Monday, December 14, 2009

લગનગાળાની સમસ્યાઃ ચાંલ્લો કેટલો કરવો?

લગ્ન બે આત્માઓના મિલનની ઘટના હશે, પણ એ નિમિત્તે ભેગા થતા બાકીના આત્માઓ માટે જમણવાર અને તેની પહેલાં કે પછી કરવો પડતો ચાંલ્લો સૌથી મહત્ત્વની બાબત છે.

જેને ‘રૂબરૂ મળ્યા તુલ્ય’ ગણવાની હોય એવી ‘કુમકુમ પત્રિકા’ ઘરમાં આવે, એટલે નિમંત્રીતોની નજર ‘ભોજન સમારંભ’ નું મથાળું શોધવા લાગે છે. લગ્નમાં ઘુમાડાબંધ ખર્ચ કરનારાની કંકોત્રીઓ ચાર-પાંચ પીસમાં હોય છે. (તેમાં અનુસંધાનો કાઢવાનું કોઇને સૂઝ્યું નથી એટલી દયા.) એવી દળદાર કંકોત્રીમાં ‘ભોજન સમારંભ’ની વિગતો શોધવાનું કામ કોઇ ડેઝર્ટેશન કે એમ.ફિલથી કમ નથી. (આ સરખામણીની સચ્ચાઇ જાણવા માટે દમદાર કંકોત્રીઓ નહીં, દમ વગરનાં અસંખ્ય ડેઝર્ટેશન કે નિબંધોમાંથી એકાદ જોવા મળી જાય તો પૂરતું છે.)

નિમંત્રકે પ્રેમથી, ખર્ચથી, દેખાદેખીથી કે છાકો પાડી દેવા તૈયાર કરાવેલી આખી પત્રિકા નજરઅંદાજ કરીને, તેમાંથી માત્ર ભોજન સમારંભની વિગતો જોઇ લેવાનું ઠીક કહેવાય? એવો કચવાટ કેટલાક સજ્જનોને થાય છે. પહેલી નજર ભોજન સમારંભ પર પડી જાય તો પણ મંડપમૂહુર્ત, ગણેશમાટલી, ગરબા, મહેંદી જેવી પરચૂરણ વિગતો વાંચીને એવા લોકો પોતાના ઠરેલપણાનો ખ્યાલ આપે છે. ત્યાર પછી ‘હું ભોજન સમારંભ શોધતો ન હતો, પણ બઘું વાંચતો વાંચતો ભોજન સમારંભ સુધી પહોંચ્યો છું.’ એવા ‘સ્વાશ્વાસન’ (‘સ્વ’ને- જાતને જ અપાતા આશ્વાસન) સાથે તે ભોજન સમારંભની વિગતો પર ઘ્યાન કેન્દ્રીત કરે છે.

કંકોત્રીઓમાં ભોજન સમારંભનું મેનુ છાપવાનો આઇડીયા હજુ પ્રચલિત થયો નથી. એટલે મેનુ વિશેની અટકળો, ભોજન સમારંભોના ખટમીઠા અનુભવો અને જમણવારના આયોજનમાં નિમંત્રકના પાછલા રેકોર્ડની ચર્ચા કરતાં કરતાં, ગુલાબની ડાળીમાંથી નીકળતા કાંટાની માફક, વ્યવહારૂ જણના દિમાગમાંથી અણીદાર સવાલ નીકળે છેઃ ‘ચાંલ્લો કેટલો કરીશું?’

પોતાના સવાલની અણીથી બચવાનો એક જ રસ્તો છેઃ તેની અણી આજુબાજુના લોકોને ભોંક્યા કરવી. આજુબાજુ કોઇ ન હોય તો હવામાં અણી ઉછાળવી. કોઇને તો એ વાગશે જ.

વ્યવહારૂ લોકોને આ બઘું શીખવવું પડતું નથી. એ લોકો કંકોત્રી કવરમાં પાછી ખોસવાની દરકાર લીધા વિના, કવર-કંકોત્રીનો -કવર બાજુ પર મૂકીને પોતાના અર્ધાંગ/ અર્ધાંગિનીને પૂછે છે,‘કેટલો ચાંલ્લો કરીશું?’

સામેનું પાત્ર સહજતાથી કહે છે, ‘સહકુટુંબ લખ્યું છે ને? તો એકસો એક કરી દેવાનો. વાત પૂરી.’

‘સહકુટુંબ’ની સામે કરવાના ચાંલ્લાનો સ્ટાન્ડર્ડ આંકડો સમય પ્રમાણે બદલાતો હોવા છતાં એકંદરે તે સ્થિર હોય છે. પણ આટલા જટિલ પ્રશ્નનો આવો સહેલો ઉકેલ શી રીતે સાંખી લેવાય? તેનાથી પ્રશ્નની અને સરવાળે પ્રશ્નકર્તાની મહત્તા જોખમાવાની શક્યતા ઉભી થાય છે. એ ટાળવા માટે પેટામુદ્દા ઉભા કરવામાં આવે છેઃ ‘બરાબર છે. સહકુટુંબ લખ્યું છે, પણ કુટુંબમાં છીએ કેટલાં? ઇન, મીન ને તીન! એટલે આપણામાં તો બધાં સહકુટુંબ જ લખે છે. એકાવન કરીએ તો પણ ચાલે.’

‘એ વાત પણ ખરી. તો એકાવન કરી દો.’ સામેથી ઠંડા કલેજે જવાબ મળે છે. આટલા મહત્ત્વના સવાલ વિશે સામેના પાત્રની ટાઢક જોઇને પ્રશ્નકર્તા ઘૂંધવાઇ ઉઠે છેઃ ‘એમ થોડું ચાલે? આ તે કંઇ બચ્ચાંના ખેલ છે? વ્યવહાર છે વ્યવહાર. બધી બાજુથી વિચારવું પડે. બોલી પડ્યા મોટા, એકાવન કરી દો! તને ખબર છે, આઠ વરસ પહેલાં આપણે ત્યાં ભાઇના લગનમાં એણે કેટલો ચાંલ્લો કર્યો’તો?’

જવાબ જાતે જ આપતાં એ કહે છે,‘એકત્રીસ રૂપિયા. પણ એ વખતે એકત્રીસ રૂપિયાની કિંમત હતી. ત્યારે ખાંડનો ભાવ કેટલો હતો? ને અત્યારે કેટલો છે? પછી આપણે પણ વિચારવું પડે કે નહીં!’

ચાંલ્લાની વાતમાં મોંઘવારી, ભાવવધારો અને મોંઘવારીના હિસાબે કરાતા એડ્જસ્ટમેન્ટ જેવા અર્થશાસ્ત્રના ભારેખમ વિષયો આવી જતાં પરિસ્થિતિ કાબૂબહાર જતી રહે છે. હાથ ઊંચા કરતાં સામેનું પાત્ર કહે છે, ‘ભઇસાબ, તમારે જેટલો ચાંલ્લો કરવો હોય એટલો કરો અને ના કરવો હોય તો ના કરશો. બસ?’

‘એમાં ચાંલ્લો ના કરવાની વાત ક્યાં આવી? આપણે સાવ એવા છીએ કે જમી આવીએ ને ચાંલ્લો પણ ન કરીએ? ગઇ સીઝનમાં એક દહાડે પાંચ-પાંચ લગ્નો હતાં, ત્યારે કેટલી બધી જગ્યાએ આપણે જમવા ગયા વિના ચાંલ્લો કરવો પડ્યો હતો!...એક કામ કરીએ?... એકસો એક કરી દઇએ?’

હવે આ રકમ વગર વિચાર્યે સૂચવાયેલી નહીં, પણ ગરમાગરમ ચર્ચાના અંતે નક્કી થયેલી ગણાય છે. તેનો અમલ કરવામાં કશો બાધ નથી.

ભોજન સમારંભોમાં વાનગીઓનાં કાઉન્ટરની જેમ ચાંલ્લાનું પણ એક કાઉન્ટર હોય છે. ‘ફર્સ્ટ થિંગ ફર્સ્ટ’માં માનતા લોકો સૌથી પહેલાં એ કાઉન્ટર શોધી કાઢે છે અને ત્યાં ચાંલ્લો લખાવીને વ્યવહારિક ફરજમાંથી હળવા થયાની રાહત અનુભવે છે. પહેલાંના વખતમાં ચાંલ્લો લખેલી નોટ લગ્નના આલ્બમ જેટલા જતનથી સાચવી રાખવામાં આવતી હતી અને તેનો ઉપયોગ આલ્બમ કરતાં અનેક ગણો વધારે થતો હતો. વર્ષો સુધી બીજા સાથેના વ્યવહારો નક્કી કરવામાં એ નોટ ‘બ્લુ બુક’ની ગરજ સારતી હતી. હવે વ્યવહારો ઘાતકી રીતે સ્પષ્ટ અને દેખાદેખીવાળા થઇ ગયા છે. સંબંધની ઘનિષ્ટતાના આધારે પાંચ- અગિયાર-એકવીસના બદલાતા રેટમાંથી ચાંલ્લો રૂપિયા એકસોએકના ફ્લેટ રેટ સુધી પહોંચી ગયો છે. એનાથી ઓછો ચાંલ્લો કરનારા અકારણ શરમની અને ‘સમાજમાં હું શું મોં બતાવીશ’ની લાગણી અનુભવે છે અને ચાંલ્લાના ટેબલ પર મૂકેલી વરિયાળી-ધાણાની દાળ ખાતાં ખાતાં, કચવાતા મને ખિસ્સામાંથી સોનું પત્તું કાઢે છે.

વ્યવહારૂ લોકો ચાંલ્લાનો સંબંધ લગ્નસમારંભ કે સત્કાર સમારંભ સાથે જોડે છે, પણ કેટલાક ‘ફોકસ્ડ’ (લક્ષ્યવેધી) લોકોને મન ચાંલ્લા અને ભોજન વચ્ચે સીધો સંબંધ હોય છે. એવા જૂજ લોકો જમ્યા પહેલાં ચાંલ્લો કરવાની ભૂલ કદી કરતા નથી. જમણમાં મીઠાઇ કે ભાતના ચોખાની તો ઠીક, જમ્યા પછી ચાંલ્લાના ટેબલ પર મૂકાયેલી વરિયાળીની ગુણવત્તા સંતોષકારક ન લાગે, એટલે એ મનોમન વિચારી લે છે,‘એંહ... મીઠાઇનાં/દાળનાં/ભાતનાં/મુખવાસનાં તો ઠેકાણાં નથી. આવા ને ત્યાં એકસોએકનો ચાંલ્લો થતો હશે? હું તો એકાવન જ કરીશ.’

વર્તમાન યુગમાં વગર આમંત્રણે વ્હાઇટ હાઉસના રિસેપ્શનથી માંડીને પાર્ટીપ્લોટના રિસેપ્શનમાં ધૂસી જનારા ઘણા મળી આવે, પણ ભોજનની ગુણવત્તા પ્રમાણે તત્કાળ નિર્ણય લઇને ચાંલ્લાની રકમમાં વધઘટ કરી નાખતા લોકો બહુ બચ્યા નથી. એટલે, પીએચ.ડી.ની જેમ ચાંલ્લામાં પણ, તેની સાથે સંકળાયેલો સર્જકતા અને વિચારનો હિસ્સો હવે નામશેષ થયો છે.

4 comments:

  1. very good one.. jalsa padi gaya....

    ReplyDelete
  2. Anonymous12:33:00 AM

    superb! it sholud be in category of "batrishe kothe hasya"!! because "bhojan" comes in kotha via batreshee!! a right time article of this season! msg by amit shah-isanpur-ahmedabad

    ReplyDelete
  3. good one...

    I have one question..which tool you use for Gujrati Type ?

    Thanks
    Jaynath

    ReplyDelete
  4. Jaynathbhai,
    Pl. check 2 links on top right corner of the blog (below followers' list).
    I write in Unicode fonts, available with XP or higher versions. Also there is a site www.gurjardesh.com which converts many Gujarati fonts into Unicode. There are other services too.

    ReplyDelete