Wednesday, June 05, 2013

કેરીનો ગોટલોઃ કાળજા કેરો કટકો

મનુષ્યજીવનમાં ઓટલા અને રોટલાના મહત્ત્વ વિશે ઘણું લખાયું છે, પણ કેટલીક બાબતોમાં તેમની સમકક્ષ બિરાજી શકે એવા ગોટલાની ધરાર ઉપેક્ષા થઇ છે. ઉનાળો આવે એટલે રસપ્રેમીઓ કેરીના નામની માળા જપે છે અને કેરી માટે ઘેલાં કાઢે છે (એના માટે કેરીનું નારીવાચક હોવું કેટલું જવાબદાર રહશે એવો આડસવાલ થઇ શકે), પણ ગોટલો એમને સાંભરતો નથી. ઉમાશંકર જોશીએ ચૂસાયેલા ગોટલા વિશે કવિતા લખીને એ દિશામાં યથાશક્તિ પ્રયાસ કર્યો હતો, પણ લોકોને ચુસાયેલા ગોટલા વિશેની નહીં, પણ એના જેવી- ચુસાઇને જેના રેસા નીકળી ગયા હોય એવી કાવ્યપંક્તિઓમાં વધારે રસ પડે છે એવો સામાન્ય અનુભવ છે.

કેરી અને ગોટલાનું યુગ્મ આદમ-ઇવ જેવું નહીં, પણ આપણી ભક્તિ પરંપરાના આઘ્યાત્મિક પ્રેમીઓ જેવું હોય છેઃ બન્ને એકબીજામાં સમાયેલાં અને એકમેકમાં ઓતપ્રોત હોય છે. પાકી કેરીના ઇચ્છુક ગોટલાને ઉવેખી ન શકે અને ગોટલો ઇચ્છનારે કેરીમાંથી પસાર થવું પડે. ગોટલો બીજરૂપ છે. એટલે તેનું દર્શન પ્રગટ નથી. તેની કદર કરવા માટે બારીક દૃષ્ટિની જરૂર પડે છે. દુન્યવી મોહમાયામાં લપેટાયેલા લોકો માટે ગોટલો કેરીની છાલની જેમ જ ‘કચરો’ છે, જે ગાયને ખવડાવીને વગર ખર્ચે પુણ્ય હાંસલ કરી શકાય છે. ઘણા માણસોને ગોટલો એટલો પ્રિય હોય છે કે ગયા જન્મમાં તે ગાય હોવાની શંકા પડે. પરંતુ આમાં વાંક એમનો નથી. (ગાયનો પણ નથી.) પ્રેમપદારથની જેમ ગોટલાના પદારથનો લહાવો લૂંટ્યા પછી ફક્ત જીભે જ નહીં, અંતરમનમાં તેનો સ્વાદ રહી જાય છે.

ઘણા અબુધજનો ‘કેરી ખાવી’ એવું કહે ત્યારે તેમના મનમાં ગોટલાથી અલગ કરાયેલી કેરીનો જ ખ્યાલ હોય છે. હવે દેશી-ચૂસવાની કેરી ઓછી મળે છે, એટલે ટુકડા કરીને ખાવી પડે એવી કેરીની જ વાત કરીએ તો, તેનાં ચીરી કે ટુકડા ખાઇ જવામાં કશી ધાડ મારવાની નથી. કાંટાચમચીથી આવી કેરી ખાવામાં આવે ત્યારે હાથ કે મોં બગડતાં નથી અને બરાબર ઘ્યાન ન હોય તો જીભ પણ બગડતી નથી. આ રીતે કેરી ખાઇ રહ્યા પછી ક્યારેક એવું લાગે છે જાણે આપણે તો કેરી ખાધી જ નહીં. બધી કેરી કાંટો ખાઇ ગયો.

ગોટલાના આશિકો કદી આવી ગાફેલિયતનો ભોગ બનતા નથી. કેરીનું નામ પડે ત્યારથી તેમના ચિત્તમાં ગોટલા વિશે અવનવી રમ્ય કલ્પનાઓ જાગે છે. ગોટલાપ્રેમીઓ આઘ્યાત્મિક રીતે વધારે ઉન્નત હોવાથી, તે કેરીના બાહ્ય દેખાવ કે રૂપરંગના મોહમાં લપેટાતા નથી. તેમને ખબર છે કે અસલી ચીજ તો તેનું અંતઃતત્ત્વ છે. એવા લોકો કેરી જુએ ત્યારે તેમની આંખો ભલે કેરીની સપાટી પર ફરતી હોય, પણ તેમનાં મનચક્ષુઓ કેરીની પછવાડે રહેલા ગોટલા સુધી પહોંચે છે.

સામાજિક-વ્યવહારુ લોકો મુરતિયા પરથી તેના કુટુંબનો ને કુટુંબ પરથી મુરતિયાનો અંદાજ કાઢે એવી જ રીતે, કેરીના જાણકાર લોકો કેરી પરથી ગોટલાનો અને ગોટલા પરથી કેરીની ગુણવત્તાનો અંદાજ બાંધે છે. ‘ના, આ કેરીમાં મઝા નહીં હોય. એનો ગોટલો જુઓ ને. કેટલો રેસાવાળો છે અને ચોખ્ખો થતો નથી.’ અથવા તો ‘આવો ચપટો અને નાનો ગોટલો જોઇને જ લાગે કે ફળ મસ્ત હશે.’ એ ખરૂં કે ગોટલા પરથી કેરીની ગુણવત્તા નક્કી કરવા માટે પહેલાં કેરી કાપવી પડે છે. ભવિષ્યમાં એવી કોઇ સ્કેનિંગ ટેકનોલોજી આવે કે જેમાં અંદર રહેલો ગોટલો પહેલો તપાસી શકાય, તો કેરીની ગુણવત્તા પારખવાનું કામ ઘણું સહેલું થઇ જાય છે.

ઘણા ઉન્નતભ્રુ લોકોને ગોટલો ખાવાની કલ્પનામાત્રથી તેમની પોઝિશનમાં પંક્ચર પડી જતું લાગે છે. ગોટલા વિશે મોં મચકોડતી વખતે તેમની સૌથી પહેલી દલીલ એ હોય છે કે ‘એંહ, હાથ કોણ બગાડે?’ જેમને ખાવું હોય પણ હાથ ન બગાડવા (વાપરવા) હોય અને જોવું હોય પણ મગજ ન વાપરવું હોય, તેમની રૂચિ વિશે શું કહેવું? કેરીના ફળને વ્યવસ્થિત રીતે ચિરીયાંબદ્ધ કરી દીધા પછી બાકી રહેલો ગોટલો કાંટાચમચીથી તો ખાઇ શકાય નહીં અને સાદી ચમચીથી તેને ખોતરી શકાય નહીં. એટલે આઘુનિકતાનો અને સાધનસામગ્રીનો ગુલામ બનેલો માણસ પરવશતા અનુભવે છે. પોતાની પરવશતા ઢાંકવા તે કહેવાતી સભ્યતાનો સહારો લે છે અને એવું ઠસાવવા જાય છે કે ગોટલા ખાવાથી હાથ બગડે એ ખરાબ લાગે અને સભ્ય માણસોથી આવી રીતે ન ખવાય.

સભ્યતા જો આનું જ નામ હોય તો ચૂસાયેલા ગોટલાથી પણ પહેલાં એવી સભ્યતાને ફગાવી દેવા જેવી છે. કારણ કે ગોટલાનો અને ખરેખર તો કેરી ખાધાનો અસલી સંતોષ ત્યારે જ થાય, જ્યારે કાંડા સુધીના હોઠ અને ગાલ સુધીનું મોં ગોટલા પર ચોંટેલી કેરી ખાવાની પ્રક્રિયામાં ખરડાય. મટકીમાંથી માખણ કાઢીને ખાતા અને એ પ્રક્રિયામાં આખું મોં ચીતરતા કૃષ્ણની તસવીર જોઇને ગોટલાપ્રેમીઓને હંમેશાં ગોટલો યાદ આવે છેઃ કૃષ્ણ ભગવાને બાળલીલાના ભાગરૂપે માખણને બદલે કેરી ખાધી હોત તો તેમનું મોં અચૂક ગોટલા વડે ખરડાયું હોત અને તેમના ચહેરા પર કેરીલીલા સંપૂર્ણ કર્યાનો આનંદ છલકાતો હોત.

સભ્યતાના નામે માણસ ઘણી વાર અવળી ગતિ કરે છે. જેમ કે, એ જેમ વઘુ સભ્ય બને તેમ વઘુ હિંસક હથિયાર બનાવે છે. એવી જ રીતે ઘણા લોકોને એવું ગુમાન હોય છે કે ‘હું કેરી કાપું એટલે એવી રીતે કાપું કે ગોટલા પર કશું ન રહે. ગોટલો સફાચટ થઇ જાય.’ આવી અરસિક વાત ગૌરવનો નહીં, પણ શરમનો વિષય છે એવું તેમને કોણ કહે? હકીકતમાં ગમે તેટલા કુશળ કાપક કેરી કાપે તો પણ ગોટલામાંથી તે બધો ગર દૂર કરી શકતો નથી. ગોટલો એ વખતે આકરી કસોટીમાં મુકાયેલા કોઇ પ્રતિભાશાળી જેવો ભાસે છે- જાણે કહેતો હોયઃ ‘તમે લઇ લઇને શું લેશો? મારી પાસે મારું પોતાનું જે છે એ તમે કોઇ કાળે લઇ શકવાના નથી.’

ઘણા સભ્યતાપ્રેમીઓ અથવા ગોટલાદ્વેષીઓ માને છે કે ગોટલાનું અસ્તિત્ત્વ કેરીના ગર થકી જ છે. આ તો એવી વાત થઇ કે ઇશ્વરનું અસ્તિત્ત્વ તેના ભક્ત થકી છે. તાત્ત્વિક રીતે વાત સાચી હોય તો પણ એનાથી ગોટલાનો કે ઇશ્વરનો મહિમા ઓછો થતો નથી. ગોટલામાં વધારાનો ફાયદો એ છે કે ગર કે રસા વગરના ચોખ્ખા ગોટલાના પણ સ્વતંત્રપણે ઉપયોગો થઇ શકે છે. થોડોઘણો રસો હોય એવા ગોટલાનું શાક બને છે અને રસનું છેલ્લું ટીપું ગુમાવી ચૂકેલા ગોટલાને શેકીને તેમાંથી ગોટલી કાઢવામાં આવે છે, જે મુખવાસમાં વપરાય છે. સ્વાર્થી લોકો કેરીને જુએ ત્યારે તેમને ફક્ત કેરીની છાલ દેખાય છે, પણ જ્ઞાની લોકો એ છે જે પાકી કેરીમાં શેકેલી ગોટલીનાં દર્શન કરી શકે.

ગોટલાનું માહત્મ્ય સમજવા માટે બાળસહજ નિર્મળતા જોઇએ. માણસ જેમ રીઢો થતો જાય એમ તેને ગોટલો નિરર્થક અને નકામો લાગવા માંડે છે. બાકી, નાનાં બાળકો વચ્ચે સમારેલી કેરીના ભાગ પાડવાના થાય ત્યારે ગોટલા માટે હંમેશાં ખેંચતાણ થાય છે. ગોટલો મેળવવા માટે બાળકો કાપેલી કેરીનો થોડો હિસ્સો જતો કરવા તૈયાર થઇ જાય છે. કેમ કે ગોટલો શું ચીજ છે, એ તે બરાબર સમજે છે. ઉંમર વધતાં વ્યવહારુપણાનો કાટ ઘણી વાર તેમની સમજણને બુઠ્ઠી કરી નાખે છે. ગોટલામાંથી રસ ગુમાવી ચૂકેલાં લોકોને ત્યાર પછી મોટાં થયેલાં જાહેર કરવામાં આવે છે.

5 comments:

  1. Baap Re Baap! Mari nakhya :D

    ReplyDelete
  2. "કેરી અને ગોટલાનું યુગ્મ આદમ-ઇવ જેવું......લહાવો લૂંટ્યા પછી ફક્ત જીભે જ નહીં, અંતરમનમાં તેનો સ્વાદ રહી જાય છે."

    The above paragraph is superb. Enjoyed and laughed the whole day remembering it!

    ReplyDelete
  3. ગોટલાનું માહત્મ્ય સમજવા માટે બાળસહજ નિર્મળતા જોઇએ.100% true & જીંદગી પોતાની પ્રક્રુતિ પ્રમાણે લોકો જીવતાં નથી. સભ્યતાના નામે માત્ર નકલ થાય છે. આવા મહોલમાં માનવી પ્રાક્રુતિક અવસ્થાની મજા માણવાનુ ભુલી જાય એ સ્વભાવીક છે.

    ReplyDelete
  4. Anonymous3:01:00 PM

    One aspect which has been left out is cleaning of gotla with plain water and cooking curry with the same. In many places it is called "fajeto". Curry so made tastes very well with plain rice. This proves the fact that we Gujaratis don't leave even gotla.

    After the gotla has been cleaned for curry, it looks absolutely neat and clean.

    And lastly, gotla can be made us of for a mango plant.

    Isn't it the best use of mango and gotla?

    Pradip Shah

    ReplyDelete
  5. Anonymous5:35:00 AM

    Very nice Urvishbhai, thanks for entertaining and SALAM for your philosophy
    Manhar Sutaria

    ReplyDelete