Monday, January 26, 2009

આર.સી.મહેતા: પદ્મભૂષણ અને પંચાજીરી




પત્રકારત્વમાં આવા યોગાનુયોગ ઓછા બને છે. ‘અહા જિંદગી’ના ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પ્રગટ થનારા અંક માટે મોટા ભાઇ બીરેન કોઠારીએ તેની ‘ગુર્જરરત્ન’ કોલમ માટે વડોદરાના પ્રોફેસર આર.સી. (રમણલાલ છોટાલાલ) મહેતાનો પ્રોફાઇલ લખ્યો. અંક છપાઇ ગયો છે અને આજે 91 વર્ષના મહેતાસાહેબને ‘પદ્મભૂષણ’ મળ્યાના સમાચાર આવ્યા છે.

મહેતાસાહેબ સાથે પહેલો પરોક્ષ પરિચય વિનોદભાઇ (ભટ્ટ)ને લીધે થયો. એમણે કરેલા ગુજરાતી હાસ્યલેખકોની એક-એક કૃતિના સંચયમાં એક ઉત્તમ લેખ ‘કવિ બનવાની તરકીબો’ હતો. તેના લેખક તરીકે નામ વાંચવા મળ્યું. રમણલાલ મહેતા. લેખ એટલો પ્રભાવક હતો કે લેખક વિશે તપાસ કરવાની ઇચ્છા થાય. વિનોદભાઇને પૂ્છ્યું, એટલે તેમણે કહ્યું,’બહુ સારો હાસ્યકાર. પણ તેમનું એક જ પુસ્તક છે. પંચાજીરી. એ વડોદરામાં રહે છે. સંગીતની કોલેજમાં પ્રિન્સિપાલ હતા.’

થોડા વખત પછી 1951માં પ્રકાશીત થયેલા તેમના એકમાત્ર હાસ્યલેખસંગ્રહ ‘પંચાજીરી’ ની 1993માં પ્રકાશિત થયેલી બીજી આવૃત્તિની થોડી નકલો વિનોદભાઇ પાસે આવી. તેમણે એમાંથી એક યાદ રાખીને પ્રેમપૂર્વક મને આપી. મહેતાસાહેબના હાસ્યની કક્ષાનો એ વાત પરથી ખ્યાલ આવશે કે જ્યોતીન્દ્ર દવેએ તેના પુસ્તકનું પાછલું આવરણ લખ્યું હતું એ તો ઠીક (‘ઠીક’ એટલા માટે કે જ્યોતીન્દ્રનાં ધોરણો પ્રમાણમાં ઉદાર હતાં) પણ રા.વિ.પાઠકે પુસ્તકની પ્રસ્તાવના લખી હતી. લેખક તરીકે મહેતાસાહેબના બે બોલ પણ તેમની સૂક્ષ્મ છતાં પ્રચંડ હાસ્યવૃત્તિના પરિચાયક હતા.

વધુ થોડાં વર્ષ પછી મેં જ્યોતીન્દ્ર દવે વિશે સંશોધન ચાલુ કર્યું. ત્યારથી મનમાં હતું કે જ્યોતીન્દ્રએ મહેતાસાહેબના પુસ્તકનું પાછલું પૂંઠું લખ્યું હતું, એટલે મહેતાસાહેબને પણ મળવું જોઇએ. તેમનું સરનામું પણ હતું- આંબેગાંવકર્સ હાઉસ, હસમુખ પ્રેસની સામે, જંબુબેટ, દાંડિયાબજાર, વડોદરા. ઘણી વાર વડોદરા આવવા-જવાનું થયું. પણ જોગ ખાધો નહીં. વચ્ચે વચ્ચે વિનોદભાઇ સાથે વાત થયા કરતી. મહેતાસાહેબની ઉંમર વધતી હતી. પણ મળવાનું ન થયું તે ન થયું.

ગયા વર્ષે યોગાનુયોગ એવો થયો કે અમારે રજનીકુમાર પંડ્યાની સાથે મળીને મહાન ગાયિકા જુથિકા રૉયના સન્માન સમારંભ અને તેમની આત્મકથાના ગુજરાતી અનુવાદના પ્રકાશન સાથે સંકળાવાનું થયું. આખો કાર્યક્રમ રંગેચંગે અને યાદગાર રીતે પાર પડ્યો. એ પુસ્તક ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’માં મારો અને બીરેનનો એક સંયુક્ત લેખ પણ હતો, જેમાં જુથિકા રૉય સાથેના અમારા પ્રથમ પરિચયથી માંડીને આ સમારંભ-પુસ્તક સુધીની સફર શી રીતે તય થઇ તેનું છેલ્લાં સત્તર-અઢાર વર્ષના ઘટનાક્રમનું બયાન હતું. એ વાંચીને એક દિવસ બીરેન પર ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું,’હું પ્રોફેસર આર.સી.મહેતા.’
મહેતાસાહેબ સંપર્ક કરવામાં અમારા કરતાં વધારે ચીવટવાળા નીકળ્યા. બીરેનના સુખદ આશ્ચર્યનો પાર નહીં. જેમનો સંપર્ક કરવાની એક અરસાથી ઇચ્છા હતી, તેમનો આટલાં વર્ષ પછી સામેથી ફોન આવે. ત્યાર પછી થોડા વખતમાં મારે વડોદરા જવાનું થયું ત્યારે 31 ઓક્ટોબર, 1918ના રોજ જન્મેલા મહેતાસાહેબની 91મી વર્ષગાંઠના થોડા દિવસ પહેલાં અમે એમને પહેલી વાર મળ્યા.

જૂના વડોદરામાં પોતાના ઘરમાં એકલા અને આનંદમાં રહેતા મહેતાસાહેબે એકાદ કલાક સુધી પ્રેમથી વાતો કરી. ફોટા પાડવા દીધા. તેમની સંગીતકારકિર્દી વિશે પણ વાતો થઇ. 91મે વર્ષે તેમનો જીવનરસ પ્રચંડ હતો. જ્યોતીન્દ્ર વિશે પણ થોડી વાતો થઇ. મઝાની વાત એ હતી કે આ ઉંમરે મહેતાસાહેબ એક આસિસ્ટન્ટ રાખીને ઇ-મેઇલ પણ વાપરતા હતા. 91 વર્ષના માણસનું ફંક્શનલ (કાર્યરત) ઇ-મેઇલ એડ્રેસ મેળવવાની પણ એક મઝા હોય છે.

બહાર નીકળ્યા પછી અમને પહેલો વિચાર એ આવ્યો કે મળ્યા ભલે અંગત રીતે, પણ મહેતાસાહેબ વિશે લખવું જોઇએ. બીરેને ત્યાર પછી ત્રણ વિસ્તૃત મુલાકાત લીધી. મહેતાસાહેબ ગુજરાતના એકમાત્ર મ્યુઝીકોલોજિસ્ટ (સંગીતશાસ્ત્રજ્ઞ) હોવાનું બહુમાન ધરાવે છે. તેમના વિશેનો પ્રોફાઇલ, તેમને પદ્મભૂષણ મળ્યા પહેલાં, છાપવાનો થાય તો મોટા ભાગના તંત્રીઓ કહી દે:’આપણા વાચકોને આવું ન ગમે.’ પણ દીપક સોલિયા સાથે કામ કર્યું હોય એ જાણે છે. તેમણે પ્રોફાઇલ વાંચ્યો અને રાબેતા મુજબ, મુક્ત કંઠે આનંદ વ્યક્ત કર્યો. હવે મહેતાસાહેબને પદ્મભૂષણ જાહેર થયા પછી એમના વિશે છાપાંની કોલમોમાં અને બીજે ઘણું લખાશે. તેનો આનંદ જ છે. પણ તેમના વિશે, ‘પદ્મભૂષણ મળ્યાથી કેવું લાગે છે?’ એ સિવાયના સવાલોના જવાબો અને બીજી વાતો જાણવી હોય તો ‘અહા જિંદગી’ના ફેબ્રુઆરીના અંકમાં બીરેને લખેલો તેમનો પ્રોફાઇલ વાંચવો રહ્યો.

મહેતાસાહેબને પદ્મભૂષણ ભલે સંગીત ક્ષેત્રે સેવા માટે મળ્યો, પણ આપણને તેમના હાસ્યમાં વિશેષ રસ પડે. એટલે મહેતાસાહેબની ‘પંચાજીરી’માં ‘લેખકના બે બોલ’ની એક વાનગીઃ

‘એક અસ્વસ્થ-રોમાન્ટિક-પ્રકૃતિ ધરાવતા વિવેચક લખે છે,’સવાર હતી ન હતી, બપોર હતી ન હતી, સંધ્યા હતી ન હતી ને આંખ ઉઘાડીને જોયું તો ટપાલી બૂમ પાડી રહ્યો છે. ખરેખર, રમણલાલભાઇનું પુસ્તક હોય ને ટપાલી બૂમ પાડે જ કેની? આવ્યું કે તરત જ છેલ્લે પાનેથી વાંચવા માંડ્યું. આઇ કુડ ફિનિશ ધ બુક ઇન નો ટાઇમ. મોડી સાંજે ચા વખતે ચાની કીટલી પરથી પુસ્તક ઉઠાવતી વેળા રેણુએ પૂછ્યું,’કોની બનાવેલી ચોપડી છે? તે ખરીદ્યું?’ મેં કહ્યું,’રમણલાલની ચોપડી છે- છે પુસ્તક અમૂલ્ય. આજે જ ટપાલમાં આવી. હા, પણ આજે ચા સરસ થઇ છે.’ રેણુએ સ્મિતકુસુમો વેરતાં કહ્યું,’ચા તો દરરોજ એકસરખી બને છે. પણ આજે કીટલી પરનું ઢાંકણ તૂટી જતાં આ ચોપડી ઢાંકી હતી.’ મેં રેણુના કમળના પત્ર સરીખા હાથ હૃદયસરસા ચાંપીને કહ્યું,’રેણુકા રેણુ પુસ્તકો પ્રત્યે તારી દૃષ્ટિ પણ અનોખી છે.’
પણ માફ કરજો, આ પુસ્તક સંબંધી મારો અભિપ્રાય તદ્દન જુદો છે. આ પુસ્તક અમૂલ્ય નથી અને સવા બે રૂપિયા એ એનું છાપેલું મૂલ્ય છે ને તે દીવા જેટલું સ્પષ્ટ જણાય એમ છે.

contact : profrcmehta@yahoo.com
phone : 91-265-2425388

2 comments:

  1. Anonymous1:00:00 PM

    Sau pahela to Biren Bhai ne khub khub Abhinandan. temna jevu thay tyare aapne aapni pasandgi ane vicharo par thodik var mate garv thai aave, je mare Rajendra Shah na kissa ma banyu hatu. (Rajendra shah no kavi tarike to parichay hoy ja, pathyapustak ma aavti kavitao ne karne. pan me Niruddeshe caset (Sangeet Bhavan Trust, Mumbai) kharidi, Bahu ja vakhat tena geeto sambhalto, evo jalso karavi de. ane thodak varsho pachhi ej Kavya sangrah mate temne GYANPEETH Award Malyo.)
    anyway, Tame blog ma R.C. Maheta nu sarnamu pan lakhyu,ae vat ni majaa padi.

    ReplyDelete
  2. પુસ્તક ની બીજી આવૃત્તિ ના પ્રકાશક કોણ છે?

    ReplyDelete