે કે આઇબીના ભૂતપૂર્વ ડાયરેક્ટરની અને તેમનાથી સામા છેડાનો અભિપ્રાય ધરાવનારની ચિંતા એક સરખી જ છે ઃ બન્ને પક્ષો સરકારની વિશ્વસનીયતા અંગે ચિંતિત છે. મોટો ફરક હોય તો એટલો કે નિવૃત્ત ડાયરેક્ટર માટે ‘સરકારી વિશ્વસનીયતામાં ગાબડું’ એ ભવિષ્યની શક્યતા છે, જ્યારે બીજા ઘણા લોકો માટે તે ભૂતકાળની ઘટના છે.

ખુદ આઇબી ડાયરેક્ટરે પાંચ-સાત ફકરા ભરીને જેનું ખતરનાકપણું સિદ્ધ કરી આપ્યું હોય, એવો માણસ ગુજરાતના પોલીસતંત્ર કે સરકારી તંત્રના ટોચનાં માથાં સાથે, એમના માટે કામ કરતો હોય, એ આરોપ જ સરકારની વિશ્વસનીયતા સામે મોટો પ્રશ્નાર્થ ઉભો નથી કરતો? એન્કાઉન્ટર કે ફેક એન્કાઉન્ટરનો મુદ્દો તો બહુ પછી આવે છે, પણ વર્દીધારીઓ અને ગુંડાઓ મળીને ખંડણી ઉઘરાવતા હોય, એવા આરોપમાંથી સાફ બહાર આવવું અથવા સડાનો સ્વીકાર કરીને સડેલો ભાગ દૂર કરવો, એ સરકારી વિશ્વસનીયતા માટે વધારે જરૂરી નથી? પરંતુ પક્ષીય વફાદારી કે વ્યક્તિગત ભક્તિભાવના ડાબલા ચડાવેલા હોય ત્યારે આવો દેખીતો પ્રશ્નાર્થ પણ ચૂકી જવાય છે અને તેને બદલે એવા સવાલો ઉદ્ભવે છે કે ‘અત્યારે જે કંઇ થઇ રહ્યું છે તેનાથી ગુજરાતની પ્રતિષ્ઠા જોખમાય છે અથવા આ તો ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં છે.’

ગુજરાતના નાગરિકોને એટલું જ વિચારવાનું છે કે ‘ગુજરાત’ એટલે શું? અને તેની પ્રતિષ્ઠા એટલે શું? ગુજરાત કોઇ વ્યક્તિનું નામ નથી. તેની પ્રતિષ્ઠા કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી નથી કે રાજ્યાશ્રયની મોહતાજ પણ નથી. ગુજરાતની ભૂતકાલીન પ્રતિષ્ઠા તેની સંસ્કૃતિમાં છે, જેની પર કોઇ પક્ષ કે વિચારધારાનો ઇજારો નથી. એ ગુજરાતના તમામ નાગરિકોની સહિયારી માલિકીની છે. બાકી રહી વાત અત્યારની પ્રતિષ્ઠાની. તે શાસક પક્ષ કે વિરોધી પક્ષના નેતાઓના હાથમાં નહીં, ખુદ ગુજરાતના નાગરિકોના હાથમાં છે.

નક્કી નાગરિકોએ કરવાનું છે: સડાની તપાસ કરાવીને તેનું અસ્તિત્ત્વ સાબીત થાય તો સર્જરી થવા દેવી છે? કે આગળ ટાંકેલા બનાવોની જેમ, સડાને ‘આબરૂ’ ગણીને છાતીએ ચાંપેલો રાખવો છે?

3 comments:

  1. Anonymous4:23:00 PM

    India is full of Dalits and Dalit Mentality like yours...May your Dalit god keep reservation for you in hell as well

    ReplyDelete
  2. J. A. Mansuri4:59:00 PM

    Anonymous is afraid of Atrocity Act because he do not want to experience worldy-hell i.e. Sabarmati Jail.

    Thanks, sending to hell / paradise is purview of Omnipotent, God.

    ReplyDelete
  3. dear anonymous,

    you are right dear.

    India is full of dalits.
    it is full of adiwasis,
    it is full of backward caste people,
    it is full of other minorities.
    oh, india is full of more than 85% of Bahujan population.

    shall we throw them all in the Arabian Sea? and then live like lords of this Aryavarta?

    the only problem is we are parasites.
    and don't even know how to wash our bottoms, leave aside producing food for our pot-bellies, constructing shelters for our sleep and security et al.

    what shall we do, dear anonymous?

    shall we all better migrate to America and fool those 'goriyas' with our yoga and other soft tricks? in any case we came in this dravidland-shudraland looking for greener pastures and now that the Bahujans have become a big threat, we can move elsewhere to milk the new cow, and make it work for us as our kamdhenu.

    we don't love any 'motherland' since we have none. we don't believe in human fraternity. we don't believe in social- political justice. we don't believe in equality, because we are the soperir-most, the bhudevas, the lord of this eath. we are a nomadic bunch of people and love only our self-interest.

    let us move out of here. this is the land full of asuras, rakshasas, mlechhas, chandals... dasyus.

    dear anonymous, we are of the same opinion. and long back i had vented my anger in a poem titled 'NAKKHOD JAJO TAMARUN HARIJANO'.

    best luck for your mission to get rid of the dalits.

    ReplyDelete