Sunday, May 20, 2012

‘રાષ્ટ્રકવિ’ રવીન્દ્રનાથ ટાગોર અને રાષ્ટ્રવાદ: રાષ્ટ્રવાદ દુનિયામાં ફેલાયેલો અનિષ્ટનો ક્રૂર રોગચાળો છે


રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મજયંતિનાં ઉજવણાં  સમાપ્ત થયાં. રવીન્દ્રનાથ હોય કે ઉમાશંકર, આપણને એમનાં પ્રમાણમાં નિર્દોષ એવાં કવિસ્વરૂપ વધારે ફાવે છે. ટાણાંવાર તેમને અપાતી અંજલિઓમાં કે તેમની પ્રમુખ ઓળખમાં પણ કદાચ એટલે જ તેમનું કવિપણું સૌથી આગળ હોય છે. ટાગોર જેવી પ્રચંડ સર્જક અને બૌદ્ધિક પ્રતિભાને ફક્ત કવિ અથવા જરા આગળ વધીને ફક્ત સાહિત્યકાર, સંગીતકાર કે ચિત્રકાર તરીકે યાદ કરવાનું પણ અપૂરતું છે. તેમના જેવા સર્જકો પોતાની આસપાસ બનતી ઘટનાઓથી અલિપ્ત રહી શકતા નથી. પોતાના સમય સાથેનો તેમનો નાતો એકકેન્દ્રી- કેવળ સાહિત્ય રચવા પૂરતો- સીમિત હોતો નથી. પ્રાંત, દેશ અને વિશ્વની ઘટનાઓના ધબકાર પણ તે ઝીલે છે અને એ વિશે, સાહિત્યકાર તરીકેનાં સુંવાળાં માનપાન ગુમાવવાની ચિંતા  રાખ્યા વિના, પોતાના મનની વાત કહે છે.

ટાગોર એવા જ એક બૌદ્ધિક હતા, જેમની ઉપરછલ્લી ઓળખમાં ઘણા વિરોધાભાસ લાગેઃ ‘જનગણમન અધિનાયક’ તેમણે અંગ્રેજ રાજાની સ્તુતિ તરીકે લખ્યું હોવાનો આરોપ એક સદી પછી પણ શમ્યો નથી. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી તેમણે ‘સર’નો ખિતાબ પાછો આપી દીધો. ટાગોરે લખેલાં ગીત આગળ જતાં ભારત અને બાંગલા દેશ બન્ને રાષ્ટ્રોનાં રાષ્ટ્રગીત તરીકેનું માન પામ્યાં. પરંતુ ખુદ ટાગોર રાષ્ટ્રવાદના આક્રમક અને સંકુચિત ખ્યાલથી અળગા થઇ ગયા. રાષ્ટ્રવાદ વિશેના તેમના ખ્યાલોને કારણે, બંગાળનું ગૌરવ ગણાતા રવીન્દ્રનાથ પર બંગાળી અખબારોમાં પ્રહાર પણ થયા. કારણ કે ભારત જેવા ઉભરતા દેશ માટે રાષ્ટ્રવાદ જરૂરી હોવાની માન્યતા વ્યાપક હતી.

કેટલાક અભ્યાસીઓ માને છે કે પશ્ચિમમાં ટાગોરનાં કાવ્યોની પ્રતિષ્ઠા થઇ, એ માટે  રાષ્ટ્રવાદ વિશેના તેમના ખ્યાલો પણ જવાબદાર હતા. કારણ કે, વિશ્વયુદ્ધ પહેલાં જાપાન-જર્મની જેવા દેશોના આત્યંતિક અને અંતિમવાદી ‘રાષ્ટ્રવાદ’નાં પરિણામ દેખાઇ રહ્યાં હતાં. તેનો વિરોધ કરતા ટાગોરના વિચારો યુરોપના લોકોને એકદમ અનુકૂળ આવ્યા.

વીસમી સદીના આરંભે ભારતમાં રાષ્ટ્રવાદની લહેર જગાડનાર ટાગોર ટૂંક સમયમાં  સંકુચિત - અને અત્યારે પ્રચલિત એવા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર વિરોધી કેમ બન્યા? તેના વિગતવાર જવાબ સૌમ્યેન્દ્રનાથ ઠાકુર લિખિત અને નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત પુસ્તિકા ‘રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ’માંથી મળી રહે છે. સરોજિની હઠીસિંહ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકામાં રવીન્દ્રનાથના વિચારો દ્વારા દેશપ્રેમ અને (ંસંકુચિત) રાષ્ટ્રવાદ વચ્ચેનો તફાવત બરાબર ઉભર્યો છે.

દેશપ્રેમની એક રમૂજી વ્યાખ્યા  છેઃ ‘મારો દેશ મહાન છે. કારણ કે હું એમાં જન્મ્યો હતો.’ પરંતુ રવીન્દ્રનાથે પોતાના દેશપ્રેમની સ્પષ્ટતા કરતાં લખ્યું હતું, ‘હું ભારતને ચાહું છું તેનું કારણ હું ભૌગોલિક મૂર્તિપૂજામાં માનું છું અથવા હું ભાગ્યવશાત્‌ એની ભૂમિ પર જન્મ્યો છું, એ નથી. પણ એનું કારણ એ છે કે એના ૠષિમુનિઓએ ઉચ્ચારેલી જીવંત વાણીને એણે શતાબ્દીઓની અશાંતિ દરમ્યાન સાચવી રાખી છે.’ પોતાનો દેશ ‘એક અને વર્ણવિહીન’ હોય એ તેમને ભારતની ‘સાચી પ્રાર્થના’ લાગી હતી.

ભારત બીજાં કરતાં ખાસ છે અને આઘ્યાત્મિક રીતે તેનો જગતમાં જોટો નથી, એ પ્રકારના ખ્યાલોને રવીન્દ્રનાથ મિથ્યાભિમાન ગણતા હતા. તેમની માન્યતા હતી કે અંગ્રેજ શાસકો તરફથી ભારતની સંસ્કૃતિ પર થતા હુમલાના જવાબરૂપે, ૧૯મી સદીના મઘ્ય ભાગમાં ભારતમાં પોતાની સંસ્કૃતિ વિશે મિથ્યાભિમાની વલણ પેદા થયું. આઝાદી માટેની પ્રવૃત્તિ વિકસતી ગઇ તેમ આઘ્યાત્મિક મહત્તા પર ભારતનો ખાસ દાવો છે, એવો વિચાર સાહિત્યમાં વારંવાર દેખાવા લાગ્યો. ‘ઇશ્વર કોઇ ખાસ પ્રજા પર મહેર કરે છે એવો ખ્યાલ બર્બરયુગને શોભે એવો છે’ એવું રવીન્દ્રનાથે સાફ શબ્દોમાં કહ્યું હતુ.

‘પૂર્વ મહાન ને પશ્ચિમ ભૌતિકવાદી’ અથવા ‘પૂર્વ પછાત અને પશ્ચિમ પ્રગતિશીલ’ એવાં જડ ચોકઠાંમાં રવીન્દ્રનાથ બંધાયા નહીં. પૂર્વના આઘ્યાત્મિક ચડિયાતાપણાના ખ્યાલને એમણે નકારી કાઢ્‌યો, તો પશ્ચિમની યાંત્રિક પ્રગતિ સામે પણ તેમણે સવાલ ઊભા કર્યા. ‘આપણે પૂર્વના લોકોએ આપણો દોષ કબૂલ કરવાનો છે...કોઇ અમુક ધર્મ, વર્ણ કે ન્યાતના લોકો પ્રત્યે હળાહળ તિરસ્કાર અને ક્રૂરતાથી વર્તીને આપણે માનવજાતનું અપમાન કર્યું, એ પાપ વધારે મોટું નહીં તો પણ પશ્ચિમના પાપ જેવડું તો છે જ.’ એવું કહેનાર રવીન્દ્રનાથે એવી દલીલ પણ કરી કે પશ્ચિમનો વિકાસ વિશ્વમાનવવાદના નૈતિક સિદ્ધાંતના આધારે થયો નહીં, એટલે અસમાનતા-શોષણ-ગરીબી-યુદ્ધો બઘું જોવા મળે છે.

તેમણે કહ્યું, ‘માનવજાતે વિજ્ઞાનના ક્ષેત્રમાં આટઆટલાં વિરાટ પગલાં ભર્યા હોવા છતાં માનવસમાજ આજે પણ કુદરતના લૂટારુ કાયદાથી નિયંત્રીત થતો જોવા મળે છે.’  પ્રગતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતાં તેમણે કહ્યું હતું, ‘એક ચક્કર ફેરવીને એક સાથે હજારો સોયોમાં કાણાં પાડતાં કદાચ હું થોડાં વર્ષમાં શીખી જાઉં, પણ પોતાના દુશ્મનનું કે કોઇ અજાણ્યાનું અત્યંત સરળભાવે આતિથ્ય કરવા માટે પેઢીઓની તાલીમની જરૂર પડે.’  રવીન્દ્રનાથની પાયાની ફરિયાદ હતી કે પ્રગતિની લ્હાયમાં સંસ્કૃતિનું મૂળ ઘ્યેય ભૂલાઇ ગયું છે.

રાષ્ટ્રવાદનું આઘુનિક સ્વરૂપ પશ્ચિમની દેન હતી. એક તરફ સ્વાતંત્ર્યનો સંદેશ અને બીજી તરફ રાષ્ટ્રવાદની ભાવના - એ વિરોધાભાસ વિશે રવીન્દ્રનાથે કહ્યું હતું કે ‘પશ્ચિમનો આત્મા  સ્વાતંત્ર્યના ઝંડા હેઠળ કૂચ કરી રહ્યો છે, ત્યારે પશ્ચિમનો રાષ્ટ્રવાદ સંગઠન અને વ્યવસ્થાની લોખંડી જંજીરો ઘડી રહ્યો છે. માનવ ઇતિહાસમાં કોઇ પણ કાળે ઘડાયેલી જંજીરો કરતાં એ વધારે મજબૂત અને અતૂટ છે.’

આવા રાષ્ટ્રવાદ સામે રવીન્દ્રનાથે કડકમાં કડક શબ્દોમાં ચેતવણી આપી હતીઃ ‘જ્યારે લોકો પોતાની સંસ્કૃતિ કે લોહીની શ્રેષ્ઠતાના આધારે, વેપારી લોભને કારણે, બીજા દેશોનાં બજાર કબજે કરવા માટે કે બીજા દેશોનાં શોષણ માટે સંગઠિત થાય છે ત્યારે પોતાના હૃદયસિંહાહાસન પર તે માનવએકતાના આદર્શને બદલે રાષ્ટ્રવાદને સ્થાપે છે. એ વખતે માનવજાત ઉપર કાળરાત્રિ ઉતરી આવે છે... આ રાષ્ટ્રવાદ આજના જમાનામાં દુનિયામાં ફેલાયેલો અનિષ્ટનો ક્રૂર રોગચાળો છે. તે માનવજાતના નૈતિક મર્મોને હજમ કરી જાય છે.’

અત્યારનો ચીની રાષ્ટ્રવાદ અથવા ગઇ સદીના ઉત્તરાર્ધમાં અમેરિકા અને ઘણા સામ્યવાદી દેશોનો રાષ્ટ્રવાદ રવીન્દ્રનાથ ટાગોરનું નિદાન એકદમ સાચું પાડે છે. ભારતમાં પણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના રાજકારણથી રાષ્ટ્રિય એકતાને બદલે આંતરિક હૂંસાતૂંસી અને અસ્થિરતા વઘ્યાં છે. રવીન્દ્રનાથે કહ્યું હતું તેમ, ‘રાષ્ટ્રવાદનો જન્મ અને તેનો સૌથી વઘુ વિકાસ પશ્ચિમમાં થયો હતો. તે અથડામણ ઉપર જ જીવે છે અને ફૂલેફાલે છે. કારણ કે અથડામણ એ જ રાષ્ટ્રવાદનો પ્રાણ છે...એનો પાયો સામાજિક સહકાર નથી...જેને શિકાર વિના ચાલે જ નહીં એવાં શિકારી વરૂઓનાં ટોળાં જેવો એ છે.’

કટ્ટર રાષ્ટ્રવાદ માટે જાણીતા જાપાનમાં રવીન્દ્રનાથે જાહેર પ્રવચનમાં કહી દીઘું હતું કે પ્રજા તરીકે તમારે માટે મારા મનમાં ઊંડો પ્રેમ અને આદર છે, પણ રાષ્ટ્ર તરીકે બીજાં રાષ્ટ્રો સાથેના વ્યવહારમાં તમે પશ્ચિમ જેવા જ દગાબાજ અને બધી વાતે પૂરા છો. ‘આખી પ્રજાના માનસમાં પોતાની ઉચ્ચતાનો અસાધારણ ઘમંડ ભરી દેવો, પ્રજાને પોતાની નૈતિક કઠોરતા અને પાપની સમૃદ્ધિનું અભિમાન લેતાં શીખવવું..યુદ્ધમાં જીતેલી વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોના મનમાં બીજાને માટે તિરસ્કાર પેદા કરવો, હારેલા લોકોની નામોશીને કાયમ કરવી- એ પશ્ચિમને કોરી ખાતાં ગુમડાંનું અનુકરણ કર્યા બરાબર છે.’ ઇતિહાસમાં જૂઠાણાં ઊભાં કરવાં એ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદનું એક લક્ષણ હોવાનું રવીન્દ્રનાથે જણાવ્યું હતું. એ પ્રકારનો રાષ્ટ્રવાદ આઝાદી પછીના ભારતમાં સામાન્ય બની ગયો છે.

જાપાને ચીન પર હુમલો કર્યો ત્યારે એક જાપાની કવિએ યુદ્ધને આઘ્યાત્મિક- બીજાને સુધારવા માટેના પરિબળ તરીકે ઓળખાવ્યું. હિટલર અને મુસોલિની પણ બીજા વિશ્વયુદ્ધ વખતે એવું જ માનતા હતા. અંગ્રેજો ગુલામ ભારતને સુધરેલું બનાવવાનો દાવો કરતા હતા અને અમેરિકાએ લોકશાહી સ્થાપવાના બહાને કેટલાં યુદ્ધ કર્યાં. એ બધાના પાયામાં રહેલું સત્ય રવીન્દ્રનાથે જાપાની કવિને લખી જણાવ્યું હતું, ‘લોકોનાં સુખ અને હકનું બલિદાન ચઢાવવાનો પોતાનો હક છે એવો દાવો જે દેશભક્તિ કરે, તે કોઇ પણ મહાન સંસ્કૃતિનો પાયો મજબૂત બનાવવાને બદલે તેને જોખમમાં મૂકશે.’

પુસ્તિકાના લેખક સૌમ્યેન્દ્રનાથે નોંઘ્યું છે કે ‘સ્વદેશી ચળવળના તેમ જ અસહકારના જમાનામાં (રવીન્દ્રનાથે) એક વાર સુદ્ધાં સંકુચિત રાષ્ટ્રવાદના મંદિરમાં પૂજા કરી નથી. તે ભારતની મુક્તિ પૂરા અંતરથી ચાહતા હતા, પણ એ રાષ્ટ્રવાદી તરીકે નહીં, પણ વિશ્વમાનવવાદમાં જેને પૂરી શ્રદ્ધા છે એવા આંતરરાષ્ટ્રવાદી તરીકે.’
 એક તરફ સંહારનાં શસ્ત્રોનો ખડકલો કરીને બીજી બાજુથી કરાતી સૂફિયાણી વાતોથી કે બહારની સંસ્થાઓથી નહીં, પણ અંતરની  ભાવનાથી સાચું માનવઐક્ય સ્થપાશે એવું રવીન્દ્રનાથે કહ્યું હતું, પરંતુ માનવજાત વારી વળતી નથી એવી વીસમી સદીની વાસ્તવિકતા એકવીસમી સદીમાં બદલાઇ હોય એવું જણાતું નથી.

3 comments:

  1. ભરતકુમાર ઝાલા7:55:00 PM

    રવિન્દ્રનાથ ટાગોરની પરંપરાગત નહી એવી અલગ જ ઓળખાણ કરાવી તે બહુ જ ગમ્યું.

    ReplyDelete
  2. જ્ગદીશ પટેલ્9:14:00 AM

    ખુબ સરસ તમે આવી સામગ્રી શોધી લાવી પીરસો છો તે ઘણૉ મોટો ઉપકાર છે આભાર

    ReplyDelete
  3. ટાગોરના વિચારો પશ્ચિમના અરાજ્યવાદી (anarchist) અને સ્વતંત્રવાદી (libertarian) વિચારકો ને મળતા આવે છે.

    ReplyDelete