Saturday, May 29, 2021

વૅક્સિન મૈત્રી : ૮૪ ટકા જૂઠાણું, ૧૬ ટકા સચ્ચાઈ

એપ્રિલ-મે, ૨૦૨૧માં કરપીણ રીતે નિષ્ફળ પુરવાર થયેલી સરકારનાં તેવર થોડા વખત પહેલાં સુધી સાવ જુદાં હતાં. નવા શબ્દપ્રયોગો અને સ્લોગનમાં માહેર સરકાર તરફથી મુકાયેલો નવો ઘુઘરો હતોઃ 'વૅક્સિન મૈત્રી.' કેટલાકને વાસ્તવિકતા કરતાં સ્લોગનબાજી વધારે અનુકૂળ આવે છે. કરૂણ વાસ્તવિકતા ભૂલાવીને 'દવાઈ ભી, કડાઈ ભી'  કેવું મહાન સૂત્ર છે તેની વાત કરતાં તે ઓળઘોળ થઈ શકે છે. વેક્સિન મૈત્રીનો મામલો પણ કંઈક એવો જ થયો. 

કોવિશિલ્ડ અને કોવેક્સિન--એ બંને વિશે કેટલીક પાયાની વિગતો આપતી એક પોસ્ટ જાન્યુઆરીમાં મુકી હતી. તેમાંથી સ્પષ્ટ થતું હતું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટને ભારત સરકારે કશી મદદ કરી નથી. પણ રસીકરણને લગતી વૈશ્વિક કામગીરી કરતી સંસ્થા 'GAVI'એ તેને ૩૦ કરોડ ડૉલર ફાળવ્યા છે. માટે, સ્વાભાવિક રીતે જ સિરમ ઇન્સ્ટિટ્યૂટની પણ કોઈ વળતી જવાબદારી હશે. 

પરંતુ જોતજોતાંમાં 'વેક્સિન મૈત્રી'ની ડુગડુગી વાગવાની ચાલુ થઈ. સરકાર તરફથી એવા દાવા થવા લાગ્યા કે વેક્સિન મૈત્રી કાર્યક્રમ અંતર્ગત ૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ મોકલવામાં આવ્યા છે. (તેના એક નમૂના તરીકે એપ્રિલ ૯, ૨૦૨૧ના રોજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ જારી કરેલી આ પ્રેસનોટ) 'વિશ્વગુરુ' તરીકે ભારતનો જયજયકાર કરવાનો અને દુનિયાની મદદે આવેલા ભારતની છાપ ઊભી કરવાનો કાર્યક્રમ જોરશોરથી ચાલ્યો.

ત્યાર પછી ભારતમાં કોરોનાનો ક્રૂર સપાટો ચાલ્યો. કદી ન જોઈ હોય એવી કરુણ પરિસ્થિતિ..દવા-ઇન્જેક્શન-ઑક્સિજનથી માંડીને અનેક બાબતોમાં અભૂતપૂર્વ અરાજકતા સર્જાઈ. આટલી નિષ્ફળતા ઓછી હોય તેમ, અલગ પ્રકારના મિસમૅનેજમૅન્ટના પરિણામે રસીનો પુરવઠો ખૂટી પડ્યો અને રસીકરણ કાર્યક્રમ ધીમો પાડવાનો વારો આવ્યો. 

ઘરઆંગણે રસી ખૂટી ગઈ એટલે સ્વાભાવિક રીતે જ, પૂરતી ગણતરી વિના પરદેશમાં રસી મોકલવા બદલ સરકારની આકરી ટીકા થઈ. કેમ કે, સરકારે પોતે જ 'વેક્સિન મૈત્રી'ના વાવટા ખોડ્યા હતા અને 'વેક્સિન મૈત્રી' અંતર્ગત '૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ'ના દાવા કર્યા હતા. 

પગ તળે રેલો આવ્યો, એટલે સરકારે વેક્સિન-મૈત્રીના વાવટા ધીમે રહીને સંકેલ્યા. સરકાર તરફથી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો તરફથી) આ સ્પષ્ટતા ક્યારે થઈ, એ તો ખ્યાલ નથી. પણ ભાજપના પ્રવક્તાએ પંદરેક દિવસ પહેલાં (મે ૧૨, ૨૦૨૧ના રોજ) કહ્યું કે ભારતે પરદેશ મોકલેલા ૬.૬૩ કરોડથી પણ વધુ ડોઝમાંથી ૮૪ ટકા હિસ્સો તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારીઓનો હિસ્સો હતો. (લિન્ક

ઉપરના વિધાનનો સ્પષ્ટ અર્થ એટલો થાય કે-

૧. સરકારની વેક્સિન મૈત્રીની વાતોમાં ૮૪ ટકા જૂઠાણું અને ૧૬ ટકા સચ્ચાઈ હતાં. 

૨. વેક્સિન મેત્રીના રૂપાળા નામ હેઠળ ગણાવાતા રસીના કુલ જથ્થામાંથી ૮૪ ટકા હિસ્સો મોકલવામાં ભારત સરકારનો કોઈ હિસ્સો ન હતો. એ ભારત સરકારનો નિર્ણય પણ ન હતો. એ તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારી (commercial and licensing liabilities) હતી.

એટલે જ, આ સરકાર કંઈ પણ કહે--અને લેખિતમાં કહે--તો પણ તેની પર વિશ્વાસ નહીં, શંકા જ પડે છે અને દેશના કમનસીબે ઘણુંખરું એ શંકા સાચી જ પડે છે.

1 comment:

  1. Anonymous2:54:00 AM

    It is bitter truth and govvt. also interested in confusing the people, so nobody trust at a glance.

    ReplyDelete