Tuesday, January 31, 2012

રશદી-વિરોધનું બેશરમ ફારસ

‘ક્લાસિક’ પુસ્તકની રમૂજી વ્યાખ્યા છેઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, બધાને ખબર હોય કે એ વાંચવું જોઇએ, પણ બહુ ઓછા લોકોએ તે વાંચ્યું હોય. વિવાદાસ્પદ પુસ્તકની વ્યાખ્યા પણ એ તરાહ પર કરી શકાયઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, ભાગ્યે જ કોઇએ વાંચ્યું હોય, છતાં તેનો જોરશોરથી વિરોધ થતો હોય અને તેના લીધે લોકોને થતું હોય કે ‘આ પુસ્તક વાંચવું જોઇશે.’

સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ ૧૯૮૮માં બ્રિટનમાં પ્રકાશિત થઇ, ત્યારથી એ વિવાદાસ્પદ રહી છે. બ્લાસ્ફેમી- ધર્મ કે ધાર્મિક પાત્રોની નિંદાનો આરોપ, વિશ્વભરના દેશોમાં સૌપ્રથમ ભારત સરકાર દ્વારા તેની પર મુકાયેલો પ્રતિબંધ, ઇરાનના આયાતોલ્લા ખોમેનીએ આપેલો રશદીના મોતનો આદેશ, કડક સુરક્ષા હેઠળ રશદીનો અજ્ઞાતવાસ, ખોમેનીના અવસાન પછી ઇરાન સરકારે પાછું ખેંચેલું ફતવાનું સત્તાવાર સમર્થન- આ બધી વાતો સાહિત્યમાં જ નહીં, સમાચારમાં રસ ધરાવતા લોકો પણ ઓછેવત્તે અંશે જાણે છે.

જયપુર લિટરરી ફેસ્ટિવલ નિમિત્તે જાન્યુઆરી, ૨૦૧૨માં રશદીવિરોધની કથામાં સરકારી અને બિનસરકારી રાહે નવાં શરમજનક પ્રકરણ ઉમેરાયાં છે. તેની મુદ્દાસર વાત સાથે ભારતીય પ્રજાસત્તાકના વર્તમાનની કથા વળાંકો ને વક્રતા, વિચિત્રતા અને વિષમતા સાથે ઉઘડતી જશે.

સ્થળઃ જયપુર લિટરેચર ફેસ્ટિવલ એટલે કે સાહિત્ય સમારંભ ૨૦૦૬થી વર્ષથી યોજાય છે. તેમાં દેશવિદેશના લેખકો આવે તથા એકબીજા સાથે તથા વાચકો સાથે ખુલ્લાશથી હળેમળે- વિચારોનું આદાનપ્રદાન કરે એવો તેનો આશય છે. પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તે એશિયાનો સૌથી નામી- સૌથી મોટો સાહિત્યિક મેળાવડો ગણાય છે. આ વર્ષે તેમાં નિમંત્રીત આશરે ૨૬૫ લેખકોમાંના એક હતાઃ બ્રિટનમાં વસતા, ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશદી.

વિવાદનું કેન્દ્રઃ રશદીની કેટલીક નવલકથાઓ ઇંદિરા ગાંધી, ઝુલ્ફીકારઅલી ભુત્તો જેવાં લોકો સાથે તોફાની સામ્ય ધરાવતાં પાત્રોને કારણે વિવાદાસ્પદ બની હતી, પરંતુ ‘સેતાનિક વર્સીસ’ વિવાદના મામલે બધી હદો વટાવી ગઇ. કારણ કે તેમાં મામલો વ્યક્તિની નહીં, પણ ધર્મની ટીકાનો- ‘ધાર્મિક લાગણી’ દુભાવાનો હતો. ખોમેનીએ જારી કરેલા મોતના ફતવા પછી ઘણા સમય સુધી રશદી પોતે કોઇ નવલકથાના પાત્ર જેવા રહસ્યાચ્છાદિત બની રહ્યા. દેશવિદેશમાં મુસ્લિમ નેતાઓ કે સંસ્થાના આગેવાનો કે ઝનૂની લોકો દ્વારા થતો વિરોધ ફક્ત ‘સેતાનિક વર્સીસ’ પૂરતો મર્યાદિત ન રહ્યો. ‘ઇસ્લામનું અપમાન કરનાર’, ખુદ મુસ્લિમ, એવા રશદીના તે વિરોધી થઇ ગયા. રશદી ૨૦૧૨ના જયપુર સાહિત્યિક સમારંભમાં આવવાના છે, એવા સમાચાર જાહેર થતાં તોફાનનાં વાદળાં ઘેરાવા લાગ્યાં.
‘સેતાનિક વર્સીસ’ લખ્યા પછી રશદી પહેલી વાર ભારત આવતા ન હતા. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં બીજા વર્ષે (૨૦૦૭માં) તે હાજર રહ્યા હતા. ફેસ્ટિવલના એક આયોજક વિલિયમ ડેર્લિમ્પિલે યાદ કર્યું હતું કે એ વખતે રશદીની સાથે એક અંગરક્ષક સુદ્ધાં ન હતો. એ નિરાંતે સૌને મળ્યા હતા. લેખકો અને વાચકો સાથે વાતો કરી હતી. ત્યારે કોઇ ડખો થયો ન હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૧૨ની વાત જુદી હતી. આ વર્ષે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવે છે, જેમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે કોંગ્રેસ પ્રચંડ પ્રયાસ કરી રહી છે. મુસ્લિમહિતનું કોઇ નક્કર કામ કર્યા વિના તેમના મત અંકે કરવાની જૂની અને જાણીતી પદ્ધતિ મુસ્લિમોમાંથી કટ્ટરવાદી નેતાગીરી સામે ધૂંટણીયે પડવાની છે.

સરકાર અને સંસ્થાઓ દેવબંદ (ઉત્તર પ્રદેશ)ની મુસ્લિમ ધાર્મિક સંસ્થા દારૂલ ઉલુમે રશદીના ભારત આગમન સામે રણશીંગું ફૂંક્યું. ત્યાંથી શરૂ થયેલો વિરોધનો દાવાનળ જયપુર અને દિલ્હી સુધી પહોંચ્યો. ત્યાં સુધી રશદીનું જયપુર આવવાનું નક્કી હતું. હોટેલનો રૂમ બુક થઇ ગયો હતો. રાજસ્થાનની કોંગ્રેસી ગેહલોત સરકારે તેમને રક્ષણની બાંહેધરી આપી હતી. પછી ધીમે ધીમે સરકારના અસલી ઇરાદા પરનો નકાબ ઉતરવા લાગ્યો. ‘ગુપ્તચર બાતમી’ આગળ કરીને રાજસ્થાન સરકાર દ્વારા રશદીને એવો સંદેશો પહોંચાડવામાં આવ્યો કે ‘મુંબઇના એક ડોને તમારી હત્યા માટે સોપારી આપી છે.’

દેવબંદના વિરોધથી વાત વણસવા લાગી હતી. રશદી આવે તો પણ સલામતી-બંદોબસ્ત પાકો રાખવો પડે એમ હતો. તેનાથી આયોજનની સ્વાભાવિકતા અને અનૌપચારિકતા પર ગંભીર અસર પડે એમ હતી. મોતની ધમકીની વાત આવ્યા પછી રશદીને નવેસરથી વિચારવાની ફરજ પડી. એક બાજુ રક્ષણ આપવાની તત્પરતાનો ડોળ કરતી સરકાર એ જ શ્વાસમાં ‘મુંબઇના ગેંગસ્ટરે તમારી સોપારી આપી છે’ એવું કહે ત્યારે તેનો અર્થ શું થાય, તે રશદી જેવાને સમજાવવું પડે? તેમણે જયપુર આવવાનું માંડવાળ કર્યું. પછીથી તેમણે એવું પણ કહ્યું કે હું જયપુર ન આવું એ માટે ગુપ્તચર માહિતીના નામે મને ભડકાવવામાં આવ્યો હતો.

‘સેતાનિક વર્સીસ’ને બદલે આખેઆખા રશદીનો વિરોધ કરનારાની દાદાગીરી અને તેની ઉપર ચાર ચાસણી ચડે એવી સરકારની કુટિલતાથી મર્યાદિત વર્તુળોમાં ભારે અસંતોષ ફેલાયો.

વિરોધનો વિરોધઃ લાંબોપહોળો પથારો પાથરીને બેઠેલાં આયોજકોએ વાજબી વસવસો પ્રગટ કરીને બાકીના કાર્યક્રમ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ ફેસ્ટિવલના પહેલા જ દિવસે ધડાકો થયોઃ જાન્યુઆરી ૨૦ના રોજ ચાર જણ- લેખક હરિ કુંઝરુ, વિવેચક અમિતાવ કુમાર, કવિ જીત થાઇલ અને ફિલ્મકાર રુચિર જોશીએ રશદીના મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ‘સેતાનિક વર્સીસ’માંથી કેટલાક (બિનવિવાદાસ્પદ) અંશોનું જાહેરમાં પઠન કર્યું. ત્યાં ઉપસ્થિત બી.બી.સી.ના સંવાદદાતાએ નોંઘ્યા પ્રમાણે, લોકોએ બહુ રસથી અને શાંતિપૂર્વક એ સાંભળ્યું. કોઇની ઉશ્કેરણી ન થઇ ને કાયદો-વ્યવસ્થા જોખમાયાં નહીં. (ધક્કામુક્કી ને ધસી જવામાં) ‘રગ્બી ટીમની હરીફાઇ કરે એવાં’ટીવી પત્રકારો ત્યાર પછી પહોંચ્યા.

વિરોધવાચન કરતાં પહેલાં બ્રિટનસ્થિત હરિ કુંઝરુએ ટ્‌વીટર પર પોતાનો ઇરાદો જાહેર કરી દીધો હતો. ખરો કકળાટ શાંતિપૂર્વક પઠન થઇ ગયા પછી શરૂ થયો. ચારે સામે ફરિયાદો થઇ અને વકીલની સલાહ પ્રમાણે ધરપકડ ટાળવા માટે ચારે જણ જયપુરથી રવાના થઇ ગયા. તેમની સામે જયપુર અને અજમેરમાં કુલ અડધો ડઝન પોલીસ કેસ કરવામાં આવ્યા છે. કેસ કરનારમાં ભાજપના લધુમતી મોરચાનો પણ સમાવેશ થાય છે.

આયોજકોનો અભિગમઃ ‘સેતાનિક વર્સીસ’માંથી પઠન કરતાં આયોજકોની સ્થિતિ કફોડી થઇ. એક તરફ અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો અધિકાર અને બીજી તરફ આયોજનને પાર ઉતારવાનો તકાદો. આયોજકોમાંના એક વિલિયમ ડેર્લિમ્પિલે ખુલાસો કરતાં કહ્યુંઃ ‘એક જૂના કાયદા પ્રમાણે પ્રતિબંધિત પુસ્તકનું જાહેર પઠન કરવું એ પણ સજાપાત્ર ગુનો છે, તેની ચારે જણને ખબર નહીં હોય. પણ તેમણે એટલું સારું કર્યું કે ‘આ પઠન તેમણે પોતાની મુન્સફીથી કર્યું છે. સમારંભના આયોજકોને તેની સાથે કશી લેવાદેવા નથી’ એવું લેખિત નિવેદન તેમણે અમને કરી આપ્યું. તેનાથી પહેલા જ દિવસે આયોજન સમેટી લેવું ન પડ્યું અને સમારંભ ચાલુ રહી શક્યો.’

વિલિયમે ત્યારે એવું આશ્વાસન લીઘું અને આપ્યું હતું કે ‘અમે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણ કરીએ છીએ. સલમાન રશદી સાથે અમે વિડીયો કોન્ફરન્સ કરીશું. જે થયું તેનો વિરોધ પણ કરીશું. છતાં વિરોધ કાયદાની હદમાં રહીને કરવો પડે.’ પરંતુ ખરો ખેલ ત્યારે થયો, જ્યારે રશદી સાથે વિડીયો વાર્તાલાપનો વિચાર પણ પડતો મૂકવો પડ્યો. ભારે દબાણ હેઠળ યજમાને જાહેર કર્યું કે સમારંભમાં હાજર સૌની સલામતીને ઘ્યાનમાં રાખતાં અને વ્યાપક હિતમાં રશદી સાથે વિડીયો વાર્તાલાપ રદ કરવામાં આવે છે.

દિગ્ગી પેલેસના માલિક એવા યજમાનને તેમના આંગણે તોફાન ન થાય એની ચિંતા અથવા સત્તાધીશોને નારાજ ન કરી શકવાનું રાજકીય દબાણ હોય, આયોજકોને વ્યવહારિયા રસ્તા કાઢીને સમારંભ હેમખેમ પૂરો કરવાની તાલાવેલી હોય, પણ વિરોધ કરનાર ચાર લેખકોનું શું? એ તો વિરોધ કરવા માટે જ ઊભા થયા હતા. દલીલ ખાતર માની લઇએ કે ‘સેતાનિક વર્સીસ’માંથી જાહેર પઠન કરવામાં કાયદાનો ભંગ થતો હોય તો પણ, એ પગલું તેમણે વ્યાપક લોકશાહી અધિકારો પર ભાર મૂકવા અને તેના હનન પ્રત્યે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ભર્યું હતું. થોડી વઘુ હિંમત કરીને તેમણે ધરપકડ વહોરી હોત તો? આયોજકોનું કદાચ ખરાબ દેખાત, પણ ચાર જણનું વિરોધ પ્રદર્શન સાર્થક બની રહેત. એટલું જ નહીં, તેમના જેલવાસને કારણે સરકારી સકંજા તળે થતી રૂંધામણનો મુદ્દો ગાજતો થયો હોત. દેશવિદેશના આટલા લેખકો હાજર હોય ત્યારે સેન્સરશીપના ભંગ બદલ ચાર લેખકોની ધરપકડ કરવાથી દંભી સરકારને નીચાજોણું થયું હોત અને દબાણ આયોજકોને બદલે સરકાર પર આવત.

કાનૂની અભિપ્રાય અને સારઃ કેટલાક પાયાદાર કાનૂની અભિપ્રાયોમાં એવું જણાવાયું છે કે ‘સેતાનિક વર્સીસ’નું ભારતમાં પ્રકાશન કરાયું ન હતું. એ ફક્ત બ્રિટનમાં પ્રકાશિત થઇ હતી. એટલે એ સમયે તેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટૂંકમાં, જે પ્રતિબંધ છે તે આયાત પરનો છે. ત્યાર પહેલાં ભારત આવી ગયેલી નકલ રાખવા કે વાંચવામાં કશો ગુનો બનતો નથી. ઇ.સ. (ઇન્ટરનેટ સન) પૂર્વેનો આ પ્રતિબંધ હવે બેમતલબ બની ગયો છે. કારણ કે ઇ-બુક તરીકે ‘સેતાનિક વર્સીસ’ સહેલાઇથી મેળવી શકાય છે. આ અભિપ્રાયને કલમોની આંટીધૂંટી વડે પડકારી શકાય એ જુદી વાત છે.

માઇલેજ ખાટવામાં મહારથી લેખક ચેતન ભગત સહિત કેટલાક લોકોએ રશદી પ્રત્યે આદર રાખીને પણ એવો મત પ્રગટ કર્યો કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કોઇની લાગણી દુભાવી ન શકાય. આ મુદ્દે ચર્ચામાં ઉતરવાથી વાત આડા પાટે ફંટાય છે. કારણ કે જયપુરનો મૂળ વિવાદ ‘સેતાનિક વર્સીસ’ વિશેનો નહીં, તેના લેખકને આખેઆખો પ્રતિબંધિત કરવાનો છે. લેખક રૂબરૂ પણ નહીં ને તેની સાથે વિડીયો ચેટ પણ નહીં, એવા પ્રતિબંધથી જ કોઇની લાગણી સંતોષાતી હોય તો એ લાગણીની કિંમત કેટલી?

પ્રતિબંધોનો ગુજરાતને પણ સારો એવો અનુભવ છે. જસવંતસિંઘે લખેલા પુસ્તકમાં સરદારના ઉલ્લેખોને લઇને (વાંચ્યા વિના) મૂકાયેલો પ્રતિબંધ હોય કે ‘પરઝાનિયા’ સામેનો અઘોષિત પ્રતિબંધ- સરકારનો દંડો એકસરખી રીતે જ ચાલે છે. એ મુદ્દે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અને ગજું ધરાવતા સાહિત્ય સમારંભો પણ ‘ધંધો પહેલો’ અથવા ‘કાર્યક્રમની સફળતા વધારે અગત્યની છે’ એવી નીતિ અપનાવશે, તો બે-ચાર નિવેદનો કે ઓનલાઇન પીટીશનથી સરકારો શરમાય કે સુધરે એવી અપેક્ષા રાખી શકાય નહીં.

3 comments:

  1. Bharat kumar2:25:00 PM

    प्रतिबंध किसी भी समस्या का ईलाज नही है,पर ये बात ईतनी आसानी से लोगो की समझ मेँ आ जाए,तो फिर जड धर्मगुरु और तकवादी नेतागण की दुकाने कैसे चलेगी? लोग सही समस्या की ओर से भटक जाए ईसलिए ऐसे हथकंडे अपनाए जाते है,और अक्सर ये कामयाब भी रेहते है,ये हमारा दुर्भाग्य है।

    ReplyDelete
  2. An academic effort and space in JLF to discuss the life of Prophet Muhammad, Qur'an would have averted the 'pampered experience' of phobia issues, especially about Islam & Last Messenger of God.

    Any literary platforms are desired to analyze academic, unacademic, biases and non-biases. Incorporating such unique academic effort with sincerity would definitely give different height to literary contribution.

    Jabir A. Mansuri
    (Spreading Word of Space for Plural Society)
    E: jabirmansuri@yahoo.co.in

    ReplyDelete
  3. T. G. Christian7:10:00 PM

    Good article Urvishbhai.
    Some people get irked when you take Modi to task. They should appreciate when you take congress or deoband to the task.
    I really think it would have been good if the writers had stuck to the freedom of speech and be ready to arrested.
    Anyway, I was hoping to see some acidic remarks from someone else on the whole fiasco. This guy claims to be against all religions. This guy once sponsored a campaign to arrest Pope when he visited UK. He has written many books on how religion is bad and evil. Yet, he didn't say anything. why?
    Is it because he is against only one religion? Or is it afraid of speaking against the diktats issued by Muslims?

    ReplyDelete