Sunday, January 25, 2009

મધુ રાયના સાત રંગ




(photoline (L to R) : 1. Pranav Parekh, Lalit Khambhayta, Dhaivat Trivedi, Divyesh Vyas, Manish Maheta with Madhu Rye 2. Kshma Kataria, Urvish Kothari, Ketan Rupera with Madhu Rye 3. Madhu Rye 4. Pranav Adhyaru, Pranav Adhyaru 5. Urvish, Ketan, Binit Modi)
ગુજરાતી સાહિત્ય અને વાચકજગતમાં મહાન કે યાદગાર કૃતિઓ ઘણી છે, પણ સદાકાળ યાદ રહી જાય એવાં પાત્રો ઓછાં. હોય એ પણ મુખ્યત્વે નવલકથાઓમાં. ટૂંકી વાર્તામાં એક પાત્રને લઇને અનેક યાદગાર વાર્તાઓ લખાઇ હોય એવું બહુ જાણ્યું નથી. (જાણકારો જણાવી શકે છે.) પણ મધુ રાયનો ‘હરિયો’ એમાં સુખદ અને મજબૂત અપવાદ છે. મધુ રાયની હરિયા સિરીઝની વાર્તાઓ એવી છે કે સૌ પોતપોતાની કક્ષા પ્રમાણે તેમને માણી શકે. મને અત્યંત ગમતી ‘ઇંટોના સાત રંગ’ અને ‘કાન’ જેવી વાર્તાઓ વાંચીને માણસ આફરીન પોકારી જાય અને વિચારે પણ ચડી જાય. ‘ઇંટોના સાત રંગ’ તો ઘણી વાર હું જીવન ફિલસૂફી ઘડનારી વાર્તાઓમાંની એક ગણું છું. ક્યારેક જે કરી રહ્યા હોઇએ તે નિરર્થક લાગવા માંડે ત્યારે ‘ઇંટોના સાત રંગ’ વાંચી લેવાની...
આટલી પૂર્વભૂમિકા એટલા માટે કે અમેરિકાનિવાસી મધુ રાય આજકાલ ગુજરાતમાં છે. હમણાં તો એમની નવી ઓળખાણ પણ છેઃ તેમની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ પરથી આશુતોષ ગોવારિકર ફિલ્મ બનાવી રહ્યા છેઃ ‘વોટ્સ યોર રાશિ?’ તેના સંબંધે લક્ષ્મીવિષયક જિજ્ઞાસા થાય. પણ મધુ રાય કહે,’લક્ષ્મી વિશે પૂછનારે સરસ્વતી સાંભળવી પડે.’

બે વર્ષ પહેલાં મધુ રાય આવ્યા ત્યારે રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી અને ચંદ્રશેખર વૈદ્ય સાથે મધુ રાય સાથે ધોરાજી જવાનું અને બે-ત્રણ દિવસ સાથે રહેવાનું થયું હતું. આ વખતે હું અને બિનીત તેમને નિરાંતે- સાથે જમવા માટે- મળવાનું વિચારતા હતા. પછી મધુ રાયની કલમના ચાહક એવા બીજા મિત્રોની પણ યાદ આવી. એટલે સૌએ ભેગા મળીને તેમની સાથે 23 જાન્યુઆરીની સાંજ વસ્ત્રાપુર તળાવની સામે આવેલા ‘રૂડું કાઠિયાવાડ’ રેસ્ટોરાંમાં ગાળવાનું ગોઠવ્યું, દસ-અગિયાર મિત્રો મળ્યા. બે-ત્રણ કલાક મધુ રાય સાથે સત્સંગ કર્યો અને તેમના ગયા પછી પાંચ-છ મિત્રો સાથે રાત્રે દોઢ વાગ્યા સુધી એક્સ્ટેન્ડેડ સત્સંગ થયો.

‘મધુ રાયના સર્જનની થવી જોઇએ એવી કદર થઇ નથી’ એવું લખવામાં બીક લાગે છે. કારણ કે એમાંથી એવું ફલિત થવાની આશંકા રહે છે કે બીજા સર્જકોની કદર થઇ છે. ખુદ મધુભાઇ આ વાતને ‘લેન્ગ્વેજ ઇઝ ડેસ્ટીની’ના ખાનામાં નાખે છે. ગુજરાતીમાં લખો એટલે સીમાડા બંધાઇ જાય. બાકી ઘણી વાર મારા જેવા અંગ્રેજીનું- ખાસ કરીને સાહિત્યનું- ઓછું વાચન ધરાવતા લોકોને થાયઃ આ અંગ્રેજી લેખકો એવું તે શું લખીને લાખો ડોલરના એડવાન્સ મેળવતા હશે, જે મધુ રાય કે રજનીકુમાર પંડ્યાને નથી આવડતું?

મધુ રાયનાં પુસ્તકો ઓછાં. તેના પ્રકાશનમાં થયેલા સારા અનુભવો એથી પણ ઓછા. ‘કલ્પતરુ’ નવલકથાના મુખપૃષ્ઠ માટે વિખ્યાત ચિત્રકાર ભૂપેન ખખ્ખરે ચિત્ર બનાવી આપેલું. (મિત્ર વિજય પટેલ એ ચિત્ર પરથી આ પુસ્તકને ‘માથામાં ઝાડ ઉગે એવું’ કહેતા હતા.) ભૂપેન ખખ્ખરનું અસલ ચિત્ર પ્રકાશકથી ખોવાઇ ગયું. મધુભાઇ કહે છે,’આજે એ ચિત્ર હયાત હોત તો...’ અસાઇત સાહિત્ય સભાવાળા વિનાયક રાવલે તેમનાં નાટકો છાપવા માગ્યાં. એ વાતને વર્ષો વીત્યાં. હજુ તેનું ઠેકાણું પડ્યું નથી. આવી બધી ઘટનાઓનો વિષાદી પડઘો મધુભાઇની વાતમાં આંતરપ્રવાહ (અન્ડરકરન્ટ) તરીકે વહેતો સંભળાય?

‘કેમ લખતા નથી?’ એવું પૂછતાં તરત જવાબ મળે,’કોણ છાપે છે?’ મનીષ મહેતાએ પૂછ્યું,’છાપીએ તો તમે આત્મકથા લખો?’ મધુ રાય હસ્યા. જેનો અર્થ એ જઃ ‘કોણ છાપે?’ મેં કહ્યું,’આપણા તંત્રીઓ એવા છે કે આત્મકથા હોય તો પણ લેખકને કહે,’અંગત ઉલ્લેખો ટાળજો.’ દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં તેમની કોલમ આવે છે. પણ મધુ રાયની અસલ ફ્લેવર તેમાં ક્યારેક જ જોવા મળે. માત્ર એ કોલમ વાંચતા હોય એ લોકોને મધુ રાયના પ્રતાપી ગદ્યનો અંદાજ ન આવે.

નાટકો મધુ રાયનાં. ‘સંતુ રંગીલી’ હજુ લોકો યાદ કરે છે. મધુ રાયની ‘સંતુ’ વિશે લખવા- જે કંઇ સારામાઠા અનુભવો હોય એ લખવા- ફરી એક વાર પ્રેમાગ્રહ કર્યો. ‘ખેલંદો’ અને કેતન મહેતાએ ભજવેલું ‘ચાન્નસ’ મધુ રાયે કદી જોયાં નથી. તેમનાં નાટકોનાં ઓડિયો રેકોર્ડિંગ પણ કોઇ સહૃદયી શોધી કે મેળવી આપે તો કામ થાય. ‘કુમારની અગાસી’ અમેરિકામાં યુવાનોના એક જૂથે ‘ટેરેસ’ નામે ભજવેલું, તે મધુ રાયને આકસ્મિક જાણવા મળ્યું. નાટકના શો વખતે એ પહોંચી શક્યા નહીં, પણ અઠવાડિયા પછી એ ગામ જવાનું થયું. છોકરાઓ ઉત્સાહથી મધુ રાયને મળ્યા. કહે,’નાટક સરસ છે. પણ અમે અંત બદલી નાખ્યો. જરા વધારે મજા આવે.’

એટલે હવે છોકરાઓ નાટક ભજવે છે એવું જ્યારે સાંભળવા મળે ત્યારે મધુ રાયને ફાળ પડે છે અને અંત વિશે અમંગળ વિચારો આવે છે. એટલે જ ભાઇ ધૈવત ત્રિવેદીએ કહ્યું કે ‘હમણાં કોઇ કોલેજ ફેસ્ટિવલમાં તમારું ‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો’ ભજવાયું’ એટલે તત્કાળ ઇન્ક્વાયરી શરૂ થાય છે.

નિરાંતે કાઠિયાવાડી ભોજન જમ્યા પછી નિર્દોષ પાન જમાવીને વાતોનો બીજો દૌર શરૂ થાય છેઃ બક્ષીનામા. એક વાર બક્ષીએ મધુ રાયને કહ્યું,’એવી નવલકથા લખવી છે કે માણસ બોરીવલીથી પાન મોમાં દબાવીને બેઠો હોય તો ચર્ચગેટ આવે ત્યારે પણ પાન એમનું એમ જ હોય.’
મધુ રાયઃ સરસ કહેવાય.
બક્ષીઃ શું?
મધુ રાયઃ પાન, વળી.

‘બક્ષી બાબત 116 જોક્સ’ મધુ રાયના અને બક્ષી વિશેના સદાબહાર લેખોમાંનો એક લેખ છે, જેનાં ઘણાં અવતરણો હું અવારનવાર ટાંકુ છું. એક ‘સામ્પલ’- નર્મદ કરતાં મારા વાચકો વધારે છે એવા બક્ષીબાબુના દાવા અંગે મધુ રાયઃ ‘એના માટે ગુજરાતી પ્રજાનું વાચન નહીં, પણ પ્રજનન જવાબદાર છે.’
અગીયાર વાગ્યે મધુ રાયના ભાઇ અરુણ ઠાકર અને તેમના બનેવી આવી પહોંચ્યા. એટલે તેમણે મહેફિલની વિદાય લીધી.

મધુ રાય, અશ્વિની ભટ્ટ, રજનીકુમાર પંડ્યા જેવા સિત્તેરની આસપાસના લેખકોની આત્મકથા હોવી જોઇએ એવું તીવ્રપણે લાગ્યા કરે છે. તેમના જેટલી ચડાવઉતારવાળી જિંદગી બહુ ઓછા માણસોને જોવા મળી હશે. હવે એવાં છાપાં રહ્યાં નથી, જે આ લોકોની આત્મકથા હપ્તાવાર છાપે. બાકી, કોઇ છાપે તો આ લોકો જરૂર લખે. પણ છાપાંના કર્મચારીઓના કારણ વગરના વાંધા અને ‘લેખકોનો બહુ પ્રચાર થઇ જાય’ એવી નબળી બીકને લીધે વાસ્તવમાં એ શક્ય બનતું નથી. સામયિકો પાસેથી પણ એવી આશા નથી. માણસ હોય ત્યારે તેની પાસેથી બધું કઢાવી લેવાને બદલે, એની બિનહયાતીમાં આપણાથી શું શું ન થઇ શક્યું એનો વસવસો કરવાનું વધારે સગવડભર્યું હોય છે.

6 comments:

  1. Your subject is great-The article is short- though very well covered.
    Looks like he is having a time of his life in Gujarat.

    ReplyDelete
  2. Anonymous11:04:00 PM

    long ago-in the DD era-I suddenly happened to see the teleplay'kisi 1 phool ka naam lo'and I was very much impressed by the theme & presentation.Later I knew that it was originally written by Madhu Rye.I read the book much later which was more interesting.
    Equal was the effect of reading 'Kalptaru'reading for the first time.
    Right now I don't enjoy my favourite writer's column in DB but still I'm happy to note that he has kept on writing and retained his flavour.
    V expect more short stories,novels,plays from him.

    ReplyDelete
  3. મધુ રાય સાથે એક સાંજના સહયાત્રી હોવા છતાં (કે એટલે જ) વાંચવુ (વધુ) ગમ્યું. મધુ રાય, અશ્વિની ભટ્ટ, કાંતિ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, નગેન્દ્ર વિજય પાસેથી આત્મકથા મળવી જ જોઈએ. એમને આત્મકથા લખવાની ફરજ પાડવા માટે મોરચો કાઢવો,હડતાળ પડાવવી,ઉપવાસ પર ઉતરવું એવા "રાજકીય" ગતકડાં કરવાનું પણ મને ક્યારેક બાલીશ મન થઈ આવે છે. જોકે "છાપાંના કર્મચારીઓના કારણ વગરના વાંધા"ની સરખામણીએ "લેખકોનો બહુ પ્રચાર થઇ જાય એવી નબળી બીક" વધુ જવાબદાર હોવાનું મને લાગે છે.
    પણ ઉર્વિશભાઈ,એ દરેક સાહિત્યકારો-પત્રકારોનો એક એવો ઈન્ટરવ્યૂ આવા બ્લોગના માધ્યમથી ન થઈ શકે? એટલિસ્ટ, હોજ સે ગઈ બુંદ સે તો મિલે!

    ReplyDelete
  4. "ટૂંકી વાર્તામાં એક પાત્રને લઇને અનેક યાદગાર વાર્તાઓ લખાઇ હોય એવું બહુ જાણ્યું નથી"

    Bakor Patel by Hariprasad Vyas

    ReplyDelete
  5. Anonymous4:03:00 AM

    One suggestion. They can have a web-site and can publish their auto-biography on that. Why worry about only print media? There are other ways to express if one is willing not to just get publicity out of it. And these respected people do not need any more publicity - I guess. I can sponsor such web-site. I need somebody to provide me the auto-biography episodes in Unicode Gujarati.

    Take care,
    Chirag
    chipmap@gmail.com
    http://rutmandal.info

    ReplyDelete
  6. "kalpataru" I read first time in 1988 or thereabout. Afterwards, I must have repeated at least 5 times and everytime I found it more exciting. Excellent vision, excellent writing style and excellent characterization. I am still waiting for the sequel "California". Could anybody tell me the status?

    ReplyDelete