Tuesday, August 20, 2024
ખાડા અને ગાય
જૂની કહેણી તો ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’—એવી છે, પણ નવા જમાનામાં અને ખાસ કરીને ચોમાસમાં કહેવું પડે કે ‘ખાડા ને ગાય, ગમે ત્યાં થાય’. ખાડા અને ગાય વચ્ચેની સરખામણી આમ અસ્થાને લાગે—એક સજીવ અને એક નિર્જીવ. પણ ત્યાં જ મોટા ભાગના લોકો થાપ ખાય છે. કોણે કહ્યું કે ખાડા નિર્જીવ હોય છે? ધર્મગ્રંથોના કહેવા પ્રમાણે, સૃષ્ટિમાં બધે ચૈતન્ય વ્યાપેલું હોય, તો ખાડા તેમાંથી શી રીતે બાકાત રહી શકે? આટલી ઊચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ ન જવું હોય તો બીજી રીતે વિચાર કરીએઃ ખાડાના જન્મદાતા, તેના માતાપિતા કોણ છે? તૂટી જાય એવા રસ્તા અને પુલો શી રીતે તૈયાર થાય છે, તેનું સામાન્ય જ્ઞાન ધરાવતા લોકો તરત કહેશેઃ વહીવટી તંત્ર ખાડાના પિતૃસ્થાને હોય છે અને કોન્ટ્રાક્ટર ખાડાના માતૃસ્થાને. હવે વિચારોઃ જેનાં માતાપિતા બંને મનુષ્ય હોય, તેમના સંતાન જેવા ખાડાને નિર્જીવ ગણી શકાય?
ખાડાની વંશાવલિ કોલમચિંતનની પદ્ધતિ પ્રમાણે કાઢવા જઈએ તો કહેવું પડે કે ભ્રષ્ટાચાર ખાડાનો પિતા હોય છે ને લાલચ ખાડાની માતા. આ પ્રકારની અભિવ્યક્તિથી તાળીઓ ઉઘરાવી શકાય છે, પણ વાસ્તવિકતા છેટી રહી જાય છે. કોઈ મનુષ્યસંતાન વિશે કદી એવું કહેવામાં આવે છે કે વાસના તેની માતા છે ને વંશવૃદ્ધિની ઝંખના તેના પિતા? તો પછી ખાડાનો વંશ નક્કી કરતી વખતે એવો તુચ્છકાર શા માટે?
ગાયની જેમ ખાડો પણ સજીવ છે, એટલું સિદ્ધ કર્યા પછી હવે સરખામણીમાં આગળ વધીએઃ ગાયને ચાર પગ હોય છે, જ્યારે ખાડાને એકેય પગ નથી હોતો. પ્રામાણિકતાથી તો એમ કહેવું જોઈએ કે ખાડાને એકેય પગ ન હોવા છતાં, તે ગમે ત્યાં જઈ શકે છે અને વખત આવ્યે બીજાના પગ ભાંગી શકે છે. કેટલાક અસંતુષ્ટો ખાડાને સડકની આબરૂ પર પડેલા ધબ્બા ગણે છે અને તેના વિશે કકળાટ મચાવે છે. હકીકતમાં, ખાડાને સડકની ગાલ પર પડેલાં ખંજન પણ ગણી શકાય—સવાલ યથાયોગ્ય સૌંદર્યદૃષ્ટિ કેળવવાનો છે. અલબત્ત, રસ્તા પર ખાડાની સંખ્યા જેટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે તે જોતાં, ખંજનની ઉપમા કદાચ લાગુ ન પાડી શકાય. કારણ કે, ગાલ પર તેમનું સ્થાન ચોક્કસ અને નક્કી હોય છે. ખાડાને એ રીતે સવાયાં ખંજન કહેવા હોય તો કહી શકાય. કારણ કે, તે સડક પર ગમે ત્યાં હોઈ શકે છે.
રસ્તા પર પડતા ખાડાનો વિરોધ કરનારા વિકાસવિરોધી, સરકારવિરોધી અને એ ન્યાયે હિંદુવિરોધી છે, એટલું તો સમજુ વાચકો અત્યાર સુધીમાં સમજી ચૂક્યા હશે. કારણ કે, આ જ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરમાં સડક ન હોય ત્યાં જોવા મળતા ઉબડખાબડ રસ્તા વિશે કશું કહેતા નથી—ત્યાં પડેલા ખાડાનો વિરોધ કરતા નથી, પણ જેવી સડક બને અને તેમાં ખાડા પડે, એટલે મેદાનમાં આવી જાય છે. તેની પરથી સ્પષ્ટ થાય છે કે તેમનો ખરેખરો વિરોધ ખાડા સામે નહીં, પણ સડક સામે હોય છે. જે જન્મે છે તે મરે છે, એ જેટલું અફર સત્ય છે, એટલી જ અકાટ્ય હકીકત એ છે કે જ્યાં સડક બને છે ત્યાં ખાડા પડવાનું નિશ્ચિત છે. ચ્યુંઇંગ ગમાત્મક ચિંતનશૈલીમાં કહી શકાય કે દરેક સડક તેના ગર્ભમાં ખાડાની શક્યતા લઈને જ અવતરે છે. તે શક્યતા જ્યારે વાસ્તવિકતામાં પરિણમે, ત્યારે ફક્ત કોન્ટ્રાક્ટર કે તેમની પાસેથી લાંચ લેનારાનું જ નહીં, સડકનું અને ખાડાનું પણ અવતારકાર્ય સિદ્ધ થાય છે.
ખાડા અને ગાય વચ્ચે કાર્યકારણનો નહીં, પણ અસર-સામ્યનો સંબંધ છે. ચોમાસામાં રસ્તા પર ખાડા અને ગાયો હોય છે એમ કહેવાને બદલે, ખાડા અને ગાયો સિવાયનો જે ભાગ બાકી રહી જાય છે, ત્યાં રસ્તા હોય છે—એમ કહેવું વધારે સાચું છે. ચોમાસામાં ગાયો રીતસર સડક પર ઉતરી આવી હોય એવું છે. છેલ્લા ઘણા સમયથી નાગરિકો ગાય બનીને સરકારી કુશાસન સામે સડક પર ઉતરતા બંધ થઈ ગયા હોય એવા સંજોગોમાં, અસલી ગાયોનું સડક પર ઉતરવું આમ તો સારું લાગે, પણ આ ગાયો શાના વિરોધમાં રસ્તા પર આવે છે, તે સ્પષ્ટ થતું નથી. કેટલાકનું માનવું છે કે ક્રૂરતાના અને ધિક્કારના રાજકારણમાં ગાયોના નામે માણસો ચરી ખાતા હોવા છતાં, પોતાની વાસ્તવિક સ્થિતિ કેવી છે તે દર્શાવવા માટે ગાયો ચોમાસામાં રસ્તા પર આવે છે.
ગાયો છાપાં ખાવાને બદલે વાંચતી હોત તો તેમને ખબર હોત કે જે દેશમાં નારીની પૂજાની સંસ્કૃતિના દાવા કરવામાં આવે છે, ત્યાં નારીની વાસ્તવિક સ્થિતિ કેવી છે—ભલે ને તે ઓલિમ્પિકમાં મેડલવિજેતા કેમ ન હોય. ગાયો સોશિયલ મિડીયા પર હોત તો તેમને ખબર પડત કે ધર્મના દાવા કરનારા ને પ્રોફાઇલમાં તેની ધજાઓ ફરકાવનારા સ્ત્રીઓ વિશે કેવી ભાષામાં લખે છે. જોકે, ગાયો સોશિયલ મિડીયા પર હોત તો તેના રક્ષણના નામે થતા ખૂનખરાબા-ગોરખધંધા પછી તે ‘નોટ ઇન માય નેમ’ (મારું નામ આગળ ધરીને આવા ધંધા નહીં)—જેવો હેશટેગ પણ બનાવતી હોત.
ગાયો ને ખાડા, બંનેમાંથી વધારે જોખમી કોણ, તેની ચર્ચામાં આ બંને જોખમોના પાલક માતાપિતાને સલુકાઈથી ભૂલાવી દેવામાં આવે છે. તેમની કોઈ જવાબદારી નિશ્ચિત કરવામાં આવતી નથી. એટલે દર ચોમાસે ગાયો અને ખાડા રાબેતા મુજબ અવતરતાં રહે છે અને ચિંતનનો વિષય બનતાં રહે છે.
Thursday, August 15, 2024
શું ભાવનગર દેશમાં ભળનારું પહેલું દેશી રાજ્ય હતું?
વર્ષો પહેલાં એક વાર પાલનપુર જવાનું થયું હતું. ત્યારે બીજી ઘણી વાતો ઉપરાંત એક ખાસ વાત સાંભળવા મળીઃ દેશી રાજ્યોનાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે પાલનપુરના નવાબે સૌથી પહેલું તેમનું રજવાડું અર્પણ કર્યું હતું.
તેના થોડા વખત પછી ભાવનગર વિશે કોઈ લખાણ વાંચતાં, તેના વિશે પણ આવો જ દાવો વાંચવા મળ્યો. ત્યાર પછી ભાવનગર વિશેનો એવો દાવો તો અનેક વાર સાંભળવા મળતો રહ્યો છે. થોડાં વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ સાથે સંકળાયો હતો ત્યારે તેની કોઈ વિશેષ પૂર્તિમાં એ મતલબનો દાવો લેખિતમાં થયો હતો. ત્યારે મેં ધ્યાન દોર્યું હતું કે આ વાતનો કોઈ ઐતિહાસિક આધાર નથી. છતાં, ‘અસ્મિતા’ અને ઇતિહાસ વચ્ચેથી પસંદગી કરવાની આવે ત્યારે પસંદગી ‘અસ્મિતા’ની જ થાય.
આજે ફરી એક વાર ‘દિવ્ય ભાસ્કર’ના અખબાર 'સૌરાષ્ટ્ર સમાચાર'માં એવો દાવો કરવામાં આવ્યો છે.
પહેલી વાર આ દાવો સાંભળ્યો ત્યારથી મને તે રુચતો નથી. તેનાં બે કારણઃ
- ભાવનગર વિલીન થનારું પહેલું રાજ્ય હતું, એવો આધાર ઇતિહાસમાં ક્યાય મળતો નથી-કોઈએ આધારપુરાવા સાથે ટાંક્યો હોય, એવું જાણ્યું નથી.
- ઐતિહાસિક પુરાવા ન હોવા છતાં, એવો દાવો કરવાથી ભાવનગરના મહારાજા વિશેની બીજી સાચી વાતોની વિશ્વસનિયતા પણ ન જોખમાય?
પરંતુ, આજના ‘દિવ્ય ભાસ્કર’માં આ દાવાની સાથે, ઐતિહાસિક પુરાવા તરીકે, ભાવનગર રાજ્યના જોડાણખત (ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન)નો એક હિસ્સો પણ છાપવામાં આવ્યો છે. તેમાં જણાવાયા પ્રમાણે, જોડાણખત પર ભાવનગરના મહારાજાએ 5 ઓગસ્ટ, 1947ના રોજ અને ગવર્નર જનરલ માઉન્ટબેટને 16 ઓગસ્ટ, 1947ના રોજ સહી કરી હતી.
હવે વાત કરીએ રાજસ્થાનના એક દેશી રાજ્ય કિશનગઢની. રાજસ્થાન ત્યારે રાજપુતાના તરીકે ઓળખાતું હતું. સહજતાથી ઉપલબ્ધ આઠ-દસ રજવાડાંનાં જોડાણખત પર નજર કરતાં તેમાં કિશનગઢનું જોડાણખત મળી આવ્યું. તેમાં કિશનગઢ રાજ્યનો સિક્કો અને સુમેરસિંહ ઓફ કિશનગઢની સહી છે અને દિવસના ખાનામાં લખ્યું છેઃ ટ્યુસડે, ધ ફિફ્થ ડે ઓફ ઓગસ્ટ. એટલે કે 5 ઓગસ્ટ, 1947.
તેની નીચે માઉન્ટબેટન ઓફ બર્મા (ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા)ની સહીની તારીખ છેઃ 16 ઓગસ્ટ, 1947. મતલબ, એ જ તારીખો, જે ભાવનગરના જોડાણખત પર પણ છે.
![]() |
courtesy: National Archives of India |
સારઃ
- ભાવનગર જોડાણખત પર સહી કરનારું પહેલું રાજ્ય ન હતું. કિશનગઢના રાજાએ પણ એ જ દિવસે સહી કરી હતી—અને બધાં જોડાણખત જોવા મળે તો શક્ય છે કે આવાં બીજાં રાજ્યો પણ મળી આવે.
- તેનાથી ભાવનગરના મહારાજાની જે કંઈ વાસ્તવિક મહત્તા છે, જે જરાય ઝંખવાતી નથી.
- એટલે, આ ખોટા દાવાને ભાવનગરના મહારાજાની દેશભક્તિના પુરાવા તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ.
Sunday, August 11, 2024
1936ની બર્લિન ઓલિમ્પિક્સ અને બે ગુજરાતીઓ
‘હિટલરની ઓલિમ્પિક’ તરીકે વિવાદાસ્પદ બનેલી બર્લિન ઓલિમ્પિકમાં ખેલાડી તરીકે નહીં, પણ વ્યાયામ સંગઠનના સભ્ય તરીકે બે ગુજરાતીઓએ હાજરી આપી હતી. તેમનાં નામ હતાઃ ચિનુભાઈ શાહ અને હરિસિંહ ઠાકોર. તેમાંથી ચિનુભાઈ શાહને વર્ષ 2000માં રાજપીપળાના તેમના ઘરે મળવાનું થયું હતું.
અમારી વાતચીત દરમિયાન ચિનુભાઈએ કહ્યું હતું, ‘ઓલિમ્પિક્સ પહેલાં જ બર્લિનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોંગ્રેસ યોજાઈ હતી. ભારતમાંથી 24 સભ્યોની ટુકડી તેમાં ભાગ લેવા માટે ગઈ હતી. તેમાં ગુજરાતમાંથી હરિસિંહ ઠાકોર અને હું—અમે બે જણ હતા. જમનાલાલ બજાજના પુત્ર કમલનયન બજાજ પણ અમારી સાથે હતા.’ ચિનુભાઈ જેની વાત કરતા હતા, તે સંભવતઃ ‘કોંગ્રેસ ઓફ ફિઝિકલ એજ્યુકેશન’ હશે, જેનું અધિવેશન બર્લિનમાં 24 જુલાઇથી 31 જુલાઇ દરમિયાન યોજાયું હતું અને 1 ઓગસ્ટથી ઓલિમ્પિક્સની શરૂઆત થવાની હતી.
![]() |
ચિનુભાઈ શાહ, રાજપીપળાના તેમના ઘરે, વર્ષ 2000 (ફોટોઃ બીરેન કોઠારી) |
1936ની કેટલીક વિગતો 64 વર્ષ પછી પણ ચિનુભાઈને બરાબર યાદ હતી. તેમણે કહ્યું હતું, ‘9 જુલાઇ, 1936ના રોજ અમે કોન્ટેવર્લે નામની ઇટાલિયન સ્ટીમરમાં મુંબઈથી રવાના થયા. વાયા સુએઝ કેનાલ, પોર્ટ સઇદ-એબસિનિયા થઈને 22 જુલાઇએ વહેલી સવારે અમે વેનિસ ઉતર્યા. ત્યાંથી રાત્રે ટ્રેનમાં બેઠા એટલ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે બર્લિન. ત્યાં અમને લેવા માટે (પાછળના ભાગમાં) બાંકડા ગોઠવેલી ટ્રક આવી હતી. તેમાં બેસીને અમે પાંચેક માઇલ દૂર આવેલા ઓલિમ્પિક્સ વિલેજ પર પહોંચ્યા હતા.’
ચિનુભાઈનાં બર્લિન-સ્મરણો
ઓલિમ્પિક્સની
સ્પર્ધાઓ શરૂ થાય તે પહેલાં યજમાન અને કેટલાક મહેમાન દેશો તેમની વિવિધ રમતોનું
પ્રદર્શન કરે, એવી જોગવાઈ 1924થી ઓલિમ્પિકના નિયમોમાં સત્તાવાર રીતે દાખલ કરવામાં
આવી હતી. (https://library.olympics.com/doc/SYRACUSE/619826) તે
પ્રમાણે બર્લિનના એક હોલમાં રમતો વિશે ચર્ચા થતી હતી અને મેદાનમાં રમતો દેખાડવા
માટે દરેક ટીમને 45 મિનીટ મળતી હતી. ભારતીય રમતોનું પ્રદર્શન કરવા માટે અમરાવતી
(મહારાષ્ટ્ર)ની હનુમાન વ્યાયામ પ્રસાર મંડળીના 24 ચુનંદા સભ્યો બર્લિન જવા રવાના
થયા, તેવા સમાચાર 10 જુલાઇ, 1936ના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં
પ્રગટ થયા હતા. તે ટુકડીના આગેવાન ડો. કે.એસ. કાણે હતા.
ભારતીય ટુકડીએ બર્લિનમાં કેવી છાપ પાડી હતી, તેનો અંદાજ આપતાં ચિનુભાઈએ કહ્યું હતું,‘આપણી ટીમે કબડ્ડી, ખો ખો, આટાપાટા, લાઠી, લેજીમ, મલખમ જેવી રમતો બતાવી. તેનાથી લોકો એટલા ખુશ થયા હતા કે તેમને ત્રણ વાર 45-45 મિનિટનો સમય આપવામાં આવ્યો.’ ભારતીય ટીમનો સમય પૂરો થયો ત્યારે ત્યાં હાજર રહેલા વ્યાયામ અને શારીરિક શિક્ષણના એક વિદ્વાનોમાંથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું,‘શ્વાસ એટલે પ્રાણ. શ્વાસ પર આધારિત રમતો અમે શોધી શક્યા નહીં. એ તમારી પાસેથી જોવા મળી.’ બીજાએ કહ્યું હતું, ’તમે જ્યારે લેજીમ કરતા હતા ત્યારે અમને એક્સ્ટસીનો (પરમ આનંદનો) અનુભવ થયો હતો.’
ચિનુભાઈએ કહેલો એક કિસ્સો એવો છે, જેનો ક્યાંય લેખિત કે બીજો આધાર મળતો નથી, પરંતુ તેમણે તે બીજી વાતોના પ્રવાહમાં સહજતાથી વર્ણવ્યો હતોઃ ‘(કોંગ્રેસ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં ભાગ લેનારા) તમામ 31 દેશોના પ્રતિનિધિઓને પોતપોતાના દેશનું લોકગીત રજૂ કરવાનું કહેવામાં આવ્યું. અમને કોઈને ગીત આવડે નહીં, પણ અમારી સાથે મુંબઈની ન્યૂ એરા હાઇસ્કૂલના નગીનભાઈ મહેતા હતા. તેમને ટાગોરનું ગીત “એકલા ચલો” આવડતું હતું. તેમણે અમને એ ગીતની પ્રેક્ટિસ કરાવી. નસીબજોગે 31માંથી પસંદ થયેલાં પાંચ ગીતોમાં અમારું ગીત પસંદ થયું અને અમે ઓલિમ્પિકના આરંભ-ઉત્સવ નિમિત્તે બર્લિન રેડિયો પર તે ગીત ગાયું.’
સ્ટેડિયમમાં બેસીને ઓલિમ્પિકની રમતો જોનાર ચિનુભાઈએ હિટલરને દૂરથી જોયો હતો. તેમણે કહ્યું હતું, ‘હિટલરનો સ્ટેડિયમમાં જવા આવવાનો રસ્તો જુદો. એ આવે એટલે ચિક્કાર ભરેલું સ્ટેડિયમ ઊભું થઈને નાઝી સલામી આપે.’ ઓલિમ્પિકના કુસ્તી વિભાગમાં વડોદરા સેન્ટ્રલ જેલના જેલર થોરાટે ભાગ લીધો હોવાનું જણાવીને ચિનુભાઈએ એક કિસ્સો યાદ કર્યો હતોઃ પહેલા જ રાઉન્ડમાં તેને જર્મન કુસ્તીબાજ સામે રમવાનું આવ્યું અને એ હારી ગયો. મેચ પૂરી થયા પછી તે અમને કહે, ‘આ જર્મનો પાતળા દેખાય છે, પણ તાકાત એવી હોય છે કે એક વાર ખભા પર હાથ મૂકી દે, એટલે માથું ઊંચું ન થાય.’
થોરાટનો બીજો સંદર્ભ તો નથી મળ્યો, પણ બર્લિન ઓલિમ્પિક્સના જ વર્ષે, ભારતીય ટીમની પસંદગી માટે યોજાયેલી સ્પર્ધાઓમાં પહેલી વાર વડોદરા રાજ્યની ટીમ ભાગ લેશે, એવા સમાચાર 7 ફેબ્રુઆરી 1936ના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં છપાયા હતા. તેમાં બેન્ટમવેઇટ (મધ્યમ વજન)ની કેટેગરીમાં ભાગ લેનાર કુસ્તીબાજનું નામ એસ.આર. થોરાટ જણાવાયું હતું. ચિનુભાઈએ જેમની વાત કરી હતી, તે આ થોરાટ હોઈ શકે.
બર્લિનના અનુભવોઃ હરિસિંહ ઠાકોરની નજરે
બર્લિન
ગયેલા ગુજરાતના બીજા પ્રતિનિધિ હરિસિંહ ઠાકોરે પાછા આવીને સુરતના આર્યસમાજ હોલમાં
તેમના અનુભવો વિશે પ્રવચન આપ્યું હતું. તેની વિગતવાર નોંધ ‘કુમાર’ માસિકના અંક 154 (આસો, સંવત 1992)ના
‘માધુકરી’ વિભાગમાં પ્રગટ થઈ હતી.
હરિસિંહે લખ્યું હતું, ‘અમે 25મી જુલાઇએ અમારો કાર્યક્રમ બતાવ્યો. તેમાં લેજીમ, ભાલા, મગદળ વગેરે સંઘવ્યાયામનો સમાવેશ હતો. ત્યાંના લોકોને લેજીમ ખૂબ ગમી ગઈ... એ પ્રયોગ પૂરો થતાં કેટલાયે લોકો લેજીમ જોવા આવ્યા. મલખમ ણ એ લોકોના જોવામાં જ નહીં આવેલું. એના પ્રયોગોથી તે લોકોને ઘણી અજાયબી થઈ ને તેમણે જાતજાતના ફોટા લીધા...ત્યાંના લોકોને હુતુતુતુની રમત ખૂબ જ પસંદ પડી. જરા પણ આવડે નહીં એવા લોકો અમારી સાથે રમવા આવતા...’
અહેવાલમાં નોંધાયા પ્રમાણે,‘આ પ્રયોગો થતા ત્યારે ફિલ્મો લેવાતી હતી. અમારા કામ માટે અમને દુનિયાની પ્રજાઓમાં બીજો નંબર મળ્યો એથી અમને આનંદ થયો. પહેલી વખતે જઈ આવું સ્થાન મેળવવા માટે અમને કંઈક ગર્વ પણ થયો. પહેલો નંબર ઓસ્ટ્રિયનો લઈ ગયા...’
1936ની બર્લિન ઓલિમ્પિક્સ હોકીમાં ભારતને મળેલા સુવર્ણચંદ્રક અને ટીમના કેપ્ટન-હોકીના જાદુગર ગણાતા ધ્યાનચંદની રમત માટે પણ યાદ કરવામાં આવે છે. પણ હોકી ટીમના જીતના સિલસિલા પહેલાંનો એક કિસ્સો હરિસિંહે યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘હિંદી ટીમ જતાં જ ત્યાં હોકીની મેચ રમાઈ. તેમાં થાક ને ગ્રાઉન્ડને કારણે હિંદીઓ છ ગોલે હાર્યા હતા. તેથી અમને ભારે નિરાશા થઈ હતી. પણ તે પછી તો હિંદથી વિમાનમાં બે ખેલાડીઓ આવ્યા, તેમને આરામ પણ મળ્યો અને રમવાના સ્થળની પણ સુગમતા થઈ. એટલે તો પછી કોઈનો ગજ ન વાગ્યો.’
ઓલિમ્પિક્સની મશાલ-પરંપરાઃ બર્લિન પછી વડોદરા
ધ્યાનચંદને
સ્ટેડિયમમાં રમતા જોનાર ચિનુભાઈએ પણ અમારી વાતચીત દરમિયાન (તેમણે જોયેલો કે
સાંભળેલો) એક કિસ્સો વર્ણવ્યો હતો. ‘એક પ્રેક્ટિસ મેચમાં ભારતને પેનલ્ટી કોર્નર મળતાં ધ્યાનચંદે સ્ટ્રોક
માર્યો, પણ બોલ ગોલ પોસ્ટથી થોડા સેન્ટીમીટર દૂર પડ્યો. તરત ધ્યાનચંદે કહ્યું કે
ગોલ પોસ્ટનું માપ ખોટું હોવું જોઈએ. પછી માપ લેવાયું તો ધ્યાનચંદની વાત સાચી
નીકળી.’ બર્લિન
ઓલિમ્પિક્સમાં ભારતની ટીમે કરેલા 38 ગોલમાંથી 11 ગોલ ફક્ત ધ્યાનચંદના હતા.
બર્લિનની ઓલિમ્પિક પહેલાં ઓલિમ્પિક સમારંભનો આરંભ મશાલ જલાવીને કરવામાં આવતો હતો, પણ 1936ની બર્લિન ઓલિમ્પક્સમાં પ્રચારબહાદુર નાઝી ભેજાબાજોએ નવો ખેલ પાડ્યોઃ તેમણે પ્રાચીન ઓલિમ્પિક્સના આરંભસ્થાન, ગ્રીસના ઓલિમ્પિયાથી રીલે દ્વારા (વારાફરતી એક-એક જણ) મશાલની સફર આગળ વધારે અને છેવટે બર્લિનના સ્ટેડિયમ સુધી તે મશાલ પહોંચે, એવું આયોજન વિચાર્યું. ત્યાર પછી તો એ ધારો સ્થાપિત થઈ ગયો અને તેની અસર ભારત સુધી પહોંચી.
![]() |
બર્લિનમાં 'મશાલ-સરઘસ' (ફોટોઃ ગેટી ઇમેજીસ) |
ભારતમાં ઘણા પ્રાંતો ને રજવાડામાં ઓલિમ્પિક્સ નામે રમતોત્સવ યોજાતા હતા. વડોદરામાં પણ તે બહુ જૂના વખતથી યોજાતો હતો. વડોદરાના મહારાજા પણ બર્લિનની ઓલિમ્પિક્સ જોવા માટે લંડનથી બર્લિન ઉપડ્યાના સમાચાર 1 ઓગસ્ટ, 1936ના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં આવ્યા હતા. ચિનુભાઈના કહેવા પ્રમાણે, ‘બર્લિન ઓલિમ્પિક્સ’ પછી વડોદરામાં પણ મશાલની પ્રથાનું અનુકરણ થવા લાગ્યું. ગાયકવાડી રાજના જે શહેરમાં ઓલિમ્પિક્સ યોજાય, ત્યાં વડોદરાથી ઓલિમ્પિક્સની મશાલ પણ, અસલ ઓલિમ્પિક્સની સ્ટાઇલમાં પહોંચાડવામાં આવતી હતી.
બર્લિનથી પાછા આવ્યા પછીનાં વર્ષોમાં હરિસિંહ ઠાકોરની વિગત જાણવા મળી નથી, જ્યારે ચિનુભાઈએ તેમનું આખું જીવન શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં વીતાવ્યું. તે રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સાથે સંકળાયેલા રહ્યા-‘વ્યાયામ વિજ્ઞાનકોષ’ના દસ ગ્રંથ તૈયાર કરવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો અને ગુજરાતી વિશ્વકોશમાં પણ વ્યાયામ-ખેલકૂદના વિષયનાં ઘણાં અધિકરણ (ચોક્કસ વિષયની માહિતી આપતી નોંધો) લખ્યાં.
Tuesday, July 23, 2024
કાલિદાસ અને ભજિયાં
દુનિયામાં, એટલે કે સોશિયલ મિડીયાની દુનિયામાં, મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છેઃ વરસાદની વાતથી જેમને ‘મેઘદૂત’, કાલિદાસ, કવિતાઓ, રમેશ પારેખ વગેરે યાદ આવે તે અને વરસાદના ઉલ્લેખમાત્રથી જેમને ભજિયાં યાદ આવે તે. હળહળતા ધ્રુવીકરણના જમાનામાં પણ આ બંને પ્રકારો વચ્ચે છાવણીઓ પડી ગઈ નથી, એટલું સારું છે. તેના કારણે, એવા પણ લોકો જોવા મળે છે, જે ભજિયાં ખાતાં ખાતાં કાલિદાસની વાત કરતા હોય અથવા ‘મેઘદૂત’ની પંક્તિઓની સાથે ભજિયાંનો આનંદ માણતા હોય.
વરસાદને ભજિયાં સાથે દેખીતો કશો સંબંધ નથી. જો એવો સંબંધ હોત તો ભજિયાં બારમાસી વાનગીને બદલે ફક્ત ચોમાસુ ચીજ ન ગણાતી હોત? પરંતુ ભજિયાંપ્રેમીઓ માને છે કે કોઈ પણ ઋતુમાં, કોઈ પણ સમયે ભજિયાં આરોગવાથી પુણ્યની તો ખબર નથી, પણ એકસરખો આનંદ પ્રાપ્ત થાય છે. તેમની આ માન્યતા સાથે અસંમત થવું અઘરું છે. ભજિયાંની બીજી મહત્તા એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી વાનગી છે. રોમિલા થાપડ જેવાં વિદૂષી ઇતિહાસકારે પણ ક્યાંય એવો દાવો કર્યાનું જાણ્યું નથી કે ભજિયાં ગ્રીકો, મધ્ય એશિયાના હુમલાખોરો કે ગઝની-ઘોરી ભારત લઈ આવ્યા. ગુપ્ત સામ્રાજ્યનો અમુક સમયગાળો ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાય છે, તેનું એક બિનસત્તાવાર કારણ એ હોવું જોઈએ કે ત્યારે પણ ભારતમાં ભજિયાં બનતાં હશે. કોઈ પણ સમયગાળો ભજિયાં વિના સુવર્ણકાળ બની જ શી રીતે શકે? સમૃદ્ધિ હદ વટાવી ગઈ હોય તો શક્ય છે કે ભજિયાં સોનાની થાળીમાં ખવાતાં કે સોનાની તાવડીમાં ઉતરતાં હોય. સદીઓ પછી ખોદકામ કરતાં દટાયેલી ચીજવસ્તુઓ-હાડપિંજરો કે નગરો મળે, પણ ભજિયાનો એકેય અવશેષ ન મળે, તેના આધારે એમ થોડું માની લેવાય કે ભજિયાં ત્યારે ચલણમાં ન હતાં? એવી જ રીતે, ભજિયાંને સંસ્કૃતમાં શું કહેવાય, તે ન આવડતું હોય, તેનાથી પણ સ્વદેશી તરીકેનો તેનો મહિમા ઓછો થઈ જતો નથી.
ભદ્રંભદ્રે મુંબઈ જઈને ભજિયાં ખાધાં ન હતાં, એટલે તેના સંસ્કૃતપ્રચૂર નામથી આપણે વંચિત રહ્યા, પણ ઘણા લોકો ભજિયાંને પકોડા કહે છે. વડાપ્રધાન મોદીએ તો પકોડા તળવાના વ્યવસાયને બેરોજગારી દૂર કરીને રોજગાર સર્જવા માટે ખપમાં લેવા કહ્યું હતું. સાંભળવામાં તે હાસ્યાસ્પદ લાગે તો લાગે, પણ વડાપ્રધાનની સમસ્યા-ઉકેલની પદ્ધતિમાં તે બરાબર બંધ બેસે છે. થોડા સમય પછી તે ભજિયાં તળવાની લારીને સ્ટાર્ટ અપનો દરજ્જો આપવાની જાહેરાત કરે અને દેશભરમાં ચાલતી ભજિયાંની લારી-દુકાનોને સ્ટાર્ટ અપમાં ગણી લે, તો સ્ટાર્ટ અપ ક્ષેત્રે ભારત આખા વિશ્વમાં અવ્વલ સ્થાને પહોંચી જાય અને તેના વિશ્વગુરુપદ વિશે કોઈના મનમાં કશી શંકા ન રહે.
ભજિયાંની જેમ કવિતા પણ, અથવા કવિતાની જેમ ભજિયાં પણ, ઘાણમાં ઉતરતાં હોય છે—વરસાદ આવે ત્યારે તો ખાસ. બંનેનો ચાહકવર્ગ એવો પ્રતિબદ્ધ હોય છે કે ભજિયું કે કવિતા કાચાં ઉતરે તો પણ તેનાં વખાણમાં કચાશ રાખતો નથી. એવાં ભજિયાંથી પેટને અને કવિતાથી સાહિત્યને નુકસાન થવું હોય તો થાય. ગુણવત્તા કે આડઅસરોના મુદ્દે કવિતાપ્રેમીઓ-ભજિયાંપ્રેમીઓ સાથે દલીલમાં ઉતરવાનો મતલબ છે લડાઈ વહોરી લેવી. ભજિયાંની ટીકા કરવામાં એટલી રાહત ખરી કે ‘બહુ ખબર પડતી હોય તો જાતે જ ઉતારી લો ને’—એવું સાંભળવા ન મળે.
બંને બાબતોમાં પ્રયોગશીલતા અને પ્રયોગખોરી વચ્ચેનો તફાવત ઘણી વાર ભૂંસાઈ જતો હોય છે. એક સમુહ માને છે કે કોઈ પણ ખાદ્ય ચીજનાં ભજિયાં બની શકે અને કોઈ પણ ચીજ પર, કોઈ પણ સ્વરૂપમાં કવિતા લખી શકાય. ભજિયાં-પ્રયોગવીરો બટાટા-કેળાં-મરચાં-રતાળુ-ડુંગળી જેવી ભજિયાંઘરાનાની પરંપરાનો ત્યાગ કરીને ચીઝ, ચોકલેટ અને આઇસક્રીમનાં ભજિયાં ઉતારવા સુધી પહોંચી ગયા છે. દેખીતું છે કે એવાં ભજિયાંનું ઔચિત્ય જ નહીં, માહત્મ્ય પણ સ્વાદિષ્ટ હોવામાં નહીં, કેવળ હોવામાં એટલે કે અસ્તિત્વ ધારણ કરવામાં હોય છે. એટલે, પ્રયોગખોર કવિતાઓની જેમ તેમને વિવેચનના સ્થાપિત નિયમો લાગુ પાડી શકાતા નથી.
આખી વાતનો બીજો પક્ષ એવો પણ છે કે ઘણા વિવેચકો ભજિયાંના ગુણદોષને બદલે, તેની લોકપ્રિયતાને કેન્દ્રસ્થાને રાખીને તેનું વિવેચન કરે છે અને તે સંભવતઃ આરોગ્યને નુકસાનકારક હોઈ શકે છે માટે નહીં, પણ તે અત્યંત લોકપ્રિય છે એટલા માટે તેમની ટીકા કરે છે. એટલું જ નહીં, લોકપ્રિય બનેલી કોઈ પણ કૃતિની ગુણવત્તાની પરખ કર્યા વિના, કેવળ લોકપ્રિયતાના આધારે તેને ‘ગરમાગરમ ભજિયાં જેવી’ હલકી ગણાવી દે છે. કૃતિની પરખ કરતી વખતે લોકપ્રિયતા ગુણ પણ નથી ને દોષ પણ નહીં, એટલું સમજવા-સ્વીકારવા માટે ગુજરાતી અધ્યાપકો-વિવેચકોએ ભજિયાં ખાવાનું શરૂ કરે, તો તેનાથી ભજિયાં બનાવનારને જ નહીં, ગુજરાતી સાહિત્યને પણ લાભ થવા સંભવ છે.
કવિ કાલિદાસે ‘મેઘદૂત’ લખ્યું, તેમાં ક્યાંય ભજિયાંનો ઉલ્લેખ આવતો નથી. શક્ય છે કે તેમના જમાનામાં પણ વિવેચકોની માનસિકતા આગળ જણાવી એવી હોય અને કાલિદાસને થયું હોય કે નકામું ભજિયાના વાંકે કવિતાને ગાળ પડશે. એના કરતાં યક્ષને ભજિયાંથી દૂર રાખેલો જ સારો. યક્ષ જાતે રસોઈ ન જાણતો હોય તો શક્ય છે કે અષાઢના પ્રથમ દિવસે તેને પ્રિયતમા જેટલી જ કે તેના કરતાં પણ વધારે તીવ્રતાથી પ્રિયતમાના હાથનાં ભજિયાંની યાદ આવી હોય.
--અને
કોને ખબર, કાલિદાસને વરસાદી મોસમમાં ભજિયાં ખાતાં ખાતાં જ ‘મેઘદૂત’ની પ્રેરણા મળી
હોય?
Sunday, June 09, 2024
ચૂંટણી 2024, ઇવીએમ અને ચૂંટણી પંચ
ચૂંટણીનાં પરિણામો દુઃખી ભક્તો કહે છે, ‘ઇવીએમ વિશે વાત કરો.’ ભક્તોનો તો સાવ ગયેલો કેસ હોય છે. તેમને તથ્યો સાથે કે હકીકત સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે, તેમને કશું કહેવાની જરૂર નથી.
બીજું, ઇવીએમ હેક થઈ શકે એ વાતમાં મને કદી વિશ્વાસ પડ્યો નથી. ભૂતકાળમાં એકથી વધારે વાર એ વિશે ચોખ્ખા શબ્દોમાં લખી ચૂક્યો છું. ઘણા વાંચનારને તે યાદ પણ હશે. મોદીના બીજા ટીકાકારો ઇવીએમની વાત લાવે, ત્યારે તેમની સાથે પણ અસંમતિ જ રહી છે. કારણ કે ઇવીએમ હેક કરવા માટે, તેના એકેએક યુનિટમાં રહેલી ચીપ હેક કરવી પડે. તે ચીપ પ્રી-પ્રોગ્રામ કરીને અંદર મુકી શકાય, પણ એકએક ઇવીએમમાં તે કરવું અશક્યની હદે અઘરું છે.
હા, આખેઆખાં ઇવીએમની હેરફેર થઈ શકે. સ્થાનિક વહીવટી તંત્ર ખિસ્સામાં હોય ત્યારે તો ખાસ. અલબત્ત, એ સહેલું જરાય નથી. છતાં, એકથી વધારે વાર વાહનોમાં રેઢો પડેલો ઇવીએમનો જથ્થો શંકા ઉપજાવનારો હતો. અને તેના કદી સંતોષકારક ખુલાસા મળ્યા નથી તે હકીકત છે.
પરંતુ આ વખતે કરવા જેવી વાત ઇવીએમ અને આખી ચૂંટણીનો વહીવટ કરતા ચૂંટણી પંચની છે. આ વખતે આખેઆખું ચૂંટણી પંચ હેક થઈ ગયું હતું. ભક્તોને તો તે ન દેખાય, બલ્કે તેમને તો હેક થયેલું ચૂંટણી પંચ જ સારું લાગે, પણ પરિણામ પછી અત્યારે તેની વાત ખાસ કરવા જેવી છે.
ગયા વર્ષ સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂંક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને વિપક્ષના નેતા—એમ ત્રણ જણની સમિતિ કરતી હતી. તેમાં સંતુલન જળવાયેલું હતું, પણ બધી સત્તા પોતાની પાસે લઈ લેવા હરાયા થયેલા મોદીએ ગયા વર્ષે કાયદામાં ફેરફાર કરીને સમિતિમાંથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કાઢી નાખ્યા. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને મુકી દીધા. એટલે સરકાર ઇચ્છે તે જ અધિકારી ચૂંટણી કમિશનર બની શકે.
આ વર્ષે માર્ચમાં એક ચૂંટણી કમિશનરે વહેલી નિવૃત્તિ લઈ લીધી. એ માટે તેમણે અંગત કારણો આગળ કર્યાં હતાં, પણ ત્યાર પછી ચૂંટણી કમિશનરોનું જે સરકારતરફી વલણ રહ્યું તે જોતાં એવું ધારી શકાય કે પેલા કમિશનરને એ બધું પોતાનાથી નહીં થાય એવું લાગ્યું હશે. એ ધારણા છે, પણ સાવ નિરાધાર નથી.
પછી ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે એવી રીતે સાત તબક્કામાં તેને વહેંચવામાં આવી કે જેથી વડાપ્રધાન બધે પ્રચાર પર પૂરતું ધ્યાન આપી શકે—તેમને પૂરતો સમય મળે અને મહત્ત્વનાં રાજ્યોમાં એક સાથે, એક સમયે ચૂંટણી ન હોય.
ચૂંટણીનું સમયપત્રક તો સૌથી નાનામાં નાનું, ઓછામાં ઓછું અને ક્ષમ્ય ગણાય એવું કારસ્તાન હતું. ત્યાર પછી ચૂંટણી પંચે જે રીતે ચૂંટણીની આચારસંહિતાનો મોદી એન્ડ કંપની દ્વારા મોટા પાયે ભંગ ચૂપચાપ થવા દીધો તે અક્ષમ્ય હતું. નૈતિકતા-ફૈતિકતા છોડો, સાદા કાયદાની-આઇપીસીની દૃષ્ટિએ પણ ઘણી બાબતો ગુનો બને તેમ હતી.
મોદી તેમનાં ભાષણોમાં હડહડતાં જૂઠાણાં ફેલાવતા હતા. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય લખ્યું ન હોય એવું તેમનાં ભાષણોમાં પ્રચારતા હતા. દેશનો વડોપ્રધાન કહે કે કોંગ્રેસના ઢંઢેરામાં આવું લખ્યું છે—અને એ સાવ જૂઠાણું હોય, તો તેની ગંભીરતા કેટલી કહેવાય? પણ ચૂંટણી પંચે કશાં પગલાં ન લીધાં.
મોદી તેમનાં ભાષણોમાં આ દેશના નાગરિક એવા મુસલમાનો વિરુદ્ધ બેફામ બોલતા હતા અને લોકોને ઉશ્કેરતા હતા. આઇપીસીની કલમો પ્રમાણે એ ગુનો થાય, પણ મોદીરાજમાં એ વાત એટલી સામાન્ય થઈ ચૂકી હતી કે ચૂંટણી પંચે પણ તે ચાલવા દીધી.
એ સિવાય સડકછાપ ભાષણો માટે તો મોદી જાણીતા છે જ. તેમાં પણ આ વખતે બધી હદો વટાવી. તેમ છતાં, બહાદુરીના દાવા કરીને મોદીની ભક્તિ કરી લેતા લોકોએ આ બધી બાબતોને ‘એ તો રાજકારણ હોય. તેમાં આવું બધું જ હોય. એ તો આવું જ ચાલે’—એમ કહીને આ બાબતોને છાવરવાનો પ્રયત્ન કર્યો અને હજુ આજે પણ કરે છે.
અગાઉ કોઈ વડાપ્રધાન બંધારણીય હોદ્દે રહીને આટલા લાંબા સમય સુધી (ચૂંટણી પ્રચાર દરમિયાન) આટલી મોટી માત્રામાં, આટલું બેફામ કે આટલું જૂઠું બોલ્યા નથી. પણ પ્રગટ ભક્તો કે સલુકાઈથી સરકારવિરોધી તરીકેની છાપ ઉભી કર્યા પછી મોદીની ભક્તિ કરી લેનારાઓ—તે બધાને તેમાં કશું ખોટું ન લાગ્યું. એ તો ઠીક, પણ ચૂંટણી પંચે પણ મોદીના બેફામ, બેકાબૂ વિષવમનને નજરઅંદાજ કર્યું.
સામાન્ય રીતે ચૂંટણીપ્રચારમાં કોઈ ઉમેદવાર હદ વટાવે તો ચૂંટણી પંચ તેને વ્યક્તિગત નોટીસ આપે. મોદીએ અનેક વાર હદ વટાવી. તેમાંથી એક વાર પગલાં લેવાનું દબાણ ઊભું થયું, ત્યારે ચૂંટણી પંચે શું કર્યું? તેણે નોટીસ તો આપી, પણ મોદીને નહીં, ભાજપના પક્ષપ્રમુખને—અને સાથે કોંગ્રેસના પક્ષપ્રમુખને પણ આપી દીધી. અને કહ્યું કે તમારા સ્ટાર પ્રચારકોને કહો, બોલવામાં ધ્યાન રાખે. બસ, પગલાં લેવાઈ ગયાં.
આટલું ઓછું હોય તેમ, ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતમાં મતગણતરીનો ડેટા જાહેર કરવામાં અખાડા કર્યા. પહેલા બે કે ત્રણ તબક્કામાં જાહેર કરેલી ટકાવારીમાં પાંચ ટકાનો વધારો કેવી રીતે થયો, તેનો ચૂંટણી પંચે કર્યો નહીં. તેમાં કશો ગોટાળો ન હોય ને ગણતરીની ભૂલ હોય તો પણ જવાબ આપવાની ચૂંટણી પંચની ફરજ છે. તેને બદલે ચૂંટણી પંચે પણ મોદીની માફક અકડાઈભર્યું વલણ લીધું. છેવટે સર્વોચ્ચ અદાલતે દરમિયાન થવું પડ્યું.
ચૂંટણી પંચના આવા વલણને કારણે, મતગણતરી વિશ્વસનિય રીતે થશે કે નહીં, તેની વાજબી શંકા ઊભી થઈ. ચૂંટણી પંચે તબક્કા પૂરા થતા જાય તેમ મતદાનના આંકડા આપવાનું રાખ્યું હોત તો આટલી શંકા ન પડત. પણ એક વાર વિશ્વસનિયતા ગઈ એટલે પૂનમ અગ્રવાલ નામનાં એક પત્રકારે અને ત્યાર પછી બીજા ઘણા લોકોએ ફોર્મ 17 (સી)નો મુદ્દો ઊભો કર્યો. મતદાનના દિવસે સાંજે કુલ મત અને પડેલા મતની વિગતો ઇવીએમના નંબર સાથે પોલિંગ એજન્ટોને આપવાની હોય છે. તે વિગતોનો જાહેર થયેલાં પરિણામોના આંકડા સાથે તાળો બેસાડીને ગરબડ થઈ હોય તો જાણી શકાય. એટલે, ઘણા લોકોએ ફોર્મ 17 (સી) ભેગાં કર્યાં. પરંતુ તેમાં કોઈ ગરબડ થયાની ફરિયાદ નથી મળી. એટલે 17 (સી)ની જરૂર ન પડી. પણ ચૂંટણી પંચે ડેટા આપવાનો ઇન્કાર કરીને સામે ચાલીને પોતાની વિશ્વસનિયતા પર કુહાડો માર્યો હતો.
આમ, આ ચૂંટણીમાં મોદીના અહંકારથી પહેલાં ચૂંટણી પંચની વિશ્વસનિયતા ગઈ છે. તે પાછી લાવવા માટે સૌથી પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કાયદો પહેલાં જેવો કરવો જોઈએ. તેનાથી કમ સે કમ ઇરાદાની યોગ્યતા વિશે તો ખ્યાલ આવશે.
બાકી, મોદી આમ તો મહાન છે અને નાનીમોટી તકલીફ તો દરેક નેતામાં હોય—એવા જુદા પ્રકારના ભક્ત-આખ્યાનોથી બચજો. મોદીનો અહંકાર, સ્વમોહ અને સત્તાનું ભયંકર કેન્દ્રીકરણ કરવાની તેમની લાલસા તેમને બીજા ખરાબ નેતાઓ કરતાં અનેક ગણા વધારે ખતરનાક બનાવે છે—દેશ માટે અને સમાજ માટે. દેશની બંધારણીય સંસ્થાઓ અને સામાજિક પોતથી માંડીને મિડીયાની તેમણે જે દુર્દશા કરી છે, એ જોઈને પણ તમને સમજાતું ન હોય, તો હજુ તમારે કેટલા પુરાવા જોઈએ? ના, તેનો અર્થ તો એવો છે કે તમને ગમે તેટલા પુરાવા કે હકીકતોથી કશો ફરક નથી પડતો. કારણ કે, તમારા માટે તો તમારો સ્વાર્થ અથવા તમારી ભક્તિ જ સર્વસ્વ છે.
Saturday, June 08, 2024
થોડું પરિણામોથી હટીને, થોડું અંગત...
ચૂંટણી પહેલાં, દરમિયાન કે પછી, તેનાં ચર્ચા-વિગતો-આંકડા-વિશ્લેષણો-સર્વેક્ષણોમાં વર્ષો પહેલાં, દૂરદર્શનના જમાનામાં રસ પડતો હતો. પક્ષીય રાજકારણમાં એક હદથી વધારે રસ કદી પડ્યો નહીં. કોઈ રાજકીય નેતાની હારથી પહેલવહેલી વાર આનંદ આવ્યો હોય તો તે વી.પી.સિંઘ સામે રાજીવ ગાંધીની હારથી. કારણ કે વી.પી. તે વખતે લડવૈયા લાગતા હતા--અન્ડરડોગ અને રાજીવ સત્તાધીશ. તે વખતની ચૂંટણીજાહેરાતો અને કાર્ટૂનનાં કટિગ હજુ સચવાયેલાં છે.
Tuesday, June 04, 2024
2024ની ચૂંટણીનાં પરિણામઃ શાંતિથી વિચારતાં--
પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયાં છેઃ અત્યારે (સાંજે સાત વાગ્યે) ઇન્ડિયન એક્સપ્રેસ બતાવે છેઃ એનડીએ-296, યુપીએ-229, અન્ય-18.
Wednesday, May 22, 2024
ભસતી કોયલ
બાળપણથી કોયલનાં ગુણગાન વાંચતા-સાંભળતા આવેલા ગુજરાતી વાચકોને મથાળું વાંચીને આઘાત લાગી શકે અથવા આ લખનારની માનસિક સ્વસ્થતા વિશે શંકા જાગે. પણ એટલી ખાતરી રાખજો કે આઘાત (કદાચ) પહેલી વાર સચ્ચાઈ વાંચ્યાનો હશે અને લેખ પૂરો થતાં સુધીમાં બીજા મુદ્દા વિશે પણ કશી શંકા નહીં રહે.
‘કોયલડી ને કાગ, વાને વરતારો નહીં/ જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે’—આવો બોધયુક્ત દુહો એક સમયે જાણીતો હતો. તેનો સાર સ્પષ્ટ છેઃ કાગડો ને કોયલ રંગે તો સરખાં, પણ બોલે ત્યારે કાગડાના પૈસા પડી જાય (ને કોયલના ન પડે). કદાચ આ જ પ્રકારની સમજ સાથે, એક સમયે સુમધુર કંઠ ધરાવતાં લતા મંગેશકરને કોયલની ઉપમા અપાતી હતી અને ગાયિકાઓ માટે ‘કોકિલકંઠી’ જેવું વિશેષણ વપરાતું હતું. ‘કુહુ કુહુ’ બોલતી કોયલિયાનું ગીતસંગીતમય સ્વરૂપ અત્યંત કર્ણપ્રિય લાગતું હતું. સ્કૂલના ક્લાસમાં બહુ વાતો કરતી છોકરીઓને હંમેશાં ‘કાબર’ની ઉપમા મળતી—કદી કોયલની નહીં. કિશોરાવસ્થાની મુગ્ધતામાં વાંચેલા ચિંતકોએ પણ વસંતમાં કોયલના ટહુકાનું માર્કેટિંગ કરવામાં કશું બાકી રાખ્યું ન હતું.
અત્યાર લગી થયેલો કોયલ-મહિમા ખોટો નથી, પણ તે ચિત્રની એક બાજુ છે. તેની ભાગ્યે જ ઉલ્લેખાયેલી બીજી બાજુ એક જૂના ગીતના મુખડામાં વ્યક્ત થઈ છેઃ ‘કાહે કોયલ શોર મચાયે રે.’ અલબત્ત, ગીતમાં નાયિકાને તત્ત્વતઃ કોયલના અવાજ સામે વાંધો નથી. પણ ‘મોહે અપના કોઈ યાદ આયે રે’—એ કારણથી તેને મીઠા અવાજે ગાતી કોયલ શોર મચાવતી લાગે છે. એટલે, તેમાં કોયલના કંઠની મીઠાશનાં વખાણ જ છે.
પરંતુ કોયલ વિશેની સઘળી અહોભાવયુક્ત માહિતી બાજુ પર રાખતાં જણાશે કે કોયલની કુહુ ભલે મીઠી હોય, પણ તેનું સળંગ-ઉપરાછાપરી પુનરાવર્તન ત્રાસરૂપ બની જાય છે. ઉનાળાની ઋતુમાં ઘણી કોયલો ઓફિસે જઈને અંગુઠો પાડવાનો હોય એટલી નિયમિતતાથી સવારના પહોરમાં ઘરની બાજુના કોઈ વૃક્ષ પર આવી જાય છે. જેમની સવાર માણસોના સમયે—એટલે કે આઠેક વાગ્યે—પડતી હોય, એવા લોકોની આંખોમાં હજુ તો ઊંઘના અવશેષ વેરાયેલા હોય, ત્યાં કોયલ શરૂ પડી જાય છેઃ કૂહુ...કૂહુ...કૂહુ.. પહેલાં બે-ત્રણ વાર તેમાં ટહુકાનો અહેસાસ થાય છે, પણ પછી આવર્તન ચાલુ રને ચાલુ હે છે. ચાર-છ વાર એક જ સૂરમાં કૂહુ કૂહુ કર્યા પછી તેનો સૂર ઊંચો જાય છે. આમ, એક વારમાં તે પંદર-વીસ વાર, એકશ્વાસે, કુહૂ...કુહૂ મચાવે છે. બે-પાંચ ટહુકા સુધી તેનો અવાજ લતા મંગેશકરના પચાસના દાયકાના અવાજ જેવો લાગે છે, પણ પછી તે સાંભળીને એંસી-નેવુના દાયકામાં અને તે પણ ઊંચા સૂરમાં ગાતાં લતા મંગેશકરના અવાજની યાદ તાજી થાય છે અને કહેવાનું મન થાય છે,‘બહેન, જરા ધીમેથી ચીસો પાડ.’
બે-ત્રણ સૂરમાં પંદર-વીસ વાર કૂહૂ...કુહૂનો એક રાઉન્ડ પૂરો થાય અને સાંભળનારના કાનને સહેજ હાશકારો થાય, ત્યાં તો ફરી એ જ ક્રમ શરૂ થઈ જાય છે. આવું ઘણી વાર અડધો કલાક-કલાક સુધી ચાલી શકે છે. પછી થોડો પોરો ખાઈને વળી તે મંડી પડે છે. ક્યારેક તો કોયલની એવી ચીસાચીસ બે-ચાર કલાક સુધી ચાલે છે. તે સાંભળીને કાન પાકી જાય છે, પણ કોયલની જાહેર ઇમેજ અને લોકલાજને કારણે ‘કોયલ બહુ કકળાટ કરે છે’-- એવી ફરિયાદ કરતાં લોકો ખચકાય છે. તેમને બીક લાગે છે કે ક્યાંક કોયલના કકળાટ સામે આંગળી ચીંધવા જતાં, ફરિયાદી સાથે આરોપી જેવો વ્યવહાર કરવાની વર્તમાન પદ્ધતિ પ્રમાણે, પોતાને ખુલાસા આપવા ન પડે.
ઘણા લોકો સુખી હોય છે. તેમને ગમે તેટલા ઘોંઘાટથી બહુ ફરક પડતો નથી. ડીજેના સ્પીકરની પાસે ઊભા રહીને નાચી શકતા કે નાચ્યા વગર પણ તેનો કાનફાડુ ઘોંઘાટ માણી શકતા લોકોને કોયલ સામે કશો વાંધો ન હોય તે સમજી શકાય છે. પરંતુ કેટલાક લોકોને ઘોંઘાટની એલર્જી હોય છે. ભારતમાં ધૂળની એલર્જી હોવી ને ઘોંઘાટની એલર્જી હોવી, એ બંને સરખી ગંભીર સમસ્યાઓ છે. કારણ કે, આ બંને બાબતોથી ભારતમાં કદી છૂટકારો મળવાનો નથી. છતાં, કોયલ મંડી ને મંડી રહે અને કેમે કરીને બંધ ન થતી હોય, ત્યારે તેના ઘોંઘાટથી ત્રાસેલા લોકોના મનમાં અનેક નકારાત્મક વિચારો આવે છે.
મનમાં થાય છે કે રાત પડ્યે કૂતરાં ભસતાં હોય તેમની તરફ પથ્થર ફેંકીને તેમને અહિંસક રીતે ભગાડી શકાય છે, પણ ધોળે દહાડે ભસવા જેટલી જ કર્કશતાથી ચીસાચીસ કોયલનું શું કરવું? પહેલાં તો કઈ દિશામાંથી કોયલનો અવાજ આવે છે તે નક્કી કરવું પડે. પહેલાંનો સમય હોત તો, શબ્દવેધ બાણ ચલાવીને કોયલને નુકસાન પહોંચાડ્યા વિના, તેને ઉડાડી શકે એવા કોઈ જણની તલાશ કરી શકાત. એ વિકલ્પ હાથવગો ન હોવાથી, કૂતરાંની જેમ કોયલની દિશામાં પથ્થર ફેંકવાનો વિચાર આવે છે. પણ તે વ્યવહારુ રીતે શક્ય હોતો નથી. શહેરોમાં ગીચ ફ્લેટોની વચ્ચે કે સોસાયટીના કોમન પ્લોટમાં ક્યાંક એકાદ ઝાડ હોય ને ત્યાં કોયલ બેઠી પણ હોય. છતાં, એ તરફ પથ્થર ફેંક્યા પછી, તે આડોઅવળો જાય તો?
‘રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’—જેવી સિચ્યુએશન જરા જુદી રીતે સર્જાય, કોયલની ચીસો તેના ઠેકાણે રહે અને પથ્થર ફેંકનારે ખુલાસા કરવાનો વારો આવે.
Monday, May 13, 2024
બગીચામાં ચાલતાં ચાલતાં
ચાલવું એ કસરત કહેવાય ને લોકોએ તે કરવી જોઈએ—એ વૈજ્ઞાનિક શોધ માટે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી જવાબદાર છે. પહેલાં, એટલે કે વીસેક વર્ષ પહેલાં સુધી, મોટા ભાગના લોકો માટે ચાલવું એ સામાન્ય જ નહીં, ફરજિયાત ક્રિયા હતું. પછી દ્વિચક્રી વાહનોનો પગપેસારો વધ્યો. એટલે, દૂધ લેવા, બજાર જવા કે પાનના ગલ્લે આંટો મારવા માટે પણ દ્વિચક્રી વપરાતું થયું. હવે કસરત લેખે ચાલવા જનારા પણ ચાલવા જવાના સ્થળ સુધી પહોંચવા માટે દ્વિચક્રીનો ઉપયોગ કરે છે.
જોકે, એમાં બધો તેમનો વાંક નથી. કારણ કે, કસરત માટે તો ઠીક, કામ માટે પણ રસ્તા પર ચાલવું ખતરનાક નીવડી શકે છે. આરોગ્ય સુધારવા માટે રસ્તા પર ચાલવા જનાર માતેલા વાહનની ટક્કર ખાઈને, આરોગ્યને બદલે અંગભંગ પામે એવું પણ બની શકે. બીજાના એવા અનુભવ સાંભળ્યા પછી, પોતાના એકંદર આરોગ્ય ઉપરાંત શરીરનાં હાડકાંની જાળવણી કરવા ઇચ્છતા લોકો બગીચામાં ચાલવા જવાનું પસંદ કરે છે.
પહેલાંના બગીચા ફક્ત આનંદપ્રમોદ માટે અને હિંદી ફિલ્મોનું માનીએ તો, પ્રેમી-પ્રેમિકાઓના મિલન તથા ગાયન માટે હતા. પછીનાં વર્ષોમાં શહેરોમાં અને તેની દેખાદેખી નાનાં નગરોમાં પણ બગીચામાં ચાલવાના ટ્રેક તૈયાર કરવામાં આવ્યા—જાણે ટ્રેનને ચાલવા માટે પાટા હોય, તેમ ચાલનારાને ચાલવા માટે ટ્રેક. ફરક એટલો કે આવા ટ્રેક પર અનેક જણ એકસાથે, આગળપાછળ ચાલી શકે અને સિગ્નલ ન હોવા છતાં, ગંભીર અકસ્માત થવાની શક્યતા નહીંવત્.
ટ્રેન સાથેની સરખામણી આગળ વધારતાં કહી શકાય કે બગીચામાં ચાલનારાના પણ ટ્રેનની જેમ જુદા જુદા પ્રકાર હોય છે. કેટલાક ચાલનારા સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવા હોય. તે ઝડપભેર ચાલે, પાછા વચ્ચે ક્યાંક થોભે, પાછા ચાલવાનું આગળ વધારે. કેટલાક લોકલ ટ્રેન જેવા હોય. થોડું ચાલે, વળી પાછું કોઈ મળે એટલે વાતો કરવા ઊભા રહે. પછી આગળ વધે ને ફરી કોઈ પરિચિત દેખાય તો એ સામેથી બૂમ પાડે અને તેમને ઊભા રાખીને વાતો કરે. તેમનું એક ચક્કર પૂરું થાય ત્યારે સુપરફાસ્ટ ચાલક અઢી-ત્રણ રાઉન્ડ પૂરા કરી ચૂકયા હોય. (ચાલક શબ્દ આમ તો ચલાવનાર માટે વપરાય છે, પણ રક્ષે તે રક્ષક, તો ચાલે તે ચાલક કેમ નહીં?)
કેટલાક ચાલકો વળી સુપરફાસ્ટને પણ હંફાવે એવા—દુરન્તો એક્સપ્રેસ જેવા—હોય, જે એક વાર ચાલવાનું શરૂ કર્યા પછી, તેમણે નિશ્ચિત કરેલો સમય પૂરો ન થાય, ત્યાં સુધી અટકે જ નહીં. જાણે, અમદાવાદથી ઉપડ્યા એટલે સીધા મુંબઈ. રસ્તામાં ગમે તેટલા ઓળખીતા મળે, ગમે તેટલી ગીરદી હોય, બાળકો રમતાં હોય, અમુક ભાગમાં રસ્તો ખરાબ હોય, ટ્રેક પર કૂતરાં લડતાં હોય કે લડીને સુઈ ગયાં હોય, પણ દુરાન્તો પ્રકારના ચાલકો તેમની ગતિ અટકાવ્યા વિના ધમધમાટ આગળ વધતા રહે. તેમની એકનિષ્ઠતા અને તેમનું ફોકસ જોઈને એવી પણ શંકા જાય કે આ લોકો ચાલવાના બહાને કંઈ બીજું તો નથી કરી રહ્યાને? કેટલાક દુરાન્તો-પ્રકારો એટલી ગંભીર કે ઝનૂની મુખમુદ્રાથી ચાલતા હોય કે તે કોઈ પ્રકારની તાંત્રિક વિધિ કરી રહ્યા હોય એવું લાગે. તેમને જોઈને વિચાર આવે કે એક જમાનામાં વંદે ભારત ટ્રેનોને અથડાતી હતી એવી કોઈ ભેંસ આ ચાલનારાને અથડાય તો ચાલનારા જેટલી જ ભેંસની પણ ચિંતા કરવી પડે.
તેમનાથી સાવ સામા છેડે આવે ગુડ્ઝ ટ્રેન પ્રકારના ચાલનારા. તે એકલા ન હોય. તેમની સાથે બે-ચાર મિત્રો કે પરિવારનાં નાનાં સભ્યો હોય. એ બધા ચાલવાના ટ્રેક પર આસ્તે આસ્તે, જોનારને યથેચ્છ લાગે એવી રીતે, આગળ વધતા હોય. તેમની ઝડપ એટલી ઓછી હોય કે એવું લાગે, જાણે તે રાત બગીચામાં જ વીતાવવાનાં હોય અને એટલે તેમને કશી ઉતાવળ જ ન હોય. આવી ગુડ્ઝ ટ્રેનમાં બાળકો હોય તો તે વળી મૂળ ટ્રેનથી છૂટા પડીને, બીજી લાઈને ફંટાઈ ગયેલા ડબ્બાની જેમ આમતેમ છૂટાં ફરતાં હોય. વળી પાછાં તે આગળથી મુખ્ય ટ્રેન સાથે ભેગાં પણ થઈ જાય. આવાં જૂથ ઘણી વાર આખો ટ્રેક રોકીને ચાલતાં હોય.
માણસને વાહનોની એવી ટેવ પડી ગઈ હોય છે કે પગપાળા ચાલતી વખતે પણ આગળ ગુડ્ઝ ટ્રેન-પ્રકાર કે તેનો કોઈ છૂટો પડી ગયેલો ડબ્બો લહેરાતો જુએ, એટલે પહેલો વિચાર હોર્ન મારવાનો આવે. પછી યાદ આવે કે આપણે તો ચાલવા આવ્યા છીએ. અહીં હોર્ન ન હોય. તરત બીજો વિચાર આવેઃ ટ્રેક પર વાહન ભલે ન હોય, પણ છૂટું હોર્ન રખાય કે નહીં? જેથી ટ્રેક પર વચ્ચે ને વચ્ચે આવતા લોકોને આઘા ખસવાનો સંકેત આપી શકાય.
કોઈ માણસ રસ્તા પર બેકાળજીથી ચાલતો હોય તો તેને ઠપકો આપતાં કહેવામાં આવે છે, ‘આ રોડ છે, બગીચો નથી. જરા જોઈને ચાલો.’ પણ બગીચામાં આડા આવતા લોકોને આવું શી રીતે કહેવાય? રાન્તો-સુપરફાસ્ટ પ્રકારના ચાલનારાને તો ઉલટો રસ્તામાં આવતા લોકો અવળો ઠપકો આપતાં કહે શકે, ‘જરા ધીમે ચાલો. આટલી બધી ઉતાવળ શી છે? આ એક્સપ્રેસ હાઇ વે નથી, બગીચો છે.’
ટ્રેક પરનો આવો બધો ખેલ માંડ અડધા કલાક-કલાકનો હોય છે. પછી બધાએ ટ્રેકને બગીચામાં મુકીને ઘરે જ જવાનું હોય છે. પણ એમ તો, આ બધો—જીવનનો-ખેલ માંડ સાઠ-સિત્તેર-એંસી વર્ષોનો જ હોય છે ને?
Sunday, May 12, 2024
હાસ્યવ્યંગની વિડીયોનાં ચાર વર્ષ
કોરોનાકાળમાં ટ્વિટર પર આવ્યો અને થોડા દિવસમાં હાસ્યવ્યંગની વિડીયો બનાવવાનું શરૂ કર્યું. મે, 2020. એ વાતને ચાર વર્ષ પૂરાં થયાં. આ સાથે મુકેલી વિડીયો 326મી છે.
