Wednesday, June 12, 2013

જકડાયેલી ડોકઃ મુડ મુડકે ના દેખ...

‘હૈ ઔર ભી ગમ ઝમાનેમેં મુહબ્બતકે સિવા’- એવું શાયરે કહ્યું ત્યારે તેમને કદાચ અંદાજ પણ નહીં હોય કે તેમણે કેટલું મોટું અને સર્વવ્યાપી સત્ય ઉચ્ચાર્યું છે.

કવિઓ-શાયરો માનસિક- અને મોટે ભાગે કાલ્પનિક-  દુઃખોની વાત બહુ કરે છે, પણ નક્કર-શારીરિક દુઃખો વિશે તેમને ભાગ્યે જ કંઇ કહેવાનું હોય છે. કોઇ કવિએ આર્થરાઇટિસના કે ઢાંકણીના દર્દ વિશે ગઝલ ફટકારી? હાઇ બ્લડપ્રેશર વિશે હાઇકુ લખ્યાં? એન્જિઓપ્લાસ્ટી વિશે અછાંદસ કવિતા લખી? સિત્તેર-એંસી વર્ષે એ લોકો આશુકમાશુકની વાતો લખે એને તેમનો શાયરાના વિશેષાધિકાર ગણી લઇએ. પણ એ ઉંમરે થતી વાસ્તવિક અનુભૂતિઓનું શું? ઝામર કે થાપાનું હાડકું ભાંગવા વિશે કે લાકડી લઇને ચાલવા વિશે કેમ કંઇ લખાતું નહીં હોય? (નમૂનોઃ ‘ઝામરની આંખે તને જોઉં ને ભડકું છું,  તું મને આ જગત જેવી ઘૂંધળી દેખાય છે’)

શારીરિક તકલીફો માટે બધો વખત વૃદ્ધાવસ્થાની રાહ જોવાની પણ જરૂર હોતી નથી. કેટલાંક દર્દ કાળઝાળ યુવાનીની પરવા કર્યા વિના તેમનો પરચો બતાવે છે. જેમ કે, ગરદનનો દુઃખાવો ઉર્ફે ડોકી ઝલાઇ જવી. એ વયનિરપેક્ષ દર્દ છે. તેની અસરો કામચલાઉ હોય છે, પણ એનો ભોગ બનનારને દર્દ નહીં, જિંદગી કામચલાઉ લાગવા માંડે છે.

ડોકીનો દુઃખાવો મહારોગોની જેમ ધીમા પગલે ને મલપતી ચાલે આવતો નથી. તે આકસ્મિક આવતા ચેકિંગ કે ઇન્સ્પેક્શનની માફક, અચાનક ટપકી પડે છે અને ભોગ બનનારને, ઘણુંખરૂં તો શબ્દાર્થમાં, ઉંઘતા ઝડપે છે. સુવામાં કે પાસું બદલતી વખતે એકાદ સંવેદનશીલ નસ દબાઇ જાય ત્યારે ખબર પડતી નથી. કારણ કે પ્રેમની જેમ ઉંઘમાં પણ માણસની આંખો મીંચાયેલી અને મગજ સુષુપ્ત હોય છે. પરંતુ આંખ ખુલ્યા પછી પહેલી વાર ડોક સામાન્ય અંદાજમાં ફેરવતી વખતે જોરદાર હાયકારો નીકળી જાય છે અને ‘અરર, મને આ શું થઇ ગયું?’- એવું લાગે છે. જાણીતી વાર્તા ‘મેટામોર્ફોસિસ’ની માફક સાવ જંતુ ભલે ન બની જવાય, પણ ‘આ ડોક મારી જ છે?’ અને ‘જો આ જ ડોક મારી છે, તો હું કોણ છું?’ એવા અસ્તિત્ત્વવાદી સવાલ નવલકથાના નાયક-નાયિકાઓને જાગી શકે છે.

વ્યવહારમાં ડોકી જકડાઇ જાય ત્યારે સૌથી પહેલાં ફિલસૂફી નહીં, અમંગળ કલ્પનાઓ મનમાં જાગે છે. સૌથી પહેલાં એવો ડર લાગે છે કે ‘આ ડોકી કદી રીપેર નહીં થાય કે શું?’ કાટખૂણે જોવા માટે કેવળ ડોકી ધુમાવવાને બદલે આખું ધડ ૯૦ અંશના ખૂણે ફેરવવું પડે, એ સ્થિતિ બહુ શોભાસ્પદ કે સગવડદાયક હોતી નથી. દિલમાં જે ક્યારેક હોય છે એ દર્દ કાયમી રહી જાય તો પેગંબરી મળે એવી ‘મરીઝ’ની કલ્પના હતી, પણ આ સ્કીમ ડોકીના દર્દના લાગુ પડતી નથી. પેગંબરીના લાભ વગરનું ડોકીનું દર્દ વધારે અકારું હોય છે. ડોક અક્કડ રાખીને ફરવાથી પેગંબરી તો દૂર રહી, અભિમાનીમાં ખપી જવાની સંભાવના રહે છે. ડોક ડાબે કે જમણે વાળવા માટે આખું શરીર એ તરફ વાળવું પડે, ત્યારે એવું લાગે છે જાણે ડોક સુકાન અને શરીર ‘ટાઇટેનિક’ હોય. તેને ઝડપથી આમથી તેમ વાળી શકવાનું અઘરૂં લાગે છે. ‘રામસે બ્રધર્સ’ પ્રકારની હિંદી હોરર ફિલ્મોમાં બિહામણું પાત્ર જે રીતે ધીમેથી ડોકી ફેરવીને પોતાના ભૂતસ્વરૂપનું પ્રત્યક્ષ નિદર્શન આપે, એવા અંદાજમાં ડોકી ફેરવવી પડે છે. એટલે જીવતાંજીવ ભૂત જેવો અહેસાસ થાય છે.  

ડોકીનું દર્દ કંઇ બ્લડપ્રેશર-ડાયાબિટીસ નથી કે તેને માપીને  આંકડાની રીતે તેની ગંભીરતાનો તાગ મેળવી શકાય. આત્માની જેમ ડોકીના દર્દના અસ્તિત્ત્વને ભૌતિક સ્વરૂપે પામવાનું અશક્ય છે. એક્સ-રે જેને પકડી શકતો નથી, સ્ટેથોસ્કોપ જેને મહેસુસ કરી શકતું નથી, ઇન્જેક્શન જેને મટાડી શકતું નથી ને લેસર જેને બાળી શકતું નથી, એવું ડોકીનું દર્દ અમર નથી એટલો તેનો ઉપકાર છે. ‘છુપતે નહીં હો સામને આતે નહીં હો તુમ, જલવા દિખાકર જલવા દિખાતે નહીં હો તુમ’ - એવી પંક્તિ ઇશ્વરને બદલે ડોકીના દર્દ માટે લખાઇ હોય એવી પાકી શંકા જાય છે. કારણ કે એ પણ બ્રહ્મજ્ઞાનની જેમ સ્વાનુભૂતિનો વિષય છે.

જ્ઞાનીઓ કહી ગયા છે કે મોક્ષની, બ્રહ્મજ્ઞાનની કે ડોકીના દર્દની અનુભૂતિ કોઇને કરાવી શકાતી નથી. એનો અહેસાસ દરેકે પોતે કરવો પડે છે અને તેને દૂર કરવાના પ્રયાસ પણ જાતે જ કરવા પડે છે. પરંતુ જ્ઞાનની એ અવસ્થા સુધી પહોંચતાં પહેલાં, અજ્ઞાનની જેમ ડોકીનું દર્દ દૂર કરવા માટે પણ લોકો અનેક બાહ્ય સાધનોનું આલંબન લે છે. ડોકીના દર્દમાં સૌથી પહેલી કરૂણતા તેના સ્વીકારના તબક્કે આવે છે.  ભોગ બનનાર પોતે સૌથી પહેલાં તો ડોકી ઝલાઇ ગઇ છે એવું સ્વીકારી શકતો નથી. ભારતીય શાસકો ચીનની ધૂસણખોરી પ્રત્યે દાખવે છે એવું વલણ દાખવતાં એ વિચારે છે,‘એ તો ઉંઘીને ઉઠ્યા પછી સહેજ એવું લાગે. હમણાં ચા-પાણી કરીશું ત્યાં સુધીમાં બઘું ઠીક થઇ જશે.’ પરંતુ ચા પણ પીવાઇ જાય ને નાહી-પરવારીને કામે જવાનો સમય થાય ત્યાં સુધી, ભારતીય સરહદમાં ચીને બાંધેલા રોડની જેમ, ડોકીનું દર્દ અડીખમ રહે છે.

ત્યાર પછીનો તબક્કો સ્વીકાર અને ચિંતાનો આવે છે. પોતે જેને મામૂલી માનીને ગણકાર્યું ન હતું એના વિશે બીજાને જાણ કયા મોઢે કરવી? અને એની ગંભીરતા તેમને શી રીતે સમજાવવી? બીજા પણ એવું જ નહીં કહે કે ‘એ તો હમણાં બઘું ઠીક થઇ જશે, ભલા માણસ. આટલી અમથી વાતમાં રોદણાં શું રડો છો?’ રામબાણની જેમ ડોકીના આંચકા વાગ્યા હોય એ જ જાણે. કોઇને કહેવા જતાં ઉલટું ઠપકો સાંભળવાનો વારો આવે કે ‘આપણા શહીદો પોતાની ડોકે ફાંસીના ગાળિયા લગાડ્યા પછી પણ હસતા હતા ને તમે જરાક અમથા દુઃખાવામાં બૂમો પાડો છો.’ ભોગ બનનારના મોઢે શબ્દો આવી જાય છે કે ‘ફાંસી ખમાય, પણ દુઃખાવો સહન થતો નથી.’ પરંતુ શહીદો પ્રત્યેના માન અને ફાંસી ખમવાની પોતાની અક્ષમતા ઘ્યાનમાં રાખીને એ બોલવાનું ટાળે છે.

દર્દ જાહેર થયા પછી ઘરમાંથી સેવાસુશ્રુષાના પ્રસ્તાવ આવે છે. ‘તમારું ગળું કદી દુઃખતું નથી?’- એ રમૂજ સાકાર થવાનો આ દિવસ હોવાથી પ્રસ્તાવ સ્વીકારવામાં સાવધાની રાખવી હિતાવહ છે. પણ માણસ દુઃખાવાથી એટલું ત્રાસી ગયેલું હોય છે કે ‘કોઇ અમુક ચોક્કસ જગ્યાએ દબાવી આપે તો હમણાં મટી જાય’ એવો ભ્રમ તેના મનમાં જાગે છે. જોતજોતામાં જાતે ઊભા કરેલા ભ્રમને એ પોતે જ સાચો ઇલાજ માની બેસે છે. પરંતુ ‘ડોક-સેવા’ શરૂ થયા પછી સમજાય છે કે ખરેખર ડોકનો કયો વિસ્તાર અશાંતિગ્રસ્ત છે, એ નક્કી કરવું અઘરૂં છે.   ‘ડોક-સેવક’ની સ્થિતિ નક્સલવાદ સામેની લડાઇમાં ભરતી થયેલા ભાડૂતી સૈનિક જેવી થાય છેઃ ઘડીમાં તેને એક જગ્યાએ મોકલવામાં આવે છે, તો ઘડીમાં બીજી જગ્યાએ. ક્યારેક લાગે છે કે ડોકના ચોક્કસ બિંદુ પર દબાવવાથી સારું લાગશે, તો બીજી ક્ષણે લાગે છે, ‘ના, એના કરતાં પીઠ પરના અમુક પોઇન્ટ પર દબાવો, તો કદાચ મટી જશે.’ ત્યાં દબાણ આપતાં સમજાય છે કે ‘આ પણ ઠીક નથી. એક કામ કરો. કમરના અમુક ભાગમાં કે પીઠની વચ્ચોવચ્ચે કરોડરજ્જુની આસપાસ અમુક જગ્યાએ દબાણ આપી જુઓ. કદાચ ત્યાંથી જ દુઃખાવો પેદા થાય છે.’

ડોકનું દર્દ ગામલોકોની જોડે ભળી ગયેલા આતંકવાદીઓની જેમ, બીજાં અંગો સાથે એવું હળીભળી ગયું હોય છે કે તેને અલગ પાડવાનું અઘરૂં લાગે છે. પીઠ અને ડોકના વિસ્તારનું વિગતવાર ‘કોમ્બિંગ ઓપરેશન’ કરવા છતાં ડોકના દર્દનો અસલી મુકામ જડતો નથી. એટલે દબાવનાર હિંમત હારીને કામ પડતું મૂકે છે. પોતાનાં દળો નિષ્ફળ જાય એટલે તેમનો વડો મેદાનમાં ઉતરે એવા અંદાજથી, દર્દગ્રસ્ત માણસ પોતે વિચારે છે, ‘રહેવા દો. એ તમારા બધાથી નહીં થાય. હવે હું જાતે જ એને શોધીને નાબૂદ કરીશ.’ આ ‘ઓપરેશન’ માટે તે ડોક અને પીઠ નીચે અમુક રીતે ઓશિકું મૂકીને દર્દને કાબૂમાં આણવાનો પ્રયાસ કરે છે.  આરામખુરશીમાં અમુક ભાગ દબાય એ રીતે બેસવાનો પ્રયાસ કરી જુએ છે.પરંતુ તેમાં જૂનો દુઃખાવો મટવાને બદલે બીજી નવી જગ્યાએ દુઃખાવો ઊભો થવાની બીક લાગે છે. દુઃખાવો દૂર કરવાની યોજના સરકારી હોય તો આ તેનો આદર્શ ઉકેલ ગણાયઃ જૂનો દુઃખાવો ઠેરનો ઠેર રહે અને બધાનું ઘ્યાન નવા દુઃખાવા તરફ કેન્દ્રિત થઇ જાય, એટલે તત્પૂરતો જૂનો દુઃખાવો ભૂલાઇ જાય. પરંતુ મામલો પોતાના શરીરનો હોવાથી તેમાં ‘સરકારી’ અભિગમ રાખી શકાતો નથી.

બધા પ્રયાસ નિષ્ફળ ગયા પછી થાકીને સુઇ ગયેલો દર્દી બીજા દિવસે સવારે ઉઠે ત્યારે તેની ડોક બીજા લોકોની જેમ જ, સહેલાઇથી ફરતી જોઇને એને લાગે છે કે પોતાની ડોકી દુઃખવી એ વાસ્તવિકતા નહીં, પણ રાતે આવેલું ખરાબ સ્વપ્ન હશે. એટલે બીજા કોઇની ડોકી દુઃખવાની ફરિયાદ સાંભળીને એ કહે છે,‘એ તો હમણાં બઘું ઠીક થઇ જશે, ભલા માણસ. આટલી અમથી વાતમાં રોદણાં શું રડો છો?’

1 comment: