Friday, April 29, 2011
‘સિવિલ સોસાયટી’ : નાગરિકોનું શસ્ત્ર અને શાસ્ત્ર
Thursday, April 28, 2011
મનુષ્યો માટેનું દૈવી વાહનઃ રિક્ષા

Tuesday, April 26, 2011
સત્ય અને સાંઇબાબા






Sunday, April 24, 2011
સફળ જનવિદ્રોહની અટવાયેલી આગેકૂચ: ‘ક્રાંતિની ચિનગારી’ અને કર્નલ ગદ્દાફીનું લિબીયા

Wednesday, April 20, 2011
ભ્રષ્ટાચારના મુદ્દે બે છાવણીમાં ચર્ચા
અન્ના હઝારેના આંદોલનમાં ઇન્ટરવલ પડ્યો છે, પણ રાજકીય પક્ષોમાં ગરમાટો વ્યાપી ગયો છે. આંદોલનથી પ્રજા ‘ગેરરસ્તે’ ન દોરવાઇને ભ્રષ્ટાચાર સામે જાગ્રત ન બની જાય અને સામેનો પક્ષ આંદોલનના વાતાવરણનો લાભ ન લઇ જાય, એ માટે શું કરવું એની વ્યૂહરચનાઓ ઘડાઇ રહી છે. તેમની વચ્ચે કેવી ચર્ચાઓ ચાલતી હશે, એની કલ્પના કરી શકાય.
કોંગ્રેસની છાવણી
રાહુલ ગાંધીઃ ગમે તે કહો, પણ આંદોલને આપણી વાટ લગાડી દીધી.
સોનિયા ગાંધીઃ બાબા, હું એટલે જ તમને બહુ બહાર ફરવાની ના પાડું છું. તમારી ભાષાને શું થઇ ગયું? વાટ લગાડી દીધી એટલે શું?
મનમોહન સિંઘઃ મેડમ, હશે. બાબા હજુ બાળક છે. (રાહુલ ગાંધી તરફ જોઇને) રાહુલજી, તમારી વાત ખરી છે. એટલે જ તો આપણે ભેગા થયા છીએ.
ચિદમ્બરમ્ઃ મને એક આઇડિયા આવે છે. નક્સલવાદ માટે આપણે ‘ઓપરેશન ગ્રીન હન્ટ’ કરવાના હતા, તેમ ભ્રષ્ટાચાર માટે આપણે ‘ઓપરેશન બ્લેક (મની) હન્ટ’ કરીએ, તેના વડા તરીકે અન્ના હઝારેને નીમી દઇએ અને ઓપરેશનની મેઇન ઓફિસ દાંતેવાડામાં રાખીએ.
પ્રણવ મુખરજીઃ પણ હવે અન્ના હઝારે એકલા નથી.
રાહુલઃ યુ મીન, આખા દેશની જનતા એમની સાથે છે?
મુખરજીઃ ના. એમ નહીં. હવે ફક્ત અન્નાને નીમવાથી નહીં ચાલે. એમના સાથીદારો પણ છે. મને તો થાય છે કે આગામી બજેટની રાહ જોયા વિના ભ્રષ્ટાચારીઓ પર આકરામાં આકરો ટેક્સ નાખી દેવો જોઇએ. તેનાથી ભ્રષ્ટાચાર સામે આપણે કેટલા કડક છીએ તેનો લોકોને સંદેશો પહોંચે. ધારો કે, માણસે જેટલી રકમનો ભ્રષ્ટાચાર કરે તેની પર 125 ટકા ટેક્સ. કેમ રહેશે, ડોક્ટર?
સિંઘઃ તમારી વાત પણ ખરી છે. સવાલ માત્ર એટલો છે કે જે લોકો ભ્રષ્ટાચાર દ્વારા રૂપિયા ભેગા કરે છે, તે ઇમાનદારીથી ટેક્સ ચૂકવશે ખરા?
ચિદમ્બરમ્ઃ રાજાએ કર્યું એટલું મોટું કૌભાંડ હોય તો 125 ટકા ચૂકવવા માટે તેમણે દેશને ગીરવે મુકવો પડે.
રાહુલઃ દેશને ગીરવે મુકવામાં હજુ કંઇ બાકી રહ્યું છે?
સિંઘઃ ધીમે, રાહુલજી. આટલા યથાર્થવાદી થઇએ તો રાજ ન ચાલે. તમે મારું પેલું ગઠબંધનધર્મવાળું પ્રવચન સાંભળ્યું હતું ને? ટીવીવાળાઓને મેં મોં પર નહોતું કહી દીધું કે ભાઇ, બધું આપણું ધાર્યું ન થાય. એ તો તે દિવસે ચેનલોના માલિકો ને તંત્રીઓ આવ્યા હતા એટલે. રીપોર્ટરો હોત તો મેં તેમને એક જ સવાલ પૂછ્યો હોત, ‘તમારી ચેનલમાં બધું તમારું ધાર્યું થાય છે? તમારા સાહેબો બારોબાર વહીવટ નથી કરી નાખતા? મારી સ્થિતિ એવી જ છે.’ મને ખાતરી છે કે રીપોર્ટરો મારી મજબૂરી તરત સમજી ગયા હોત.
સોનિયાઃ પણ અત્યારે આખું આંદોલન આપણી સામે હોવાનું વાતાવરણ ઉભું થયું છે. એનું શું કરવું? અને ભવિષ્યમાં આવાં બીજાં આંદોલન થાય તો?
મુખરજીઃ સમય પસાર થવા દો, બસ. આપણે ત્યાં કહેવત છે ને મેડમ, કે દુઃખનું ઓસડ દહાડા. લોકશાહીમાં દિવસો વીતે એટલે લોકો બધું ભૂલી જાય છે. છ મહિના પછી લોકો એમ જ માનતા થઇ જશે કે લોકપાલ વિધેયક આપણે જ લાવ્યા હતા અને અન્નાને આપણે જ કમિટીમાં બેસાડ્યા હતા. આપણી સરકાર કેટલી લોકાભિમુખ છે?
રાહુલઃ પણ ભાજપ સામે પ્રચાર નહીં કરે?
સોનિયાઃ કરશે, પણ એમાં દમ નહીં હોય. કારણ કે એમના નેતાઓની બધી વિચારશક્તિ ‘જો ભાજપ ચૂંટણી જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે’ એના દાવપેચમાં જ પરોવાયેલી હશે.
***
ભાજપની છાવણી
નીતિન ગડકરીઃ વાહ, બગાસું ખાતાં પતાસું, તે આનું નામ.
અરૂણ જેટલીઃ નીતિનજી, ધીમેથી બોલો. આજકાલ ગમે તેની સીડી ફરતી થઇ જાય છે.
નરેન્દ્ર મોદીઃ મા જગદંબાની કૃપાથી..
સુષ્મા સ્વરાજઃ એક મિનિટ, નરેન્દ્રભાઇ...આ ગુજરાત નથી. અહીં મા જગદંબા ને મા કામાક્ષીની વાર્તાઓ નહીં કરો તો ચાલશે. આપણે મુદ્દાની વાત પર આવીએ.
લાલકૃષ્ણ અડવાણીઃ હું પણ મુદ્દાની વાત પર જ આવતો હતો. અન્નાજીએ નરેન્દ્રભાઇને સર્ટિફિકેટ આપ્યું એટલે ગુજરાતનો બહુમતી વર્ગ નવેસરથી એમની પર મોહિત થઇ જશે અને નરેન્દ્રભાઇ ગુજરાતમાં સુખેથી રાજ કરશે. એમાં આપણે કશો ફેરફાર કરવો નથી અને દિલ્હી માટે તો હું છું જ ને. મારી તબિયત બહુ સરસ છે. વેઇટિંગ રૂમમાં બેઠાં બેઠાં હાથપગ થોડા જકડાઇ ગયા છે એટલું જ.
જેટલીઃ મને ચિંતા એ વાતની છે કે અન્ના હઝારેનું મિસાઇલ કાલે આપણી સામે ફૂટે તો?
મોદીઃ એમ થોડું ચાલે? બોલ્યા બાદ બોલ્યા. એક વાર આપણને સર્ટિફિકેટ મળી ગયું પછી એ વાપરવાનું બંધ ક્યારે કરવું, એ આપણા હાથમાં છે. હવે એ સર્ટિફિકેટ પાછું ખેંચી લે તો પણ શું? એ છાપામાં આવેલા ખુલાસા જેવું કહેવાય. સમાચાર સૌ વાંચે, ખુલાસો કોણ વાંચે?
સુષ્માઃ પણ જરા જાતમાં ડોકિયું કરીએ તો ચિંતા નથી થતી? ભ્રષ્ટાચારમાં આપણો પક્ષ ક્યાં જુદો છે?
મોદીઃ બહેન, જાતમાં ડોકિયાં કરવાં હોય તો વિપશ્યના કરો. રાજકારણમાં શું કામ આવો છો? હું જાતમાં ડોકિયાં કરતો હોત તો ક્યારનો હિમાલય ભેગો થઇ ગયો હોત...તમને ખ્યાલ આવે છે? આટલાં તપાસપંચ, તપાસસમિતિઓ, સ્ટીંગ ઓપરેશનો, મારી પૂછપરછો, મારા રાજ્યકક્ષાના ગૃહમંત્રીની ધરપકડ- આ બધું છતાં મેં કેવી ઉજળી છબી ટકાવી રાખી છે? એના માટે આપણે ઉજળા થવાની જરૂર નથી હોતી. લોકોની આંખો અને દિમાગ આંજી દેવાં પડે- અને એ કામ માટે અન્નાના સર્ટિફિકેટ જેવી ફ્લડલાઇટ મળે ત્યારે ચિંતા કરવાની હોય કે આનંદ?
સુષ્માઃ પણ કર્ણાટકનું કૌભાંડ...અને મેં તો સાંભળ્યું છે કે ગુજરાતમાં પણ કેટલાક મંત્રીઓ અને તેમનાં સગાંવહાલાં બહુ કમાયાં છે... કૃપાપાત્ર ઉદ્યોગપતિઓ કે બિલ્ડરો જ નહીં, પ્રિન્ટિંગ પ્રેસવાળા ને પ્રકાશકો પણ કમાયા છે...
મોદીઃ લાગે છે કે ગુજરાતવિરોધી ટોળકીએ તમારા મગજમાં ઝેર રેડ્યું છે. પણ એટલું યાદ રાખજો. ગુજરાતની છ કરોડ જનતા તેનું અપમાન બરદાસ્ત નહીં કરી લે- અને ભવિષ્યમાં અન્ના હજારે કદીક આપણી સામે ઉપવાસ પર બેસશે ત્યારે તમારે મારી પાસે જ આવવું પડશે.
જેટલીઃ આપણે આંતરિક વિખવાદમાં પડવાને બદલે પહેલાં દિલ્હી કેવી રીતે સર કરવું તેની વ્યૂહરચના ઘડીએ. ભ્રષ્ટાચાર વિશે સત્તા મેળવ્યા પછી ને બે-ચાર-પાંચ કૌભાંડો થયા પછી શાંતિથી ચર્ચા કરીશું.
ગડકરીઃ વાહ, આ તો કાનૂની પણ છે ને નૈતિક પણ. બહુ કહેવાય.
Tuesday, April 19, 2011
નવનિર્માણથી જંતરમંતર, વાયા ઉમાશંકર જોશી
Friday, April 15, 2011
‘શહેનશાહ’ અને મોહનઃ બે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’
‘ઠક, ઠક, ઠક...આપણે સૌ ટ્રેનમાં પ્રવાસ કરી રીયા છીએ.’ એવા પોકારથી સવારની ગુજરાત ક્વિનના મુસાફરોનું ધ્યાન અવાજ ભણી ખેંચાય. તેમની નજર પડે સફેદ કપડાં, સરેરાશથી વધારે ઉંચાઇ અને તેના પ્રમાણમાં નાનો ચહેરો ધરાવતા માણસ પર.
પોતાની ઓળખ ‘શહેનશાહ’ તરીકે આપતો એ જણ લાંબા પટ્ટાવાળું કાળું પાકિટ ડબ્બાની બારી પાસેના હુક પર ભરવીને ઊંચા અવાજે બોલવાનું શરૂ કરે, ‘આપણે સૌ ટ્રેનમાં પ્રવાસ કરી રીયા છીએ.’ પછી એ ખ્યાલ આપે કે ચાલુ પ્રવાસે લીંબુ, મોસંબી, સંતરાં વગેરેનો રસ કાઢવો હોય તો એક અદભૂત મશીન હાજર છે. ‘એમાં લાઇટની જરૂર નહીં, પાવરની જરૂર નહીં. ઓટોમેટિક ચાલે...ઓટોમેટિક’. એમ ‘ઓટોમેટિક’ શબ્દ પર આરોહ-અવરોહ સાથે પુનરાવર્તન કરીને બોલે.
એના હાથની બે આંગળીનાં ટેરવાં સ્ટીલના બે પોલા નાના નળાકારમાં ખોસેલાં હોય. બે સીટ વચ્ચેના પાટિયા પર કાચનો નાનો ગ્લાસ માંડ સ્થિર રહી શકે એટલી જગ્યામાં તે નેનો સાઇઝનો કાચનો ગ્લાસ ગોઠવે, પછી લીંબુ અને મોસંબી કે નારંગી કાઢે અને ત્યાં ગોઠવે. રોજિંદા ન હોય એવા મુસાફરોમાં જાણે જાદુનો ખેલ થવાનો હોય એવું વાતાવરણ સર્જાઇ જાય અને રોજના અપ-ડાઉનવાળા માટે ઓન ધ વ્હીલ્સ, સ્ટેન્ડ અપ શો.
શહેનશાહ પૃથ્વી જેવી ચપટી મોસંબીના ‘ધ્રુવપ્રદેશ’માં સ્ટીલના પોલા નળાકારનો અણીવાળો ભાગ ખૂંપાવે, પછી તેના બીજા છેડે કાચનો ગ્લાસ રાખીને મોસંબીને દબાવતા જાય અને ગોળગોળ ફેરવતા જાય. જોતજોતાંમાં મોસંબી નીચોવાઇ જાય અને તેના રસથી ગ્લાસનો ત્રીસ-ચાળીસ ટકા હિસ્સો ભરાઇ જાય. પછી લીંબુનો વારો આવે. તેમાંથી એ જ પ્રમાણે રસ કાઢવામાં આવે. પ્યાલામાં રહેલા મોસંબીના રસમાં લીંબુનો રસ ઉમેરાય. સમગ્ર કાર્યવાહી દરમિયાન શહેનશાહની અસ્ખલિત, વિલંબિત લયવાળી, પુનરાવર્તિત, સહેજ ગ્રામ્ય છાંટ ધરાવતી અને અપ-ડાઉન કરનારામાં ગલગલિયાંયુક્ત હાસ્ય જગાડે એવી દ્વિઅર્થી વાકધારા ચાલુ હોય.
સ્ટીલના બન્ને નળાકારોને શહેનશાહ ‘જુસ મશીન’ તરીકે ઓળખાવે અને તેના ફાયદા ગણાવેઃ લાઇટની જરૂર નથી, મુસાફરીમાં ગમે ત્યાં વાપરી શકાય, ગ્લાસ ન હોય તો રસ સીધો મોઢામાં પણ પાડી શકાય, લીંબુ-મોસંબી અંદરથી એકદમ સાફ થઇ જાય (એના ‘ડેમો’ તરીકે એ રસ નીકળ્યા પછીનું લીંબુ ખુલ્લું કરીને બતાવે.) ‘લીંબુ, નારંગી, મોસંબી, સંતરા, માલ્ટા, ઓરેન્જ’- આ બધાનો જુસ કાઢી આપતાં બન્ને મશીનની કિંમત તો 15 રૂ છે, પણ ‘પરચાર’ (પ્રચાર) માટે તે 10 રૂપિયામાં આપવામાં આવશે- એમ કહે.
‘શો’ પૂરો થાય એટલે એકાદ ખૂણેથી દસની નોટ આવે. બે ‘મશીન’ પેક કરેલી કોથળી શહેનશાહ આપે. ત્યાર પછી, ‘લઉં કે ન લઉં’ના વિચારમાં પડેલા બે-ચાર-પાંચ લોકો એક જણની પહેલ જોઇને દસની નોટ લંબાવે. એમ કરતાં મણીનગર આવી જાય- અને વાર હોય તો શહેનશાહ આગળના કમ્પાર્ટમેન્ટમાં જાય.
આ વાત 25 વર્ષ પહેલાંની. ચોક્કસ કહું તો 1987ની. મહેમદાવાદમાં 12મું ધોરણ પાસ કરીને કોલેજ માટે અમદાવાદ અપ-ડાઉન શરૂ કર્યું, ત્યારે પહેલી વાર શહેનશાહનાં દર્શન થયાં હતાં. થોડાં લાંબા અંતરાલ પછી તેમને એવા જ ઉત્સાહથી દસ-પંદર રૂપિયાની સોનેરી ચેઇનો વેચતાં જોયા હતા. વળી થોડાં વર્ષ વીત્યા પછી, આ મહિને સવારે સાડા દસ વાગ્યાની મેમુ ટ્રેનમાં ફરી એક વાર ‘જુસ મશીન’નો ડેમો જોયો. એ જ માણસ. હવે એ પોતાની ઓળખ ‘શહેનશાહ’ તરીકે આપતા નથી એટલું જ. બાકી એ જ ચહેરો, એ જ ઢબછબ. વચ્ચેનાં પચીસ વર્ષ તેમના દેખાવ પર જાણે વરતાય જ નહીં. તેમને જોઇને એક રીતે ટાઇમટ્રાવેલ જેવી લાગણી થઇ.
શહેનશાહથી સાવ સામા છેડાનું, પણ એ જ ગાળાનું યાદ કરવું પડે એવું એક પાત્ર મોહન સિંગવાળો. તેમની ઉંમર એ વખતે પચાસ આસપાસ હશે. પણ રફીને કે કિશોરકુમારને જેમ આત્મીયતાર્થે એકવચનમાં ઉલ્લેખવામાં આવે છે, એવું જ મોહનનું. ગુજરાત ક્વિનના જ નહીં, ટ્રેનના ફેરિયાઓમાં મોહનનું નામ ‘લેજન્ડરી’ કહેવાય એવું.
એ માણસ કાળુપુર સ્ટેશને એક નંબરના પ્લેટફોર્મના દાદર પાસે, ઉભા પગે બેઠો હોય. સામે ગરમાગરમ સિંગનો ટોપલો, છાપાંના લંબચોરસ ટુકડા અને એક નાની પ્યાલી. રૂપિયા પ્રમાણે પ્યાલી ભરીને એ સિંગ આપે. ફેરિયાઓના જગતમાં પણ પત્રકારો-કોલમિસ્ટોની જેમ ‘બોલે તેનાં બોર વેચાય’ એ સત્ય પ્રચલિત., પણ મોહન તેમાં મજબૂત અપવાદ હતો. સાંજે છ ને દસે ક્વિન ઉપડે ત્યાં સુધી એ પ્લેટફોર્મ પર એક જ જગ્યાએ હોય. સિંગ વેચવા ક્યાંય ફરવાનું નહીં. લોકો તેને શોધતા શોધતા પહોંચી જાય. પછી એ ટ્રેનમાં ચડે અને અમદાવાદથી મહેમદાવાદ સુધી, એક પણ શબ્દ બોલ્યા વિના, ચૂપચાપ ડબ્બામાં આગળ વધતો રહે. મોહનનો અવાજ ભાગ્યે જ કોઇએ સાંભળ્યો હશે. પણ તેને બોલવાની જરૂર જ નહીં. લોકો તેની રાહ જોતા હોય.
મહેમદાવાદ સ્ટેશને મોહન ઉતરી પડે. એમાં પણ એની ખાસ સ્ટાઇલ. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે ત્યાં સુધી એ સિંગ વેચે. ટ્રેન ચાલુ થાય એટલે તે ચાલતી ટ્રેને સહેજ દોડીને ટોપલા સાથે ઉતરી જાય. ચાલુ ક્વિનમાંથી ઉતરતો મોહન પ્લેટફોર્મ પર ફરવા જતા ઘણા મહેમદાવાદીઓ માટે, સૂરજના આથમવા જેવું કાયમી દૃશ્ય. કેટલાક ખાસ મોહનની સિંગ લેવા માટે ક્વિન પર જાય. બીરેન એ વખતે આઇપીસીએલમાં નોકરી કરતો અને મહેમદાવાદ રહેતો હતો. નાઇટ શિફ્ટ હોય ત્યારે એ ક્વિનમાં વડોદરા જાય. ભાભી કામિની તેડવા જેવડી શચિને લઇને બીરેન સાથે સ્ટેશને જાય. વળતાં એ મોહનની સિંગ લેતાં આવે. નાની શચિને જોઇને મોહન પ્રેમથી એકાદ રૂપિયાની સિંગનું અલગ ‘છોટા પેક’ આપે. અડધો-પોણો કલાક મહેમદાવાદ પ્લેટફોર્મ પર બેઠા પછી એ ઇન્ટરસીટી એક્સપ્રેસ પકડીને અમદાવાદ પાછો. ધંધાનો આ જ ટાઇમઃ ક્વિનથી ઇન્ટરસીટી. ઇન્ટરસીટીમાં પણ લોકો મોહનની રાહ જોતા હોય.
ભાવ વધારવો હોય ત્યારે પેકેટ નાનું કરવાને બદલે જથ્થો ઘટાડી નાખવો, એ ફન્ડા વેફરોવાળા કરતાં વીસેક વર્ષ પહેલાં મોહનને આવડતો હતો. એટલે ભાવ ગમે તેટલા વધે, મોહનની માપની ડબ્બી એની એ જ રહે. હા. એના તળીયે મુકાતાં કાગળનાં પેકિંગ ઉમેરાતાં જાય. મોહનની સમૃદ્ધિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત હતી. એમાંની એકાદ તો શબ્દાર્થમાં દંતકથા હતી. કારણ કે મોહનનો એક દાંત સોનાનો હતો. છોકરા વેલ સેટલ્ડ હોવા છતાં મોહન સિંગ વેચે છે અથવા મોહનનો મસ્ત બંગલો છે, એવું ઘણી વાર સાંભળવા મળતું હતું.
‘આપણી ક્વોલિટી હશે તો લોકો સામેથી શોધતા આવશે. આપણી સરસ ચીજ વેચવા માટે લાઉડ કે ચીપ થવાની જરૂર નથી’ એવી ‘મોહન-સ્કૂલ’થી તદ્દન વિપરીત ‘શહેનશાહ-સ્કૂલ’ - લાઉડ, લોકરંજક, ગલગલિયાં કરાવીને માલ વેચનારી. જાતે ને જાતે મોટા દાવા કરનારી અને પોતાની આવડત કરતાં વધારે સામેવાળાના ‘ભોળપણ’ પર શ્રદ્ધા રાખીને પિચિંગ કરનારી. (વાચકોને છાપાં-મેગેઝીન-કોલમિસ્ટો સહિત બીજાં ક્ષેત્રોમાં પણ ‘મોહન-સ્કૂલ’ અને ‘શહેનશાહ-સ્કૂલ’ વાળાં નામ યાદ આવી શકે છે)
શહેનશાહને ખબર હોય કે આપણા પ્રચાર પછી એક જણ ખરીદશે, એટલે પાછળ બીજા લોકો પણ આવશે. એ માટે અમારા ગામના એક છોકરાને તેમણે પહેલી ખરીદી માટે કહી રાખેલું. ડેમો પૂરો થાય એટલે એ છોકરો દસની નોટ કાઢીને શહેનશાહને આપે. એ જોઇને બીજા પણ પ્રેરાય. મણિનગર ઉતરીને શહેનશાહ છોકરાને દસની નોટ પાછી આપી દે અને ‘મશીન’નું પેકેટ લઇ લે. બદલામાં ક્યારેક બીજા અપ-ડાઉનવાળાની જેમ એ છોકરાને પ્યાલામાં ભેગો થયેલો લીંબુ-મોસંબીનો રસ પીવા મળે.. શહેનશાહની કાર્યપદ્ધતિની ઝલક આપતી કેટલીક ‘રસ’પ્રદ તસવીરો-



Wednesday, April 13, 2011
સોનિયા ગાંધી-મનમોહન સિઘનો ‘મહાભારત સંવાદ’
Tuesday, April 12, 2011
અન્ના, આંબેડકર અને ગાંધીઃ લડતની સાક્ષીએ
Sunday, April 10, 2011
જાનનું જોખમ ખેડીને અણુમથકનું સમારકામ કરતા ‘જમ્પર’: ક્યારેક દેશ માટે, ક્યારેક ‘કૅશ’ માટે
પરંતુ જાપાનમાં એ સવાલ પેદા જ ન થયો. અકસ્માત પછી ઘણા કર્મચારીઓ સ્થળ છોડીને સલામત વિસ્તારમાં જવાને બદલે, પ્લાન્ટ પર સતત તહેનાત રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં જાણીતા બનેલા જાપાની કામીકાઝી (આત્મઘાતી) પાયલોટોની જેમ, પોતાના જીવની પરવા ન કરનારા કર્મચારીઓની કુલ સંખ્યા ૩૦૦થી ૫૦૦ જેટલી છે. પણ દરેક પાળીમાં ૫૦ કર્મચારીઓ કામ કરતા હોવાથી, પ્રસાર માઘ્યમોએ તેમનું નામ પાડ્યું: ‘ફુકુશિમા-૫૦’. તેમનું એક જ લક્ષ્યઃ કોઇ પણ ભોગે, પોતાના જીવના પણ જોખમે, વઘુ નુકસાન થતું અટકાવવું. રીએક્ટરોને ટાઢાં પાડવાં અને વિકિરણોનો ફેલાવો રોકવો.
Wednesday, April 06, 2011
બોર્ડની પરીક્ષાનું બ્રહ્મસત્યઃ કેવું ગયું પેપર?
દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન મૂંઝવતા અનેક સવાલ માટે બજારમાં યથાશક્તિ- વિદ્યાર્થીઓની સમજશક્તિ મુજબ નહી, વાલીની ખરીદશક્તિ પ્રમાણે - માર્ગદર્શન મળે છેઃ ટ્યુશન, કોચિંગ ક્લાસ, સ્યોર સજેશન, મોક ટેસ્ટ...પરીક્ષા નજીક આવે ત્યારે અભ્યાસ સિવાયના પ્રશ્નો માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનના લેખો અને પુસ્તકોથી માંડીને ડોક્ટરની સલાહ-કાઉન્સેલિંગના વિકલ્પ હોય છે. પરંતુ પરીક્ષાલક્ષી શિક્ષણના બજારમાં એક સમસ્યાસર્જક સવાલની ભારે અવગણના થઇ છે. વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકતો, તેમને અસત્યના રસ્તે, આત્મવંચના-જાતને છેતરવા- તરફ વાળતો કે આત્મદયામાં ધકેલતો એ સવાલ છેઃ ‘કેવું ગયું પેપર?’
પરીક્ષા નજીક આવે એટલે ‘કેવી છે તૈયારી?’ એવી પૂછપરછથી પેપર અંગેના કાતિલ સવાલનો માહોલ બંધાવા લાગે છે. તૈયારી વિશે જવાબ આપવામાં વિદ્યાર્થીને મૂંઝવણ નડતી નથી. આધ્યાત્મિક પરિબળોના શરણે ગયા વિના, માત્ર ભૌતિક બાબતોથી એ જવાબ આપવાનું શક્ય છે. જેમ કે, ‘તૈયારી તો જોરદાર ચાલે છે. રોજના પંદર કલાક.’ અથવા ‘છેલ્લા એક મહિનાથી અમને ટ્યુશનમાં પેપર લખવાની જ પ્રેક્ટિસ કરાવે છે.’ અથવા ‘છેલ્લા છ મહિનાથી બંધ ટીવી-પિક્ચર-ફેસબુક બધું બંધ છે.’ પૂછનારને મોટે વિદ્યાર્થીની તૈયારી વિશે જાણવા કરતાં પોતાની નિસબત બતાવવામાં વધારે રસ હોય છે. એટલે સામેથી જવાબ કોઇ પણ મળે, સવાલ પૂછનાર ‘સરસ, સરસ. વેરી ગુડ’ એવો કોઇ છાપેલો પ્રતિભાવ જારી કરીને, સરકારી માહિતીખાતાની નિસ્પૃહતાથી, તે બીજી વાત પર ચડી જાય છે.
ઉત્તરાયણ પહેલાં દોરી પીવડાવનાર દરેક જણ એવી શ્રદ્ધા ધરાવે છે કે આપણી દોરી પાક્કી છે. એક વાત ત્યારે નજરઅંદાજ કરવામાં આવે છે કે દોરી કરતાં વધારે મહત્ત્વ પતંગ ચડાવનારના કૌશલ્યનું હોય છે. પરીક્ષાની તૈયારી વિશે પૂછવું એ દોરીની ગુણવત્તા વિશે પૂછપરછ કરવા બરાબર છેઃ સહજ-સ્વાભાવિક, પૂછવાથી બન્ને પક્ષને સારું લાગે એવું છતાં એકંદરે નિરર્થક. આખરે તો અગાશીમાં (કે પરીક્ષાખંડમાં) જે થાય તે જ ખરું- એ સત્ય બન્ને પક્ષો પોતપોતાની રીતે જાણે છે.
પરીક્ષા સાવ નજીક આવે એટલે તૈયારીને લગતા પ્રશ્નો ગૌણ બની જાય છે અને શુભેચ્છા-આશીર્વાદનો દૌર ચાલુ થાય છે. પહેલાં એ માટે શબ્દો કે ઇષ્ટદેવની પ્રસાદી પૂરતી ગણાતી હતી. હવે લગ્નપ્રસંગની જેમ પરીક્ષાટાણે ચોકલેટ કે પેનનો ‘ચાંલ્લો’ કરવાનો રિવાજ થયો છે. જૂના વખતમાં લગ્નપ્રસંગે ભેટમાં મળેલાં દિવાલ ઘડિયાળ કે લેમનસેટ (કાચના પ્યાલા-જગ) ઘણી વાર ખોખાબંધ અવસ્થામાં જ, ઉપર ફક્ત આપનારના નામનું લેબલ બદલીને, બીજા કોઇને ભેટમાં આપી દેવાતાં હતાં. એવું શુભેચ્છા-સ્પેશ્યલ (એટલે કે ઓછી કિંમતની) પેનની બાબતમાં થઇ શકે છે. પણ ભેટમાં મળતી પેનનો જથ્થો બીજાને પધરાવીને સહેલાઇથી નિકાલ કરી શકાય એટલો ઓછો નથી હોતો. ઘરમાં પેનના ખડકલા જોઇને વાસ્તવવાદી વાલી એવું પણ વિચારી શકે છે કે ‘બાળક પરીક્ષામાં ધબડકો કરશે તો છેવટે તેને પેનની દુકાન કરી આપીશું. એના માટેનો સ્ટોક બહારથી લાવવાની જરૂર નહીં પડે.’
ભેટમાં આવેલી સંખ્યાબંધ પેન જોઇને શરૂઆતમાં વિદ્યાર્થી રાજી થાય છે, પણ મોટા ભાગની પેનો એક જ પ્રકારની- ફક્ત ચાલુ (ચાલતી) નહીં, સાવ ચાલુ (સાધારણ)- છે એ જાણ્યા પછી તેનો રસ ઉડી જાય છે. એક તરફ વિદ્યાર્થી કાચી વયે ભોગવીને ત્યાગવાની ઉચ્ચ માનસિક અવસ્થાએ પહોંચે છે, ત્યારે કેટલાંક મોટેરાં પેનના જથ્થા પર નજર બગાડે છે. શરૂઆત તે નવા જમાનાના વિચિત્ર રિવાજોની ટીકાથી કરે છે. ‘અમારા જમાનામાં આવું કશું ન હતું. ભગવાનનો પ્રસાદ કે ગાયના શુકન કરીને નીકળીએ એટલે થયું.’ એમ કહ્યા પછી તે સંગ્રહખોરી કેવી ખરાબ બાબત છે એ સમજાવે છે અને છેલ્લે મુદ્દાની વાત પર આવતાં કહે છે, ‘આટલી બધી પેનોનું તું શું કરીશ? અમારે તો રોજેરોજ પરીક્ષા હોય છે અને હા, મારા તને આશીર્વાદ તો છે જ.’ એમ કહીને જથ્થામાંથી બે-ચાર પેનો ઉપાડી લે છે. ‘ચાલુ (ફાલતુ) પેનો સંઘરવી મટી’ એમ વિચારીને વિદ્યાર્થી રાજી થાય છે અને પેનના ઢગલાને કારણે પોતે લેનારને બદલે આપનારની ભૂમિકાએ પહોંચી શક્યો તેનું ગૌરવ પણ અનુભવે છે.
પરીક્ષા શરૂ થાય એટલે બીજી બાબતો બાજુ પર ધકેલાઇ જાય છે અને સઘળું ધ્યાન પેપર પર કેન્દ્રિત થાય છે- વિદ્યાર્થીઓનું નહીં, વાલીઓનું. વિદ્યાર્થી પહેલું પેપર આપીને પરીક્ષાકેન્દ્રની બહાર નીકળે એ સાથે જ વાલીઓ પોતપોતાની ખાસિયત પ્રમાણે સક્રિય બને છે. કેટલાક વાલી પેપરમાં પૂછાયા હોય એના કરતાં વધારે સંખ્યામાં અને વધારે અઘરા સવાલ પેપર વિશે પૂછવા માંડે છેઃ ‘કેવું ગયું પેપર? કેવું હતું? સહેલું કે અઘરું? ક્લાસમાં બીજા બધાને કેવું લાગ્યું? સુપરવાઇઝર બહુ કડક હતા? કેટલા માર્કનું છૂટ્યું? કેટલા માર્ક આવે એવું લાગે છે આશરે? ચોરી થતી હતી? તેં કરી? ચેકિંગ આવ્યું હતું? બહુ કડક હતું?’ સવાલોનો વરસાદ સાંભળીને એક વાર તો વિદ્યાર્થીને દોડીને ફરી ક્લાસરૂમમાં જતા રહેવાની ઇચ્છા થઇ આવે છે, પણ તે પીઢ અભિનેતાની જેમ, શબ્દોને બદલે હાવભાવથી નારાજગી વ્યક્ત કરીને અપાય એટલા જવાબ આપે છે. પણ આ પ્રકારના વાલી અણઘડ પ્રેક્ષક હોવાથી તેમનું સઘળું ધ્યાન અભિનયને બદલે ‘સ્ટોરી’માં હોય છે.
ધીરજવાન વાલીઓ પરીક્ષાકેન્દ્રની બહાર નીકળતા તેમના સંતાન પર ‘પહેલી ધારના’ સવાલો લઇને તૂટી પડતા નથી. એ જાણે છે કે સંતાન સાથે સવાલજવાબ કરવાનો આ ‘અભી નહીં તો કભી નહીં’ જેવો, છેલ્લો મોકો નથી. હવે ઘરે જ જવાનું છે. ત્યાં સચ્ચાઈની નજીકના જવાબ મળશે. ‘પોલીસ જેવા પોલીસ ગુનેગારને પકડ્યા પછી સ્થળ પર ઉલટતપાસ કરવાને બદલે ચોકીએ લઇ જાય છે, તો આપણે પોલીસથી પણ ગયા?’ એવો વિચાર તેમના મનમાં ઝબકી જાય છે.
શેરલોક હોમ્સ કે સિગ્મંડ ફ્રોઇડની નવી આવૃત્તિનો વહેમ ધરાવતા કેટલાક વાલીઓ સીધી પૂછપરછને બદલે સંતાનને ‘લોડેડ’ સવાલો પૂછે છે, ‘તારી ચાલ ઢીલી લાગે છે. પેપર બરાબર ગયું નથી કે શું? તારા ચહેરો ઉતરી ગયેલો દેખાય છે. કેટલા માર્કનું છૂટ્યું? તારા અવાજમાં આત્મવિશ્વાસનો રણકો નથી. સાચું કહેજે, કેવું ગયું પેપર?’
આ સિલસિલાને કારણે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીમાં વિદ્યાર્થીને ડિપ્લોમેટિક જવાબો આપતાં આવડી જાય છે. પેપર સાવ ભંગાર ગયું હોય તો પણ પરીક્ષાકેન્દ્રની બહાર નીકળીને ‘કેવું ગયું પેપર?’ના જવાબમાં આત્મવિશ્વાસના રણકા સાથે કહી શકે છે, ‘નોર્મલ... કાલના જેવું જ...એટલે સારું...એટલે એકસ્ટ્રા ઓર્ડિનરી નહીં ને ભંગાર પણ નહીં...એટલે સરસ...એટલે...આમ સરસ જ...એટલે આમ તો બધું આવડ્યું...’ આ જવાબ સાંભળીને વાલીને એટલી ખાતરી થાય છે કે બીજાં પેપર ગમે તેવાં જાય, પણ તેનું ભાષાનું પેપર સરસ જશે.
પેપર કેવું ગયું તેનો જવાબ ફક્ત કુટુંબીજનોને આપવાથી વાત પૂરી થતી નથી. ‘કેવી ચાલે છે તૈયારી?’વાળો વર્ગ પણ ફોન પર પૂછે છે, ‘શું? કેમ રહ્યું? જોરદાર?’ આ સવાલ ‘આજે બહુ ગરમી છે, નહીં?’ એ રીતે પૂછાતો હોય છે. તેનો જવાબ સાચો નહીં, પૂછનારની અપેક્ષા પ્રમાણે આપવાનો હોય છે. એટલે તેમાં બહુ આવડતની જરૂર પડતી નથી.
પરિણામની તારીખ નજીક આવતી જાય, તેમ ‘કેવું ગયું હતું પેપર?’ અને ‘શું લાગે છે?’ના જવાબમાં નાની છતાં વ્યૂહાત્મક – ‘શરતો લાગુ’વાળી ફુદડીઓ ઉમેરાતી રહે છે, જેથી પરિણામના દિવસે કોઇ પણ જાતની દુર્ઘટના થાય તો ઉંઘતા ઝડપાવાનું ન થાય.
‘કેવું ગયું પેપર’ના જવાબમાં વિદ્યાર્થીએ પરીક્ષાથી પરિણામ વચ્ચેના ગાળામાં જુદા જુદા સમયે આપેલા જવાબ જ્યોતિષીની આગાહી જેવા હોય છે. એ સાચી ન પડે, તો તેના વિશે તકરાર થતી નથી. ‘જે થયું તે થયું. હવે જે થઇ શકે તે કરીએ.’ એમ વિચારીને સૌ આગળ વધે છે. એટલે જ જ્યોતિષીઓની આગાહી અને ‘કેવું ગયું પેપર?’ એ સવાલનો મહિમા ઘટવાને બદલે અવિચળ રહ્યો છે.