Wednesday, April 20, 2011

ભ્રષ્ટાચારના મુદ્દે બે છાવણીમાં ચર્ચા

અન્ના હઝારેના આંદોલનમાં ઇન્ટરવલ પડ્યો છે, પણ રાજકીય પક્ષોમાં ગરમાટો વ્યાપી ગયો છે. આંદોલનથી પ્રજા ‘ગેરરસ્તે’ ન દોરવાઇને ભ્રષ્ટાચાર સામે જાગ્રત ન બની જાય અને સામેનો પક્ષ આંદોલનના વાતાવરણનો લાભ ન લઇ જાય, એ માટે શું કરવું એની વ્યૂહરચનાઓ ઘડાઇ રહી છે. તેમની વચ્ચે કેવી ચર્ચાઓ ચાલતી હશે, એની કલ્પના કરી શકાય.

કોંગ્રેસની છાવણી

રાહુલ ગાંધીઃ ગમે તે કહો, પણ આંદોલને આપણી વાટ લગાડી દીધી.

સોનિયા ગાંધીઃ બાબા, હું એટલે જ તમને બહુ બહાર ફરવાની ના પાડું છું. તમારી ભાષાને શું થઇ ગયું? વાટ લગાડી દીધી એટલે શું?

મનમોહન સિંઘઃ મેડમ, હશે. બાબા હજુ બાળક છે. (રાહુલ ગાંધી તરફ જોઇને) રાહુલજી, તમારી વાત ખરી છે. એટલે જ તો આપણે ભેગા થયા છીએ.

ચિદમ્બરમ્ઃ મને એક આઇડિયા આવે છે. નક્સલવાદ માટે આપણે ‘ઓપરેશન ગ્રીન હન્ટ’ કરવાના હતા, તેમ ભ્રષ્ટાચાર માટે આપણે ‘ઓપરેશન બ્લેક (મની) હન્ટ’ કરીએ, તેના વડા તરીકે અન્ના હઝારેને નીમી દઇએ અને ઓપરેશનની મેઇન ઓફિસ દાંતેવાડામાં રાખીએ.

પ્રણવ મુખરજીઃ પણ હવે અન્ના હઝારે એકલા નથી.

રાહુલઃ યુ મીન, આખા દેશની જનતા એમની સાથે છે?

મુખરજીઃ ના. એમ નહીં. હવે ફક્ત અન્નાને નીમવાથી નહીં ચાલે. એમના સાથીદારો પણ છે. મને તો થાય છે કે આગામી બજેટની રાહ જોયા વિના ભ્રષ્ટાચારીઓ પર આકરામાં આકરો ટેક્સ નાખી દેવો જોઇએ. તેનાથી ભ્રષ્ટાચાર સામે આપણે કેટલા કડક છીએ તેનો લોકોને સંદેશો પહોંચે. ધારો કે, માણસે જેટલી રકમનો ભ્રષ્ટાચાર કરે તેની પર 125 ટકા ટેક્સ. કેમ રહેશે, ડોક્ટર?

સિંઘઃ તમારી વાત પણ ખરી છે. સવાલ માત્ર એટલો છે કે જે લોકો ભ્રષ્ટાચાર દ્વારા રૂપિયા ભેગા કરે છે, તે ઇમાનદારીથી ટેક્સ ચૂકવશે ખરા?

ચિદમ્બરમ્ઃ રાજાએ કર્યું એટલું મોટું કૌભાંડ હોય તો 125 ટકા ચૂકવવા માટે તેમણે દેશને ગીરવે મુકવો પડે.

રાહુલઃ દેશને ગીરવે મુકવામાં હજુ કંઇ બાકી રહ્યું છે?

સિંઘઃ ધીમે, રાહુલજી. આટલા યથાર્થવાદી થઇએ તો રાજ ન ચાલે. તમે મારું પેલું ગઠબંધનધર્મવાળું પ્રવચન સાંભળ્યું હતું ને? ટીવીવાળાઓને મેં મોં પર નહોતું કહી દીધું કે ભાઇ, બધું આપણું ધાર્યું ન થાય. એ તો તે દિવસે ચેનલોના માલિકો ને તંત્રીઓ આવ્યા હતા એટલે. રીપોર્ટરો હોત તો મેં તેમને એક જ સવાલ પૂછ્યો હોત, ‘તમારી ચેનલમાં બધું તમારું ધાર્યું થાય છે? તમારા સાહેબો બારોબાર વહીવટ નથી કરી નાખતા? મારી સ્થિતિ એવી જ છે.’ મને ખાતરી છે કે રીપોર્ટરો મારી મજબૂરી તરત સમજી ગયા હોત.

સોનિયાઃ પણ અત્યારે આખું આંદોલન આપણી સામે હોવાનું વાતાવરણ ઉભું થયું છે. એનું શું કરવું? અને ભવિષ્યમાં આવાં બીજાં આંદોલન થાય તો?

મુખરજીઃ સમય પસાર થવા દો, બસ. આપણે ત્યાં કહેવત છે ને મેડમ, કે દુઃખનું ઓસડ દહાડા. લોકશાહીમાં દિવસો વીતે એટલે લોકો બધું ભૂલી જાય છે. છ મહિના પછી લોકો એમ જ માનતા થઇ જશે કે લોકપાલ વિધેયક આપણે જ લાવ્યા હતા અને અન્નાને આપણે જ કમિટીમાં બેસાડ્યા હતા. આપણી સરકાર કેટલી લોકાભિમુખ છે?

રાહુલઃ પણ ભાજપ સામે પ્રચાર નહીં કરે?

સોનિયાઃ કરશે, પણ એમાં દમ નહીં હોય. કારણ કે એમના નેતાઓની બધી વિચારશક્તિ ‘જો ભાજપ ચૂંટણી જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે’ એના દાવપેચમાં જ પરોવાયેલી હશે.

***

ભાજપની છાવણી

નીતિન ગડકરીઃ વાહ, બગાસું ખાતાં પતાસું, તે આનું નામ.

અરૂણ જેટલીઃ નીતિનજી, ધીમેથી બોલો. આજકાલ ગમે તેની સીડી ફરતી થઇ જાય છે.

નરેન્દ્ર મોદીઃ મા જગદંબાની કૃપાથી..

સુષ્મા સ્વરાજઃ એક મિનિટ, નરેન્દ્રભાઇ...આ ગુજરાત નથી. અહીં મા જગદંબા ને મા કામાક્ષીની વાર્તાઓ નહીં કરો તો ચાલશે. આપણે મુદ્દાની વાત પર આવીએ.

લાલકૃષ્ણ અડવાણીઃ હું પણ મુદ્દાની વાત પર જ આવતો હતો. અન્નાજીએ નરેન્દ્રભાઇને સર્ટિફિકેટ આપ્યું એટલે ગુજરાતનો બહુમતી વર્ગ નવેસરથી એમની પર મોહિત થઇ જશે અને નરેન્દ્રભાઇ ગુજરાતમાં સુખેથી રાજ કરશે. એમાં આપણે કશો ફેરફાર કરવો નથી અને દિલ્હી માટે તો હું છું જ ને. મારી તબિયત બહુ સરસ છે. વેઇટિંગ રૂમમાં બેઠાં બેઠાં હાથપગ થોડા જકડાઇ ગયા છે એટલું જ.

જેટલીઃ મને ચિંતા એ વાતની છે કે અન્ના હઝારેનું મિસાઇલ કાલે આપણી સામે ફૂટે તો?

મોદીઃ એમ થોડું ચાલે? બોલ્યા બાદ બોલ્યા. એક વાર આપણને સર્ટિફિકેટ મળી ગયું પછી એ વાપરવાનું બંધ ક્યારે કરવું, એ આપણા હાથમાં છે. હવે એ સર્ટિફિકેટ પાછું ખેંચી લે તો પણ શું? એ છાપામાં આવેલા ખુલાસા જેવું કહેવાય. સમાચાર સૌ વાંચે, ખુલાસો કોણ વાંચે?

સુષ્માઃ પણ જરા જાતમાં ડોકિયું કરીએ તો ચિંતા નથી થતી? ભ્રષ્ટાચારમાં આપણો પક્ષ ક્યાં જુદો છે?

મોદીઃ બહેન, જાતમાં ડોકિયાં કરવાં હોય તો વિપશ્યના કરો. રાજકારણમાં શું કામ આવો છો? હું જાતમાં ડોકિયાં કરતો હોત તો ક્યારનો હિમાલય ભેગો થઇ ગયો હોત...તમને ખ્યાલ આવે છે? આટલાં તપાસપંચ, તપાસસમિતિઓ, સ્ટીંગ ઓપરેશનો, મારી પૂછપરછો, મારા રાજ્યકક્ષાના ગૃહમંત્રીની ધરપકડ- આ બધું છતાં મેં કેવી ઉજળી છબી ટકાવી રાખી છે? એના માટે આપણે ઉજળા થવાની જરૂર નથી હોતી. લોકોની આંખો અને દિમાગ આંજી દેવાં પડે- અને એ કામ માટે અન્નાના સર્ટિફિકેટ જેવી ફ્લડલાઇટ મળે ત્યારે ચિંતા કરવાની હોય કે આનંદ?

સુષ્માઃ પણ કર્ણાટકનું કૌભાંડ...અને મેં તો સાંભળ્યું છે કે ગુજરાતમાં પણ કેટલાક મંત્રીઓ અને તેમનાં સગાંવહાલાં બહુ કમાયાં છે... કૃપાપાત્ર ઉદ્યોગપતિઓ કે બિલ્ડરો જ નહીં, પ્રિન્ટિંગ પ્રેસવાળા ને પ્રકાશકો પણ કમાયા છે...

મોદીઃ લાગે છે કે ગુજરાતવિરોધી ટોળકીએ તમારા મગજમાં ઝેર રેડ્યું છે. પણ એટલું યાદ રાખજો. ગુજરાતની છ કરોડ જનતા તેનું અપમાન બરદાસ્ત નહીં કરી લે- અને ભવિષ્યમાં અન્ના હજારે કદીક આપણી સામે ઉપવાસ પર બેસશે ત્યારે તમારે મારી પાસે જ આવવું પડશે.

જેટલીઃ આપણે આંતરિક વિખવાદમાં પડવાને બદલે પહેલાં દિલ્હી કેવી રીતે સર કરવું તેની વ્યૂહરચના ઘડીએ. ભ્રષ્ટાચાર વિશે સત્તા મેળવ્યા પછી ને બે-ચાર-પાંચ કૌભાંડો થયા પછી શાંતિથી ચર્ચા કરીશું.

ગડકરીઃ વાહ, આ તો કાનૂની પણ છે ને નૈતિક પણ. બહુ કહેવાય.

1 comment: