Wednesday, October 01, 2014

સ્વચ્છતા, સફાઇકામ, સરકાર અને સમાજ

ભારતના વડાપ્રધાન જાહેર કર્યું કે બીજી ઑક્ટોબર, ૨૦૧૪થી તે ‘સ્વચ્છ ભારત મિશન’નો આરંભ કરશે. એ જાણીને પહેલાં તો એવું લાગ્યું કે તે ‘સ્વચ્છ’ એટલે કે ‘ભ્રષ્ટાચારમુક્ત’ ભારતની વાત કરી રહ્યા છે. કારણ કે ચૂંટણી પહેલાં ‘સ્વચ્છતા’ની તેમની સમજણ એ હતી. ચૂંટણી પછી વડાપ્રધાને કોંગ્રેસી સ્ટાઇલમાં કાળા ધન વિશે એક સમિતિ નીમી દીધી એટલે કામ પત્યું. હવે જ્યારે પણ કોઇ પૂછે કે ‘વિદેશમાં જમા થયેલું કાળું નાણું સો દિવસમાં પાછું લાવવાના તમારા વાયદાનું શું થયું?’ ત્યારે પેલી સમિતિને આગળ ધરી દેવાય છે.

બીજી ઑક્ટોબરથી વડાપ્રધાન જે સ્વચ્છતાઝુંબેશની વાત કરે છે, એ બાહ્ય બાબત છે. વડાપ્રધાનની વેબસાઇટ પર મુકાયેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી. ૨૦૧૯માં આપણે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિ ઉજવીએ ત્યારે ‘સ્વચ્છ ભારત’ એ ગાંધીજીને આપણી શ્રેષ્ઠ અંજલિ હોઇ શકે.’

કોઇ પણ રાજકારણી ગાંધીજીની વાત કરે ત્યારે ચેતવું. દાયકાઓથી મહાત્મા ગાંધીના નામે રાજકીય નેતાગીરીએ કંઇક સગવડીયાં સત્યો અને જૂઠાણાં ચલાવ્યાં છે. ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી’ એવી માહિતી વડાપ્રધાને આપી છે, એ બદલ એમનો આભાર. પણ ગાંધીજીનો સ્વચ્છતાનો ખ્યાલ, ‘કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી’ પ્રકારનો- પ્રતીક સફાઇ કરીને, ફોટા પડાવીને કંઇક કર્યાનો ત્વરિત સંતોષ મેળવી લેવાનો ન હતો, એ વડાપ્રધાનને અને તેમના ઝુંબેશસાથીઓને યાદ કરાવવું રહ્યું.

ગાંધીજીને જે સ્વચ્છતા વહાલી હતી એ કંઇક આ રીતે સમજી શકાય : (૧) આરોગ્ય સાથે અને રોજિંદા જીવનને લગતી ટેવો સાથે સંકળાયેલી બાહ્ય સ્વચ્છતા (૨) નાગરિકધર્મ (સિવિક સેન્સ)ના ભાગ જેવી, આસપાસના વાતાવરણને કૂડાકચરામુક્ત રાખવાની ચોખ્ખાઇ (૩) પોતે કરેલી ગંદકીને સાફ કરવાની, શૌચાલય વગેરેની સફાઇ (૪)  હિંદુ ધર્મની વર્ણપ્રથાનો ભોગ બનેલા દલિતોને માથે ઠોકી બેસાડાયેલી, બીજાની ગંદકી સાફ કરવાની અમાનવીય કામગીરી, તેની સાથે સંકળાયેલું અસ્પૃશ્યતાનું મહાકલંક અને તેને મીટાવવાની આત્મશુદ્ધિ. બીજા શબ્દોમાં કહીએ તો, દલિતોને મળસફાઇના કામમાંથી મુક્ત કરવા માટે એ સફાઇ દરેકે પોતે કરવી અને બાકીના સફાઇકામનું યથાયોગ્ય ગૌરવ કરવું, જેથી સુથારીકામ-લુહારીકામથી માંડીને લેખન-પ્રવચન જેવી અનેક કામગીરીઓની જેમ સફાઇકામ પણ એક જ્ઞાતિનિરપેક્ષ અને સામાજિક કલંક વગરનું કામ બની રહે.

વડાપ્રધાને કહ્યું છે કે ગાંધીજીએ ભારતના ‘સ્વરાજ’ માટે જીવન સમર્પીત કરી દીઘું. એ સાચું છે, પણ વધારે સાચું એ છે કે ગાંધીજીએ ભારત કરતાં પણ વધારે ભારતીયોના ‘સ્વરાજ’ માટે - સ્વરાજના રાજકીય નહીં, પણ સામાજિક ખ્યાલ માટે- જીવન ખર્ચી નાખ્યું. એવું ‘સ્વ-રાજ’ જેમાં કોમવાદનું કે જ્ઞાતિના ભેદભાવનું કે અસ્પૃશ્યતાનું કે શરીરબળનું કે સરકારી ભપકાબાજીનું નહીં, પણ વ્યક્તિનું પોતાનું રાજ હોય. વ્યક્તિ સ્વાશ્રયથી ટકી શકે અને સ્વમાનથી જીવી શકે, એ ગાંધીજીનો સ્વરાજનો ખ્યાલ હતો. એ ખ્યાલ તેમણે જીવનભર સેવ્યો અને કોમવાદ-જ્ઞાતિવાદ વગરના ‘સ્વરાજ’ના ખ્યાલ માટે તો તેમણે જીવ પણ ગુમાવવો પડ્યો.

અલગ પાકિસ્તાનનો પ્રશ્ન ઉદ્‌ભવ્યો ન હતો ત્યારે, છેક ત્રીસના દાયકામાં અસ્પૃશ્યતારહિત, સ્વચ્છ ભારતના મિશન સાથે નીકળેલા ગાંધીજીની મોટર પર પૂનામાં હિંદુ મહાસભાના લોકોએ બોમ્બ ફેંક્યો હતો. હિંદુત્વનું ગૌરવ કરનારા રૂઢિચુસ્તોને અસ્પૃશ્યતા સામે ગાંધીજીની ઝુંબેશ હિંદુત્વના અપમાન જેવી લાગતી હતી. (એક આડવાત : નવરાત્રિમાં મુસ્લિમ યુવકોને ગરબામાં પ્રવેશ ન આપવો જોઇએ, એવા ફતવા કાઢવાની કોશિશ કરનાર વિશ્વ હિંદુ પરિષદ- બજરંગદળના નેતાઓને ગુજરાતમાં ઘણી જગ્યાએ દલિતોને ગરબામાં પ્રવેશ મળતો નથી એ વિશે કંઇ કહેવાનું નથી? દલિતોને ગરબામાં પ્રવેશ અપાવવા માટે- તેમની સાથે સ્વાભાવિક-સમાન વ્યવહાર માટે કોઇ ‘જેહાદ’ ચલાવવાની નથી?)

ભારતને જ્ઞાતિવાદના કલંકમાંથી સ્વચ્છ કરવા નીકળેલા ગાંધીજીની કાર પર બોમ્બ પડ્યો (નસીબજોગે તે બીજી મોટરમાં બેઠા હોવાથી બચી ગયા) અને દેશને કોમવાદના ધબ્બામાંથી મુક્ત કરવા નીકળેલા ગાંધીજીની ‘હિંદુ રાષ્ટ્રવાદીઓ’એ હત્યા કરી નાખી.

આ બન્ને દાખલા એટલા માટે ટાંક્યા છે કે જેથી ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી’ એવી બાળબોધી સમજણથી કોઇ ગેરરસ્તે ન દોરવાય અને ગાંધીજીના સ્વચ્છતાના ખ્યાલને, ઝાડુ પકડીને ફોટા પડાવનારા શો-બાજ લોકોની હરોળમાં ન મૂકી દે.  

સફાઇ એટલે?

ગાંધીજીના નામે, તેમની જન્મજયંતિએ શરૂ થતી સ્વચ્છતાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં વડાપ્રધાને સૌને અઠવાડિયે બે કલાક સ્વચ્છતા માટે ફાળવવા અપીલ કરી છે. બાહ્ય સફાઇનું કામ આવકાર્ય જ છે. તેને બિરદાવવાનું જ હોય. વડાપ્રધાને કહ્યું છે કે હું પોતે પણ ઝાડુ લઇને નીકળીશ. તેમણે રાજકીય-ધાર્મિક- કોર્પોરેટ જગતના અગ્રણીઓને અને મેયરોથી માંડીને સરપંચોને ખાસ અપીલ કરી છે. એટલે એ લોકો કંઇ નહીં તો વડાપ્રધાનની ‘ગુડ બુક’માં દેખાવા માટે પણ હાથમાં ઝાડુ ધારણ કરશે અને સફાઇ કરીને, પોતે કરેલા સફાઇકામનું યથાયોગ્ય દસ્તાવેજીકરણ કરીને જાહેર માઘ્યમો સુધી પહોંચાડવા પ્રયાસ કરશે.

વડાપ્રધાનની ઝુંબેશને સમર્થન આપવા માગતા સૌને અને વડાપ્રધાનને હાથમાં ઝાડુ પકડવાની તૈયારી દેખાડવા બદલ આગોતરાં અભિનંદન સાથે એક મહત્ત્વનું સૂચન : તમે ખરેખર ગાંધીજીને યાદ કરવા ઇચ્છતા હો, તેમને અંજલિ આપવા ઇચ્છતા હો, નકરી શો-બાજીને બદલે હૃદયપૂર્વક સ્વચ્છતાઝુંબેશ ઉપાડવા ઇચ્છતા હો, તો ઝાડુ લઇને સડક પર કે ઓફિસના કમ્પાઉન્ડમાં કચરો વાળવા બેસી ન જતા. તમે કરેલી સફાઇ પણ તમારા અને તમે ઉપાડેલા કામના મોભાને અનુરૂપ હોવી જોઇએ.

વડાપ્રધાને અને તેમની ઝુંબેશમાં જોડાવા તથા જોડાયેલા દેખાવા આતુર સૌ કોઇએ બીજી ઑક્ટોબરે ઝાડુ હાથમાં પકડવું જ ન જોઇએ. એને બદલે તેમણે જાહેર રસ્તા પર પડેલો કચરો સફાઇ કામદારો જે રીતે પૂંઠાના તૂટેલા ટુકડાથી ઉપાડીને હાથલારીમાં નાખે છે તથા કચરો વાળ્યા પછી, ત્રાસ ઉપજાવે એવી કીચુડાટી બોલાવતી એ લારી લઇને તે આખા વિસ્તારમાં ફરી વળે છે, એ કામનું અનુકરણ કરવું જોઇએ. વડાપ્રધાને, કોર્પોરેટ જગતના અગ્રણીઓએ, રાજકીય હોદ્દેદારોએ, ધર્મગુરુઓએ તે દિવસે બે કલાક નહીં, ફક્ત પંદર મિનીટ માટે પાણીની સુવિધા વગરનાં જાહેર શૌચાલયોની સફાઇ કરવી જોઇએ. એ માટે  સફાઇ કામદારને મળે છે એવી પાણીની ધોધ ફેંકતી પાઇપ વાપરવાની છૂટ. મોઢે રૂમાલ બાંધવાની - અને ગંધ સહન ન થાય તો દેશી દારૂ પીવાની પણ- છૂટ. હા, શરત એટલી કે તમારા પહોંચતાં પહેલાં તમારા માણસોએ અગાઉથી એ જગ્યા સાફ કરી નાખેલી ન હોવી જોઇએ.

વડાપ્રધાન સાચું જ કહે છે. હવે આપણે ભારતને ક્યાં સુધી ગંદું રાખીશું? જેને જાહેર શૌચાલયોવાળું કામ ન કરવું હોય તેમના માટે બીજાં પણ કામ છે : ઝાડુ લઇને રસ્તા પરનો સૂકો કચરો વાળવાને બદલે, રોજિંદી સફાઇના ભાગરૂપે સફાઇ કામદારને એકઠાં કરવાં પડતાં પશુઓનાં મળમૂત્ર સાફ કરવાં, લોકોએ ફેંકેલા એંઠવાડ ને એવો ભીનો કચરો સાફ કરવો, રસ્તા પર મરેલા પશુઓના મૃતદેહ ઢસડીને ગાડીમાં નાખવા...

મનોમન નાક પર રૂમાલ દાબી દેવાની જરૂર નથી. આ બઘું સફાઇનું અને સ્વચ્છતાનું જ કામ છે, જે સેંકડો ભારતીયો (દલિતો) રોજેરોજ કરે છે અને એ કરવા બદલ મામુલી વળતર મેળવે છે. હજુ વધારે તીવ્રતાથી ભારતને સ્વચ્છ બનાવવા ઇચ્છતા આગેવાનો માટે ગટરસફાઇનું કામ તો બાકી જ છે, જે કરવા જતાં દર વર્ષે અનેક દલિતો અકાળે મૃત્યુ પામે છે. બીજી ઑક્ટોબરના દિવસે વડાપ્રધાન ગટરસફાઇ કરનારની જેમ, ચડ્ડીભેર એકાદ ગટરની સફાઇ માટે અડધી મિનીટની ડૂબકી લગાવે તો કેવું? તેમના પગલે બીજા અનેકને અગ્રણીઓને આ કામ કરવાની પ્રેરણા મળશે.

વડાપ્રધાને તો ફક્ત પહેલ જ કરવાની. એ બિઝી માણસ છે. એમને દેશ ચલાવવાનો છે. એટલે પછીનાં દરેક અઠવાડિયે  ધાર્મિક-સામાજિક-કોર્પોરેટ-વહીવટી અગ્રણીઓ વારાફરતી વડાપ્રધાનના ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત સફાઇ માટે ગટરમાં ઉતરે. કડકાઇથી કામ લેનાર તરીકેની છબી ધરાવતા વડાપ્રધાન આ કામ બરાબર કરાવે તો ખાતરીપૂર્વક કહી શકાય કે થોડા સમયમાં જ ગટરસફાઇ માટે દલિતોને ગટરમાં ઉતારવાની હિંસક-અમાનવીય કામગીરી બંધ થઇ જાય અને તેના સ્થાને સર્વત્ર મશીનોથી ગટરસફાઇ થવા લાગે. વડાપ્રધાન ઇચ્છે તો મશીનથી ગટરસફાઇનું કામ, દલિતોની અનામત સામે ભારે વાંધો ધરાવતા બિનદલિતો માટે અનામત રાખી શકે.

હજારો કરોડ રૂપિયાનું સરદાર પટેલનું પૂતળું બનાવનાર વડાપ્રધાન તેનાથી ઘણા ઓછા ખર્ચે આખા દેશમાં ગટરસફાઇનું કામ મશીનથી  કરાવવા લાગે અને એ કામમાંથી દલિતોને મુક્ત કરી નાખે, તો તેમના સ્વચ્છ ભારત મિશનનો જયજયકાર થઇ જાય. વડાપ્રધાન હજુ નવા છે, એટલે તેમની પાસેથી આવી આશા  રાખવાનું મન થાય. એ જુદી વાત છે કે ‘સ્વચ્છ ભારત મિશન’ના તેમના આખા નિવેદનમાં  સફાઇ કામદારોનો ઉલ્લેખ સુદ્ધાં નથી. તેમની સાથે થતા અસમાનતાભર્યા, અમાનવીય વ્યવહાર અને તેની નાબૂદી તો દૂરની વાત થઇ. વડાપ્રધાનનો સ્વચ્છતાનો ખ્યાલ એકદમ કોર્પોરેટ હોય એવું લાગે છે. તેમને એટલું જ સમજાવું જોઇએ કે મશીનથી અને બિનદલિતો દ્વારા ગટરસફાઇ થાય, એ પણ કોર્પોરેટ કલ્ચરનો જ હિસ્સો છે.

સ્વચ્છ ભારત મિશનમાં કશું કામ ન થાય ને આટલી સમજ વિકસે તો પણ ઘણું. 

3 comments:

  1. આજનો તંત્રી લેખ પણ સરસ હતો. શક્ય હોય તો એ પણ પોસ્ટ તરીકે મૂકશો.

    ReplyDelete
  2. Very Good article Urvishbhai, congratulations.

    ReplyDelete
  3. ઉર્વીઉર્વીશ ભાભાઇ માફ કરજો પધણ વધારાના અક્ષર બાદ કરીને વાંચવા. તમે લખો છો અવ્વલ નંબર નુ . વિનંતિ એટલી મામારી સ્વીસ્વીકારજો કા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આમાઆમાંથી બાદ કરશો કાકારણ કે દેદેશવાસીઓ નમો ઊલ્ટા ચશ્મા પહેરેલા છે ઊલ્

    ReplyDelete