Sunday, April 10, 2011

જાનનું જોખમ ખેડીને અણુમથકનું સમારકામ કરતા ‘જમ્પર’: ક્યારેક દેશ માટે, ક્યારેક ‘કૅશ’ માટે

‘હવે રોદણાં રડવાનો અર્થ નથી. અત્યારે અમે નરકમાં હોઇએ તો પણ સરકીને સ્વર્ગ તરફ ગયા વિના છૂટકો નથી. અણુશક્તિની અદૃશ્ય શક્તિ પર નજર રાખજો. (આ અકસ્માતમાંથી) બઘું સમુસુતરું પાર પડે એ માટે અમે કામ કરી રહ્યા છીએ.’
***
‘મારાં માતાપિતા ત્સુનામીમાં તણાઇ ગયાં..આ પ્રકારની માનસિક સ્થિતિમાં હું અત્યંત કઠણ કામમાં જોતરાયેલો છું...હવે વધારે સહન થતું નથી.’
***
‘મારા સહિત બધા આપત્તિનો ભોગ બનેલા છે. પણ અમે અમારી જાતનો ભોગ બનેલા તરીકે વિચાર કરવાને બદલે, કંપનીના કર્મચારી તરીકે અમારું કામ પૂરું કરવા માટે પરિશ્રમ કરી રહ્યા છીએ.’
***
‘અકસ્માત પછીના થોડા દિવસ કામદારોએ માત્ર બ્રેડના જોરે ટકી રહીને રોજના ૨૩-૨૩ કલાક કામ કર્યું હતું અને માત્ર એક કલાક આરામ લઇને ફરી કામે ચઢી જતા હતા. આટલી ઓછી ઉંઘને લીધે ઘણી વાર તે એટલા થાકી જતા કે બ્રેડ ચાવવાનું પણ તેમને આકરું લાગતું હતું.’
***
‘સૌ પોતાના વતનથી દૂર છે. પાછા ફરવાનું ક્યારે થશે એની ખબર નથી. અમારી ચિંતાઓ અને ગુસ્સો કોની સમક્ષ ઠાલવવો એ સમજાતું નથી...સૌએ સર્વસ્વ ગુમાવ્યું છે- ઘરબાર, નોકરી, સ્કૂલ, મિત્રો, પરિવાર...આ વાસ્તવિકતા સામે કોણ ઝીંક ઝીલી શકે?
***
ઉપરનાં અવતરણો જાપાનના દુર્ઘટનાગ્રસ્ત ફુકુશિમા અણુમથકમાં કામ કરનારા કેટલાક કર્મચારીઓનાં છે. ૧૧ માર્ચ, ૨૦૧૧ના રોજ ભૂકંપ અને ત્સુનામી પછી ફુકુશિમાનાં રીએક્ટરોમાં ભંગાણ પડ્યું, ત્યારે સૌથી ગંભીર આશંકા વિકિરણો ફેલાવાની હતી. જોતજોતાંમાં તે વાસ્તવિકતા બની. એ સાથે જ રાહત કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થવો જોઇતો હતો. પ્લાન્ટની સંચાલક ‘ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની’ના કર્મચારીઓ માનવશરીર પર વિકિરણોની ગંભીર અસરો વિશે જાણતા જ હોય. બેકાબૂ બનેલાં રીએક્ટરો અને તેમાંથી ફેલાતા વિકિરણને કાબૂમાં લેવાના પ્રયાસમાં કર્મચારીઓ શા માટે જીવનું જોખમ વહોરે?

પરંતુ જાપાનમાં એ સવાલ પેદા જ ન થયો. અકસ્માત પછી ઘણા કર્મચારીઓ સ્થળ છોડીને સલામત વિસ્તારમાં જવાને બદલે, પ્લાન્ટ પર સતત તહેનાત રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં જાણીતા બનેલા જાપાની કામીકાઝી (આત્મઘાતી) પાયલોટોની જેમ, પોતાના જીવની પરવા ન કરનારા કર્મચારીઓની કુલ સંખ્યા ૩૦૦થી ૫૦૦ જેટલી છે. પણ દરેક પાળીમાં ૫૦ કર્મચારીઓ કામ કરતા હોવાથી, પ્રસાર માઘ્યમોએ તેમનું નામ પાડ્યું: ‘ફુકુશિમા-૫૦’. તેમનું એક જ લક્ષ્યઃ કોઇ પણ ભોગે, પોતાના જીવના પણ જોખમે, વઘુ નુકસાન થતું અટકાવવું. રીએક્ટરોને ટાઢાં પાડવાં અને વિકિરણોનો ફેલાવો રોકવો.

અણુમથકમાં મોટો અકસ્માત થયા પછી રાહત કામગીરીમાં કેવાં જોખમ હોય છે, તે ૧૯૮૬ની ચેર્નોબિલ દુર્ઘટના પછી જાણીતું હતું. યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક કમિટીના અહેવાલ પ્રમાણે, ચેર્નોબિલ દુર્ઘટના પછી ત્રણ મહિનામાં ૨૮ જેટલા બચાવ કામદારો વિકિરણોની અસરને કારણે મૃત્યુ પામ્યા. વિકિરણની ત્વચા પર અસરને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં, બીજા ૧૯નાં મૃત્યુ થયાં અને ૧૦૦થી વઘુ લોકોને ઉબકા, ઉલટી, ડાયેરિયા જેવી વિકિરણની વિવિધ અસરો થઇ.

‘ફુકુશિમા ૫૦’ તરીકે ઓળખાતી ટુકડી રાહત કામગીરીમાં રહેલાં જોખમોથી ભાગ્યે જ અજાણ હોય. છતાં, એ લોકો હજુ મેદાન છોડવા તૈયાર નથી. આટલી મોટી સંખ્યામાં કામદારો જોખમ વહોરી લેતા હોવા છતાં એકાદ અપવાદને બાદ કરતાં ભાગ્યે જ કોઇનાં કુટુંબીઓ પ્રસાર માઘ્યમો સમક્ષ સહાનુભૂતિ માટે આવ્યાં છે. જૂજ નિવેદનોમાં એક માતાનું બયાન સૌથી જાણીતું બન્યું છે, જેણે પોતાના ૩૨ વર્ષના પુત્ર અને તેના સાથીદારોની બહાદુરી અંગે ગળગળા કંઠે કહ્યું હતું કે કે ‘પોતે કેવું જોખમ લઇ રહ્યા છે, તે એ લોકો જાણે છે. (બચાવ કામગીરી પછી) તેમની જિંદગી થોડાં અઠવાડિયાં કે મહિના પૂરતી હશે અથવા લાંબા ગાળે તે કેન્સરનો ભોગ બનશે, એ પણ તે સમજે છે. પરંતુ તેમણે એ હકીકત સ્વીકારી લીધી છે.’

અકસ્માતના સ્થળે કામ કરનારાની સ્થિતિ વિશે આ લખાય છે ત્યાં સુધીમાં સૌથી અધિકૃત માહિતી ‘ન્યુક્લીયર સેફ્‌ટી એજન્સી’ના ઇન્સ્પેક્ટર કાઝુમા યોકોતાએ પૂરી પાડી છે. પાંચ દિવસ સુધી કામદારો સાથે રહેલા યોકોતાએ જાપાની ‘દૂરદર્શન’ (એનએચકે) સમક્ષ કહ્યું હતું,‘કામદારો કોન્ફરન્સ રૂમમાં, હોલ-વેમાં કે બાથરૂમ નજીક સુઇ જાય છે. દરેક કામદારને એક-એક ધાબળો આપવામાં આવે છે. સૌ ફરસ પર પાથરેલી સીસાની ચાદરો પર લાઇનબંધ સુઇ જાય છે. સીસું મકાનમાં પ્રવેશતાં વિકિરણો સામે તેમનું રક્ષણ કરે છે.’

યોકોતાના જણાવ્યા પ્રમાણે, રોજ સવારે ૨૭૦થી ૫૮૦ જેટલા કર્મચારીઓ મિટિંગ યોજીને પરિસ્થિતિની ચર્ચા કરે છે અને રોજનું કામ વહેંચે છે. મોટા ભાગના કર્મચારીઓ સવારના દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કામ કરે છે. રાતની પાળીમાં મુખ્યત્વે પ્લાન્ટની મશીનરીનાં રીડિંગ નોંધવામાં આવે છે. દરેક કામદારને માપ મુજબનું ભોજન અને પાણી આપવામાં આવે છે. નાસ્તામાં વઘુ કેલરી ધરાવતાં બિસ્કિટ અને ભોજનમાં ગરમાગરમ ચડાવેલો ભાત તથા જેમાં વિકિરણોની અસરનો ભય ન હોય એવો ટીનબંધ ખોરાક આપવામાં આવે છે. આ ખોરાકમાંથી કામદારોને પૂરતું પોષણ નહીં મળતું હોય, એવી ટીપ્પણી પણ યોકોતાએ કરી હતી.

જાપાનના પ્રસિદ્ધ અખબાર ‘યોમુરી શિમ્બુન’ના અહેવાલ પ્રમાણે, દરેક કામદારને રોજ ફક્ત દોઢ લીટર પાણી આપવામાં આવે છે. તેથી તે નહાતા નથી અને હાથ પણ પાણીને બદલે આલ્કોહોલથી ઘુએ છે. એ પોતાનાં કપડાં પણ ભાગ્યે જ બદલી શકે છે. કામ કરતી વખતે રક્ષણાત્મક વસ્ત્રો ઉપરાંત બેવડું આવરણ ધરાવતાં હાથમોજાં, ચહેરા સહિત આખું માથું ઢંકાય એવા માસ્ક અને અંધારામાં કામ કરી શકાય એ માટે ફ્‌લેશલાઇટ તેમની પાસે હોય છે. તે ઇલેક્ટ્રિક વાયર બિછાવવાથી માંડીને કાટમાળ સાફ કરવાનું અને રીએક્ટર પર પાણીનો મારો કરવા જેવાં કામ કરે છે.

ફરજપરસ્ત અને દેશભરમાં ‘હીરો’ તરીકે પંકાયેલા કર્મચારીઓ હોવા છતાં કેટલાંક કામ એટલાં જોખમી છે કે તેના માટે અલગથી ભરતી કરવા માટે ટોકિયો ઇલેક્ટ્રિક કંપનીએ કલાકના પાંચ હજાર ડોલર જેવા મહેનતાણાની જાહેરાત કરી છે.

અણુમથકોની જોખમી કામગીરી માટે વફાદાર કર્મચારીઓ હોય તો પણ ફક્ત તેમનાથી કામ ચાલી જાય, એવું ભાગ્યે જ બને છે. એ સંજોગોમાં ઊંચું મહેનતાણું લઇને જોખમી કામ કરી આપનારા લોકો ‘જમ્પર’ તરીકે ઓળખાય છે. અમેરિકા જેવા સમૃદ્ધ ગણાતા દેશમાં છેક સિત્તેરના દાયકાથી થોડા ડોલરમાં અણુમથકોનું જોખમી કામ કરી આપનારા ‘જમ્પર’નું આખું બજાર ખીલ્યું છે. વર્ષો પહેલાં (નવેમ્બર, ૧૯૮૨ના અંકમાં ‘મધર જોન્સ’ સામયિકમાં ‘ધ ગ્લો બોય્ઝ’ શીર્ષક હેઠળ જમ્પરોના બજાર વિશે વિસ્તૃત અહેવાલ પ્રગટ થયો હતો. એ લખનાર પત્રકારે પોતે છૂપી રીતે જમ્પરોની ભરતીપ્રક્રિયામાં જોડાઇને જમ્પરોને કેવી રીતે પ્રશિક્ષણ આપવામાં આવે છે, કેવી રીતે તેમને જોખમથી સાચીખોટી રીતે નિશ્ચિંત બનાવવામાં આવે છે અને ડોલર માટે જીવ જોખમમાં મુકનારાની માનસિકતા કેવી હોય છે એ બધી વાતો લખી હતી. તે ‘એટલાન્ટિક ન્યુક્લીઅર સર્વિસિઝ’માં જમ્પર તરીકે ભરતી થયો હતો. તેના એ વખતના અંદાજ પ્રમાણે, ૧૯૮૨માં ફક્ત અમેરિકામાં જમ્પરોની સંખ્યા ૪૦ હજારના આંકડે પહોંચવાનો અંદાજ હતો.

ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ ‘જમ્પર’ માટે પાંચ હજાર ડોલર પ્રતિ કલાકના ભાવે જમ્પરની ભરતીનો પ્રયાસ કર્યા પછી, ચેર્નોબિલ અણુમથકની કામગીરીમાં છ વાર ઉતરી ચૂકેલા સર્ગેઇ બેલ્યાકોવની કથા પણ બહાર આવી. યુક્રેન યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરનાર બેલ્યાકોવ ૪૦ દિવસ સુધી ચેર્નોબિલમાં રહેલો હતો. એ દરમિયાન અણુરીએક્ટરના છાપરા પર વઘુમાં વઘુ બે મિનિટ અને ઓછામાં ઓછી ૩૦-૪૦ સેકન્ડ જેટલો સમય ગાળીને તેમણે નિર્ધારીત સફાઇકામ કર્યું હતું. આ કામગીરીમાં ઘણા લોકો સંકળાયેલા હતા. તેમાંથી પાંચ સાથીદારોના મૃત્યુ વિશે બેલ્યાકોવ જાણે છે. એ પોતે થોડો સમય બિમાર રહ્યા, પણ તેમનો જીવ બચી ગયો. આ કામ માટે કેટલી રકમ મળી હતી? એ સવાલના જવાબમાં બેલ્યાકોવે કહ્યું હતું,‘એ રકમથી હું પહેલી વાર ભારત ફરવા આવી શક્યો. એ મારી પહેલી વિદેશયાત્રા હતી.’

બેલ્યાકોવ જેવા લોકો ‘જમ્પર’ તરીકે કામ કર્યા પછી ટકી શકે તો વિદેશયાત્રા કરી શકે અને વિકિરણની અસરો ઘાતક નીવડે તો? છેક ઉપરની યાત્રા. પણ બન્નેમાંથી એકેયનો વિચાર કર્યા વિના કામ કરી રહેલા ‘ફુકુશિમા-૫૦’એ અણુઇતિહાસની તવારીખમાં નવા પૃષ્ઠનો ઉમેરો કર્યો છે.

3 comments:

  1. ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ ‘જમ્પર’ માટે પાંચ હજાર ડોલર પ્રતિ કલાકના ભાવે જમ્પરની ભરતીનો પ્રયાસ કર્યા પછી......

    kalak na 5000 USD ????

    ReplyDelete
  2. કલ્પેશ સથવારા5:09:00 PM

    કુછ ઔર ભી સાંસે લેને કો મજબૂર સા હો જાતા હુ મે,
    જબ ઇતને બડે જંગલ મે ઇન્સાન કી ખૂશ્બૂ આતી હૈ

    ReplyDelete
  3. સમાચારમાં વાંચ્યું કે કોઈ ૫૦ કામદારો મથકમાં સમારકામ કરી રહ્યા છે, ત્યારથી જ વિચાર હતો કે આ લોકોની કામગીરી પર લખવું જોઈએ. પણ તમે સમયસર અને સારી રીતે બચાવકાર્યનું આ અજાણ્યું પાસું રજુ કર્યું.

    ReplyDelete