Sunday, June 23, 2013

ભારતમાં ૧૬૩ વર્ષની અવિરત કામગીરી પછી ‘ડૉટ કોમ’ના દાદા જેવી ‘ડોટ-ડેશ’ની ટેલીગ્રાફ સેવાનો યુગાંત

તેના સબમરીન કેબલ દરિયાના પેટાળમાં પથરાઇને સંદેશાવ્યવહારની વૈશ્વિક ક્રાંતિના સર્જક બન્યા, તેનાથી ભૌગોલિક અંતર ઓગળ્યાં, લખાતી ભાષા પર અસર પડી અને નવી જાતની ‘કેબલીઝ’ શૈલી ચલણી બની, વેપારધંધાનાં અને લશ્કરી ગણિત બદલાઇ ગયાં. ઇન્ટરનેટની ખૂબીઓનું લાગે એવું આ વર્ણન હકીકતમાં દોઢસો વર્ષ પહેલાં શોધાયેલા ટેલીગ્રાફ/ telegraphનું છે.


You ને બદલે ફક્ત u, See ને બદલે c, Your ની જગ્યાએ ur, Good Morning ની જગ્યાએ gm, ફોટોગ્રાફ્‌સ માટે pix, Thanks ને બદલે tnx- આ જાતની ટૂંકાક્ષરી એસ.એમ.એસ./sms અને સોશ્યલ નેટવર્કિંગની સાઇટ પર વપરાતી જોઇને જીવ કકળી ઉઠે છે? ‘અંગ્રેજીનું શું થશે?’ એવી ચિંતા થાય છે?

વાંધો નહીં. ચિંતા કરવાની ના નથી, પણ એટલું જાણી લઇએ કે ઉપર ટાંકેલી બધી ટૂંકાક્ષરી ‘આજકાલના’ મોબાઇલ-ઇન્ટરનેટના જમાનાની નહીં, પણ દોઢ સદી જૂના ટેલીગ્રાફના જમાનાની છે. ટેલીગ્રાફ એટલે તારથી જોડાયેલાં બે મથકો વચ્ચે ટેલીગ્રાફ મશીનની ‘ટીક ટીક’થી, ડોટ (.) અને ડેશ (-)ની સાંકેતિક ભાષામાં, વિદ્યુતપ્રવાહ દ્વારા સંદેશો મોકલવાની ટેકનોલોજી. આ રીતે અપાયેલો સંદેશો એટલે ટેલીગ્રામ. અંગ્રેજીમાં એ ‘કેબલ’ તરીકે અને ગુજરાતીમાં ‘તાર’ તરીકે ઓળખાયો. કારણ કે તેના વહન માટે તારનું નેટવર્ક જરૂરી હતું.
telegraph codes/ ટેલીગ્રાફ માટેની સાંકેતિક લિપી
સ્માર્ટફોન અને વિડીયો ચેટિંગના જમાનામાં ડોટ-ડેશથી સંદેશા મોકલવાની વાત બાવા આદમના યુગની લાગે અને ‘સેમ્યુઅલ મોર્સે ટેલીગ્રાફની શોધ કરી હતી’ એનું મહત્ત્વ સામાન્ય જ્ઞાનના અડધા માર્કના સવાલથી વિશેષ ન લાગે. પણ ટેલીગ્રાફની ટેકનોલોજી આવી ત્યારે તેને એ જમાનાનું ઇન્ટરનેટ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી. ઇ.સ.૧૮૪૪માં અમેરિકાની સંસદના ટેકાથી મોર્સે વોશિંગ્ટન ડી.સી.-બાલ્ટિમોર વચ્ચે ટેલીગ્રાફ લાઇન નાખી અને સફળતાપૂર્વક સંદેશો મોકલી બતાવ્યો. આ નવતર પદ્ધતિમાં સંદેશો મોકલવા માટે અગાઉની જેમ ખેપિયાને મોકલવાની જરૂર પડતી ન હતી અને સંદેશો પહોંચવામાં દિવસો નીકળી જતા ન હતા. ઇન્ટરનેટ તો ઠીક, ફોન-ફેક્સની કોઇએ કલ્પના કરી ન હોય ત્યારે આ શોધ ચમત્કારિક ન લાગે?

ઇન્ટરનેટ માટે કહેવાય છે એ જ દાયકાઓ લગી ટેલીગ્રાફ માટે કહેવાતું હતુંઃ આ શોધથી ભૌગોલિક અંતર ઓગળી ગયાં અને દુનિયા નાની બની ગઇ. ફક્ત સંદેશા મોકલવાની બાબતમાં જ નહીં, ધંધાઉદ્યોગો અને રાજકીય ગતિવિધિઓની બાબતમાં આદાનપ્રદાન શક્ય બન્યાં. રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખબરઅંતરથી અજાણ રહેવાને કારણે દુનિયા જ નહીં, દેશો અને પ્રદેશો સુદ્ધાં નાના-અલિપ્ત ટુકડામાં વહેંચાયેલા હતા. ટેલીગ્રાફની શોધે એ બધાને એકબીજા સાથે જોડવાનું, બીજા શબ્દોમાં કહીએ તો ‘ગ્લોબલાઇઝેશન’ના આરંભનું કામ કર્યું.

નવી ટેકનોલોજી આવે એટલે બન્ને પ્રકારના વર્તારા નીકળે એ સ્વાભાવિક છે. કેટલાકે એ મતલબની શંકા કરી કે આ સાધનથી શા કાંદા કાઢી લેવાના છે? ઉલટું એ ખાનગી માહિતીઓ મોકલવામાં અને વેપારીઓને ફાયદો કરાવવાના કામમાં લાગશે. બીજા પ્રકારના લોકોએ કલ્પના કરી કે દેશ-દેશ વચ્ચેનું અંતર મટી જશે. એટલે વિશ્વશાંતિ સ્થાપવામાં આ શોધ બહુ ઉપયોગી બની રહેશે. પરંતુ ખુદ મોર્સે ૧૮૩૮માં એક પત્રમાં લખ્યું હતું, ‘તરત સંદેશો મોકલવાનું આ રીત અનિવાર્યપણે પ્રચંડ તાકાત ધરાવતું સાધન બની રહેશે. તેની પાસેથી જેવું કામ લેવામાં આવશે એ પ્રમાણે તેનો સારો ઉપયોગ પણ થઇ શકશે અને ખરાબ પણ.’

થોડાં વર્ષોમાં ભારતીયોને તેનો અનુભવ થઇ ગયો. ૧૮૫૭નો સંગ્રામ શરૂ થયો ત્યારે એક વાર તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સિંહાસન ડોલી ઉઠ્યું, પણ વળતી લડત આપવામાં અંગ્રેજોને ગુરખા-શીખ સૈનિકો ઉપરાંત ટેલીગ્રાફની અમૂલ્ય મદદ મળી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે હથિયાર ઉઠાવનારા લોકો વચ્ચે સંકલનનો અને સંદેશાવ્યવહારનાં સાધનનો અભાવ હતો, જ્યારે ટેલીગ્રાફના પ્રતાપે અંગ્રેજી સેનાપતિઓ એકબીજા સાથે સમાચારોની આપ-લે કરી શકતા હતા, વ્યૂહરચના ઘડી શકતા હતા અને બીજાં સ્થળે સંગ્રામની ઝાળ ન લાગે તેના માટે આગોતરો બંદોબસ્ત ગોઠવી દેતા હતા. ૧૮૫૭-૫૯ દરમિયાન પંજાબમાં અને થોડો સમય અવધમાં કામ કરનાર અંગ્રેજ અફસર રોબર્ટ મોન્ટગોમરીએ કહ્યું હતું, ‘ભારતને (એટલે કે ભારતમાં અંગ્રેજી રાજને) ઇલેક્ટ્રિક ટેલીગ્રાફે બચાવી લીઘું.’ ૧૮૫૭ના સંગ્રામમાં ટેલીગ્રાફ ઓફિસના કર્મચારીઓની સેવાની કદરરૂપે એપ્રિલ ૧૯, ૧૯૦૨ના રોજ જૂના દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં ‘ધ ટેલીગ્રાફ મેમોરિયલ’ ઊભું કરવામાં આવ્યું. કોઇ વ્યક્તિને બદલે ટેકનોલોજીને બિરદાવતું સ્મારક બન્યું હોય એવો આ વિલક્ષણ કિસ્સો હતો.
Picture postcard of Telegraph memorial, Delhi/ દિલ્હીનું ટેલીગ્રાફ સ્મારક

ટેલીગ્રાફના લશ્કરી અને જાસુસી ઉપયોગનો બીજો પ્રસંગ અમેરિકાના આંતરવિગ્રહ (૧૮૬૧-૧૮૬૫) વખતે આવ્યો. ઉત્તર અને દક્ષિણ અમેરિકાનાં સૈન્યો વચ્ચે થયેલા યુદ્ધમાં બન્ને પક્ષો પાસે ટેલીગ્રાફની સુવિધા હતી. તેથી એકબીજાના સંદેશા આંતરીને- હેકિંગ કરીને- સામા પક્ષની વ્યૂહરચના જાણી લેવાની યુક્તિ પણ અજમાવાઇ.

વિદેશોમાં અખબારોના સંચાલનની અને પત્રકારોની કામ કરવાની રીતમાં ટેલીગ્રાફના આગમન પછી ઘણા ફેરફાર થયા. તરત સંદેશા મોકલવાનું શક્ય બન્યું એટલે સમાચારપત્રોના વ્યાપ-વિસ્તારમાં વધારો શક્ય બન્યો. સમાચારમાં ‘બ્રેકિંગ ન્યૂઝ’નું તત્ત્વ દાખલ થયું. સૌથી મોટી અસર સમાચાર મોકલવાની ભાષા પર પડી. ટેલીગ્રામમાં લખાતા સંદેશા માટે શબ્દ દીઠ ભાવ ચૂકવવો પડતો હતો. વિરામચિહ્ન લખવાનું મોંધું પડતું હતું. પરિણામે, આખેઆખાં વાક્યોમાં (જરૂર પડ્યે વચ્ચે ‘સ્ટોપ’ શબ્દ વાપરીને) બે શબ્દોનો એક શબ્દ કરવાનું, નવા જોડીયા શબ્દો નીપજાવવાનું અને લેખની શરૂઆતમાં નોંધી છે એવી ટૂંકાક્ષરી ભાષા લખવાનું ચલણ પત્રકારો-સંવાદદાતાઓમાં શરૂ થયું. ટેલીગ્રામ ‘કેબલ’ તરીકે ઓળખાતા હતા, એટલે તેમાં વપરાતું વિશિષ્ટ શૈલીનું અંગ્રેજી ‘કેબલીઝ’ તરીકે ઓળખાયું. તેના એક નમૂના તરીકે આ સમાચાર. તે પેરિસની મુલાકાતે જતા પ્રિન્સ ઓફ વેલ્સે સ્ટેશન પર આપેલા સંદેશ અંગે હતા.

Wales Parisward smorning omnistation cheered stop he said friendship proFrance unceasing.

આ તારનો અખબારની ઓફિસમાં થયેલો ‘વિચારવિસ્તાર’-

The prince of Wales left for Paris this morning. All those present at the station cheered him widely. He said 'My friendship for France  will always be with me.'

‘કેબલીઝ’માં ફક્ત શબ્દો જ નહીં, અભિવ્યક્તિ પણ ટૂંકાણમાં સચોટ રીતે કરવાની રહેતી. અર્નેસ્ટ હેમિંગ્વે જેવા વિખ્યાત લેખક  પહેલાં પત્રકાર તરીકે કામ કરતા હતા અને સામયિકોમાં લખવાનું તેમણે છેવટ સુધી ચાલુ રાખ્યું. સ્પેન વિશેના તેમના ઘણા અહેવાલ ‘કેબલીઝ’માં લખાયેલા હતા. એ સમયના કેટલાક પત્રકારો સીધેસીધા ‘કેબલીઝ’માં એટલે કે ટૂંકાક્ષરીમાં, વિરામચિહ્નો વગર અને શબ્દો જોડીને, ફટાફટ અહેવાલ તૈયાર કરી નાખતા હતા. હેમિંગ્વે પોતાના અહેવાલો ‘કેબલીઝ’ ઉપરાંત વિસ્તૃત વાક્યો સ્વરૂપે પણ તૈયાર કરતા હતા. અભ્યાસીઓએ તેમના આ બન્ને પ્રકારનાં લખાણોની ભાષા અને અભિવ્યક્તિની દૃષ્ટિએ સરખામણી કરી છે.

ભારતમાં પણ તારમાં લખાતા સંદેશામાં શબ્દો બચાવવા માટે ક્રિયાપદો વગરનાં વાક્યો લખાતાં હતાં (‘ફાધર સિરીયસ કમ સૂન’) પરંતુ ‘કેબલીઝ’ની જેમ તેમાં બે શબ્દો ભેગા કરવાનું ચલણ ન હતું. એટલે ભારતમાં ‘કેબલીઝ’- તારનાં  લખાણની અલગ શૈલી-નો અલગ મહિમા ન થયો. બાકી, આઝાદીની લડાઇ વખતે ગાંધીજી અને બીજા નેતાઓ મહત્ત્વના સંદેશા ઝડપથી મોકલવા માટે તારનો ઘણો ઉપયોગ કરતા હતા. હજારો પત્રો લખનારા અને ટૂંકાં વાક્યો-સચોટ અભિવ્યક્તિ પર ભારે હથોટી ધરાવતા ગાંધીજીના પત્રોની જેમ તેમના તાર પણ ‘કેબલીઝ’ના દૃષ્ટિકોણથી તપાસવા જેવા છે. તેનો એક ઉત્તમ નમૂનો છે મહાદેવભાઇ દેસાઇના મૃત્યુપ્રસંગે તેમણે મોકલેલો તાર.

આગાખાન જેલમાં મહાદેવભાઇનું અવસાન થયું અને જેલમાં જ તેમની અંતીમ ક્રિયા થઇ. એ પ્રસંગનું ભાવભર્યું વર્ણન અને આનુષંગિક સલાહસૂચનો તેમણે તારનાં ટૂંકાં વાક્યોમાં આ રીતે વણી લીધાં હતાં. (લખાણની ચોટ માટે મૂળ અંગ્રેજી જ ટાંક્યું છે)‘મહાદેવ ડાઇડ સડનલી. ગેવ નો ઇન્ડિકેશન. સ્લેપ્ટ વેલ લાસ્ટ નાઇટ. હેડ બ્રેકફાસ્ટ. ટોક્ડ વિથ મી. સુશીલા જેલ ડોક્ટર્સ ડીડ ઓલ ધે કુડ, બટ ગોડ હેડ વિલ્ડ અધરવાઇઝ. સુશીલા એન્ડ આઇ બેધ્‌ડ બોડી. બોડી લાઇંગ પીસફુલી કવર્ડ વિથ ફ્‌લાવર્સ, ઇન્સેન્સ બર્નિંગ. સુશીલા એન્ડ આઇ રીસાઇટિંગ ગીતા. મહાદેવ હેઝ ડાઇડ યોગીઝ એન્ડ પેટ્રિયટ્‌સ ડેથ. ટેલ દુર્ગા, બાબલા એન્ડ સુશીલા નો સોરો. ઓન્લી જોય ઓવર સચ નોબલ ડેથ. ક્રીમેશન ટેકિંગ પ્લેસ ફ્રન્ટ ઓફ મી. શેલી કીપ એશીઝ. એડવાઇઝ દુર્ગા રીમેઇન આશ્રમ બટ શી મે ગો ટુ હર પીપલ ઇફ શી મસ્ટ. હોપ બાબલા વીલ બી બ્રેવ એન્ડ પ્રીપેર હિમસેલ્ફ ફિલ મહાદેવ્ઝ પ્લેસ વર્ધિલી. - લવ, બાપુ’

૧૫ જુલાઇ, ૨૦૧૩ના રોજ, ૧૬૩ વર્ષની લાંબી સેવા પછી, ભારતમાં ટેલીગ્રાફની મઘુર ટક ટક અટકી જશે. ઇન્ટરનેટ- મોબાઇલ ફોનના જમાનામાં એની ખોટ તો નહીં સાલે, પણ અતીતરાગના અને સંદેશાવ્યવહાર ઇતિહાસના મહત્ત્વના હિસ્સા તરીકે ટેલીગ્રાફનું સ્થાન અમીટ રહેશે.

1 comment:

  1. What a fantastically well-researched piece! Thoroughly loved it.

    ReplyDelete