Wednesday, December 09, 2009

વિશ્વનું ‘સર્વપ્રથમ’ મહાકાય જ્ઞાન પ્રદર્શનઃ દાવા, દેખાવ અને ...અસલિયત


થોડા દિવસ પહેલાંથી અમદાવાદમાં ઠેકઠેકાણે જ્ઞાનને લગતું, કંઇક વિચિત્ર અને અસંબદ્ધ લાગે એવું ટીઝર કેમ્પેઇન શરૂ થયું હતું. (જુઓ તસવીર ૧). થોડા દિવસ પછી રહસ્યસ્ફોટ થયો. (તસવીર ૨)
ધર્મમાં મને ખાસ રસ પડતો નથી, પણ મામલો જ્ઞાનનો હતો એટલે થયું કે ચાલો જોઇએ, શું કહે છે જૈન જ્ઞાન. આજે થલતેજ ચાર રસ્તા પાસે આવેલું પ્રદર્શન જોવા ગયો. વિશાળ હોર્ડિંગ અને પ્રવેશ પાસે જ મૂકેલાં મેટલ ડીટેક્ટરની હારમાળાની નવાઇ નથી રહી.
એ વટાવીને અંદર ગયો એટલે સામે જેનાથી આવનારે અંજાઇ જવાનું અપેક્ષિત હોય એવું શિલ્પ નજરે પડ્યું.
પ્રદર્શનમાં જવા ઇચ્છનારે (સલામતીનાં કે વ્યવસ્થાનાં કારણોસર) નામ નોંધાવ્યા પછી જ અંદર જવાનું હતું. અંદર જવાની લાંબી લાઇન હતી.
બહાર ફરતો હતો ત્યારે જ માઇક પરથી સૂચના સંભળાઇઃ (બહારના શિલ્પ અને બીજી બેત્રણ વસ્તુઓને બાદ કરતાં) ફોટોગ્રાફીની મનાઇ છે. જ્ઞાનપ્રદર્શનમાં ફોટોગ્રાફીની મનાઇનું લોજિક શું હશે?
ત્યાં મૂકેલી વિગતોમાં જૈન ધર્મ અને તેનાં આગમો વિજ્ઞાન કરતાં કેટલાં આગળ છે એ સિદ્ધ કરવામાં આવ્યું હતું. ટેસ્ટટ્યુબ બેબી, ક્લોનિંગ, તરંગો દ્વારા સંદેશાવ્યવહાર જેવી અનેક શોધો વિજ્ઞાને કરી ત્યાર પહેલાં જૈન આગમોમાં લખાઇ ચૂકી છે. એ વિશે અહીં ચર્ચા કરવી નથી. પણ જ્ઞાનના આ પ્રદર્શનમાં, ટેસ્ટટ્યુબ બેબી અને ક્લોનિગનો છોછ ન રાખનારા બલ્કે ગૌરવ લેનારા લોકોએ, પ્રવેશદ્વાર પાસે મૂકેલી સૂચના વાંચીને મગજ ચકરાઇ ગયું.
સૂચનામાં લખ્યું છેઃ અંતરાયવાળી (M.C.) બહેનોએ આ પરીસરમાં પ્રવેશ કરવો નહીં.
આ સૂચના સામે ભયાનક વાંધો પડવો જોઇએ.
માસિક ઋતુસ્ત્રાવ એ (લધુશંકા કે ગુરૂશંકા જેવી) શારીરિક ઉત્સર્જનની પ્રક્રિયા છે. ઋતુસ્ત્રાવવાળી બહેનોને અપવિત્ર ગણીને, તેમને પરીસરમાં આવવાની જ મનાઇ ફરમાવવી એ અઢારમી સદીની માનસિકતા ગણાય. ધાર્મિક પ્રસંગોમાં કોઇને પોતાની અઢારમી સદીની માનસિકતા પંપાળવી હોય તો ભલે પંપાળ્યા કરે, પણ ‘જ્ઞાન’ના પ્રદર્શનમાં આવું પાટિયું કેવી રીતે મારી શકાય? જ્ઞાનના બીજા કોઇ પણ સ્થળે આવું અપમાનજનક અને ભેદભાવસૂચક પાટિયું વાંચ્યું છે? જો ‘ના’, તો અહીં એ પાટિયું શું કરે છે?
કોઇ જ્ઞાની મહારાજસાહેબ કે ત્યાંની મુલાકાત લઇ આવેલા મુખ્ય મંત્રીશ્રી સહિત બીજા કોઇને આ પાટિયા સામે કેમ વાંધો ન પડ્યો?
સાચી દિશા કયો ગધેડો દેખાડશે, એ નક્કી કરવું ખરેખર અઘરૂં છે.
જૈન અને બિનજૈન ભાઇઓ-બહેનો, શું કહો છો?

10 comments:

  1. જ્ઞાનનાં કહેવાતા પ્રદર્શનોમાં આવું થાય તો પછી શું કહેવું?

    ReplyDelete
  2. unbelivable ...and horrible too...

    ReplyDelete
  3. નીલેશ જાની3:24:00 PM

    પોતાના ધર્મગ્રંથો મા આ બધુ પહેલે થી લખ્યુ છે તેમ કહી,પોરસાતા જૈનો
    એ જ આવી વિરોધી વાત નો વિરોધ કરવો જોઇએ,જો ધર્મ પાળવા ની જવાબદારી તેમની છે તો ધર્મ ના નામે થતા આવા ધતીંગો ને ઉઘાડા પાડવાની જવાબદારી પણ સૌથી વધુ તેમની જ હોવી જોઇએ. જ્યારે આપણે ત્યાં તો આવા લેખ કે કોમેન્ટ લખનાર નો જ વિરોધ કરનાર ધર્મપ્રેમીઓ ની જરાય કમી નથી.

    ReplyDelete
  4. More than 10 years back I went to similar 'World's fist and ONLY' GYAN exhibition. Still remember their logic to fly a plane. Just lift up a plane, let globe rotate, when your destination is below the plane just take it down on the earth. They were trying to prove that the globe is not a sphere, its of a shape of our stainless steel dish. That too in the end of 20th century! Whats a great joke! It was World's ONLY exhibition, from where i came out as a stupid boy.

    ReplyDelete
  5. કોઈ પણ ધર્મના મૂળ ઉપદેશમાં ન હોય તેવું ડીંડવાણું દરેક ધર્મના અનુયાયીઓ ચલાવતા હોય છે. જગતનો કોઈ ધર્મ તેમાંથી બાકાત નથી. તમે જોયેલું M.C.નું મુર્ખાઈભરેલું પાટીયું હસી કાઢવા જેવું છે. એનું કોઈ મહત્વ નથી. હા, આવી મુર્ખાઈને કોઈ સાચી ધાર્મિક આજ્ઞા ગણે, તો ભલે તે ગુજરાત સમાચાર જેવા અગ્રણી અખબારના માલિક હોય, તેની સાથે કોઈ વિચારશીલ માણસ સંમત ન થઈ શકે. આ પાટીયું લખનારને કદાચ ખબર પણ નહિ હોય કે જૈનો જેની આરાધના કરે છે તે ૨૪ તિર્થંકરોમાં એક મહિલા તિર્થંકરનો પણ સમાવેશ થાય છે.

    -માવજીભાઈ મુંબઈવાળા

    ReplyDelete
  6. ઉત્પલ ભટ્ટ11:20:00 PM

    આની સામે ભયાનક વાંધો પડવો જ જોઇએ પણ એવો વાંધો પાડવા જતાં ધર્મઝનુનીઓને હાથે માર જ ખાવો પડે અને એ બોર્ડ દૂર થવાને બદલે નવા ચાર બોર્ડ ત્યાં ઊભા થાય. ઉપરથી ત્યાં આવતી બહુમતી બહેનો અઢારમી સદીની માનસિકતા ગૌરવ સાથે પંપાળે તે લટકામાં.

    ઉત્પલ ભટ્ટ

    ReplyDelete
  7. Binit Modi5:39:00 PM

    જૈનોના આ (અ)જ્ઞાન પ્રદર્શનમાં પ્રવેશદ્વારે મારેલું પાટીયું અક્કલનું પ્રદર્શન વધારે કરે છે. જાહેર સભા - સરઘસ કે કાર્યક્રમોના સ્થળે આવા થોકબંધ પાટિયા મારવાનું કમ્પ્યુટરને કારણે સહેલું થઇ પડ્યું છે. અગાઉ એ કામ કરવા દાતણનો અને ગળીના પાણીનો ઉપયોગ થતો હતો. આ સૂચનામાં હજી એક ઉમેરો કરવો શક્ય છે. માસિક ધર્મ વાળી બહેનોની સાથે એ.એમ.ટી.એસ., એસ.ટી. કે ટ્રેનનો માસિક પાસ ધરાવતા પુરુષોએ પણ આ પ્રદર્શન જોવા - જાણવા આવવું નહિ. આનો ફાયદો છેલ્લે પ્રદર્શનના સ્વયંસેવકોને થશે. ભીડ ઓછી થશે. પ્રદર્શન જોતાં જોતાં જ કોઈ બહેને દર્શાવેલ પરિસ્થિતિમાં મુકાવું પડે તો શું કરવું તેનો ફોડ પણ આયોજકો પાડે તો કેવું સારું. આવા જાહેર આયોજનોમાં જે તે સમાજનો સ્ત્રી વર્ગ પણ સામેલ હોય છે. આયોજનના તબક્કે તેમને આવી સુચનાઓનો વાંધો કેમ નથી પડતો તે આપણી સૌથી મોટી નિસ્બત હોવી જોઈએ.
    બિનીત મોદી (અમદાવાદ)
    E-mail: binitmodi@gmail.com

    ReplyDelete
  8. દરેક સઁપ્રદાયમા આવુ જોવા મળશે.

    આ પાટિયાથી ધર્મનુ અપમાન નથી થતુ.

    મૂળ મુદ્દાથી પર આપણને આ જ પાટિયુ દેખાય છે. આપણે બધા એક્દમ નકારાત્મક થઇ ગયા છીએ.

    આ પ્રદર્શનમા શુ જોયુ એ બાબતે કઇ જણાવશો તો સારુ.

    ReplyDelete
  9. ધન્ય છે તમારી હકારાત્મકતાને, કલ્પેશભાઇ!
    આખા પ્રદર્શનમાં મૂળ મુદ્દો ‘જ્ઞાન’ છે અને આ પાટિયું મૂળ મુદ્દાનું વિરોધી છે.ખરી હકારાત્મકતા એમાં છે કે આ પાટિયું હટાવ્યા પછી, પ્રદર્શનમાં બીજું શું જોયું એ વિશે તમે પૂછો.
    દરેક સંપ્રદાયમાં આવું ચાલે છે એવું કહેવું કયા પ્રકારની હકારાત્મકતા છે? અને કોઇ સંપ્રદાયના જાહેર પ્રદર્શનમાં ધારો કે આવું ચાલતું હોય તો તમને એની સામે વાંધો નહીં પડે? કે ‘આવ ભાઇ હરખા..’ ન્યાયે રાજી થશો? વાંધો કોઇ ધર્મ કે સંપ્રદાય સામે નહીં, જ્ઞાનના નામે ચાલતા આવા દંભ સામે છે.

    ReplyDelete