Sunday, May 13, 2012

મહાન વાર્તાકાર મંટો અને મુંબઇની ફિલ્મી દુનિયા


એક પણ નવલકથાની મદદ વિના, કેવળ ટૂંકી વાર્તાઓના જોરે અમરત્વ પ્રાપ્ત કરનારા જૂજ લેખકોમાં સઆદત હસન મંટોનો સમાવેશ કરવો પડે. એ ભારતીય હતા કે પાકિસ્તાની? - એવો પ્રશ્ન મહાન વ્યક્તિત્વોને બોટી લેવાની હરીફાઇના યુગમાં કોઇને થઇ શકે. પરંતુ આ સવાલ મંટો માટે સૌથી વઘુ અપ્રસ્તુત લાગે છે. અખંડ ભારતમાં જન્મેલા અને વાર્તાકાર બનેલા મંટોએ ૪૨ વર્ષ અને ૭ મહિનાના ટૂંકા જીવનમાં છેલ્લાં ૭  વર્ષ પાકિસ્તાનમાં વીતાવ્યાં. પરંતુ ભાગલાને સ્વીકારી ન શકનાર અને એ વિશેની હૃદયસ્પર્શી વાર્તા ‘ટોબા ટેકસિંહ’ લખનાર મંટો પર ‘ભારતીય’ કે ‘પાકિસ્તાની’નું લેબલ શા માટે ચોડવું જોઇએ? મંટો વિશ્વના સર્વકાલીન મહાન લેખકોની સૃષ્ટિમાં બિરાજે છે અને એટલું તેમની ઓળખ માટે પૂરતું છે.

૧૧ મે, ૨૦૧૨ના રોજ  મંટોની ૧૦૦મી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે, આ વર્ષમાં તેમની સાહિત્યિક કારકિર્દી વિશે યોગ્ય રીતે જ ઘણી વાત થશે, પરંતુ તેની સમાંતરે મંટો હિંદી ફિલ્મઉદ્યોગમાં પણ લેખક તરીકે સક્રિય હતા. મુંબઇમાં તેમની કારકિર્દીના પહેલા તબક્કા(૧૯૩૬-૪૦) વિશે ગયા સપ્તાહે કરી હતી. દિલ્હી આકાશવાણીમાં નોકરી મળતાં તેમણે મુંબઇ છોડ્યું, પણ ત્યાં દોઢેક વર્ષ માંડ ટક્યા. આકાશવાણીમાં ખટરાગ થતાં તે ઓગસ્ટ, ૧૯૪૨માં મુંબઇ પાછા આવી ગયા અને ભાગલાના થોડા મહિના પછી જાન્યુઆરી, ૧૯૪૮માં પાકિસ્તાન જતા રહ્યા. એ સમયે ‘ટોબા ટેકસિંહ’, ‘ઠંડા ગોશ્ત’, ‘ખોલ દો’ જેવી તેમની અનેક ચિરંજીવ કૃતિઓ સર્જાવાની બાકી હતી. મુંબઇની ફિલ્મી દુનિયાનાં વિવિધ પાત્રો વિશેનાં ચટાકેદાર ચરિત્રો પણ તેમણે પાકિસ્તાન જઇને, એક અખબારમાં કોલમ સ્વરૂપે લખ્યાં. (તેના સંગ્રહનું નામઃ ‘ગંજે ફરિશ્તે’. કારણ કે, ખુદ મંટોએ લખ્યું છે તેમ, આ લેખોમાં તેમણે બધા ફરિશ્તાઓની બહુ પ્રેમથી છોલી છે- તબિયતથી તેમનું મુંડન કર્યું છે.)

મંટો દિલ્હીથી મુંબઇ આવ્યા ત્યારે પહેલી વાર્તા તેમણે ગુજરાતી નિર્માતા વી.એમ.વ્યાસની કંપની ‘સનરાઇઝ પિક્ચર્સ’ માટે લખી. ફિલ્મ હતીઃ ‘નૌકર.’ (૧૯૪૩) ગાયિકા-અભિનેત્રી નૂરજહાંની મુંબઇમાં આ પહેલી ફિલ્મ હતી. તેનું ડાયરેક્શન વ્યાસે આકસ્મિકતાથી શૌકતહુસૈન રીઝવીને સોંપ્યું. શૌકત  નૂરજહાંની પહેલી ફિલ્મ ‘ખાનદાન’ના ડાયરેક્ટર અને નૂરજહાંના ભૂતપૂર્વ પ્રેમી હતા. ‘નૌકર’ નિમિત્તે તેમના મુંબઇમાં થયેલા પુનઃમિલન અને ફિલ્મી દુનિયાનાં નાટકનખરાં-બનાવટનું વિગતવાર વર્ણન મંટોએ નૂરજહાં વિશેના લેખમાં કર્યું છે.

‘નૌકર’ અને બીજી થોડી કથાઓ લખ્યા પછી મંટો ‘ફિલ્મીસ્તાન’ના સિનારીયો વિભાગમાં જોડાયા. અશોકકુમાર અને તેમના બનેવી એસ.મુખર્જીએ દેવીકા રાણીની સંસ્થા ‘બોમ્બે ટોકીઝ’થી અલગ થઇને ‘ફિલ્મીસ્તાન’ની સ્થાપના કરી હતી. તેની સાથે મંટોનું જોડાણ ભારત છોડતાં સુધી ટક્યું અને કેટલાકના મતે, એ તેમના ભારત છોડવાનું નિમિત્ત પણ બન્યું.

‘ફિલ્મીસ્તાન’માં માસિક રૂ.૩૦૦ના પગારથી મંટોની નોકરી પાકી થઇ. મંટોએ જેમનો ઉલ્લેખ ‘પરીચહેરા’ તરીકે કર્યો છે તે નસીમબાનુ (સાયરાબાનુનાં માતા) ‘ફિલ્મીસ્તાન’ની પહેલી ફિલ્મ ‘ચલ ચલ રે નૌજવાન’(૧૯૪૪) માં હીરોઇન હતાં, પણ બે વર્ષની મહેનત પછી ફિલ્મ ફ્‌લોપ ગઇ. ત્યાર પછી નસીમના પતિ અને ‘તાજમહાલ પિક્ચર્સ’ના માલિક માટે ફિલ્મ બનાવવાનું એસ.મુખર્જીના માથે આવ્યું. તેમણે કથા લખવાનું મુખર્જીએ મંટોને સોંપ્યું. એ ફિલ્મ એટલે‘બેગમ’ (૧૯૪૫).

‘ચલ ચલ રે નૌજવાન’માં નસીમબાનુ સેવાદળનાં કાર્યકર હતાં, જ્યારે ‘બેગમ’ ફિલ્મ નસીમના અપ્રતીમ સૌંદર્યને કેન્દ્રમાં રાખીને જ મંટોએ લખવાની હતી. એ ફિલ્મ નિમિત્તે નિકટનો પરિચય થયા પછી મંટોએ લખેલું, ગ્લેમરની બાદબાકી સાથેનું નસીમબાનુનું શબ્દચિત્ર વિશિષ્ટ છે. મંટોએ લખેલાં તમામ ફિલ્મી ચરિત્રોમાં પોતે અને પત્ની સફિયા પાત્રો તરીકે આવે છે. પરંતુ પોતાના વિશે પણ મંટોએ બીજા કોઇ પાત્રની વાત કરતા હોય એ રીતે લખ્યું છે.

‘ફિલ્મીસ્તાન’ની મંટોએ લખેલી બે મશહૂર ફિલ્મો એટલે ‘શિકારી’ (૧૯૪૬) અને ‘આઠ દિન’ (૧૯૪૬).

Eight Days- booklet

આ બન્નેના સ્ક્રીન પ્લે અને સંવાદો મંટોના હતા. તેમાંથી ‘આઠ દિન’ મંટોપ્રેમીઓ માટે આ ફિલ્મ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે મંટોએ કદાચ પહેલી અને છેલ્લી વાર તેમાં એક નાનકડો રોલ કર્યો.  પાગલ ફ્‌લાઇટ લેફ્‌ટનન્ટ કૃપારામની ભૂમિકા અસલમાં એસ.મુખર્જી કરે એવું વિચારાયું હતું, પરંતુ તેમણે ના પાડી. મંટોએ લખ્યા પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ અટકી પડ્યું અને નિર્માતા રાયબહાદુર ચુનીલાલ (સંગીતકાર મદનમોહનના પિતા) આઘાપાછા થવા લાગ્યા, એટલે એક દિવસ અશોકકુમારે કંઇ પૂછ્‌યાકારવ્યા વિના મંટોને સાથે લીધા અને કહ્યું કે તારે આ રોલ કરવાનો છે. આગળ જતાં નામી ગીતકાર બનેલા રાજા મહેદીઅલીખાં અને સાહિત્યકાર તરીકે ખ્યાત બનેલા ઉપેન્દ્રનાથ અશ્કની પણ ‘આઠ દિન’માં નાની ભૂમિકાઓ હતી.

Eight days- booklet credits
મંટોની વાત નીકળે એટલે ઉપેન્દ્રનાથ અશ્ક યાદ ન આવે એવું ભાગ્યે જ બને. મંટો વિશેનાં સંસ્મરણોનું તેમનું પુસ્તક ‘મંટોઃ મેરા દુશ્મન’ મંટોના વ્યક્તિત્વનાં બીજાં ઘણાં પાસાંનું દર્શન કરાવનારું છે. અશ્ક અને મંટો વચ્ચે કેવા સંબંધ હતા, તેનું બયાન બન્નેએ પોતપોતાના શબ્દોમાં આપ્યું છે. મંટોના તેડાવ્યા અશ્ક મુંબઇ ફિલ્મિસ્તાનમાં કામ કરવા પહોંચ્યા અને એ મંટોની સાથે તેમના ઘરમાં જ રહેતા હતા. ત્યાર પહેલાં દિલ્હી રેડિયો સ્ટેશનમાં બન્ને વચ્ચે ઘણાં યુદ્ધ ખેલાઇ ચૂક્યાં હતાં. એક દિવસ થોડું પીધા પછી મંટોએ અશ્કને કહ્યું હતું: ‘આઇ લાઇક યુ ધો આઇ હેટ યુ.’ (હું તને ધીક્કારું છું, છતાં ચાહું છું.)

મંટોની વાર્તાકળાના પ્રેમી અશ્કે પોતાનો નાટ્યસંગ્રહ ‘ચરવાહે’ મંટોને અર્પણ કરતાં લખ્યું હતું, ‘મંટોકે નામ- જો મુઝે કભી બહુત અચ્છા લગતા હૈ ઔર કભી સખ્ત બુરા’.

અશ્કે લખ્યું છે કે ‘ફિલ્મીસ્તાન’માં મંટોનું એકચક્રી રાજ ચાલતું હતું. ત્યાં શાહીદ લતીફ (ઇસ્મત ચુગતાઇના પતિ) અને પ્યારેલાલ સંતોષી જેવા લેખકો હતા, પણ રિવાજ એવો હતો કે એક જ દૃશ્યના સંવાદ બધા લેખકો લખે અને મંટો એ સંવાદ વાંચે. પછી એ બધાના સંવાદ રદ કરીને પોતે એ દૃશ્યના સંવાદ લખે, જે ફાઇનલ ગણાય. મંટોની આ રીતથી શાહિદ લતીફ અને સંતોષી ‘ફિલ્મીસ્તાન’ છોડી ગયા. ‘ફિલ્મીસ્તાન’ના સર્વેસર્વા એસ.મુખર્જીને રાજી રાખવા માટે મંટો તેમને ગાલિબના શેર સંભળાવતા હોય એવું પણ અશ્કે નોંઘ્યું છે.

‘આઠ દિન’ વિશે પણ ઉપેન્દ્રનાથ અશ્કે આપેલી વિગતો સાવ જુદી છે. તેમણે લખ્યું છે કે મંટોએ લખેલી ‘ચલ ચલ રે નૌજવાન’ અને ‘શિકારી’ની નિષ્ફળતા પછી અશોકકુમારે તેમને (અશ્કને) નવી ફિલ્મની કથા લખવા કહ્યું. અશ્ક સંવાદલેખક તરીકે કામ કરતા હતા, એટલે કથા લખવાના તેમણે અલગથી રૂ. બે હજાર માગ્યા. તેના કારણે વાત અટવાઇ. દરમિયાન મંટોને ખબર પડી કે અશોકકુમારે અશ્કને વાર્તા લખવા કહ્યું છે. એટલે તેમણે મફતમાં વાર્તા લખી આપવાની તૈયારી બતાવી અને અશોકકુમારને સમજાવી દીધા. અશ્કના નોંઘ્યા પ્રમાણે, ફિલ્મનું મુહૂર્ત થયું ત્યારે વાર્તાનાં ઠેકાણાં ન હતાં. એક વાર વાર્તા મફતમાં લખવાનું કબૂલ્યા પછી, અડધા શૂટિંગે મંટોએ અશોકકુમાર પાસેથી વાર્તા પેટે થોડા રૂપિયા વસૂલ્યા હતા.

‘આઠ દિન’માં અશ્કે પંડિત તોતારામનો કોમિક રોલ કર્યો હતો. રોલ તો નાનો હતો, પણ અશ્કે રીટેક વિના કર્યો એટલે અશોકકુમારને મઝા પડી. તેમણે પાત્ર લંબાવવાનું કહ્યું. એટલે મંટો પંડિત હિંદીનો એક ડાયલોગ લખીને આપે તો અશ્ક પોતાની જાતે બીજા બે ડાયલોગ ઉમેરે. તેનાથી મંટો એટલા ખીજાતા કે એક વાર બન્ને વચ્ચે મારામારીની નોબત આવી ગઇ.

‘ફિલ્મીસ્તાન’ પછી અશોકકુમાર અને સાવક વાચાએ ‘બોમ્બે ટોકીઝ’નું સુકાન સંભાળ્યું ત્યારે મંટો તેમની સાથે જ હતા. પણ અશ્કના જણાવ્યા પ્રમાણે, ‘મંટો ત્યાં એવા લોકોથી ઘેરાઇ ગયો, જેમને તેણે ફિલ્મીસ્તાન છોડવાની ફરજ પાડી હતી.’ મંટોએ અશોકકુમાર વિશેના ચરિત્રલેખમાં એવો ઇશારો કર્યો છે કે ‘બોમ્બ ટોકીઝ’માં મુસ્લિમોની બોલબાલા વધી જવાને કારણે અશોકકુમાર અને સાવક વાચ્છા પર ધમકીભર્યા પત્રો આવતા હતા. અશોકકુમાર-વાચ્છાના મનમાં મંટો કે બીજા મુસ્લિમો પ્રત્યે કોઇ દુર્ભાવ ન હતો. છતાં, તેમને તકલીફ ન પડે એટલા ખાતર પોતે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું. અલબત્ત, બીજાં કારણ પણ હતાં. તેમનો પરિવાર પાકિસ્તાનમાં હતો. પરંતુ ઉપેન્દ્રનાથ અશ્ક ‘બોમ્બે ટોકીઝ’ અને સરવાળે ભારત છોડવાના મંટોના નિર્ણય માટે તેમના પ્રબળ અહમ્‌ને અને પોતાની અવગણના સહન નહીં કરી શકવાની વૃત્તિને કારણભૂત ગણાવે છે. ‘બોમ્બે ટોકીઝ’માં મંટો જોડાયા તો ખરા, પણ તેમની એકેય વાર્તા પરથી ફિલ્મ બની નહીં. એને બદલે, નઝીર અજમેરીની વાર્તા પરથી ‘મજબૂર’, કમાલ અમરોહીની કથા પરથી  ‘મહલ’ અને શાહિદ લતીફની વાર્તા પરથી ‘ઝિદ્દી’ ફિલ્મો બની. આ સહન કરવું મંટો માટે અશક્ય હતું.

મિર્ઝા ગાલીબની કથા પર મંટોએ ઘણું કામ કર્યું હતું, પણ તેનો ઉપયોગ કરીને સોહરાબ મોદીએ ‘મિર્ઝા ગાલિબ’ બનાવી ત્યારે મંટો માનસિક અસ્વસ્થતા, સાહિત્યિક ઉપેક્ષા અને આર્થિક ભીંસ વચ્ચે પાકિસ્તાનમાં છેલ્લા દિવસો વીતાવી રહ્યા હતા. જાન્યુઆરી ૧૮, ૧૯૫૫ના રોજ તેમની દુન્યવી પીડાઓનો અંત આવ્યો અને ઘણી દંતકથાઓનો જન્મ થયો.

3 comments:

  1. You have brought alive the man himself; with all his foibles and human frailties. It's wonderful to know him as that rather than just a distant 'legend' whose memory we will periodically invoke on anniversaries. This all-too human side of Manto mingled with the tragic strain of his fate that continually runs alongside has been a privilege to read over these two parts Urvish.

    ReplyDelete
  2. ગાગર માં સાગર ----ખૂબ માહિતીપ્રદ લેખ.

    ReplyDelete
  3. Anonymous9:42:00 AM

    manto vise ghanu jaanva malyu....thanx

    ReplyDelete