Sunday, November 20, 2011

ફાધર વાલેસઃ બે વર્ષ પછી ફરી એક વાર

(Renovated R.V.Pathak Hall of Gujarati Sahitya Parishad)

(L to R: Ramesh Tanna, Madhav Ramanuj, Raghuveer choudhary, Father Valles, Dr.Meeta Peer, Devendra Peer, Rajendra Patel)

કાકાસાહેબ કાલેલકર પછી ‘સવાયા ગુજરાતી’ની વ્યાખ્યામાં બરાબરબંધ બેસતા અને લેખનમાં કંઇક અંશે એ પરંપરાના ફાધર વાલેસ/ Father Valles દાયકાઓ સુધી અમદાવાદમાંરહ્યા પછી હવે સ્પેન રહે છે. બે વર્ષ પહેલાં તે, લાંબા અંતરાલ પછી, અમદાવાદ આવ્યાત્યારે ગુજરાત વિદ્યાપીઠના નવા હોલમાં મિત્ર રમેશ તન્ના અને બીજા લોકોએ ફાધર વાલેસનો જાહેર કાર્યક્રમ ગોઠવ્યો હતો. (એ કાર્યક્રમના અહેવાલ માટે:
http://urvishkothari-gujarati.blogspot.com/2009/10/blog-post_14.html
વિદ્યાપીઠના એ કાર્યક્રમમાં ઉમટેલા લોકો જોઇને ફાધરની લોકચાહનાનો ખ્યાલ આવે.
કંઇક એવુંજ શુક્રવારે (18 નવેમ્બર,2011) સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક ખંડમાં યોજાયેલાકાર્યક્રમમાં પણ બન્યું.

‘પ્રિય લેખકને મળો’ અને ફાધર વાલેસના પુસ્તક ‘નાઇન નાઇટ્સ ઇન ઇન્ડિયા’ના વિમોચન કાર્યક્રમના આયોજનમાં આ વખતે પણ ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી રમેશ તન્ના મુખ્ય ભૂમિકામાં હતા. પરિષદના સાઠ-સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે નવા રૂપરંગમાં તૈયાર થયેલા હોલનું હજુ વિધિવત્ – એટલે કે (હોલ માટે પાંચ લાખ રૂ.આપનાર) મોરારિબાપુના હાથે- ઉદઘાટન થવાનું બાકી છે. છતાં ફાધર વાલેસ પ્રત્યે સન્માનાભાવની અભિવ્યક્તિ તરીકે, તેમનો કાર્યક્રમ આ હોલમાં યોજવામાં આવ્યો. સાંજે છથી આઠનાઆ કાર્યક્રમમાં ફાધર વાલેસ ગુજરાતી ભાષા વિશે બોલવાના હતા અને પછી તેમની સાથે સવાલજવાબ હતા. આ બન્ને મારા જેવા ઘણા માટે મુખ્ય આકર્ષણ હતાં. કારણ કે ફાધર વાલેસ જેવા પૂર્વસૂરિ અને પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા લેખકને ‘જોવાનો’ શોખ બે વર્ષ પહેલાં પૂરો થઇ ચૂક્યો હતો.

વેળાસર હોલ પર પહોંચી જવાને કારણે ઘણા મિત્રો-વડીલો સાથે લટકસલામો થઇ. રમેશ તન્ના તેમનાં પત્ની અનિતા જતકર ઉપરાંત ગળે કેમેરા સાથે સજ્જ તેમના પુત્ર સાથે વહીવટમાં-દોડધામમાં હતા. ફાધરની રાહ જોવાતી હતી. પાછળ ‘પારંપારિક વસ્ત્રોમાં સજ્જ’કન્યાઓ અને ફેન્સી ડ્રેસમાં સજ્જ થોડાં બાળકો દેખાતાં હતાં. અંદર હોલ ભરાતો જતોહતો અને કાર્યક્રમ શરૂ થયા પછી આવેલા લોકો માટે બેસવાની જગ્યા ન હતી (જે જોઇને કોઇ પણ આયોજકને બહુ સંતોષ થાય.) સામાન્ય રીતે ન જોવા મળે એવી એક વ્યવસ્થા સ્વયંસેવકોની હતી, જેમાં વિદ્યાપીઠ-યુનિવર્સટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ બીજી બાબતો ઉપરાંત આવનારને એકલદોકલ ખાલી જગ્યા સુધી પહોંચાડવાનું પુણ્યકાર્ય કરતા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં યથાયોગ્ય કોરિઓગ્રાફી સાથે ‘વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા’ સ્તુતિ રજૂ થઇ. ત્યાર પછી એક રાસ અને એક ગરબો. ફાધર વાલેસના કાર્યક્રમમાં તેનો સંબંધ એવો હતો કે તેમનું નવું પુસ્તક નવરાત્રિ વિશેનું હતું. છતાં, ફાધરને સાંભળવા આવ્યા હોઇએ ત્યારે નવરાત્રિની એકાદ આઇટેમ પૂરતી થઇ પડે.

માધવ રામાનુજે કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું. (જેને પોતાની કવિતા વિશે બહુ અસલામતી અથવા પોતાની કક્ષા વિશે પાકી ખાતરી હોય તેને જ પોતાનું નામ ‘કવિ ફલાણા ઢીકણા’ એવું લખવું-લખાવવું પડે.) માધવભાઇએ કહ્યુ કે ‘સત્ય, પ્રેમ અને કરૂણા જેવા શબ્દો ફાધર વાલેસ જેવા જ કોઇ વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને ઉચ્ચારાયા હશે. એ શબ્દો ફાધરના વ્યક્તિત્વમાં ચરિતાર્થ થાય છે.’ કાર્યક્રમ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે ફાધર વાલેસને ક્યારેક ‘બાપા વાલેસ’ પણ કહેવું જોઇએ. પરંતુ સારા ઉઘાડ પછી માધવભાઇએ આખા કાર્યક્રમ દરમિયાન, પોતે ઓટલે બેઠા હોય એવાં, કેઝ્યુઅલ ઉચ્ચારણો દ્વારા સંચાલન કર્યું. ઔપચારિકતા અને ગરીમા વચ્ચેનો તફાવત અહીં ઉદાહરણો આપીને બતાવીએ તેના કરતાં સ્થળ પર વધારે તીવ્રતાથી અનુભવી શકાય. પરંતુ એ તફાવત મોટો છે અને માધવભાઇના સંચાલનમાં ઘણા ઠેકાણે કાર્યક્રમની ગંભીરતા-ગરીમા-ગ્રેવિટી જળવાયાં નહીં એવું લાગ્યું.

પરિષદમંત્રી રાજેન્દ્ર પટેલે ‘સમાજઘડતરમાં વ્હાલસોયા પિતાનો સ્નેહ’ આપનાર ફાધર વિશે કહ્યું કે ‘ગુજરાતી ભાષા વૃક્ષ હોય તો (ફાધરની હાજરીથી) આજે વસંત આવી છે.’ ફાધર જેવા ‘કુટુંબના મોભી’ની હાજરીમાં ‘સુખદુઃખની વાતો’ કરવાના ઉપક્રમે રાજેન્દ્રભાઇએ પ્રો.રવીન્દ્ર દવેને ટાંકીને કહ્યું કે દર વર્ષે દોઢ ટકા લોકો ગુજરાતી ભાષાથી વિમુખ થઇ રહ્યા છે. અત્યારે કુલ ટકાવારી 12 ટકા છે, તે 30 ટકા વટાવશે તો ગુજરાતી ભાષા લુપ્ત થશે.’ ગુજરાતીઓ દ્વારા લેવાતા ‘ગુજરાતી ભાષા ન બોલવાના ગૌરવ’નો પણ તેમણે ઉલ્લેખ કર્યો. આ પરિસ્થિતિમાં ફાધર ‘પિતાની ભૂમિકા પછી માતાની પણ ભૂમિકા પૂરી પાડે’ એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી.

ફાધરના પુસ્તક ‘નાઇન નાઇટ્સ ઇન ઇન્ડિયા’ના લોકાર્પણ માટે નરસિંહ-નર્મદ-મીરા-અખો જેવા સાહિત્યકારો અને ગાંધી-નેહરુ જેવાં પાત્રોની વેશભૂષામાં બાળકોને તૈયાર કરવામાં આવ્યાં હતાં. બાળકોને એ વેશભૂષામાં લાવવાનો વિચાર મૌલિક હતો, પણ એ પાત્રો તરીકે આવેલાં બાળકો ફાધરને પગે લાગે તે અજુગતું લાગતું હતું. પગે લાગવા સિવાય એ બાળકોનો બીજો કશો રોલ ન હોય તેમ એમને ફેન્સી ડ્રેસ સાથે બાજુ પર ઊભાં રાખી દેવામાં આવ્યાં અને ફાધરના પુસ્તકનું વિમોચન થયું. એક મિત્રે રમૂજમાં ટીપ્પણી પણ કરી કે ‘ગણતર’ના સુખદેવ પટેલ (જે ઓડિયન્સમાં હાજર હતા) બાળમજૂરીનો કેસ ન કરે તો સારું.


વચ્ચે વચ્ચે માધવભાઇની કેઝ્યુઅલ ટીપ્પણીઓ ચાલુ જ હતી. પછી રઘુવીર ચૌધરીનો વારો આવ્યો. તેમના પ્રવચનનો આરંભ કંઇક આવો હતોઃ ‘આ (માઇક) ફાધરનેતો નીચું પડશે, એમના માટે ઊંચું કરવું પડશે, પણ એ તો ત્યાં (એમની જગ્યાએ) બેસીને બોલવાના છે.’ પછી રઘુવૈર્યનો પરિચય આપતાં તેમણે કહ્યું, ‘માધવ રામાનુજ પરિષદના કોષાધ્યક્ષ છે. હજુ સુધી પરિષદ માટે રૂપિયા લાવ્યા નથી. એ કીડની હોસ્પિટલ માટે ઘણા રૂપિયા લાવ્યા છે. પરિષદ માટે પણ લાવશે. કીડની હોસ્પિટલવાળું વધારે અગત્યનું છે.’

આવી અસંબદ્ધ પણ રઘુવીરભાઇનો પરિચય ધરાવનારને બિલકુલ નવાઇ ન લાગે એવી શરૂઆત પછી તેમણે ફાધરના પુસ્તક વિશે થોડી વાત કરી. ‘ભારતે પશ્ચિમમાંથી પોતાના સંત પ્રાપ્ત કર્યા અને વિશ્વને આપ્યા’ અને ‘ગાંધીજીની ધર્મભાવના એ જ ફાધરની ધર્મભાવના છે’ એવાં ક્વોટેબલ વિધાન તેમણે તરતાં મૂક્યાં. બે વર્ષ પહેલાં ફાધર આવ્યા ત્યારે તેમના ઉતારા પાસે નવરાત્રિ નિમિત્તે થતો ઘોંઘાટ ફાધરને ઘોંઘાટ ન લાગ્યો, એ વિશે પ્રશંસા વ્યક્ત કરતાં ફરી એકવાર રઘુવૈર્યનો નમૂનોઃ ‘લાભશંકર ઠાકરને એ ઘોંઘાટ લાગે છે. એમની કવિતામાં એ બહુ આવે છે. ફાધરને એમાં પણ કંઇક મળી રહે છે.’ માત્ર લા.ઠા.ને જ નહીં, કોઇ પણ ધોરણસરના માણસને એ ઘોંઘાટ જ લાગે. તેમાંથી ધર્મભાવના શોધી કાઢવી એ ફાધર જેવાનું કામ અને તેની પ્રશંસા નિમિત્તે લા.ઠા.ને લગે હાથ ‘અંજલિ’ આપી દેવી એ રઘુવીરભાઇ જેવાનું કામ.

એમ તો પોતાના ‘પ્રિય પાત્ર’ પ્રકાશભાઇ (ન.શાહ)ના ‘અઘરા ગુજરાતી’ વિશે પણ તેમણે ચીલાચાલુ કમેન્ટ તેમણે ફટકારી દીધી. પ્રકાશભાઇના ગુજરાતી વિશે ‘ગેરસમજણ ફેલાવવામાં’ તો નહીં, પણ ‘સમજણ ન ફેલાવા દેવામાં’ રઘુવીરભાઇનો ઠીક ઠીક ફાળો છે. પ્રકાશભાઇને ખરેખર કંઇક મહત્ત્વનું કહેવાનું હોય છે એ જાણનારા અથવા ગુજરાતી ભાષાનાં પ્રચલિત સિવાયનાં સ્વરૂપો માણી શકનારા કે સમાચારો-ઘટનાઓના યોગ્ય સંદર્ભો ધરાવનારા મોટા ભાગના વાચકોને પ્રકાશભાઇના ગુજરાતીમાં તકલીફ પડતી નથી. બલ્કે, મઝા આવે છે. રઘુવીરભાઇ જેવા ભાષાના માણસ ઉપર જણાવેલી કેટેગરીમાંથી એકેયમાં નહીં આવતા હોય? એવો સહજ સવાલ થાય. ફાધરને તેમણે ‘સૌથી વધુ સાયકલ ચલાવનારા’ વ્યક્તિઓની યાદીમાં પણ મૂક્યા અને કહ્યું કે ‘અતિથી થઇને સ્વજન બની જવું એમને બહુ ફાવે છે...સંસારને છોડ્યા વિના સંસારને ગ્રંથિ વિના પૂર્ણપણે ચાહવો’ એવી ફાધરની લાક્ષણિકતા તેમણે જણાવી. ત્યાર પછી ફાધરના કસ્ટોડિયન-ઇન-ચીફ દેવેન્દ્ર પીર અને તેમનાં પત્ની મીતા પીર બન્ને અલગ અલગ બોલ્યાં. ડો.મીતા પીરે ફાધરની વર્ષગાંઠ (4-11-1925) નો ઉલ્લેખ કરીને સ્ટેન્ડિંગ ઓવેશન માટે વિનંતી કરતાં, સૌએ હોલમાં ઉભા થઇને મીતાબહેન સાથે ‘હેપી બર્થ ડે ડીયર ફાધર’ ગાયું.

માધવભાઇએ એકથી વધુ વાર અમેરિકામાં પોતે માણેલા દેવેન્દ્ર પીરના આતિથ્યનો ઉલ્લેખ કરીને, પોતે વિચરતા સમુદાયની જે સંસ્થા સાથે સંકળાયેલા છે તેના માટે, લગે હાથ, સ્ટેજ પરથી જ અને સંચાલકની ભૂમિકામાંથી જ, પીર દંપતિ પાસે આર્થિક સહાયની માગણી મૂકી દીધી.

આમ, છથી આઠના કાર્યક્રમમાં ફાધરનો વારો આવ્યો ત્યારે સાડા સાત ઉપર થઇ ગયા હતા. ફાધર પચીસેક મિનીટ બોલ્યા. તેમનું પ્રવચન ભાવપૂર્ણ, લાગણીસભર પણ કશા ચમકારા વિનાનું હતું. તેનાં ઘણાં કારણ હોઇ શકેઃ થાક, ઉંમર, છૂટી ગયેલો સંપર્ક, નવી વાત-નવા મુદ્દાનો અભાવ...પોતે ઘણાં- ‘કદાચ વધારે પડતાં’- પુસ્તકો લખ્યાં હોવા છતાં આ પહેલી વાર પુસ્તકનો વિમોચન કાર્યક્રમ થઇ રહ્યો છે, એવું નોંધીને ફાધરે સૌને બિરદાવ્યા અને ‘અમદાવાદ છોડવું નહીં એવો વિચાર પણ એરપોર્ત પર આવી ગયો હતો’ એ મતલબનું કહ્યું. તેમની પ્રસિદ્ધ વિહારયાત્રા અને તેની સાથે સંકળાયેલા થોડા બનાવો યાદ કર્યા. તેમના મિત્રો અને તેમની ધર્મસંસ્થાના ઉપરી ફાધરને પણ લાગતું હતું કે લોકોના ઘરે ‘નહીં ઓછા, નહીં વધારે’ એમ સાત દિવસ રહેવાનો ફાધરનો કાર્યક્રમ લાંબો નહીં ચાલે. એટલે તેમને મંજૂરી પણ આપી દીધી. પરંતુ ફાધરે કહ્યું કે ‘એ દસ દિવસ નહીં, દસ વર્ષ ચાલ્યો.’ ‘મને લેખક તરીકે બધા ઓળખે, માનસન્માન મળે, પણ ધંધામાં હું ગણિતવારો છું’ એવું કહીને ફાધરે પોતાના ગણિત સાથેના સંબંધ અને તેમના અઘરા દાખલા વિદ્યાર્થી અવસ્થામાં કેવી ચીડ ચડાવે ને પછી કેવા સારા લાગે તેનો એકાદ પ્રસંગ કહ્યો. તેમણે કહ્યું કે હું ભારતમાં આવ્યો ત્યારે અમારા ધર્મમત પ્રમાણે એવું માનતો હતો કે ‘ચર્ચ સિવાય મુક્તિ નહીં.’ એક વખત ઉમાશંકર જોષીને ત્યાં કાકાસાહેબને મળવાનું થયું. કાકાસાહેબ ખ્રિસ્તી મતથી પરિચિત. એટલે પહેલી જ મુલાકાતમાં એ મને કહે, ‘અહીં નર્કનો એક ઉમેદવાર ઊભો છે.’ જવાબમાં મેં કાકાસાહેબને કહ્યું, ‘નર્કમાં જો કોઇ જાય તો તે હું હોઇશ, તમને ત્યાં મોકલવા બદલ.’ યુરોપીયન ધાર્મિક સંકુચિતતાને બદલે ભારતમાં તેમને વિશાળ દૃ્ષ્ટિ મળી એવું પણ ફાધરે કહ્યું.



ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના (માસ)ના અંગ્રેજીનો પ્રાસાદિક ગુજરાતી અનુવાદ કરવાનો પ્રસંગ વિગતે યાદ કરીને ફાધરે કહ્યું ‘એ પ્રાર્થના હજુ ચર્ચમાં ગવાય છે, પણ લોકોને ખબર નથી કે એ મારી છે. મને બહુ આનંદ છે કે મારું ભાષાંતર ગવાય છે.’ (‘લોર્ડ, યુ આર હોલી ઇનડીડ’નો ફાધરે કરેલો અનુવાદ હતો, ‘પવિત્રતા તમારું નામ છે પ્રભુ’) એ જ રીતે એમનો કોઇ લેખ ઉમાશંકર જોષીએ ભીંત પર લગાડ્યો હતો એ વાત પણ તેમણે યાદ કરી. સામાન્ય રીતે ફાધર જેવા નમ્ર માણસ પોતાના કતૃત્વ વિશે ભલે હુંકાર વગર, તો પણ આટલા ભારપૂર્વક વાત કરે નહીં. એટલે એ ઉંમરનો પ્રતાપ હશે કે લાગણીવશતાનો કે બીજા કોઇ પરિબળનો, એવો વિચાર એ વખતે આવ્યો હતો. ફાધરે કહ્યું ‘જીવન જેવું આવે એવું જીવવાનું. એ લઇ જાય ત્યાં જવાનું- આનંદ અને શ્રદ્ધાની સાથે, એ મારો સિદ્ધાંત છે...મારી આંખો સામે આ દૃશ્ય, આ ચહેરા દિલમાં લઇને જઉં છું. જ્યાં હોઇશ ત્યાં, જીવન લઇ જાય ત્યાં, આમાંથી શક્તિ લઇને ભગવાનનું કામ આપણે બધા કરતા રહીશું.’ એ શબ્દો સાથે ફાધરે સ્પેનિશ છાંટને કારણે મીઠા લાગતા ગુજરાતીમાં પોતાનું પ્રવચન પૂરું કર્યું. ત્યાર પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો, પણ માંડ બે-ત્રણ ઔપચારિક પ્રશ્નો પછી ફાધરના થાક અને અવસ્થાને ધ્યાનમાં રાખીને રમેશ તન્નાએ વિસ્તૃત આભારવિધી કરીને સૌને ભોજન લઇને જવા આગ્રહ કર્યો. મોટા ભાગના લોકોએ તેમના આગ્રહને માન પણ આપ્યું.



(Father Valles/ફાધર વાલેસ, નવેમ્બર 2011)

8 comments:

  1. બીરેન કોઠારી6:13:00 PM

    આ કાર્યક્રમનો અહેવાલ વાંચીને એક મુદ્દો અહીં મૂકું છે, જે ઘણા વખતથી મનમાં હતો. એ મુદ્દો છે ‘સ્ટેન્ડીંગ અવેશન (કે ઓવેશન) ’ અંગેનો. જે વ્યક્તિ નિમિત્તે આવો કાર્યક્રમ યોજાયો હોય એ વ્યક્તિ ‘સ્ટેન્ડીંગ અવેશન’ ને લાયક હોય છે જ, એમ માનીને આ વાત કરું છું. આવી વ્યક્તિ પોતે મંચ પર બિરાજમાન હોય અને એમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે એની હાજરીમાં જ સૌને મંચ પરથી સ્ટેન્ડીંગ અવેશન’ આપવાની સૂચના આપવામાં આવે એમાં એ મહાનુભાવનો ગરિમાભંગ લાગે છે. એમના દેખતાં જ એમના માટે ‘સ્ટેન્ડીંગ અવેશન’ ઉઘરાવવાની ચેષ્ટા કંઈક અંશે (સૂક્ષ્મ રીતે) અપમાનજનક પણ લાગે છે, ભલે ને એનો ઈરાદો શુભ હોય. માન્યું કે એ મહાનુભાવને ‘સ્ટેન્ડીંગ અવેશન’ આપવું જોઈએ એ વિષે પ્રેક્ષકોને ખ્યાલ નથી, તો એ બાબતે એમને અગાઉથી (પણ મુખ્ય મહાનુભાવના આગમન પહેલાં) જણાવી શકાય.
    બે કાર્યક્રમના અનુભવ જણાવું.
    મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નેવું વર્ષ વટાવી ગયેલા એક પીઢ અભિનેતાના સન્માન માટે તેમને વ્હીલચેરમાં બેસાડીને લાવવામાં આવ્યા અને બે હાથે વ્હીલચેર હાંકનાર યજમાન અચાનક બન્ને હાથ છોડીને પ્રેક્ષકોને ઉભા થવાનો જોરજોરથી ઈશારો કરવા માંડ્યા. બહુ વલ્ગર દૃશ્ય લાગતું હતું આ !
    આની સામે અમદાવાદમાં યોજાયેલા એક મહાન સંગીતકારના કાર્યક્રમમાં ઉદઘોષકે સંગીતકારના આગમન અગાઉ સૌને જણાવી દીધું હતું કે તેઓ પધારે ત્યારે સૌએ ‘સ્ટેન્ડીંગ અવેશન’ આપવાનું છે. આવી ઘોષણાને પગલે એ સંગીતકાર પધાર્યા ત્યારે સૌએ એમને ‘સ્ટેન્ડીંગ અવેશન’ આપ્યું, જેને કારણે સંગીતકારની સાથેસાથે પ્રેક્ષકોની ગરિમા પણ ઉપસી શકી.
    સામાન્ય રીતે સાંસ્કૃતિક ક્ષેત્રની વ્યક્તિને જ આવું ‘સ્ટેન્ડીંગ અવેશન’ મળતું હોય છે, કોઈ રાજકારણીને ભાગ્યે જ મળે. આદર વ્યક્ત કરવા માટેની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે કદાચ, પણ એની ગરિમા જળવાય તો જ.
    બાકી તો કોઈ રાજકારણીના કાર્યક્રમમાં એના માણસો ‘જય’ બોલાવે કે કોઈ કલાકાર માટે એની હાજરીમાં જ ‘સ્ટેન્ડીંગ અવેશન’ ઉઘરાવાય- બન્ને વચ્ચે બહુ ફરક નથી.

    ReplyDelete
  2. GHANU JANVA MALYU URVISHBHAI ABHAR..........

    ReplyDelete
  3. ફાધર વૉલૅસ અમદાવાદમાં હતા [છે?] અને ખબર ન પડી એ અમારૂં - ૬૦ના દાયકામાં તેમનાં યુનિવર્સીટી વિસ્તારમાં યોજાતાં બધાં જ વકત્વ્યો સાંભળનારા અને એન્જીનીયરીંગમાં ભણતા છતાં કલનશાત્રના ખાસ વિષયપરના ઝૅવિયર્સ કૉલૅજ ના વર્ગો ભરવા જનારાનું- કમનસીબ.
    ઉર્વીશભાઇએ બન્ને કાર્યક્રમને સ-રસ વિગતે આવરી લીધા છે.

    ReplyDelete
  4. Chhaya Trivedi3:52:00 PM

    ખૂબ સરસ. . . અવિસ્મરણીય ક્ષણોને તમે શાશ્વતી અર્પી...

    ReplyDelete
  5. ઉર્વીશભાઈ તમે સરસ જાણકારી ફાધર વાલેસના કાર્યક્રમ વિશેની મૂકી છે . મેં મારા બ્લોગ જ્ઞાનનું ઝરણું http://rupen007.wordpress.com/ પર આ પ્રોગ્રામ વિશે ટૂંકમાં પોસ્ટ મૂકી છે . હું હોલમાં તમારી આગળની લાઈનમાં જ બેઠો હતો અને તમને બ્લ્યુ ઝીન્સ , બ્લ્યુ ચેક્સ શર્ટમાં ડાયરીમાં લખતા તથા કેમેરામાં યાદો કંડારતા જોયા હતા . હું આપને બોલાવવાના હતો પણ તમેંજેઠ લખવામાં વ્યસ્ત હોવાથી ન બોલાવ્યા અને આપ પ્રોગ્રામ પુરો થતાં પાછળથી exit માંથી બહાર નીકળી ગયા ઈ મળવાનું રહી ગયું . મેં અગાઉનો તમારી ૨૦૦૯ ના કાર્યક્રમ વિશેની પોસ્ટ વાંચી હોવાથી આ પ્રોગ્રમમાં જવાની ઈચ્છા તીવ્ર થઇ હતી અને તમને આ પોસ્ટ મુકવા માટે મેસેજ પણ કર્યો હતો .

    ReplyDelete
  6. Binit Modi (Ahmedabad)7:38:00 PM

    ગુજરાતી ભાષા - સાહિત્યના કાર્યક્રમોમાં 'ગુજરાતી' ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની ફેશન થઈ ગઈ છે. ચિંતા કરવાનો દરેકનો અંદાઝ - હેતુ અલગ અલગ હોય છે. વિદેશવાસી ગુજરાતીઓને માદરે વતન આવી એવી ચિંતા કરવામાં બહુ રસ પડે. આ કાર્યક્રમમાં એ 'જવાબદારી' આયોજક દેવેન્દ્ર પીરે સંભાળી. તેઓ જે સ્ટેજ પરથી બોલતા હતા ત્યાં જ સહેજ પાછું વળીને જોયું હોત તો 'ચિંતા' કરવાનો નમૂનો પણ મળી જાતે. કાર્યક્રમ માણતા ઘણાનું ધ્યાન ગયું હતું અને બ્લોગ પરની આ પોસ્ટની ચોથી તસવીરમાં વંચાય છે તેમ ફાધર વાલેસના પુસ્તકના વિમોચનકર્તા રઘુવીર ચૌધરીનું નામ 'રઘુવીર ચૌઘરી' લખ્યું છે. 'ઘ' અને 'ધ' વચ્ચે ભેદ કરતો એક સારો કોમ્પ્યુટર ફોન્ટ પણ આયોજકો - બેનર બનાવનારા ના શોધી શક્યા. આ કાર્યક્રમ થયો તેના ચાર દિવસ અગાઉ 14 નવેમ્બરની રાત્રે અમદાવાદની એલ.જી. હોસ્પિટલના ડોકટરોએ જમણા હાથે ફ્રેક્ચર થયેલા નવ વર્ષના બાળકના ડાબા હાથ પર સર્જરી કરી દીધી. એ રીતે જોઇએ તો ગુજરાતમાં તબીબી શિક્ષણ અને ભાષાના શિક્ષણ - બન્નેની હાલત એક સરખી ખરાબ, ખરાબ પણ નહીં કંગાળ છે. એકને ડાબા - જમણાના ફરકની ખબર નથી તો બીજાને 'ઘ' અને 'ધ' વચ્ચેના તફાવતની ખબર નથી. સવાયા ગુજરાતી તરીકે પહેલ વહેલા ઓળખાયેલા કાકા કાલેલકર લિખિત નિબંધ - પાઠ 'ડાબો કે જમણો?' તબીબી અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરૂર છે. ના, 'ઘ' અને 'ધ'નો તફાવત ક્યાંથી શીખવા મળે એની જાણ મને નથી. આભાર.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  7. ઉર્વીશભાઈ,ઘટનાક્રમનું તમારું બયાન માર્કો પોલો સ્ટાઈલનું છે, એ વાત મને, તે કાર્યક્રમમાં હાજર રહેનારાને, તરતજ પ્રતિત થાય છે. 'ઉમર, લાગણીવશતા કે અન્ય પરિબળને' લઈને પ્રેરાયેલ ફાધરના કતૃત્વ અંગે મને પણ એક અર્થઘટન સુઝે છે. ઘણા બધા કલાકની મુસાફરી બાદ એટલી અવસ્થાએ પહોંચેલ માણસ પોતાના ભાગે આવેલ બે બોલ ગોઠવવાની મથામણમાં કાર્યક્રમની આરંભે ઉચ્ચારાયેલ 'પવિત્રતા' શબ્દમાંથી કડી પકડે તે તેમનો સ્વભાવ જોતા સ્વાભાવિક લાગે છે.

    માધવભાઈ વિશેના તમારા ભાવ મારા ભાવના સંપૂર્ણ સમાધાનરૂપ જણાયા.

    અને છેલ્લે છેલ્લે.. તમે મને બે વર્ષ પહેલા આપેલ ફાધરના ઈ મેઈલ ID ની વિગતથી હું તેમના તરફથી ઘણા બધા ઈ-આશીર્વચન મેળવવામાં સદનસીબ રહ્યો છું. તેનો માનું એટલો આભાર ઓછો!

    ReplyDelete