Saturday, June 08, 2024

થોડું પરિણામોથી હટીને, થોડું અંગત...

ચૂંટણી પહેલાં, દરમિયાન કે પછી, તેનાં ચર્ચા-વિગતો-આંકડા-વિશ્લેષણો-સર્વેક્ષણોમાં વર્ષો પહેલાં, દૂરદર્શનના જમાનામાં રસ પડતો હતો. પક્ષીય રાજકારણમાં એક હદથી વધારે રસ કદી પડ્યો નહીં. કોઈ રાજકીય નેતાની હારથી પહેલવહેલી વાર આનંદ આવ્યો હોય તો તે વી.પી.સિંઘ સામે રાજીવ ગાંધીની હારથી. કારણ કે વી.પી. તે વખતે લડવૈયા લાગતા હતા--અન્ડરડોગ અને રાજીવ સત્તાધીશ. તે વખતની ચૂંટણીજાહેરાતો અને કાર્ટૂનનાં કટિગ હજુ સચવાયેલાં છે.

ત્યાર પછી રાજકારણમાં રસ ફક્ત સામાન્ય જ્ઞાન પૂરતો રહ્યો. 1992માં બાબરી મસ્જિદ તૂટી કે ત્યાર પછી રમખાણો થતાં, ત્યારે પણ પક્ષીય રાજકારણ કદી અડ્યું નહીં. રાજકારણમાં કઈ હદે રસ ન હતો, તેનું એક ઉદાહરણઃ પત્રકારત્વમાં આવ્યા પછી મારી પહેલી સ્ટોરી 'અભિયાન'ના જે અંકમાં છપાઈ, તે જ અંકમાં પ્રિય મિત્ર અનિલ દેવપુરકરની શંકરસિંહના બળવા વિશેની સનસનીખેજ સ્ટોરી છપાઈ હતી. પણ તે મારા મનમાં રજિસ્ટર જ ન થઈ. વિધાનસભામાં સ્પીકર ચંદુ ડાભીએ કળા કરી, ત્યારે મને તો અમારા તંત્રી વિનોદ પંડ્યાએ શોધીને રમેશ પારેખની કવિતા 'ચંદુડાયણ' છાપી, એ જ યાદ રહ્યું હતું. શંકરસિંહે નવો પક્ષ સ્થાપ્યો તેના રિપોર્ટિંગ માટે પ્રશાંત દયાળની સાથે હું પણ ગયો હતો અને આખા કાર્યક્રમનો માહોલ વર્ણવતો રિપોર્ટ પણ મેં લખ્યો હતો. છતાં, તે દિશામાં કદી રસ પડ્યો નહીં. હા, પહેલેથી મૂળભૂત વલણ સત્તા-એસ્ટાબ્લિશમેન્ટથી વિરોધી ખરું.
ધીમે ધીમે એવી માન્યતા દૃઢ થતી ગઈ કે 'સહિતો' (Haves) પાસે-પામતાપહોંચતા લોકો પાસે તો તેમની આખી સિસ્ટમ હોય, આપણે આપણી તાકાત પ્રમાણે 'રહિતો' (Have nots) સાથે--તેમની ન્યાયી લડાઈઓના સમર્થનમાં, માથે ભાર રાખ્યા વિના, જ્યારે જ્યાં જેટલું શક્ય હોય તેટલું રહેવાનું હોય.
*
રાજકીય ફાયદા માટે રાજકારણની ઝાળ પહેલી વાર 2002માં અડી. ભાજપનો કોમવાદ ખટકતો હતો, પણ મારા ગામમાં તેનું બહુ ચલણ ન હતું. તે 2002માં પહેલી વાર જોવા મળ્યું અને પછી તો મારા ગામ જેવાં ગુજરાતનાં અનેક ગામમાં તેને મોટા પાયે, પદ્ધતિસર વકરાવવામાં આવ્યું.
ભાજપના કોમવાદની સાથે નરેન્દ્ર મોદીનો હદ બહારનો અહંકાર જોઈને થયું કે બધા પક્ષો ખરાબ, પણ ભાજપ અને મોદીનું સંયોજન લોકો માટે, રાજ્ય માટે, દેશ માટે સૌથી ખતરનાક છે. રેકોર્ડ ખાતર નોંધવું જોઈએ કે આજ સુધી માંડ બે કે ત્રણ વાર કોંગ્રેસવાળાએ પણ મને બોલવા માટે બોલાવ્યો હતો. તેમને કદાચ એમ હશે કે હું નરેન્દ્ર મોદીને ધોઈ નાખીને તેમને મઝા કરાવી દઈશ. પણ ત્યારે તેમને મેં પૂછ્યું હતું કે મોદી તો જે છે તે છે અને એ વિશેના મારા અભિપ્રાયો જાહેર છે, પણ મારે તમને પૂછવાનું છે કે 2002 અને પછીના ગાળામાં તમે શું કર્યું? મને હંમેશાં એવો અંદેશો (હંચ) રહ્યો છે કે કેટલાક કોંગ્રેસી નેતાઓ સાથે મોદીએ ગોઠવી લીધું, તેને કારણે મોદી કાયદાની પકડથી બચી શક્યા, જ્યારે અમિત શાહને થોડો વખત સાબરમતી જેલ સેવવાની આવી. આ અંદેશો છે ને તેના કોઈ પુરાવા નથી, એ ખરું.
2002થી શરૂ થયેલી કોમવાદ અને અહંકારના સંયોજનની યાત્રા ઉપર વિકાસના વાઘા પહેરાવાય કે અસ્મિતાના, મને મારી સીધીસાદી સમજથી સ્પષ્ટ દેખાતું હતું કે આ માણસ ગુજરાતના બહુમતી લોકોને મૂરખ બનાવી રહ્યો છે. મૂરખ બનનારો પણ મોટો સમુદાય હતો. તેમાંથી જે સ્વાર્થ ખાતર મૂરખ બનતા હતા, તેમના માટે મારા મનમાં આશ્ચર્ય કે સવાલ ન હતા. ખરો ખેદ જેમને હું મારા જેવા-આપણા જેવા લોકો ગણતો હતો, તેવાએ જાણેઅજાણે મોદીના ડાબલા પહેરી લીધા તેનો થયો.
ડાબલા પહેરવાના કારણમાં કોંગ્રેસ પ્રત્યેના વાજબી અભાવથી માંડીને ડાબેરીઓની આત્યંતિકતા પ્રત્યેના વાજબી અભાવ જેવાં ઘણાં કારણ હશે, પણ છેવટે એ બધા હરીફરીને મોદીના ખોળામાં જ લાંગર્યા, ઠર્યા અને મોદીની ખરાબમાં ખરાબ ચેષ્ટાઓના અને પગલાંના કંઠીબંધા બચાવકર્તા બની રહ્યા. પછી તો મોદી સાથે તેમણે જાતને એવી એકરૂપ કરી દીધી કે મોદીની ટીકાને તે પોતાનું અપમાન સમજવા લાગ્યા. મોદીનાં બચાવને તેમણે વધુ ને વધુ માત્રામાં પોતાની આબરૂ સાથે સાંકળી લીધો અને તેમાં-એટલી બાબત પૂરતા, ભક્તિપ્રેરિત દુર્બુદ્ધિના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
રાહુલ ગાંધી મહાન નેતા નથી. પણ તેમનાં પ્રવચનોની દુષ્ટતાપૂર્વક એડિટ કરેલી વિડીયો મોટા પાયે બતાવી બતાવીને તેમને ડફોળ સાબીત કરી દેવામાં આવ્યા. હજુ પણ કેટલાક લોકો માને છે કે રાહુલ ગાંધીએ બટાટા છીણો ને સોનું નીકળે એવું કહ્યું હતું. પરંતુ દેશના વડા તરીકે, વાદળો હોવાથી રડારમાં વિમાન નહીં પકડાય, એવી વાત હોંશિયારી મારવા કરનાર કેવડો મોટો ને દેશ માટે કેટલો નુકસાનકારક ડફોળ કહેવાય તે આ ભકતોને નહીં દેખાય. ભક્તોની દરેક દલીલના તાર્કિક જવાબ હોય છે, પણ તેમને તર્ક સાથે કશી લેવાદેવા હોતી નથી. ઘણાને તો જે લખ્યું છે તે વાંચવા-સમજવા જેટલી પણ પરવા હોતી નથી. ભક્તિનું ભૂત જ માથે સવાર હોય છે. એટલે, ઘણા સમયથી ભક્તોને જવાબ આપવાનું બંધ કર્યુ છે.
*
2002થી 2024 સુધી મોદી વિશેનું મૂલ્યાંકન બદલાય એવું કશું તેમણે કર્યું નથી. ભપકાબાજી, રેકોર્ડબ્રેક સ્વમોહ, આસમાનને આંબતો અહંકાર, સડકછાપ ભાષણો, નક્કર મુદ્દા વિશેની સમજ કે સમજવાની ઇચ્છાનો અભાવ અને કોઈનું નહીં સાંભળવાની જિદ-- આ બધાને કારણે નરેન્દ્ર મોદી જે કંઈ કરે તે સમજવું મારા માટે બહુ સહેલું બની જતું. તે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરે કે નોટબંધી, સૌથી પહેલાં તેમાં પોતાની જાતનો જયજયકાર હોય-ઇતિહાસપુરુષ બનવાની ખદબદતી, અફાટ લાલસા હોય. બીજું બધું પછી.
સત્તાધીશ તરીકેની પ્રાથમિક ફરજોમાં પણ હદ બહારની બેશરમથી જશ લૂંટવાનું મોડેલ મોદી મોડેલનો એક હિસ્સો છે. શિક્ષકોને અપોઇન્ટમેન્ટના કાગળ પહેલાં ટપાલી આપતા હતા. મુખ્ય મંત્રી તરીકે મોદીએ ગાંધીનગરમાં કાર્યક્રમો યોજીને શિક્ષકોને અપોઇન્ટમેન્ટ લેટર આપવાના શરૂ કર્યા, કેમ જાણે તેમની કૌટુંબિક પેઢીમાં નોકરી આપતા હોય. આવાં તો એટલાં બધાં ઉદાહરણ છે કે લખતાં થાક લાગે. જાતનો જયજયકાર કરવા માટે અને સતત ચર્ચામાં રહેવા માટે કંઈક મોટું તો કરવું પડે. અને તે કંઈક કરવાથી લોકોને થોડોઘણો ફાયદો થાય. એટલે ભક્તપ્રજા ગુણગાન ગાવા બેસી જાય અને પંડિત વિશ્લેષકો પોતાના પાંડિત્યના માપદંડથી તેને માપવા બેસી જાય. ભક્તો તે ફાયદો ગણાવ્યા કરે ને મને તે ફાયદા પાછળનો મૂળ આશય તથા મિસમેનેજમેન્ટ દેખાય. લાંબા ગાળે ભક્તોને પણ કદાચ તે દેખાય, પણ દેખાય તોય સ્વીકારે નહીં તેનું નામ તો ભક્ત. બાકી, બીઆરટીએસ જાતના જયજયકાર માટે નહીં, પણ લોકો માટે બનાવી હોત તો અમદાવાદની બસ વ્યવસ્થાની આવી હાલત ન થઈ હોત. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર માટે બનાવ્યું હોત તો લોકો ત્યાંથી પાછા આવીને સરદારની મહાનતાની વાતો કરતા હોત—ત્યાંના બગીચા ને ઝૂની અને મોંઘી ફીની નહીં.
એક મોટા ઉદાહરણથી વાત કરીએ તો, નોટબંધી થઈ ત્યારે અમારા પરિચિત-આદરણીય સ્નેહીઓથી માંડીને સ્વામિનાથન અંકલેસરિયા-ઐયર જેવા એકંદરે સારા લેખકો પણ મોદીએ કેવું મહાન પગલું લીધું અને તેનાથી દેશને કેટલો ફાયદો થશે, તેનાં અર્થશાસ્ત્રીય ગણિતો સમજાવવા બેસી ગયા. પહેલી વાર નોટબંધી જાહેર કરી ત્યારે મને પણ થયું કે ભલું થયું, ભાંગી જંજાળ. કારણ કે મોટી રકમની નોટો ભ્રષ્ટાચાર માટે બહુ સુવિધારૂપ બનતી હોય છે. પણ પછી તો મોદીએ બે હજારની નોટ જારી કરી. એટલે બહુ ઝડપથી, કશી આંતરસૂઝ કે ઊંડી પંડિતાઈથી નહીં, પણ મોદીના અહંકારી, સ્વમુગ્ધ અને નિતાંત સ્વાર્થી સ્વભાવ વિશેની પાકી ખાતરીને કારણે, તે વખતે મિત્રોને કહ્યું હતું કે તમે ખોટાં ચકલાં ચૂંથો છો. તમે જે ગણતરી કરો છો તેની મોદીને કશી પરવા નથી. તેમને તો છાકો પાડવો હતો અને બીજા પણ કેટલાક હેતુ હતા. તપાસી લેજો, તેમણે તે વખતે જાહેર કરેલો એક પણ હેતુ બર આવ્યો નથી--અને મહેરબાની કરીને તેનાથી ડિજિટલ પેમેન્ટ વધ્યું છે એવું ન કહેતા. કારણ કે, તે તો નોટબંધીની જાહેરાતની બહુ પછી આવેલો વિચાર હતો.
એડીસી બેન્કમાં જમા થઈ ગયેલા અઢળક રૂપિયાથી માંડીને કંઈ કેટલીય સ્ટોરીઓ ફોલો અપ વગર દબાઈ ગઈ. પણ ભક્તિ કોને કહી છે? નહીં સ્વીકારવાનું એટલે નહીં સ્વીકારવાનું. મોદીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર અભૂતપૂર્વ માત્રામાં વધ્યો --અને આવું હું નથી કહેતો. સરકાર સાથે કામ પાડનારા અનેક લોકોએ કહ્યું છે. તમે પણ તપાસ કરી જોજો. સરકારી રાહે ચાલતા શિક્ષણ અને આરોગ્યની ઉપર રહીને ઘોર ખોદી નાખવામાં આવી--અને તો પણ તેની ગંભીરતા સમજ્યા-સ્વીકાર્યા વિના, ભક્તો વિકાસ-વિકાસના મંજિરા વગાડતા રહ્યા. અલ્યાઓ, શિક્ષણ ને આરોગ્ય વિના કેવો વિકાસ? આ બંને ક્ષેત્રોની શી સ્થિતિ છે તે એ ક્ષેત્રો સાથે સંકળાયેલા કોઈ પણ માણસને પૂછી જોજો.
*
સો વાતની એક વાત એક જ છે કે શાસક ગમે તે હોય, તેને માપમાં રાખવાનો હોય. તેને યાદ અપાવવાનું હોય કે તું અમારો રાજા નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ છું. તારી સત્તાનો મદ કાબૂમાં રાખજે. આવો સંદેશો મોદી જેવા અહંકારીઓને તો ખાસ આપવાનો હોય. પણ ભક્તોએ આંખે પટ્ટી બાંધીને મોદીનો અહંકાર પોષ્યો. દસ વર્ષમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત ન હોય તેવા અહંકારી ડરપોક માણસમાં કેટલીય મહાનતાનું આરોપણ કરી નાખ્યું ને છેલ્લે છેલ્લે તો પ્રેસ કોન્ફરન્સ ન કરી તે કેમ સારું છે, તે પણ શોધી કાઢ્યું. આવા ભક્તો જેને મળે તેનું શું થાય? અખાએ કહ્યું હતું તેમ, ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો...વાળો ઘાટ થયો. એટલે જ, છેલ્લે છેલ્લે તો તેમણે પોતે જાહેર કરી દીધું કે તે ભગવાને ખાસ કામ માટે મોકલેલા જણ છે. બાયોલોજિકલ એટલે કે માના પેટે જન્મેલા નથી. ભક્તો પણ એવા કે તેમને રામ અને મોદી વચ્ચે પસંદગી કરવાની આવે, તો તે મોદીની પસંદગી કરે. આ કલ્પના નથી. મોદીની આંગળી પકડીને ચાલતા રામનું ચિત્ર જોઈને કેટલા ભક્તોએ ટીકા કરી હતી?
આવા અહંકારી અને ઝેર ફેલાવનારા શાસકને એક મોટા વર્ગ તરફથી સતત મળેલા સતત પોષણ અને પ્રોત્સાહન લીધે દેશની અને સમાજની દશા બેઠી. આઇટી સેલનાં જૂઠાણાં, કોમી ઝેર અને ટ્રોલિંગ દેશભક્તિ ગણાવા લાગ્યાં. આપણા દેશની બંધારણીય સંસ્થાઓને, શાસકોના ઉત્તરદાયિત્વ સહિતનાં અનેક લોકશાહી મૂલ્યોને અને ખાસ તો સમાજના પોતને ગંભીર નુકસાન પહોંચ્યું છે. હવે મોદીની ત્રીજી મુદત શરૂ થઈ છે. તે જે ઉંમરે પહોંચ્યા છે, તે જોતાં હવે તેમની સુધરવાની શક્યતા નહીંવત્ છે. પ્રાણ અને પ્રકૃતિ ભેગાં જ જાય.
ભક્તો ભક્તિપરંપરામાં વિચારે છે કે મોદી જીત્યા છતાં તેમના ટીકાકારોને મઝા કેમ આવે છે. પણ તેમને ક્યાંથી સમજાય કે આજકાલ નીતિશ અને નાયડુ સામે મોદી જે રીતે અહંકારને અભરાઈ પર ચડાવીને, બોલે તો વિનમ્ર હોકે, વાત કરે છે તે જોવાની અને બદલાયેલી બોડી લેન્ગ્વેજ જોવાની મઝા આવે છે. મોદી સરકારને બદલે એનડીએ સરકાર બોલતા અહંકારના પોપડા ખરી ગયેલા પૂતળાને જોવાની મઝા આવે છે. પોતાના ફોટામાંથી બધાને દૂર કરતા જણને ચડી ચડીને ગ્રુપ ફોટા પડાવતા જોવાની મઝા આવે છે.
આવતી ચૂંટણી બહુ દૂર છે. પણ ગુજરાતે 26માંથી 25 બેઠક આપી છે--ભલે થોડી લીડ ઘટાડી છે--ત્યારે આટલી વાત ફરી એક વાર શેર કરવા જેવી લાગી. મારું કામ મોદીને હરાવવાનું નથી. મોદી હારે તો આગળ લખેલાં કારણસર મને બહુ આનંદ થાય, પણ મારા કે કોઈના લખવાથી-બોલવાથી તે હારે, એવા ભ્રમમાં હું કદી નહોતો અને નથી. એટલે 'તમે ગમે તે લખો, પણ આવશે તો મોદી'—એવી ભક્તસહજ દલીલની મારી પર સ્વાભાવિક રીતે જ કશી અસર નથી થતી.
મોદી નહીં તો કોણ, એ દલીલ ભક્ત ન હોય એવા લોકોમાં પણ બહુ ચાલે છે. મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે આવ્યા ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી બની શકે એવા પાંચ-સાત નેતાઓ હતા—અને હું ફક્ત ભાજપનો આંકડો આપું છું. તે વડાપ્રધાન બન્યા ત્યારે પણ ભાજપમાંથી વડાપ્રધાન બની શકે એવા બીજા નેતાઓ હતા. તે બધાનું શું થયું, તે સૌ જાણે છે. હકીકત તો એ છે કે ગુજરાતમાં અને દેશમાં અનેકવિધ મોરચે મોદીના શાસનકાળમાં જેટલું નુકસાન થયું છે, એટલું નુકસાન બીજું કોઈ કરી શકે એમ નથી. પોતાનો સિક્કો જમાવવાની લ્હાયમાં ને બધી સત્તા પોતાની પાસે કેન્દ્રિત કરવાની લ્હાયમાં તેમણે સ્થાપિત માળખાંનો અંત આણ્યો છે, તે એકાદ દિવસના સમાચાર બનીને રહી જતું હોય છે.
ચૂંટણી પંચ જેટલું દબાયેલું ને આજ્ઞાંકિત આ ચૂંટણી વખતે દેખાયું, એટલું કદી નજીકના ભૂતકાળમાં ન હતું. તેનું કામ ચૂંટણીની કેવળ માળખાકીય સુવિધાઓ ગોઠવવાનું ને સાચી ગણતરી કરવાનું નથી. ચૂંટણીની આચારસંહિતાનું રોજેરોજ ચીરહરણ કરનારા સામે આંખ આડા કાન કરીને ચૂંટણી પંચે પોતાની વિશ્વસનિયતાની ઘોર ખોદી છે. તે હકીકતમાં આવેલાં પરિણામોથી કશો ફરક પડતો નથી.
સત્તાની ટીકા કરવાની વાતને હું કદી બહાદુરી કે તેજાબી કલમ સાથે સાંકળતો નથી. મારા માટે તે સાદી સમજ અને પ્રતીતિ—કોમન સેન્સ અને કન્વિક્શન—નો મામલો છે. પણ કોરોના કે રાજકોટ કે મોરબી જેવું કંઈક થાય ત્યારે સરકારની બેધડક ટીકા કરનારા તરીકેની વાહવાહ લૂંટનારા મોદી અને અમિત શાહની વાતમાં કેવા લાઇનમાં ઊભા રહી જાય છે, લાગ આવ્યે કેવાં ભક્તિગીતો ગાઈ નાખે છે—અને છતાં લોકો પર વીર-સરકારથી-નહીં- બીવાવાળાની છાપ ઉપસાવી શકે છે. એ જોઈને થાય છે કે આપણી પ્રજાનો અમુક વર્ગ મૂર્ખ બનવા માટે જ સર્જાયેલો છે. આ લોકો તેને મૂર્ખ નહીં બનાવે તો તે બીજા કોઈ મૂર્ખ બનાવનારને શોધી લેશે.
ઝાઝું લખ્યું છે, થોડું કરીને વાંચજો અને વિચારજો.

7 comments:

  1. Anonymous1:49:00 PM

    આપ એક સારસ્વત તરીકે સત્યની સાથે ચાલો છો, બીજા અન્ય સારસ્વત વ્યક્તિઓ સત્તા - સુંદરતા કે સફળતા પાછળ ચાલે છે...

    ReplyDelete
  2. Hiren Joshi7:36:00 PM

    I am not a Mody bhakt and agree with few of your opinions and observations. His face is now worth thousand words and seems uneasy to forced dependence and compromise. I could not agree more on:
    આજકાલ નીતિશ અને નાયડુ સામે મોદી જે રીતે અહંકારને અભરાઈ પર ચડાવીને, બોલે તો વિનમ્ર હોકે, વાત કરે છે તે જોવાની અને બદલાયેલી બોડી લેન્ગ્વેજ જોવાની મઝા આવે છે.

    ReplyDelete
  3. Very detailed analysis with factual arguments. It will be interesting to see what happens in next few months or near future, as NDA government is comprised of by people of different ideologies.

    ReplyDelete
  4. Dipak dholakia3:56:00 PM

    Good write up. In fact, Modi is a representative of our narcissistic society. We,as a community, cannot accept that others - individuals, communities, countries - can be equally good and that there is always something that we can learn from others. Realising it, may bring down our own image in our eyes. This is what Modi is. Right from 1989 there have been alliance governments. They ran and nobody complained about the alliances because prime minsters were not arrogant and could understand other's viewpoint. Modi fails in accepting others as equal.

    ReplyDelete
  5. શ્રીમાન ઉર્વીશભાઈ,
    નરેન્દ્રમોદી અંગેના આપશ્રીના જૂન'૨૦૨૪ના બ્લોગથી અસમંત થવું કોઈપણ બુદ્ધિશાળી માણસ માટે મુશ્કિલ છે. આપશ્રીના તમામ તારણ ૧૦૦% નગ્ન સત્ય હકીકત છે. નરેન્દ્ર મોદી હૂડ બહારનું અહંકાર દેશની માથે પડેલ છે. તેમ કોંગ્રેસ ૨૦૦૨ ના ગોધરાકાંડ પછીના હુલ્લડો પછી મોદી વિરુદ્ધ પગલાં લેવા જોઈતા હતા. સરકારને બરખાસ્ત કરવાની જરૂર હતી પરંતુ, બાય ડિફૌલ્ટ કોંગ્રેસસને કેન્દ્ર માં સત્તા પ્રાપ્ત થઈ જતી હતી એટલે કોંગ્રેસે ગુજરાતનાં બનવોના પ્રત્યાઘાત આપવામાં સંપૂર્ણ દુર્લક્ષ સેવેલ હતું. આમેય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કેન્દ્રની સત્તા માટેની જે પ્રબડ ઇછાશક્તિ જોઈએ તેનો અભાવ છે. કે. નટવરસિંગે રાહુલ માટે કહેલી વાત કે ' there is no fire in his belly' સચોટ છે. મોટાભાગના લોકો મોદી સરકારની ગંજાવાટ , ભ્રસ્ટાચાર ના નાણાંના લાભાર્થી છે. આઅ લાભાર્થીઓનો ગડકરી ને બીજા કેન્દ્રીય પ્રધાનો અને પ્લમ પોસ્ટિંગ મેળવેલા આઈ એ એસ , આઈ પી એસ અધિકારીયો પણ છે. આ લોકોને મોદીનું અહંકાર અને અનઆવડત સહન કરવામાં કોઈ વાંધો નથી.

    ReplyDelete
  6. Anonymous9:43:00 PM

    Really true, who can change demographic changes in every state? Who should be next to modi?

    ReplyDelete
  7. Anonymous4:29:00 AM

    'It's Easier to Fool People Than to Convince Them That They Have Been Fooled' - a very true statement by some wise man. ' Modi Bhakts belongs to this category.

    ReplyDelete