Sunday, August 08, 2010

‘ચિત્રલેખા’ અને ચમત્કારિક બાયો ડિસ્ક : ગુમાવેલાં વિશ્વસનીયતા- પ્રતિષ્ઠા બાયો ડિસ્કથી પાછાં આવે ?


મોડી રાત્રે ટીવી પર આવતી ટેલીમાર્કેટિંગની જાહેરખબરોની એક ચોક્કસ સ્ટાઇલ હોય છે. જુદા જુદા માણસો આવીને કોઇ ભળતીસળતી પ્રોડક્ટ વિશે પોતાના અનુભવો જણાવે. સ્ટોરી બધાની જુદી જુદી હોય, બોલવાની સ્ટાઇલ અને ડબિંગ હાસ્યાસ્પદ હોય, છતાં તેનો સાર એકસરખો હોયઃ ‘અમને પહેલાં અમુક તકલીફ હતી. અમુક પ્રોડક્ટ વાપર્યા પછી એ તકલીફ દૂર થઇ ગઇ.’

મોડી રાત્રે આવતી એ જાહેરખબરોનો એક આશય ઉંઘરેટા કે ઉજાગરાગ્રસ્ત લોકોની ગાફેલ માનસિક અવસ્થાનો ફાયદો લેવાનો અને એ રીતે તેમના ભેજામાં કોઇ વાત રમતી મૂકી દેવાનો હોય છે. આઘાતની વાત એ છે કે ‘ચિત્રલેખા’એ ધોળા દિવસે ટેલીમાર્કેટિંગ જેટલી જ લાંબી અને ટેલીમાર્કેટિંગ જેવી જ હાસ્યાસ્પદ જાહેરખબર, એ જ શૈલીમાં વાચકોના માથે મારી છે.

બાયો ડિસ્ક નામની પ્રોડક્ટની વિગતો ‘ચિત્રલેખા’માં પેઇડ જાહેરખબર તરીકે છપાઇ હોત તો કંઇ કહેવાનું ન હતું. પણ ‘ચિત્રલેખા’એ 16 ઓગસ્ટ, 2010ના અંકમાં તેને કવરસ્ટોરી બનાવી છે- પૂરાં છ પાનાંની કવર સ્ટોરી. તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે આ ‘સ્પોટલાઇટ ફીચર’ અથવા ‘એડવર્ટોરિયલ’ છે. ઉલટું મોંમાથા વગરના પ્રચારસાહિત્યને વૈજ્ઞાનિક છણાવટ તરીકે ખપાવવાનો અક્ષમ્ય અને હાસ્યાસ્પદ પ્રયાસ કરવામાં આવ્યો છે.

કવર પરનું મથાળું છેઃ (શરીરની વ્યાધિઓને અંકુશમાં લેતી ને નવું જોમ ઉમેરતી) બાયો ડિસ્ક કેટલી તિલસ્મી? તેનાથી એવો દેખાવ ઉભો થાય, જાણે બાયો ડિસ્કના નામે ચાલતા આસમાની દાવાને ચિત્રલેખાએ ચકાસ્યા હશે. પરંતુ કવર સ્ટોરીનાં છ પાનાંમાં (પાંચ-સાત લીટીને બાદ કરતાં) નકરી દાવાબાજી, વિજ્ઞાનના ઓઠા હેઠળ લોકોને ગેરમાર્ગે દોરવાનો ધંધો અને બાયોડિસ્કની કિંમત સહિતની બાકાયદા જાહેરખબર જ છે.

સ્ટોરીમાં કરાયેલા દાવા પ્રમાણે, ‘બાયો ડિસ્ક પરથી તમે પાણી પસાર કરો એટલે ગમે તેવું મૃત જળ પણ જીવંત-ચેતનાયુક્ત બની જાય. એનું બંધારણ સુગઠિત થઇ જાય.’

‘મૃત જળ’ અને ‘જીવંત જળ’ વિશે સ્ટોરીમાં એવી ‘વૈજ્ઞાનિક’ સમજૂતીઓ આપવામાં આવી છે, જે વૈજ્ઞાનિક રીતે માન્ય નથી. ‘સ્ટ્રક્ચર્ડ વોટર’ તરીકે ઓળખાતા ‘ચમત્કારિક પાણી’ વિશે સ્ટોરીમાં કહેવાયું છે, ‘સ્ટ્રક્ચર્ડ વોટર એટલે એવું પાણી જેની પરમાણુ રચના મનોરમ્ય ભૌમિતિક આકૃતિ જેવી સુગઠિત હોય. આવા પાણીમાં માનવશરીરને અત્યાવશ્યક એવાં તમામ ખનિજ યોગ્ય માત્રામાં હોય છે. આવા જળમાં સામાન્ય કરતાં ત્રણ ગણો વધુ ઓક્સિજન હોય છે. આવું પાણી શરીરની કોષિકામાં સહેલાઇથી શોષાઇ જાય છે અને એનાં પોષક દ્રવ્યોનો સીધો ફાયદો વિવિધ અવયવોને મળે છે. સ્ટ્રક્ચર્ડ વોટર પીવાથી શરીરના કોષો એકમેકથી સહેજ છૂટા રહે છે એટલે વિષયુક્ત દ્રવ્યોના નિકાલ માટે રસ્તો સાફ થાય છે.’

સ્ટ્રક્ચર્ડ વોટરનો મહિમા ગાઇ લીધા પછી જણાવવામાં આવ્યું છે કે કુદરતમાં આવું પાણી દુનિયામાં 14 ઝરણાંમાં જ થાય છે. બાકીના પાણીને ‘સ્ટ્રક્ચર્ડ’ બનાવવા માટે બે વિકલ્પ છેઃ લાખો ડોલરના ખર્ચે બનતાં વિવિફાયર્સ મશીન અને આ મશીનની ‘સુધરેલી આવૃત્તિ’ એટલે ‘રકાબી જેવડી અનોખી બાયો ડિસ્ક. ‘આ બાયો ડિસ્ક પરથી તમે પાણી પસાર કરો એટલે ગમે તેવું મૃત જળ પણ જીવંત-ચેતનાયુક્ત બની જાય. એનું બંધારણ સુગઠિત થઇ જાય.’

પછી? બાયો ડિસ્ક પરથી પસાર કરેલા પાણીના પરચા અનંત છે, જે ‘ચિત્રલેખા’ની કવર સ્ટોરીમાં કોઇ પણ જાતની ઉલટતપાસ વિના યથાતથ ટાંકવામાં આવ્યા છે. આવા પાણીથી કોઇને ઘૂંટણનો દુખાવો તો કોઇને પીઠનું હર્પીસ મટી ગયાના દાખલા છે. કોઇની પથરી ઓગળી જાય છે તો કોઇના પરીક્ષામાં 85 ટકા આવી ગયા. કોઇનું ડીપ્રેશન ગયું, તો કોઇના ચશ્માના નંબર. સ્ત્રીઓને માસિક સંબંધી સમસ્યાથી છૂટકારો મળ્યો તો સ્પોન્ડિલાઇટીસ-આર્થરાઇટિસનાં દરદ પણ બાયો ડિસ્ક પરથી પસાર કરેલા પાણીએ મટાડ્યાં. બાયો ડિસ્ક વડે ચાર્જ કરેલા પાણીના ચાર ગ્લાસ પથારીની ચોતરફ રાખીને સૂઇ જવાથી લોકોને રાહત થઇ હોવાનું પણ જણાવાયું છે.

બાયો ડિસ્કના પાણીનો ‘ચમત્કાર’ ઓછો હોય તેમ ‘ચી પેન્ડન્ટ’ નાં ગુણગાન પણ આ સ્ટોરીમાં વર્ણવાયાં છે. ગળામાં ચી પેન્ડન્ટ ઝુલાવી રાખવાથી પણ એકાગ્રતા વધે છે, શક્તિનો સંચાર થાય છે ને દર્દોમાં રાહત થઇ જાય છે.

આવા હાસ્યાસ્પદ દાવા વિશે ‘હવે સિક્કાની બીજી બાજુ’ એમ કહીને છ પાનાંની કવર સ્ટોરીના અંતે જણાવાયું છે,’હકારાત્મક માનસ સાથે બાયો ડિસ્ક અપનાવનારાને જ એ વધુ ફાયદો આપે છે, શંકાશીલ લોકો માટે એ બહુ અસરકારક નથી.’ એટલું જ નહીં, બાયો ડિસ્ક કે બીજી પ્રોડક્ટ્સને કોઇ પણ સરકારી તબીબી સંસ્થા દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી નથી.

બાયો ડિસ્કના પ્રચારક ડોક્ટરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘અમે કોઇ પણ સંજોગોમાં દરદીને એની તબીબી સારવાર બંધ કરીને બાયો ડિસ્કનો ઉપયોગ કરવાનું કહેતા નથી. બાયો ડિસ્ક એ વૈકલ્પિક સારવાર નથી, પણ વેલનેસ પ્રોડક્ટ છે.’ બીજા શબ્દોમાં કહીએ તો બાયો ડિસ્કનો ઉપયોગ કરવો- ન કરવો એનો નિર્ણય ખુદ દરદીએ જ કરવાનો રહે.

બરાબર છે. પણ આખી વાતમાં ‘ચિત્રલેખા’એ શું કહેવાનું છે?

‘છેલ્લે મુદ્દાની વાત’ એમ કહીને ‘એડિટોરિયલ જજમેન્ટ’ કે ‘એડિટોરિયલ કમેન્ટ’ને બદલે ‘ચિત્રલેખા’ લખે છે, ‘બાયો ડિસ્કની કિંમત 17,750 અને બે નંગના 31,400 રૂપિયા છે. પહેલી દૃષ્ટિએ આ કિંમત સહેજે મોંઘી લાગે, પરંતુ આરોગ્યની સરખામણીએ કશું મોંઘું ન ગણાય...બાયો ડિસ્ક ફક્ત (વેબસાઇટનું નામ) નામની વેબસાઇટ પરથી ક્યુનેટ સાથે સંકળાયેલા લોકો મારફતે જ ખરીદી શકાય છે. તેમ છતાં બાયો ડિસ્ક ખરીદવામાં અગવડ પડે તો સંપર્કઃ (ફોન નંબર)’

***

પોતાના વાચકોને આટલી હદે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા પાછળ, આર્થિક સમાધાન કર્યા વિના પાળી શકાય એવા પત્રકારત્વના પ્રાથમિક નિયમોને નેવે મૂકવા પાછળ, ડાયમન્ડ જ્યુબિલી ઉજવણીના વર્ષમાં પોતાની કક્ષાનું અભૂતપૂર્વ તળીયું બતાવવા પાછળ, ‘ચિત્રલેખા’ માટે એવાં તો કયાં પરિબળો કામ કરતાં હશે? એવા અનેક સવાલ સખેદ થાય છે.

‘સાઠે બુદ્ધિ....’ સિવાયની કોઇ અટકળ? અંદાજ? અનુમાન? માહિતી?

***

નોંધ 1

જે સામયિક વાંચીને મોટા થયા હોઇએ, કિશોરાવસ્થામાં જેની ધારાવાહિક નવલકથાઓની રાહ જોઇ હોય, મર્યાદિત વાચનને કારણે, જે સામયિક વાંચીને મેગેઝિન જર્નાલિઝમની પ્રાથમિક સમજ મેળવી હોય, જેના ‘ઉંધા ચશ્મા’ થી દુનિયા જોવાની શરૂઆત કરી હોય, જેની સાથે ભૂતકાળમાં અને અત્યારે પણ અનેક મિત્રો સંકળાયેલા હોય, તેના વિશે આ પ્રકારનું લખતાં પહેલાં સામાન્ય સંજોગોમાં મન ઘણું કાઠું કરવું પડ્યું હોત. જય હો બાયો ડિસ્ક અને તેના ચમત્કારિક પાણીનો કે ફક્ત તેના વિશે વાંચવાથી ‘ચિત્રલેખા’ વિશે લખવા અંગેનો મારો ક્ષોભસંકોચ દૂર થયો.

નોંધ 2

પાણીની ‘ચમત્કારિક’ અસરો અને તેના વિશેનાં જૂઠાણાં અંગે કંપનીઓનો પ્રચાર નહીં, પણ કેટલાંક વૈજ્ઞાનિક તથ્યો જાણવાં હોય તો વિજ્ઞાન-ટેકનોલોજીની પ્રતિષ્ઠિત વેબસાઇટ ‘વાયર્ડ’ની આ લિન્ક જુઓ

http://www.wired.com/wiredscience/2008/03/chem-lab-hexago/

થોડી વધુ વિગતો માટેઃ http://www.chem1.com/CQ/gallery.html

15 comments:

  1. કલ્પેશ સથવારા6:27:00 PM

    Bio-Disk. વૈજ્ઞાનીક સમજનો અભાવ હોય એવાં લોકો તો છેતરાય જ પરંતુ અધુરી વૈજ્ઞાનીક સમજણ વાળા પણ scientifically supported સમજી ને ગેરમાર્ગે દોરાય તેવો આ ચિત્રલેખા નો લેખ છે.
    ખરેખર સંપૂર્ણ જુઠ્ઠાણું સમાજ ને જે નુકશાન નથી પહોચાડ્તું તેટલું નુકશાન આવા આંશિક સત્ય (?) નો ઉપયોગ કરીને લખાયેલા લેખો પહોચાંડે છે.

    આ લેખ લખીને આ મેગેજીન આટલાં વર્ષે ઉભી કરેલી વિશ્વસનીયતાની રોકડી(of course વાંચકો ના ખર્ચે) કરી રહ્યુ હોય તેવું લાગે છે.

    ReplyDelete
  2. Anonymous6:57:00 PM

    ઓફીસીઅલ વેબ સાઇટ પર ઉપલબ્ધ રેટ કાર્ડ જોતા આ આખો મામલો માત્ર સાડા બાર લાખની આસપાસનો હશે. કે પછી પોતાના છેલ્લા બચેલા ગણ્યા ગાંઠ્યા વાચકોને છેતરવા માટે રેટ કાર્ડ કરતા બમણા કે ત્રણ ગણા પૈસા ઠોકી લીધા હશે.
    આ મેગેઝીન ઘણા વર્ષોથી પોતાની વાહિયાત કવર સ્ટોરીઓ અને તદ્દન ફડતુસ કક્ષાના લેખોના કારણે વાચકો ગુમાવતું રહ્યું છે. કોઈ સબળો કે નબળો હરીફ ન હોવાના કારણે પ્રથમ સ્થાન પર રહેલું આ સામાયિક ગુજરાતી લોકોની ખરીદ શક્તિ જાણતા મીડિયા મેનેજરોની ગુજરાતી વાંચી શકવાની અણઆવડતના કારણે નિયમિત અને તગડી કહી શકાય તેવી જાહેરાતોની આવક મેળવતું હોવાથી વાચકો વિષે વિચારવાનું તો ક્યારનું છોડી દીધું હતું..હવે તો ભલા ભોળા વાચકોને (હજી પણ ચિત્રલેખા વાંચતા વાચકોને બીજું કહી પણ શું શકાય?) છેતરવા માટે લાજ શરમ નેવે મૂકીને આ કક્ષાએ - મતલબ કે લોકોની નબળાઈઓનો ગેરલાભ ઉઠાવવા સદા તત્પર ગઠિયાઓની પંગતમાં બેસી ગયું છે.
    સારું છે કે આ વાહિયાત બની ચુકેલા મેગેઝીનની રીડરશીપ તે લોકો દાવો કરે છે તેનાથી દસમાં ભાગની પણ નથી. નહીતર થોડા વધુ ગુજરાતી વાચકો આ કાંડનો ભોગ બન્યા હોત. (તેમની રીડરશીપના દાવા કેટલા ખોખલા છે તે જાણવા માટે આ જ મેગેઝીનમાં તેમણે પોતાના સાઈઠ વર્ષની ઉજવણી નિમિત્તે યોજેલી હરીફાઈના વિજેતાઓની યાદી પ્રગટ કરી છે તે જોઈ લેવી. વિજેતાઓના ગામના નામ જોવાથી સમજાઈ જશે કે તેમની રીડરશીપ કેટલી સીમિત રહી ગઈ છે.. આ વાંચ્યા પછી તે લોકો નવી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર કરતી વખતે વાચકોના પત્રોની માફક ડમી વિજેતાઓ અને સ્થળ વૈવિધ્ય આપવાનો પણ પ્રયોગ કરશે જ.)
    ચિત્રલેખાની આ નફ્ફટાઈ અને હલકાઈ બદલ શું થઇ શકે?
    ચિત્રલેખાની ઓફિસે અને તેના હલકટ શિરોમણીઓને આવડે એવી ગંદામાં ગંદી ગાળો આપતા ફોન પીસીઓ પરથી કરવા. આમ કરવાથી ગુજરાતી વાચકોની સેવા કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. અને તેમને તો આપણી ગાળો પણ મોરારીબાપુ ને જાહેરમાં કહી શકાય તેવા સ્વસ્તીવચનો જ લાગશે..કારણ કે તે સૌ તો તેમણે કવર સ્ટોરી કરી છે તે બાયો ડિસ્ક પરથી પસાર કરેલું પી ને બેઠા હશે એટલે આપણે દીધેલી ગાળોનું બંધારણ પણ તેમના સુધી પહોંચતા સુધીમાં સુગઠિત થઇ ગયું હોવાથી -ચેતનાયુક્ત બની ગઈ હશે. બાયો ડિસ્કની કિંમત 17,750 અને બે નંગના 31,400 રૂપિયા ખર્ચતા પહેલા આ પ્રયોગ કરી જુઓ. ગંદી ગાળોની સામે ગાળ મળે તો સમજવું કે બાયો ડિસ્કની અસર થતી નથી. છે ને સિમ્પલ?...તો કરો કંકુના... શોધો પીસીઓ...ઘુમાવો નંબર...અને વહેતી મુકો ગાળગંગા... એ ની તો (...), (...), (...), (...), (...), (...), (...), (...), (...), (...),

    ReplyDelete
  3. it's a mad mad world.

    and more specifically, it's a mad mad Gujarat.

    you can vouch from the hot cake sale of Dashama idols these days across Gujarat towns and villages. you can vouch from the bhakti channels freely serving superstitions and advts of rudraksha and magical pendants and what not. you can see a number of advts in newspaper selling solutions at 100% to 500% assurance.

    and all these get their clientele. who will come forward to આવડે એવી ગંદામાં ગંદી ગાળો આપતા ફોન પીસીઓ પરથી કરવા, Mr. Anonymous? you think people are rational and will heed your advice ? before we excite them to abuse, we must first educate them to think rationally and make them aware of their exploitation by a parasite class of charlatans.

    are we as a society or polity prepared to do that ? it's a constitutional obligation of the state but do we ever remind it or compel it to accord it the priority it deserves ? no, because most of us are afraid to lose our class/caste privileges, if masses are awakened. and that is the reason we remain selectively rational.

    it's like the policeman's cry in the film : JAGTE RAHO !

    ReplyDelete
  4. Anonymous11:49:00 AM

    નીરવજી,

    તમે મુદ્દો સમજો.

    પ્લેબોય જેવી ચેનલો પર ચાલતી ચીજો અંગે કોઈને educate કરવાનો અર્થ નથી કે એવો ઉપક્રમ પણ નથી. પરંતુ બાળકોની ચેનલ પર એવું બધું પીરસવાનો ગલીચ પ્રયાસ કરનારને તો ગંદી ગાળો જ આપવી પડે. પાઠ શીખવાડવાના ધંધામાં ભલે ના પડીએ કે કોઈને ના પાડીએ, પરંતુ વખત આવ્યે પાઠ ભણાવવાનું તો કરવું પડે.

    ReplyDelete
  5. સરસ ઉર્વીશભાઈ, ભૂલો કરનારાના કાન આમળતા રહો. કંઈક તો બુદ્ધિગમ્ય હોવું જોઈએ ને। સાવ ઉટપટાંગ કેમ ચલાવી લેવાય.
    - વજેસિંહ પારગી

    ReplyDelete
  6. Anonymous5:54:00 PM

    Chitralekha and my story some time back: https://kartikm.wordpress.com/2006/06/26/suggestion-to-kill/

    ReplyDelete
  7. ગઈ કાલે NDTV પર બરખા દત્ત નો we the people પ્રોગ્રામ પણ આવી જ એક માર્કેટિંગ gimmick બની રહ્યો. ખરેખર તો નવા social media ની સામાજિક અસરો પર વાત થવી જોઈતી હતી, પણ ફક્ત twitter user ને પડતી મુશ્કેલી અને નિવારણ નો પ્રોગ્રામ બની રહ્યો. એક તો social media ને use કરનારા મુઠ્ઠીભર લોકો અને એમાય twitter તો મોટેભાગે celebrities જ use કરતા હોય છે. આ માર્કેટ અને મીડિયા નું nexus ક્યારે તૂટશે ?

    ReplyDelete
  8. Binit Modi (Ahmedabad)10:06:00 PM

    જેનો ફેલાવો છ આંકડામાં કવરપેજ પર લખાતો હતો એ 'ચિત્રલેખા' સાપ્તાહિકને સાઈઠ વર્ષ પુરા થયા છે. એક સમયે તેનો સમાવેશ 'એર ઇન્ડિયા'ના ઇન-ફ્લાઈટ મેગેઝીન તરીકે થયો હતો. ૧૯૮૮ના ઓલમ્પિક રમતોત્સવનું તેના પત્રકાર ભાલચંદ્ર જાનીએ સિઓલ જઈને રીપોર્ટીંગ કર્યું હતું તો વડાપ્રધાનપદે રહેતા રાજીવ ગાંધીએ આ સાપ્તાહિકને ૧૯૮૭માં જે મુલાકાત આપી તે પછી કોઈ ગુજરાતી મીડિયાએ વડાપ્રધાનને મળવાનું હજી બાકી છે. યાદ રહે એ પછી અડધો ડઝન વડાપ્રધાન દિલ્હીની ગાદીએ આવી ગયા છે. પાસબુકમાં આટલી બધી જમા એન્ટ્રી સામે જાદુઈ રકાબીઓની વાત કરવાની ? 'ચિત્રલેખા'ના પ્રથમ તંત્રી વજુ કોટક યુવાન વયે અને બીજા તંત્રી હરકિસન મહેતા સોરાયસીસથી મૃત્યુ પામ્યા હતા. એ બન્ને આજે હયાત હોત તો આ અંક પ્રગટ થયો એ સાથે તો દિવંગત થયા જ હોત એમ હું ખાતરીપૂર્વક કહી શકું છું. 'ચિત્રલેખા'ની છેલ્લી નકલ ગઈ સદીમાં ૩૧ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ ખરીદીને તેને રામ - રામ કરનાર.....
    બિનીત મોદી (અમદાવાદ)
    E-mail: binitmodi@gmail.com
    Mobile : 9824 656 979

    ReplyDelete
  9. Anonymous12:34:00 AM

    While I was reading the article and the response to it by Mr. Anonymous I was having the same thoughts which Mr. Nirav Patel has articulated and I have nothing to add to what he has said. The level of prevalence of superstitions even among the urban Gujaratis is mind-numbing and this is an incontrovertible evidence of the fact that we are not progressing but retrogressing. It is only because of the presence of the demand for such stuff that the powers-that-be in Chitralekha would have decided to sell their miracle story.

    Sukumar M. Trivedi

    ReplyDelete
  10. Urvishbahi,

    Thank you for writing such an eye opener.

    It is highly irresponsible for a reputable magazine like Chitralekha to promote or propagate
    such unproven , unsubstantiated claims. By writing such stories they are doing a great disservice to their reader community. People who resort to such treatments instead of seeking a professional help are likely to suffer . It is a shame that magazines like chitralekha and others write such stuff just to fill their pages.

    Some years ago the ' ભોળી પ્રજા ' of Gujarat went beserk about a quack called Kheralu Bapu who claimed that with a blow of air on water remotely, he made it capable of curing all ailments. People in their thousands attened his meetings with bottles of water held up high to catch his 'ફૂંક ' !. He has wanished in to oblivion and so have so many who would be still around without his faith healing. There is a thin line between shradhha and superstition and a big mixup of the two.

    You should see the number of advertisements in Indian newpapers in Australia , US UK etc. by tantriks, astrologers, gurus and the like who are there to relieve people of all their issues and their money. Unfortunately there is no scarcity of believers for these thugs.

    Over the years I have lost interest in chitralekha and it is not the age but declining standard of reporting, writing and their attitude of taking the readers for granted. How come only a handful of readrers write to the editor time after time if they have such a large readership as they claim or is it just doctored?
    I often wonder if there is any editorial control on what is written in Chitralekha. It is easy for the magazine to claim that they print what the readers like to read !

    - Dr Bharat Bhatt, Australia

    ReplyDelete
  11. Anonymous4:30:00 PM

    ખૂબ સરસ.

    ચિત્રલેખામાં લેખ વાંચ્યો ત્યારથી વિચારતો હતો કે આની સામે અવાજ ઉઠાવનાર કોઈ નથી કે શું ?

    આને મેઈન સ્ટ્રીમ મીડિયામાં લાવવાની જરૂર છે.

    ReplyDelete
  12. ઘણી ખમ્મા ઉર્વિશ કોઠારી અને બિનીત મોદીને. બિનીત મોદીના નામે એક સમર્થ વ્યંગકાર સાવ મફતમાં વેડફાઈ રહ્યો છે, શૈશવકાળમાં નક્કી એણે બરછીફેંકની તાલીમ લીધી હોવી જોઈએ.

    ReplyDelete
  13. i have had experience of watching and listening and reading Binit and i can therefore agree to what Himmat has revealed : Binit has great potentiality as a SATIRIST.

    if he gets a chance (as did others like Vinod Bhatt, Ashok Dave, Niranjan Trivedi, Urvish Kothari et al) to write a regular column, he would be an enriching contribution to the Gujarati comic canon.

    look at the additional information he has dug out in his comments to this post and the witty way of his writing!

    incidentally, he writes in his own calligraphic style- may i will call it aesthetically crooked! - i have preserved my membership receipt of GUJARATI LEKHAK MANDAL as its specimen.

    Binit, you must write. and be a prolific social satirist. Gujarat is in need of more Urvishes and more Binits.

    ReplyDelete
  14. sorry for the slip,
    you may ignore 'may' from the fourth paragraph in my above comment.

    ReplyDelete
  15. Anonymous2:26:00 AM

    I completely agree with your note 1, as I "Chitralekha" had been one of my general knowledge source during my teenage and university years. However, "Chitralekha" has done similar "advertorial" for TV series "Ramayan" and the movie "Hum". I had also written a letter to then editor Harkisan Mehta about media ethics.

    I have stopped reading Chitralekha since last 10 years as most of the articles seem to be "inspired" from net or western magazines, and the language is a complete "bhelpuri" of Gujarati and English words.

    ReplyDelete