Saturday, December 19, 2009

‘સ્વર્ણિમ ગુજરાત’ના સંભવિત સંકલ્પો

આ જાહેરખબર નથી. ‘સ્વર્ણિમ ગુજરાત’ શબ્દપ્રયોગ આવતો એટલે ચોખવટ કરવી સારી. આવા શબ્દપ્રયોગ વાંચીને લોકો શંકાની નજરે જુએ છે. મુખ્ય મંત્રીના ચાહકોની શંકા જોકે અહોભાવથી છલકતી હોય છેઃ ‘જોઇ અમારા સાહેબની કમાલ? કેવું સ્વર્ણિમ લઇ આવ્યા? અત્યાર સુધી તમે આ પ્રકારનો ‘રક્તિમ’ સિવાય બીજો કોઇ શબ્દ નહીં સાંભળ્યો હોય! ‘રક્તિમ’ને ‘સ્વર્ણિમ’માં ખપાવી શકે એ જ માણસ ગુજરાતનો વિકાસ સાધી શકે.’ કેટલાંક ભક્તહૃદયો એવું માનવા પણ પ્રેરાય છે કે ‘ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે એમાં પણ સાહેબની જ કોઇ કમાલ છે. બાકી આવો શુભ પ્રસંગ બીજા કોઇના શાસનમાં આવે નહીં. બોલો, ચીમનભાઇ કે કેશુભાઇ ગુજરાતનાં ૫૦ વર્ષ પૂરાં થયાં? અમે અમસ્તું કહીએ છીએ કે સાહેબમાં કંઇક છે!’

મુખ્ય મંત્રીના ચાહકો ન હોય એવા લોકો સરકારની અને ભાજપની બહાર પણ છે. ‘સ્વર્ણિમ’નો ઉલ્લેખ થતાં એ કહે છે,‘અમને તો આમાં સાહેબનો ‘સ્વ’ જ દેખાય છે. ‘સ્વ’ પછી શું કે કોણ આવે છે એ ગૌણ છે.’ ગુજરાતનો સત્તાવાર વનપ્રવેશ ભલે આવતા વર્ષે થવાનો હોય, પણ મુખ્ય મંત્રીના ટીકાકારોના મતે, તેમના રાજમાં ગુજરાત સાત વર્ષ પહેલાં, ૨૦૦૨માં જ ‘વનપ્રવેશ’ કરી ચૂક્યું હતું.

થોડા દિવસ પહેલાં મુખ્ય મંત્રીએ તેમના મંત્રીમંડળ અને અધિકારીઓ સહિત કચ્છના રણમાં મુકામ કર્યો. આખા કાફલા સહીત નવી જગ્યાએ જઇને, ત્યાં સુવિધાઓ ઉભી કરાવવી અને જગ્યાએથી વહીવટ ચલાવવો એ મહંમદ તઘલકની સ્ટાઇલ ગણાય કે અંગ્રેજોની, એ ઘણા નક્કી કરી શક્યા નથી. કચ્છ બેઠકમાં સ્વર્ણિમ ગુજરાત માટે સંકલ્પો લેવડાવવામાં આવ્યા. ગુજરાતને પચાસમું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે મુખ્ય મંત્રી પણ સંકલ્પો જાહેર કરવાનું વિચારી રહ્યા હશે. કયા સંકલ્પો લેવા ને કયા ન લેવા, કયા ખાનગીમાં લેવા ને કયા જાહેરમાં ઉચ્ચારવા, એની કશ્મકશ પણ ચાલતી હશે. મુખ્ય મંત્રી અંતરના અવાજ પ્રમાણે સંકલ્પ લે તો એ કેવા હોય? સાડા પાંચ કરોડ વિકલ્પોમાંથી થોડા નમૂના.

  • હું સંકલ્પ કરૂં છું કે ગુજરાતના વિકાસની વાત કરતી વખતે, તેનો ઇતિહાસ ૨૦૦૧થી શરૂ થયેલો ગણીશ. ત્યાર પહેલાંના સમયગાળાને અંધકારયુગ જાહેર કરીને તેના વિશેની ચર્ચા પર પ્રતિબંધ મુકીશ.
  • ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરીશ...ના, જવા દો. આ સંકલ્પ લઇશ તો વિરોધીઓ કહેશે કે તમે ખાતા નથી ને ખાવા દેતા નથી, તો જેને નાબુદ કરવો પડે એવો ભ્રષ્ટાચાર ક્યાંથી આવ્યો? આપણે એવું કહીએ કે ગુજરાતની ખૂણાખાંચરાની (મંત્રીમંડળ જેવી?) જગ્યાઓમાંથી પણ ભ્રષ્ટાચાર દૂર કરીશ.
  • આસારામની ધરપકડનો સંકલ્પ ન કરવો એવો કોઇ સંકલ્પ મેં કર્યો નથી અને ગુજરાતના સાડા પાંચ કરોડ પ્રજાજનોને મારૂં વચન છે કે એવો કોઇ સંકલ્પ નહીં કરૂં. એ મારો સંકલ્પ છે. હું કોઇની શેહમાં આવતો નથી. (કોઇને એવું લાગતું હોય તો એના માટે શેહ સિવાયનાં કારણો જવાબદાર ગણવાની છૂટ છે.)
  • અત્યાર સુધીમાં પક્ષના મોટા ભાગના નેતાઓની આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ ઠરી ચૂકી હશે. છતાં, હજુ કોઇને એવું લાગતું હશે તો બોર્ડનિગમનાં ચેરમેનપદાંની અવેજીમાં અત્યારે ચાલતી અને નવી ખુલનારી યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિપદાં આપીશ. આખરે, માણસ શિક્ષણ માટે નહીં, શિક્ષણ માણસ માટે છે!
  • ગુજરાત કોંગ્રેસને તેમના (અમારી સરકાર સુખેથી ચાલવા દેવાના) કામમાં પૂરી મદદ કરીશ. વિપક્ષ સાથે સહકાર સાધીને ગુજરાતને આગળ લઇ જવાનો હું સંકલ્પ કરૂં છું.
  • અડવાણીજીના જીવનમાં સોમનાથ અને અયોઘ્યાનું જે સ્થાન છે, એવું જ મારા જીવનમાં ગોધરાનું છે. બીજા લોકોની જેમ મને એટલી જ ખબર હતી કે સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી વારાણસી કે મુઝફ્ફરપુર જાય છે. એ દિલ્હીથી ગાંધીનગર જાય છે, એ તો ૨૦૦૨માં જાણ્યું. હું સંકલ્પ કરૂં છું કે જેમ દિલ્હીથી ગાંધીનગરનો રૂટ શોધી કાઢ્યો, તેમ ગાંધીનગરથી દિલ્હીનો રૂટ પણ શોધી કાઢીશ.
  • શિક્ષણજગતમાં જેમ લધુતમ વેતન કરતાં ઓછા પગારના વિદ્યાસહાયકો મૂકવાની પદ્ધતિ દાખલ કરી છે, એવી જ રીતે હું દિલ્હી જઇશ ત્યારે ગુજરાતમાં ‘મુખ્ય મંત્રીસહાયક’ની પ્રથા દાખલ કરવાનો સંકલ્પ કરૂં છું. આ પ્રથા અત્યારે મંત્રીઓ સુધી લઇ આવવાનો તો મારો પ્રયાસ છે જ. મુખ્ય મંત્રી પણ ‘સહાયક’ થઇ જાય પછી રાજ્યમાં કંઇ પણ ખરાબ થાય તો જવાબદારી મુખ્ય મંત્રીસહાયકોની રહેશે અને સારૂં થાય તો? ગુજરાતના છેલ્લા ‘આખા’ (ફુલસાઇઝ- ‘સહાયક’ નહીં એવા) મુખ્ય મંત્રી તરીકે હું દિલ્હીમાં બેઠો જ હોઇશ.
  • શુભ અવસરે જૂના વખતના રાજાઓ કેદીઓની સજા માફ કરતા હતા. હું આ સુવર્ણપ્રસંગે સંકલ્પ કરૂં છું કે બળવાખોરોને માફ કરી દઇશ- પણ તેમને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની એકેય ચૂંટણીની ટિકિટ ન આપ્યા પછી, તેમની જાહેરમાં લેખિત માફી લખાવ્યા પછી અને તેમને રાજકીય અરણ્યવાસમાં ધકેલી દીધા પછી.
  • આવતા વર્ષની એક પણ સરકારી જાહેરખબર કે હોર્ડિંગમાં મારી તસવીર રીપીટ નહીં થવા દઊં. પ્રજાને એકનો એક માણસ નહીં, એની એકની એક મુદ્રાઓ અને એકનાં એક કપડાં જોઇને કંટાળો આવે છે.
  • નર્મદા બંધની ઊંચાઇ વધારવાની જાહેરાત કરવાનો સંકલ્પ કરૂં છું. એનાથી ગુજરાતને પાણીનો, વીજળીનો કે બીજો કેટલો ફાયદો થશે એ તો ખબર નથી, પણ સભાઓમાં નર્મદા બંધની ઊંચાઇ વિશે બોલવાની બહુ મઝા આવે છે. અને એમાં પણ જો ઊંચાઇ વધારવાની મારી જાહેરાતનો મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશ વિરોધ કરે તો કામ થઇ જાય. મઘ્ય પ્રદેશમાં તો મારા પક્ષની સરકાર છે, એટલે એની પાસે ધાર્યું કરાવવું અઘરૂં છે. મહારાષ્ટ્રમાં પ્રયત્ન કરી જોવાય. ત્યાં આપણું કામ થવાની ઉજળી શક્યતા છે. કોંગ્રેસ-એનસીપીની સરકાર છે એટલે!
  • એક વાર અમેરિકાની મુલાકાત લઇશ. વિડીયો પ્રવચનો હવે બહુ થયાં. દુનિયાભરના દુષ્ટમાં દુષ્ટ સરમુખત્યારોને અને સામુહિક સંહાર કરનારાઓને અમેરિકા વીસા આપે અને મને કેમ નહીં? જરૂર પડશે તો હું માનવ અધિકારવાળાઓ પાસે પણ જઇશ અને તેમની મદદથી લોબીઈંગ કરાવીશ. મને ખબર છે, અડધા ઉપરાંત માનવ અધિકારવાળા તો હું ભાવ નથી આપતો એટલે કે પછી મારો વિરોધ કરવાનો ધંધો સારો ચાલે છે એને લીધે મારાથી નારાજ છે. અમેરિકા માટે માનવ અધિકારવાળાઓનું પણ નહીં ચાલે તો પછી મારે નડિયાદ-આણંદના કોઇ એજન્ટને પકડવો પડશે.
  • ગુજરાતની ૫૧મી વર્ષગાંઠ નિમિત્તે મંત્રીમંડળ અને અધિકારીઓનો કાફલો લઇને નળ સરોવરની વચ્ચોવચ ખાસ પ્લેટફોર્મ ઉભું કરાવીને બેઠક કરીશ, જેથી સંકલ્પો કરતી વખતે મૂકવાનું પાણી શોધવા માટે ક્યાંય દૂર ન જવું પડે અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ દેખાય. ગુજરાત (સરકાર)ના ગૌરવની વાત આવે ત્યારે ખર્ચનો સવાલ નથી. ગુજરાત(ના ઉદ્યોગપતિઓ) ગરીબ નથી.

5 comments:

  1. Anonymous9:09:00 PM

    આવું જ કંઇક સોનિયા ગાંધી અને શંકરસિંહ વાધેલા વિશે લખો તો વધારે મઝા આવે.
    બાકી મોદી સાહેબ વિશેનો તમારો પ્રેમ હવે બહુ વાસી થઇ ગયો છે.

    ReplyDelete
  2. I agree with Krunal. After a long time reading your blog, I see there is something personal here for you to write about Modi. I do not see your views now as a fact finder and true journalist's view but I think they are turning as other pseudo seculars with just one grudge in mind (sorry, I think heart). A lie some people keeps repeating in the hope that will turn true or at least people start believing.

    I think you should try some one else than Modi for a while and introspect if there is any personal grudge or something. I know you explained that because both of you are not at all professionaly connected but yet something is fishy here and not it is too much without any real issue here

    ReplyDelete
  3. potani pragati mate bija ni tika karavi bahu saheli che urvish bhai.. pelu kevay che ne ke koi tamaro tika ke ninda kare atle samajavu ke tame pragati karo cho...

    ReplyDelete
  4. binit modi1:25:00 PM

    ઉર્વીશભાઈ,
    મોદીનું નામ લખો કે તરત તેમના ચાહકો - ભાવકો - કટકો લખનાર પર તૂટી પડે છે. આટલો પ્રેમ કરવો સારો નહિ. પ્રેમ મેળવનાર ગૂંગળાઈ ના જાય તેનું પણ ધ્યાન રાખવું ઘટે. અત્યારે તો હાલત એવી છે કે નરેન્દ્ર મોદીનું નામ તમે ઊંઝા જોડણીમાં લખો કે અંગ્રેજીમાં લખતી વખતે NARENDRA MODY એવો સ્પેલિંગ કરો તો પણ તમે વાંકમાં આવી જાઓ. ગુજરાતમાં હવે ગીલોટીનની સંખ્યા વધી ગઈ છે.
    બિનીત મોદી (અમદાવાદ)
    E-mail: binitmodi@gmail.com

    ReplyDelete
  5. Narendra (Envy)8:18:00 AM

    Thnx Urvish for deleting all unnecessary,unwarranted,unparliamentary & illogical comments. I hope the so-called smart people will learn a lesson from this & will understand that if v want to opine on public forum then V should show V R atleast educated upto school level in life school! I expect in future too , U will keep an eye on such people & reprimand them (whoever they may b)to behave as nice people, I hope I m not asking for too much from U as UR reader.
    Last request, U proclaim researcher so better find out all the wrong doings,corruptions and partial favours etc. & put it on paper for people to read. This will give all UR readers, a new insight into UR tired against one man plus, it will also prove UR statement that there really is nothing personal between U and CM.Amen
    P.S. For all- I M not ardent follower of CM.I just like many of his works in his 2000 day of rule in Gujarat(which is enough to prove a persons capabilities & his opposer's incapabilities.

    ReplyDelete