Monday, August 17, 2009

હોમાય વ્યારાવાલા, નેનો અને પ્રસાર માધ્યમો

આખરે આજે સવારે હોમાય વ્યારાવાલાને લાલ રંગની ‘નેનો’ પ્રાથમિકતાના ધોરણે મળી ખરી.
ભાઇ પરેશ પ્રજાપતિએ આજે સમાચાર આપ્યા. એ સાથે જ એક વિચિત્ર અને પ્રસાર માધ્યમોની ભૂમિકા માટે યાદ રહી જાય એવા પ્રકરણનો સુખાંત આવ્યો- પણ ગાડીને જીવનમરણના સવાલની જેમ ચગાવનારા પ્રસાર માધ્યમોથી હોમાયબહેન ઘણાં નારાજ છે.
***
સંયોગોવશાત ગઇ કાલે રાત્રે જ એમને વડોદરાના એમના નિવાસસ્થાને બીરેન (કોઠારી) અને બિનીત (મોદી) સાથે મળવાનું થયું હતું. બીરેન પરિવાર અને મિત્ર પરેશ પ્રજાપતિ હોમાયબહેન સાથે લાંબા સમયથી સંકળાયેલા છે અને પારિવારિક સંબંધ ધરાવે છે. એટલે અમારી મુલાકાતમાં ઔપચારિકતાનો કોઇ ભાવ ન હતો. હોમાયબહેને પણ લાંબા સમયથી મનમાં ચડેલો એમનો ઉભરો ઠાલવ્યો – અને થોડા સમય પછી એમની સ્ટાઇલમાં હસતાં હસતાં કહ્યું પણ ખરું, ‘મેં મારો ઉભરો ઠાલવી લીધો. આ બધું સમજનારા (સાંભળનારા) કાં મલવાના ઉતા?’

હોમાયબહેન મિડીયાએ સર્જેલા ‘નેનોકાંડ’થી બહુ ત્રાસેલાં હતાં. ‘ધે મેડ માય લાઇફ મિઝરેબલ’ એ મતલબનાં ઘણાં વાક્યો એમણે પ્રસાર માધ્યમોના ઉત્સાહી પત્રકારો વિશે કહ્યાં. ‘આમાં અમારો શું વાંક?’ એવું કોઇ પત્રકાર મિત્રને હજુ ભોળાભાવે લાગતું હોય, તો તેમના લાભાર્થે આખો (અને હા, સાચો) ઘટનાક્રમ ટૂંકમાં.
હોમાયબહેને પોતાની વિન્ટેજ ફિઆટ રીપેરીંગથી કંટાળીને મુંબઇના એક સગાને આપવાનું નક્કી કર્યું. એ ગાડી સાથે તેમના વર્ષોજૂના લાગણીના સંબંધ. એટલે બીરેને એ સંબંધને ધરીમાં રાખીને ‘આહા જિંદગી’માં બે પાનાંનો એક લેખ લખ્યો, જે માત્ર તેમના અને તેમની ગાડીના સંબંધો અને તેની બારીક વિગતો વિશે હતો. એ લેખના થોડા સમય પછી એક ટેબલસ્ટોરી ફરતી થઇ, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે હોમાયબહેને નેનો ખરીદવા માટે પોતાની વર્ષોજૂની કાર કાઢી નાખી. ત્યારથી નેનોન્યૂઝ ભૂખ્યા પત્રકારોએ હોમાયબહેનનનું જીવવું હરામ કરી નાખ્યું. તેમના નામે અને તેમના વિશે અનેક ભળતીસળતી વિગતો, કોઇ પણ જાતની ખરાઇ વિના છપાવા લાગી. હોમાયબહેનને નેનો માટે કોઇ વિશેષ આકર્ષણ ન હતું. એમની જરૂરિયાત એક ગાડીની હતી ને એ વખતે નેનોની વાત આવી. એટલે એમણે નેનોમાં રસ બતાવ્યો. એથી વધારે નેનોમાં તેમને કશો રસ ન હતો. પરંતુ છાપાં-ચેનલોમાં બધાને મઝા પડી ગઇ. હોમાયબહેન અને નેનોના નામે પહેલાં ‘મળવાની છે’, પછી ‘હજુ સુધી મળી નથી’, પછી ‘હવે મળે તો પણ લેવાનાં નથી’ એવી સ્ટોરી સતત ચાલતી રહી. એમાં હોમાયબહેનની શાંતિનો ‘ઘાણ’ વળી ગયો. કેટલાક એવું માનવા લાગ્યા કે અમે સ્ટોરી કરી, એટલે હોમાયબહેનને નેનો મળવાની છે. નેનોની પ્રાથમિક ધોરણે ફાળવણી માટે મુંબઇથી તેમની પર પત્ર આવ્યો હતો. પરંતુ કારની ડિલીવરી વડોદરાથી મળવાની હોવાથી સ્ટોરી વડોદરાની થઇ ગઇ અને પછી તો દર થોડા વખતે પત્રકારોને આ સ્ટોરીના ઉથલા આવતા રહ્યા. હોમાય વ્યારાવાલાની અને નેનોની વાત આવે એટલે સ્ટોરી નેશનલ થઇ જાય. પીટીઆઇ પરથી પણ આ સ્ટોરી ઉતરી.

કાલે હોમાયબહેન કહેતાં હતાં કે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં એમના વિશે એક એવો રીપોર્ટ આવ્યો હતો, જેમાં ‘હું બોલી ન હતી એવું બધું મારા ક્વોટ્સ તરીકે ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવ્યું હતું. સાથે ફોટો પણ એવો મૂક્યો હતો કે હું એનોય્ડ હોઉં એવું લાગે.’ હોમાયબહેન કહે,’હું કદાચ ગુસ્સામાં હોઇશ તો પણ રીપોર્ટર પર.’ ટાઇમ્સનો રીપોર્ટ વાંચીને એમણે જૂની સ્ટાઇલમાં તંત્રીને એક પત્ર પણ લખ્યો હતો, જેની વિગત ગઇ કાલે એમણે મોઢે બોલી બતાવી. તેનો સાર એ જ હતો કે રીપોર્ટમાં મારા નામે ભળતાંસળતાં અવતરણ છાપ્યાં હતાં અને મારો ફોટો જોઇને એવું લાગે કે તમે બુઢ્ઢા લોકો પ્રત્યે સંવેદનશીલ નથી.

નેનો મુદ્દે મિડીયાવાળાથી ગળે આવી ગયેલાં હોમાયબહેન કહેતાં હતાં કે મારી આટલી હેરાનગતિ કદી થઇ નથી. ‘લોકો ગમે ત્યારે એપોઇન્ટમેન્ટ લીધા વિના આવી ચડે, કેમ જાણે આપણે નવરાં હોઇએ ને એમની રાહ જ જોતાં હોઇએ. કેટલાક બેલ માર્યા વિના છેક ઘરમાં આવી જાય. ઘણાખરા આવીને પોતાના હિસાબે ઘરનું બધું રાચરચીલું આઘુંપાછું કરી નાખે અને ફરી સરખું કરવાની તસ્દી પણ ન લે. ટાઇમ પર આવે નહીં. અત્યાર સુધી મેં કદી કોઇને પાછા કાઢ્યા નથી. પણ એક જણ આવેલો- ઇન્ટરવ્યુ લેવા. તેને સવારે અગિયાર વાગ્યે મળવાનું કહ્યું હતું ને ચોખ્ખું લખ્યું હતું કે મહેરબાની કરીને ટાઇમસર આવી જજો. તો પણ એ ચાળીસ મિનીટ મોડા આવ્યા. મેં એમને પૂછ્યું, ‘સોનિયા ગાંધીને મળવા જવાનું હોત તો તમે પંદર મિનીટ પણ મોડા પડત?’
એ કહે , ‘ના.’
‘તો પછી તમે મને શું સમજો છો? આઉટ યુ ગો.’ કહીને એમને રવાના કર્યા.

‘દસ મિનીટ મોડા પડો તો ચાલે, પણ પાંચ મિનીટ વહેલા ન જવાય.’ એવું કહેનારાં હોમાયબહેને અમદાવાદથી બે છોકરીઓની વાત કરી. એમને દસ વાગ્યાનો ટાઇમ આપ્યો હતો અને તે નવ વાગ્યામાં આવી ગઇ. એમને મેં કહ્યું કે ‘તમને દસ વાગ્યે આવવાનું કહ્યું હતું’ તો કહે,’અમે અમદાવાદથી આવીએ છીએ.’
‘એમાં હું શું કરું?’
‘પણ અમે ક્યાં જઇએ?’
‘મારે પરવારવાનું બાકી છે.’
‘વાંધો નહીં અમે અહીં બહાર બેઠાં છીએ.’
હોમાયબહેન કહે, ‘અમે કોઇને મળવાનું હોય ને પાંચ મિનીટ બાકી હોય તો બહાર આંટાફેરા મારીએ ને ટાઇમ થાય પછી જ અંદર જઇએ.’ એ છોકરીઓ બપોરે જમવાના સમયે ન ગઇ, ચાના સમયે ન ગઇ, ‘તમારું રસોડું બતાવી દો. સાંજનું રાંધી દઇશું’ કહીને સાંજે રોકાઇ ને એમણે કોઇની સાથે રાત્રે દસ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું હશે, તે છેક એ સમયે ગઇ.
હોમાયબહેન પ્રત્યે ગમે તેટલો આદરભાવ હોય, તો પણ તેમનાં લાગણી, સગવડ અને સ્વમાનનો, તેમની રહેણીકરણીનો ખ્યાલ કોઇ કરતું નથી. તેમના લાસરીયા વર્તનથી હોમાયબહેન મનોમન જેટલાં ધૂંધવાય છે અને અગવડ અનુભવે છે એ કોઇ વિચારતું નથી. ફોટા પાડવા માટે ઘરનું ફર્નિચર આમતેમ કરી નાખનારા લોકો એમ જ જતા રહે ત્યારે હોમાયબહેનને બહુ ગુસ્સો આવે છે. એ કહે છે,’હવે તો એવું થાય છે કે એ લોકો છેક નીચે ઉતરી જાય, પછી એમને પાછા ઉપર બોલાવું અને કહું કે આ બધું ગોઠવીને જાવ.’

પત્રકારોના માઠા અનુભવોનો એમની પાસે ભંડાર છે. એ કહે, ‘અત્યાર સુધી બધાએ મારા વિશે આટલું બધું લખ્યું, પણ મને એનાથી આટલો બી ફરક પડ્યો નથી. એક આ (બીરેન-કામિની) અને બીજાં એક શાહ કપલ છે એ મારી બહુ હેલ્પ કરે છે.’ એમની નજીક રહેતો અમારો મિત્ર પરેશ પ્રજાપતિ હવે આ ટૂંકા વર્તુળમાં ઉમેરાયો છે- હોમાયબહેનની રમૂજ પ્રમાણે, ‘પ્રજાપતિ મારી ને આમની (બીરેનની) વચ્ચે ફસી ગયો છે.’
***
‘કાલે નેનો લેવા જવાનું છે. મેં કહ્યું, મને ઘરમાં નીચે આપી જજો. પણ ત્યાં કોઇ ફોર્માલિટી માટે મારે જવાનું છે. એ લોકોએ ખબર નહીં કેમ, પણ અગાઉના ફોર્મમાં કંઇક અપગ્રેડ કર્યું છે. એટલે સહી કરવા જવાનું છે. મેં કહ્યું હતું કે મારે ગાડીમાં કોઇ ગેજેટ નહીં જોઇએ. કોઇ એર કન્ડિશનિંગ નહીં. મારે ગાડી લક્ઝરી માટે નહીં, નેસેસીટી માટે લેવાની છે. કાલે ત્યાંથી ડ્રાઇવર મને મારી ગાડીમાં અહીં મૂકી દેશે. કોઇકે તો એવું પણ લખ્યું હતું કે એમનાથી ગાડી ચલાવાશે નહીં. એટલે ડ્રાઇવર રાખવો પડશે.’

ગાડીના મુદ્દાને મિડીયાવાળાએ જીવનમરણનો સવાલ બનાવી દીધી, એનાથી હોમાયબહેન ત્રાસી ગયાં હતાં. જ્યાં જાય ત્યાં લોકો પૂછે,’ગાડી મળી?’ હોમાયબહેન કહે,’થોડા વખત પહેલાં એક પાડોશીએ ગાડી કાઢી નાખી, પછી મને ખબર પડી. નહીં તો એ ગાડી ખરીદી લીધી હોત તો આ કશી ઝંઝટ જ ન થાત.’
(ફોટોઃ બિનીત મોદી)

6 comments:

  1. It is sad that in the mad race for the latest in trivia of the elite limits of what is acceptable are pushed back by hook or crook. In this era of media arrogance,many ant-hills are projected as Himalayas and the sensitivity of individuals are ignored bya blatant invasion of privacy.--Tushar Bhatt

    ReplyDelete
  2. Urvish,
    Normally we say that if most is bad, there always is some- good. But,in the case of media this is also not true, meaning- almost 99% are doing such things. They do not have left any ethics, just as our police has lost all ethics towards their profession.
    It is pity that even Tata motors didnt take any pain to clear the cloud of misconception spread by media (I am afraid they might also be looking at this as some benefit)

    ReplyDelete
  3. Anonymous9:47:00 PM

    I always feel that sometime we, the media personel used to harase the people for only the sake of our so called exclusivity. I know a crime reporter who considered very "sharp n bold". How? In the case of murder or rape, he will rush to the victim's house with photographer and work hard to make the victim's relative cry to get "sensational" photographs. He will move in the house as his own. Often he has asked for even tea to those persons whose son or father has been murdered few hours ago. Reason is clear..to stay here longer and to get inside information!!
    It is all for exclusive report, u know!!
    Dhaivat Trivedi

    ReplyDelete
  4. હોમાયની બદલાયેલી અટક : વ્યાધિવાલા !
    (સૌજન્ય : પ્રસાર માધ્યમો ,પ્રાયોજક : નાનેરી ગાડી)

    ReplyDelete
  5. suresh parmar5:34:00 PM

    પત્રકારો માટે આ શરમજનક ઘટના છે. સૌથી પહેલા મહિલા ફોટોગ્રાફરનાં સંસ્મરણોને યાદ કર્યાં તે આવકાર્ય છે.

    ReplyDelete