Tuesday, August 10, 2021

એક જંગલની વાર્તા

એક જંગલ હતું. તેમાં એક શિયાળ રહેતું હતું. તેને જંગલના રાજા થવાના બહુ કોડ હતા. એ જંગલમાં વાઘ-સિંહની વસ્તી ન હતી. થોડા ઉંમરલાયક હાથીઓ હતા. તેમાંથી કેટલાક ઉંમરને કારણે ધોળા થઈ ગયા હતા. તે થોડુંઘણું કામ કરતા હતા. તેમને પાલવવાનો ખર્ચ બહુ મોટો હતો. છતાં, તેમનાથી વધારે તાકાતવાન કોઈ ન હોવાથી, બીજાં પ્રાણીઓ સાથે મળીને તે જંગલનો વહીવટ ચલાવતા હતા.  શિયાળોને હાથીરાજ સામે બહુ વાંધો હતો. તેમને થતું હતું કે પહેલેથી શિયાળવાંની ઉપેક્ષા થતી આવી છે. તેમને લુચ્ચાં, કિન્નાખોર, દુષ્ટ ગણવામાં આવ્યાં છે. વર્ષોથી તે જંગલમાં પોતાની હાજરી—જે ઘણાને ન્યૂસન્સ વૅલ્યુ લાગતી હતી—પુરાવતાં રહ્યાં છે. છતાં જંગલમાં તેમના પ્રદાનની કોઈએ કદર કરી નથી. કેટલાંક વૃદ્ધ શિયાળ જંગલના ઇતિહાસમાં પોતાના વડવાઓના પ્રદાન વિશે—એટલે કે પ્રદાન ન હોવા વિશે--શરમ અનુભવતાં હતાં. પણ બદલાયેલાં સમયનાં શિયાળો એમ ગાંજ્યાં જાય એવાં ન હતાં. તેમાંથી એક શિયાળને થયું કે હાથીઓ સાથે તેમની પીચ પર રમવા જઈશું, તો સાત જનમેય આપણો વારો નહીં આવે. એને બદલે હાથીઓ આપણી શરતે રમવા આવે, એવું કંઈક કરવું જોઈએ.  

મુખિયા બનવા માગતા શિયાળે પસંદ કરેલા કેટલાક સાગરીતો સમક્ષ આ વાત મૂકી, ત્યારે પહેલાં તો સન્નાટો છવાઈ ગયો. કારણ કે ત્યાર પહેલાં શિયાળાઓએ એક જ દિશામાં કામ કર્યું હતું. જંગલમાં વિવિધ પ્રાણીઓ વચ્ચેની દુશ્મનાવટ કેમ કરીને વધે, તે માટે તે પ્રયત્નશીલ રહેતાં. આમ કરવામાં તેમને ફાયદો એ હતો કે ધીમે ધીમે પ્રાણીઓનો એક સમુહ કાળા-ધોળા હાથીઓની નેતાગીરી પ્રત્યે અવિશ્વાસ સેવતો થઈ ગયો હતો. તેમને થવા લાગ્યું હતું કે હાથીઓ નકામા છે. એટલું જ નહીં, ઘણા પ્રાણી સમુદાયોની અવદશા માટે તે સીધેસીધા જવાબદાર છે. તેમના કારણે જંગલની દશા બેઠી છે અને આવું જ ચાલ્યું તો જંગલમાંથી અમુક પ્રાણીઓની પ્રજાતિઓનું નામોનિશાન એવી રીતે મટી જશે, જેમ ડાયનોસોર પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ ગયાં.

આમ, વાતાવરણ થોડુંઘણું તૈયાર થયેલું હતું. તેમાં મુખિયા બનવા માગતા શિયાળે આયોજન રજૂ કર્યું, એટલે શિયાળો વિચારમાં પડી ગયાં. પ્લાન અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો અને સફળ થાય તો જંગલમાં શિયાળરાજ સ્થપાઈ જાય, તે નક્કી હતું. પણ તેના માટે જંગલના જે કંઈ ધારાધોરણો છે તે બધાં સદંતર નેવે મૂકી દેવાં પડે. શિયાળ સમુદાયને અમસ્તો પણ ધારાધોરણો માટે ખાસ પ્રેમ ન હતો. છતાં, તેમને લાગતું હતું કે તેમને સાવ નેવે મૂકી દેવાય? મુખિયા થવા માગતા શિયાળે સમજાવ્યું કે આ તો થોડા સમયનો સવાલ છે. એક વાર જંગલમાં શિયાળરાજ થઈ ગયા પછી આપણે નવેસરથી, આપણને અનુકૂળ પડે એવી રીતે ધારાધોરણો લાવીશું અને તેનો કડકાઈથી અમલ પણ કરાવીશું.

એક વૃદ્ધ શિયાળ આ બધું સાંભળી રહ્યું હતું. તેણે વર્ષોથી મુખિયા થવાનું સપનું જોયું હતું, પણ તે કદી પૂરું થયું ન હતું. તેને લાગ્યું કે કદાચ શિયાળરાજ આવી જાય તો તેનું સપનું સાકાર થાય. એટલે તેણે પણ મહત્ત્વાકાંક્ષી શિયાળને ટેકો આપ્યો. ત્યારે તેને ખ્યાલ ન હતો કે શિયાળ સમુદાયની અને જંગલના હિતની વાત કરી રહેલા શિયાળના મનમાં શી ગણતરી હતી. મુખિયા બનવા થનગનતા શિયાળે પણ પોતાની મુખિયાગીરી જાહેર કરવાને બદલે, શિયાળ સમુદાય વતી, તેના હિત માટે આખું આયોજન હોવાનો ડોળ ચાલુ રાખ્યો. ઝરખ જેવાં કેટલાંક હિંસક પ્રાણી સમુદાયોનો શિયાળ સમુદાયને બિનશરતી ટેકો હતો. કારણ કે તેમને લાગતું હતું કે જંગલમાં હાથીરાજ જશે અને શિયાળરાજ આવશે તો તેમના પણ સારા દિવસો શરૂ થશે.

કેટલાંક જિજ્ઞાસુ શિયાળોએ મુખિયા બનવા માગતા શિયાળને પૂછ્યું કે આ બધું તો બરાબર, પણ આપણે કરવાનું શું? તેનો જવાબ હતોઃ આપણે જે કંઈ કરીએ તે જંગલના હિતમાં છે, એવું ગાઈવગાડીને કહેતા રહેવું પડશે. હાથીઓએ જંગલને કેટલું બરબાદ કર્યું છે અને જંગલમાંથી હાથીઓને શા માટે હાંકી કાઢવા જોઈએ, તે સમજાવવા મચી પડવાનું રહેશે. તે માટે હજારોની સંખ્યામાં પોપટોને કામે લગાડવા પડશે, જે આખો દિવસ આપણું પઢાવેલું રટ્યા કરે. આપણે ભૂલથી કે ઉંઘમાં પણ, કોઈ પણ હિસાબે સાચું ન બોલી જઈએ તેનું ધ્યાન રાખવું પડશે અને જૂઠાણું શક્ય એટલા વધારે જોરથી બોલવાનું રહેશે. આ કામ માટે અઢળક સામગ્રીની અને સાગરીતોની જરૂર પડશે. જંગલમાં જુદા જુદા ઠેકાણે શિયાળ-ઝરખ-વરૂ જેવાં પ્રાણીઓની ટુકડીઓ ઊભી કરવી પડશે, જે જંગલના કોઈ પણ ખૂણે આપણા વિશે વાત થતી હોય ત્યાં જઈને આતંક મચાવે અને આપણો કક્કો ખરો કરાવીને જંપે. કોઈ વાત ન કરતું હોય ત્યાં જઈને પણ તેમણે દરેકેદરેક બાબતમાં શિયાળોનું મહિમાગાન કરવું પડશે. જંગલમાં વરસાદ પડે તો શિયાળોને કારણે પડ્યો અને દુકાળ પડે તો તે હાથીઓને કારણે, એવું બધું લોકોને સતત ઠસાવ્યા કરવું પડશે. જંગલનાં બધાં પ્રાણીઓને લાગવું જોઈએ કે શિયાળ જ ઉદ્ધારક છે અને શિયાળરાજ આવશે તો જંગલનો ઉદ્ધાર થઈ જશે. પણ એવું ન થયું તો જંગલનું નામોનિશાન મટી જશે.

આ પ્રમાણેનું આયોજન સફળતાપૂર્વક અમલમાં મુકાયું. ત્યાર પછી શિયાળની વાર્તા ચાલુ છે, પણ જંગલની વાર્તા પૂરી થઈ ચૂકી છે.

3 comments:

  1. આમ ને આમ શિયાળવાં જ શિયાળવાં બચી રહેશે. પછી જંગલ ખતમ!

    ReplyDelete
  2. ઉર્વીશ ભાઈ કોઠારી,તમે પંચતંત્ર કે જાતકકથામાંથી તો વાતનો સાર નથી લીધો ને? આવી આવી ઉપદેશ દેતી વાતો તેમાં ઘણી છે. એટલું પણ કહેવાનું કે આજના હિંદુસ્તાનના રાજકારણની પરિસ્થિતિની તો વાત નથી કરીને ?
    શિયાળવાંનું શું થવાનું તેતો વાર્તા આગળ ચાલે ત્યારે ખબર પડે!

    ReplyDelete
  3. Highly commendable and appropriate to the current situation in India which is going on for past 10 plus years. I liked the old jackal was shown the corner!
    Thanks.

    ReplyDelete