Wednesday, April 06, 2011

બોર્ડની પરીક્ષાનું બ્રહ્મસત્યઃ કેવું ગયું પેપર?

દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન મૂંઝવતા અનેક સવાલ માટે બજારમાં યથાશક્તિ- વિદ્યાર્થીઓની સમજશક્તિ મુજબ નહી, વાલીની ખરીદશક્તિ પ્રમાણે - માર્ગદર્શન મળે છેઃ ટ્યુશન, કોચિંગ ક્લાસ, સ્યોર સજેશન, મોક ટેસ્ટ...પરીક્ષા નજીક આવે ત્યારે અભ્યાસ સિવાયના પ્રશ્નો માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનના લેખો અને પુસ્તકોથી માંડીને ડોક્ટરની સલાહ-કાઉન્સેલિંગના વિકલ્પ હોય છે. પરંતુ પરીક્ષાલક્ષી શિક્ષણના બજારમાં એક સમસ્યાસર્જક સવાલની ભારે અવગણના થઇ છે. વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકતો, તેમને અસત્યના રસ્તે, આત્મવંચના-જાતને છેતરવા- તરફ વાળતો કે આત્મદયામાં ધકેલતો એ સવાલ છેઃ ‘કેવું ગયું પેપર?’

પરીક્ષા નજીક આવે એટલે ‘કેવી છે તૈયારી?’ એવી પૂછપરછથી પેપર અંગેના કાતિલ સવાલનો માહોલ બંધાવા લાગે છે. તૈયારી વિશે જવાબ આપવામાં વિદ્યાર્થીને મૂંઝવણ નડતી નથી. આધ્યાત્મિક પરિબળોના શરણે ગયા વિના, માત્ર ભૌતિક બાબતોથી એ જવાબ આપવાનું શક્ય છે. જેમ કે, ‘તૈયારી તો જોરદાર ચાલે છે. રોજના પંદર કલાક.’ અથવા ‘છેલ્લા એક મહિનાથી અમને ટ્યુશનમાં પેપર લખવાની જ પ્રેક્ટિસ કરાવે છે.’ અથવા ‘છેલ્લા છ મહિનાથી બંધ ટીવી-પિક્ચર-ફેસબુક બધું બંધ છે.’ પૂછનારને મોટે વિદ્યાર્થીની તૈયારી વિશે જાણવા કરતાં પોતાની નિસબત બતાવવામાં વધારે રસ હોય છે. એટલે સામેથી જવાબ કોઇ પણ મળે, સવાલ પૂછનાર ‘સરસ, સરસ. વેરી ગુડ’ એવો કોઇ છાપેલો પ્રતિભાવ જારી કરીને, સરકારી માહિતીખાતાની નિસ્પૃહતાથી, તે બીજી વાત પર ચડી જાય છે.

ઉત્તરાયણ પહેલાં દોરી પીવડાવનાર દરેક જણ એવી શ્રદ્ધા ધરાવે છે કે આપણી દોરી પાક્કી છે. એક વાત ત્યારે નજરઅંદાજ કરવામાં આવે છે કે દોરી કરતાં વધારે મહત્ત્વ પતંગ ચડાવનારના કૌશલ્યનું હોય છે. પરીક્ષાની તૈયારી વિશે પૂછવું એ દોરીની ગુણવત્તા વિશે પૂછપરછ કરવા બરાબર છેઃ સહજ-સ્વાભાવિક, પૂછવાથી બન્ને પક્ષને સારું લાગે એવું છતાં એકંદરે નિરર્થક. આખરે તો અગાશીમાં (કે પરીક્ષાખંડમાં) જે થાય તે જ ખરું- એ સત્ય બન્ને પક્ષો પોતપોતાની રીતે જાણે છે.

પરીક્ષા સાવ નજીક આવે એટલે તૈયારીને લગતા પ્રશ્નો ગૌણ બની જાય છે અને શુભેચ્છા-આશીર્વાદનો દૌર ચાલુ થાય છે. પહેલાં એ માટે શબ્દો કે ઇષ્ટદેવની પ્રસાદી પૂરતી ગણાતી હતી. હવે લગ્નપ્રસંગની જેમ પરીક્ષાટાણે ચોકલેટ કે પેનનો ‘ચાંલ્લો’ કરવાનો રિવાજ થયો છે. જૂના વખતમાં લગ્નપ્રસંગે ભેટમાં મળેલાં દિવાલ ઘડિયાળ કે લેમનસેટ (કાચના પ્યાલા-જગ) ઘણી વાર ખોખાબંધ અવસ્થામાં જ, ઉપર ફક્ત આપનારના નામનું લેબલ બદલીને, બીજા કોઇને ભેટમાં આપી દેવાતાં હતાં. એવું શુભેચ્છા-સ્પેશ્યલ (એટલે કે ઓછી કિંમતની) પેનની બાબતમાં થઇ શકે છે. પણ ભેટમાં મળતી પેનનો જથ્થો બીજાને પધરાવીને સહેલાઇથી નિકાલ કરી શકાય એટલો ઓછો નથી હોતો. ઘરમાં પેનના ખડકલા જોઇને વાસ્તવવાદી વાલી એવું પણ વિચારી શકે છે કે ‘બાળક પરીક્ષામાં ધબડકો કરશે તો છેવટે તેને પેનની દુકાન કરી આપીશું. એના માટેનો સ્ટોક બહારથી લાવવાની જરૂર નહીં પડે.’

ભેટમાં આવેલી સંખ્યાબંધ પેન જોઇને શરૂઆતમાં વિદ્યાર્થી રાજી થાય છે, પણ મોટા ભાગની પેનો એક જ પ્રકારની- ફક્ત ચાલુ (ચાલતી) નહીં, સાવ ચાલુ (સાધારણ)- છે એ જાણ્યા પછી તેનો રસ ઉડી જાય છે. એક તરફ વિદ્યાર્થી કાચી વયે ભોગવીને ત્યાગવાની ઉચ્ચ માનસિક અવસ્થાએ પહોંચે છે, ત્યારે કેટલાંક મોટેરાં પેનના જથ્થા પર નજર બગાડે છે. શરૂઆત તે નવા જમાનાના વિચિત્ર રિવાજોની ટીકાથી કરે છે. ‘અમારા જમાનામાં આવું કશું ન હતું. ભગવાનનો પ્રસાદ કે ગાયના શુકન કરીને નીકળીએ એટલે થયું.’ એમ કહ્યા પછી તે સંગ્રહખોરી કેવી ખરાબ બાબત છે એ સમજાવે છે અને છેલ્લે મુદ્દાની વાત પર આવતાં કહે છે, ‘આટલી બધી પેનોનું તું શું કરીશ? અમારે તો રોજેરોજ પરીક્ષા હોય છે અને હા, મારા તને આશીર્વાદ તો છે જ.’ એમ કહીને જથ્થામાંથી બે-ચાર પેનો ઉપાડી લે છે. ‘ચાલુ (ફાલતુ) પેનો સંઘરવી મટી’ એમ વિચારીને વિદ્યાર્થી રાજી થાય છે અને પેનના ઢગલાને કારણે પોતે લેનારને બદલે આપનારની ભૂમિકાએ પહોંચી શક્યો તેનું ગૌરવ પણ અનુભવે છે.

પરીક્ષા શરૂ થાય એટલે બીજી બાબતો બાજુ પર ધકેલાઇ જાય છે અને સઘળું ધ્યાન પેપર પર કેન્દ્રિત થાય છે- વિદ્યાર્થીઓનું નહીં, વાલીઓનું. વિદ્યાર્થી પહેલું પેપર આપીને પરીક્ષાકેન્દ્રની બહાર નીકળે એ સાથે જ વાલીઓ પોતપોતાની ખાસિયત પ્રમાણે સક્રિય બને છે. કેટલાક વાલી પેપરમાં પૂછાયા હોય એના કરતાં વધારે સંખ્યામાં અને વધારે અઘરા સવાલ પેપર વિશે પૂછવા માંડે છેઃ ‘કેવું ગયું પેપર? કેવું હતું? સહેલું કે અઘરું? ક્લાસમાં બીજા બધાને કેવું લાગ્યું? સુપરવાઇઝર બહુ કડક હતા? કેટલા માર્કનું છૂટ્યું? કેટલા માર્ક આવે એવું લાગે છે આશરે? ચોરી થતી હતી? તેં કરી? ચેકિંગ આવ્યું હતું? બહુ કડક હતું?’ સવાલોનો વરસાદ સાંભળીને એક વાર તો વિદ્યાર્થીને દોડીને ફરી ક્લાસરૂમમાં જતા રહેવાની ઇચ્છા થઇ આવે છે, પણ તે પીઢ અભિનેતાની જેમ, શબ્દોને બદલે હાવભાવથી નારાજગી વ્યક્ત કરીને અપાય એટલા જવાબ આપે છે. પણ આ પ્રકારના વાલી અણઘડ પ્રેક્ષક હોવાથી તેમનું સઘળું ધ્યાન અભિનયને બદલે ‘સ્ટોરી’માં હોય છે.

ધીરજવાન વાલીઓ પરીક્ષાકેન્દ્રની બહાર નીકળતા તેમના સંતાન પર ‘પહેલી ધારના’ સવાલો લઇને તૂટી પડતા નથી. એ જાણે છે કે સંતાન સાથે સવાલજવાબ કરવાનો આ ‘અભી નહીં તો કભી નહીં’ જેવો, છેલ્લો મોકો નથી. હવે ઘરે જ જવાનું છે. ત્યાં સચ્ચાઈની નજીકના જવાબ મળશે. ‘પોલીસ જેવા પોલીસ ગુનેગારને પકડ્યા પછી સ્થળ પર ઉલટતપાસ કરવાને બદલે ચોકીએ લઇ જાય છે, તો આપણે પોલીસથી પણ ગયા?’ એવો વિચાર તેમના મનમાં ઝબકી જાય છે.

શેરલોક હોમ્સ કે સિગ્મંડ ફ્રોઇડની નવી આવૃત્તિનો વહેમ ધરાવતા કેટલાક વાલીઓ સીધી પૂછપરછને બદલે સંતાનને ‘લોડેડ’ સવાલો પૂછે છે, ‘તારી ચાલ ઢીલી લાગે છે. પેપર બરાબર ગયું નથી કે શું? તારા ચહેરો ઉતરી ગયેલો દેખાય છે. કેટલા માર્કનું છૂટ્યું? તારા અવાજમાં આત્મવિશ્વાસનો રણકો નથી. સાચું કહેજે, કેવું ગયું પેપર?’

આ સિલસિલાને કારણે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીમાં વિદ્યાર્થીને ડિપ્લોમેટિક જવાબો આપતાં આવડી જાય છે. પેપર સાવ ભંગાર ગયું હોય તો પણ પરીક્ષાકેન્દ્રની બહાર નીકળીને ‘કેવું ગયું પેપર?’ના જવાબમાં આત્મવિશ્વાસના રણકા સાથે કહી શકે છે, ‘નોર્મલ... કાલના જેવું જ...એટલે સારું...એટલે એકસ્ટ્રા ઓર્ડિનરી નહીં ને ભંગાર પણ નહીં...એટલે સરસ...એટલે...આમ સરસ જ...એટલે આમ તો બધું આવડ્યું...’ આ જવાબ સાંભળીને વાલીને એટલી ખાતરી થાય છે કે બીજાં પેપર ગમે તેવાં જાય, પણ તેનું ભાષાનું પેપર સરસ જશે.

પેપર કેવું ગયું તેનો જવાબ ફક્ત કુટુંબીજનોને આપવાથી વાત પૂરી થતી નથી. ‘કેવી ચાલે છે તૈયારી?’વાળો વર્ગ પણ ફોન પર પૂછે છે, ‘શું? કેમ રહ્યું? જોરદાર?’ આ સવાલ ‘આજે બહુ ગરમી છે, નહીં?’ એ રીતે પૂછાતો હોય છે. તેનો જવાબ સાચો નહીં, પૂછનારની અપેક્ષા પ્રમાણે આપવાનો હોય છે. એટલે તેમાં બહુ આવડતની જરૂર પડતી નથી.

પરિણામની તારીખ નજીક આવતી જાય, તેમ ‘કેવું ગયું હતું પેપર?’ અને ‘શું લાગે છે?’ના જવાબમાં નાની છતાં વ્યૂહાત્મક – ‘શરતો લાગુ’વાળી ફુદડીઓ ઉમેરાતી રહે છે, જેથી પરિણામના દિવસે કોઇ પણ જાતની દુર્ઘટના થાય તો ઉંઘતા ઝડપાવાનું ન થાય.

‘કેવું ગયું પેપર’ના જવાબમાં વિદ્યાર્થીએ પરીક્ષાથી પરિણામ વચ્ચેના ગાળામાં જુદા જુદા સમયે આપેલા જવાબ જ્યોતિષીની આગાહી જેવા હોય છે. એ સાચી ન પડે, તો તેના વિશે તકરાર થતી નથી. ‘જે થયું તે થયું. હવે જે થઇ શકે તે કરીએ.’ એમ વિચારીને સૌ આગળ વધે છે. એટલે જ જ્યોતિષીઓની આગાહી અને ‘કેવું ગયું પેપર?’ એ સવાલનો મહિમા ઘટવાને બદલે અવિચળ રહ્યો છે.

2 comments:

  1. કલ્પેશ સથવારા5:25:00 PM

    સાહેબ પરીક્ષાના વાતાવરણનો ખૂબજ બારીકાઇ થી અભ્યાસ કર્યો લાગે છે.વાતો લગભગ સત્યતાની નજીક ની છે.

    ReplyDelete
  2. Anonymous7:35:00 PM

    Great article urvishbhai. Exams na divso yaad avi gaya. Ema pan 12th board ma to Exam karta result puchhva wada no darr j mari nakhe chhe.

    ReplyDelete