Saturday, May 12, 2012

મંટો, સો વર્ષ પછી


(My editorial tribute to the master)

માણસના મનનો તાગ પામતું-માપતું અને તેને સફળતાપૂર્વક આલેખતું સાહિત્ય સ્થળકાળથી પર, જરા જાડો શબ્દ વાપરીને કહીએ તો, ‘અમર’ બની જાય છે. સઆદત હસન મંટોની વાર્તાઓ એ શ્રેણીમાં આવે છે. મે ૧૧, ૨૦૧૨ મંટોનો ૧૦૦મો જન્મદિવસ હતો. જન્મશતાબ્દિ. પૂરાં ૪૩ વર્ષ પણ નહીં જીવેલા મંટોના મૃત્યુને સાડા પાંચ દાયકાથી પણ વઘુ સમય વીતી ચૂક્યો છે. છતાં ખુલ્લી છરી જેવી મંટોની વાર્તાઓ આજે પણ વાંચનારની જાડી થઇ ગયેલી સંવેદનશીલતાને ઠેકઠેકાણેથી ચીરી નાખવા સમર્થ છે.

માણસ નામનું પ્રાણી અને તેના મનનાં અતળ ઊંડાણ, મંટોના પ્રિય વિષયો હતા. ભારત-પાકિસ્તાનના વિભાજનનું કોમી પાગલપણું  શરૂ થયું ત્યાર પહેલાં મંટોએ સમાજના અંધારીયા હિસ્સા પર દંભી નૈતિકતાથી નહીં, પણ માનવીય સહૃદયતાથી છલકાતી પોતાની કલમ ચલાવી. દેહનો વ્યાપાર કરતી સ્ત્રીઓની પાત્રસૃષ્ટિનું મંટોની વાર્તાઓમાં થયેલું આલેખન અત્યંત સશક્ત અને વાંચનારને અંદરથી ઝકઝોરી નાખનારું હતું. સરેરાશ હિંદી ફિલ્મોમાં દર્શાવાતાં બળાત્કારનાં દૃશ્યોની જેમ, મંટોની કહેવાતી કામુક કે કહેવાતી અશ્વ્લીલ વાર્તાઓમાં ગલગલિયાંનું તત્ત્વ સદંતર ગેરહાજર હતું. થોડી પણ સંવેદના ધરાવતો માણસ એ વાંચીને વલોવાઇ જાય, એવી તાકાત મંટોની વાર્તાઓમાં પ્રગટી.

વિભાજનની આસપાસ શરૂ થયેલી કોમી હિંસા  અને તેના પગલે મંટોએ લખેલી વાર્તાઓ માનવ ઇતિહાસના એ શરમજનક-કરુણ કાળનું નીતાંત કળાત્મક છતાં રૂપાળું નહીં એવું આલેખન છે. કોમી પાગલપણાથી દોરવાયેલા લોકોએ સ્ત્રીઓ પર કરેલા અત્યાચાર અને એવા સંજોગોમાં સ્ત્રીઓના પરિવારજનોની મનોદશા વર્ણવતી વાર્તા ‘ખોલ દો’ કે વિભાજનની વાસ્તવિકતાનો અસ્વીકાર કરતા પાગલખાનાના  પાગલ ‘ટોબા ટેકસિંહ’ જેવી વાર્તા વાંચીને કયા સહૃદય વાચકની આંખ આજે પણ ભીની ન થાય?

‘સ્યાહ હાશિયે’ના મથાળા તળે લખાયેલી લધુકથાઓ, વિભાજન સમયની કરૂણ ન હોય તો રમુજી બની જાય એવી વક્રતાઓ, ઓછામાં ઓછા શબ્દોમાં સોંસરવી નીકળી જાય છે અને વાચક ક્યાંય સુધી તેની ચોટમાંથી બહાર આવી શકતો નથી. ‘ઠંડા ગોશ્ત’ જેવી નીતાંત સ્ત્રી-પુરૂષના જાતીય સંબંધ પર આધારીત છતાં કોમી હિંસાની માણસની મૂળભૂત વૃત્તિ પર થતી અસરને નિરૂપતી કથા ઉપરછલ્લી નજરે કોઇને અશિષ્ટ લાગે, પણ એ વાર્તામાં દાખલ થનારના ભાગે અંતે તો મંટોસહજ સ્તબ્ધતા જ આવે છે. આ વાર્તાઓના અંત નાટકીય નથી. તેમનો આશય વાચકોને અંતે આવવો જોઇતો રિવાજ મુજબનો વળ- ટ્‌વીસ્ટ પૂરો પાડવાનો નથી. આ વાર્તાઓ પાનાં પર પૂરી થાય ત્યાંથી જ વાચકના મનમાં તે શરૂ થઇ જાય છે, વર્ષો સુધી રહે છે અને નવા નવા સંદર્ભે તેમના નવા અર્થ ઉઘડતા જાય છે.

મંટોનાં પાત્રો વિનયી-વિવેકી-ઠરેલા-ઠાવકાં નથી. જિંદગીએ, સંજોગોએ, પોતાની મનુષ્યગત મર્યાદાઓ તેમને ચોતરફથી સાણસામાં લીધાં છે અને એ સંજોગોમાં તેમનું વર્તન જેવું હોઇ શકે, એવું જ મંટોની વાર્તાઓમાં વાંચવા મળે છે. તેમાં કશી બનાવટ નથી. સાજસણગાર નથી. મંટોનું અતિપ્રખ્યાત વિધાન છેઃ ‘આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તેને સમજવો હોય તો મારી વાર્તાઓ વાંચો. એ તમને નાકાબિલેબરદાશ્ત- અસહ્ય લાગે તો જાણજો કે જમાનો જ અસહ્ય છે.’ વિભાજન પછી પાકિસ્તાન ગયેલા મંટોની વાર્તાઓ પર અનેક વાર અશ્વ્લીલતાના આરોપસર મુકદ્દમા ચાલ્યા છે. ઘણા લોકો મંટોને અશ્વ્લીલ - ‘વેશ્યાઓ અને દલાલો’ની વાર્તાઓ લખનારા તરીકે ખતવી કાઢતા રહ્યા છે. ‘ઘણા લોકો માને છે કે અશ્વ્લીલ વાર્તાઓ લખવી અને તેની પર કોર્ટમાં કેસ ચલાવવા એ જ મારો ધંધો છે’ એવું લખનાર મંટો, વાચકોના સદ્‌ભાગ્યે આવાં પ્રમાણપત્રોની પરવા કર્યા વિના લખતા રહ્યા.

વાર્તાઓ ઉપરાંત રેડિયોનાટકો, હિંદી ફિલ્મી હસ્તીઓ વિશેના ચરિત્રલેખ, છાપાંમાં કોલમ-મંટોએ બઘું જ કર્યું.  છતાં, પાકિસ્તાન ગયા પછી ત્યાંની પરિસ્થિતિ અને પોતાની પ્રકૃતિ સહિત ઘણાં કારણથી મંટોને કદી જંપ વળ્યો નહીં. ગુજરાન ચલાવવા, ખાવા કરતાં પણ વધારે પીવાના, ખર્ચા કાઢવાનું તેમને અઘરું પડ્યું. માનસિક સંતુલન ખોરવાઇ જવાને કારણે થોડો વખત પાગલખાનામાં જવું પડ્યું.

અસ્વસ્થ અને ત્રસ્ત મનોદશામાં પાછલાં વર્ષો ગુજાર્યા પછી સઆદત હસન કબરભેગા થઇ ગયા, પણ કમબખ્ત મંટો પીછો છોડતો નથી. માણસોની માણસાઇ ભૂલાવી દેતી કોમી હિંસા, ત્યાર પછી પણ માણસના મનમાં પેદા ન થતો અપરાધભાવ, સમાજમાં વધી રહેલી અસમાનતાનાં ક્રૂર સ્વરૂપો, માણસનું હંિસક સ્વકેન્દ્રીપણું, રોજંિદા જીવનમાં પ્રગટ થતી કારમી વિષમતાઓ અને તેનો પ્રસાર માઘ્યમોમાં- સાહિત્યમાં જોવા મળતો એકંદર અભાવ- આ બધું પીડે ત્યારે મંટો અને તેની સંવેદનપ્રચૂર છતાં ઢીલીપોચી નહીં એવી, વેધક કલમ યાદ આવે છે. એવા મંટોની ખોટ પણ તીવ્રપણે સાલે છે.

3 comments:

  1. Anonymous11:41:00 AM

    Urvishbhai .....

    Thoduk Vadhu lakhvyu hot to emna vishe vadhu janva malat . Aamnu naam pehli var j Sambhadyu che .

    ReplyDelete
  2. An intersting linked story:
    The Manto Birth Centenary in New York City, May 11 and 15, 2012

    ReplyDelete
  3. ભરતકુમાર ઝાલા11:11:00 AM

    મંટોએ સમાજની કડવી વાસ્તવિક્તાઓ ખુલ્લી કરી હતી. આજના ગળચટ્ટા લહિયાઓ કરતા મંટો ઘણો બહાદુર અને વાસ્તવિક સર્જક હતો. એની કલમ સત્યની શાહીમાં ઝબોળીને એ લખતો હતો. ખોલ દો- વાર્તામાં સમાજની જે નગ્ન ઓળખ એને રજૂ કરી છે, તે આજે ય આપણા સૌમાં ધબકે છે. માનવી તરીકે આજે આટલા વર્ષો પછી પણ આપણે એકે ય પગથિયું ઉંચે ચડી નથી શક્યા- એ આપણને સૌને ન ગમે એવી વાત છે.

    ReplyDelete