Monday, August 16, 2021

તાલિબાનો વિશેની શ્રેણી : વીસ વર્ષ પહેલાં

(ફેસબુક પરની પોસ્ટ- જૂના લેખના કટિંગ સાથે)

 અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પહેલી વાર ઉપાડો લીધા પછી, 2001માં 'સંદેશ'માં તેમના વિશે ત્રણ ભાગની લેખમાળા લખી હતી  તેના બે ભાગનાં કટિંગ અહીં નમૂના ખાતર મુક્યાં છે. (ત્રીજો ભાગ સચવાયો હોત તો સારું થાત. પણ તે કોઈ કારણસર સચવાયો નથી.) ત્યારે તાલિબાનો વિશે થોડુંઘણું વાંચ્યા પછી જે અભિપ્રાય હતો, તે 2021માં પણ બદલાયો નથી--તે બદલવા માટેનું કોઈ કારણ મળ્યું નથી.

ઇસ્લામનું સૌથી વરવું-સૌથી ભયંકર અર્થઘટન અમલમાં મુકતા તાલિબાનો ખરેખર તો ઇસ્લામના અને માનવ અધિકારના નામે કલંકરૂપ છે. તેમની લોહીયાળ રૂઢિચુસ્તતા કમકમાટી ઉપજાવે એવી રહી છે.  અમેરિકાની ગમે તેટલી દુષ્ટતાથી તાલિબાની આતંકવાદ વાજબી કે ક્ષમ્ય ઠરતો નથી.

'તાલિબાનોને એક તક આપવી જોઈએ' અથવા 'અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું, ત્યાર પહેલાં તે શાસકો હતા. એટલે તે પણ અફઘાનિસ્તાની શાસનના પક્ષકાર (સ્ટેક હોલ્ડર) છે'--આવી દલીલો ગમે તેટલા પાંડિત્ય સાથે કરવામાં આવે તો પણ, તેમાં તાલિબાની આતંક સામે અફઘાનિસ્તાનના સ્થાનિક લોકોની દુર્દશા નજરઅંદાજ થઈ જાય છે. તાલિબાનોની ભયંકરતાનો કોઈ પણ ફુદડી વિના, જો અને તો વિના, બિનશરતી વિરોધ જ કરવાનો હોય. તેમના ખૂણાખાંચરાના ગુણ શોધી કાઢવા, એ તો હિટલરના શાકાહારીપણાના વખાણ કરવા જેવું થાય.

ધર્મનાં વરવાં અર્થઘટન કરતાં, ધાર્મિક લાગણીઓ બેફામ બહેકાવતાં તત્ત્વોના હાથમાં રાજસત્તા આવે, તો કેવું પરિણામ આવે, સતેનો બોધપાઠ તાલિબાનમાંથી લઈ શકાય છે. તાલિબાનો જે શીખરે પહોંચી ચૂક્યા છે, તે દિશાની ધીમી ગતિ પણ આપણા માટે ઉજવણાંનું અને ગૌરવનું નહીં, ચિંતાનું અને આત્મખોજનું કારણ હોવી જોઈએ. સવાલ માત્રાભેદ કરતાં વધારે પ્રકારનો અને દિશાનો હોય છે. એ દિશામાં ગતિ શરૂ થાય અને આગળ વધે, ત્યારે યોગ્ય પગલાં ન લેવાય તો ઘણી વાર બહુ મોડું થઈ જતું હોય છે. પછી થતી દુર્દશામાં કોઈ મદદ કરી શકતું નથી.

 

Tuesday, August 10, 2021

એક જંગલની વાર્તા

એક જંગલ હતું. તેમાં એક શિયાળ રહેતું હતું. તેને જંગલના રાજા થવાના બહુ કોડ હતા. એ જંગલમાં વાઘ-સિંહની વસ્તી ન હતી. થોડા ઉંમરલાયક હાથીઓ હતા. તેમાંથી કેટલાક ઉંમરને કારણે ધોળા થઈ ગયા હતા. તે થોડુંઘણું કામ કરતા હતા. તેમને પાલવવાનો ખર્ચ બહુ મોટો હતો. છતાં, તેમનાથી વધારે તાકાતવાન કોઈ ન હોવાથી, બીજાં પ્રાણીઓ સાથે મળીને તે જંગલનો વહીવટ ચલાવતા હતા.  શિયાળોને હાથીરાજ સામે બહુ વાંધો હતો. તેમને થતું હતું કે પહેલેથી શિયાળવાંની ઉપેક્ષા થતી આવી છે. તેમને લુચ્ચાં, કિન્નાખોર, દુષ્ટ ગણવામાં આવ્યાં છે. વર્ષોથી તે જંગલમાં પોતાની હાજરી—જે ઘણાને ન્યૂસન્સ વૅલ્યુ લાગતી હતી—પુરાવતાં રહ્યાં છે. છતાં જંગલમાં તેમના પ્રદાનની કોઈએ કદર કરી નથી. કેટલાંક વૃદ્ધ શિયાળ જંગલના ઇતિહાસમાં પોતાના વડવાઓના પ્રદાન વિશે—એટલે કે પ્રદાન ન હોવા વિશે--શરમ અનુભવતાં હતાં. પણ બદલાયેલાં સમયનાં શિયાળો એમ ગાંજ્યાં જાય એવાં ન હતાં. તેમાંથી એક શિયાળને થયું કે હાથીઓ સાથે તેમની પીચ પર રમવા જઈશું, તો સાત જનમેય આપણો વારો નહીં આવે. એને બદલે હાથીઓ આપણી શરતે રમવા આવે, એવું કંઈક કરવું જોઈએ.  

મુખિયા બનવા માગતા શિયાળે પસંદ કરેલા કેટલાક સાગરીતો સમક્ષ આ વાત મૂકી, ત્યારે પહેલાં તો સન્નાટો છવાઈ ગયો. કારણ કે ત્યાર પહેલાં શિયાળાઓએ એક જ દિશામાં કામ કર્યું હતું. જંગલમાં વિવિધ પ્રાણીઓ વચ્ચેની દુશ્મનાવટ કેમ કરીને વધે, તે માટે તે પ્રયત્નશીલ રહેતાં. આમ કરવામાં તેમને ફાયદો એ હતો કે ધીમે ધીમે પ્રાણીઓનો એક સમુહ કાળા-ધોળા હાથીઓની નેતાગીરી પ્રત્યે અવિશ્વાસ સેવતો થઈ ગયો હતો. તેમને થવા લાગ્યું હતું કે હાથીઓ નકામા છે. એટલું જ નહીં, ઘણા પ્રાણી સમુદાયોની અવદશા માટે તે સીધેસીધા જવાબદાર છે. તેમના કારણે જંગલની દશા બેઠી છે અને આવું જ ચાલ્યું તો જંગલમાંથી અમુક પ્રાણીઓની પ્રજાતિઓનું નામોનિશાન એવી રીતે મટી જશે, જેમ ડાયનોસોર પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ ગયાં.

આમ, વાતાવરણ થોડુંઘણું તૈયાર થયેલું હતું. તેમાં મુખિયા બનવા માગતા શિયાળે આયોજન રજૂ કર્યું, એટલે શિયાળો વિચારમાં પડી ગયાં. પ્લાન અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો અને સફળ થાય તો જંગલમાં શિયાળરાજ સ્થપાઈ જાય, તે નક્કી હતું. પણ તેના માટે જંગલના જે કંઈ ધારાધોરણો છે તે બધાં સદંતર નેવે મૂકી દેવાં પડે. શિયાળ સમુદાયને અમસ્તો પણ ધારાધોરણો માટે ખાસ પ્રેમ ન હતો. છતાં, તેમને લાગતું હતું કે તેમને સાવ નેવે મૂકી દેવાય? મુખિયા થવા માગતા શિયાળે સમજાવ્યું કે આ તો થોડા સમયનો સવાલ છે. એક વાર જંગલમાં શિયાળરાજ થઈ ગયા પછી આપણે નવેસરથી, આપણને અનુકૂળ પડે એવી રીતે ધારાધોરણો લાવીશું અને તેનો કડકાઈથી અમલ પણ કરાવીશું.

એક વૃદ્ધ શિયાળ આ બધું સાંભળી રહ્યું હતું. તેણે વર્ષોથી મુખિયા થવાનું સપનું જોયું હતું, પણ તે કદી પૂરું થયું ન હતું. તેને લાગ્યું કે કદાચ શિયાળરાજ આવી જાય તો તેનું સપનું સાકાર થાય. એટલે તેણે પણ મહત્ત્વાકાંક્ષી શિયાળને ટેકો આપ્યો. ત્યારે તેને ખ્યાલ ન હતો કે શિયાળ સમુદાયની અને જંગલના હિતની વાત કરી રહેલા શિયાળના મનમાં શી ગણતરી હતી. મુખિયા બનવા થનગનતા શિયાળે પણ પોતાની મુખિયાગીરી જાહેર કરવાને બદલે, શિયાળ સમુદાય વતી, તેના હિત માટે આખું આયોજન હોવાનો ડોળ ચાલુ રાખ્યો. ઝરખ જેવાં કેટલાંક હિંસક પ્રાણી સમુદાયોનો શિયાળ સમુદાયને બિનશરતી ટેકો હતો. કારણ કે તેમને લાગતું હતું કે જંગલમાં હાથીરાજ જશે અને શિયાળરાજ આવશે તો તેમના પણ સારા દિવસો શરૂ થશે.

કેટલાંક જિજ્ઞાસુ શિયાળોએ મુખિયા બનવા માગતા શિયાળને પૂછ્યું કે આ બધું તો બરાબર, પણ આપણે કરવાનું શું? તેનો જવાબ હતોઃ આપણે જે કંઈ કરીએ તે જંગલના હિતમાં છે, એવું ગાઈવગાડીને કહેતા રહેવું પડશે. હાથીઓએ જંગલને કેટલું બરબાદ કર્યું છે અને જંગલમાંથી હાથીઓને શા માટે હાંકી કાઢવા જોઈએ, તે સમજાવવા મચી પડવાનું રહેશે. તે માટે હજારોની સંખ્યામાં પોપટોને કામે લગાડવા પડશે, જે આખો દિવસ આપણું પઢાવેલું રટ્યા કરે. આપણે ભૂલથી કે ઉંઘમાં પણ, કોઈ પણ હિસાબે સાચું ન બોલી જઈએ તેનું ધ્યાન રાખવું પડશે અને જૂઠાણું શક્ય એટલા વધારે જોરથી બોલવાનું રહેશે. આ કામ માટે અઢળક સામગ્રીની અને સાગરીતોની જરૂર પડશે. જંગલમાં જુદા જુદા ઠેકાણે શિયાળ-ઝરખ-વરૂ જેવાં પ્રાણીઓની ટુકડીઓ ઊભી કરવી પડશે, જે જંગલના કોઈ પણ ખૂણે આપણા વિશે વાત થતી હોય ત્યાં જઈને આતંક મચાવે અને આપણો કક્કો ખરો કરાવીને જંપે. કોઈ વાત ન કરતું હોય ત્યાં જઈને પણ તેમણે દરેકેદરેક બાબતમાં શિયાળોનું મહિમાગાન કરવું પડશે. જંગલમાં વરસાદ પડે તો શિયાળોને કારણે પડ્યો અને દુકાળ પડે તો તે હાથીઓને કારણે, એવું બધું લોકોને સતત ઠસાવ્યા કરવું પડશે. જંગલનાં બધાં પ્રાણીઓને લાગવું જોઈએ કે શિયાળ જ ઉદ્ધારક છે અને શિયાળરાજ આવશે તો જંગલનો ઉદ્ધાર થઈ જશે. પણ એવું ન થયું તો જંગલનું નામોનિશાન મટી જશે.

આ પ્રમાણેનું આયોજન સફળતાપૂર્વક અમલમાં મુકાયું. ત્યાર પછી શિયાળની વાર્તા ચાલુ છે, પણ જંગલની વાર્તા પૂરી થઈ ચૂકી છે.

Tuesday, August 03, 2021

જૂઠું બોલવાના ક્લાસ

મથાળું વાંચીને કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની વાત હોય એવું લાગી શકે છે. એટલે પહેલી સ્પષ્ટતા એ કે આ કોઈ પક્ષની કે ‘સાંસ્કૃતિક સંગઠન’ની જાહેરખબર નથી. ત્યાં તો થિયરીનો નહીં, પ્રૅક્ટિકલનો મહિમા હોય છે. જૂઠું બોલવા માટે તેમને તાલીમ નથી લેવી પડતી કે અભ્યાસ નથી કરવો પડતો. તેમનાં વૈવિધ્યપૂર્ણ, મૌલિક જૂઠાણાં પરથી થિયરીબાજો થિયરી બનાવીને અભ્યાસક્રમ તૈયાર કરી શકે છે. ગાંધીજી જેમ સત્યાગ્રહ થકી નવો ઇતિહાસ રચવાની અભિલાષા સેવતા હતા, તેમ વર્તમાન ભારતીય આગેવાનો અસત્યાચરણ દ્વારા નવો ઇતિહાસ સર્જી રહ્યા છે—અને તેમાં સફળતાના મામલે તેમણે ગાંધીજીને પાછળ છોડી દીધા છે.

સામાન્ય સ્થિતિનો છોકરો કે છોકરી મોટી સફળતા મેળવે, તેનાથી બીજા સેંકડો છોકરા-છોકરીઓના મનમાં પણ એવી સફળતાની ઇચ્છા જાગે છે. એટલું જ નહીં, પહોંચની બહાર લાગતી સફળતાની તેમને આવા કિસ્સા જાણ્યા પછી પહોંચમાં લાગવા માંડે છે. એવું જ રાજકારણમાં થાય તો? અત્યારે રાજકારણમાં કારકિર્દી બનાવવા માટે અઢળક નાણાં વાપરવાની, વાપરવા માટે સંઘરવાની અને સંઘરવા માટે ઉઘરાવવાની-ખંખેરવાની આવડતની જરૂર પડે છે. પરંતુ કેટલાક નેતાઓની સફળતાની કથાઓ સાંભળીને સામાન્ય સ્થિતિનાં છોકરા-છોકરીઓને ચા કે પકોડા કે કેરી વેચતાં વેચતાં ઉપર સુધી પહોંચવાનાં અરમાન જાગે તો શું? તેમની આર્થિક સ્થિતિ એવી હોય નહીં કે તે રૂપિયાનો રાજમાર્ગ બનાવીને આગળ વધી શકે. પરંતુ આસપાસ જોતાં અને થોડો વધુ અભ્યાસ કરતાં તેમને સમજાશે કે અત્યારે જૂઠું બોલવાનો જબરો મહિમા છે. જે રીતે, ઠંડા કલેજે, પેટનું પાણી પણ ન હાલે ને કપાળે કરચલી સરખી ન પડે એ રીતે, ટાંટિયા ઢીલા ન થાય કે ધ્રુજે નહીં એમ, છાતી કાઢીને, મુઠ્ઠી પછાડીને, ગળું ફાડીને જૂઠું બોલાઈ રહ્યું છે, તે જોતાં રાજકારણમાં જવા માટે જૂઠાણામાં માસ્ટરી હોવી એ તેમને અનિવાર્ય શરત પણ લાગે.

જે અભ્યાસક્રમો કર્યા પછી પણ કશો શક્કરવાર વળવાનો નથી, તેમની પ્રવેશપરીક્ષામાં પાસ થવા માટે મોંઘાદાટ ક્લાસ ચાલતા હોય તો, અબજો રૂપિયાનો મામલો જેની સાથે સંકળાયેલો છે એવા રાજકારણના ક્ષેત્રમાં જવા માટે ક્લાસ ન હોવા જોઈએ? ના, એ ક્લાસમાં નાગરિકશાસ્ત્ર કે રાજ્યશાસ્ત્ર શીખવવાની કશી જરૂર નથી. કોઈ પણ ચબરાક વિદ્યાર્થીને તે સમયનો અને શક્તિનો બગાડ લાગશે. ઉત્સુક વિદ્યાર્થીઓની અપેક્ષા એવી જ રહેવાની કે ‘દેશની ટોચની નેતાગીરી જે પ્રકારે, જે માત્રામાં અને જે કક્ષાનું જૂઠું બોલે છે, તે સ્તરે અમારે પહોંચવું છે. ત્યાર પછી બાકીનું અમે ફોડી લઈશું. ત્યાં પહોંચી ગયા પછી ડિગ્રીઓ વિશે પણ જૂઠું ક્યાં નથી બોલી શકાતું?’ 

જે વિદ્યાર્થીઓ આગળ જણાવ્યા પ્રમાણે જૂઠાણાંનો મહિમા સમજી-સ્વીકારી શકે, તે ઉદારમતવાદીઓ જેવા ચોખલિયા, સરકારવિરોધી, હિંદુવિરોધી, દેશવિરોધી, અર્બન નક્સલ નહીં હોવાના. કેમ કે, દુષ્ટ ઉદારમતવાદીઓ કોઈ પણ મુદ્દાને અવળી રીતે રજૂ કરવામાં માહેર હોય છે. એ ડાબેરી, નક્સલ, રાજદ્રોહના કેસને લાયક દેશવિરોધીઓ પૂછશે, ‘મંત્રી થઈને જૂઠું કેમ બોલો છો?’ આ સવાલમાંથી દેશભક્તિનો હળહળતો અભાવ છલકાય છે. કોઈ પણ રાષ્ટ્રવાદી વ્યક્તિ હશે તે એવી રીતે વિચારશે કે ‘આ નર-નારીઓ કેવાં ઉન્નત, કેવાં ઉમદા, કેવાં લાયક હશે કે તે નરાતળ જૂઠું બોલતાં હોવા છતાં તેમને મંત્રીમંડળમાં સામેલ કરવાં પડ્યાં છે. નક્કી તેમના જૂઠાણા પાછળ પણ એવું કોઈ રહસ્ય હશે, જે દેશહિતમાં જાહેર કરી શકાતું નહીં હોય.’

વર્તમાન બ્રાન્ડનો રાષ્ટ્રવાદ રગેરગમાં, ખાસ કરીને મગજમાં, ચઢી ગયો હોય એ તો વિચારશે, ‘આ કેવા મહાન આત્માઓ છે, જે રાષ્ટ્રના હિતમાં આટલું ઉઘાડેછોગ જૂઠું બોલી રહ્યાં છે. બાકી, આપણને પણ ખબર પડી જાય કે તે જૂઠાણું છે, તો શું તેમને નહીં ખબર પડતી હોય? પણ રાષ્ટ્રના હિતમાં ભવ્ય ત્યાગ કરવાની પરંપરામાં તેમણે સત્યનો ત્યાગ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.’

આમ, સફળતાના રાજમાર્ગ તરીકે અથવા રાષ્ટ્રના સર્વોચ્ચ હિત માટે જૂઠાણું અનિવાર્ય ગણાતાં, તેની પદ્ધતિસરની તાલીમ જરૂરી બની શકે. આ ક્ષેત્રનાં ટોચનાં નામો પાસે ક્લાસ ચલાવવાનો સમય હોય નહીં. તે ક્લાસ ચલાવે કે દેશ? એટલે શિક્ષણની જેમ અહીં પણ ‘જૂઠાણાં-સહાયકો’થી કામ ચલાવવું પડશે. વર્તમાન રિવાજ પ્રમાણે સૌથી પહેલાં કોર્સની સામગ્રી નહીં, પણ તેની ફી નક્કી કરવી પડે અને ક્લાસ જૂઠાણાંના હોવાથી, ફી પહેલેથી લઈ લેવી પડે. બાકી, ક્લાસમાં તેજસ્વી નીવડનારા વિદ્યાર્થીઓ પોતે આવા કોઈ ક્લાસ કર્યા છે તે માનવાનો જ ઇન્કાર કરી દે. બીજા શિક્ષણક્લાસની પરંપરામાં જૂઠાણાના ક્લાસના સંચાલકો પણ વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે જાહેર જીવનના જાણીતા નિષ્ણાતોની પ્રતિભાનો અને ખાસ તો તેમના હોદ્દાનો લાભ લઈ શકે. તે હોર્ડિંગમાં જણાવી શકે કે ‘કોવિડના બીજા વેવમાં ગુજરાતમાં ઑક્સિજનના અભાવે એક પણ મૃત્યુ થયું નથી, એવું જાહેર કરનારા મહાનુભાવ અમારા ક્લાસના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવશે અને ઓછા રસીકરણ માટે રાહુલ ગાંધી જવાબદાર છે, એવું કહેનાર અમારાં વિઝિટિંગ ફૅકલ્ટી છે.’

જૂઠાણાંના ક્લાસને સામાજિક સ્વીકૃતિ મળતાં જરાય વાર નહીં લાગે, એવું વર્તમાન પરિસ્થિતિ જોતાં કહી શકાય. જો આ દિશામાં યોગ્ય કામ થશે તો ભવિષ્યમાં મંત્રીમંડળોની આખેઆખી સમુહ તસવીરને ક્લાસના સંચાલકો ‘અમારા ક્લાસના તેજસ્વી તારલા’ તરીકે ખપમાં લઈ શકશે.

Saturday, July 24, 2021

પત્રકારત્વ-લેખનને પૂરક એવી દસ્તાવેજીકરણની સફર

(ભાગ-૧) (ભાગ-૨) (ભાગ-૩) (ભાગ-૪) (ભાગ-૫) (ભાગ-૬) (ભાગ-૭) (ભાગ-૮) (ભાગ-૯) (ભાગ-૧૦) (ભાગ-૧૧)  (ભાગ-૧૨) (ભાગ-૧૩) (ભાગ-૧૪) (ભાગ-૧૫) (ભાગ-૧૬) (ભાગ-૧૭) (ભાગ-૧૮) (ભાગ-૧૯) (ભાગ-૨૦) (ભાગ-૨૧) (ભાગ-૨૨) (ભાગ-૨૩) (ભાગ-૨૪) (ભાગ-૨૫) (ભાગ-૨૬) (ભાગ-૨૭) (ભાગ-૨૮) (ભાગ-૨૯) (ભાગ-૩૦) (ભાગ-૩૧) (ભાગ-૩૨) (ભાગ-૩૩) (ભાગ-૩૪) (ભાગ-૩૫) (ભાગ-૩૬) (ભાગ-૩૭) (ભાગ-૩૮) (ભાગ-૩૯) (ભાગ-૪૦) (ભાગ-૪૧) (ભાગ-૪૨) (ભાગ-૪૩) (ભાગ-૪૪) (ભાગ-૪૫) (ભાગ-૪૬) (ભાગ-૪૭) (ભાગ-૪૮) (ભાગ-૪૯)

પત્રકારત્વની સફરની શ્રેણી વાંચતી વખતે કેટલાંક મિત્રોએ એવી જિજ્ઞાસા પ્રગટ કરી કે ‘તમે આટલું બધું, જરૂર પડ્યે હાથમાં આવે એ રીતે સાચવ્યું કેવી રીતે? તમે દસ્તાવેજીકરણ શી રીતે કરો છો?’ દસ્તાવેજીકરણની ખાસિયતને કેટલાક લોકો મારું ‘ટ્રેડ સિક્રેટ’ પણ માનતા હોય છે. એ વિશે હું ન લખું અને તે ‘રહસ્ય’ જ રહે, તો તેના નામે ભવિષ્યમાં જેવી વાર્તાઓ કરવી હોય તેવી કરી શકાય. પણ એ વિકલ્પ જતો કરીને દસ્તાવેજીકરણ વિશે લખવાનો પ્રયાસ કરી જોઉં. તેમાં ઘણી અંગત અને પત્રકારત્વની સફરમાં અપ્રસ્તુત લાગે એવી વાતો હશે. પણ તેની બાદબાકી કરીને લખવું શક્ય નથી.

વસ્તુઓ સાચવવાની, ઠેકાણે મુકવાની આદતની શરૂઆત કૌટુંબિક પરંપરાથી થઈ. ઘરમાં મમ્મી, કદાચ દાદી અને અમારા કૌટુંબિક વડીલ કનુકાકા—આ લોકો સાચવણીનાં બહુ આગ્રહી. ઝીણામાં ઝીણી ચીજો સાચવીને સંઘરે. એ જમાનાના રિવાજ પ્રમાણે, ક્યારેક તો વસ્તુઓ વાપરે પણ નહીં. ફક્ત સાચવે. એ રીતે ઘરમાં ઘણું સચવાયેલું. જૂનાં વાસણ, દાદાનું નામ ધરાવતી ક્રૉકરી, દાદાના નામના પ્રથમાક્ષરો CCK ધરાવતી શેતરંજીઓ, પતરાની મોટી પેટીઓ, પપ્પા-કાકાઓ-ફોઈના લગ્નની કંકોત્રીઓ, તેમાં આવેલા ચાંલ્લાની નોટો, જૂનાં પ્રમાણપત્રો…

મમ્મી-પપ્પાનાં લગ્ન વખતની નોટ
દાદાજીના સમયની કીટલી
મારાં મમ્મી ચોક્સાઈનાં જબરાં આગ્રહી. ભારે કામગરાં પણ ખરાં. અત્યારે ૮૨ વર્ષની ઉંમરે પણ તે ખાલી બેઠેલાં ભાગ્યે જ જોવા મળે. જે વસ્તુ જ્યાંથી લીધી ત્યાં જ મૂકવી, એ તેમની પદ્ધતિ. તે બાબતમાં સ્કૂલકાળમાં હું ભારે અવ્યવસ્થિત. તેમને મારી ઘણી ચિંતા થાય. બીરેન મારી સરખામણીમાં ખાસ્સો વ્યવસ્થિત. છ વર્ષ મોટો. વધારે ઠરેલ. તેનામાં પણ સાચવવાના કૌટુંબિક સંસ્કાર હતા. નાનપણમાં તે એક વાર વૅકેશનમાં મુંબઈ કાકાને ઘેર ગયો, ત્યારે પિતરાઈ ભાઈઓ સાથે તેણે જોયેલી અઢળક ફિલ્મોની ટિકિટો ક્યાંય સુધી એક પાકિટમાં સંઘરી રાખી હતી. (એમ તો મેં પણ ‘હેલ્લારો’ની ટિકિટ રહેવા દીધી છે.)

વાચન અને ફિલ્મસંગીતમાં રસ પડવાનું શરૂ થયા પછી મારામાં ખાસ્સો બદલાવ આવ્યો. ફિલ્મસંગીત વિશે ત્યારે ઉપલબ્ધ ટાંચાં સંસાધનો અને આર્થિક મર્યાદાઓ વચ્ચે અમે શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેમાંથી નાના પાયે દસ્તાવેજીકરણ શરૂ થયું. રેડિયો પર જૂનાં ગીત સાંભળતી વખતે, જે ગીત ગમે અને અજાણ્યાં લાગે તેની પહેલી લીટી અને બીજી જે કંઈ વિગત સંભળાઈ હોય, તે અમે એક ચબરખીમાં નોંધી લઈએ. એમ કરતાં ઘણી ચબરખીઓ થાય ત્યાર પછી તેમાંથી સંગીતકાર કે ગાયક પ્રમાણે એક કાગળમાં યાદી બનાવીએ. શા માટે? એક આશય એવો કે ભવિષ્યમાં એ ગીતો મેળવવાનાં છે એવી ખબર પડે. એ વખતે ગુગલ નહીં. ફિલ્મી સાહિત્ય નહીંવત્. એટલે આવી યાદીઓ બનાવવાનો ભારે મહિમા હતો. અમારાથી બમણી-ત્રણ ગણી ઉંમરના લોકો પણ મુકેશની ને કિશોરકુમારની ને રફીની ને શંકર-જયકિશનની ને એવી યાદીઓ બનાવતા. બીજો આશય ફક્ત જાણકારીનો. ત્રણ દાયકા પછી પણ, રેડિયો સિલોનની યુટ્યુબ ચેનલ પર ક્યારેક કોઈ ગીતના શબ્દો કાને પડે, ત્યારે અચાનક બત્તી થાય છે, ‘ઓહ, આ તો ચબરખીમાં લખેલું તે.’

ગરમીની રાત્રે બીરેન અને હું પતરાંની અગાસીમાં સૂતા હોઈએ, સાથે રેડિયો હોય. અંધારામાં કાગળ-પેનથી લખતાં ફાવે નહીં. એટલે ચોક સાથે રાખીએ અને કોઈ ગીતની વિગત લખવા જેવી લાગે તો ભીંત પર લખી દઈએ. સવારે ઉઠ્યા પછી તે ચબરખીમાં નોંધી લેવાની. એક વાર તો રાત્રે ભીંત પર એક ગીતના શબ્દો લખ્યા હતા ને અડધી રાત્રે વરસાદ પડતાં ગાદલાં વાળીને અંદર દોડવું પડ્યું. તેમાં ભીંત પર લખેલા ગીતના શબ્દો ભૂંસાઈ ગયા. એ વાત વર્ષો પછી ‘ગુજરાત સમાચાર’ની નીચે કીટલી પર લલિત લાડ સાથે અનાયાસે નીકળી. ત્યારે તે વિભાવરી વર્મા નામે રવિવારની પૂર્તિમાં નવલકથા લખતા હતા અને કદાચ તેમાં આર.જે.ની સ્ટોરી હતી. લખેલું ગીત વરસાદથી ધોવાઈ ગયાની વાતમાં તેમને એટલો રસ પડ્યો કે મને કહીને નવલકથામાં તેમણે એ વાતનો ઉપયોગ કર્યો હતો.

ચાહક-વાચક તરીકે રજનીકુમાર પંડ્યાના સંપર્કમાં આવ્યા પછી તેમની પાસેથી બીજી ઘણી બાબતો ઉપરાંત દસ્તાવેજીકરણ અને ચોક્સાઈના વધુ પાઠ જોઈને શીખવા મળ્યા. તેમને રૂબરૂ મળ્યા પણ ન હતા, ત્યારે એસ.ડી. બર્મન વિશેના અમારા એક પત્રના જવાબમાં તેમણે એસ.ડી.બર્મનનું સંગીત ધરાવતી ફિલ્મોની આખી ફિલ્મોગ્રાફી (ફિલ્મવાર ગીતોની સૂચિ)ની ઝેરોક્સ અમને મોકલી આપી. ત્યારે અમને જાણ થઈ કે હાથે બનાવેલાં લિસ્ટ ઉપરાંત સુવ્યવસ્થિત ફિલ્મોગ્રાફી જેવું પણ હોય છે. રજનીભાઈ પાસેથી જ અમને હરમંદિરસિંઘ ‘હમરાઝે’ સંપાદિત કરેલા ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ વિશે માહિતી મળી. ૧૯૩૧થી ૧૯૮૦ સુધી પાંચ દાયકાના પાંચ ખંડમાં આશ્ચર્યચકિત થઈ જવાય એવું તે દસ્તાવેજીકરણ હતું. તેનો એક નમૂનો અહીં આપું છું. (ફોટો એન્લાર્જ કરીને ઝીણવટથી જોશો તો વધુ ખ્યાલ આવશે.)

ગીતકોશ જોયા પછી ચબરખીઓ બનાવવાની જરૂર ન રહી. ‘હમરાઝ’ છેક ૧૯૭૧થી ‘લિસ્નર્સ બુલેટિન’ નામે એક ત્રૈમાસિક કાઢતા હતા. તેનું અમે લવાજમ ભર્યું. એટલું જ નહીં, ચારસો-સાડા ચારસો રૂપિયા જેટલી, ત્યારે માતબર લાગતી રકમ ખર્ચવાનું નક્કી કરીને તેના બધા જૂના અંક મંગાવી લીધા. અંક તો આવી ગયા, પણ તેમાં ક્યાં શું છે તે શોધવાની બહુ તકલીફ પડતી હતી. એટલે મેં ખપ પૂરતું શું ક્યાં છે તેની યાદી બનાવવાનું શરૂ કર્યું. હું જે કરતો હતો તેને સૂચિ કહેવાય, એ પણ મને ખબર ન હતી. (વર્ષો પછી ‘હમરાઝે’ પોતે ‘લિસ્નર્સ બુલેટિન’ની સંપૂર્ણ સામગ્રીની છાપેલી સૂચિ તૈયાર કરી, ત્યારે અમે તેમને અમારી આદિસૂચિ વિશે વાત કરી હતી.)

રજનીભાઈ પાસે જૂનું ઘણું સચવાયેલું જોવા મળે. તેમાંથી જરૂર પડ્યે બધું મળે જ એવું જરૂરી નહીં. તે હંમેશાં ઉમાશંકર જોશીને ટાંકીને કહે, ‘અહીંથી કશું ખોવાતું નથી ને અહીં કશું જડતું નથી.’ તેમને ત્યાં કામ કરતા હરગોવિંદભાઈ માટે તેમણે એક જોડકણું બનાવ્યું હતું, ‘કરે શું જગતનો નાથ, ફરે જ્યાં હરગોવિંદનો હાથ’. છતાં, હરગોવિંદભાઈના કારણે ઘણું મળી આવતું હતું. રજનીભાઈની પોતાની સાચવણ અને તેમાં નવી ટૅક્નોલોજિનો ઉપયોગ કરવાની તત્પરતા ઘણી. એટલે ડિજિટલ ડાયરી અને રેકોર્ડરવાળા ફોન જેવી સામગ્રી અને દસ્તાવેજીકરણ માટે ટૅક્નોલોજિના ઉપયોગો તેમની પાસે જોયા-જાણ્યા.

લેખન-વાચન-સંગીતની બાબતમાં મારું સંપૂર્ણ ઘડતર બીરેનની સાથે થયું. બીરેન વડોદરા રહેવા ગયો ત્યારે એ ભાગ પૂરો થઈ ચૂક્યો હતો. ત્યાર પછી અમારી વચ્ચેનો સતત સંવાદ અને આદાનપ્રદાન ચાલુ રહ્યાં. પણ મહેમદાવાદનું ઘર મોટું હોવાથી પુસ્તકો, કેસેટ, રેકોર્ડ વગેરે બધું ત્યાં રહ્યું. મારા પત્રકારત્વમાં પ્રવેશ પછી, મારે એની જરૂર વધારે પડશે, એવી સમજથી પણ અમારો સહિયારો ખજાનો મહેમદાવાદમાં રહ્યો. બીરેન નોકરી કરતો હતો ત્યારે ઘરે હોવાને કારણે તેની જાળવણીનું કામ પહેલેથી મારું જ હતું.

હું બીએસ.સી.માં ભણતો હતો ત્યારે બીરેને ‘ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’નું લવાજમ ભર્યું. ત્યાર પહેલાં ઘરમાં અંગ્રેજી છાપું સુદ્ધાં કદી આવતું ન હતું. ગુજરાતી છાપું પણ ખાસ્સો સમય બંધ રહ્યું હતું અને એક પાડોશીને ત્યાંથી વાંચવા લાવવું પડતું હતું. ‘વિકલી’ આવ્યું અને અમારી નવી ઘડાતી સમજમાં મૂલ્યવાન ઉમેરા લાવ્યું. ફોટોગ્રાફી, કળા અને કાર્ટૂનની અમારી જે કંઈ સમજ ખીલી, તેમાં પ્રીતિશ નાંદીના તંત્રીપદ હેઠળના ‘વિકલી’નો બહુ મોટો ફાળો છે. ‘વિકલી’માંથી રસ પડે એવા વિષયનાં પાનાં અમે ફાડી લેતા અને તેની ફાઇલ કે દેશી રીતે ગુંદરથી ચોંટાડીને બાઇન્ડિંગ તૈયાર કરતા. મારિયો મિરાન્ડા અને હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનાં અમે અમારી દેશી રીતે બાઇન્ડિંગ તૈયાર કર્યાં હતાં, જેથી સાચવવામાં અને ઉપયોગ કરવામાં સુવિધા રહે. શરૂઆતની મુલાકાતોમાં એક વાર એ બાઇન્ડિંગ અમે મોરપરિયાને બતાવ્યું, ત્યારે તે પણ ચકિત થઈ ગયા હતા. ત્યારે તે રેડિયોલોજિસ્ટ તરીકે ચોપાટી પર એન.એમ. મેડિકલમાં બેસતા હતા. ત્યાં કામ કરતા એક ભાઈને તેમણે ઉત્સાહથી અમારું બાઇન્ડિંગ બતાવતાં કહ્યું હતું, ‘આ લોકોએ મારા કાર્ટૂનનાં કમ્પાઇલેશન કર્યું છે.’
હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનું અમે તૈયાર કરેલું સંકલન અને તેની પર મોરપરિયાએ તેમના કૅરિકેચર સાથે કરી આપેલા હસ્તાક્ષર, ૧૯૯૨
મોરપરિયાની જેમ 'વિકલી'માંથી જ તૈયાર કરેલું મારિઓ મિરાન્ડાનાં કાર્ટૂનનું સંકલન
સૌથી પહેલાં ક્રિકેટમાં ઘણો રસ હતો. ત્યારે છાપાંમાંથી ક્રિકેટને લગતા સમાચારનાં કટિંગ કરીને એક ફાઇલમાં રાખતા. ‘દૂરદર્શન’ પર ‘બૉડીલાઇન’ સિરીઝ શરૂ થઈ ત્યારે ‘ગુજરાત સમાચાર’માં બૉડીલાઇનની ટેસ્ટ સિરીઝ વિશે લેખમાળા આવી હતી. તેનાં પણ કટિંગ રાખ્યાં હતું. તેમાં લેખકનું નામ છેલ્લા ભાગમાં આવ્યું હોવાથી તે મનમાં નોંધાયું ન હતું. પણ પછી નગેન્દ્રભાઈ સાથે કામ કરતી વખતે જાણ થઈ કે એ લેખમાળા તેમણે લખી હતી.  ‘આવું બધું રાખીને શું કરવાનું?’ એવો સવાલ કોઈએ કર્યો ન હતો અને અમને થયો ન હતો. મઝા આવતી હતી. કંઈક સાર્થકતા લાગતી હતી. એટલું પૂરતું હતું. કટિંગ ભેગાં કરવાનુ્ં વાતાવરણ ઘરમાં ન હતું. એ અમારાથી શરૂ થયું
નગેન્દ્ર વિજયે ગુજરાત સમાચારમાં લખેલી ત્રણ ભાગની શ્રેણીનો પહેલો ભાગ
જુદી જુદી ક્રિકેટ ટીમના ક્રિકેટરોની જન્મતારીખની બીરેને તૈયાર કરેલી યાદી. તેમાં પાછળથી મેં કેટલાક ઉમેરા કર્યા હતા. આ પાનાંની પાછળ વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનના ક્રિકેટરોની જન્મતારીખો લખેલી છે.
વાંચવાનું શરૂ થયા પછી અમારું પત્રલેખન શરૂ થયું. ગમતા અને નહીં ગમતા કટારલેખકો સાથે પત્રવ્યવહાર થયો. બીરેન આઇ.પી.સી.એલ.માં કામ કરે અને વડોદરાથી મહેમદાવાદ આવ-જા કરે. એટલે ઘણી વાર પત્રોનો ખરડો હું લખી રાખું. પછી અમે બંને મળીને તેને ફાઇનલ કરીએ અને અમારાં સંયુક્ત નામથી પત્ર જાય. એવા પત્રોના ખરડા પણ ફાડીને ફેંકી દેવાને બદલે અમે તે એક ફાઇલમાં રાખતા હતા. (ફાઇલ એટલે કાણાં પાડીને ફાઇલ કરવાનાં એમ નહીં, પણ તેમાં છૂટા કાગળ સ્વરૂપે રહેવા દેવાના.) એ ફાઇલ હજુ છે. એવી જ રીતે, ઘરે આવતા મિત્રોના પત્રો પણ સાચવીને રાખવાનું શરૂ કર્યું. આશય એટલો જ કે ભવિષ્યમાં ક્યારેક વાંચવાની મઝા આવે. બિનીત મોદીના અને હરીશભાઈ રઘુવંશીના ત્રણેક દાયકા પહેલાંના પત્રોનો મોટો જથ્થો અને બીજા ઘણા પત્રો હજુ સચવાયેલા છે. નવા બનેલા મિત્રોમાં ટૅક્નોલોજિને કારણે પત્રલેખન લગભગ બંધ થયું. છતાં નિશા કે આરતી જેવાં મિત્રોએ ચહીને પત્ર લખ્યો હોય અથવા ક્યાંકથી કાર્ડ મોકલ્યું હોય તો તે પણ આ ખાનામાં જમા છે.
પત્રકારત્વમાં આવ્યા પછી સાચવણીની સામગ્રીનો વ્યાપ વધ્યો. ઘર જૂનું અને મોટું હતું. એટલે જગ્યાની અનુકૂળતા પણ હતી. બરાબર યાદ છે, ‘અભિયાન’ના ગાળામાં કે તે છોડ્યા પછી તરતના અરસામાં એક વાર દીપક (સોલિયા) અને હેતલ (દેસાઈ) મહેમદાવાદના ઘરે આવ્યાં હતાં. ઘરના ઉપરના માળે જૂના દાદર પર ‘અભિયાન’ના અંકોની થપ્પી પડેલી હતી. તે જોઈને દીપકે હસતાં હસતાં પૂછ્યું, ‘ક્રમમાં ગોઠવેલાં તો નહીં જ હોય ને?’ મેં કહ્યું, ‘બિલકુલ ક્રમમાં જ છે. એમાં મેં કશું કર્યું નથી. હું તો નવો અંક આવે એટલે તેને જૂના અંકની ઉપર મૂકતો હતો, બસ.’ તેમાં એક ઉમેરો એટલો કે વચ્ચેથી કોઈ અંક લીધો હોય અને તે પાછો મૂકવાનો થાય, ત્યારે તેની જગ્યાએ જ મૂકવાની પદ્ધતિ રાખી હતી.
 
પત્રકારત્વમાં આવ્યા પછી શરૂઆતમાં ફક્ત જૂનાં ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’નાં કટિંગ હતાં. વિષયોની પણ કમી રહેતી. રસના વિષય મર્યાદિત હતા. પરંતુ ‘સીટીલાઇફ’માં નગેન્દ્રભાઈ સાથે કામ કર્યા પછી વિષયો સૂઝવા લાગ્યા. અનેક બાબતોમાં, કમ સે કમ લખવા પૂરતો, રસ પડતો થયો. તે વખતે મેં જોયું કે નગેન્દ્રભાઈ પાસે તેમનાં અને તેમના પિતા વિજયગુપ્ત મૌર્યના સમયનાં કટિંગનો મોટો ખજાનો હતો. ત્યારે પણ મને એટલું સમજાતું હતું કે કટિંગ તો કાંતિ ભટ્ટ પાસે પણ હતાં ને નગેન્દ્ર વિજય પાસે પણ. ફક્ત કટિંગથી ઉત્તમ પત્રકારત્વ ન થઈ શકે. માહિતી અને વિગતો બેશક જોઈએ. પણ ઘણું મહત્ત્વ તેને સમજવાની, સરળતાથી સમજાવવાની અને સારી રીતે લખી શકવાની આવડતનું હોય છે, જે નગેન્દ્રભાઈની હતી. એટલે તેમની નકલ ખાતર કે અંજાઈને નહીં, પણ એક પદ્ધતિ તરીકે-અભિગમ તરીકે મને થયું કે મારે મુખ્યત્વે લેખો લખવાના હોય (રિપોર્ટિંગ કરવાનું ન હોય) તો મારી પાસે કટિંગ હોવાં જોઈએ.

એ અરસામાં, ‘સંદેશ’ની બીજી ઇનિંગ વખતે, મારી પાસે દેશનાં સાત સારાં અંગ્રેજી પેપર આવતાં હતાં. ઉપરાંત, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ઘરે આવતાં. તેમાંથી મેં કટિંગ રાખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે જથ્થો વધતો ગયો, તેમ હું વિષયવાર કાગળની કોથળીઓમાં કટિંગ મુકતો ગયો. એક તબક્કો એવો આવ્યો કે મારી પાસે આશરે સવાસોથી દોઢસો વિષયનાં કટિંગ હતાં. તેમાં આઇ.ટી.ને લગતી જ પંદર-વીસ કોથળીઓ હશે. જેમ કે, સર્ચ એન્જિન, સર્વિસ પ્રોવાઇડર, ઇ-કોમર્સ, વાયટુકે, ડૉટ કૉમ બબલ, અવનવી વેબસાઇટો, ‘હિંદુ’માં આવતી ‘નેટસ્પીક’ કોલમ… ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં એ વખતે ICE નામની પૂર્તિ આવતી હતીઃઇન્ટરનેટ, કમ્યુનિકેશન, એન્ટરટેઇનમેન્ટ. તે આખેઆખી પૂર્તિઓ હું રાખી મૂકતો હતો. છાપાંમાં સમાચારની આસપાસ હું લીટીઓ દોરી દેતો. મમ્મી કે સોનલ તે કાપીને તેની પર તારીખ લખીને પ્લાસ્ટિકની એક કોથળીમાં મુકી દેતાં. એવો મોટો જથ્થો ભેગો થાય, બે-ત્રણ કોથળીઓ ભેગી થાય, એટલે એક દિવસ સવારથી હું કટિંગ ગોઠવણીનું મહાઅભિયાન આદરતો. તેના વિશે પત્રકારત્વની સફરમાં લખ્યું છે. એટલે પુનરાવર્તન કરતો નથી.

સમાચારો ઉપરાંત છાપાંની ઑફિસમાં અને જીવનમાં પણ બનતી ઘણી બધી ઘટનાઓનો રેકોર્ડ રાખવાની મને ટેવ હતી. તેનો સીધો ઉપયોગ કરવાનો કશો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયામાં રસ પડે અને પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ આપણે ત્યાં મોટે ભાગે ન હોય. એટલા માટે પણ હું પ્રક્રિયા સાથે સંકળાયેલી, મામુલી લાગતી ચીજો જાળવી રાખવા પ્રયાસ કરું. કોઈ વ્યક્તિ, સંસ્થા કે ક્ષેત્રની લાક્ષણિકતા વ્યક્ત કરતું કંઈ હાથમાં આવે અને મને તે રાખવા જેવું લાગે, તો તે પણ રાખી મુકું. તેની મહાનતાનો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયાની યાદગીરીનો આશય હોય.

તે અભિગમને કારણે ‘સીટીલાઇફ’ના અંકો કાઢતી વખતે ડાયરીમાં બનાવેલાં શીડ્યુલ કે ‘આરપાર’ના વિશેષાંકોના વિચાર વખતે કરેલી રાઇટિંગ પૅડમાં કરેલી કાચી નોંધો સચવાઈ રહ્યાં છે. એવું જ કેટલીક ચિઠ્ઠી-ચબરખીઓ વિશે. અમુક રસપ્રદ ચિઠ્ઠી-ચબરખીઓને જાળવી રાખવા જેવી લાગે, એટલે તેમને રાખી લઉં. તેમને અમુક સમયગાળાના ફોલ્ડરમાં મુકી દઉં. જેમ કે, અભિયાન, સીટીલાઇફ, સંદેશ એવા સમયગાળાનાં એક કે વધુ ફોલ્ડર હોય. ‘અભિયાન’માં થોડો સમય રિપોર્ટિંગ કરેલું તે વખતની નોટો પણ છે. ડાયરી, પૅડ, નોટો બધું જાળવી રાખ્યું હોય અને ચોક્કસ ઠેકાણે તેનો થપ્પો મૂક્યો હોય. જરૂર પડે ત્યારે એ થપ્પામાંથી થોડું ફેંદતાં મોટે ભાગે મળી આવે. ૨૦૦૫ પછી ઑફિસોમાં અંતરંગ રીતે કામ કરવાનું બંધ કર્યું. એટલે ત્યાર પછીની એવી ચીજો ખાસ નથી.
પાંચેક વર્ષની રોજનીશીઓ અને પત્રકારત્વમાં અંદરથી કામ કરતો હતો ત્યારની નોટો-પેડ અને બીજી સામગ્રી
રોજિંદી ડાયરી લખવાનું શરૂ કર્યું, તે પણ દસ્તાવેજીકરણ માટે બહુ ઉપયોગી બન્યું. તે ટેવ વાચનના અને પત્રલેખનના પ્રેમની સાથે આવી હતી. તે સમયે ઘણા લોકો ડાયરી રાખતા હશે. એટલે તેમાં કશી મૌલિકતા ન હતી. પણ લખવાની વૃત્તિને લીધે હું વિગતવાર લખતો હતો. ૧૯૯૧માં ગુજરાત રિફાઇનરીના એપ્રેન્ટિસ તરીકે તાલીમ લેવા માટે છ મહિના મુંબઈ રહ્યો હતો, ત્યારે અમે થોડા મિત્રો બે દિવસ માટે માથેરાન ગયા હતા. તે પ્રવાસની ઘણી વિગતો નોંધાયેલી છે. એક વાર અમે એલિફન્ટા ગયા હતા. તે પ્રવાસની ટિકિટ પણ યાદગીરી માટે ડાયરીના પાછળના ફોલ્ડમાં રહેવા દીધી હતી.

પત્રકારત્વમાં આવ્યા પછી પ્રિય લોકોને વારંવાર મળતો હતો, પત્રકારત્વમાં અને જીવનમાં ઘણું બનતું હતું. તે થોડુંઘણું ડાયરીમા નોંધાયું. તેમાંથી ઘણુંખરું પ્રગટ પણ નહીં થાય. છતાં, મારા માટે તે જૂના પત્રો જેવું જ, રોમાંચપ્રેરક અને ટાઇમટ્રાવેલ કરાવનારું છે.

સાચવણ-દસ્તાવેજીકરણ પાછળ રહેલો વધુ એક અભિગમ એ કે વ્યક્તિની મહત્તા સમજવા માટે હું તેમના મૃત્યુ સુધી રાહ જોતો ન હતો. ચાલુ વર્તમાનકાળમાં મને જે મહત્તાપૂર્ણ કે ગુરુજન કે ગાઢ મિત્ર પણ લાગે, તેમની સહજતાથી મળતી ચીજોમાંથી કેટલીક હું સાચવવાની કોશિશ કરું. રજનીકુમાર પંડ્યાનું વ્યક્તિત્વ ઉજાગર કરતી કોઈ ચિઠ્ઠી, ‘સીટીલાઇફ’માં જાહેરખબર મેળવવા માટે નગેન્દ્ર વિજયે અંગ્રેજીમાં તૈયાર કરેલું લખાણ કે તેમણે લખીને ચેકો મારેલું કોઈ ગુજરાતી લખાણ, ‘અભિયાન’ જૂથના બપોરના અખબાર ‘સમાંતર’માં હસમુખ ગાંધીએ લખેલો અને પછી વધુ પડતો અંગત પ્રહારાત્મક હોવાથી રદ કરાયેલો તંત્રીલેખ… આવું ઘણું મને મળે તો હું તે સાચવી રાખું.

આઇ.પી.સી.એલ.માં બીરેનના પહેલા પગારમાંથી છ પુસ્તકો અને પછી બે ઑડિયો કૅસેટ ખરીદી, તે પુસ્તક અને સંગીતના સંગ્રહની શરૂઆત. પહેલેથી નક્કી હતું કે સંગ્રહ ખાતર સંગ્રહ કે ‘અમારી પાસે આટલા હજાર પુસ્તકો છે કે તેટલા હજાર ગીતો છે’—એવા ફાંકા મારવા માટે કશું કરવાનું નથી. સંગ્રહના આંકડા ફેંકનારા પ્રત્યે મને હંમેશાં અભાવ રહ્યો. ધીમે ધીમે અમારી પાસેનાં પુસ્તકો વધતાં ગયાં, તેમ કબાટ ઉમેરાતાં રહ્યાં. એવું જ ઑડિયો કેસેટ, એલ.પી. અને સીડીનું. મોટા ભાગનું વીણીચૂંટીને ખરીદેલું. ઘણું સેકન્ડ હેન્ડમાંથી. કોઈની પાસેથી મળ્યું, તેમાં પણ બને ત્યાં સુધી પસંદગી જાળવી. એટલે સાવ નકામું હોય એવું તો બહુ ઓછું. કેટલોક કચરો કચરાના નમૂના તરીકે રાખેલો ખરો.

બધાં પુસ્તકોનું વિષય પ્રમાણે અને લૉજિક પ્રમાણે જાડું વિભાગીકરણ કર્યું હતું. કેસેટોમાં સંગીતકારો પ્રમાણે, ગાયકો પ્રમાણે. ફિલ્મોમાં પણ એક સંગીતકારની ફિલ્મોની કેસેટ-રેકોર્ડ એક સાથે હોય એવી પદ્ધતિ રાખી. એટલે મોટો જથ્થો થયા પછી પણ, જોઈતી વસ્તુ મોટે ભાગે મળી રહે. વસ્તુ સાચવવી તે એક વાત છે અને જોઈએ ત્યારે મળે તે બીજી. તેના માટેની મુખ્ય ચાવી એ જ હોય છે કે તેને મૂળ જગ્યાએ પાછી મૂકવામાં આળસ ન કરવી. થોડી તસ્દી લઈને તેને જ્યાંથી લીધી ત્યાં જ મુકીએ તો, બીજી વાર તે તેની જગ્યાએથી જ નીકળે. તેમાં કશું સંશોધન નથી. બધા જાણે જ છે. સવાલ આળસને કામચલાઉ ધોરણે કોરાણે મુકવાનો હોય છે.

વધુ પુસ્તકો થયા પછી, કબાટનાં ખાનાં પ્રમાણે પુસ્તકોની સૂચિ કરવાની રીત વધારે વૈજ્ઞાનિક હોય છે. તેના થકી, કમ્પ્યુટરની યાદીમાં પુસ્તકનું નામ જોઈને, એ પુસ્તક કયા કબાટના કયા ખાનામાં હશે, તે શોધી શકાય. પણ હું પહેલેથી ‘ઑર્ગેનિક’ રીતમાં ગયો. એટલે ચોક્કસ પ્રકાર, લેખકો અને તર્ક પ્રમાણે પુસ્તકો ગોઠવાતાં ગયાં. ત્યાર પછી વૈજ્ઞાનિક રીત અપનાવવાનું ન થયું. થોડાં વર્ષ પહેલાં એક વાર રતિલાલ બોરીસાગરના ઘરે ગયો, ત્યારે તેમણે કબાટોમાં ગોઠવેલાં પુસ્તક દેખાયાં. બધાં પુસ્તક પર તેમણે ખાખી પૂઠાં ચડાવ્યાં હતાં અને પુસ્તકની પીઠ પર નામ લખેલાં હતાં. ગોઠવણની રીતે એ બહુ વ્યવસ્થિત લાગતું હતું. છતાં, મેં બોરીસાગરસાહેબ સાથે શિષ્યભાવે એવો ધોખો કર્યો હતો કે પુસ્તકનાં ટાઇટલ ઢાંકીને તેમને વ્યવસ્થિત રાખવાનો શો અર્થ? પુસ્તકના દેખાવનો પણ એક અહેસાસ હોય છે. ઘણી વાર કોઈ પુસ્તક કે કોઈ ચીજવસ્તુ શોધવાની થાય ત્યારે સૌથી પહેલાં મનમાં તેનો દેખાવ આવે છે—ઘણી વાર તો તેની સંભવિત જગ્યા સહિત.

ક્યારેક એવું પણ થાય કે પુસ્તક કે કટિંગ મનમાં દેખાતું હોય, પણ બહાર મળે નહીં. તે વખતે બહુ અકળામણ થાય. જૂનું ઘર ઉતાર્યું અને એ જ જગ્યાએ નવું ઘર થયું, તેની હેરફેરમાં કેટલીક ચીજો ગઈ તે ગઈ. પ્લાસ્ટિકની પારદર્શક સફેદ કોથળીમાં પૅક કરેલું માચિસની જૂની છાપોનું બંડલ, નાનપણમાં જેનાથી રમતા હતા તે ફિલ્મના ફોટા, નાની પટ્ટીઓ, છેક માથા સુધી લખોટીઓથી ભરેલો ‘નાયસિલ’નો વાદળી રંગનો ભૂરા ઢાંકણાવાળો ઊભો ડબ્બો, તેની અંદર રહેલી રંગબેરંગી લખોટીઓ, જેને અમે ‘કંચા’ કહેતા હતા… આ બધું મનમાં દેખાય છે, પણ ઘરમાં મોજૂદ નથી.

કૌટુંબિક પરંપરા સાચવણીની હતી. બીરેને અને મેં તેમાં દસ્તાવેજીકરણનું પડ ઉમેર્યું. તે પ્રક્રિયા પ્રકૃતિ બની હોવાથી હજુ ચાલુ જ છે અને ચાલુ રહેશે. આ કામમાં રોમેન્ટિક કશું નથી. તે વૃત્તિ ઉપરાંત મહેનત અને સમય માગે છે. તે કરવામાં કે ન કરવામાં કશી ધાડ મારવાની નથી. એટલે કે, કરનારા કશી કમાલ નથી કરતાં અને ન કરનાર કશો ગુનો નથી કરતાં. એવી જ રીતે, આ કરનારા બધા નવરા નથી થઈ જતા અને ન કરનાર ક્રિએટીવ નથી થઈ જતા. આ કામ કરવામાં રસ, પ્રાથમિકતા, કરનારના મનમાં વસેલી તેની મહત્તા, પરિપ્રેક્ષ્ય, ચોક્કસ દૃષ્ટિ, તેનો યોગ્ય ઉપયોગ...આ બધાં પરિબળો બહુ અગત્યનાં છે. તે સિવાયનો નકરો સંગ્રહ બીજા કોઈ પણ સંગ્રહ જેવો, અહમ્ પુષ્ટ કરનારો પણ સરવાળે નિરર્થક ઢગલો બની રહે. પરંતુ આગળ જણાવેલી રીતે સંગ્રહ કર્યો હોય તો તેમાંથી આનંદ મેળવવા માટે કોઈનાં વખાણની કે કોઈની પીઠથાબડની જરૂર નથી પડતી. પુસ્તકોના આંકડા કે ફિલ્મોની સંખ્યા કે કેસેટ-સીડી-ડીવીડીનો જથ્થો ફેંકવાની પણ જરૂર નથી પડતી. તે ચીજો પોતે જ આનંદ અને રોમાંચ આપવા સક્ષમ છે. 

સંદેશાવ્યવહારનાં અને કામકાજનાં માધ્યમો ડિજિટલ થયા પછી પુસ્તકો સિવાય બીજી ચીજો ઉમેરાવાનું પ્રમાણ ઘટ્યું છે. દસ્તાવેજીકરણ ડિજિટલ સ્વરૂપે ચાલુ જ છે, પણ હાથથી સ્પર્શી શકાય એવી ચીજોનો અહેસાસ જુદો હોય છે. આ લેખ હાથેથી લખ્યો હોત તો તેના એકાદ-બે ડ્રાફ્ટ થયા હોત અને કાગળ પર પડેલા હસ્તાક્ષરની પણ એક મઝા હોત. વીસ વર્ષ પછી તે જોવાનો રોમાંચ હોત. હસ્તાક્ષરની મઝા ચાલુ રહે તે માટે ક્યારેક ડાયરી લખું છું, જેથી ક્યારેક વીસ વર્ષ પહેલાંની ડાયરી જોતાં નીપજે છે, એવો રોમાંચ ભવિષ્યમાં પણ મળી શકે. 

Wednesday, July 14, 2021

વડાપ્રધાનથી જૂઠું બોલાય?

કેટલીક બાબતોમાં વર્તમાન વડાપ્રધાન પર તમને ગમે તેટલો ભરોસો હોય, તો પણ સવાલ વાંચીને દુભાઈ ન જશો. આ તાત્ત્વિક સવાલ છે. આ સવાલ એવો પણ હોઈ શકત કે વડાપ્રધાનથી સાચું બોલાય? ગુજરાતીના ચિંતનલેખો વાંચનારા જાણે છે કે સત્ય-અસત્ય, સચ્ચાઈ-જૂઠાણું આ બધી તાત્ત્વિક બાબતો છે. તેના ઉકેલ માટે લાંબી માથાકૂટ કરવી પડે. પણ લેખકોના સારા અને (સારા વાચકોના ખરાબ) નસીબે, સત્ય-અસત્ય વિશે લખવા માટે તેનો અભ્યાસ કરવાની જરૂર હોતી નથી. યથાયોગ્ય અભ્યાસ કરીને લખવામાં આવતો લેખ માહિતીલેખનો ઉતરતો દરજ્જો પામે છે. ગોળગોળ વાતો કરીને, કાંગારૂની જેમ અહીંતહીં વિષયાંતરના ઠેકડા મારતો લેખ જ છેવટે ગુજરાતી ચિંતનલેખની ઊંચાઈએ પહોંચી શકે છે.

તો ચિંતનીય સવાલ એ છે કે વડાપ્રધાનથી જૂઠું બોલાય કે નહીં? તમામ રાજનેતાઓ પર જૂઠું બોલવાના આરોપ થતા રહે છે. નકટા લેખકોની જેમ એવા જ નેતાઓ તેમની સાચી ટીકાને તેમની લોકપ્રિયતાના પુરાવા તરીકે ખપાવવા પ્રયત્નશીલ રહે છે. એટલે તેમની પર જૂઠું બોલવાનો આરોપ મુકાય ત્યારે તે કહી શકે છે કે ‘જુઓ, સત્યાસત્ય તો દર્શનશાસ્ત્રનો વિષય છે અને હું શાસક છું. હું દર્શનશાસ્ત્રમાં ઊંડો ઉતરવા રહું, તો મારા મુખ્ય શસ્ત્ર એવા પ્રદર્શનશાસ્ત્રનું શું થાય?’

આમ, રાજનેતાઓ પાસે જૂઠું બોલવાનું નક્કર કારણ મોજૂદ છે. પરંતુ ઘણા શાસકો પર, જેમ કે વર્તમાન વડાપ્રધાન પર, પારાવાર જૂઠું બોલવાના આરોપ લાગે છે. પારાવારના પ્રવાસી હોવું એ કવિતામાં સારી બાબત છે, પણ જૂઠું બોલવાના સંદર્ભે તે મુશ્કેલી પ્રેરી શકે છે. લોકોને થાય છે કે ‘વડાપ્રધાન થઈને તમે ઠંડા કલેજે જૂઠાણાં ગબડાવો તો અમારે ભરોસો ક્યાં રાખવો?’ આજકાલ કહેતાં ભારતમાં લોકશાહીને ૭૪ વર્ષ પૂરાં થશે. એટલા સમયમાં ઘણા ‘વી ધ પીપલ ઑફ ઇન્ડિયા’ સમજી ચૂક્યા છે કે રાજનેતા બિચારા જૂઠાણું ન બોલે તો રાજ શી રીતે કરે? આવા ઉદારચરિત નાગરિકોની અપેક્ષા એટલી હોય છે કે ‘તમે જૂઠું બોલવામાં થોડું ધારાધોરણ રાખો. સાવ અમારી સામાન્ય બુદ્ધિનું અપમાન થાય એવાં જૂઠાણાં ન બોલો. નદીમાં જેમ ભયજનક સપાટીના આંકા પાડેલા હોય છે, એવી રીતે તમે જૂઠાણાંમાં કમ સે કમ ભયજનક સપાટી જેવું કંઈક તો રાખો.’ આ સંદર્ભે વર્તમાન વડાપ્રધાન સામે કેટલાક લોકોની એવી ફરિયાદ છે કે તે ગમે ત્યારે, મન થાય ત્યારે,  ભયજનક સપાટીને ભયજનક સરળતાથી પાર કરી નાખે છે.

આ તો આરોપ છે. સત્ય વિશેના દાર્શનિક ચિંતનની આ જ મઝા છે. તેમાં કયો આરોપ છે ને કઈ સચ્ચાઈ તે ચર્ચા અનંત રીતે ચલાવી શકાય છે. જૂઠામાં જૂઠો માણસ કોઠાકબાડા કરીને  નિર્દોષ સાબીત થયા પછી ‘છેવટે સત્યનો જ વિજય થાય છે’ એવું કહી શકે છે—ટીવી કેમેરા સામે આવું કહેતી વખતે તે હસે, ત્યારે તેના હાસ્યના એકેએક બિંદુમાંથી જૂઠાણું ટપકતું દેખાય તો પણ.

આરોપ ગમે તે હોય--અને તે પુરવાર પણ થઈ જાય તો પણ—‘સત્યનો વિજય થશે’ એવું કોઈ પણ કહી શકે છે. માટે એ દિશામાં ન જતાં, વિચારવાનું એ રહે છે કે વડાપ્રધાનથી જૂઠું બોલાય? પહેલી વાત તો એ છે કે વડાપ્રધાન પણ માણસ છે. (જેમને એ વિશે શંકા હોય તેમણે ધીરજ અને સહિષ્ણુતા રાખવી). માણસમાત્ર જૂઠું બોલવાને પાત્ર હોય છે. એક દાર્શનિક માન્યતા એવી છે (અથવા નહીં હોય તો વડાપ્રધાનના પ્રેમી લેખકો ઊભી કરી દેશે) કે ભારતના બંધારણમાં જીવન જીવવાનો જે મૂળભૂત અધિકાર છે (રાઇટ ટુ લાઇફ) તેમાં આપોઆપ જૂઠું બોલવાના અધિકાર (રાઇટ ટુ લાઇ)નો સમાવેશ થઈ જાય છે. લોકશાહીમાં વડાપ્રધાન ભલે તેમના પોતાના વિશે ગમે તે ધારતા હોય કે લોકો સાથે ગમે તેવો વ્યવહાર કરતા હોય,પણ તે રાજા નથી. તે આગેવાન નાગરિક છે અને નાગરિક તરીકે તેમને મળતો ‘રાઇટ ટુ લાઇ’ કોઈ છીનવી શકે નહીં. આવી દલીલ હજુ સુધી ભારત સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં ભલે નથી થઈ, પણ જાગ્રત નાગરિકોએ માનસિક આઘાતથી બચવા માટે આગોતરી તૈયારી રાખવી જોઈએ.

નાગરિક તરીકેનો અધિકાર સિદ્ધ થયા પછી કોઈને એવો વિચાર આવે કે ‘વડાપ્રધાનથી કેટલું જૂઠું બોલાય?’ આ સવાલ પ્રમાણમાં ઉદાર છે. તેમાં ‘બોલાય કે નહીં?’ એવો ધમકીસૂચક પ્રશ્ન નથી. ‘કેટલું બોલાય? એવો પ્રમાણસૂચક સવાલ છે. તેમાં ‘કીડીને કણ અને હાથીને મણ’વાળો ન્યાય લાગુ પાડી શકાય. દરેકને પોતપોતાના હોદ્દા પ્રમાણે બોલવાની સત્તા હોય છે. જેમ કે, ગામનો સરપંચ રાજ્યના મુખ્ય મંત્રી જેવું ન બોલી શકે. હોદ્દા પ્રમાણે બોલવાની સત્તામાં, બોલવાના પ્રકાર સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. એટલે તેમાં આપોઆપ હોદ્દા પ્રમાણે જૂઠું બોલવાની સત્તાનો સમાવેશ થઈ જવો જોઈએ.

‘કેટલું જૂઠું બોલવું?’ તેમાં વળી બે પેટાસવાલ છેઃ ‘કેટલું હળહળતું?’ અને ‘કેટલી વખત?’ આ બંનેમાં પણ હોદ્દાના મોભાનો ખ્યાલ રાખીને જ નક્કી કરી શકાય કે વડાપ્રધાન ઇચ્છે એટલી વખત, ઇચ્છે એટલા વિષયોમાં, ઇચ્છે એટલી હદે જૂઠું બોલી શકે છે. આવી સમજ ખાસ્સા લોકોમાં તો ઉગી ચૂકી છે. બાકીનામાં જે દિવસે તે સમજ આવી જશે, એ દિવસે દેશમાં લોકશાહીનું પૂરેપૂરું ‘કલ્યાણ’ થઈ જશે.

Saturday, May 29, 2021

વૅક્સિન મૈત્રી : ૮૪ ટકા જૂઠાણું, ૧૬ ટકા સચ્ચાઈ

એપ્રિલ-મે, ૨૦૨૧માં કરપીણ રીતે નિષ્ફળ પુરવાર થયેલી સરકારનાં તેવર થોડા વખત પહેલાં સુધી સાવ જુદાં હતાં. નવા શબ્દપ્રયોગો અને સ્લોગનમાં માહેર સરકાર તરફથી મુકાયેલો નવો ઘુઘરો હતોઃ 'વૅક્સિન મૈત્રી.' કેટલાકને વાસ્તવિકતા કરતાં સ્લોગનબાજી વધારે અનુકૂળ આવે છે. કરૂણ વાસ્તવિકતા ભૂલાવીને 'દવાઈ ભી, કડાઈ ભી'  કેવું મહાન સૂત્ર છે તેની વાત કરતાં તે ઓળઘોળ થઈ શકે છે. વેક્સિન મૈત્રીનો મામલો પણ કંઈક એવો જ થયો. 

કોવિશિલ્ડ અને કોવેક્સિન--એ બંને વિશે કેટલીક પાયાની વિગતો આપતી એક પોસ્ટ જાન્યુઆરીમાં મુકી હતી. તેમાંથી સ્પષ્ટ થતું હતું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટને ભારત સરકારે કશી મદદ કરી નથી. પણ રસીકરણને લગતી વૈશ્વિક કામગીરી કરતી સંસ્થા 'GAVI'એ તેને ૩૦ કરોડ ડૉલર ફાળવ્યા છે. માટે, સ્વાભાવિક રીતે જ સિરમ ઇન્સ્ટિટ્યૂટની પણ કોઈ વળતી જવાબદારી હશે. 

પરંતુ જોતજોતાંમાં 'વેક્સિન મૈત્રી'ની ડુગડુગી વાગવાની ચાલુ થઈ. સરકાર તરફથી એવા દાવા થવા લાગ્યા કે વેક્સિન મૈત્રી કાર્યક્રમ અંતર્ગત ૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ મોકલવામાં આવ્યા છે. (તેના એક નમૂના તરીકે એપ્રિલ ૯, ૨૦૨૧ના રોજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ જારી કરેલી આ પ્રેસનોટ) 'વિશ્વગુરુ' તરીકે ભારતનો જયજયકાર કરવાનો અને દુનિયાની મદદે આવેલા ભારતની છાપ ઊભી કરવાનો કાર્યક્રમ જોરશોરથી ચાલ્યો.

ત્યાર પછી ભારતમાં કોરોનાનો ક્રૂર સપાટો ચાલ્યો. કદી ન જોઈ હોય એવી કરુણ પરિસ્થિતિ..દવા-ઇન્જેક્શન-ઑક્સિજનથી માંડીને અનેક બાબતોમાં અભૂતપૂર્વ અરાજકતા સર્જાઈ. આટલી નિષ્ફળતા ઓછી હોય તેમ, અલગ પ્રકારના મિસમૅનેજમૅન્ટના પરિણામે રસીનો પુરવઠો ખૂટી પડ્યો અને રસીકરણ કાર્યક્રમ ધીમો પાડવાનો વારો આવ્યો. 

ઘરઆંગણે રસી ખૂટી ગઈ એટલે સ્વાભાવિક રીતે જ, પૂરતી ગણતરી વિના પરદેશમાં રસી મોકલવા બદલ સરકારની આકરી ટીકા થઈ. કેમ કે, સરકારે પોતે જ 'વેક્સિન મૈત્રી'ના વાવટા ખોડ્યા હતા અને 'વેક્સિન મૈત્રી' અંતર્ગત '૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ'ના દાવા કર્યા હતા. 

પગ તળે રેલો આવ્યો, એટલે સરકારે વેક્સિન-મૈત્રીના વાવટા ધીમે રહીને સંકેલ્યા. સરકાર તરફથી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો તરફથી) આ સ્પષ્ટતા ક્યારે થઈ, એ તો ખ્યાલ નથી. પણ ભાજપના પ્રવક્તાએ પંદરેક દિવસ પહેલાં (મે ૧૨, ૨૦૨૧ના રોજ) કહ્યું કે ભારતે પરદેશ મોકલેલા ૬.૬૩ કરોડથી પણ વધુ ડોઝમાંથી ૮૪ ટકા હિસ્સો તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારીઓનો હિસ્સો હતો. (લિન્ક

ઉપરના વિધાનનો સ્પષ્ટ અર્થ એટલો થાય કે-

૧. સરકારની વેક્સિન મૈત્રીની વાતોમાં ૮૪ ટકા જૂઠાણું અને ૧૬ ટકા સચ્ચાઈ હતાં. 

૨. વેક્સિન મેત્રીના રૂપાળા નામ હેઠળ ગણાવાતા રસીના કુલ જથ્થામાંથી ૮૪ ટકા હિસ્સો મોકલવામાં ભારત સરકારનો કોઈ હિસ્સો ન હતો. એ ભારત સરકારનો નિર્ણય પણ ન હતો. એ તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારી (commercial and licensing liabilities) હતી.

એટલે જ, આ સરકાર કંઈ પણ કહે--અને લેખિતમાં કહે--તો પણ તેની પર વિશ્વાસ નહીં, શંકા જ પડે છે અને દેશના કમનસીબે ઘણુંખરું એ શંકા સાચી જ પડે છે.

Tuesday, May 25, 2021

મિટિંગ-ગંગા, ઇમેજ-ચંગા

એક મિટિંગ ભરાઈ છે. તેમાં મહત્ત્વના મુ્દ્દા અંગે ચર્ચા ચાલે છે.  

અફસર: આ પેલું શબવાહિનીનું શું કરીશું?

કર્મચારી ૧: હવે તો મરણાંક ઓછો થયો છે. એટલે કહેવામાં વાંધો નથી કે હવે તો શબવાહિનીની ખરેખર અછત નથી.

કર્મચારી ૨: પણ કહેતી વખતે જરા ધ્યાન રાખવું પડે. ‘હવે’ અને ‘ખરેખર’ જેવા શબ્દો કહીશું તો લોકો તૂટી પડશે કે પહેલાં ખરેખર શબવાહિનીની અછત હતી. 

અફસર: તમને શું લાગે છે? આપણે શબવાહિની જેવા વિષય પર આટલો સમય બગાડવા ભેગાં થયાં છીએ? હું તો પેલી શબવાહિની ગંગાની વાત કરતો હતો.

કર્મચારી ૩: અરે હા, એ કવિતાએ તો જબરો ઉપાડો લીધો ને કાંઈ. મને તો એમ કે ગુજરાતમાં ગળપણવાળી કવિતા જ ખપે.

કર્મચારી ૧: આપણે એ લાઇનના ઘણા લોકો જોડે દોસ્તી છે. આપણે એમને ક્લબમાં બોલાવીએ ને એટલે. તેમાંથી એક જણે મને જવાબ આપવાને બદલે સામું પૂછ્યું કે પેલું ‘કોલાવરી કોલાવરી ડી’ ગાયન કેમ ચાલ્યું હતું?

કર્મચારી ૩: (માથું ખંજવાળીને) કેમ ચાલ્યું હતું?

કર્મચારી ૧: એમને પણ ખબર ન હતી. એટલે કહે, એવું જ છે. અમુક વસ્તુ કેમ ચાલે છે, એની ચૂંથમાં નહીં પડવાનું . એ ચાલતી હોય ત્યારે એની અડફેટે આવી ન જવાય એટલું જ ધ્યાન રાખવાનું. 

અફસર: લોકલાગણી?

કર્મચારી ૧: ના. ધંધાનું ધ્યાન.
અફસર: પણ ઘણાએ તો એનો બહુ વિરોધ કર્યો. 

કર્મચારી ૨: કેમ સાહેબ? ધંધાનું ધ્યાન એક જ રીતે રખાય?

કર્મચારી ૩: પણ મારા હિસાબે, કવિતાની તરફેણ કરનારા બધા ચોખ્ખા ન હોય ને વિરોધ કરનારા બધા વેચાયેલા પણ ન હોય. ખરું કે નહીં?

કર્મચારી ૧: ચોક્કસ વળી. ઘણા માટે આ ધંધાનો નહીં, ધાર્મિક લાગણીનો મુદ્દો બની ગયો.

અફસર: ગંગાને શબવાહિની કહી એટલે? 

કર્મચારી ૧: ના ભઈ ના. એવું હોત તો ગંગામાં વહેતા મૃતદેહોથી જ તેમની લાગણી ન દુભાઈ ગઈ હોત? પણ સાહેબધર્મીઓ માટે તો ધાર્મિક લાગણી એટલે સાહેબની ટીકા.

કર્મચારી ૩: પણ એક વિદ્વાને તો મને એવું સમજાવ્યું કે ગંગામાં મૃતદેહો વહેતા મુકવા એ તો આપણી પરંપરા છે. એ તો સનાતન ધર્મ ને આપદ્ ધર્મ ને યુગ ધર્મ ને એવું બધું ભારેભારે કહેતા હતા ને કંઈક નામો પણ ગબડાવતા હતા. 

કર્મચારી ૧: પછી?

કર્મચારી ૩: હું તો તેમના પગે પડી ગયો. મેં કહ્યું કે મહારાજ, તમારા શાસ્ત્રજ્ઞાન આગળ મારી શી વિસાત? તમે કહેતા હો તો તમારા માટેની આવી વ્યવસ્થાની જવાબદારી હું ઉપાડી લઉં. હું તો ઇચ્છું કે તમે સવા સો વરસ જીવો ને પછી વિદાય લો. ત્યારે હું તો ન હોઉં. એ વખતે તમને આવી શાસ્ત્રોક્ત ગતિ પ્રાપ્ત થાય એની જવાબદારી મારા વારસોને ચીંધતો જાઉં.

અફસર: શું વાત કરો છો. 

કર્મચારી ૩: ભઈ, આપણે આનાથી વધારે શું કરી શકીએ? 

કર્મચારી ૧: તેમણે શું કહ્યું?

કર્મચારી ૩: મને એમ કે મારી વાત સાંભળીને તે રાજી થશે. પણ એ તો નારાજ થઈ ગયા અને ધુંધવાતા રામ..રામ..બોલતા ચાલ્યા ગયા. એમના ગયા પછી મને કોઈકે સમજાવ્યું કે કે એ રામ..રામ.. નહીં, નથુરામ..નથુરામ...બોલતા હતા. ફરી ધ્યાન રાખજો. 

કર્મચારી ૨: વાહ, શી એમની ધાર્મિકતા ને શી એમની શાસ્ત્રસમજ. 

અફસર: પણ આપણી ચર્ચા તો ઊભી જ છે. એ કવિતાનું કરવાનું શું?

કર્મચારી ૩: સૉરી સાહેબ, પણ મારે પહેલાં તો એક ચોખવટ પૂછવી છેઃ કવિતા એ રાજ્યનો વિષય ગણાય કે કેન્દ્રનો? 

કર્મચારી ૧: એવી કોઈ માર્ગદર્શિકા નથી. વત્તા કવિતા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ એક્ટમાં આવે કે નહીં, એ પણ સ્પષ્ટ થતું નથી. 

અફસર: કવિતા નબળી હોય તો ડિઝાસ્ટર એક્ટમાં ન આવે. પણ કવિતા સબળી હોય ને સરકાર માટે ડિઝાસ્ટર જેવી પુરવાર થાય તો કદાચ આપણે તેને એક્ટમાં આવરી શકીએ. 

કર્મચારી ૨: અને આપણી તરફેણમાં બોલનારા આટલા બધા લોકોની સેવાઓનું શું?

અફસર: સેવાઓ? (મોટેથી હસે છે) તમે આટલા બધા ભોળા રહેશો તો કેમ ચાલશે?... પણ મૂળ સવાલ એ છે કે આ કવિતાનું શું કરવું?

કર્મચારી ૧: સાહેબ, આ તો જંગલમાં સિંહ સામે મળે તો શું કરવું, એના જેવો સવાલ છે. જે કરવાનું હતું એ તો કવિતાએ કરી જ લીધું છે. 

અફસર: તમને શું લાગે છે? લોકો ખરેખર આટલા દુઃખી હશે? કે આ દેશને બદનામ કરવાનું કાવતરું છે?

કર્મચારી ૧: સાહેબ, મને તો બિલ્લા-રંગાને બદનામ કરવાનું કાવતરું લાગે છે.

અફસર: શીઇઇઇઇઇશ...એ બે નામ તો આપણે ચર્ચામાં લાવવાનાં જ નથી. મારા સવાલનો જવાબ વિચારવાનો છે. 

કર્મચારી ૧: સાહેબ, મેં આ લાઇનના કેટલાક લોકો જોડે વાત કરી. એમને તો લાગે છે કે લોકો જરાય દુઃખી નથી અને હોય તો પણ એમાં આપણી કશી જવાબદારી નથી. જે થયું એના માટે લોકો જ જવાબદાર છે. એટલે મને તો લાગે છે કે કવિતા લખનારને છોડો, લોકો સામે જ રાજદ્રોહની કાર્યવાહી અંગે વિચારવું જોઈએ—અને શક્ય હોય તો શબવાહિની બની ગયેલી ગંગામાં તરતા મૃતદેહોને પણ તેમાં સામેલ કરવા અંગે વિચારવું જોઈએ. આખરે તો આપણી એટલે કે દેશની ઇમેજનો સવાલ છે, સાહેબ.

Monday, May 17, 2021

મોટિવેશનની મહામારી

વર્તમાન મહામારીમાં સૌથી મોટી, ગંભીર અને અક્ષમ્ય જવાબદારી સરકારની જ છે. 

પરંતુ અફસોસ અને ગુજરાતી તરીકેની શરમ સાથે જણાવવાનું કે--
નપાવટ, ચાપલૂસ, ખોળે બેઠેલા કે ખોળે બેસવા ઉત્સુક, આત્મકેન્દ્રી, વક્તા તરીકેનો ધંધો ધમધમતો રાખવા માટે સત્તાનો વિરોધ કરવાની પ્રામાણિકતા ગુમાવી કે વેચી બેઠેલા મોટિવેશનલિયાઓ આપણું જ પાપ છે. 

પ્રજા તરીકે આપણે જ તેમને માથે ચડાવ્યા છે. તેમની ૯૯ અપ્રામાણિકતાઓ નજરઅંદાજ કરીને, 'ગમે તે કહો, પણ એમનો પેલો લેખ બાકી ટૉપ હતો'--એવાં ઓવારણાં લીધાં છે. તેમના એક સારા લેખના બદલામાં સો હલકાઈઓ હોંશે હોંશે માફ કરતા રહ્યા છીએ. 

તે વણઝારાના ખોળે બેસે કે નરેન્દ્ર મોદીના-- એ તો તેમનાં લખ્ખણ બતાવતાં જ રહ્યાં છે. આપણે, ગુજરાતીઓ, દોડી દોડીને તેમની પાસે મૂરખ બનવા ધસી જઈએ છીએ અને મૂરખ બન્યા પછી સંસ્કારિતાનો-ધન્યતાનો અનુભવ કરીને રાજી થઈએ છીએ. 

પ્રજામાં કેટલાક તો વળી એવા હોય છે, જે મોઢે ટીકા કરતા જાય અને અંદરથી આવા નમૂનાઓને સેલિબ્રિટી ગણીને પ્રભાવિત થતા જાય. તો કેટલાક બંને બાજુ 'વાહ, વાહ' કરીને સંબંધો સાચવી આવે. આવા પ્રજાકીય પ્રતિભાવથી નવા લખનારા પણ લોકોને મૂરખ બનવાના જ રવાડે ચડ્યા છે. 

આવું લખનારી પ્રજાતિની ટીકા કરવામાં આવે ત્યારે તેમનો કાયમી આરોપ: 'લોકોને અમારી લોકપ્રિયતાની ઇર્ષ્યા આવે છે.'  ના બાબા કે બેબી, એવું ન હોય. તમારા રસ્તે મળતી, તમને મળી છે એવી લોકપ્રિયતાની ઠેકાણાસરના કોઈ માણસને ઇર્ષ્યા ન આવે. (તમને અંદરોઅંદર એકબીજાની ઇર્ષ્યા આવે એ જુદી વાત થઈ) એવી લોકપ્રિયતા વિશે અરેરાટી કે અનુકંપા જ થાય. ખેદ ઉપજે છે આપણી પ્રજા માટે,  જે ખોળને ગોળ ગણીને ધન્યતામાં જીવન કાઢી નાખે છે. 

આવા લેખકો અને આવી પ્રજાની જુગલબંદીને કારણે, આજની કારમી ઘડીમાં પ્રેરણાનાં આ બારમાસી ખાબોચિયાં લોકોનાં દુઃખદર્દથી નથી છલકતાં,  સરકારની ટીકા માટેનાં આંસુથી છલકે છે. 

મોટિવેશનલિયાઓમાંથી કેટલાંક સાવ સામે છે ને કેટલાક બંને બાજુ હાજરી પુરાવીને ધંધો સાચવી લે છે. બોલવાનો સ્વભાવ ન હોય તો મૌન નથી રહેતા. પણ કૂદી કૂદીને સરકારના બચાવમાં ઉતરી પડે છે  તે લોકો આજે પીડીત લોકોની સાથે નથી. હોય પણ ક્યાંથી? એવી અપેક્ષા રાખનારાનો જ વાંક છે. 

મહામારીમાં કોની કેટલી જવાબદારી, એ વિશેની લિન્ક તો છેક છેલ્લે આપી છે, પણ તળિયા વગરના, લોકવિરોધી, ચાપલૂસ મોટિવેશનલિયાઓની મહામારી માટે પ્રજા તરીકે આપણી જવાબદારી સૌથી મોટી છે. 

તમારા અણગમતા એક-બે લખનારાને ગાળ દઈને સંતોષ માની લેવાને બદલે આવી આખી પ્રજાતિ માટે વિચારી જોજો. તેમના ઉપદ્રવમાં આપણી ભૂમિકા કેટલી મોટી છે, એ પણ વિચારજો અને જાતે વિચારી જોજો.

જાતે વિચારવાનું શરૂ નહીં કરો તો આ મોટિવેશનલિયાઓની મહામારી હજુ વકરશે. વકર્યા જ કરશે.

Friday, May 14, 2021

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા: પારૂલ ખખ્ખરની કવિતા નિમિત્તે

ફેસબુક પર પારૂલબહેન ખખ્ખરની કવિતા મુકાયા પછી ઘણી શૅર થઈ, શરૂઆતમાં ઘણી વખણાઈ અને પછી ટ્રોલિંગ પણ શરૂ થયું. સમર્થનમાં અને વિરોધમાં પ્રતિકાવ્યો લખાયાં. સવારે એ કવિતા મુકાયા પછી, મેં તે કવિતા અને ઇલિયાસ શેખે કરેલો તેનો હિંદી અનુવાદ શૅર તો કર્યાં. ઉપરાંત, ફેસબુક પર એ મુદ્દે જે કંઈ લખ્યું તે રેકોર્ડ પૂરતું અહીં મુકું છું.

***

મે ૧૧, ૨૦૨૧ (બપોરે)

અમુક પ્રકારની પ્રજા એટલી 'સંસ્કારી' હોય છે કે તેમને કશુંક પદ્યમાં લખાઈને આવે તો જ અડે.
તો લો, તમારા માટે Parul Khakhar ની આ કવિતા.
આભાર પારૂલબહેન, આ લખવા બદલ.
*
બીજી વાતઃ અત્યારે સાચી પરિસ્થિતિનું બયાન કરનારાની હિંમતને બિરદાવીને છટકી જશો નહીં. પારૂલબહેન કે બીજા કોઈ લોકો આગળ બહાદુરીના સીન નાખવા માટે ન લખતાં હોય. (બતાવવાની બહાદુરી માટે લખતી પ્રજા જુદી હોય છે. એ તો અત્યારે કેમ કરીને બધા છેડા સાચવવા, એમાં વ્યસ્ત હોય.)
 

તેમણે આપણા સમાજમાં વ્યાપેલી ભયંકર વ્યથાનું પ્રતિબિંબ પાડ્યું છે અને તેમાં સરકારની સીધી જવાબદારી-આવામાં પણ હેડલાઇનો મૅનેેજ કરવાની સરકારની વૃત્તિ સામે આયનો બતાવ્યો છે. આ તેમની પ્રતિબદ્ધતા છે.
તેમની પ્રતિબદ્ધતાને સલામ કરીને નીકળી જવાને બદલે, આ સમજ ઉગે-વધે-વિસ્તરે એ માટેના પ્રયત્નોમાં આપણાથી બનતું કરી છૂટીએ.
 

પારૂલબહેને સર્જકધર્મ અદા કર્યો. આપણે નાગરિકધર્મ અદા કરીએ.
ફરી એક વાર પારૂલબહેનને ધન્યવાદ સાથે તેમની કવિતા.
*
એક અવાજે મડદા બોલ્યાં 'સબ કુછ ચંગા-ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.


રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે 'વાહ રે બિલ્લા-રંગા'!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો  'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
-પારુલ ખખ્ખર
***

મે ૧૧, ૨૦૨૧ (રાત્રે)

આજે બપોરે Parul Khakharની કવિતા અને પછી તેનો Iliyas Shaikhએ કરેલો હિંદી અનુવાદ વાંચીને બહુ સારું લાગ્યું. વાસ્તવિકતાને ઉજાગર કરતા અવાજોમાં એક કવયિત્રીનો અવાજ પણ ઉમેરાયો તેનો આનંદ થયો. મૂળ કવિતા અને અનુવાદ ફેસબુક અને ટિ્વટર પર ભાવથી શૅર પણ કર્યાં.

- સાથોસાથ, એવું પણ થયું કે જેમને અત્યાર સુધી આટઆટલા અહેવાલો, કરુણ પ્રસંગો, સરકારનું ગુનાઈત મિસમૅનેજમૅન્ટ, લોકોની વ્યથાવેદના--એ કશું અડ્યું ન હોય અને ફક્ત એક કવિતાથી જ વેદનાનો સણકો આવ્યો હોય, તેમણે પોતાનું સંવેદનતંત્ર વેળાસર ચૅક કરાવી લેવું જોઈએ. તેના વાયરિંગમાં નક્કી ગરબડ હોવી જોઈએ. 

- લોકોની વેદનાને વાચા આપનાર-તે માટે સરકારની કે સ્થાપિત હિતોની ટીકા કરનારને મૂક કે બોલકો સાથ આપવો જ જોઈએ. પરંતુ 'તેજાબી કલમ'થી માંડીને એવાં બીજાં નિરર્થક વિશેષણો વાપરવાથી બચવું જોઈએ. એમ કરવાથી ઘણાં નુકસાન થઈ શકે છે. 

- ગુજરાતી લેખનમાં તેજાબી કલમના નામે બહુ ધુપ્પલ ચાલ્યાં છે. લખનારનું કામ સહેતુક તેજાબી લખાણની નાટકીયા પટાબાજી ખેલીને ઉત્તેજનાપૂર્ણ મનોરંજન પૂરું પાડવાનું નથી. તેનાથી વાંચનારને કામચલાઉ કીક મળી શકે--વિચાર નહીં. ઉલટું, ઘણી વાર તો એ વાંચનારની સ્વતંત્ર વિચારશક્તિ હણી લેવાનું કામ પણ કરી શકે છે. એ જોતાં તેમના માટે 'તેજાબી'ને બદલે 'અફીણી' વિશેષણ વધારે યોગ્ય ન ગણાય? અને લખનાર સાવધ ન રહે (જેવું ફેસબુક જેવાં માધ્યમમાં બહુ બનતું હોય છે) તો તે ખુદ પોતાની 'તેજાબી' છબીના પ્રેમમાં પડીને અવગતે જઈ શકે છે. 

- પારૂલબહેનની કવિતા કે એ પ્રકારનાં બીજાં અનેક લખાણોનો આશય એ જ હોય છે કે લોકો એક યા બીજા પક્ષે તાળીઓ વગાડીને, 'વાહ, વાહ ક્યા બાત હૈ' કરીને, ખંખેરીને જતા રહેવાને બદલે જાતે વિચારતા-સંવેદન અનુભવતા થાય. અભિવ્યક્તિ સૌ પોતપોતાની પ્રકૃતિ ને આવડત પ્રમાણે કરે કે ન પણ કરે, પરંતુ આટલી મોટી મહામારી અને આટલી કરુણ માનવસર્જિત ગેરવ્યવસ્થા ચાલતાં હોય ત્યારે, કહેવાતી તટસ્થતા છોડીને વાસ્તવિકતા સ્વીકારવા-સમજવા-અનુભવવાનું જરૂરી છે. 

માટે, જે ગમે તેની પ્રશંસા જરૂર કરવી. પણ મુશાયરમાં છીછરી દાદ આપનારા જેવા ન બની જવું, વિશેષણોનો અતિરેક ટાળવો અને ફક્ત વખાણ કરીને અટકી ન જવું.  ત્યાંથી કામ પૂરું નહીં, શરૂ થાય છે.

***

કેટલાક પ્રાથમિક મુદ્દા અને નિરીક્ષણો~
મે ૧૨, ૨૦૨૧ (બપોરે)
૧. ભૂતકાળમાં જેમણે મોદીનું-ભાજપનું (કે વણઝારા સહિતની મોદીની ઇકો-સિસ્ટમનું) સમર્થન કર્યું હોય એવી કોઈ પણ વ્યક્તિ અત્યારે મોદીની-ભાજપની ટીકા કરી જ શકે. દરેક વ્યક્તિને સમજ વિસ્તારવાનો અને સમજ પ્રમાણે વિચાર બદલવાનો કુદરતી અધિકાર છે.

૨. ‘અમે તો મુદ્દા-આધારિત સ્ટેન્ડ લઈએ છીએ.’ તે આમ તો બહુ આદર્શ લાગે એવું વિધાન છે. પણ ગુજરાતીમાં લખનારાની વાસ્તવિકતા ધ્યાનમાં રાખતાં, તે 'મુદ્દા-આધારિત' નહીં, 'વહેણ-આધારિત' વધારે હોય છે. તેમના ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નું ગુજરાતી એવું થાય કે ‘વહેણ જોઈને અમે વણઝારાની આરતી પણ ઉતારીએ ને વહેણ જોઈને મોદીની ટીકા પણ કરી લઈએ. હા, અમે તો સખ્ખત મુદ્દા-આધારિત.’

અત્યારના સમયની વાત કરીએ તો, તેમાં ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નો મતલબ છેઃ ‘અમારે સરકારને છાવરવી છે. પણ માત્ર એવું કરીએ તો લોકોની નજરમાંથી સાવ ઉતરી જવાય. એટલે અમે અક્ષમ્ય રીતે નિષ્ફળ ગયેલી સરકારનો બચાવ કરતા રહીને, વચ્ચે વચ્ચે સરકારને ચૂંટલીઓ ખણતા રહીશું ને સરકારની વર્ચ્યુઅલ સોડમાં રહેતાં રહેતાં તટસ્થતાનો ખેલ પાડતાં રહીશું. મુદ્દા-આધારિત. સમજ્યા કે નહીં?

૩. અત્યારના સંજોગોમાં સરકારની ચમચાગીરી (બીજો હળવો શબ્દ જડતો નથી) કરવી હોય અથવા સરકારની ગુડ બુકમાં રહેવું હોય એ જ માણસ, સરકારની ઘોર નિષ્ફળતા-નઠોરતાને ‘બૅલેન્સ કરવા માટે’ સરકારનાં વખાણ કરી શકે. (એવા ‘બૅલેન્સ’ માટે તલ જેવડી સરકારી કામગીરીને તરબૂચ જેવડી ચિતરીને લોકોને મૂરખ બનાવવા પડે એનો વાંધો નહીં.) સરકારના બચાવકારો કે સમર્થકોનો ત્રીજો પ્રકાર કોઈ લાભ વિના, કોમવાદી કે બીજા પ્રકારના દ્વેષથી સરકારની પડખે રહેવાનો છે. આ સિવાયના કોઈ પ્રકારો જાણમાં નથી.

૪. આપણી સાથે અંગત નિકટતા ધરાવતી વ્યક્તિ આપણા વિચારની વિરોધી હોઈ જ શકે. અને તેમ છતાં તે અંગત રહી જ શકે. આવા સંજોગોમાં વૈચારિક બાબતે તેમની ટીકા કે પ્રશંસા કશું કરવાની જરૂર નથી. તે વ્યક્તિગત કારણોસર અંગત હતાં, છે ને રહેશે. પરંતુ એક તરફ સરકારનો વિરોધ કરવો અને બીજી તરફ, તેના બચાવકારો-'બૅલેન્સવાદીઓ'ને વૈચારિક સમર્થન આપવું, એ હળાહળ વૈચારિક અપ્રામાણિકતા છે. સંબંધ અને પ્રામાણિકતાને એકબીજાની અવેજીમાં રાખવાની જરૂર નથી. આપણી ઘણી પ્રજા મૂરખ બનાવનારની શોધમાં રહેતી હોય છે. એટલે લોકો તો આ રીતે પણ મૂરખ બની જશે. પરંતુ  લખનાર તેની જાણબહાર તેની વૈચારિક અપ્રામાણિકતા બતાવી બેસશે.

૫. ગઈ કાલે પણ લખ્યું હતું કે લખનારા માટે તેજાબી કલમને એવી બધી અતિશયોક્તિઓ ન કરવી. સિંહ-સિંહણ જંગલમાં હોય ને ત્યાં જ શોભે. કંઈ પણ લખવા માટે સિંહ કે સિંહણના કલેજાની નહીં કે છપ્પનની છાતીની કે એવી બધી ફિલ્મી જરૂરિયાતો નથી હોતી. (એ બધી જરૂરિયાતો સીન નાખવા માટે જ હોય છે). ચમચાગીરી કે 'સરકારી તટસ્થતા' સિવાયનું લખવા માટે મૂળભૂત રીતે સંવેદનશીલતાની અને પ્રતિબદ્ધતાની જ જરૂર હોય છે.

૬. એક નાગરિક તરીકે મારા માટે તો, પારૂલબહેને આ કવિતા લખી એટલું પૂરતું છે. લોકોની વ્યથા જોઈને, લોકો વતી સરકારની સામે ઉઠતા કડક ટીકાના સૂરમાં વધુ એક સૂર ઉમેરાયો તેનો આનંદ છે. પણ એ પહેલો સૂર નથી ને છેલ્લો પણ નહીં. પારૂલબહેને પણ એવો કશો દાવો કર્યો નથી. આવા વખતે ‘સિંહણનું કલેજું’ વગેરે ઠાલાં વિશેષણો લખવાથી એવો સંદેશો જાય છે કે ‘આ તો ભઈ, આપણું કામ નહીં. સિંહ/સિંહણનું કલેજું જોઈએ.’

ખરેખર તો, એવું ન હોય. આ દરેક નાગરિકનું અને તેની પહોંચમાં આવે એવું કામ છે. કેટલાક કિસ્સામાં એવી પણ શંકા જાય કે કશી બહાદુરી વિના, માત્ર પ્રતીતિથી લખનારને સિંહ/સિંહણ સાથે સરખાવવાનો હેતુ પોતાનું નમાલાપણું ઢાંકવાનો તો નહીં હોય?

૭. પારૂલબહેનની કવિતા પરિસ્થિતિનું બયાન છે. તે કવિતા બને છે કે નહીં, તેની પંડિતાઈભરી ચર્ચા આવતા વર્ષે રાખવી. તે અત્યારે લખાઈ તે પ્રશંસાને પાત્ર છે. અત્યારે એટલું જ વિચારવું-કહેવું કે તેમાં આલેખાયેલી વાત હકીકત છે કે નહીં? સાહેબની ટીકાથી મૂળીયાં બળી ગયાં હોય, તો સાહિત્યનો ને કાવ્યશાસ્ત્રનો માપદંડ લઈને કવિતાને ઝૂડવાની જરૂર નથી.

૮. ‘આ કવિતા રાજકીય નથી’ અથવા તો ‘તેની ફલાણી કડીનો અર્થ ખરેખર તો આવો નહીં, પણ તેવો થાય છે’—આ બધું માત્ર ને માત્ર સરકારની ચાપલૂસીમાં ખપશે. કેમ કે, કવિતાનો એક જ અર્થ થાય છે અને તે સાફ સમજાય એવો છે.

૯. પારૂલબહેન વિશે પણ ચુકાદા ફાડવાની જરૂર નથી. હું તેમને ઓળખતો નથી ને તેની જરૂર પણ નથી. તેમણે કશો દાવો કર્યો નથી. કવિતાને મળેલા બંને પ્રકારના પ્રચંડ પ્રતિસાદથી કોઈ પણ માણસ ડઘાઈ જાય. ટ્રોલિંગ વગેરેથી ન ટેવાયેલો સામાન્ય માણસ ભક્તોના આક્રમણથી ડીફેન્સિવ પણ બની જાય. તેમણે બહાદુરીના કશા દાવા વિના, પ્રતીતિપૂર્વક કવિતા લખી. એ આપણા માટે પૂરતું હોવું જોઈએ.

આપણે જ એમને સિંહણનાં કલેજાવાળાં જાહેર કરીએ ને આપણે જ એમની કથિત પીછેહઠની ટીકા કરીએ, તો એ બંને આપણા પ્રોબ્લેમ છે—એમના નહીં. તેમને નાયિકા કે ખલનાયિકા બનાવવાથી બચવા જેવું છે. તેમની કવિતામાં પ્રતિબિંબિત થતી કરુણતા અને વેદનાને યાદ રાખવા જેવી છે. અસલી ચીજ એ છે.
(મુદ્દા શાંતિથી વિચારજો અને યોગ્ય લાગે તો શૅર કરી શકો છો)

Tuesday, May 11, 2021

કળીયુગની ભક્તસંહિતા

--પછી શિષ્યોએ પૂછ્યું કે ‘હે ગુરુદેવ, મધ્યકાળમાં ભક્તોની ઓળખ સરળ હતી. તે ભજનો રચતાં, ગાતાં અને ભવિષ્યનાં પાઠ્યપુસ્તકો માટે સામગ્રી પૂરી પાડવાની કોઈ સભાનતા વિના, દુનિયાદારીનું ભાન ભૂલીને ઈશ્વરની ભક્તિમાં લીન રહેતાં. પરંતુ ઘોર કળીયુગમાં ભક્તોની પિછાણ શી રીતે કરવી? અમારા સંશયનું છેદન અને જિજ્ઞાસાનું શમન કરો.’

ગુરુ બોલ્યા,
‘હે શિષ્યો, ઘોર કળીયુગમાં જ્યારે વિદ્યાને બદલે અવિદ્યાનો મહિમા છે, ત્યારે તમારાં સંશય અને જિજ્ઞાસા વિશે જાણીને હું પ્રસન્ન થયો છું. તેથી જેટલું બોલીને હું પૉઝિટિવિટીના કે પ્રેરણાના કે લાઇફ-કોચિંગના વર્ગોમાંથી તગડી રકમ પ્રાપ્ત કરી શકું, તેટલું જ્ઞાન હું તમને—મારા ટ્યૂશનાર્થીઓને—વધારાની કોઈ ફી વિના આપીશ.’

 ‘હે શિષ્યો, જેમ વરસાદ વિશે જાણવા માટે વાદળાં વિશે જાણવું આવશ્યક છે, તેમ કળીકાળમાં ભક્તોના પ્રકાર વિશે જાણતાં પહેલાં તેમના આરાધ્ય વિશે જાણવું અનિવાર્ય છે. અલબત્ત, વર્તમાન કાલખંડમાં ગુર્જરદેશ અને સમગ્રતયા ભારતવર્ષમાં એક જ આરાધ્ય વિદ્યમાન હોવાનું પ્રતીત થાય છે. એટલે તેમના ભક્તોને લક્ષ્યમાં રાખીને હું મીમાંસા કરીશ.’

‘ભક્તોના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે. પહેલો અને મુખ્ય પ્રકાર ભારતની પ્રાચીન ભક્ત પરંપરા સાથે સીધું સામ્ય ધરાવે છે. પ્રાચીન ભક્તો પોતાની ભક્તિ છુપાવવાને બદલે તેને બેધડક જાહેર કરતા હતા. સંજોગો વિપરીત હોય કે અનુકૂલ, ભક્તિથી નુકસાન થવાનો સંભવ હોય કે ફાયદો, તે આવો કશો વિચાર કરવાને બદલે, લોકલાજથી ડર્યા વિના કે લોકનિંદાથી ડગ્યા વિના, ‘એવા રે અમે એવા’ કહેતા હતા. વર્તમાનમાં પણ આ પ્રકારના ભક્તો નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. તે લાભાલાભ જોવાને બદલે, પ્રતિષ્ઠાનું કે સન્માનનું બલિદાન આપીને પણ ભક્તિમાર્ગેથી ચળતા નથી. વાસ્તવિકતાનાં ગમે તેટલાં પ્રમાણપુરાવા કે આલેખન તેમને ભક્તિમાર્ગેથી પાછા વાળી શકતાં નથી. આરાધ્ય સાથે તેમનું મનોસંધાન એ હદે એકરૂપ થયેલું હોય છે કે બ્રેઇન સ્ટ્રોકને પણ તે માસ્ટર સ્ટ્રોક ગણીને તેનો ઉત્સવ મનાવી શકે છે.’

‘આવા ભક્તોની ઓળખ જરાય કઠણ નથી. તમારું ધ્યાન ન હોય તો તે તમને સામેથી ઢંઢોળીને પોતાની ભક્તિના પુરાવા અને નિદર્શન આપ્યા કરશે. એક ચૂકી ગયા તો બીજું ને બીજું ચૂક્યા તો ત્રીજું. હા, એટલું ખરું કે આટલી પ્રખર ભક્તિ માટે કયાં પરિબળ જવાબદાર છે તે દરેક પ્રસંગે જાણવું શક્ય નથી હોતું. પરંતુ સામાન્ય રીતે વિધર્મીદ્વેષ અને વિચારદોષથી માંડીને આર્થિક પ્રલોભન જેવાં કારણોમાંથી તે જન્મે છે અને પોતાની ઓળખના પર્યાય તરીકે તે સ્થિર થાય છે. ત્યાર પછીનો તબક્કો ભક્ત અને આરાધ્યના--જીવ અને શિવના—એકપક્ષી એકત્વનો છે. તેમાં આરાધ્યના અપમાનમાં ભક્તને પોતાનું અપમાન લાગે છે અને આરાધ્યની અક્ષમ્ય ભૂલ અભૂતપૂર્વ ઐતિહાસિક સિદ્ધિ લાગે છે. સંસારમાં આવા ભક્તોના વિચરણથી ભક્તિમાર્ગ ફૂલેફાલે છે.’

આટલું કહીને ગુરુજી અટક્યા, કપાળ પર એકઠી થયેલી રેખાઓને વેરવિખેર થવા થોડી ક્ષણો આપી, પછી પાણીના બે ઘૂંટ પીને, ઊંડો શ્વાસ લઈને તેમણે આગળ ચલાવ્યું.

‘બીજા પ્રકારના ભક્તો સંસારના સામાન્ય વ્યાપારો પૂરી સ્વસ્થતાથી પાર પાડે છે. પોતે ભક્ત છે એવું જાહેર કરવું તેમને ગમતું નથી. પોતાના આરાધ્યની છબી ચિત્તમાં સ્થાપીને તે આશ્વસ્ત અને સંતુષ્ટ હોય છે. ભક્ત તરીકે ઓળખાવાની તેમને કોઈ એષણા હોતી નથી. ઉલટું તે પોતે સંસારીઓને છેતરવા માટે એવો સ્વાંગ ધરે છે, જાણે તે ભક્ત નથી. કેમ કે, તેમને મન આ તેમના અને તેમના આરાધ્ય વચ્ચેનો સંબંધ છે. તેને દુનિયા સમક્ષ છતો કરીને એ સંબંધની નજાકતને શા માટે આંચ આવવા દેવી? પરંતુ કસોટીની ઘડીમાં આરાધ્ય પર પ્રહારો થાય ત્યારે આવા ભક્તો પાછા પડતા નથી. તે આરાધ્યના સીધા કે આડકતરા સમર્થનમાં તર્કાભાસી દાખલાદલીલો કરે છે, આરાધ્યના ટીકાકારોની સમજશક્તિ વિશે શંકા વ્યક્ત કરે છે અને ઠાવકાઈ છોડ્યા વિના, અંતરમાં રહેલી આરાધ્યની છબી છતી થઈ ન જાય એ રીતે, આરાધ્યના આક્રમક કે રક્ષણાત્મક બચાવમાં પ્રવૃત્ત રહે છે. તેમને ભક્ત કહેવામાં આવે, તો તે અંદરથી ટાઢક અનુભવતા હોવા છતાં સંસારીઓને અંધારામાં રાખવા માટે હળવો રોષ પણ વ્યક્ત કરે છે.’

‘અને ત્રીજો પ્રકાર?’ એક શિષ્યે અધીરાઈથી પૂછ્યું.

‘એ પ્રકારની ઓળખ ઘણા માટે કસોટીરૂપ બની રહે છે. પહેલા બંને પ્રકારના ભક્તો બરાબર સમજે છે કે પોતે ભક્ત છે. પરંતુ ત્રીજા પ્રકારના ભક્તો પોતાની જાતને પણ એવું જ ઠસાવે છે કે તે ભક્ત નથી. કુદરતની લીલા એવી છે કે આ કિસ્સામાં જાતને છેતરવી સહેલી છે, પણ બીજાને છેતરવાનું અઘરું છે. કોઈને જ્યારે તેમના આરાધ્યના પહાડ જેવડા દોષ રજકણ જેવા લાગતા હોય, એ દોષની ટીકા કરનારા દિશા ભટકી ગયેલા કે સમાજના-દેશના હિતશત્રુ લાગતા હોય, આરાધ્યના ગૌરવ અને આરાધ્યની પીડા સામે બાકીના લોકોની પીડા અને ગૌરવ તેમને ગૌણ લાગતાં હોય, તે હકારાત્મકતા, ચિંતન, આશા, પ્રેરણાની પીંછીથી આરાધ્યના ટીકાકારોને હલકા ચીતરીને, આરાધ્યને આંચમુક્ત રાખવા પ્રવૃત્ત હોય, ત્યારે તેમને આ પ્રકારના ભક્ત જાણવા. જો તે સ્વીકારતા હોત તો બીજા પ્રકારમાં હોત. એટલે આ કિસ્સામાં તેમનો અસ્વીકાર એ પણ તેમની ભક્તિનું પ્રમાણ છે. અસ્તુ.’

આ સાંભળીને જેમ શિષ્યોની જિજ્ઞાસાનું શમન થયું, તેમ વાચકોની જિજ્ઞાસાનું પણ થાઓ.