Tuesday, November 15, 2011

પેટ્રોલિયમ પેદાશોમાં સરકાર કેટલી ખોટ ખાય છે?

પેટ્રોલના ભાવવધારાના મુદ્દે ગયા સપ્તાહે જોયું તેમ, બીજા ઘણા દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલનો ભાવ ઊંચો છે- અને હજુ વધી રહ્યો છે. કેરોસીન-ડીઝલ-એલપીજી જેવાં બળતણોના ભાવ પર સરકારી નિયંત્રણ ચાલુ છે. કારણ કે તેમાં થતો ભાવવધારો ‘આમઆદમી’ને અને બીજી અનેક ચીજવસ્તુઓના ભાવને અસર કરે છે.

પેટ્રોલ અને બીજી પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા સામે સરકારની મુખ્ય અને મજબૂત દલીલ છેઃ આ ધંધામાં સરકાર અને સરકારને હસ્તક જાહેર સાહસો (‘ઇન્ડિયન ઓઇલ’ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ) ભારે ખોટ કરે છે. એટલે નફો કરવા માટે નહીં, પણ ખોટ ઘટાડવા માટે ભાવવધારો જરૂરી બને છે.

બીજા શબ્દોમાં, પેટ્રોલિયમ પેદાશોની બજારકિંમત કરતાં, સરકારી રાહે નક્કી થતી તેની વેચાણકિંમત ઓછી છે. આ બન્ને વચ્ચેની ઘટનો મોટો હિસ્સો સરકાર ઓઇલ કંપનીઓને ભરપાઇ કરી આપે છે, ત્યારે ગ્રાહકને અત્યારના ભાવે ડીઝલ-કેરોસીન-એલપીજી મળે છે. ગયા વર્ષથી પેટ્રોલની કિંમતો પરનો સરકારી અંકુશ નીકળી જતાં, તેના ભાવમાં ઓઇલ કંપનીઓ બજારનાં પરિબળોને અનુરૂપ વધારો કરી શકે છે. જેમ કે, પેટ્રોલના તાજા (રૂ.૧.૮૦ના) ભાવવધારા માટે ડોલરની સામે રૂપિયાના ઘટેલા મૂલ્યનું એક કારણ આપવામાં આવ્યું છે.

‘અન્ડર રિકવરી’ની ભૂલભૂલામણી
સરકારી સબસિડીની જેમ, ઓઇલ કંપનીઓ દ્વારા ‘ખોટના ધંધા’ સૂચવવા માટે વપરાતો ચાવીરૂપ શબ્દ છેઃ અન્ડર રીકવરી. તેનો સાદો અર્થ થાયઃ મળવાપાત્ર કિંમત અને વેચાણકિંમત વચ્ચેનો તફાવત. જેનો બજારભાવ સો રૂપિયા બેસતો હોય, એવી ચીજને કંપની નેવુ રૂપિયામાં વેચે તો તેની અન્ડર રિકવરી દસ રૂપિયા કહેવાય.

દર વર્ષે ઓઇલ કંપનીઓની અન્ડર રિકવરીના આંકડા હજારો કરોડમાં જાય છે. ગયા અઠવાડિયે ‘ઇન્ડિયન ઓઇલ કોપોરેશન’ના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટરે આપેલી માહિતી પ્રમાણે, આ નાણાંકીય વર્ષના પહેલા છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૧૧) માં ત્રણે સરકારી ઓઇલ કંપનીઓની અન્ડર રીકવરીનો કુલ આંકડો રૂ.૬૪,૯૦૦ કરોડે પહોંચ્યો છે.

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય સાથે જોડાયેલા ‘પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ’ની તાજી વિગતો પરથી જણાય છે કે ઓઇલ કંપનીઓ પ્રત્યેક લીટર દીઠ ડીઝલમાં રૂ.૮.૫૮, કેરોસીનમાં રૂ.૨૫.૬૬ અને ઘરેલુ વપરાશ માટેના એલપીજીમાં સિલીન્ડર દીઠ રૂ.૨૬૦.૫૦ની અન્ડર રીકવરી ભોગવે છે. આ હિસાબ પ્રમાણે, છ મહિનામાં ડીઝલ ખાતે કુલ અન્ડર રિકવરીઃ રૂ.૩૭,૭૧૯ કરોડ, ઘરેલુ વપરાશના એલપીજી ખાતેઃ રૂ.૧૩,૮૨૦ કરોડ અને કેરોસીનના ખાતે રૂ.૧૩,૩૬૧ કરોડ.

નવાઇ લાગે એવી વાત એ છે કે તોતિંગ અન્ડર રીકવરી ધરાવતી ઓઇલ કંપનીઓ આ વર્ષને બાદ કરતાં સામાન્ય રીતે નફો કરતી હોવાનું જાહેર થતું રહે છે. પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ ૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબ પ્રમાણે, છેલ્લાં ત્રણ વર્ષમાં ઓઇલ કંપનીઓનો ટેક્સ પહેલાંનો નફો હતોઃ રૂ.૬૦૪૫ કરોડ (૨૦૦૮-૦૯), રૂ.૧૮,૫૯૭ કરોડ (૨૦૦૯-૧૦) અને રૂ.૧૩,૮૫૪ કરોડ (૨૦૧૦-૧૧).

એક તરફ અન્ડર રીકવરી અને બીજી તરફ નફો? આવું કેવી રીતે બને? તેના માટે અન્ડર રીકવરીની ગણતરીને લગતા બે સવાલ અગત્યના છે. અન્ડર રીકવરી નક્કી કરવા માટે ચાવીરૂપ એવી ‘મળવાપાત્ર કિંમત’ કેવી રીતે ગણવામાં આવે છે? અને ‘અન્ડર રીકવરી’નો આર્થિક બોજ આખરે કોણ ઉપાડે છે?

સૌથી પહેલાં તો એ યાદ રહે કે ‘મળવાપાત્ર કિંમત’ એ વાસ્તવિક કે પડતર કિંમત નથી. તે ‘નોશનલ’ એટલે કે બીજી કિંમતોને ઘ્યાનમાં રાખીને નક્કી કરાતી કિંમત છે. ‘મળવાપાત્ર કિંમત’ માટે વપરાતો શબ્દપ્રયોગ છેઃ ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’. એટલે કે ધંધામાં બીજાની સમકક્ષની કિંમત. પેટ્રોલિયમ પેદાશોની ટ્રેડ પેરિટી પ્રાઇસ નક્કી કરવા માટેનું સરકારી સમીકરણ છેઃ આયાતકિંમતના ૮૦ ટકા અને નિકાસકિંમતના ૨૦ ટકા. ધારો કે ભારતમાં એક લીટર ડીઝલની આયાતકિંમત ૧૫ રૂપિયા અને નિકાસ કિંમત ૧૦ રૂપિયા પડતી હોય, તો તેની ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’ ૧૪ રૂ. થાય. આ ડીઝલ સરકારી રાહતને કારણે ૯ રૂપિયે લીટર વેચાતું હોય, તો પ રૂપિયા ઓઇલ કંપનીની અન્ડર રીકવરી ગણાય.

પરંતુ અન્ડર રીકવરી એ ખોટ નથી. કારણ કે એ બોજ ત્રણ ભાગે વહેંચવામાં આવે છે. ઓઇલ કંપનીની અન્ડર રીકવરીનો એક હિસ્સો કેન્દ્ર સરકાર પોતે ભોગવે છે, બીજો મોટો હિસ્સો (ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા જેવી) ‘અપસ્ટ્રીમ’ કંપનીઓ ઉપાડે છે, જે પેટ્રોલિયમ પેદાશોના વેચાણમાં નહીં, પણ ક્રુડ ઓઇલ અને ગેસ શોધવાના-પૂરાં પાડવાના ધંધામાં છે. ત્રીજો અને સૌથી ઓછો હિસ્સો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પોતે ભોગવે છે.

પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ રાજ્યસભામાં આપેલી લેખિત માહિતી (૧-૮-૧૧) પ્રમાણે, વર્ષ ૨૦૦૮-૦૯માં ઓઇલ કંપનીઓનો ટેક્સ પહેલાંનો નફો રૂ.૬૦૪૫ કરોડ હતો. એ વર્ષે ચૂકવવા પાત્ર ટેક્સ હતોઃ રૂ.૧,૭૮૪ કરોડ. એટલે કે ઓઇલ કંપનીનો ટેક્સ પછીનો નફો થયો રૂ.૪,૨૬૧ કરોડ.

પરંતુ વાસ્તવિકતા શી હતી? એ વર્ષે કેન્દ્ર સરકારે રૂ.૭૧,૨૯૨ કરોડની (કુલ અન્ડર રીકવરીના ૬૯ ટકા) મદદ કરી હતી અને અપસ્ટ્રીમ કંપનીઓએ બાકીના રૂ.૩૨ હજાર કરોડની (૩૧ ટકા) સહાય આપી. આમ, રૂ.૧ લાખ કરોડથી પણ ઉપરની સરકારી સહાય પછી ઓઇલ કંપનીઓએ,અન્ડર રીકવરીનો એક પણ રૂપિયો ભોગવ્યા વિના, રૂ. ૪,૨૬૧ કરોડનો ‘નફો’ કર્યો હતો, જે હકીકતમાં ઓઇલ કંપનીઓની રૂ.૯૭,૨૪૭ કરોડની ખોટ ગણાવી જોઇતી હતી. (આ વર્ષે ક્રુડ ઓઇલના ભાવ ૧૪૦ ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા તે પણ ઊંચી અન્ડર રીકવરી પાછળનું મોટું કારણ હતું.)

એ જ પ્રમાણે, ૨૦૦૯-૧૦ અને ૨૦૧૦-૧૧ના આંકડા પણ રેડ્ડીએ આપ્યા હતા. તેની પર એક નજર નાખવાથી, અન્ડર રીકવરીનો બોજ કોણ કેટલો ઉપાડે છે અને ઓઇલ કંપનીઓના નફાની વાસ્તવિકતા શી છે, તેનો બરાબર ખ્યાલ આવશે. (આંકડા શક્ય એટલી સાદી ભાષામાં - સમજાય અને વાંચી શકાય એ રીતે મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેને જોઇને ભડકવાની જરૂર નથી.)

વર્ષ ૨૦૦૯-૧૦. ઓઇલ કંપનીઓએ ભોગવેલી અન્ડર રીકવરી રૂ.૫,૬૨૧ કરોડ (કુલ અન્ડર રીકવરીના ૧૨ ટકા). તેનો ટેક્સ પહેલાંનો નફો રૂ.૧૮,૫૯૭ કરોડ. ટેક્સ માટેની જોગવાઇ રૂ.૫,૫૩૭ કરોડ. ટેક્સ પછીનો નફો રૂ.૧૩,૦૬૦ કરોડ. પણ એ જ વર્ષે સરકારે કરેલી સહાય રૂ.૨૬ હજાર કરોડ (૫૭ ટકા), અપસ્ટ્રીમ કંપનીઓએ આપેલી મદદ રૂ.૧૪,૪૩૦ કરોડ (૩૧ ટકા). એટલે ઓઇલ કંપનીઓએ કરેલું કુલ વાસ્તવિક નુકસાન રૂ.૨૧,૮૩૩ કરોડ.

વર્ષ ૨૦૧૦-૧૧. ઓઇલ કંપનીઓએ ભોગવેલી અન્ડર રીકવરી રૂ.૩,૮૯૩ કરોડ (૯ ટકા). ટેક્સ પહેલાંનો નફો રૂ.૧૩,૮૫૪ કરોડ. ટેક્સ માટેની જોગવાઇ રૂ.૩,૩૨૩ કરોડ. ટેક્સ પછીનો નફો રૂ.૧૦,૩૫૧ કરોડ. પરંતુ સરકારી સહાય રૂ.૪૧ હજાર કરોડ (૫૨ ટકા) અને અપસ્ટ્રીમ કંપનીઓનું ભંડોળ રૂ.૩૦,૪૯૭ કરોડ (૩૯ ટકા). એટલે ઓઇલ કંપનીઓની વાસ્તવિક ખોટ રૂ.૫૭,૪૪૩ કરોડ.

આ વર્ષે એપ્રિલ-જૂન, ૨૦૧૧ના ફક્ત ત્રણ મહિનાના ગાળામાં કુલ અન્ડર રીકવરી રૂ.૪૩,૫૨૬ કરોડ. સરકારે ભોગવેલી રકમ રૂ. ૧૫ હજાર કરોડ (૩૪ ટકા), અપસ્ટ્રીમ કંપનીઓએ ભોગવેલી રકમ રૂ.૧૪,૫૦૯ કરોડ (૩૩ ટકા) અને ઓઇલ કંપનીઓના ભાગે આવેલી અન્ડર રીકવરી રૂ.૧૪,૦૧૮ કરોડ.

જુલાઇ-સપ્ટેમ્બર, ૨૦૧૧ના ત્રણ મહિનામાં, ફક્ત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ભાગે રૂ.૧૧,૭૫૭ કરોડની અન્ડર રીકવરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના નિવેદન પ્રમાણે, ‘આ રકમમાંથી રૂ.૪,૩૦૦ કરોડ અપસ્ટ્રીમ કંપનીઓએ ભોગવ્યા અને બાકીની અન્ડર રીકવરી અમારે ભાગે આવી છે.’ એટલે કે સરકારે પોતાના ભાગે પડતી રકમ ચૂકવી નથી. અન્ડર રીકવરીમાં સૌથી મોટો હિસ્સો ભોગવતી સરકાર મોટે ભાગે ઓઇલ બોન્ડથી અથવા અમુક હિસ્સો રોકડ સબસિડીથી ભરપાઇ કરે છે.

ઓઇલ બોન્ડના આંબાઆંબલી
એક અંદાજ પ્રમાણે, છેલ્લાં છ વર્ષમાં સરકારે ઓઇલ કંપનીઓ માટે અન્ડર રીકવરીના હિસ્સા પેટે રૂ.૧,૮૬,૬૫૬ કરોડ રૂપિયાની કિંમતના ઓઇલ બોન્ડ જારી કર્યા છે. રોકડી ખોટ સરભર કરવા માટે અપાતા આ બોન્ડ કેવી રીતે કામ કરે છે?

સરકાર કંપનીઓને તરત રોકડી કરી શકાય એવા નહીં, પણ નિશ્ચિત મુદત પછી પાકતા ઓઇલ બોન્ડ આપે. ઓઇલ કંપનીઓ આ બોન્ડને પોતાના ચોપડે આવક ખાતે બતાવે (જે હકીકતમાં નુકસાન ભરપાઇ કરવા માટે હોય). કંપનીઓના સરવૈયામાં આ બોન્ડને ‘રોકાણ’ ગણાવે. આ બોન્ડ રાખી મૂકવામાં આવે તો તેની પર ૭-૮ ટકા જેવું મામૂલી વ્યાજ મળે. પાકતી મુદતે સરકાર આ બોન્ડના બદલામાં રોકડ રકમ ચૂકવે. પરંતુ વચ્ચેના સમયગાળામાં કંપનીઓને સરકારી ઓઇલ બોન્ડ બજારમાંથી ઉછીના રૂપિયા મેળવવા માટે ખપમાં ન લાગે. એટલે કંપનીએ બજારમાં ઊંચા વ્યાજેથી રૂપિયા ઉછીના લેવા પડે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ફાઇનાન્સ ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, કંપનીના માથે પાંચ અબજ ડોલરનું વિદેશી દેવું છે.(૫ નવેમ્બર,૨૦૧૧).

રૂપિયાની તાતી જરૂર ઉભી થાય અને ઉધારીની પણ હદ આવતી હોય, ત્યારે તે મ્યુચ્યુઅલ ફંડ કે ઇન્સ્યોરન્સ કંપનીઓ કે એ પ્રકારની બીજી નાણાંકીય સંસ્થાઓને અમુક રકમના સરકારી બોન્ડ ડિસ્કાઉન્ટ ભાવે વેચી નાખે. આ રીતે તેને બોન્ડની રકમ કરતાં ઓછી રકમ મળે, પણ હાથમાં રોકડ આવે એટલું ઓછું છે? આ નાણાંકીય વર્ષમાં અત્યાર લગી કંપનીએ ઓઇલ બોન્ડ વેચીને રૂ.૩૦૦ કરોડ ઊભા કર્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા.

ઓઇલ કંપનીઓની ખરાબ નાણાંકીય હાલત જોતાં પેટ્રોલિયમ મંત્રાલયે સરકારના નાણાં મંત્રાલય પર અન્ડર રીકવરીની ભાગે પડતી રકમ છૂટી કરવા દબાણ કર્યું છે. પરંતુ કેટલાક અહેવાલો પ્રમાણે, નાણાં મંત્રાલયને ઓઇલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા રજૂ કરાતી અન્ડર રીકવરીની ગણતરીથી અસંતોષ છે.

અન્ડર રીકવરીની ગણતરીમાં કેવી રીતે ગરબડ થઇ શકે? જે મળવાપાત્ર કિંમતોના આધારે અન્ડર રીકવરીના તોતિંગ આંકડા કાઢવામાં આવે છે, તે પેટ્રોલિયમ પેદાશોની વાસ્તવિક પડતર કિંમત કરતાં કેટલી વધારે હોય છે? અને ડાબું ખિસ્સું ખંખેરીને જમણું ખિસ્સું ભરવાની કે શર્ટનું ખિસ્સું ખાલી કરીને પેન્ટનું ખિસ્સું ભરવાની પ્રવૃત્તિ પેટ્રોલિયમના ધંધામાં સરકારી રાહે કેવી રીતે ચાલે છે? તેના જવાબો આવતા સપ્તાહે.

3 comments:

  1. એક જ શબ્દ આ લોકો માટે ફીટ બેસે છે અને વાપરી શકાય તેવો છે

    બદમાશ કંપની

    ReplyDelete
  2. આ વાંચી ને જેટલું સમજ્યો છુ;એમાં એક સવાલ થાય છે;જવાબ ચોક્કસ આપશો. આ 'મળવાપાત્ર રકમ' ને જ ઉડાડી દેવામાં આવે-મતલબ;જે ખરીદ કિંમત છે તેમાં ચોક્ક્કસ ટકા નફો નક્કી કરે(સરકાર) જે ફિક્સ જ(અને ઓછા માં ઓછો રહે) રાખે અને 'વેચાણ કિંમત' નક્કી કરે(જે મારા-તમારા જેવાને પોસાય તેવી હોય) અને પછી પ્ર્ટ્રોલ/પેટ્રો.પેદાશો વેચે(આપણને આપે) તો?ભાવ ઓછા થાય? મતલબ;સરકાર એક સામાન્ય વેપારી(ટ્રેડર) ની ભુમિકા કરે અને આ અટપટી પ્રક્રિયા બંધ કરે તો ભાવ ઘટે?અને જો હા;તો એમાં સરકાર ને ખોટ જવા સંભવ છે?જો ના;તો એમ કેમ નથી થતુ?...

    ReplyDelete
  3. Anonymous11:03:00 AM

    Excellent.

    The fact is employees of oil companies are amongst the highest paid employees of public sector. Even the issue of 'under recovery' is hypothetic. In fact the oil refining companies producing more than 200 products from the crude oil processing. There may be 'under recovery' in some products, but in other they are making profits.

    It is just a matter of calculation and sharing the cost/expenses amongst all products.

    ReplyDelete