Friday, May 14, 2021

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા: પારૂલ ખખ્ખરની કવિતા નિમિત્તે

ફેસબુક પર પારૂલબહેન ખખ્ખરની કવિતા મુકાયા પછી ઘણી શૅર થઈ, શરૂઆતમાં ઘણી વખણાઈ અને પછી ટ્રોલિંગ પણ શરૂ થયું. સમર્થનમાં અને વિરોધમાં પ્રતિકાવ્યો લખાયાં. સવારે એ કવિતા મુકાયા પછી, મેં તે કવિતા અને ઇલિયાસ શેખે કરેલો તેનો હિંદી અનુવાદ શૅર તો કર્યાં. ઉપરાંત, ફેસબુક પર એ મુદ્દે જે કંઈ લખ્યું તે રેકોર્ડ પૂરતું અહીં મુકું છું.

***

મે ૧૧, ૨૦૨૧ (બપોરે)

અમુક પ્રકારની પ્રજા એટલી 'સંસ્કારી' હોય છે કે તેમને કશુંક પદ્યમાં લખાઈને આવે તો જ અડે.
તો લો, તમારા માટે Parul Khakhar ની આ કવિતા.
આભાર પારૂલબહેન, આ લખવા બદલ.
*
બીજી વાતઃ અત્યારે સાચી પરિસ્થિતિનું બયાન કરનારાની હિંમતને બિરદાવીને છટકી જશો નહીં. પારૂલબહેન કે બીજા કોઈ લોકો આગળ બહાદુરીના સીન નાખવા માટે ન લખતાં હોય. (બતાવવાની બહાદુરી માટે લખતી પ્રજા જુદી હોય છે. એ તો અત્યારે કેમ કરીને બધા છેડા સાચવવા, એમાં વ્યસ્ત હોય.)
 

તેમણે આપણા સમાજમાં વ્યાપેલી ભયંકર વ્યથાનું પ્રતિબિંબ પાડ્યું છે અને તેમાં સરકારની સીધી જવાબદારી-આવામાં પણ હેડલાઇનો મૅનેેજ કરવાની સરકારની વૃત્તિ સામે આયનો બતાવ્યો છે. આ તેમની પ્રતિબદ્ધતા છે.
તેમની પ્રતિબદ્ધતાને સલામ કરીને નીકળી જવાને બદલે, આ સમજ ઉગે-વધે-વિસ્તરે એ માટેના પ્રયત્નોમાં આપણાથી બનતું કરી છૂટીએ.
 

પારૂલબહેને સર્જકધર્મ અદા કર્યો. આપણે નાગરિકધર્મ અદા કરીએ.
ફરી એક વાર પારૂલબહેનને ધન્યવાદ સાથે તેમની કવિતા.
*
એક અવાજે મડદા બોલ્યાં 'સબ કુછ ચંગા-ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.


રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે 'વાહ રે બિલ્લા-રંગા'!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો  'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
-પારુલ ખખ્ખર
***

મે ૧૧, ૨૦૨૧ (રાત્રે)

આજે બપોરે Parul Khakharની કવિતા અને પછી તેનો Iliyas Shaikhએ કરેલો હિંદી અનુવાદ વાંચીને બહુ સારું લાગ્યું. વાસ્તવિકતાને ઉજાગર કરતા અવાજોમાં એક કવયિત્રીનો અવાજ પણ ઉમેરાયો તેનો આનંદ થયો. મૂળ કવિતા અને અનુવાદ ફેસબુક અને ટિ્વટર પર ભાવથી શૅર પણ કર્યાં.

- સાથોસાથ, એવું પણ થયું કે જેમને અત્યાર સુધી આટઆટલા અહેવાલો, કરુણ પ્રસંગો, સરકારનું ગુનાઈત મિસમૅનેજમૅન્ટ, લોકોની વ્યથાવેદના--એ કશું અડ્યું ન હોય અને ફક્ત એક કવિતાથી જ વેદનાનો સણકો આવ્યો હોય, તેમણે પોતાનું સંવેદનતંત્ર વેળાસર ચૅક કરાવી લેવું જોઈએ. તેના વાયરિંગમાં નક્કી ગરબડ હોવી જોઈએ. 

- લોકોની વેદનાને વાચા આપનાર-તે માટે સરકારની કે સ્થાપિત હિતોની ટીકા કરનારને મૂક કે બોલકો સાથ આપવો જ જોઈએ. પરંતુ 'તેજાબી કલમ'થી માંડીને એવાં બીજાં નિરર્થક વિશેષણો વાપરવાથી બચવું જોઈએ. એમ કરવાથી ઘણાં નુકસાન થઈ શકે છે. 

- ગુજરાતી લેખનમાં તેજાબી કલમના નામે બહુ ધુપ્પલ ચાલ્યાં છે. લખનારનું કામ સહેતુક તેજાબી લખાણની નાટકીયા પટાબાજી ખેલીને ઉત્તેજનાપૂર્ણ મનોરંજન પૂરું પાડવાનું નથી. તેનાથી વાંચનારને કામચલાઉ કીક મળી શકે--વિચાર નહીં. ઉલટું, ઘણી વાર તો એ વાંચનારની સ્વતંત્ર વિચારશક્તિ હણી લેવાનું કામ પણ કરી શકે છે. એ જોતાં તેમના માટે 'તેજાબી'ને બદલે 'અફીણી' વિશેષણ વધારે યોગ્ય ન ગણાય? અને લખનાર સાવધ ન રહે (જેવું ફેસબુક જેવાં માધ્યમમાં બહુ બનતું હોય છે) તો તે ખુદ પોતાની 'તેજાબી' છબીના પ્રેમમાં પડીને અવગતે જઈ શકે છે. 

- પારૂલબહેનની કવિતા કે એ પ્રકારનાં બીજાં અનેક લખાણોનો આશય એ જ હોય છે કે લોકો એક યા બીજા પક્ષે તાળીઓ વગાડીને, 'વાહ, વાહ ક્યા બાત હૈ' કરીને, ખંખેરીને જતા રહેવાને બદલે જાતે વિચારતા-સંવેદન અનુભવતા થાય. અભિવ્યક્તિ સૌ પોતપોતાની પ્રકૃતિ ને આવડત પ્રમાણે કરે કે ન પણ કરે, પરંતુ આટલી મોટી મહામારી અને આટલી કરુણ માનવસર્જિત ગેરવ્યવસ્થા ચાલતાં હોય ત્યારે, કહેવાતી તટસ્થતા છોડીને વાસ્તવિકતા સ્વીકારવા-સમજવા-અનુભવવાનું જરૂરી છે. 

માટે, જે ગમે તેની પ્રશંસા જરૂર કરવી. પણ મુશાયરમાં છીછરી દાદ આપનારા જેવા ન બની જવું, વિશેષણોનો અતિરેક ટાળવો અને ફક્ત વખાણ કરીને અટકી ન જવું.  ત્યાંથી કામ પૂરું નહીં, શરૂ થાય છે.

***

કેટલાક પ્રાથમિક મુદ્દા અને નિરીક્ષણો~
મે ૧૨, ૨૦૨૧ (બપોરે)
૧. ભૂતકાળમાં જેમણે મોદીનું-ભાજપનું (કે વણઝારા સહિતની મોદીની ઇકો-સિસ્ટમનું) સમર્થન કર્યું હોય એવી કોઈ પણ વ્યક્તિ અત્યારે મોદીની-ભાજપની ટીકા કરી જ શકે. દરેક વ્યક્તિને સમજ વિસ્તારવાનો અને સમજ પ્રમાણે વિચાર બદલવાનો કુદરતી અધિકાર છે.

૨. ‘અમે તો મુદ્દા-આધારિત સ્ટેન્ડ લઈએ છીએ.’ તે આમ તો બહુ આદર્શ લાગે એવું વિધાન છે. પણ ગુજરાતીમાં લખનારાની વાસ્તવિકતા ધ્યાનમાં રાખતાં, તે 'મુદ્દા-આધારિત' નહીં, 'વહેણ-આધારિત' વધારે હોય છે. તેમના ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નું ગુજરાતી એવું થાય કે ‘વહેણ જોઈને અમે વણઝારાની આરતી પણ ઉતારીએ ને વહેણ જોઈને મોદીની ટીકા પણ કરી લઈએ. હા, અમે તો સખ્ખત મુદ્દા-આધારિત.’

અત્યારના સમયની વાત કરીએ તો, તેમાં ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નો મતલબ છેઃ ‘અમારે સરકારને છાવરવી છે. પણ માત્ર એવું કરીએ તો લોકોની નજરમાંથી સાવ ઉતરી જવાય. એટલે અમે અક્ષમ્ય રીતે નિષ્ફળ ગયેલી સરકારનો બચાવ કરતા રહીને, વચ્ચે વચ્ચે સરકારને ચૂંટલીઓ ખણતા રહીશું ને સરકારની વર્ચ્યુઅલ સોડમાં રહેતાં રહેતાં તટસ્થતાનો ખેલ પાડતાં રહીશું. મુદ્દા-આધારિત. સમજ્યા કે નહીં?

૩. અત્યારના સંજોગોમાં સરકારની ચમચાગીરી (બીજો હળવો શબ્દ જડતો નથી) કરવી હોય અથવા સરકારની ગુડ બુકમાં રહેવું હોય એ જ માણસ, સરકારની ઘોર નિષ્ફળતા-નઠોરતાને ‘બૅલેન્સ કરવા માટે’ સરકારનાં વખાણ કરી શકે. (એવા ‘બૅલેન્સ’ માટે તલ જેવડી સરકારી કામગીરીને તરબૂચ જેવડી ચિતરીને લોકોને મૂરખ બનાવવા પડે એનો વાંધો નહીં.) સરકારના બચાવકારો કે સમર્થકોનો ત્રીજો પ્રકાર કોઈ લાભ વિના, કોમવાદી કે બીજા પ્રકારના દ્વેષથી સરકારની પડખે રહેવાનો છે. આ સિવાયના કોઈ પ્રકારો જાણમાં નથી.

૪. આપણી સાથે અંગત નિકટતા ધરાવતી વ્યક્તિ આપણા વિચારની વિરોધી હોઈ જ શકે. અને તેમ છતાં તે અંગત રહી જ શકે. આવા સંજોગોમાં વૈચારિક બાબતે તેમની ટીકા કે પ્રશંસા કશું કરવાની જરૂર નથી. તે વ્યક્તિગત કારણોસર અંગત હતાં, છે ને રહેશે. પરંતુ એક તરફ સરકારનો વિરોધ કરવો અને બીજી તરફ, તેના બચાવકારો-'બૅલેન્સવાદીઓ'ને વૈચારિક સમર્થન આપવું, એ હળાહળ વૈચારિક અપ્રામાણિકતા છે. સંબંધ અને પ્રામાણિકતાને એકબીજાની અવેજીમાં રાખવાની જરૂર નથી. આપણી ઘણી પ્રજા મૂરખ બનાવનારની શોધમાં રહેતી હોય છે. એટલે લોકો તો આ રીતે પણ મૂરખ બની જશે. પરંતુ  લખનાર તેની જાણબહાર તેની વૈચારિક અપ્રામાણિકતા બતાવી બેસશે.

૫. ગઈ કાલે પણ લખ્યું હતું કે લખનારા માટે તેજાબી કલમને એવી બધી અતિશયોક્તિઓ ન કરવી. સિંહ-સિંહણ જંગલમાં હોય ને ત્યાં જ શોભે. કંઈ પણ લખવા માટે સિંહ કે સિંહણના કલેજાની નહીં કે છપ્પનની છાતીની કે એવી બધી ફિલ્મી જરૂરિયાતો નથી હોતી. (એ બધી જરૂરિયાતો સીન નાખવા માટે જ હોય છે). ચમચાગીરી કે 'સરકારી તટસ્થતા' સિવાયનું લખવા માટે મૂળભૂત રીતે સંવેદનશીલતાની અને પ્રતિબદ્ધતાની જ જરૂર હોય છે.

૬. એક નાગરિક તરીકે મારા માટે તો, પારૂલબહેને આ કવિતા લખી એટલું પૂરતું છે. લોકોની વ્યથા જોઈને, લોકો વતી સરકારની સામે ઉઠતા કડક ટીકાના સૂરમાં વધુ એક સૂર ઉમેરાયો તેનો આનંદ છે. પણ એ પહેલો સૂર નથી ને છેલ્લો પણ નહીં. પારૂલબહેને પણ એવો કશો દાવો કર્યો નથી. આવા વખતે ‘સિંહણનું કલેજું’ વગેરે ઠાલાં વિશેષણો લખવાથી એવો સંદેશો જાય છે કે ‘આ તો ભઈ, આપણું કામ નહીં. સિંહ/સિંહણનું કલેજું જોઈએ.’

ખરેખર તો, એવું ન હોય. આ દરેક નાગરિકનું અને તેની પહોંચમાં આવે એવું કામ છે. કેટલાક કિસ્સામાં એવી પણ શંકા જાય કે કશી બહાદુરી વિના, માત્ર પ્રતીતિથી લખનારને સિંહ/સિંહણ સાથે સરખાવવાનો હેતુ પોતાનું નમાલાપણું ઢાંકવાનો તો નહીં હોય?

૭. પારૂલબહેનની કવિતા પરિસ્થિતિનું બયાન છે. તે કવિતા બને છે કે નહીં, તેની પંડિતાઈભરી ચર્ચા આવતા વર્ષે રાખવી. તે અત્યારે લખાઈ તે પ્રશંસાને પાત્ર છે. અત્યારે એટલું જ વિચારવું-કહેવું કે તેમાં આલેખાયેલી વાત હકીકત છે કે નહીં? સાહેબની ટીકાથી મૂળીયાં બળી ગયાં હોય, તો સાહિત્યનો ને કાવ્યશાસ્ત્રનો માપદંડ લઈને કવિતાને ઝૂડવાની જરૂર નથી.

૮. ‘આ કવિતા રાજકીય નથી’ અથવા તો ‘તેની ફલાણી કડીનો અર્થ ખરેખર તો આવો નહીં, પણ તેવો થાય છે’—આ બધું માત્ર ને માત્ર સરકારની ચાપલૂસીમાં ખપશે. કેમ કે, કવિતાનો એક જ અર્થ થાય છે અને તે સાફ સમજાય એવો છે.

૯. પારૂલબહેન વિશે પણ ચુકાદા ફાડવાની જરૂર નથી. હું તેમને ઓળખતો નથી ને તેની જરૂર પણ નથી. તેમણે કશો દાવો કર્યો નથી. કવિતાને મળેલા બંને પ્રકારના પ્રચંડ પ્રતિસાદથી કોઈ પણ માણસ ડઘાઈ જાય. ટ્રોલિંગ વગેરેથી ન ટેવાયેલો સામાન્ય માણસ ભક્તોના આક્રમણથી ડીફેન્સિવ પણ બની જાય. તેમણે બહાદુરીના કશા દાવા વિના, પ્રતીતિપૂર્વક કવિતા લખી. એ આપણા માટે પૂરતું હોવું જોઈએ.

આપણે જ એમને સિંહણનાં કલેજાવાળાં જાહેર કરીએ ને આપણે જ એમની કથિત પીછેહઠની ટીકા કરીએ, તો એ બંને આપણા પ્રોબ્લેમ છે—એમના નહીં. તેમને નાયિકા કે ખલનાયિકા બનાવવાથી બચવા જેવું છે. તેમની કવિતામાં પ્રતિબિંબિત થતી કરુણતા અને વેદનાને યાદ રાખવા જેવી છે. અસલી ચીજ એ છે.
(મુદ્દા શાંતિથી વિચારજો અને યોગ્ય લાગે તો શૅર કરી શકો છો)

5 comments:

  1. પારૂલબેન ખખ્ખર કવિતા ભાવુક છે,સમયની પરખ કરીને પોતાની
    મનની 'બળતરા' ઠાલવી છે!
    ગમે તે સરકાર હોત તેમણે આવી કપરી પરિસ્થિતિમાં કેવા યોગ્ય
    પગલાં લીધા હોત તેની જાણ કોઈને ના હોય શકે.
    દુનિયાના દરેક દેશોમાં આવીજ દશા છે!
    જેમને સહન કરવાનું થયું છે તેનું મન જાણે કે આ દુઃખ અને આપત્તિ કેવી છે.
    લખનારા અને સહાનુભૂતિ આપવા વાળા પણ ઘણા હોય છે.

    ReplyDelete
  2. Highly realistic picture of what is going on in the country right now. I wonder where other famous poets are hiding.

    ReplyDelete
  3. The translation in Hindi, Marathi and English of this hard-hitting poem can be found at http://layastaro.com/?p=18620

    ReplyDelete
  4. ખૂબ જ સુંદર અને મુદ્દાસર લેખ... કવિતાને કવિતાની રીતે જ મૂલવવું જોઈએ... આ કવિતા યુગપ્રવર્તક રચના છે. એમાંથી રાજકારણ શોધવાનું હોય જ નહીં... કવિએ જે ટકોર કરી છે, એ સફાળા જાગવા માટેની છે...

    ReplyDelete
  5. Anonymous3:17:00 AM

    "દુનિયામાં બધે જ આવી દશા છે"
    બીજી સરકારો એ શું કર્યુ હોત એ ખબર નથી એટલે બા અમે તો બોયા ય નથી ને ચાયા ય નથી
    ઊર્વીશભાઇ દળી દળી ને કુલડી માં નાખવા જેવો ઘાટ છે.
    મનહર સુતરીયા

    ReplyDelete