Thursday, August 15, 2024

શું ભાવનગર દેશમાં ભળનારું પહેલું દેશી રાજ્ય હતું?

વર્ષો પહેલાં એક વાર પાલનપુર જવાનું થયું હતું. ત્યારે બીજી ઘણી વાતો ઉપરાંત એક ખાસ વાત સાંભળવા મળીઃ દેશી રાજ્યોનાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે પાલનપુરના નવાબે સૌથી પહેલું તેમનું રજવાડું અર્પણ કર્યું હતું.

તેના થોડા વખત પછી ભાવનગર વિશે કોઈ લખાણ વાંચતાં, તેના વિશે પણ આવો જ દાવો વાંચવા મળ્યો. ત્યાર પછી ભાવનગર વિશેનો એવો દાવો તો અનેક વાર સાંભળવા મળતો રહ્યો છે. થોડાં વર્ષ પહેલાં દિવ્ય ભાસ્કર સાથે સંકળાયો હતો ત્યારે તેની કોઈ વિશેષ પૂર્તિમાં એ મતલબનો દાવો લેખિતમાં થયો હતો. ત્યારે મેં ધ્યાન દોર્યું હતું કે આ વાતનો કોઈ ઐતિહાસિક આધાર નથી. છતાં, અસ્મિતા અને ઇતિહાસ વચ્ચેથી પસંદગી કરવાની આવે ત્યારે પસંદગી અસ્મિતાની જ થાય.

આજે ફરી એક વાર દિવ્ય ભાસ્કરના અખબાર 'સૌરાષ્ટ્ર સમાચાર'માં એવો દાવો કરવામાં આવ્યો છે.


પહેલી વાર આ દાવો સાંભળ્યો ત્યારથી મને તે રુચતો નથી. તેનાં બે કારણઃ

  1.  ભાવનગર વિલીન થનારું પહેલું રાજ્ય હતું, એવો આધાર ઇતિહાસમાં ક્યાય મળતો નથી-કોઈએ આધારપુરાવા સાથે ટાંક્યો હોય, એવું જાણ્યું નથી.
  2. ઐતિહાસિક પુરાવા ન હોવા છતાં, એવો દાવો કરવાથી ભાવનગરના મહારાજા વિશેની બીજી સાચી વાતોની વિશ્વસનિયતા પણ ન જોખમાય?

પરંતુ, આજના દિવ્ય ભાસ્કરમાં આ દાવાની સાથે, ઐતિહાસિક પુરાવા તરીકે, ભાવનગર રાજ્યના જોડાણખત (ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન)નો એક હિસ્સો પણ છાપવામાં આવ્યો છે. તેમાં જણાવાયા પ્રમાણે, જોડાણખત પર ભાવનગરના મહારાજાએ 5 ઓગસ્ટ, 1947ના રોજ અને ગવર્નર જનરલ માઉન્ટબેટને 16 ઓગસ્ટ, 1947ના રોજ સહી કરી હતી.

હવે વાત કરીએ રાજસ્થાનના એક દેશી રાજ્ય કિશનગઢની. રાજસ્થાન ત્યારે રાજપુતાના તરીકે ઓળખાતું હતું. સહજતાથી ઉપલબ્ધ આઠ-દસ રજવાડાંનાં જોડાણખત પર નજર કરતાં તેમાં કિશનગઢનું જોડાણખત મળી આવ્યું. તેમાં કિશનગઢ રાજ્યનો સિક્કો અને સુમેરસિંહ ઓફ કિશનગઢની સહી છે અને દિવસના ખાનામાં લખ્યું છેઃ ટ્યુસડે, ધ ફિફ્થ ડે ઓફ ઓગસ્ટ. એટલે કે 5 ઓગસ્ટ, 1947.

તેની નીચે માઉન્ટબેટન ઓફ બર્મા (ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા)ની સહીની તારીખ છેઃ 16 ઓગસ્ટ, 1947. મતલબ, એ જ તારીખો, જે ભાવનગરના જોડાણખત પર પણ છે.

courtesy: National Archives of India


સારઃ
  1.  ભાવનગર જોડાણખત પર સહી કરનારું પહેલું રાજ્ય ન હતું. કિશનગઢના રાજાએ પણ એ જ દિવસે સહી કરી હતી—અને બધાં જોડાણખત જોવા મળે તો શક્ય છે કે આવાં બીજાં રાજ્યો પણ મળી આવે.
  2. તેનાથી ભાવનગરના મહારાજાની જે કંઈ વાસ્તવિક મહત્તા છે, જે જરાય ઝંખવાતી નથી.
  3. એટલે, આ ખોટા દાવાને ભાવનગરના મહારાજાની દેશભક્તિના પુરાવા તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ.

1 comment:

  1. Anonymous11:52:00 AM

    🐦‍🔥 પ્રદેશ આધારિત અખબાર : અસ્મિતા > ઇતિહાસ 🐢

    ReplyDelete