Wednesday, January 07, 2009

સ્મશાનમાં વસંત?

ઘણા સમયથી જતાં ને આવતાં આ પાટિયું વાંચીને મનમાં હસવું આવતું હતું. જમાલપુર નજીક સપ્તર્ષિ સ્મશાન પર તકતી મારેલી છેઃ ‘દિવ્ય ભાસ્કર દ્વારા નવપલ્લવિત’.

ઉજ્જડ થઇ ગયેલા બાગમાં નવાં ફૂલ આવે તો એ નવપલ્લવિત થયો ગણાય. એકલવાયા વૃદ્ધનું જીવન બાળકો આવે ત્યારે નવપલ્લવિત થઇ ઉઠે. એ ન્યાયે સ્મશાન ક્યારે ‘નવપલ્લવિત’ થયું ગણાય? ત્યાં રોજેરોજ અનેક ચિતાઓ ભભૂકતી રહે ત્યારે...

દિવ્ય ભાસ્કરે પોતાના આરંભિક આક્રમક માર્કેટિંગના ભાગરૂપે ઘણાં ‘સામાજિક’ કાર્યો કર્યાં (જેમ કે, ડાકોર જતા પદયાત્રીઓ માટે જય રણછોડ લખેલાં પેમ્ફ્લેટ છપાવ્યાં કે અમદાવાદના વૃદ્ધો માટે દેવદર્શનની ટુર ગોઠવી) તેમાંનું એક સપ્તર્ષિ સ્મશાનના પુનરોદ્ધારનું હતું. એટલે આ સ્મશાન ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા નવનિર્મિત કે નવસર્જિત કે પુનર્નિર્મિત થયું કહી શકાય. પરંતુ નવપલ્લવિત?

લોકો ગમે તે કહે, પણ ‘ભાસ્કર’ બીજાં કોઇ પણ ગુજરાતી છાપાં જેવું જ ખરાબ (કે સારૂં?) આવે છે. એટલે એ છાપું વાંચનારાથી સ્મશાન નવપલ્લવિત થઇ ગયું હશે, એમ કહેવું ‘ભાસ્કર’ને અન્યાયકર્તા ગણાય. પણ આડેધડ ફેંકાયેલા શબ્દો રોજ જોઇને મનમાં કુવિચારો આવે છે.

2 comments:

  1. Anonymous2:34:00 AM

    એકદમ સાચી વાત. આજે ગુજરાતી પત્રકારત્વની દશા ભાષાની દ્રષ્ટિએ તો બેઠી જ છે. સ્ટોરીઓ આડેધડ આપ્યે જ રાખો! ભાષા, નિરૂપણ, વાક્ય-રચના, વ્યાકરણ વગેરે કોણ સમજે! અખબારોમાં ભરતી વખતે પણ આ પાસાંની તપાસ ન થાય ત્યારે દુખ થાય. કેટલીય એવી સ્ટોરી છપાય છે જેમાં કોઈ ઠેકાણા હોતાં નથી.

    - જલાલ મસ્તાન 'જલાલ' (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ)

    ReplyDelete
  2. Anonymous3:33:00 PM

    Sachi Vat chee tamari pan shu karie bhasha vishe angreji editor ane hindi publisher no samnvay thay tyare avuj bane

    ReplyDelete