Monday, July 11, 2011

'દલિતશક્તિ'ના 100મો અંકઃ સંપાદકીય અને ઉપયોગી સૂચિ

જાન્યુઆરી, 2003થી શરૂ થયેલા માસિક 'દલિતશક્તિ'નો 100મો અંક આ મહિને પ્રકાશિત થયો. માર્ટિન મેકવાનના તંત્રીપદે અને ચંદુ મહેરિયાના સક્રિય માર્ગદર્શન હેઠળ પ્રગટ થતા આ માસિકમાં પહેલા અંકથી સંપાદક તરીકે સંકળાયેલો છું. એટલે 100મા અંકનું સીમાચિહ્ન યાદગાર બનાવવા માટે તેમાં અગાઉના 99 અંકની સામગ્રીની સૂચિ બનાવવાનું વિચાર્યું. તેનું પરિણામ- વિષયવાર અને લેખકવાર સૂચિ- આ સાથે 48 પાનાંના અંક તરીકે હાજર છે. આ સૂચિ પર અછડતી નજર નાખતાં તેમાં કેવા પ્રકારનું કામ થયું છે તેનો થોડો અંદાજ આવશે.

'દલિતશક્તિ'નો 100મો અંક અહીં આખેઆખો અને વિશિષ્ટ રીતે મૂક્યો છે. નીચે દેખાતા પાના પર ક્લિક કરતાં કમ્પ્યુટરના સ્ક્રીન પર આખું સામયિક પાનાં ફેરવવાના 'ફીલ' સાથે અને એટલી જ સહેલાઇથી જોવા મળશે.


ઉપરનું સામયિક ખોલતાં પહેલાં 100મા અંકનું સંપાદકીય વાંચવાની ઇચ્છા હોય, તેમના માટે અહીં એ આખું લખાણ આપ્યું છે. બાકી, આખો અંક ઉપર ક્લિક કરીને નિરાંતે જોઇ શકાશે.


એક નજર, અત્યાર સુધીની સફર પર (સંપાદકીય)

છાપાં-સામયિકોની દુનિયામાં બાળમરણની નવાઇ નથી. લાખ બુલંદ ઇરાદા ને તૈયારી પછી શરૂ કરેલું પ્રકાશન પણ અકાળે આથમી જાય તો દુઃખ થાય, નવાઇ ન લાગે. સમાંતર ધારાનાં ગણાય એવાં પ્રકાશનોમાં તો પહેલા અંકથી ‘ચાલ્યું એટલું ખરૂં’નો વાસ્તવિક અહેસાસ મનના ખૂણે ઉગી ચૂક્યો હોય. એ સ્થિતિમાં ‘દલિતશક્તિ’ સાડા આઠ વર્ષની સફર કાપીને 100મા અંક સુધી પહોંચ્યું તેનો આનંદ છે.

અત્યાર સુધીની સફર છેક આસાન રહી છે એવું પણ નથી. જાન્યુઆરી 2003માં રંગીન મુખપૃષ્ઠ અને 36 પાનાં સાથે શરૂ થયેલું ‘દલિતશક્તિ’ માર્ચ 2004થી એકરંગી મુખપૃષ્ઠ ધરાવતું થયું અને જુલાઇ 2006થી તેનાં પાનાં 36માંથી ઘટીને 8 થઇ ગયાં- કરવાં પડ્યાં. ત્યાર પછીનાં પાંચ વર્ષમાં એકથી વધુ વખત ‘દલિતશક્તિ’ ચાલુ રાખવું કે કેમ, એ વિશે વિચાર-ચર્ચા થઇ, પણ અંતે તેને ચાલુ રાખવાનું ઠર્યું.

‘દલિતશક્તિ’ના પહેલા અંકથી માર્ટિનભાઇની ભૂમિકા ‘એડિટર-ઇન-ચીફ’ જેવી હતી, તો ચંદુભાઇ મહેરિયા ‘એક્ઝીક્યુટીવ એડિટર’ જેટલી જવાબદારી અને કામગીરી સાથે સક્રિય રહ્યા- ક્રેડિટ લાઇનમાં ભલે તેમનું નામ છપાતું ન હોય. મારા જેવા દલિત સમસ્યા- દલિત વાસ્તવિકતાના ખાસ્સા બિનઅનુભવી સંપાદકનું કામ માર્ટિનભાઇ-ચંદુભાઇના સક્રિય માર્ગદર્શન વિના ચાલ્યું જ ન હોત. તેમની સાથે રહીને ભાર વિના એવું ઘણું શીખવા મળ્યું, જે મુખ્ય ધારાના પત્રકારત્વમાં દાયકાઓ વીતાવ્યા પછી પણ કદાચ ન મળ્યું હોત. શરૂઆતના પાંચ-છ અંકોમાં સહસંપાદક તરીકે પૂર્વી ગજ્જર પણ હતાં. ‘નોખા ચીલે નવસર્જન’ (‘નવસર્જન’ની કામગીરીનાં બાર વર્ષ વિશેનું દસ્તાવેજી પુસ્તક) અમે સાથે લખ્યું હતું. ત્યાર પછી ઓગસ્ટ, 2003માં ઓસ્ટ્રેલિયા જતાં સુધી પૂર્વીએ ‘દલિતશક્તિ’ માટે રીપોર્ટિંગનું કામ કર્યું.

સામયિકમાં આવતી સામગ્રી માટે અમારો મુખ્ય આધાર હતો ‘નવસર્જન’ના કાર્યકરો તરફથી મળતા અહેવાલ. ટૂંકા અહેવાલ ‘પ્રદેશના ખબરઅંતર’માં આવે અને લાંબા અહેવાલ પરથી એક-બે-ત્રણ પાનાંનો લેખ બને. અહેવાલો મોકલનાર સૌ મિત્રોનાં અલગ-અલગ નામ લખવાં શક્ય નથી, પણ આ તબક્કે ‘દલિતશક્તિ’ માટે નિયમિતપણે લખાણો મોકલનારા થોડા મિત્રોથી માંડીને એકલદોકલ લખાણ મોકલનાર સૌનો આભાર. શરૂઆતનાં વર્ષોમાં કાર્યકરોએ- ખાસ કરીને બહેનોએ- લખી મોકલેલી આપવીતી ‘દલિત સાહિત્ય’ જેવા કોઇ લેબલ વિના પ્રગટ થઇ, પણ તેનું સંકલન થાય તો દલિત સાહિત્યમાં માતબર ઉમેરો થાય, એવું ચંદુભાઇ જેવા અભ્યાસી દૃઢપણે માને છે. તેમનો એવો જ અભિપ્રાય પાછલાં વર્ષોમાં પ્રગટ થયેલાં કેન્દ્રનાં વિદ્યાર્થીઓની રોજનીશી-આત્મકથન વિશે છે. માર્ટિનભાઇએ ઘણા અંક સુધી લખેલી ‘આપણી વાત’ વિચારોના ફુગ્ગા ફુલાવતા વિચારક અને વાસ્તવિક કામગીરીનું બળ ધરાવતા વિચારક વચ્ચેનો તફાવત બરાબર દર્શાવી આપે એટલું સબળ-નક્કર અને વિચારપ્રેરક વાચન પૂરું પાડે છે. ‘નવસર્જન’નાં નિયામક મંજુલા પ્રદીપે પણ ક્યારેક પોતાની મુલાકાતો આધારિત અહેવાલ ‘દલિતશક્તિ’ માટે આપ્યા છે.

‘દલિતશક્તિ’માં પ્રગટ થયેલા અનુવાદિત અને અસલ લેખોનું વૈવિધ્ય કેવું છે તેનો પાકો ખ્યાલ 99 અંકોની સૂચિ બનાવતી વખતે આવ્યો. તેમાં ‘ખબરલહરિયા’ના ગ્રામ્ય પત્રકારત્વથી માંડીને ‘ઇકોનોમિક એ્ન્ડ પોલિટિકલ વીકલી’નાં આંતરરાષ્ટ્રિય સ્તરનાં લખાણ આવ્યાં. નોબેલ પારિતોષિક વિજેતા હેરોલ્ડ પિન્ટર અને અરુંધતિ રોયથી માંડીને ભીખુ પારેખ જેવા વિદ્વાનોનાં લખાણ વફાદારીપૂર્વકના અનુવાદ સાથે પ્રગટ થયાં. ઘનશ્યામ શાહ જેવા વિદ્વત્તાના ભાર વગરના વિદ્વાનનો લાભ પણ ‘દલિતશક્તિ’ને મળ્યો છે. ઉપરાંત આંબેડકરના અને તેમના વિશેનાં અનેક મૂલ્યવાન લેખો તો ખરા જ. ડો.આંબેડકરને દેવ બનાવીને ગોખલામાં સ્થાપવાને બદલે માણસ તરીકેની તેમની મહાનતાનો આદર કરવાના વલણને લીધે, એક આંબેડકર વિશેષાંકમાં તેમનાં કાર્ટૂન પણ આપવામાં આવ્યાં હતાં.

ડો.આંબેડકર, પૂનાકરાર, અનામત, આભડછેટ, પિતૃસ્મરણ, અમેરિકાની રંગભેદવિરોધી ચળવળ, ફિલ્મો, દલિતશક્તિ કેન્દ્રના વિદ્યાર્થીઓની રોજનીશી-આત્મકથન જેવા વિષયો પરના ખાસ અંકો ઉપરાંત ચંદુભાઇ મહેરિયા સંપાદિત, દલિત સાહિત્યનાં 229 પુસ્તકોનો ટૂંક પરિચય આપતો દલિત સાહિત્ય વિશેષાંક ‘દલિતશક્તિ’ની અત્યાર સુધીની સફરમાં ખાસ ઉલ્લેખનીય છે. ભેદભાવસૂચક શબ્દો ધરાવતી ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓના યથાતથ પુનઃમુદ્રણ વિશેનો ઊહાપોહ ત્રણ અંક સુધી ચાલ્યો અને ‘નિરીક્ષક’માં આગળ વધ્યો. પરંતુ ઘણે ભાગે બને છે તેમ, ચર્ચા મૂળ મુદ્દો ચૂકીને આડા પાટે ફંટાતાં, તેમાંથી કશું નક્કર-હકારાત્મક નીપજ્યું નહીં.

શરૂઆતનાં વર્ષોમાં પુસ્તક પરિચય, કવિતાનો આસ્વાદ, કવિતાઓ અને ક્યારેક વાર્તા છપાતી હતી. પરંતુ ‘દલિતશક્તિ’ના આઠ પાનાં થયા પછી તેમાં સાહિત્યનો ભાગ્યે જ સમાવેશ થયો છે. (‘દલિતશક્તિ’માં કદી સરકારી કે ખાનગી જાહેરખબર છપાઇ નથી.) સાહિલ પરમાર, સંજય ભાવે, સુવર્ણાબહેન, જિજ્ઞેશ મેવાણી જેવાં સ્નેહી-મિત્રોએ વખતોવખત પ્રેમથી ‘દલિતશક્તિ’ માટે લેખોના અનુવાદ કરી આપ્યા છે.

દસ્તાવેજીકરણ ખાતર એ પણ નોંધવું રહ્યું કે ‘દલિતશક્તિ’ના પાને અતીત સુતરિયા, ચંદ્રેશ મહેતા, પ્રકાશ મહેરિયા જેવાં નામે પ્રગટ થયેલા લેખ ચંદુભાઇ મહેરિયાના અને વિશ્વજીત વાલ્મીકિના નામે છપાયેલા લેખ મારા લખેલા છે. એ સિવાય અનુવાદકનું નામ નહીં ધરાવતા સંખ્યાબંધ અનુવાદો પણ સંપાદકીય જવાબદારીના ભાગરૂપે હોંશથી થયેલા છે. ડંકેશ ઓઝા, ઉમેશ સોલંકી, ઉલ્કા પરમાર વખતોવખત થોડા સમય પૂરતાં ‘દલિતશક્તિ’ સાથે સંકળાયાં હતાં. ઘણા વખત સુધી ‘દલિતશક્તિ’નું પેજમેકિંગ કરનાર રશ્મિભાઇ પંડ્યા અને શરૂઆતના કેટલાક અંકોમાં ચિત્રો દોરનાર રાજેશ રાણા ઉપરાંત અંકોની-લવાજમની વહીવટી જવાબદારી સંભાળનાર પુનિતા રાઠોડ અત્યાર સુધીની સફરના સહયાત્રી તરીકે યાદ આવે છે..

5 comments:

  1. congratulations to all...

    ReplyDelete
  2. Jabir A. Mansuri10:51:00 PM

    Admiring dedication from a non-community member of marginalized community.

    May the God Almighty give you more strength & success on this route which lead to a healthy India.

    Jabir

    ReplyDelete
  3. really can read with the 'feeling'.The best use of technology.

    ReplyDelete
  4. Anonymous1:35:00 PM

    આઝાદી અને પ્રજાતાંત્રીક લોકતંત્રનાં આટાઆટલાં વરસો પછીથી પણ કોઇપણ પ્રવૃત્તિ પહેલાંનું "દલિત" વિષેશણ હવે બહુ ખુંચે છે.

    ReplyDelete
  5. પ્રિય એનોનીમસભાઇ કે બહેન, તમારી ખૂંચામણી વિશે વાત થઇ શકે છે, જો તમે પ્રગટ થાવ તો. અહીં જાહેરમાં પ્રગટ ન થવું હોય તો મારો ઇ-મેઇલઃ uakothari@gmail.com

    ReplyDelete